Lakha Fulaninu Itihas - 1 books and stories free download online pdf in Gujarati

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 1

એક હજાર વર્ષ પૂર્વે. એક દિવસ સાંજે પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાઓએ આવીને પોતાના ખંભા ઉપરથીગંગાજળની કાવળ ઉતારી, વિસામો ખાવા બેઠા હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભૂજ દંડ હતા. લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી. વેંત વેંતના કંપાળ હતાં એક ની આંખમાંથી તેજના ભાલા છૂટતા હતાં બીજાની આંખો અંધ હતી. અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુંવાળી લટો ચમકતી હતી. બંને બેઠા સ્નાન કરવા લાગ્યા.
નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતો 'ત્રો ! ત્રો! બાપ્પો બાપ્પો'! એવા નોખાનોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને પાણી પીવા લલચાવતો હતો.
"ઘોડીએ બે પહાડ જેવાં બાવાના ભગવા લૂગડાં જોયા. ચમકવા લાગી. કેમેય માની નહિ. ઘોડેસવાર પીઠ થાબડી, ગરદન થાબડી: છંતાય ઘોડી ટાઢી ના પડી. એટલે એણે ફડાક ! ફડાક ! ફડાક! એમ ત્રણ કુમચીના ઘા ઘોડીના અંગ પર ચોડી દિધા.
અરર! અંધ બાવાના મોં માંથી અરેરાટી નીકળી ગઈ. 'ગજબ કર્યો આ ઘોડેસવારે ' !તો આ ઘોડી જો મારી હોત,તો હું ઘોડેસવાર ને જાનથી મારત.
કેમ મોટા ભાઈ ? નાના એ પૂછયું"આ સભર ઘોડીના પેટમાં કવો રૂડો પંચકલ્યાણી વછેરો છે, "આ નાલાયકે ચાબુક મારીને એ વછેરાની ડાબી આંખ ફોડી નાખી, બહુ કરી !
બાવાઓની વાત સાંભળીને ઘોડીનો ખાસદાર થંભી ગયો. ઘોડીને દોરી એ નગરમાં ગયો.જઈને એણે રાજાજીને સરોવર કાંઠે બેઠેલા એ ચમત્કારી અંધ બાવાની વાત કરી.
વનરાજ ચાવડાના વંશનો છેલ્લો દીવો તે વખતે અણહિલપુર પાટણ ના સિંહાસન ઉપર ઝાખો બળતો હતો. એનું નામ સામંતસિંહજી ચાવડો. સરોવરની પાળે થી એમણે બાવાઓને દરબારમાં બોલાવ્યા. પૂછવામાં આવ્યું કે શી હકીકત બની.
"રાજા તમારા ખાસદારે સબર ઘોડીના પેટ પર ચાબુક મારીને માંહી બેઠેલા પંચકલ્યાણી વછેરાની રતન સરખી ડાબી આંખ ફોડી નાખી હવે આખો ભવ એ વછેરો બાડો રહેશે. "

"શી રીતે જાણયું? "

"વિદ્યાર્થી "

"ખોટું પડે તો ? "

" મારી વિદ્યાની આબરૂને સાટે મારું માથું હું હંમેશાં હોડમાં મૂકું છું મારી વિદ્યા ખોટી પડે તો જીવનભરમા શું રહયું.

"માથું વાઢી લઈશ હો "
રજપૂત અને સાધુ માથા હાથમાં લઈ ને જ ફરે.અને સ્વહસ્તે પણ વધેરી આપે છે.

"આંહીં તમારે રહેવું પડશે, આઠ દિવસમાં ઘોડી ઠાણ દેવાની છે"
કબૂલ છે. પણ સાચું પડે તો ? તો અરધું રાજપાટ અને મારી બેન આપું.
આઠમે દિવસે ઘોડીએ ઠાણ દિધું. આખી કચેરી જોવા મળી. અઠારે આલમ ટાપીને બેઠી હતી. ત્યાં તો ગામમાં રણકાર ઉઠયો કે જોગી સાચા પડયાં ! સાચા પડયાં !
રાજાએ પૂછયું જાદુગર છો ! ત્રિકાળજ્ઞાની છો !
ના બાપ ! અંધ બાવો કહે ! " જાદુગરે નથીને ત્રિકાળજ્ઞાની પણ નથી " શાળહોત્ર ગ્રંથ ભણયો છું. આંખો નથી એટલે અવાજ ઉકેલ છું ભડાકો બોલ્યો હતો તેથી ઘોડીના પેટની વાત વાંચી.
રાણીવાસ માંથી કચેરીમાં કહેણ આવ્યા કે સોનાબાએ એવા આંધળા ને બૂઢા જોગી સાથે પરણવાની ના પાડી છે. તે વખતે જોગી પ્રગટ થયા. ટૂકટોડા રાજના ધણી બે સોલંકી ભાઈઓ. નામે બીજ અને રાજ. ગોત્રહત્યા લાગેલી તેનું પ્રાયશ્ચિત લેવા ગંગાજળની કાવડ ઉપાડી દ્વારકા રણછોડરાયજી ને નવરાવા જતા હતાં. સોલંકી જેવું ઉચકૂળ મળવાથી સોનાબાએ કબૂલ કર્યું. પણ મોટા ભાઈ બોલ્યા. હું તો અંધ છું મારે માથે તો પળિયાં આવ્યા છે..હું નથી પરણયો અને મારે પરણવું પણ નથી. મરજી હોય તો મારા નાનેરા ભાઈ ને તમારો જમાઈ કરો.
રાજની સાથે સોનાનો હથેવાળો થયો. સોનાબાએ ઓધન રહયું.નવ મહિને દિકરો આવ્યો.