Rajvi - 4 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 4

(૪)

(ધારિણી રાણી મનમાં રાજુલ માટે ચિંતા કરે છે અને તે મહારાજ ઉગ્રસેન આગળ વાત પણ કરે છે. હવે આગળ....)

વિચારો! કુંભારના ચક્રની જેમ ગોળ ગોળ ફર્યા જ કરે છે, એમ જ વિચારો પણ એક પછી એક મનમાં જન્મયા જ કરે છે. તેનો અંત કયારેય નથી હોતો.

પહેલા રાજુલ અને હવે તેની માતા ધારિણી દેવી વિચારોમાં ખોવાઈ ગયા હતા.

રાજુલ તેની માતાની છાતીમાં લપાઈ ગઈ અને ધારિણી રાણી એના લાંબા કેશકલાપને પંપાળતા કયાંય સુધી બેસી રહ્યા. તેમના મનના વિચારો તો....

'મારી દિકરીના મનમાં કેટકેટલા અભરખા અને આશાઓ એના હ્રદયમાં રમતા હશે! એ કોને પામશે?... મારા આ સુંદર પુષ્પનો ભોક્તા કોણ બનશે? એની સુરમ્ય દેહરેખાઓ કેટલી ઘાટીલી બની ગઈ છે. એમાંથી સુંદરતા અસ્ખલિતપણે નીતરતી લાગે છે.'

'એના માટે યોગ્ય એવું કુળ કયું?... હાલ તો યાદવકુળ એ જ અત્યારે તો સૌથી સમૃદ્ધ અને સંસ્કારી કુળ છે. અને એના સમર્થ મહારથી કૃષ્ણ મહારાજા ઘણીવાર મને યાદ આવી જાય છે.

થોડા મહિના પહેલા જ એ એમની રાણીઓ સાથે વિહારે નીકળેલા ત્યારે આ બાજુ આવેલા. અને એમનો સત્કાર કરતાં કરતાં જ મને એમનો કમનીય દેહ તથા સુંદર પ્રતિભાશીલ વ્યકિતત્વ જોઈને જ જમાઈ તરીકે સ્વીકારી લેવાની ઈચ્છા પણ થઈ. પણ....

રાજુલે એમના ગયા પછી એવો પ્રશ્ન પૂછયો કે મારા હોઠ જ એ બાબત બોલી જ ના શકી.' ધારિણી દેવીની વિચારયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી હતી.

'એ બધાને વિદાય કરી મહેલમાં પાછા આવતાની સાથે જ રાજુલે તેમને પૂછ્યું કે,

"મા, આમાં કોના પર શ્રી કૃષ્ણને વધારે પ્રેમ હશે?"

"એવી બધી વાતોથી આપણે શું કામ પડીએ?"

"વાહ! કેમ ન પડીએ? આ તો કંઈ સુખી જીવન કહેવાય? પતિ એકને જ સાચી પત્ની માની સાચો પ્રેમ આપી શકે."

અને ત્યારથી જ મેં પણ મનમાં ગાંઠ વાળી દીધી કે પુત્રી માટે સપત્ની તો ન જ શોધવી. કોઈ કુંવારો વર જ શોધી કાઢવો. જોકે મને ખબર છે કે આ કામ ક્ષત્રિય માટે દુષ્કર છે.  પણ શું થાય? પુત્રીના વિચારો જાણ્યા પછી એને દુઃખની ગર્તા તરફ ઓછી જ ધકેલાય?

અને રાજુલ પણ રાજવૈભવને મોહીને અત્યારનું અંત:પુરનું કલેશ પૂર્ણ જીવન જીવવા માટે એ હા પણ નહીં પાડે.

વળી, એની વાત પણ સાચી કે,

"ગમે તેવો બળવાન, સુંદર પુરુષ હોય, અરે ચક્રવર્તી જ કેમ ના હોય. પણ એટલે કંઈ એના રાણીવાસમાં ભરાઈ જવાનું? જીવનની મઝા પણ એમાં શું આવે?"

ત્યારથી જ મારી ચિંતા થોડી વધી ગઈ. આજ સુધી મારા અંતરમાં સંઘરી રાખેલી ઈચ્છાને એના એ વાક્યે એક જ ઝાટકે કાપી નાખી અને એ કારણે જ થોડા દિવસ તો મારું શરીર પણ અસ્વસ્થ થઈ ગયું. છતાંય હજી યાદવકુળનો મોહ તો મારા મનમાં રહ્યો જ છે.'

એટલામાં ઉગ્રસેન રાજા દરબાર તરફ જતા જતા પાછા ત્યાં આવ્યા, રાજુલને જોઈ બોલ્યા કે,

"ઓહો, રાજુલ! તું પણ આવી ગઈ બેટા?"

"હા, પિતાજી! મા હમણાં હમણાં મારા પર થોડી નારાજ રહેતી લાગે છે, એટલે એને મનાવવા આવી."

"જો આવું ખોટું ખોટું બોલીને એમને ચડાવતી ના."

ધારિણીદેવી એને જરા અળગી કરતાં કહ્યું,

"તો પછી તું કયારની આમ બેસી રહી છે અને જાણે મેં મોટો ગુનો કરી નાખ્યો હોય એમ મારી તરફ જોતી જાય છે અને પાછી ચિંતા પણ કરતી જાય છે."

"દિકરી, ચિંતા ના કરે એ મા ન કહેવાય, સમજી."

"અને કોપે નહીં એ પિતા ના ગણાય."

ધારિણી રાણીએ વ્યંગમાં કહ્યું અને રાજા શાંત થઈ ગયા.

"પિતાજીને રાજ કરવાનું છે, એમને આપણા જેવો સ્વભાવ ના પાલવે."

રાજુલે પિતાનો પક્ષ લેતા કહ્યું.

"નારાજ માતાને વધારે શું કામ નારાજ કરે છે, દિકરી."

ઉગ્રસેન રાજસભામાં જવા માટે પગ ઉપાડયો.

"ઊભા રહો, પિતાજી. માને જરા રાજી કરતાં જાવ અને એને કહી દો કે, 'તારી રાજુલ સુખી જ થવાની છે, નકામી ચિંતા ના કરે."

"એ જ વાત છે ને, એમાં તો તમારે બંને જણે મારી પલ વિશ્વાસ રાખવાનો છે."

"બહુ પાછા કામ કરો એવા ખરા ને?"

રાણી કટાક્ષમાં બોલ્યા.

"હા, કરવાનો અને તમને કોઈને ખબર પણ નહીં પડે. મારી રાત આટલી સરસ સ્વપ્નમાં ગઈ છે એટલે જોજો ને મારે હાથે જ તમારું કામ સફળ થવાનું જ."

અને એવી આત્મશ્રદ્ધા સાથે જ રાજસભામાં જતા રહ્યા.

તેમના ગયા પછી રાણીએ રાજુલને પૂછ્યું કે,

"તે દૂધ પીધું, દિકરી?"

"ના, સીધી નાહી ધોઈને અહીં જ આવી છું."

રાણીએ દાસીને દૂધ લાવવાની આજ્ઞા કરી અને પોતે સ્નાન કરવાની તૈયારી કરવા માંડી.

મા સ્નાન કરવા ગઈ એટલે રાજુલ એની વિચારોમાં ડૂબકી લગાવી,

'માતા પિતા મારી ચિંતા કરે છે અને મને કોણ જાણે પણ મારી જરાપણ ચિંતા નથી થતી. એમાં શા માટે મનુષ્યે જીવનમાં પોતાની ચિંતા કરવી જોઈએ, એ જ ખબર નથી પડતી મને. 'કર્મના બંધનો સાથે જન્મ ધારણ કરતો માનવી એ પોતાના નવા કર્મો માટે જાગૃત રહે એ જ જોવાનું' એવું તો ગુરૂજી એ શીખવાડયું છે. બાકી ભૂતકાળ અને ભવિષ્યની ખોટી ચિંતામાં એ વ્યર્થ શા માટે પડતો હશે? સમયનો એવો વ્યય કરવાને બદલે એ એટલી આત્મશુધ્ધિ કરે તો!"

આવા વિચારોમાં આગળ ડૂબકી લગાવે તે પહેલા કોણ જાણે દૂરથી બૂમ ના પાડી હોય એવું લાગ્યું તો તેણે પાછળ વળીને જોયું, ત્યાં માધવી ઊભી હતી.

"કુંવરી બા.... કુંવરી બા...."

"બોલ માધવી...."

"આ દૂધ આપવા આવી હતી... પણ તમે તો ખોવાઈ જ ગયા હતા."

"એવું કંઈ નથી માધવી... મૂક"

"પી લેજો... હું રાણી બા ની પૂજા માટે ફૂલો લેવા જાઉં છું."

"સારું... જા..."

રાજુલ બોલી, માધવી જતી રહી અને રાજુલ પાછી ફરી એ વિચાર યાત્રામાં....