International Mother Language Day books and stories free download online pdf in Gujarati

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

લેખ:- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઈ. સ.૧૯૯૯નાં નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે.


એમએચઆરડી ૨૧ ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરશે. યુનેસ્કોએ વિવિધ દેશોમાં ૭૦૦૦થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે, જેનો ઉપયોગ વાંચવા, લખવા અને બોલવા માટે થતો હોવાનું જણાવ્યું છે.



ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી, પણ વિરોધ અટક્યો નહીં, પણ વધુ ઉગ્ર બન્યો, જેથી છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.



આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, ૧૯૯૯ની જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવાવા લાગ્યો.



દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે.



ભારત અને ઈઝરાયલ લગભગ એકસરખા સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો ૪૦૦૦ વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો, જ્યારે ભારત ૧૦૦૦ વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા.



જવાહરલાલ નહેરુએ પ્રમુખને કહ્યું, "ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?" પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, "ઈઝરાયલને ભારતની કોઈ મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે." પ્રમુખને પૂછવામાં આવ્યું, "આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?" "ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?" પ્રમુખે ઉચ્ચાર્યું. "પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?"



તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલમાં પોતાની ભાષામાં પુસ્તકો ન હોવાથી આઝાદીના સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું.




માતૃભાષામાં શિક્ષણ :-

માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઉગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને તમામ રીતે અનુકૂળ વાતાવરણ મળી ગયું હોય.


માતૃભાષા નો અર્થ શુ?

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.




તમને જાણીને આનંદ થશે કે ગુજરાતી જ એક એવી ભાષા છે જે 'બીજાના' માટે બોલાય છે, અંગ્રેજી ભાષાને સ્વાર્થી ભાષા ગણવામાં આવે છે. દુનિયામાં ગુજરાતી જેવી બીજી કોઈ અન્ય ભાષા નથી જે નિઃસ્વાર્થ હોય. ગુજરાતીઓ કોઈને સીધા નામથી બોલાવવાના બદલે ભાઈ કે બહેન શબ્દ લગાવીને બોલે છે.




આપણી માતૃભાષા ગુજરાતી નું મહત્ત્વ શા માટે?


બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. 'ભાષા જાય તો સંસ્કૃતિ જાય' એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં કોણ મૂકે છે? તેમના વાલીઓ. શા માટે? 'અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું છે' એવી સમજણ હોવાથી. શાળા અને ટ્યુશન ક્લાસીસ સિવાયના સમયમાં પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાં-વ્હાલાઓ સાથે માતૃભાષામાં વ્યવહાર કરતો બાળક ગુજરાતી ભૂલી જાય એવું બને છે કારણ કે શાળા સિવાય બાળકને ગુજરાતીમાં બોલવા તેમજ સાંભળવા તો મળે છે પરંતુ લખવા કે વાંચવાની તાલીમ મળતી નથી. હાલમાં એક ચીલો ચાલી રહ્યો છે, અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર, સ્માર્ટ. પણ એ મૂર્ખ લોકોનું અજ્ઞાન છે.



વર્ષ ૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસને ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી લઈને આજ દીન સુધી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે. ભાષાની જાળવણી આવનારી પેઢીઓ માટે એક મહત્વનું સકારાત્મક પગલું છે. આજે સાચવેલી ભાષા આપણી આવનાર પેઢીને એક અનોખી ભેટ હશે, કારણ કે આજે અંગ્રેજી શીખવામાંને શીખવામાં લોકો ગુજરાતીથી દુર થતા જાય છે, અને ગુજરાતીમાં વાત કરવી તો ઘણા લોકો માટે જાણે શરમ જનક હોય તેમ જોવા મળે છે,અનેક મોટી કંપનીઓ કે ક્ષેત્રમાં કાર્ય કરતા ગુજરાતી લોકો જ્યારે ગુજરાતી-ગુજરાતી હોવા છત્તા પણ અંગ્રેજીમાં બોલે છે ત્યારે તેમના બાળકો પણ માતૃભાષાથી વંચિત રહી જતા હોય છે.



આપણે આપણા કાર્યમાં આપણા ફિલ્ડમાં આગળ વધવા માટે અંગ્રેજી આવડવુ જોઈએ એ વાત બરાબર છે,પરંતુ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકોને સાથે સાથે ગુજરાતી પણ શીખવાડવું જ જોઈએ જેથી કરીને આપણું બાળક આપણી માતૃભાષાના ભાવ સાથે જોડાયેલું રહે અને આપણો ગુજરાતી વારસો પણ જળવાઈ રહે.



આજ કાલ દરેક માતા-પિતા ઈચ્છે છે કે પોતાનું બાળક કડકડાટ અંગ્રેજી બોલે અને આગળ નામના મેળવે ત્યારે આવી ઘેલછામાં કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને જાણ્યે અજાણ્યે ગુજરાતી ભાષાથી દુર રાખતા થયા છે,અંગ્રેજી આવડવું જ જોઈએ એ સારી વાત છે પરંતુ અંગ્રેજી આવડવાની હોડમાં આપણી માતૃભાષા વિસરાય નહી તેનું ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈશે.બાળકની પ્રથમ શાળા માતા-પિતા હોય છે જેથી કરીને આ વાતનું ધ્યાન આપણા શીરે એક મોટી જવાબદારી બને છે.



આપણી માતૃભાષા ખુબ જ સરસ અને સુંદર છે,અને તેનું જતન કરવું આપણા દરેકની જવાબદારી છે,છેવટે આપણા વિચારો હોય કે આપણે જોયેલા સપનાઓ હોય, જે ક્યારેય અંગ્રેજીમાં નથી આવતા હોતા તે તો આપણી માતૃભાષામાં જ આવતા હોય છે,ગમે તેટલું અંગ્રેજી શિખી લઈએ પરંતુ જ્યારે કુતરુ પાછળ પડે ત્યારે પહેલો શબ્દ આપણા મોઢામાંથી માતૃભાષામાં જ આવતો હોય છે.હુડ હુડ હુડ……ત્યારે ખ્યાલ આવે છે કે, ગુજરાતી જે આપણી માતૃભાષા છે તે આપણા રગેરગમાં સમાયેલી છે,ત્યારે શા માટે ખોટો દંભ,દેખાવ કરવા માટે ગુજરાતી માતા સમાન ભાષાને નાની બનાવવી જોઈએ,માતૃભાષાને પણ એટલી જ ગર્વથી બોલવી જોઈએ જેટલી આજે દેશમાં અંગ્રજી ભાષા ગર્વથી બોલાય છે.




ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે.માતૃભાષામાં વ્યક્તિ વિચારો અને પોતાની જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકે છે.આપણે એક બીજાના સંપર્કમાં બધા જોડાયા છે તો તે માતૃ ભાષાને કારણે જ ..કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.



ગુજરાતી હોવા છત્તાં ગુજરાતી બોલવાનો સંકોચ શાને ?

એક વાત આપણે આજે સહજ અને સરળ રીતે સ્વીકારવી જોઈએ કે,ભરી સભામાં આજે જ્યા મોટા-મોટા અધિકારીઓ કે લોકો બેઠા હોઈ છે ત્યારે આપણે અંગ્રેજી ન આવડતું હોવા છત્તાં અગ્રેજી બોલવાનો પ્રયત્ન કરી લેતા હોઈ છે કારણ કે આપણે શરમ અનુભવીએ છે ગુજરાતી બોલવામાં,પરંતુ તમે મનમાં ગાઠ વાળી લો હવે, જો તમે ગુજરાતમાં જ રહો છો અને તમે કોઈ સભા કે મિટિંગમાં જાવો છો તો ત્યા દરેક લોકોને ગુજરાતી તો આવડતી જ હોય છે તો ગર્વ સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો જ જોઈએ. તમારી અંદર છુપાયેલા ડરને બહાર લાવવો જોઈએ. એવી જગ્યાઓ કે જ્યાં અન્ય ભાષા કે અંગ્રેજીની અનિવાર્યતા છે તો તે ભાષા આપણે શીખવી જ જોઈએ એમા કંઈજ ખોટૂ નથી, પરંતુ કહેવાનો હેતુ એ જ છે કે ગુજરાતી હોવાની સાથે ગુજરાતી બોલતા ગર્વ અનુભવો શરમ નહી.




આ સાથે જ વિશ્વભરના અનેક દેશોમાં ગુજરાતી પરિવારના લોકો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં ગુજરાતી કવિએ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!




વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના ૨૨માં સંસ્કરણ ઈથોનોલોજ મુજબ વિશ્વભરની ૨૦ સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં ૬૧.૫ કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે.


વિશ્વભરમાં ૨૬.૫ કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. ૧૭ કરોડ લોકોની સાથે ૧૧મા ક્રમો ઉર્દૂનું સ્થાન છે. ૯.૫ કરોડ લોકોની સાથે ૧૫મા સ્થાને મરાઠી છે. ૯.૩ કરોડની સાથે ૧૬મા ક્રમે તેલુગુ અને ૮.૧ કરોડ લોકોની સાથે ૧૯મા ક્રમે તમિળ ભાષા આવે છે.



આજે વિશ્વ માતૃભાષા દિને સૌને એક જ વિનંતી કે ભલે બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકો, પણ એને માતૃભાષાનું અક્ષરજ્ઞાન તો આપજો જ! યાદ રાખજો કે જેણે ભાષા ખોઈ તેણે સંસ્કૃતિ ખોઈ, અને જેણે સંસ્કૃતિ ખોઈ તેણે દેશ ખોયો.


આજનાં દિને માતૃભાષાને વંદન🙏

સૌજન્ય: ઈન્ટરનેટ

સ્નેહલ જાની