Rajvi - 10 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 10

(૧૦)

(કૃષ્ણ મહારાજ જયારે નેમકુમારને શંખમાં સ્વર પૂરવા બદલે સજા આપે છે તો નેમ તેમને શસ્ત્રોની જગ્યાએ પ્રેમથી રાજય સ્થાપવાનું કહે છે. હવે આગળ...)

રુક્મિણી તરંગી વિચારો ધરાવતા નેમકુમાર માટે કન્યા કેવી મળશે? એ વિચારો કરતાં કરતાં તેને ઉગ્રસેન રાજાને ત્યાં અતિ લાવણ્યમય પુત્રી છે, એવું સાંભળ્યું તો છે. એની તપાસ કરી હોય તો....

એ જ સમયે શિવાદેવીએ પૂછ્યું કે,

"કયાં ખોવાઈ ગઈ રુક્મિણી?"

"હા...ના... કાકી, આ તો મને એક જણ યાદ આવે છે."

"કોણ..."

"મથુરાના ઉગ્રસેન રાજા અને ધારિણીદેવી."

અરે હા, ઠીક યાદ આવ્યું. બહેન એ દંપતી ઘણા સુંદર છે અને એમ કહેવાય છે કે તેમના ઘરે દેવબાળા ઊતરી હોય એવી કન્યા છે." સત્યભામા બોલી.

"હું પણ એ જ વિચારી રહી હતી."

"અને તેનું રૂપ પણ અસાધારણ છે, એમ એકવાર મારી જાણમાં આવેલું. આજે જ એમને કહીને તપાસ કરાવીએ."

"જુઓ, મારું કામ થઈ ગયું. તમને બંનેને હું તો બોલાવીને નિશ્ચિત જ થઈ ગયું. હવે તમારા માથે જ આ બધો ભાર, કન્યાની તપાસ કરવાનો અને નેમને તૈયાર પણ કરવાનો." શિવાદેવી પ્રસન્નચિત્તે કહ્યું.

"એ તો કન્યા જોશે એટલે તૈયાર થઈ જશે."

'કેવી રીતે કન્યાને દેખાડીશ?"

રુક્મિણીએ સત્યભામાને પૂછ્યું.

"એના માટે રસ્તો શોધી કાઢીશું. જોયા પછી નક્કી કરે એટલે કોઈના માથે જવાબદારી પણ ના રહે ને!"

સત્યભામાએ કહ્યું.

"ભારે વ્યવહારુ નીકળી, એટલે નેમ પણ રાજી અને તું જવાબદારીમાંથી પણ છૂટી થાય."

શિવાદેવી ખુશ થઈને સત્યભામાને કહ્યું.

"તારા જેવી વ્યવહારદક્ષ સ્ત્રીઓ ઘેર ઘેર હોય તો મને લાગે છે કે સંસારના ઘણા પ્રશ્નો સહેલા બની જાય."

"પણ આ સહેલા બનાવનાર પોતે ઘણીવાર કેવા મુશ્કેલ પ્રશ્નો ઊભા કરે છે એ પૂછોને."

રુક્મિણી બોલી.

"એ તો એમ જ ચાલે, દિકરી. તારે મોટું મન રાખવાનું."

શિવાદેવીએ રુક્મિણીને કહ્યું.

"એમનું મન જેમ વધારે મોટું થશે એમ મારું મન વધારે ને વધારે સાંકડું થવાનું."

સત્યભામાએ જવાબ આપીને બંનેને ચમકાવ્યાં.

"સારું, ત્યારે હવે તો મારે લડવાની તૈયારી જ કરવી પડશે."

આ સાંભળી ત્રણે હસી પડ્યા.

"કાલે જ મને તપાસ કરીને કહી જજો."

શિવાદેવીની ચરણ રજ લઈને બંને એમની વિદાય લીધી.

બીજે દિવસે જ સત્યભામાએ કૃષ્ણ મહારાજને શિવાદેવી સાથે થયેલી બધી વાત કહી તો તે પણ થોડા વિચારમાં પડી ગયા. સત્યભામાને તેમને પૂછ્યું કે,

"એ કન્યાને તે જોઈ છે?"

"વાહ, કેમ ના જોઈ હોય. એ તો મારી દૂરની બહેન પણ થાય છે. પણ જો એ પ્રમાણે કહું તો કાકીને એમ થાય કે આ સ્વાર્થ માટે કહે છે, એટલે હું તો ચૂપ જ રહેલી. આ તો રુક્મિણી બહેને વાત શરૂ કરી એટલે મેં મમરો મૂકયો. સાંભળ્યું તો છે કે ઘણી સુંદર છે."

"પણ કહેણ તો એમને જ મોકલવું પડશે ને?"

"અરે ભગવાન, તમે પણ જાણે તમારા ભાઈથી અજાણ હોય એમ વર્તો છો? તમારા ભાઈ પાછા સીધા અને કહ્યાગરા ખરાને, એમને તૈયાર કરો એટલે ઘણું મોટું કામ પતી જશે. કહેણબહેણની વાત થઈ રહેશે પછી..."

"આખું દ્રારકા નેમકુમારને પરણાવવા તલપાપડ થઈ ગયું હોય એમ લાગે છે." મહારાજ બોલ્યા કે,

"અરે, રાજમહેલના રક્ષકોમાં પણ એ વાત જ ચર્ચાવા લાગી છે અને એટલે જ મને એ પ્રશ્ન વધારે મૂંઝવે છે. કેમ કે સેવકો જયારે માલિકની અંગત વાતો ચર્ચા કરવા લાગે તો ત્યારે નક્કી સમજવું કે કયાંક માલિકના સામ્રાજ્યમાં કચાશ ઉદભવી છે."

"તમને રાજ સિવાય કોઈ સ્વપ્ન જ નથી આવતા, લાગે છે કે જાણે જીવો છો પણ રાજ માટે...."

સત્યભામા જરા ચિડાઈને બોલી.

"એ જ તો અમારો આદર્શ હોવો જોઈએ."

"હવે ના જોયા હોય તો મોટા આદર્શવાળા, ફાવે એમ જીવન માણવું અને વાતો કરવાની મોટી મોટી..."

"હવે તું સીધી વાત પર આવ.... બોલ, નેમને કેવી રીતે મનાવીશું?"

"વાહ, તમે પણ ખરા છો, તમારા રાજમહેલમાં તો જાતજાતની લીલાઓ થાય છે, પ્રસંગ અને ઉત્સવ થાય છે. આપણે અહીં સંપત્તિ અને ઐશ્વર્યની રેલમછેલ છે. એવો એક પ્રસંગ ઊભો કરીએ અને એમને એ બધામાં લપટાવીને આપણી વાત મનાવી લઈએ."

"એ બધું ગોઠવવાનું તમારે માથે, સ્ત્રીઓ આવી બાબતોમાં નિપુણ ગણાય છે. અને આવી બધી યોજના ઘડવામાં પણ તમે લોકો ભારે ચતુરાઈ દેખાડો."

"જુઓ એમ કરીએ....'

સત્યભામા કંઈક વિચારીને કહ્યું.

"આપણે બધા સરોવર પર પર્યટન જઈએ. નેમકુમાર આમ તો ફરવાના તો શોખીન છે, વળી એમને જળક્રીડા પણ ઘણી ગમે છે. અને જળક્રીડા કરતા કરતા એમને કેવી રીતે સાધવા એ તો અમારું કામ.."

"સારું, એમ કરો."

કૃષ્ણ મહારાજે સંમતિ આપી. છતાં એમના અંતરમાં તો એ માટે શંકા રહી જ કે લગ્ન માટે નેમને સમજાવવો એ સહેલું કામ નથી. પણ એ શા કારણથી તૈયાર નહોતો થતો એ પણ એમને નહોતું સમજાતું કે ના તે,

"આટઆટલા ભોગો વચ્ચે રહેનાર માનવ એવી સ્વભાવિક વૃત્તિ પણ ન થાય એ અદભૂત નથી."

સત્યભામા તરફ નજર કરતાં જ તેમને વિચાર આવ્યો. આટઆટલા સાંમતો, મહારાજાઓ વિગેરેનો પરિવાર મારી આજુબાજુ હોવા છતાં પણ હજી મને નવા નવા રાજ્યો મેળવવાના કોડ જાગે છે. એકએકથી ચડિયાતી રાણીઓ હોવા છતાં પણ સ્ત્રી તરફનું મારું આકર્ષણ હું છોડી નથી શકતો. ત્યારે નેમનું મન કેવું હશે.. અને એ પાછો નિવૃત્ત રીતે રહે તો પણ સમજાય. જયારે આ તો એકેએક પ્રસંગે, ઉત્સવમાં હાજરી આપે છે. ઠઠ્ઠા મશ્કરી પણ કરે છે, છતાં પણ પોતે અલિપ્ત રહે છે એવો દેખાવ પણ કરે છે...

ના ના, એ નહિ બને. એને તો મનુષ્ય બનાવીને જ છૂટકો. જો એ પરણે નહીં તો એ માનવોત્તર કક્ષા આવી જવાની છે?

સંસારમાં પડે એ મહાન નહીં, એવો જો મનનો વહેમે મનમાં હોય તો મારે એને એમાંથી મુક્ત કરવો જ પડશે. પણ......