Graam Swaraj - 11 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 11

૧૧

સ્વાવલંબન અને સહકાર

સત્ય અને અહિંસા મારી વિચાર મુજબની વ્યવસ્થાના પાયારૂપ છે. આપણી પહેલી ફરજ એ છે કે આપણે સમાજને ભારરૂપ ન થવું જોઇએ. એટલે કે આપણે સ્વાવલંબી બનવું જોઇએ. આ દૃષ્ટીએ સ્વાવલંબન એ જ એક પ્રકારની સેવા છે. સ્વાવલંબી બન્યા પછી આપણે આપણો ફૂરસદનો સમય બીજાની સેવામાં ગાળી શકીએ. જો બધા જ સ્વાવલંબની બને તો કોઇને મુશ્કેલી નહીં રહે. એ સ્થિતિમાં કોઇની પણ સેવા કરવાની જરૂર નહીં રહે. એ સ્થિતિએ પહોંચ્યા નથી અને તેથી આપણે સમાજસેવાનો વિચાર કરવાનો રહે છે. આપણે સંપૂર્ણ સ્વાવલંબી થઇ શકીએ તોપણ મનુષ્ય સામાજિક પ્રાણી છે તેથી, કોઇ ને કોઇ રૂપમાં આપણે સેવા સ્વીકારવી જ પડશે. એટલે કે માણસ જેટલો સ્વાવલંબી છે તેટલો જ પરસ્પરાવલંબી પણ છે. સમાજની વ્યવસ્થા સારી રીતે જાળવવા માટે જ્યારે અવલંબન જરૂરી બને છે ત્યારે તે અવલંબન નથી રહેતું પણ એ સહકાર બને છે.

સહકારમાં મધુરતા છે; જેઓ સહકાર કરે છે તેમાં કોઇ સબળું કે કોઇ નબળું નથી, બધાં સરખાં છે. અવલંબનમાં લાચારીનો ભાવ હોય છે. કુટુંબના સભ્યો જેટલા સ્વાવલંબી છે તેટલા જ પરસ્પરાવલંબી છે મારા-તારાની ભાવના ત્યાં હોતી નથી. બધા એકબીજા સાથે સહકાર કરનારા હોય છે. તેવી જ રીતે આપણે સમાજને, રાષ્ટ્રને અથવા આખી માનવજાતને કુટુંબ ગણીએ તોબધા માણસો સહકાર્યકર બને છે. જો આપણે આવા સહકારના ચિત્રની કલ્પના કરીએ તો આપણે જોઇશું કે નિર્જીવ યંત્રની મદદની આપણે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું અને એમાં જ સમાજની સાચી સલામતી અને આત્મરક્ષા રહેલાં છે.

મારી કલ્પના એટલી જ છે કે વસ્ત્ર, અનાજ, વગેરે પાયાની આવશ્યકતાઓને ગામલોકો પોતાને ત્યાં જ પેદા કરી લે. આને જ આપણે સ્વાવલંબી કહીશું. પણ આનો પણ અનર્થ થવાનો સંભવ છે, એટલા માટે વસ્તુને સારી રીતે સમજી લેવી જરૂરી છે સ્વાવલંબનનો અર્થ કૂપમંડૂકતા નથી. કોઇ પણ સ્થિતિમાં આપણે બધી ચીજો પેદા કરી શકીએ નહીં અને આપણે કરવી પણ નથી. આપણે તો પૂર્ણ સ્વાવલંબનની નજદીક પહોંચવું છે. જે વસ્તુઓ આપણે પેદા ન કરી શકીએ એના બદલામાં આપવા માટે આપણે આપણી આવશ્યકતાથી વધારે પેદા કરવું જ પડશે.

આદર્શ સ્થિતિ તો એ જ છે કે દરેક કુટુંબ જેમ પોતાની જમીન ખેડી, અન્ન ઉપજાવી, પોતાની ઘંટી ઉપર તેને દળી પોતે જ તેના રોટલા ઘડી લે, તેમ પોતાને સારુ પોતે જ રૂ ઉગાડી પોતે તે કાંતે અને પોતે જ તે સૂતરને વણી કપડું પણ તૈયાર કરી લે.

આપણે ત્યાં પૂરતી ફળદ્ધુપ જમીન છે, પાણીની પણ કંઇ ખોટ નથી અને માણસોની વસ્તીનો પાર નથી એ સંજોગો છતાં આપણે ત્યાં અનાજની તંગી કેવી ?પરંતુ આપણે જનતાને સ્વાશ્રયી બનવાની કેળવણી આપવી જોઇએ. પ્રજાને એક વાર ભાન થાય કે આપણે બીજા કોઇના પર આધાર રાખવાનો નથી, આપણા પોતાના જોર પર જ કૂદવાનું છે તો વાતાવરણમાં જાણે કે વીજળીનો સંચાર થશે. પોતાની જરૂરના કરતાં હિંદ વધારે કપાસ પેદા કરે છે. એ કપાસમાંથી લોકોએ પોતે સૂતર કાંતી કાપડ વણી લેવું જોઇએ... . ગમે તે કારણે લોકો પોતાનાં અન્નવસ્ત્ર જાતે પેદા કરી લેવા માંડશે એટલે તેમની આખી દૃષ્ટિમાં પલટો આવશે.

સ્વયંપૂર્ણતા એ મોટો શબ્દ છે... ગામડાં જો તેમની પ્રાથમિક જરૂરિયાતોને વિષે સ્વયંપૂર્ણ ન થાય, અને કજિયાકંકાસ ને રોગચાળાથી થતા આંતરિક ઘસારા સામે તથા ચોરડાકુલા બાહ્ય ભય સામે રક્ષણની બાબતમાં સ્વાશ્રયી ન બને તો તેઓ ઘસડાઇ જશે. એટલે સ્વયંપૂર્ણતાનો અર્થ એ છે કે રૂ પરની બધી ક્રિયાઓ કરવી અને મોસમી પાક તથા ઢોરને માટે ઘાસચારા ઉગાડવા. આટલું ન કરવામાં આવે તો ભૂખમરો થવાનો. અને સ્વાશ્રયનોઅર્થ એ છે કે સામુદાયિક સંગઠન કરવું. ગામડાના શાણા માણસોની લવાદી દ્ધારા માંહોમાંહેના કજિયાનો તેમની પાસે નિકાલ કરાવવો, અને સફાઇ તથા સામાન્ય રોગો તરફ સામુદાયિક ધ્યાન આપીને ગામની સ્વચ્છતા જાળવવી. આને માટે કેવળ વ્યક્તિગત પ્રયત્નથી ચાલવાનું નથી. અને એ બધા ઉપરાંત ગ્રામવાસીઓ પાસે તેમનાં ગામડાં ચોરડાકુ સામે સુરક્ષિત બનાવવાના સંયુક્ત પ્રયત્ન કરાવીને તેમને પોતાનું બળ ઓળખતાં શીખવવું જોઇએ. આ વસ્તુ સારામાં સારી સામુદાયિક અહિંસા વડે બની શકે. પણ જો અહિંસાનો રસ્તો કાર્યકર્તાઓને સ્પષ્ટ ન દેખાતો હોય તો તેઓ હિંસા વડે સામુદાયિક બચાવ કરવા માટે જરૂરી સંગઠન કરતાં આંચકો ન ખાય.

કાંતનારાઓ પોતે કપાસ ઉગાડતા ન થઇ જાય અથવા તો દરેક ગામમાં કપાસનું વાવેતર ન હોય તો એ સ્વાવલંબી ખાદી સફળ નથી થવાની. એટલે સ્વાવલંબી ખાદીની દૃષ્ટિએ તો દરેક ઠેકાણે કપાસની ખેતી થવી જ જોઇશે. આને સારુ જે ગામડામાં કામ ચાલતું હોય એનું વસ્તીપત્રક બનાવવું જોઇશે. કારણ કે કંઇ દરેક કાંતનાર કે વણનાર પાસે કપાસ વાવી શકાય એવો સોગંદ ખાવાનો પણ જમીનનો ટુકડો નથી હોતો. ખાદીની સ્વાવલંબન પદ્ધતિ એ વિશાળ પ્રશ્ન છે. કેવળ એટલા પ્રશ્નના ઉકેલ માટે જ ચરખા સંઘની હસ્તી યોગ્ય ગણાય. આજ સુધી એ દિશામાં ચરખા સંઘે કહેવા જેવા પ્રયત્ન કર્યા નથી.

ઇશ્વરની સૃષ્ટિનો જે ભાગ આપણી નજીકમાં નજીક હોય તે જેને આપણે સૌથી વધારે જાણતા હોઇએ તેની જ સેવા આપણે કરી શકીએ. આપણે આપણા સાખપડોશીથી શરૂઆત કરીએ. આપણે આપણું આંગણું સાફ કરીને જ સંતોષ ન માનવો જોઇએ, પણ આપણા પડોશીનું આંગણું સાફ થાય એની પણ ભાળ રાખવી જોઇએ. આપણે આપણા કુટુંબની સેવા કરીએ, પણ કુટુંબને ખાતર ગામને નુકસાન ન પહોંચવા દઇએ. આપણા ગામનું માન સચવાય તેમાં જ આપણું માન રહેલું છે. પણ આપણે દરેક જણે આપણી મર્યાદા સમજવી જોઇએ. જે જગતમાં આપણે રહીએ છીએ તેને વિષેના આપણા જ્ઞાનથી આપણી સેવાશક્તિની મર્યાદા આપોઆપા બંધાઇ જાય છે. પણ આ વાત હું સાદામાં સાદી ભાષામાં મૂકું. આપણે આપણા સાખપડોશીના કરતાં આપણો પોતાનો વિચાર ઓછો કરીએ. આપણા આંગણાનો કચરો પડોશીના આંગણામાં ઠાલવવો એ માનવજાતિની સેવા નથી પણ અસેવા છે. આપણા પડોશીઓની સેવાથી આપણે આરંભ કરવો જોઇએ.

ખેતીમાં આજે કેવળ અરાજકતા છે. બધી જમીનના ટુકડા થઇ રહ્યા છે. ભાઇ ભાઇ અલગ થાય છે અને ખેતરોના ટુકડા થતા જાય છે... આ ટુકડા પાડવાની નીતિથી તો આપણે મરી જઇશું. ગામડાંમાં લોકોએ મળી સમજીએ ખેતી કરવાનો સિદ્ધાંત અપનાવવો જોઇશે. ગ્રામસેવક પોતાને ત્યાંની પરિસ્થિતિની પૂરી તપાસ કરશે અને લોકોને સહકારી ખેતી કરવા સમજાવશે.

ગામડું પોતાને માટેનો કપાસ સહકાર કરી ઉગાડી શકે. જો આમ થાય તો એટલું તો સહેજે સમજાઇ કેઆવી રીતે ગામડાંમાં જ તૈયાર થયેલા કાપડને વિદેશથી આવેલું કોઇ પણ કાપડ કિંમત કે ટકાઉપણામાં આંટી ન શકે. આ ક્રિયામાં શક્તિનો વધારેમાં વધારે સંયમ થાય છે.૯

માણસની સામાજિક પ્રકૃતિ તેને પશુસૃષ્ટિથી જુદો પાડે છે, એ આપણે ભૂલીએ નહીં. સ્વતંત્ર થવાનો તેનો જો વિશેષ હક છે, તો પરસ્પરાવલંબી થવાની પણ તેની એટલી જ ફરજ છે. કેવળ અભિમાની માણસ જ અન્ય સૌથી સ્વતંત્ર અને સ્વંયપૂર્ણ હોવાનો દાવો કરી શકે... ગામડાં અલગ અલગ નહીં પણ અમુક ગામડાં મળીને તેમની કાપડની જરૂરિયાત પૂરતાં સ્વયંપૂર્ણ થઇ શકે એ રીતે આપણાં ગામડાંની પુનર્ઘટના કરવાનું શક્ય છે.૧૦

ગયે વર્ષે (૧૯૨૫માં) મદ્રાસમાં એક સહકારી મંડળી સાથે વાત કરતાં મેં કહ્યું હતું કે હાથકાંતણ દ્ધારા હું દુનિયામાં મોટામાં મોટી સહકારી મંડળી સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દાવો ખોટો નથી. કારણ કે લાખો લોકો કાંતણમાં સાચો સહકાર કરે નહીં તો હાથકાંતણનો ખરો ઉદ્દેશ બર આવે નહીં. સહકાર તો શરૂઆતથી જ હોવો જોઇએ.

એક સામાન્ય કેન્દ્રની કાર્યપદ્ધતિ લઇએ. કેન્દ્રીય કાર્યાલયમાં કાંતનારાઓ માટે કપાસ ભેગો કરવામાં આવે છે. કદાચ કેન્દ્રમાં જ કપાસ લોઢનારા તે લોઢે છે. પછી એ પીંજારાઓને વહેંચી દેવામાં આવે છે જેઓ એમાંથી પૂણી બનાવે છે. પછી તે કાંતનારીઓને આપવામાં આવે છે જેઓ દર અઠવાડિયે તેમનું સૂતર લઇ આવે છે અને બદલામાં નવી પૂણી તેમ જ તેમની મજૂરી લઇ જાય છે. આવી રીતે મેળવાયેલું સૂતર વણકરોને વણવા આપવામાં આવે છે અને તે ખાદીના રૂપમાં વેચવા માટે પાછું આવે છે. આ ખાદી હવે પહેરનારાઓને - સામાન્ય જનતાને વેચવામાં આવે છે. આવી રીતે કેન્દ્રીય કાર્યાલયને જાતિ, રંગ કે ધર્મનો ભેદ રાખ્યા વગર ખૂબ બહોળા માનવ સમુદાયના સતત સજીવ સંપર્કમાં રહેવું પડે છે. કારણ કે કેન્દ્રને તો નફો કરવાનો હોય છે કે ન તો ગરીબો સિવાય કોઇની ચિંતા કરવાની હોય છે. કેન્દ્રે ઉપયોગી બનવું હોય તો દરેક અર્થમાં શુદ્ધ રહેવું જોઇએ. કેન્દ્ર અને આ વિશાળ સંગઠનનાં અંગો વચ્ચે શુદ્ધ આધ્યાત્મિક અને નૈતિક સંબંધ હોય છે. કાંતણ કેન્દ્ર એ એવી રીતે સહકારી મંડળી છે જેના સભ્યો લોઢનારા, પીંજનારા, કાંતનારા, વણનારા અને ખરીદનારાઓ છે - જેઓ બધા પરસ્પર સદ્‌ભાવ અને સેવાના બંધને બંધાયેલા છે.૧૧

સહકારી મંડળીઓને સફળ બનાવવાની ખુબી એ છે કે, તેના સભ્યો પ્રામાણિક હોવા જોઇએ; તેમને સહકારમાં રહેલા ગુણની જાણ હોવી જોઇએ; અને તેમની સામે એક નિશ્ચિત પ્રગતિનું ધ્યેય હોવું જોઇએ. વધારે પૈસા કરવા સારુ ભારે વ્યાજનો દર આકારીને સહકારી મંડળી કાઢી પૈસાની રકમ રોકવી, એને હું ખોટો આદર્શ ગણું છું. પણ સાથે મળીને જમીન ખેડવી કે ગોશાળા ચલાવવી, એ નિઃસંશય સારો આદર્શ છે અને રાષ્ટ્રને માટે હિતકર છે. આવાં ઉદાહરણો ઘણાં આપી શકાય... સહકારી સંસ્થાઓ કેવી હશે, તે હું જાણતો નથી. પોતાનું કામ બરાબર સમજીને કરે, એવા તપાસણીદારો તેમાં છે ખરા ? એટલું કહેવું જરૂરી છે કે, એવી સંસ્થાઓની વ્યવસ્થા અપ્રામાણિક લોકોના હાથમાં હોય, ને તેનો આદર્શ શંકાસ્પદ હોય, ત્યારે તેનું પરિણામ ઘણે ભાગે હાનિકર નીવડ્યું છે.