Graam Swaraj - 12 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 12

૧૨

પંચાયતરાજ

આઝાદી પહેલાંની પંચાયતો

પંચાયત એ આપણે એક પ્રાચીન શબ્દ છે; એની સાથે અનેક મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. એનો શબ્દાર્થ છે : ગામડાંના લોકો દ્ધારા ચૂંટાયેલી પાંચ વ્યક્તિઓની સભા. આવા પંચ કે પંચાયતો દ્ધારા હિંદુસ્તાનનાં અસંખ્યા ગ્રામ-પ્રજાસત્તાકોનો કારભાર ચાલતો હતો, પરંતુ બ્રિટિશ સરકારે, મહેસૂલ વસૂલ કરવાની એની કઠોર પદ્ધતિથી આ પ્રાચીન ગ્રામ-પ્રજાસત્તાકોનો લગભગ નાશ કરી નાખ્યો; મહેસૂલ વસૂલાતની એ પદ્ધતિનો આઘાત ગ્રામ-પ્રજાસત્તાકોથી સહી શકાયો નહીં. હવ મહાસભાવાદીઓ ગામડાના આગેવાનોને દીવાની અને ફોજદારી અધિકાર આપીને, પંચાયત પદ્ધતિને સજીવન કરવાનો અધકચરો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્ન સૌથી પહેલાં તો સને ૧૯૨૧માં કરવામાં આવેલો પરંતુ તે અસફળ નીવડ્યો હતો. ફરી એ પ્રયત્ન કરવામાં આવેલો પરંતુ તે અસફળ નીવડ્યો હતો. ફરી એ પ્રયત્ન કરવામાં આવે છે; પરંતુ જો તે વ્યવસ્થિત અને સારી રીતે - ‘વૈજ્ઞાનિક રીતે’ નહીં કહું-નહીં કરવામાં આવે તો નિષ્ફળ નીવડશે.

નૈનીતાલમાં મને કહેવામાં આવ્યું હતું કે સંયુક્ત પ્રાંતમાં કેટલીક જગ્યાએ બળાત્કાર જેવા ફોજદારી મુકદ્દમા પણ કહેવાતી પંચાયતો ચલાવે છે. અજ્ઞાન અને હિત ધરાવતી અથવા પક્ષપાતી પંચાયતોએ આપેલા બધું કેટલાક વિચિત્ર અને તરંગી ચુકાદાઓ વિષે પણ મેં સાંભળ્યું. જો આ બધું સાચું હોય તો ખરાબ કહેવાય. આવી અનિયમિત અને નિયમવિરુદ્ધ કામ કરનારી પંચાયતો તો પોતાના જ વધારેપડતા બોજા નીચે કચડાઇને ખતમ થઇ જશે. તેથી હું ગ્રામસેવકોના માર્ગદર્શન સારુ, નીચેના નિયમો સૂચવું છું :

૧. પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની લેખિત પરવાનગી વિના કોઇ પણ પંચાયતની રચના કરવી ન જોઇએ.

૨. સૌથી પહેલાં, દાંડી પીટીને ખાસ બોલાવવામાં આવેલી જાહેર સભામાં પંચાયતની ચૂંટણી કરવી જોઇએ.

૩. આવી પંચાયત માટે તહેસીલ સમિતિએ ભલામણ કરવી જોઇએ.

૪. આવી પંચાયતોને ફોજદારી મુકદ્દમા ચલાવવાનો અધિકાર ન હોવો જોઇએ.

૫. જો પક્ષો સંમત થઇને પંચાયત સમક્ષ દીવાની મુકદ્દમાઓ રજૂ કરે તો જ પંચાયત તેવા મૂકદ્દમાં ચલાવી શકશે.

૬. કોઇને, પંચાયત સમક્ષ કોઇ પણ બાબત રજૂ કરવાની ફરજ પાડી શકાશે નહીં.

૭. કોઇ પણ પંચાયતને દંડ કરવાનો અધિકાર ન હોવા જોઇએ. દીવાની મુકદ્દમાઓના ચુકાદાઓનો અમલ કરાવવા માટેનું એકમાત્ર બળ તે તેનો નૈતિક અધિકાર, અણિશુદ્ધ નિષ્પક્ષપાત અને લાગતાવળગતા પક્ષોનું સ્વેચ્છાપૂર્વકનું આજ્ઞાપાલન હશે.

૮. હાલતુરત કોઇનો સામાજિક કે બીજા કોઇ પણ પ્રકારનો બહિષ્કાર ન કરવો જોઇએ.

૯. દરેક પંચાયત નીચેની બાબતો પર ધ્યાન આપે એવી અપેક્ષા રાખવામાં આવશે :

(અ) પોતાના ગામનાં છોકરા-છોકરીઓની કેળવણી;

(બ) ગામની સ્વચ્છતા ને આરોગ્ય;

(ક) ગામની દવાદારૂની જરૂરિયાત;

(ડ) ગામના કૂવાઓ અથવા તળાવોની સારસંભાળ અને સાફસૂફી;

(ઇ) કહેવાતા અસ્પૃશ્યોની ઉન્નતિ અને રોજબરોજની જરૂરિયાતો.

૧૦. જો કોઇ પંચાયત, પોતે ચૂંટાઇને આવે તેના છ મહીનાની અંદર, કોઇ પણ વાજબી કારણ વિના, નિયમ ૯માં દર્શાવેલી જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપવામાં નિષ્ફળ નીવડે અથવા બીજી કોઇ રીતે ગામલોકોની સદ્‌ભાવ ગુમાવે અથવા તો પ્રાંતિક કૉંગ્રેસ સમિતિને પૂરતું લાગે એવા કોઇ કારણસર નિંદાપાત્ર ઠરે તો તેને વિખેરી નાખવામાં આવે અને તેની જગ્યાએ બીજી પંચાયત ચૂંટવામાં આવે.

શરૂઆતના તબક્કાઓમાં પંચાયતોને દંડ કરવાનો કે કોઇનો સામાજિક બહિષ્કાર કરવાનો અધિકાર આપવામાં ન આવે તે જરૂરનું છે. ગામડાંમાં અજ્ઞાન અને સિદ્ધાંત વિનાના લોકોના હાથમાં સામાજિક બહિષ્કારનું શસ્ત્ર એક ખતરનાક હથિયાર બની જતું જણાયું છે. દંડ કરવાનો અધિકાર પણ હાનિકારક નીવડે અને નિયમ ૯માં બતાવેલાં રચનાત્મક કાર્યોને લીધે પોતાની લોકપ્રિયતા વધારતી હશે ત્યાં તેની નૈતિક પ્રતિષ્ઠાને લીધે લોકો તેના ચુકાદ ચુકાદા અને અધિકારોને માન આપશે. અને આ જ ખરેખર સૌથી મોટું બળ છે જે કોઇ પણ ધારણ કરી શકે છે અને જે કોઇ પાસેથી ઝૂંટવી શકાતું નથી.૧

સ્વતંત્ર હિંદુસ્તાનમાં પંચાયતો

સ્વતંત્રતાનો અર્થ હિંદુસ્તાનના લોકોની સ્વતંત્રતા હોય, તેમના પર આજે જેમનો અમલ ચાલે છે, તેમની સ્વતંત્રના ન હોય. શાસકોની એડી તલે કચરાતા લોકાની ઇચ્છા કે મરજી પર શાસકો પોતાની હસ્તી માટે આધાર રાખે. આમ, શાસકો લોકોની મરજી પ્રમાણે ચાલવાને તત્પર, એવા એમના સેવકો બની રહે.

સ્વતંત્રતાની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનુંએકેએક ગામ રાજ્યઅમલની પૂરેપૂરી સત્તા ધરાવનારું પ્રજાસત્તાક અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો, આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઇ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય, અને તે રક્ષણના પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય. આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યકિત બને છે. પડોશીઓ અથવા બહારની દુનિયા પર આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી જે મદદ આપે, તે લેવાની વાતમાં સમાઇ જાય છે. આ સ્થિતિ સ્વેચ્છાએ પરસ્પર સહાય કરનારાં બળોની એકબીજા પરની અસરનું ફળ હશે. એ અનિવાર્ય છે કે, આવી જાતનો સમાજ ખુબ સંસ્કારી હોય અને તેમાં દરેક સ્ત્રી કે પુરુષ પોતાને શું જોઇએ છે, તે વિષે ખબરદાર હોય, અને સૌથી વિશેષ તો આવી સમજવાળાં હોય કે, એેક જ જાતની મજૂરીથી જે બીજાને ન મળી શકે, તે આપણને પણ ન મળે.

આ સમાજની રચના સ્વભાવિક રીતે જ સત્ય અને અહિંસાના પાયા પર થાય અને મારો એવો અભિપ્રાય છે કે, ઇશ્વર એટલે કે, દુનિયાએ જાણેલાં સર્વ પ્રકારનાં બળોમાં જે વસે છે, પોતાની શક્તિ વડે જ જેની હસ્તી છે, જે વસ્તુમાત્રનું જ્ઞાન ધરાવેછે, જે કોઇના પર આધાર રાખતી નથી, અને જે બીજાં બળોનો કલ્પી શકાય તેવો નાશ થયા પછી, અથવા તેમની અસર જણાતી અટકી જશે, ત્યાર પછી પણ પોતાનું કાર્ય કરતી હશે, તે જીવંત શક્તિ પર સમજપૂર્વક શ્રદ્ધા રાખ્યા વિના એ સત્ય ને અહિંસા સંભવિત નથી. સર્વને પોતાના તેજથી પ્રકાશિત કરતી, સર્વવ્યાપી ચેતનમયી શક્તિ વિષેની શ્રદ્ધા વિના હું મારી પોતાની હસ્તીનું કારણ આપી શકતો નથી.

અસંખ્ય ગાંમડાઓની બનેલી આ સમાજરચનાની આકૃતિ એક એકથી ઊંચે જતાં વર્તુળોની નહીં, પણ ‌એકબીજાથી વિશા થતાં જતાં અને નાનાને મોટામાં સમાવી લેતાં વર્તુળોની હશે. જીવનનો ઘાટ, જ્યાં ટોચ પાયાને કચડીને ઊંચી રહે છે તેવા પિરામિડનો નહીં હોય. તેનો ઘાટ સમુદ્રનાં અનંત સીમાં સુધી વિસ્તરતાં જતાં ંમોજાંઓનાં વર્તુળનો હશે, જેના કેન્દ્રમાં પોતાના ગામને સારુ ખપી જવાને હરહમેશ તત્પર એવી વ્યક્તિ હશે, અને ગામ વળી બીજાં ગામોના બનેલા પોતાના વર્તુળને માટે ખપી જવાને તત્પર રહેશે, અને આખરે આ રચનામાં સર્વ વર્તુળો મળીને એક જ પ્રાણવાળું એક શરીર બનશે. એ રચનામાં જે વ્યક્તિઓનો સમાવેશ થશે, તે પોતાના અહંકાર અથવા ઘમંડમાં કોઇ બીજાના પર આક્રમણ નહીં કરે, હમેશ નમ્ર રહેશે અને સમુદ્રના વિશાળ વર્તુળમાં સમાયેલા સમસ્ત જીવનની ભવ્યતા પોતાના અંતરમાં અનુભવી, તે વર્તુળના અંગરૂપ ઘટક બની રહેશે.

તેથી, આ વર્તુળાત્મક રચનામાં બહારની સીમા પર આવેલું સૌથી મોટું વર્તુળ પોતાની અંદર સમાતાં વર્તુળને કચડી નાખવાને પોતાનું સામર્થ્ય નહીં વાપરે, પણ અંદરના સર્વને બળ આપશે અને પોતાનું સામર્થ્ય પણ કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓમાંતી મેળવશે. કોઇ એવો ટોણો મારશે કે, આ તો આદર્શ થયો, સંપૂર્ણતાનું તરંગી ચિત્ર થયું, અને તેને વિષે વિચાર કરી નાહક વખત બગાડવાની જરૂર નથી. યુક્લિડની વ્યાખ્યાનું બિંદુ દોરી બતાવવાને માણસ સમર્થ નથી, છતાં તેનું કદી ઘટે નહીંતેવું મૂલ્ય છે. તેવી રીતે માણસજાતને જીવવું હોય, તો મારા આદર્શ ચિત્રની પણ કદી ઓછી ન થાય તેવી કિંમત છે. એ સાચા ચિત્રની અણિશુદ્ધ સંપૂર્ણ સિદ્ધિ કદી ન થવાની હોય, તોપણ હિંદુસ્તાન તેને માટે જીવે. આપણને જે કંઇ જોઇતું હોય, તેના જેવું કંઇકેય મેળવી શકીએ તે પહેલાં આપણી પાસે તેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઇએ. હિંદુસ્તાનમાં એકેએક ગામનું પ્રજાસત્તાક સ્થાપવાની વાત સ્વીકારો, તો જ્યાં છેલ્લે આવનારો પહેલાના જેવો હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, જેમાં કોઇ પહેલો નથી ને કોઇ છેલ્લો નથી, તે મારું ચિત્ર વાસ્તવિક અને સત્ય છે, એવો હું દાવો કરું છું.

આ ચિત્રમાં દરેક ધર્મનું સરખા દરજ્જાનું તેમ જ ઘટતું સ્થાન રહેશે. આપણે સૌ એક ભવ્ય તરુવરનાં પાંદડાં જેવા છીએ અને તેનાં મૂળ પાતાળમાં પૃથ્વીના હ્ય્દય સુધી પહોંચેલાં હોવાથી, તેના થડને હલાવવાને કોઇ સમર્થ નથી. ગમે તેવા જોરદાર, તોફાની પવનથી તે હાલે તેમ નથી.

માણસની મજૂરીની જગ્યા લઇ લઇ તેને નકામી બનાવે, અને સત્તાને થોડા લોકોના હાથમાં એકઠી કરી આપે, તેવાં યંત્રોનેઆ ચિત્રમાં સ્થાન નથી. સુસંસ્કૃત માનવી સમાજકુટુંબમાં મજૂરીનું સ્થાન અનન્ય છે. જે યંત્ર હરેક વ્યક્તિને સહાયરૂપ થાય, તેને અહીં સ્થાન છે. પણ, તેનો વ્યવસ્થિત વિચાર કરવા હું કદી બેઠો નથી. સિંગરના સીવવાના સંચાનો વિચાર મેં કર્યો છે, પરંતુ તે પણ ઉપરચોટિયો અથવા કામચલાઉ કે તૂટક જ કહેવાય. મારું ચિત્ર પૂરું કરવાને હમણાં જ એ વિચાર કરવા બેસવાની જરૂર નથી.૨

જો આપણે પંચાયતરાજ ઇચ્છતા હોઇએ, લોકશાહી તંત્ર સ્થાપવા મથતા હોઇએ તો નાનામાં નાનો હિંદી એ મોટામાં મોટા હિંદી જેટલો જ હિંદનો રાજા છે. એટલા સારુ એ શુદ્ધ હોવો જોઇએ, ન હોય તો થવો જોઇએ. જેવો શુદ્ધ તેવો શાણો હોય. તેથી તે જાતિભેદ, વર્ણભેદ નહીં ગણે, બધાને પોતાના સરખા ગણે, બીજાઓને પોતાના પ્રેમપાશમાં બાંધે. એને મન કોઇ અસ્પૃશ્ય નહીં. તેમ એને મન મજૂર અને મહાજન એકસરખા હોય. તેથી એ કરોડો મજૂરોની જેમ પરસેવાનો રોટલો કમાઇ જાણશે અને કલમ અને કડછી સરખાં ગણશે. એ શુભ અવસરને નજીક લાવવા સારુ પોતે ભંગી થઇ બેસશે. શાણો હોય એટલે અફીણ કે શરાબને અડે જ કેમ ? સહેજે સ્વદેશી વ્રત પાળે. પોતાની પત્ની ન હોય એ બધી જ સ્ત્રીઓને વય પ્રમાણે માતા બહેન કે દીકરી સમાન ગણે. કોઇની ઉપર કુદૃષ્ટિ ન કરે. મનમાંયે બીજી ભાવના ન સેવે. જે હક પોતાના તે સ્ત્રીના સમજે. વખત આવ્યે પોતે મરશે, બીજાને કદી નહીં મારે. અને બહાદુર એવો હશે કે ગુરુઓના શીખ જેવો એકલો સવા લાખની સામે ઊભો રહેશે અઇને એક ડગલુંય હઠશે નહીં. એવો હિંદી પૂછશે નહીં કે આ યત્નમાં મારે શો ભાગ ભજવવો.૩

પંચાયતની ફરજ

પ્રાચીન જમાનામાં યુનાનથી, ચીનથી અનેબીજા દૂર દૂરના મુલકોમાંથી નામાંકિત મુસાફરો અહીં આવતા હતા. ઘણી મુશ્કેલીઓ વેઠી અહીંથી જ્ઞાન મેળવવાને તે આપણા મુલકમાં આવતા. તેમણે લખ્યું છે કે હિંદ એક એવો મુલક છે જ્યાં કોઇ ચોરી કરતું નથી, કોઇ પોતાની ચીજોને તાળામાં રાખતું નથી ને સૌ પ્રામાણિકપણે રહે છે. આ વાતો લગભગ બે હજાર વર્ષ જેટલો પુરાણી છે. તે જમાનામાં ફકત ચાર વર્ગો હતા. આજે તો એટલા બધા થઇ ગયા છે કે ન પૂછો વાત. પંચાયતઘર બાંધીને તમે તમારે માથે મોટી જવાબદારી લીધી છે. તમે તમારી એ પંચાયતને શોભાવજો. અહીં તમારી અંદર અંદર તકરાર કે ટંટો તો હોય જ નહીં. અને ધારો કે થતો તો પંચ મારફતે તેનો નિકાલ કરાવજો. એક વરસ પછી હું તમને પૂછીશ કે તમારે ત્યાંથી કોઇ કોર્ટમાં ગયા હતા ? અને ધારો કે એવા કોઇ ગયા હશે તો માની લેવું પડશે કે પંચાયતે પોતાનું કામ બરાબર બજાવ્યું નથી. પંચ ત્યાં પરમેશ્વર એવી એક ગુજરાતી કહેતી છે. એટલે કે પંચ પરમેશ્વરનું કામ કરે છે. તમારે માટે તો એક જ અદાલત હોય ને તે તમારી પંચાયત. એમાં ન્યાય મેળવવામાં કોડીનું ખર્ચ નહીં ને કામનો નિકાલ ઝટ. એવું થાય તો પછી ન પોલીસની જરૂર ન લશ્કરની.૪

વળી, તમારાં જાનવરોને પૂરું ખાવાનું મળે છે કે નહીં એ પણ તમારે જોવું રહેશે. આપણી ગાયો આજે પૂરું દૂધ નથી આપતી કારણ તેમને પૂરું ખાવાનું મળતું નથી. અસલમાં વિચાર કરો તો ખાટકીનું કામ હિંદુઓ કરે છે, મુસલમાનો કે બીજા કોઇ નથી કરતા. હિંદુઓ ગાયને સારી રીતે રાખતા નથી, તેની જોઇએ તેવી ચાકરી કરતા નથી અને એ રીતે તેને રિબાવી રિબાવીને મારે છે. આ તો એેકે ઝાટકે કાપી નાખવા કરતાંયે બૂરી વાત થઇ. ગાયને હિંદુસ્તાનમાં જેવી વિટંબણા વેઠવી પડે છે તેવી બીજા કોઇ મુલકમાં વેઠવી પડતી નથી. આજે એક ગાય દિવસના બે ટંક મળીને માંડ ત્રણ શેર દૂધ આપતી હશે. પણ એક વરસ પછી તમારે ત્યાંની ગાયો રોજનું છ શેર આપતી થાય તો મારે કહેવું પડે કે ના, તમે લોકોએ તમારું કામ બજાવ્યું ખરું.

એવી જ રીતે જમીનમાં આજે જેટલું અનાજ પેદા થાય છે તેથી બમણું આવતી સાલ કાઢો. એ કેમ થાય તે મીરાંબહેને બતાવ્યું છે. દિલ્હીમાં મળેલી એક કૉન્ફરન્સમાં માણસ ને જાનવરનાં મળમૂત્ર અને કચરાના મિશ્રણમાંથી સોના જેવું કીમતી ખાતર કેમ બનાવી શકાય તે બતાવવામાં આવ્યું હતું. એવા ખાતરથી જમીનની ઊપજ કેવી રીતે વધે છે તે પણ કૉન્ફરન્સમાં દર્શાવવામાં આવ્યું હતું,

ત્રીજો વિચાર તમારે એ કરવાનો છે કે આપણે ત્યાંના બધાયે લોકોની તંદુરસ્તી સારી રહે છે કે નહીં ? તેઓ બહારથી સ્વસ્થ દેખાય પણ અંતરથીયે સ્વસ્થ રહે છે કે નહીં ? વળી અહીંના રસ્તાઓ પર ધૂળ, છાણ કે કચરો કશું રહેવું ન જોઇએ. આ બધા કામમાં ઝાઝો ખર્ચ નથી થતો.

ઉપરાંત, હું આશા રાખું છું કે અહીં સિનેમાઘર નહીં નીકળે. સિનેમામાંથી આપણે અનેક બૂરી બાબતો શીખીએ છીએ. મને કહેવામાં આવે છે કે સિનેમા કેળવણીનું મોટું સાધન બની શકે. એ તો જ્યારે બનવાનું હશે ત્યારે બનશે પણ આજે તો તેમાંથી એકલી બૂરાઇ લોકો શીખે છે. હું આશા રાખું છું કે તમારે ત્યાં દારૂ, ગાંજો વગેરે અમલની કેફી ચીજે પણ નહીં હોય. તમારું ગામ એવું નમૂનેદાર બનાવો કે તેને જોવાને (બહારથી) લોકો દોડ્યા આવે. ને એવું કહેતા થાય કે ચાલો આવું સાદું સરળ જીવન જીવવાનું મળે છે તો અહીં, હિંદુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી સૌ ભાઇ-ભાઇની જેમ રહેશે. આ બધું તમે કરી શકશો તો સાચી સ્વતંત્રતાનો સાચો અર્થ કરી તેનો અમલ તમે કર્યો ગણાશે. પછી હિંદભરમાંથી લોકો તમારું ગામ જોવા આવશે.૫