Rajvi - 46 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 46

(૪૬)

(રાજુલ દીક્ષા દેવા માટે ભગિ નેમનાથને વિનંતી કરે છે. હવે આગળ...)

મથુરાનગરીમાં આજે હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. આજે બધા એક સુંદર ઘટનાની સાક્ષી બનવા સૌ કોઈ ઉતાવળા બની રહ્યા હતા. રંગોળી અને તોરણો દરેક ઘરે ઘરે દેખાઈ રહ્યા હતા. જાણે એવું લાગી રહ્યું હતું કે પ્રજાની જોડે એ પણ રાજુલ જેવી અદ્ભુત નારીના દર્શન કરવા બહાર આવી ગયા છે. રાજુલ જયારે મથુરાનગરીના પથ પરથી પસાર થઈ ત્યારે તેના મનમાં આ બધાં જ કરતાં ભગવાન નેમનાથ અને તેમની વાતોનું જ ધ્યાન ધરી રહી હતી. તેની આંખો સમક્ષ ભગવાનની મુખાકૃતિ તરવરી રહી હતી અને એના મનમાં

'રજોહરણ મારું મંગળસૂત્ર હોજો,

મારી મુહપત્તિ હાથનું મીંઢળ,

તારા પ્રીતનું પાનેતર સજીને આવું છું,

વીરતિવિવાહ માટે સંસાર ત્યજીને આવું છું.'

ગિરનારની એ કંદરાઓ આજે જાણે કંઈક અલગ જ રૂપ ધારણ કરી રહી હતી. એની વનરાજી સુંદર સુંગધ વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી. ગિરનાર પરના હિંસક પ્રાણીઓ શાંત અને અહિંસક બની ગયા. જયારે બીજા નિર્દોષ પ્રાણીઓ પોતાના અવાજ કાઢવા તૈયાર નહોતા. ફકતને ફક્ત મોરના ટહુકા અને કોયલના ટહુકા વાતાવરણને સંગીતમય કરી રહ્યા હતા. વૃક્ષના ફૂલો બધા જાતે જ ખરી પડયા. આજે ખુલ્લા પગે આવતી રાજુલને એક પણ કાંટા ના વાગે તેની કુદરત પણ જાણે ધ્યાન રાખી રહ્યા હતા.

આજે તો નગરીના લોકો સાથે સાથે ગરવા ગિરનારની કંદરાઓ કે વનરાજી સૌ કોઈ આજે એક અદ્ભુત મિલનની સાક્ષી બનવા જઈ રહ્યા હતા. રાજુલ આજે નેમને કરેલી પ્રીત નિભાવવાની હતી. જયારે નેમ તેને આત્મકલ્યાણ તરફ લઈ જશે. નેમને પગલે પગલે ચાલવા થનગનતી રાજુલ તેમની જેવા જ વસ્ત્ર અને તેમના જેવો જ સાધન ધારણ કરવા જઈ રહી છે. રાજુલ આજે નેમનાથ સંયમ લઈને આત્મકલ્યાણ સાધવાની સાધનામાં આગળ વધશે. અને આજે માતા પિતાનો સંગ છોડી પોતાના સંસાર ત્યાગનો કરીને, દીક્ષિત બનીને જીવન સાધવા માટેનો માર્ગ ખુલ્લો કરી આપ્યો.

આમને આમ સમય પસાર થવા લાગ્યો. રાજુલની આત્મકલ્યાણ સાધવાની સાધના સુંદર સાધના ચાલી રહી હતી.

એવામાં વર્ષાઋતુનું આગમન થયું. ગરવો ગિરનાર લીલોછમ બની ગયો. એક વખતે ભગવાન નેમનાથના દર્શન કરવા રાજુલ સાધ્વી ત્યાં જાય છે.

"ભગવંત..."

"સાધ્વી રાજુલ, તમારી સાધના બરાબર ચાલી રહી છે?"

"હા, ભગવંત..."

"બસ, આમને આમ જ આત્મકલ્યાણ સાધવાની સાધના વધારે ને વધારે કઠિન કરતાં રહો..."

"જી ભગવંત..."

"મોક્ષના દ્રાર ખૂબ જલ્દી તમારા માટે ખુલશે."

"બસ, ભગવંત આપની કૃપા...."

"કૃપા મારી નહીં, પણ તમારા કર્મોની છે. ખૂબ જલ્દી તમારા કર્મો ખપી જશે."

"જી...."

"પણ એ પહેલાં આપની પરીક્ષા થશે. આપની સાથે સાથે આપને એક લોભાઈ ગયેલા માનવને તમારા પંથે વાળવાનો પણ છે અને તેને મોક્ષમાર્ગ તરફ મોકલવાનો પણ છે."

"બસ, આપની કૃપાથી પરીક્ષામાં સાંગોપાંગ પાર ઉતરીશ."

ભગવાન નેમનાથનો ઉપદેશ સાંભળીને સાધ્વીગણ સાથે રાજુલ પણ ગિરનાર ઉતરવા લાગી. એકદમ જ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. સાધ્વી ગણ ભીંજાઈ જતાં રાજુલ સાધ્વીએ કહ્યું કે,

"દરેક જણ ગુફામાં આશરો લઈ લો. વરસાદ રોકાઈ જશે પછી આપણે ગિરનાર ઉતરીએ. માટે તમને યોગ્ય લાગે ત્યાં આશરો લો. અને સૌ કોઈ સાવધાન રહેજો."

"જી, આર્યા..."

કહીને દરેક સાધ્વી પોતાને યોગ્ય લાગે ત્યાં આશરો લીધો. વરસાદ બંધ થાય તેની રાહ જોવા લાગ્યા.

રાજુલ સાધ્વી પણ એક અંધારી ગુફામાં આશરો લીધો. ગુફામાં કોઈ નથી તે બરાબર જોયું પછી પોતાના વસ્ત્રોવ ભીંજાયેલા હોવાથી તેમને શરીર પરથી વસ્ત્ર દૂર કરીને એક શિલા પર સૂકવવા મૂકયા.

રાજુલ સાધ્વી એકદમ જ નચિંત બનીને વર્ષાને બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા અને મનમાં ને મનમાં ભગવાન નેમનાથના ઉપદેશને મમળાવી રહ્યા હતા. મારી જલ્દી પરીક્ષા થશે ભગવાનના એ શબ્દો યાદ આવતાં કેવી હશે એ પરીક્ષા? એ વિચાર તેના મનને ઘેરી લે એ પહેલાં મનથી ઝાટકી નાંખ્યો. બીજા વિચાર કરવા કરતાં આત્મકલ્યાણ ની સાધના જરૂરી છે એમ વિચારી તે ધ્યાન ધરી રહી.

ભાગ્યયોગે ગુફાના બીજા દ્રારથી રહનેમિ સાધુ પણ વર્ષાથી બચવા માટે ગુફામાં પ્રવેશ કર્યો.

રહનેમિ પણ ભગવાન નેમનાથને વંદન કરવા આવ્યા હતા. ભગવાન નેમનાથને વંદન કરી અને ઉપદેશ સાંભળીને પાછા જઈ રહ્યા હતા રાજુલ સાધ્વીની જેમ તેમને વર્ષા નડી. અને તેમને તેનાથી બચવા એ જ ગુફામાં આશરો લીધો.

પોતાના ભીના વસ્ત્રો સૂકવીને તેમને લાગ્યું કે આ ગુફામાં બીજું કોઈ છે અને એ ભાસ થતાં જ કોણ છે એ જોવા જતાં, એક સ્ત્રી છે એમ લાગ્યું. બરાબર તેને નીરખી તો આકાર પરથી લાગ્યું કે રાજુલ છે. રાજુલ જોવા મળતાં જ તેમનું મન લોભાઈ તો ગયું કે એકવાર રાજુલ જોઈ લઉં.

રાજુલને વસ્ત્રહીન જોઈને સાધુ રહનેમિનું મન ચળી ગયું. રાજુલનું સૌંદર્ય, તેના અંગોપાંગ જોઈ તે પૂરેપૂરો મોહાંધ બની ગયો.

"રાજુલ..."

ધ્યાનસ્થ અવસ્થામાં પ્રથમ તો રાજુલે સાંભળ્યું નહીં. ફરીથી રહનેમિ સાધુએ બોલાવી,

"રાજુલ... રાજુલકુમારી...."

રાજુલના કાને રાજુલકુમારી શબ્દ પડતાં જ ધ્યાનભંગ થઈ. અને અવાજ તરફ જોયું તો કોઈ પુરુષ તેને બોલાવી રહ્યો હતો. રાજુલ સાધ્વી ફટાક કરતાં ઊભા થઈ ગયા અને ઝડપથી શિલા પર મૂકેલા કપડાં ધારણ કર્યા.

"કોણ?..."

"હું.... રહનેમિ..."

આટલું બોલતાં બોલતાં તે નજીક આવ્યો જેથી રાજુલ તેને ઓળખી શકે.

"આપ..."

"હા, રાજુલકુમારી..."

"તમે અહીં કયાંથી? મેં જોયું તો ગુફામાં કોઈ નહોતું."

રાજુલ સંકોચાતી બોલી.

"બહાર વરસાદ પડી રહ્યો હતો અને હું અહીં આવ્યો."

"હું બીજે જાવ. આપ અહીં જ રહો. મારી સાથેની સાધ્વી આજુબાજુની કોઈ ગુફામાં જ હશે."

"રાજુલકુમારી...."

"રાજુલ સાધ્વી..."

રહનેમિના સંબોધન સુધારતા રાજુલે કહ્યું.

"રાજુલ સાધ્વી નહીં પણ તમે તો મારા માટે રાજુલકુમારી જ છો. તમે ના જાવ અને મારું એક નિવેદન સાંભળો."

રાજુલ કંઈ બોલી નહીં, એ જોઈ રહનેમિએ કહ્યું.

"તમને જોયા પછી એવું લાગી રહ્યું છે કે આપણે સંસાર ત્યાગવાની ઉતાવળ કરી છે. પહેલાં આપણે સંસાર માણી લઈએ."

"શું બોલ્યા?"

રાજુલને પોતાના સાંભળવા પર વિશ્વાસ ના બેસતો હોય તેમ પૂછ્યું.

"આપણે પહેલાં સંસાર માણીએ પછી સંસારત્યાગ કરીશું."