Rajvi - 24 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 24

(૨૪)

(ઉગ્રસેન રાજા કૃષ્ણ મહારાજને સંદેશનો જવાબ આપે છે. નેમકુમારનું મનોમંથન ચાલી રહ્યું છે. હવે આગળ...)

જયારે નેમકુમારે શિવાદેવી માતાને એમની ઈચ્છા બદલ કહ્યું તો,

"માતાજી, રહનેમિ તમારી ઈચ્છા પૂરી કરશે."

"રહનેમિ...."

એ તો ઉશ્કેરાઈ ગયાં.

"હજી તો હમણાં જ એ અહીં આવ્યો છે. મોસાળમાં જ એ મોટો થયો છે. યાદવકુળની પ્રતિષ્ઠાનું એને ભાન નથી. અને ગમે તેમ તો પણ એ તો નાનો ભાઈ, એને માથે એવી કોઈ જવાબદારી હોય જ નહીં. નેમ, આ તો તારે વિચારવાનો સવાલ છે, અને..."

એ રડી પડ્યા અને મને એમના આસું લૂછવાનો પણ અધિકાર નહોતો. જાણે ચારે દીવાલો મને કહી રહી હતી કે આટલો બધો નાલાયક પુત્ર તું ઠર્યો. માતાને આસું પડાવે છે?

હું પગ પછાડતો રહ્યો પણ કરું શું, એ સમજાઈ નહોતું રહ્યું. આખરે મૂઠી વાળીને મેં મારો રોષ સમાવ્યો.

"મા...."

હું બોલ્યો તો મારા એ વહાલસોયા ઉચ્ચારણે એમનામાં આશા પ્રગટી અને તરત જ તેમને મને આલિંગન આપી દીધું. માથે હાથ ફેરવીને કહ્યું,

"દીકરા, મારા... હાશ, હવે મને થોડી શાંતિ થઈ કે આખરે.તું મને. નિરાશ નહીં કરે એટલો મને તારામાં વિશ્વાસ છે."

આ સાંભળીને મને થયું કે જો જરા પણ ઢીલો થયો તો બાજી હાથથી જતી રહેશે, એટલે જ મેં અતિશય મક્કમતા થી બોલી નાંખ્યું,

"તમને નિરાશ કરવાની મારી ઈચ્છા નથી, પણ એની સાથે સાથે તમે બધાં પણ મને સમજશો એટલો મને તમારા સૌમાં વિશ્વાસ છે. અને મા, તમે તો જનેતા છો તમારા પુત્રનું મન પણ નહીં પારખો?"

મા થોડા શાંત થયા અને મારામાં પણ થોડી સ્વસ્થતા આવી.

"બોલ, નેમ..."

"બસ, મારે તમને એક જ વાત કહેવાની છે કે ગમે તેમ પણ મારું ચિત્ત સંસારમાંથી ઊઠી ગયું છે. હવે હું એના બંધને બંધાવા નથી માંગતો."

"એટલે... અમારે અપુત્ર જેવા થવાનું?"

મા પણ ઉશ્કેરાઈને બોલી પડી.

"રોષે ના કરો, મા. જીવતો છું પછી અપુત્ર શાની? અને આ તો ઠીક છે, પણ કુદરત જો મને ઉઠાવી લે તો તમે શું કરો?"

મેં માને શાંત કરતાં કહ્યું.

"નેમ... હવે વધારે બોલીને મને મરેલીને વધારે ન માર."

"માતા... મને આ સંસારમાં જકડીને આત્મઘાતના માર્ગે ન દોરો."

હું પણ એમના પગે પડતા કહ્યું તો મારા શબ્દોમાં રહેલી કરુણતા એમના હ્રદયને સ્પર્શી ગઈ.

"બેટા, તારા પિતાજી ઝૂરે છે, અને સૌથી વધારે તો મને એ લાગે છે કે રાજુલ પણ તારી પાછળ ઝૂરે છે. પારકાની દિકરીનો ભવ બગાડવાનો આપણને શો હક હતો? જવાબ આપ, શા માટે તેં સામાની કન્યાની જિંદગી બગાડી?"

"મેં જિંદગી બગાડી.....?"

"હા... તેં જ, એ દોષમાં થી તું કોઈ કાળે નથી છટકી શકવાનો. એ આજે ચોધાર આંસુએ રડે છે. એના મા બાપ પણ આજે રડે છે. બીજું શું કરે બિચારા? પીઠી ચોળેલ કન્યા. અને મેં સાંભળ્યું છે એ પ્રમાણે તો રાજુલ પણ હવે પરણવાની ના પાડે છે. બોલ... તું આને શું કહીશ? કેટલાના દિલ તેં કચડયાં? એટલે જ મને થોડી વાર પહેલાં સત્યભામા સંભળાવી ગઈ કે,

"કાકીમા, નેમકુમારને તો આપણા કરતાં પ્રાણીઓ વધારે વહાલા લાગ્યા."

"મા, તમે એ બધાનું સાંભળો જ છો, શા માટે?"

મારાથી થોડા ગુસ્સામાં આવીને બોલાઈ ગયું.

"કારણ... તારી મા છું એટલા માટે. અને આજ તો તારો ધર્મ અને તારી દયા અને તારી અહિંસાની વાતો છે?"

"તો મારે શું કરવું?"

અને ખરેખર હું અકળામણમાં.લગભગ બેહોશ જેવો જ બની ગયો અને મેં પલંગ પર પડતું નાંખ્યું. આંખો ત્યારે ઉઘડી જયારે મને એવું લાગ્યું કે કોઈ મારા માથા પર હાથ ફેરવે છે. ઝડપથી ઊભા થઈને જોયું તો મારા માથા પર પિતાજી હાથ ફેરવી રહ્યા હતા.

"નેમ..."

તેમનો અવાજ સાંભળીને હું પૂરેપૂરો જાગી ગયો.

"તમે સૌ મને ક્ષમા આપો, પિતાજી."

મેં આટલું કહીને મ્હોં ફેરવી લીધું.

"પણ તું આટલો બધો દુઃખી થાય છે, એ જ બતાવે છે કે તારા પોતાના મનમાં પણ કોઈ ચોક્કસ નિર્ણય નથી."

હું તો એકદમ જ વિચારમાં પડયો જાણે પિતાજી એ કહેલું વાકય જાણે મને કોઈએ તમાચો માર્યો હોય એવું જ લાગ્યું. જો માતા પિતા તરફનો પ્રેમ મને આટલો વિચલિત કરતો હોય અને એ વિચલિતપણામાં મારી અનિશ્ચિતતાના ભણકારા સંભળાતા હોય તો પછી મારે શા માટે કઠણ બની મારા માર્ગે આગળ ન વધું? મારા આત્માને દબાવી અને એના અવાજને દબાવી હું મારું તો શું, પણ કોઈનું કલ્યાણ નહીં સાધી શકું એમ મને લાગ્યું.

એ અચેતનવસ્થામાં થી જાગતો હોઉં એમ હું એકાએક જાગી ગયો હોય તેમ પલંગમાં થી ઊભો થઈ ગયો.

"મારો નિર્ણય તો ચોક્કસ છે. એમાં હવે કોઈ ફેરફારને અવકાશ નથી."

તેમને વિસ્મિત જોઈ આગળ બોલી નાંખ્યું કે,

"અને મારી તમને સૌને પ્રાર્થના છે કે હવે આ બાબતમાં વધારે મને ન ઘસડો. મારા અંતરને વધારે ન પીડો."

"અમારે સૌને પીડાવાનું?"

પિતિજીએ કહ્યું.

"ના, સૌને આનંદ માણવાનો. પિતાજી, અવિનય લાગે તો માફ કરજો. પણ મને કહો કે સૌના પુત્ર પરણે છે અને હું પરણું તો સૌના જેવો જ ગણાઉં. એવી સામાન્ય સ્તરથી આગળ હું વધુ તો તે મારી પ્રગતિ કે અવગતિ? અને જો તે પ્રગતિ હોય તો તમારે આનંદ મનાવવાનો કે શોક?"

પિતાજી કંઈ ના બોલ્યા પણ તેમની આંખો ભીની થઈ ગઈ.

"તમે રડો છો?"

મારાથી પૂછાઈ ગયું.

"ના... પણ આ તો ખુશીના આસું છે. દીકરા તારા જેવો પુત્ર મેળવી સદભાગી થઈ ગયો. અને દેવી, હું ઈચ્છું છું કે તમે હવે એને વધારે આ બાબતમાં કંઈ જ ન કહો."

બસ, તે આટલું બોલીને ચાલ્યા ગયા અને મા મારા માથા પર હાથ ફેરવીને ચાલી ગઈ.

પણ... મારા મંથનનો અંત ત્યાં ન આવી શકયો.

હજી માતા પિતા પછી ભાઈ ભાભીને .....

થાકયો આ જીવનના નાટકથી...