Graam Swaraj - 27 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 27

૨૭

ગ્રામસેવક

આદર્શ ગ્રામસેવક

આજ મારે તમને તમારા ભાવિ કાર્ય અને જીવનના આદર્શ વિષે કહેવું છે. જે અર્થમાં આજે ‘કૅરિયર બનાવવા તમે અહીં નથી આવ્યા. આજ તો માણસની કિંમત પૈસાથી થાય છે અને એનું ભણતર બજારમાં વેચાણની ચીજ બન્યું છે. એ ગજ જો તમે મનમાં લઇને અહીં આવ્યાહો, તો તો તમારે માટે નિરાશા જ લખાયેલી છે જાણજો. અહીંથી ભણીને નીકળો ત્યારે તમારે માટે રૂ. ૧૦થી પ્રાંરભ થશે ને તે જ આખર સુધી હશે. મોટી પેઢીના મૅનેજર કે મોટા અમલદારના પગાર જોડે તમે એને ના સરખાવતા.’

આપણે તો ચાલુ ધોરણો જ બદલવાનાં છે. અમે તમને એ ધોરણની કોઇ કૅરિયરનું વચન નથી આપતા. સાચી વાત તો ઊલટી એ છે કે, એ જાતની જો તમારી મહાકાંક્ષા હોય તો અમે તમને એમાંથી ઉગારી લેવા ઇચ્છાએ છીએ. માસિક રૂ. ૬માં તમારો ખાધાખર્ચ પતે એમ આશા રખાઇ છે. એચ આઇ. સી. એસ.નું માસિક ખાધાખર્ચ કદાચ રૂ. ૬૦ આવતું હોય. પણ તેથી તે કોઇ રીતે તમારા કરતાં શરીરશક્તિ, બુદ્ધિ કે નીતિમત્તામાં ચડશે એમ મુદ્દલ માનવાનું નથી. આ બાદશાહી ભોગવતાં છતાં, કદાચ તે આ બધી રીતે ઉલટો ઊતરતો પણ હોય.હું માનું છું કે, તમે તમારી શક્તિ દોઢિયાંથી નથી આંકતા માટે આ વિદ્યાલયમાં આવ્યા છો; નહીં જેવા બદલાથી દેશને પોતાની સેવા અર્પવામાં જ તમને આનંદ છે. એક માણસ શેરબજારમાં હજારો રૂપિયા કમાતો હોય, પણ આપણા આ કામને માટે બિલકુલ બેકામ હોઇ શકે. એ માણસ આપણી સાદીસીધી પરિસ્થિતિ જગાએ આવે તો તે દુઃખી થાય, જેમ આપણે એને ત્યાં જઇએ તો થઇએ. દેશને માટે આપણે આદર્શ મજૂરો જોઇએ છે. તેઓ, શું ખાવાનું મળશે કે ગામડાના લોક શી અમારી સગવડો સાચવશે એ પંચાત નહીં કરે. પોતાની જરૂરિયાતો વિષે તેઓ ઇશ્વર પર શ્રદ્ધા રાખશે ને એને અંગે જે મુશ્કેલીઓ કે દુઃખો સહવાં પડશે, તેમાંય આનંદ માનશે. ૭ લાખ ગામડાંનો જે દેશે વિચાર કરવાનો છે ત્યાં આવી જાતનું તો અનિવાર્ય છે. નિયમસર પગાર વધતો જાય, પ્રોવિડન્ડ ફંડ કે પેન્શનની જોગવાઇ હોય એમ ઇચ્છતા પગારદાર નોકરવર્ગ રાખવાનું આપણને ન પાલવી શકે. આપણે માટે ગ્રામવાસીઓની નિષ્ઠામય સેવા એ જ સંતોષ છે.

તમારામાંથી કેટલાકને પૂછવા મન થશે કે ગામડાંના લોકો માટે પણ આ જ ધોરણ કે શું ? જરૂર નહીં જ. આ તો આપણા સેવકવર્ગ માટે છે, આપણી શેઠ જે ગ્રામજનતા એને માટે નહીં. આટઆટલાં વર્ષોથી આપણે એમની પર બોજારૂપ રહેલા છીએ; હવે આપણે એમની સ્થિતિ કંઇક સુધરે એ સારુ, ઇચ્છાપૂર્વક ગરીબી સ્વીકારવી છે. આજ તેઓ કમાય છે તેઓ વધારો કરી શકે એમ આપણે કરવું છે. એ ગ્રામોદ્યોગ સંઘનો ઉદ્દેશ છે. મેં ઉપર વર્ણવ્યો એવા સેવકોની સંખ્યા સંઘ પાસે વધતી ન જાય તો આ ઉદ્દેશ ન ફળી શકે. તમે બધા સેવા ગ્રામસેવકો થાઓ.૧

આવશ્યક લાયકાત

(ગાંધીજીને નીચેની લાયકાતો સત્યાગ્રહીને સારુ જરૂરી માની છે. પણ એમના મત પ્રમાણે ગ્રામસેવક પણ સાચો સત્યાગ્રહી હોવો જોઇએ. એટલે નીચે જણાવેલી લાયકાતો એને પણ લાગુ પડે.)

૧. ઇશ્વર ઉપર જવલંત શ્રદ્ધા; કારણ એ જ એકમાત્ર અતૂટ આધાર છે.

૨. તેને સત્ય અને અહિંસામાં ધર્મભાવે આસ્થા હોવી જોઇએ. અને તેથી મનુષ્યસ્વભાવના હાડમાં વસતી ભલાઇમાં તે માનતો હોવો જોઇએ. આ ભલાઇને સત્ય તેમ જ પ્રેમને રસ્તે જાતે દુઃખ ખમીને જાગ્રત કરવાની તે હંમેશાં આશા રાખે.

૩. તે શુદ્ધ જીવન ગાળનાર હોય અનેપોતાના કાર્યને અર્થે પોતાનાં જાનમાલ સર્વસ્વનું ખુશીથી બલિદાન આપવા હંમેશા તૈયાર હોય.

૪. તે સતત ખાદીધારી તેમ જ કાંતનાર હોય. હિંદુસ્તાનને સારુ આ બાબત અગત્યની છે.

૫. એ નિર્વ્યસની હોય અને બધી જાતનાં કેફી પીણાં ઇત્યાદિથી મુક્ત રહે. તેથી તેની બુદ્ધિ હંમેશાં નિર્મળ અને તેનું મન નિશ્વળ રહેતું હોય.

૬. વખતોવખત ઘડાતા શિસ્તના નિયમોનું તે રાજીખુશીથી અને ચીવટપૂર્વક પાલન કરે.

લાયકાતોની આ યાદીને કોઇ સંપૂર્ણ ન ગણે. ઉદાહરણરૂપે જ તે અહીં આપી છે.૨

તેની ફરજો

૧. પ્રત્યેક સેવક જાતે કાંતેલા સૂતરની અથવા ચરખાં સંઘની પ્રમાણિત ખાદી હંમેશાં પહેરનારો અને માદક પીણાં ન પીનારો હોવો જોઇએ. જો તે હિંદુ હોય તો તથા પોતાના કુટુંબમાંથી હરકોઇ સ્વરૂપની અસ્પૃશ્યતા તેણે દૂર કરી હોવી જોઇએ, કોમ કોમ વચ્ચેની એકતાના, સર્વ ધર્મ પ્રત્યેના સમભાવના તથા જાતિ, ધર્મ કે સ્ત્રીપુરુષના કશાયે ભેદભાવ રહિતની સૌને માટેની સમાન તક અને દરજ્જાના આદર્શમાં માનતો હોવો જોઇએ.

૨.તેના કાર્યક્ષેત્રમાંના પ્રત્યેક ગ્રામવાસીના અંગત સંસર્ગમાં તેણે રહેવું જોઇએ.

૩. ગ્રામવાસીઓમાંથી તે કાર્યકર્તાો નોંધશે અને તેમને તાલીમ આપશે. એ બધાનું તે પત્રક રાખશે.

૪. તે તેના રોજેરોજના કામની નોંધ રાખશે.

૫. પોતાની ખેતી તેમ જ ગૃહઉદ્યોગો દ્ધારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને એ રીતે તે તેમને સંગઠિત કરશે.

૬. ગ્રામવાસીઓને તે સફાઇ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે. અને તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો લેશે.

૭. હિંદુસ્તાની તાલીમી સંઘની નીતિ અનુસારની નયી તાલિમને ધોરણે તે જન્મથી મરણ પર્યંતની સઘળા ગ્રામવાસીઓ કેળવણીનો પ્રબંધ કરશે.

૮. જેમનાં નામ સરકારી મતદાર પત્રકોમાં નોંધવાં રહી ગયાં હોય તેમનાં નામો તે તેમાં નોંધાવશે.

૯. જેમણે મતાધિકારના હકને માટેની જરૂરી યોગ્યતા હજી પ્રાપ્ત કરી ન હોય તે પ્રાપ્ત કરવા માટે તેમને પ્રોત્સાહન આપશે.૩

ગ્રામસેવા

ગ્રામસેવકનું મધ્યબિંદુ રેંટિયો હશે. ખાદીના મૂળમાં જે કલ્પના છે તે તો એ છે કે ખાદી ખેડૂતોને સારુ અન્નપૂર્ણાનું કામ કરનારી છે. ઓછામાં ઓછા ચાર માસ ખેડૂતો નિરુદ્યમી રહે છે. તેમને ખાદી ઉદ્યમ આપે છે. આપણામાંથી ઉદ્યોગ ચાલ્યો ગયો છે. એ ઉદ્યોગ અને સ્વાવલંબન પાછાં આણ્યે જ છૂટકો છે, આળસને ખંખેર્યે જ છૂટકો છે.

ગામડાંમાં જઇ સેવક પોતે નિયમિત રીતે કાંતતો હશે. કાંતનો નહીં હોય ત્યારે વાંસલો ચલાવતો હશે, હથોડો ચલાવતો હશે કે હાથપગની ગમે તે મજૂરી કરતો હશે. ઊંઘના આઠ કલાક સિવાયના બાકીના એના સોળે કલાક કામ, કામ ને કામમાં જ જતા હશે. ભોગો ભોગવવાને, તડાકા મારવાને, પડ્યા રહેવાને એને ફુરસદ નહીં જ હોય. એ લોકોને બતાવતો હશે કે મારે તો યજ્ઞ કરવાનો છે; શરીરનું પોષણ શરીરના કામથી કરવાનું છે. આપણે ત્યાં જે આળસ ભર્યું છે તે જો ન જાય તો ગમે તે સગવડો મળતાં છતાં લોકો ભૂખે જ મરવાના છે. જે બે દાણા ખાય છે તેણે ચાર દાણા ઉત્પન્ન કરવાનો ધર્મ સ્વીકારવો જ જોઇએ. એમ થાય તો બીજા કરોડો માણસ પણ હિંદુસ્તાનમાં પોષાય એમ છે. એમ ન થાય તો ગમે તેટલી વસ્તી ઓછઈ થાય છતાં ભૂખે મરતો વર્ગ રહેશે જ.

માટે ગ્રામસેવક ઉદ્યોગપ્રધાન થઇને બેસે. કપાસની પહેલીથી તે છેલ્લી ક્રિયા સુધીનું બધું શાસ્ત્ર એ ધોળીને પી જાય. એની દરેકદરેક ક્રિયામાં ઓતપ્રોત થાય અને એનો વિચાર કર્યા કરે તો એમાંથી એને જે સુવાસ છૂટકો તેની અત્યારે કલ્પના ન કરી શકાય.

એ રીતે જે સેવક રસ લેતો થઇ ગયો હોય તે ગામડાંમાં શિક્ષક તરીકે તો જશે પણ એ શિખનારોયે હશે. એ નિત્ય નવી શોધો અને સાધન કરતો હશે. મારી કલ્પના એવી નથી કે એ સોળે કલાક ખાદીનું જ કામ કરતો હશે. પણ એણે જેટલો સમય એ કામ માટે નીમ્યો હશે તેટલો એને આપી પછી એ ગામમાં ચાલતા ઉદ્યોગોની શોધ કરશે. એમાં એ રસ લેશે. એ લોકોના જીવનમાં ઓતપ્રોત થશે. લોકો ભલે ખાદી કે રેંટિયામાં ન માનતા હોય છતાં તેઓ એને પોતાનો માણસ ગણશે, અને એમના જીવનને ઉપયોગી વાતો એમને મળે તો સ્વીકાર કરશે. પોતાની શક્તિ બહારની વાતોમાં તે હાથ નહીં નાખે, જેવી કે લોકોના કરજની. એમાં પડવા જતાં એ પોતે એમાં ફસાઇ જવાનો ભય છે.

સફાઇ એ એનું બીજું મહત્ત્વનું કાર્ય રહેશે. એનું રહેવાનું ઘર એ એવું સાફસુથરું રાખશે કે લોકો એ જોયા જ કરે. પણ જેમ એ પોતાનું આંગણું સાફ રાખશે તેમ લોકોનાં આંગણાં પણ સાફ કરશે.

એણે ગામડાંમાં વૈદ બનવાનો ધંધો ન કરવો. એક આશ્રમ જોવા માટે હું ચાહીને ગયો, પણ ત્યાં જે જોયું તેથી તો હું ધૂંધવાયો. વ્યવસ્થાપકને અને કાર્યકર્તાઓને ખૂબ વઢર્યો. મેં કહ્યું કે, “તમે તો લોકોને ઊંઘે પાટે ચઢાવ્યા છે. તમે તો અહીં મોટો મહેલ ચણીને બેઠા છો; ‘ટ્રાવેલર્સ બંગલો’ બનાવ્યો છે. તેમાં દવાખાનું ખોલ્યું છે. કોઇક દવાવાળાઓ પાસેથી મફત દવાઓ મેળવી એક કંપાઉન્ડર રાખી ઘેરઘેર દવા પહોંચાડવાની પ્રવૃત્તિ આદરી બેઠા છો. મને ગર્વથી કહો છો કે રોજ દૂરદૂરથી લોકો દવા લેવા આવે છે, અને દર માસે ૧,૨૦૦ની હાજરી થાય છે. આશ્રમમાં તમે રહ્યા, ત્યાં તમે આવું મકાન અને આવું દવાખાનું જોયાં હતાં ? મારે શું આવો મહેલ ચણવો હોત કે દવાખાનું કાઢવું હોત તો મને પૈસા આપનારા ન મળ્યા હોત ? આશ્રમનાં મકાન પણ મારી ઇચ્છા કરતાં વધારે ખર્ચાળ થયાં, છતાં આ મહેલની તોલે તો ન જ આવે. લોકોને આ રીતે દવા આપવાનું કામ તમારું નથી. તમારું કામ તો આરોગ્ય કેમ જળવાય એ એમને શીખવાનું છે. એ સ્વેચ્છાચારી થાય, ગંદા રહે, ઘરગામ ગંદાં રાખે અને માંદા પડ્યા કરે ત્યારે મફત દવા આપો એ સેવા નથી. પણ એમને સંયમ, સ્વચ્છતા, શીખવવાં, આરોગ્યના નિયમો શીખવવા એ સેવા છે. મારી સલાહ માનોતો આ મકાનમાંથી નીકળી જાઓ. આ સામેના ઝૂંપડામાં જઇને વસો. આ મકાન લોકલ બોર્ડને ભલે આપો, અને તેને દવાખાનું ચલાવવા દો. ગામડાંના આરોગ્ય અને સફાઇનો આ આખો પ્રશ્ન ગ્રામસેવકે ઉકેલ્યે જ છૂટકો છે.”

તે ઉપરાંત એણે હરિજનની સેવા કરવાની રહી. એણે ગામમાં નિવાસ કરતા હરિજનોને નોતરું આપી દેવું. આથી જો એને ગામમાં રહેવાની જગ્યા ન મળે, ત્યાં રહી હરિજનકાર્ય પણ ન કરી શકે તો એણે હરિજનવાસમાં જઇને રહેવું જોઇએ.

હવે શિક્ષણનો પ્રશ્ન. પહેલી છોકરાંની આંખ ચાલશે, કાન ચાલશે, જીભ ચાલશે. એને શિક્ષક ઇતહાસ, ભૂગોળ વગેરે જે આપવાનુંછે તે મોઢે જ આપશે. ત્યાર બાદ એ બારાખડી વાંચશે ને પછી જ્યારે ચિત્રો કાઢવા પર હાથ ઠર્યા હશે ત્યારે બારાખડીનાં ચિત્રો કાઢશે. માખીના ટાંગા નહીં. આ અખતરો તમે કરો તો પૂરેપૂરો કરવો જોઇએ. લોકોની બુદ્ધિને પહોંચવું હોય, અને જાગ્રત કરવી હોય તો મારો રસ્તો સહેલામાં સહેલો છે એમ મને લાગે છે.

સેવક લોકોને આ જ્ઞાન વિલાસી જીવન ગાળીને નહીં આપી શકે. એની પાસે તો ઓજારો હશે, વાંસલો હશે; કેદાળી હશે; ચોપડી થોડી જ હશે. ચોપડી વાંચવામાં એ ઓછામાં ઓછો સમય ગાળતો હશે. લોકો જ્યારે એને મળવા આવે ત્યારે એને પડ્યો પડ્યો પાનાં ઉથલાવતો નહીં જુએ. પણ ઓજારો વાપરતો જોતા હશે. માણસ ખાઇ શકે તેના કરતાં વધારે ઉત્પન્ન કરવાની શક્તિ એને ઇશ્વરે આપેલી છે. ક્ષીણમાં ક્ષીણ માણસ પણ એટલું ઉત્પન્ન કરશે. એ માટે એ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરશે. લોકોને એ કહેશે કે હું સેવા કરવા આવ્યો છું, મને પેટપૂરતું આપજો. કોઇક ઠેકાણે સનાતનીઓ એને ખાવાનું નહીં આપે, તો હરિજનો તો આપશે જ. એણે જો સર્વાર્પણું કર્યું હોય તો હરિજનો પાસેથી લેતાં શરમાવતી જરૂર નથી.

પ્રથમના કાળમાં તો તે સામાજિક ફાળામાંથી ગામડામાં નભશે. આધ્યાત્મિક શક્તિ એક વાર ચાલતી થઇ કે પછી તેને રોકી શકતું નથી. આ વાત હું અનેક વર્ષોના અનુભવસિદ્ધ વિશ્વાસથી કહું છું. એ પ્રત્યક્ષ નજરે જોઇ શકાય એવી વસ્તુ નથી, છતાં નજરે જોવા જેવી મને સ્પષ્ટ લાગે છે, એમ હું કહું છું.

જો તમે મને એમ કહો કે આને માટે અમે કોઇ લાયક નથી, તો હું તમને મારું કહેવું બરાબર સમજાવી નથી શકયો. જો આ વાત તમને નિઃસંશયપણે ઠસી ગઇ હોય તો તમે બધાયે લાયક છો. એટલે કે જે વસ્તુ તમે સમજ્યા છો એનો અમલ કરી નથી શક્યા એ હકીકત જવામાં વિઘ્નરૂપ ન હોવી જોઇએ. કેમ કે ગામડાંમાં બેસીને અમલ કરવાનો છે. અને અમલ કરતાં કરતાં અનુભવ મળી રહેશે.૪

ગ્રામસેવાના મુદ્દા

ગ્રામસેવક સૌથી પહેલાં સફાઇના પ્રશ્નોનો નિકાલ કરશે. ગ્રામસેવકોને હંફાવી રહેલી ને લોકોનાં શરીરની પાયમાલી કરીને રોગનાં ઘર ઘાલનારી અનેક વસ્તુઓમાં સૌથી વધારે ઉપેક્ષા આની થઇ છે. ગ્રામસેવક જો સ્વેચ્છાએ ભંગી બને તો તેગામના મળ ઉઠાવી તેનું ખાતર બનાવવાના ને ગામની શેરીઓ વાળવાના કામથી આરંભ કરશે. શૌચાદિ માટે ક્યાં જવું અને એ ક્રિયાઓ કેવી રીતે કરવી એ તે લોકોને કહેશે, અને સફાઇની ઉપયોગિતા સમજાવી એ વિષે બેદરકારી રાખવાથી થતાં ભારે નુકસાનનો ચિતાર તેમને આપશે. ગ્રામવાસીઓ પોતાનું કહેલું સાંભળે તોયે ગ્રામસેવક પોતાનું કામ કર્યે જશે.૫

ગ્રામોદ્ધારમાં ગ્રામસફાઇ ન આવે તો આપણાં ગામડાં ઉકરડા જેવા જ રહેવાનાં. ગ્રામસફાઇનો સવાલ પ્રજાજીવનનું અવિભાજ્ય અંગ છે. આ પ્રશ્ન જેટલો જરૂરી છે એટલો જ મુશ્કેલ છે. અનાદિકાળથી ચાલતી આવેલી અસ્વચ્છતાની આદત કાઢવામાં મહાપરાક્રમની જરૂર છે. જે સેવક ગ્રામસફાઇનું શાસ્ત્ર નથી જાણતો, પોતે ભંગી નથી બનતો તે ગ્રામસેવાનો લાયક નહીં બની શકે.

નવી કેળવણી વિના હિંદુસ્તાનનાં કરોડો બાળકોની કેળવણી લગભગ અસંભવિત છે એમ સર્વમાન્ય થયું ગણી શકાય. એટલે ગ્રામસેવકને તેનું જ્ઞાન હોવું જોઈએ. તે નવી કેળવણીનો શિક્ષક હોવો જોઇએ.

આ કેળવણીની પાછળ પ્રૌઢશિક્ષણ એની મેળે ચાલવાનું. જ્યાં નવી કેળવણીએ ઘર કર્યું હશે ત્યાંનાં બાળકો જ પોતાનાં માબાપનાં શિક્ષક બનવાનાં છે. ગમે તેમ હો, ગ્રામસેવકોમાં પ્રૌઢશિક્ષણ આપવાની ધગશ હોવી જોઇએ.

સ્ત્રીને અર્ધાંગના માનવામાં આવી છે. જ્યાં લગી કાયદામાં સ્ત્રીપુરુષના સરખા હક નથી ગણાયા, જ્યાં સુધી બાળાનો જન્મ એટલો જ આવકારલાયક નથી ગણાયો જેટલો બાળકનો ગણાય છે. ત્યાં લગી હિંદુસ્તાનને લકવાનો રોગ છે એમ ગણાવું જોઇએ. સ્ત્રીની અવગણના અહિંસાની વિરોધી છે. એટલે ગ્રામસેવક હરેક સ્ત્રીને પોતાની મા, બહેન કે દીકરી ગણે અને તેના પ્રત્યે આદર રાખે. આવો ગ્રામસેવક જ ગ્રામજનોનો વિશ્વાસ હાંસલ કરશે.

રોગી પ્રજા સ્વરાજ મેળવે એ હું અસંભવિત ગણું છું. એટલે આરોગ્યશાસ્ત્રની જે અવગણના આપણે કરીએ છીએ તે દૂર થવી જોઇએ. તેથી ગ્રામસેવકને આરોગ્યશાસ્ત્રનું સામાન્ય જ્ઞાન હોવું જોઇએ.

રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર ન બને. હિંદી હિંદુસ્તાનની ઉર્દૂના ઝઘડામાં ન પડતાં ગ્રામસેવક રાષ્ટ્રભાષાનું જ્ઞાન નહીં હોય તો મેળવશે. તેની બોલી એવી હશે કે જે હિંદુ મુસલમાન બધા સરજી શકે.

આપણે અંગ્રેજીના મોહમાં તણાઇ માતૃભાષાઓનો દ્રોહ કર્યો છે. એ દ્રોહના પ્રાયશ્ચિત તરીકે પણ રાષ્ટ્રસેવક માતૃભાષાનો પ્રેમ લોકોમાં ઉત્પન્ન કરશે. તેનામાં હિંદુસ્તાનની બધી ભાષાઓનો આદર હશે; ને પોતાાની માતૃભાષા ગમે તે હશે પણ જ્યાં તે વસશે ત્યાંની માતૃભાષા પોતે શીખી તે પ્રદેશના લોકોનો તેમની પોતાની ભાષા પ્રત્યેનો ભાવ વધારશે.

આ બધું ફોગટ ગણાય જો એની સાથે જ આર્થિક સમાનતાનો પ્રચાર ન થાય તો. આર્થિક સમાનતાનો એ અર્થ હરગિજ નથી કે બધાની પાસે એકસરખું ધન હશે. પણ એ અર્થ અવશ્ય છે કે સહુની પાસે સુખેથી રહી શકાય એવાં ઘરબાર, વસ્ત્ર ને ખાવાનું હશે. અને જે ખૂની અસમાનતા આજે પ્રવર્તે છે એ કેવળ અહિંસક ઉપાયોથી નાબૂદ થશે હશે.૬

ગ્રામસેવકોને ઉદ્દેશીને

ઉદ્યોગોમાં ખાદીને પ્રધાન સ્થાન રહેશે જ. આપણે સ્વાવલંબી ખાદી સિદ્ધ કરશું તો વ્યાપારી ખાદી ઉપર તો સહેલાઇથી પહોંચી શકશું.

આપણે ગામડાંમાં પ્રવેશ કર્યો છે તો ગામડાંનાં જીવનનું એક પણ અંગ અસ્પૃષ્ટ નથી રાખવા માગતા. એક પણ ક્ષેત્ર કે દુકાન ખોટથી ન ચાલે, અને દરેક ક્ષેત્ર સ્વાવલંબી ખાદી ઉપર પોતાની શક્તિ એકાગ્ર કરે. એ જ રીતે ઉદ્યોગમાં પણ આપણે એવી જ ચીજ પેદા કરીએ અને કરાવી અને કરાવીએ કે જે આપણે વેચી શકીએ. દરેક સેવક પ્રજાનું શુદ્ધ લાભદાયક કાર્ય આઠ કલાક કરીને સ્વાશ્રયી બની શકે છે.

વળી આપણે કોઇ પણ ગામમાં એકથી વધારે માણસ નથી રાખવા માગતા. એ એટલા હેતુથી કે ગામને એકથી વધારે માણસનો બોજો ન સહન કરવો પડે, એટલું જ નહીં પણ માણસ એકલો હોઇ પોતાની શક્તિ અંતિમ હદ સુધી લઇ જઇ શકે. જો એને કોઇ સાથી જોઇએ જ તો ગામડાંમાંથી જ એ સાથી શોધી લે.

યંત્રયુગમાં ફસાવાને બદલે આપણું યંત્ર જે આપણું શરીર છે તે હંમેશાં સ્વચ્છ અને સશક્ત રાખીને તેનો ઉપયોગ કરશું તો ભારતને સુવર્ણભૂમિ કરતાં બહુ મુશ્કેલી નહીં પડે.૭

મંછા ભૂત

ઘણા કર્યકર્તાઓ ગામડાંના જીવનથી એટલા ડરે છે કે એમને બીક લાગે છે કે જો એમને કોઇ સંસ્થા પગાર નહીં આપે તો-ખાસ કરીને તેઓ પરણેલા હોય અને કુટુંબનું પોષણ કરવાનું હોય તો-તેઓ ગામડાંમાં મજૂરી કરીને પોતાની આજીવિકા નહીં મેળવી શકે. હું માનું છું કે આ માન્યતા અવનતિ કરાવનારી છે. હા, જો કોઇ માણસ શહેરી માનસ લઇને ગામડામાં જાય અને ગામડામાં શહેરી રહેણીથી રહેવા માગે તો, તે શહેરી લોકોની જેમ ગામડાના રહીશોને ચૂસે તે સિવાય પૂરતી કમાણી નહીં જ કરી શકે. પણ કોઇ માણસ ગામડામાં જઇને વસે અને ગામડાના લોકોની ઢબે જ રહેવાનો પ્રયત્ન કરે તો એને પરસેવો પાડીને આજીવિકા મેળવતાં કશી મુસીબત ન આવવી જોઇએ. તેના મનમાં એટલો વિશ્વાસ હોવો જોઇએ કે જો ગામડાના લોકો જેઓ આખું વરસ બુદ્ધિ વાપર્યા વિના જૂના જમાનાથી ચાલતી આવેલી રીતે વૈતરું કરવાને તૈયાર છે તેઓ આજીવિકા મેળવી શકે છે, તો તે પોતે પણ ઓછામાં ઓછી સામાન્ય ગ્રામવાસીઓના જેટલી કમાણી તો કરી જ શકશે. આટલું તે એક પણ ગ્રામવાસીઓનો રોટલો છીનવી લીધા વિના કરશે, કેમ કે ગામડામાં મફતનું ખાનાર તરીકે નહીં પણ કંઇક ઉત્પન્ન કરનાર તરીકે જશે.

કાર્યકર્તાનું કુટુંબ જો સામાન્ય કદનુંહોય તો તેની સ્ત્રી અને બીજું એક માણસ આખો વખત કામ કરનાર હોવાં જોઇએ. આવા કાર્યકર્તામાં તત્કાળ ગ્રામવાસીઓના જેટલું શરીરબળ નહીં આવી જાય, પણ તે જો માત્ર મનમાંથી સંકોચ અને ભય કાઢીનાખશે તો શરીરબળના અભાવની ખામીને તે પોતાની બુદ્ધિથી પૂરી કાઢશે. તેનો બધો વખત ગ્રામવાસીઓની સેવામાં રોકાઇ જાય એટલે અંશે તેઓ તેનું કામ વધાતી ન લે તો તે કેવળ તૈયાર માલનો વાપરનાર જ નહીં રહે પણ કંઇક નવી નવી વસ્તુઓ પેદા કરતો હશે. તેનો બધો વખત સેવાકાર્યમાં રોકાઇ જશે ત્યારે તેના પ્રયત્નથી ગ્રામવાસીઓ જે વધારાનું ઉત્પાદન કરશે તેના પર કમિશન મેળવવા જેટલી મહેનત જેટલી મહેનત તેણે કરી જ હશે. પણ ગ્રામઉદ્યોગ સંઘના આશ્રય તળે જે થોડાક મહિનાથી ગ્રામસેવાનું કામ ચાલે છે તેટલામાં મળેલો અનુભવ બતાવે છે કે લોકો એ કામને બહુ જ ધીમે ધીમ વધાવી લેશે. અને ગ્રામસેવકે ગ્રામવાસીઓની આગળ સદ્‌ગુણ અને પરિશ્રમના નમૂનારૂપ બનીને રહેવું પડશે. એ તેઓને માટે સારામાં સારો પદાર્થપાઠ થઇ પડશે. અને જો ગ્રામસેવક દૂરથી પૂજવાનો આશ્રયદાતા બનીને નહીં પણ ગામડાંનોજ માણસ બનીને રહેશે તો એ પદાર્થપાઠની અસર મોડી વહેલી થયા વિના નહીં જ રહે.

તેથી સવાલ એ છે કે ગ્રામસેવક તેણે પસંદ કરેલા ગામડામાં આજીવિકા અપાવે એવું શું કામ કરી શકે ? ગ્રામવાસીઓ મદદ કરે કે નહીં તોપણ તે અને તેનાં કુટુંબીઓ ગામડાની સફાઇ કરવામાં કેટલોક તે આપશે, અને જેટલી દવા વગેરે દવા વગેરે આપવાની તેની શક્તિ હશે તેટલી તે આપશે. રેચની દવા કે ક્વિનીન આપવું, ુગૂચડું કે ઘા ધોવા, અને ઘા પર ચોખ્ખો મલમ લગાડવો, એટલું તો કોઇ પણ માણસથી બની શકે એવું છે. ગામડાંમાં દરરોજ થતાં સામાન્ય દરદોમાં સાદામાં સાદા કેવા ઉપચાર કરવા એનું વર્ણન આપતી કોઇ ચોપડી હું ખોળી રહ્યો છું. ગમે તેમ હો પણ આ બે વસ્તુઓ ગ્રામસેવાના અનિવાર્ય અંગરૂપ હોવી જોઇએ. ગ્રામસેવકને માટે આઠ કલાકના કામ જેવી વસ્તુ જ નથી તેને માટે ગ્રામવાસીને માટે મજૂરી કરવી એ તો પ્રેમને ખાતર કરેલું કામ છે. એટલે આજીવિકાને અર્થે તો આ બે કલાક ઉપરાંત ઓછામાં ઓછા આઠ કલાક આપશે જ. એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચરખા સંઘ અને ગ્રામઉદ્યોગ સંઘે ઘડેલી નવી યોજના પ્રમાણે સર્વ પ્રકારની મજૂરીની ઓછામાં ઓછી અમુક સરખી કિંમત ગણવાની છે. એટલે એક કલાક પીંજણ ચલાવીને સરેરાશ અમુક પ્રમાણમાં પોલ કાઢનાર પીંજારાને એટલી જ મજૂરી મળશે જેટલી વણકર, કાંતનાર અને કાગદીને તેમના દરેકના કલાકદીઠ ઠરાવેલા પ્રમાણમાં કરેલા કામની મળશે. એટલે ગ્રામસેવક જે કામ સહેલાઇથી કરી શકે તે પસંદ કરીને શીકવાની તેને છૂટ છે, માત્ર તેણે હમેશાં એવું કામ કરવાની કાળજી રાખવી જોઇએ કે જેમાંથી પેદા થયેલો માલ તેના ગામડાંમાં કે આસપાસના ગાળમાં ખપી જાય એવો હોય કે જેની આ સંઘોને જરૂર હોય.

દરેક ગામડામાં એક મોટી જરૂર પ્રામાણિકપણાથી ચાલતી એક એવી દુકાનની છે કે જયાં મૂળ કિંમત અને માફકસરનું કમિશન ચડાવીને ભેગ વિનાની ખોરાકની અને બીજી ચીજો મળી શકે. કોઇ પણ દુકાન ગમે એટલી નાની હોય તોય તેને માટે કંઇક મૂડીની જરૂર તો પડે જ છે. એ વાત સાચી. પણ જે ગ્રામસેવક તેના કાર્યક્ષેત્રમાં જરા પણ જાણીતો થયો હોય તેણે પોતાની પ્રામાણિકતાવિષે લોકોનો એટલો વિશ્વાસ તો સંપાદન કર્યો જ હોવો જોઇએ કે થોડો થોડો જથ્થાબંધ માલ તેને ઉધાર મળી શકે.

આ કામ વિષેની સૂચનાઓને હું બહું નહીં લંબાવું. અવલોકન કરવાની ટેવવાળો સેવક હંમેશાં અગત્યની શોધખોળ કર્યા કરશે અને થોડા જ વખતમાં જાણી લેશે કે આજીવિકા મેળવવા માટે પોતાનાથી થઇ શકે એવી કઇ મજૂરી છે જે સાથે સાથે જે ગ્રામવાસીઓની તેને સેવા કરવાની છે તેમે પદાર્થપાઠરૂપ પણ થઇ પડે. તેથી તેણે એવી જાતની મજૂરી પસંદ કરવી પડશે જેનાથી ગામડાંના લોકોનું શોષણ ન થાય, તેમનાં આરોગ્ય કે નીતિ બગડે નહીં, પણ જેનાથી ગ્રામવાસીઓને એવું શિક્ષણ મળે કે તેઓ ફુરસદના વખતનો સદુપયોગ થાય એવા ઉદ્યોગો ઉપાડી લે અને એમની નાનકડી આવકમાં વધારો કરે. અવલોકન કરતાં કરતાં તેનું ધ્યાન ગામડામાં નકામી પડી રહેલી ચીજો-ઘાસપાલો અને ગામડામાં જમીન પર પડી રહેલી કુદરતી ચીજો-સુધ્ધાં તરફ ગયા વિના નહીં રહે. તે તરત જ જોશે કે એમાંથી ઘણી ચીજોનો સારો ઉપયોગ થઇ શકે એમ છે. તે જો ખાઇ શકે એવો પાલો ઉપાડી લે તો એ તેના ખોરાકનો અમુક ભાગ કમાઇ લીધા બરાબર ગણાશે. મીરાંબહેને મનેે સુંદર આરસના જેવા કાંકરાનું એક સંગ્રહાલય આપ્યું છે. એ કાંકરા જેવા છે એવા પણ અનેક કામમાં આવે છે, અને જો મારી પાસે ફુરસદ હોય અને એના વિવિધ આકારો ઘડવાને સાદાં ઓજારો ખરીદવામાં હું થોડાક પૈસા રોકું તો તેને થોડા વખતમાં બજારમાં વેચાઇ શકે એવા બનાવી દઉં. કાકાસાહેબને વાંસનો નકામો પડેલો છોલ આપવામાં આવેલો હતો. એનો ઇંધણ તરીકે જ ઉપયોગ થવાનો હતો.પણ કાકાસાહેબે તો સાદા ચપ્પુથી ઘડીઘડીને કેટલાકની કાગળ કાપવાની છરી બનાવી અને કેટલાકના ચમચા બનાવ્યા. આ બંને વસ્તુઓ, મર્યાદિત પ્રમાણમાં બજારમાં વેચાઇ શકે એવી છે. મગનવાડીમાં કેટલાક સેવકો ફુરસદનો વખત નકામાં પણ એક બાજુ કોરા કાગળમાંથી પરબીડીયાં બનાવવામાં ગાળે છે.

ખરી વાત એ છે કે ગામડાના લોકો છેદ જ હતાશ થઇ ગયેલા છે. તેમને શંકા આવે છે કે દરેક અજાણ્યા માણસ તેમનાં ગળાં રેંસવા માગે છે ને તેમને ચૂસવા સારુ જ તેમની પાસે જાય છે. બુદ્ધિ અને શરીરશ્રમનો સંબંધ તૂટી જવાને લીધે એમની વિચાર કરવાની શક્તિ બહેર મારી ગઇ છે. એમના કામના કલાકોનો તેઓ સારામાં સારો ઉપયોગ કરતા નથી. એવાં ગામડાંમાં ગ્રામસેવકે પ્રેમ અને આશા લઇને પ્રવેશ કરવો જોઇએ; અને મનમાં દૃઢ પ્રતીતિ રાખવી જોઇએ કે જ્યાં સ્ત્રીપુરુષો બુદ્ધિ વાપર્યા વિના વૈતરું કરે છે અને અડધું વરસ બેકાર બેસી રહે છે ત્યાં પોતે આખું વરસ કામ કરતાં અને બુદ્ધિની સાથે શ્રમનો સંયોગ કરતાં ગ્રામવાસીઓનો વિશ્વાસ સંપાદન કર્યા વિના અને તેમની વચ્ચે રહીને મજૂરી કરતાં પ્રામાણિકપણે ને સારી રીતે આજીવિકા મેળવ્યા વિના નહીં રહે.

પણ ગ્રામસેવાનો ઉમેદવાર કહે છે, ‘મારાં છોકરાં અને તેમની કેળવણીનું શું ?’ જો એ છોકરાંને આધુનિક પદ્ધતિએ શિક્ષણ આપવાનું હોય તો મારાથી કંઇ રસ્તો બતાવાય એમ નથી. એમને નીરોગી, કદાવર, પ્રામાણિક, બુદ્ધિશાળી, અને તેમનાં માતાપિતાએ સ્વીકારેલાં નિવાસસ્થાનમાં ગમે ત્યારે આજીવિકા મેળવવાને શક્તિમાન એવાં ગ્રામવાસીઓ બનાવવાં હોય, તો તેમને માતાપિતાના ઘરમાં જ સર્વાંગીણ કેળવણી મળશે. વધારામાં તેઓ સમજણાં થાય અને પદ્ધતિસર હાથપગ વાપરતાં થાય ત્યારથી કુટુંબની કમાણીમાં કંઇક ઉમેરો કરવા લાગશે. સુઘડ ઘરના જેવી કોઇ નિશાળ નથી, અને પ્રામાણિક સદ્‌ગુણી માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઇ શિક્ષક નથી. આજનું હાઇસ્કુલનું શિક્ષણ ગ્રામવાસીઓ પર મોટા બોજારૂપ છે. એમનાં બાળકોને એ કદી મળી શકવાનું નથી, અને ઇશ્વરકૃપાએ જો એમને સુઘડ ઘરની તાલિમ મળી હશે તોએ શિક્ષણની ખોટ તેમને કદી સાલવાની નથી. ગ્રામસેવક કે સેવિકામાં સુઘડતા ન હોય, સુઘડ ઘર ચલાવવાની શક્તિ ન હોય તો તે ગ્રામસેવાનું સદ્‌ભાગ્ય કે માન મેળવવાનો લોભ ન રાખે એ જ સારું છે.૮

ગ્રામસેવકોના પ્રશ્નો

(ગ્રામસેવકોએ કેટલાક પ્રશ્નો-સિદ્ધાંત અને નીતિના-ગાંધીજીને માટે જ રાખ્યા હતા. તે ગાંધીજીએ પૂછવામાં આવ્યા. પ્રશ્નો ગ્રામસેવકના ધર્મો, તેની આજીવિકાનાં સાધનો, શરીરશ્રમ, રોજનીશી, દૂબળાઓની સેવાને લગતા હતા.)

ગ્રામસેવકનો મોટામાં મોટો ધર્મ સેવા કરવી ! પણ એ સેવા કરતાં ગ્રામસેવકે એકાદશવ્રત ધ્યાનમાં રાખીને જ કામ કરવું.

આ એકાદશવ્રત તો હવે વિનોબાએ રચેલા બે શ્લોકોમાં મુકાયેલાં છે અને ઘણાખરા કાર્યકર્તાઓ પ્રાર્થના સમયે એમનું સ્મરણ કરે છે :

()

‘ગ્રામસેવકે આજીવિકાનું સાધન કેવી રીતે મેળવવું ? એણે આજીવિકા સંસ્થા મારફતે મેળવવી કે મજૂરી કરીને મેળવવી કે ગામડાંમાંથી જ લેવી ?’

ગ્રામસેવકે ગામના આશ્રિત થઇને રહેવું જોઇએ. એવી રીતે રહેવામાં શરમ નથી, ઊલટી નમ્રતા છે. હા, ગામડામાં રહીને કોઇ સ્વેચ્છાચારી બની શોખ પણ કરવા ધારે તો કરી શકે,પણ મને વિશ્વાસ છે કે એવા માણસને નભાવે એવાં આપણાં ગામડાં મૂરખ નથી. ગ્રામસેવક ગામડાંના માણસો પાસેથી પોતાના પેટપૂરતું અનાજ અનેં સીધું ઉઘરાવી લે, કાંઇક પરચૂરણ ખર્ચને માટે જૂજજાજ પૈસા જોઇએ તો તે માગે, જોકે એ ઉઘરાવવાપણું ન હોય ્‌એમ મારું માનવું છે. ગામડાંએ એને નોતર્યો હશે તો એનો અનાદર નથી થવાનો. હા; કોઇ વાર એવો અનાદર થવાનો પ્રસંગ આવે-જેમ મેં સત્યાગ્રહાશ્રમમાં અસ્પૃશ્યોને લીધા ત્યારે આવ્યો હતો-તો તે વેળા ગ્રામસેવક જાતમજૂરી કરીને નભાવી લે. સંસ્થાની મારફતે નભવાનો ધંધો લાંભો ન ચાલે. સુર્વણ માર્ગ તો એ છે કે ગામડાના આશ્રિત થઇને રહેવું, અને તેમ ન થાય તો મજૂરી કરીને રહેવું.

‘શરીરશ્રમ કરીને પોતાનો નિર્વાહ મેળવનારે પણ લોકની સેવા અર્થે એટલે યજ્ઞાર્થે કંઇક કામ તો કરવું જોઇએ કે નહીં ?’

હા, કરવું ઘટે, એવું કામ ભંગીકામ છે. એ તો માત્ર દાખલો આપું છું. એમ ન સમજતા કે ભંગીકામ એ ઉત્પાદક કામ નથી. એમો તો જેનો અપવ્યય થાય છે તે બચાવવાપણું છે જેમ ઘંટી હાથે ચલાવવામાં લોટ દળામણના પૈસા બચાવવાપણું છે. પણ બચાવવું એટલે જ ઉત્પન્ન કરવું.

‘ગ્રામસેવકે રોજનીશી કેવી રાખવી ?’

રોજનીશીમાં નિત્ય કામ હોય. પણ એ ઉપરાંત તેના મનના કામની પણ નોંધ હોય-મનમાં કંઇ મેલ ભરાયા છે કે નહીં, કંઇ વિચારનાં પાપ થયાં છે કે નહીં એ બધું લખાય તો ચિત્તશુદ્ધિ માટે એ આવશ્યક ખરું. પણ એ સાચેસાચું લખવાની સૌની શક્તિ હોતી નથી, એટલે પછી કાં તો તેમાં દંભ કે અસત્યનું પ્રદર્શન થાય. આથી માનસિક પ્રવૃત્તિની રોજનીશી રાખવી કે ન રાખવી એ ગ્રામસેવકની શકિત અને ઇચ્છા ઉપર આધાર રાખે છે. પણ કામની નોંધ પૂરેપૂરી હોવી જોઇએ. એમાં કેવળ લખ્યું હોય કે ‘કાંત્યું’ એ નહીં ચાલે. કાંત્યું તો કેટલો સમય કાંત્યું, ઉતારતાં કેટલી વાર લાગી, કેટલું તૂટયું એ બધી વિગત હોય તો રોજ થતી પ્રગતિની પણ ખબર પડે. ‘રસોડાનું કામ કર્યું’, એ કાંઇ ખરી નોંધ ન કહેવાય. રસોડામાં બેસીને તડાકા પણ માર્યા હોય, એટલે રસોડામાં આટલું શાક મોળ્યું, રોટલી કરી, અથવા પીરસ્યું વગેરે વિગતો આવવી જોઇએ. ટૂંકામાં રોજનીશી શુષ્ક ન હોય, ખોટી ન હોય, અધૂરી ન હોય.

દૂબળાની સેવા કરવી એટલે દૂબળાના જેવા થવું, એ જે કષ્ટો સહન કરે છે તે સહન કરી જોવાં એટલે એ મેલામાં રહેતો હોય તો મેલામાં રહેવું કે એ એઠું ખાતો હોય તો એઠું ખાવું એમ નહીં, પણ એનાં કષ્ટોની તપાસ કરીને એને દુઃખે દુઃખી થતાં શીખવું, એના માલિકની સાથે મીઠો સંબંધ ધરાવવો અને એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવો.

‘ગ્રામસેવકે રાજકાજમાં પડવું કે નહીં ?’

રાજદ્ધારી કામોને છોડીને ગામડાના જેટલા પ્રશ્નો હોય તે બધા એ હાથે ધરે. એથી એ ખરો રાજપુરુષ બનશે. મહાસભાનો એ સભ્ય થાય, પણ મહાસભાના રાજકાજમાં એ માથું ન મારે. મેં ચંપારણમાં એ જ નિયમ રાખ્યો હતો. આજની વિષમ સ્થિતિમાં પડ્યા છીએ ત્યાં સુધી આપણે બે ઘોડે ન ચડી શકીએ. ગ્રામઉદ્યોગ સંઘ અને અ. ભા. ચરખા સંઘ પણ મહાસભાની સંસ્થા છે, છતાં બંને સંસ્થાને સ્વતંત્ર રાખી છે ને ? એ નિયમને લઇને જ બંને સંસ્થા બચી ગઇ છે. એમાં જ અહિંસા રહી છે. હિંદુસ્તાનને શુદ્ધ સ્વરાજ્ય આ રીતે મળવું જ શક્ય છે, એ આપણે બીજી રીતે ન બતાવી શકીએ.

ગ્રામસેવક ગામડાના ઝઘડાઓમાં પણ માથું ન મારે, નહીં તો એ ઝઘડાઓમાં એ ખુંચી જવાનો છે. એણે પોતાની કુટેવો છોડીને ગામડામાં જવું જોઇશે. સંભવ છે કે કોઇ દિવસ હું ગામડામાં જઇને બેસું, તો તે વેળા મારે કઇ વસ્તુ લઇને જવું અને કઇ વસ્તુ છોડવી એ વિચારી લેવું જોઇશે. ઘણી વસ્તુઓ સાવ નિર્દોષ હોય છતાં તે ગામડાના લોકોને ન પોસાઇ શકે એવી હોય તો તેનો ત્યાગ જ કરવો રહ્યો. ગ્રામસેવકે ઓછામાં ઓછી હાજતો રાખીને જ ગામડામાં જવું જોઇએ. એયાદ રાખજો કે જગતની ઉપર ચારે બાજુથી હુમલા થઇ રહ્યા છે, અને જગત વંઠી રહ્યું છે. આ છતાં જે ન વંઠી શકે એ જ ગામડાંને બચાવશે.

બાઇબલમાં કહ્યું છે ને કે સોડમ અને ગોમારા શહેરોમાં એક માણસ સ્વચ્છ હોય ત્યાં સુધી તેનો નાશ ન થાય અને આપણે ત્યાં પણ એક વિભીષણને ખાતર લંકા બચી હતી ને ?૯

‘દૂધ અને ફળ ગ્રામવાસીઓને કદી મળતાં નથી તે ગ્રામસેવક લઇ શકે કે કેમ ?’

ગ્રામસેવકે મુખ્ય વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે એ ગ્રામવાસીઓની સેવા કરવાીને ગામડામાં ગયેલો છે, અને એ સેવા કરવા જેટલાં આરોગ્ય અને બળ ટકી રહે એને સારુ જે આહાર નેબીજી ચીજોની એને જરૂર પડે તે લેવાનો એને અધિકાર છે, એનો ધર્મ છે. આમ કરતાં ગ્રામસેવકે ગ્રામવાસીઓ કરતાં વધારે ખરચાળ રહેણી રાખવી પડશે ખરી, પણ મારો ખ્યાલ એવો છે કે ગ્રામસેવકો આવી આવશ્યક વસ્તુઓ લે એની ગ્રામવાસીઓ ફરિયાદ કરતા નથી. ગ્રામસેવકનો અંતરાત્મા જ એના આચરણની કસોટી કરે. તે સંયમથી રહે, સ્વાદને ખાતર કશું ન ખાય. મોજશોખ ન કરે, અને જાગે એટલો વખત સેવાકાર્યમાં ઓતપ્રોત રહે. આમ છતાં સંભવ છે કે કેટલાક લોકો એની રહેણીકરણીની નિંદા કરશે. એ નિંદાને આપણે ન ગણકારીએ. મેં જે આહાર સૂચવ્યો છે તે થોડીક મહેનત કરવાથી ગામડાંમાં ન મળી શકે એમ નથી. દૂધ સામાન્ય રીતે ગામડાંમાં સહેજે મળે છે. અને બોર અને ગામડાંમાં અનેક જાતની વનસ્પતિ ઢગલાબંધ ઊગે છે, પણ આપણે કેવળ અજ્ઞાન કે આળસને લીધે એનો ઉપયોગ કરતા નથી. હું પોતે અનેક જાતની મને લાગે છે કે મારે એ ખાવી જોઇતી હતી. ગામડાંમાં ગાય રાખવી પોસાય ને એનું ખરચ તો એ કાઢે. મેં એ પ્રયોગ કર્યો નથી, પણ મને લાગે છે કે એ વસ્તુ શક્ય હોવી જોઇએ. મને એવો પણ ખ્યાલ છે કે ગ્રામસેવકોના જેવો જ આહાર મેળવવો ને ખાવો અને એ રીતે ગ્રામસેવકના જેવી જ રહેણી, એ ગ્રામવાસીઓને સારુ અશક્ય નથી.૧૦

સ૦-આપણા લગભગ એકેએક ગામમાં પક્ષો અને તેડો હોય છે. એટલે ગામડાંની સેવાને અર્થે આપણે સ્થાનિક એટલે કે તે તે ગામની મદદ માગતા જઇએ છીએ ત્યારે આપણી મરજી હોય કે ન હોય તોયે આપણે ત્યાંના સત્તા માટેની ચડસાચડસીના રાજકારણમાં સંડોવાઇએ છીએ. આ મુશ્કેલી કેવી રીતે ટાળવી ? બંને પક્ષોથી અળગા રહેવાની કોશિશ કરી આપણે બહારના કાર્યકર્તાઓની મદદથી કામ ચાલુ રાખવું ? અમને એવો અનુભવ થયો છે કે એવી રીતે ચાલુ રાખવામાં આવતું કામ પછી બહારની મદદ મળતી રહે તો જ ચાલે છે. અને એવી મદદ મળતી બંધ થાય તેની સાથે તૂટી પડે છે. એટલે સ્થાનિક વસ્તીનો સહકાર અને આગળ પડીને કામ કરવાની તેની સૂઝ કેળવવાને અમારે શું કરવું ?

જ૦-આપણાં શહેરોમાં જેમ પક્ષો અને તડ જોવાનાં મળે છે તેવી જ રીતે આપણાં ગામડાંઓમાં પણ પક્ષાપક્ષી દેખાતી હોય તો હિંદુસ્તાનને માટે અફસોસ કરવા જેવું થાય. અને ગામડાંઓના કલ્યાણનો વિચાર ન રાખતાં સત્તાનો કબજો કરવાની ચડસાચડસીનું રાજકારણ પક્ષોની પોતાની સત્તા વધારવાના હેતુથી આપણાં ગામડાંઓમાં દાખલ થાય તો તે ગામડાંની વસ્તીની પ્રગતિમાં સહાયરૂપ ન થતાં ઊલટું તેમાં બાધા કરશે. મારો પોતાનો એવો મત છે કે ગમે તેવું પરિણામ આવે તેની પરવા કર્યા વિના આપણે હાથે કશું બગડવાનો ઝાઝો સંભવ રહેતો નથી. આપણે યાદ રાખીએ કે શહેરોનાં અંગ્રેજી ભણેલાં સ્ત્રીપુરુષોએ આપણા મુલકના મુખ્ય આધારસમાં આપણાં ગામડાંઓ તરફ બેદરકાર રહેવાનો ગુનો કર્યો છે. એટલે આજ સુધીની આપણી બેપરવાઇ યાદ રાખવાથી આપણામાં ધીરજ કેળવાશે. આજ સુધી જે જે ગામે મારે જવાનું થયું છે ત્યાં એકાદ પ્રામાણિક કાર્યકર્તા મને મળ્યા વિના રહ્યો નથી. પણ ગામડાંઓમાંયે કંઇક સારું સ્વીકારવા જેવું હોય છે એવું માનવા જેટલા આપણે નમ્ર થતા નથી તેથી તે આપણને જડતો નથી. બેશક, સ્થાનિક પક્ષાપક્ષીથી આપણે પર રહેવું જ જોઇએ. પણ બધાયે પક્ષોની અથવા કોઇ પણ પક્ષની નહીં એવી સહાય ખરેખર સારી હોય તો તે સ્વીકારવી એટલું આપણે શીખીશું તો જ પક્ષાપક્ષીથી પર રહી શકીશું. ગામડાની મસ્તીથી અળગા રહીશું અથવા તેને આપણા કામથી અળગી રાખીશું તો આપણું કામએળે જશે એમ મને લાગે છે. આ મુશ્કેલીનું મને ભાન હતું તેથી જ એક ગામમાં એક જ કાર્યકર્તા મૂકવાના નિયમને હું કડકાઇથી વળગી રહ્યો છું ને માત્ર જ્યાં કાર્યકર્તાને બંગાળી નથી આવડતું ત્યાં જ તેની સાથે એક બંગાળી જાણનાર દુભાષિયો રાખવા પૂરતો મેં અપવાદ રાખ્યો છે. અત્યારે તો હું એટલું જ કહી શકું કે આ પદ્ધતિથી મારો હેતુ આજ લગી પાર પડ્યો છે. અહીં મારે એ પણ જણાવવું જોઇએ કે ઉતાવળે નિર્ણયો બાંધી લેવાના આપણને બૂરી આદત પડી ગઇ છે. સવાલ કરનાર ભાઇ કહે છે કે, ‘એવી રીતે ચાલુ રાખવામાં આવતું કામ પછી બહારની મદદ મળે તો જ ચાલે છે અને એવી મદદ મળતી (બહારની) બંધ થાય તેની સાથે તૂટી પડે છે.’ ગામડાંના લોકનો ગર્ભિત રીતે વાંક કાઢનારું આવું તળિયાઝાટક વિધાન કરવાને બદલે હું પોતે તો એમ કહીશ કે કોઇ પણ એક ગામમાં થોડાં વરસ રહી સ્થાનિક કાર્યકર્તાઓની મદદથી કાર્ય કરવાનો અનુભવ પણ ગામડાંના સ્થાનિક કાર્યકર્તા જાતે કામ આપી શકતા નથી અથવા તેમની મારફતે કામ થઇ શકતું નથી એવો અભિપ્રાય બાંધવાને માટે પૂરતો પુરાવો ન ગણાય. એથી ઊલટી વાત સાચી છે એ ઊઘાડું છે. તેથી સવાલના છેવટના ભાગનું વિગતે પૃથક્કરણ કરવાની મારે હવે જરૂર રહેતી નથી. મુખ્ય કાર્યકર્તાને હું સાફ શબ્દોમાં જણાવું કે ‘બહારની મદદ અત્યારે મળતી હોય તે લેવી બંધ કરો. જેટલી સ્થાનિક મદદ મળે તે બધી લઇને એકલા જાતે હિંમતથી ને સમજવી તમારું કામચલાવે. અને છતાં તમને યશ ન મળે તોયે બીજા કોઇ માણસનો કે સંજોગનો વાંક કાઢવાને બદલે તમારો પોતાનો જ વાંક કાઢતાં શીખો.’૧૧

તાલીમ લેતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત

સ૦-આ ગામડાના લોકો આપને મળવા આવે છે ખરા ?

જ૦-આવે છે, પણ એમના મનમાં ડર નથી એમ નહીં; વહેમ પણ હશે. ગામડાંના લોકોમાં જે ઘણી ખામીઓ છે તેમાંની આ એક છે. એ ખામીઓ આપણે દૂર કરવી રહી.

સ૦-કેવી રીતે ?

જ૦-તેમનો પ્રેમ સંપાદન કરીને. આપણે ત્યાં એમને કનડવા જઇએ છીએ એવો એમનો ડર આપણે કાઢી નાખવો જોઇએ, અને આપણા વર્તનથી એમને બતાવવું જોઇએ કે એમને કનડવાનો કે કંઇ પણ સ્વાર્થ સાધવાનો આપણો હેતુ નથી. પણ આ ધીરજનું કામ છે. તમારી દાનત સાફ છે એવી એમની ખાતરી તમે એકદમ નહીં કરાવી શકો.

સ૦-આપ નથી માનતા કે જેઓ પગાર કે મહેનતાણાં વગર કામ કરે છે, એટલે કે જેઓ કોઇ પણ સંસ્થા પાસેથી કે ગામડામાંથી પૈસા લેતા નથી તેઓ જ એમનો વિશ્વાસ સંપાદન કરી શકે ?

જ૦-ના. એ લોકોને ખબર પણ નથી હોતી કે કોણ પગાર લઇને કામ કરે છે ને કોણ લીધા વિના કરે છે. એમના પર ખરી અસર તો આપણી રહેણી, આપણી ટેવો, આપણી વાતચીત, ને આપણા હાવભાવ સુધ્ધાંની પડે છે. થોડાક માણસો આપણે કમાવા ગયા છીએ એવી શંકા આણશે. એમની એ શંકા આપણે દૂર કરવી જ જોઇએ. અને એમ નહીં માનતા કે જે માણસ કોઇ સંસ્થા કે ગામડા પાસેથી પૈસા નથી લેતો તે આદર્શ સેવક છે. એનામાં ઘણી વાર અહંકાર આવી જાય છે, તે માણસનું પતન કરનાર છે.

સ૦-આપ અમને ગામડાના ઉદ્યોગ શીખવો છો તે અમને આજીવિકાનું સાધન આપવા માટે, કે અમે ઉદ્યોગ ગામડાંના લોકોને શીખવી શકીએ એટલા માટે ? આ બીજો ઉદ્દેશ હોય તો અમે એક વરસમાં કોઇ પણ ઉદ્યોગમાં પારંગત શી રીતે થઇ શકીશું ?

જ૦-તમને સાધારણ ઉદ્યોગો શીખવવામાં આવે છે તે એટલા માટે કે તમે એના સિદ્ધાંતો જાણતા ન હો તો લોકોને સૂચનાઓ આપીને મદદ નહીં કરી શકો. તમારામાંથી જે વધારે સાહસી હશે તે ઉદ્યોગ કરીને તેમાંથી આજીવિકા જરૂર મેળવશે. આપણે અહીં જે ચીજો શીખવીએ છીએ તે એવી છે કે ગામડાના લોકોને તે વિષેનું વધારે સારું જ્ઞાન તમે આપી શકો. આપણે લોટની અને ચોખા ભરડવાની ઘંટીમાં અને ઘાણીમાં સુધારા કર્યા છે. આપણે ઓજારો સુધારવાના પ્રયોગો કરીએ છીએ. એ સુધારા આપણે લોકોને બતાવવાના છે. વળી વેપારમાં સત્ય અને પ્રામાણિકતા સાચવવાનું તો આપણે તેમને શીખવવાનું છે જ. તેઓ દૂધમાં ભેગ કરે છે, તેલમાં ભેગ કરે છે, અને નજીવા લાભને માટે સત્યમાં પણ ભેગ કરે. એમાં વાંક એમનો નથી, આપણો છે. આપણે અત્યાર સુધી એમની ઉપેક્ષા કરી છે, એમને લૂંટ્યાં છે. અને એમને કશું સારું શીખવ્યું નથી. એમની સાથે નિકટના સંસર્ગમાં આવીને આપણે સહેલાઇથી એમની રહેણી અને ટેવોમાં સુધારો કરાવી શકીશું. લાંબા વખતની ઉપેક્ષા અને અળગાપણાથી તેમની બુદ્ધિ અને નીતિભાવના પણ જડ થઇ ગઇ છે. આપણે તે સતેજ કરવી જોઇએ.૧૨

અંદરનો ભય

કોઇ પણ પ્રાણવાન પ્રવૃત્તિ કે સંસ્થા બહારના હુમલાથી મરતી નથી; અંદરના સડાથી જ મરે છે. ખરી જરૂર તો અણિશુદ્ધ કુંદન જેવા ચારિત્ર્યની, અવિરત પ્રયત્નની, સતત વધતી જતી કામની આવડતની, અને કડક સાદાઇવાળા જીવનની છે. જે સેવકોમાં ચારિત્ર્ય ન હોય, ગ્રામવાસીઓના સામાન્ય જીવન કરતાં જેમની રહેણી વધારે ખર્ચાળ હોય, અને જેમનામાં કામને માટે જોઇતી આવડતનો અભાવ હોય તેઓ હરિજનો કે બીજા ગ્રામવાસીઓ પર કશી છાપ ન પાડી શકે.

આ લીટીઓ લખતી વેળાએ જે સેવકોએ ચારિત્ર્ય કે સાદી રહેણીના અભાવને લીધે હિલચાલને અને તેમની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેમના દાખલા મને યાદ આવે છે. સદ્‌ભાગ્યે સ્પષ્ટ દુર્વર્તનના દાખલા બહુ જ ઓછા છે. પણ લાયકાતવાળા સેવકો ગામડાની રહેણીના ધોરણે રહી શકતા નથી એ જ કામની પ્રગતિમાં મોટામાં મોટું વિઘ્ન છે. જો એવો દરેક સેવક ગ્રામસેવાને ન પોસાય એટલી પોતાના કામની કિંમત લેવા માગે તો આખરે આ સંસ્થાઓ સંકેલી લેવી પડે. કેમ કે ક્વચિત્‌ અને ટૂંકી મુદતને માટેના અપવાદ સિવાય શહેરી ધોરણે પગાર આપવા પડે એનો અર્થ એ થયો કે શહેરો અને ગામડાં વચ્ચેનું અંતર ન પૂરી શકાય એવું છે. ગામડાંની હિલચાલ એ જેટલી ગ્રામવાસીઓની તેટલી જ શહેરવાસીઓને કેળવણીને માટે છે. શહેરમાંથી આવતા સેવકોએ ગામડાંનું માનસ કેળવવું રહ્યું છે. અને ગ્રામવાસીઓની ઢબે રહેવાની કળા શીખી લેવી રહી છે. આનો અર્થ એવો નથી કે તેમણે ગામડાના લોકોની પેઠે ભૂખે મરવું. પણ એનો અર્થ એવો તો અવશ્ય છે કે જૂની રહેણીમાં ધરમૂળથી પલટો થવો જોઇએ. ગામડાંની રહેણીનું ધોરણ ઊંચું થવું જોઇએ તેની સાથે શહેરી ધોરણમાં સારી પેઠે પરિવર્તન થવાની આવશ્યકતા છે. અને છતાં ગ્રામસેવકે એના આરોગ્યનેહાનિ કરે એવી રહેણી સ્વીકારવાની જરાયે જરૂર નહીં પડે.૧૩

આપણાં ગામડાં

એક જુવાન ગામડામાં રહીને આજીવિકા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાો છે. તેણે મને એક કરુણ કાગળ લખ્યો છે. તેહું ટૂંકાવીને નીચે આપું છું :

“ત્રણ વરસ પર મારી ઉંમર વીસ વરસની હતી ત્યારે, હું શહેરમાં ૧૫ વરસ રહ્યા પછી આ ગામડામાં આવ્યો. મારા ઘરના સંજોગો એવા હતા કે મારાથી કૉલેજમાં ભણવા જઇ શકાય એમ હતું નહીંં. આપે ગ્રામોદ્ધારનું કામ ઉપાડ્યું છે તે પરથી મને ગામડામાં રહેવાને ઉત્તેજન મળ્યું.મારે થોડીક જમીન છે. મારા ગામમાં અઢીએક હજારની વસ્તી છે. આ ગામડાના લોકોના નિકટના અહસાસ પછી મને એમાંના પોણા ભાગના લોકોમાં નીચેના અવગુણ દેખાય છે :”

૧. પક્ષાપક્ષી ને કજિયા; ૨. અદેખાઇ; ૩. નિરક્ષરપણું; ૪. દુષ્તા; ૫. કુસંપ; ૬. બેદરકારી; ૭. સભ્યતાનો અભાવ; ૮. જુની નિરર્થક રૂઢિઓનો વળગાડ; ૯. નિર્દયતા.

આ ગામ એક ખૂણે પડેલુંછે. કોઇ મોટા માણસ આવાં છેક ખૂણામાં આવેલા ગામડાંમાં કદી આવ્યા નથી. મહાપુરુષોનો સત્સંગ મળે તો માણસની પ્રગતિ થાય. એટલે મને આ ગામમાં રહેતાં ડર લાગે છે. હું આ ગામડું છોડી દઉં ? તો આપ મને શી સલાહ આપશો ?

આ જુવાન પત્રલેખકે જે ચિતાર આપ્યો છે તેમાં અતિશયોક્તિ તો જરૂર છે. છતાં એની વાત સામાન્યપણે સાચી માની શકાય. એ કરુણ સ્થિતિનું કારણ શોધવા દૂર જવું પડે એમ નથી. જે લોકોને શિક્ષણનો લાભ મળ્યો છે તેમણે દીર્ધકાળ થયાં ગામડાં તરફ નજર સરખી નથી કરી. તેમણે શહેરી જીવન પસંદ કર્યું છે. ગામડાંની હિલચાલ એ સેવાભાવથી પ્રેરાયેલા લોકોને ગામડાંમાં વસીને ગ્રામવાસીઓની સેવા દ્ધારા જ પોતાનો વિકાસ સાધવાને ને તે દ્ધારા જ પોતાનું હીર પ્રગટ કરવાને સમજાવવાનો એક પ્રયાસ છે. જે દોષો આ પત્રલેખકની નજરે ચડ્યા છે તે ગ્રામજીવનમાં સ્વભાવસિદ્ધ નથી. જેઓ સેવાભાવથી ગામડામાં વસ્યા છે તેઓ તેમની સામે આવી પડતી મુસીબતોથી હારતા નથી. તેઓ ગયા તે પહેલાંથી જાણતા હતા કે તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડશે; લોકો તેમની સામે ન જુએ, તેમના પર રીસ કરે, એ બધું સહેવું પડશે. એટલે જેમનામાં આત્મશ્રદ્ધા હશે તેમ જ પોતાનું કાર્ય વિશે શ્રદ્ધા હશે તેઓ જ ગ્રામવાસીઓની સેવા કરીને તેમનાં જીવન પર પ્રભાવ પાડી શકશે. લોકોની વચ્ચે રહીને ગાળેલું સદાચારી જીવન એ જ એક પદાર્થપાઠ છે, ને એની આસપાસના વાતાવરણ પર અસર પડવી જોઇએ. આ જુવાનની મુશ્કેલી કદાચ એ હશે કે તે કેવળ આજીવિકાને અર્થે જ ગામડામાં ગયો હશે ને તેની પાછળ સેવાની ભાવના નહીં હોય, હું કબૂલ કરું છું કે જેઓ પૈસા મેળવવા જાય છે તેમને આકર્ષક થાય એવું ગામડાના જીવનમાં કશું નથી. સેવાની ભાવના ન હોય તો ગ્રામજીવનની નવીનતા ઓસરી ગયા પછી ્‌એ જીવન નીરસ ને કર્કશ લાગે. કોઇ પણ જુવાન ગામડામાં ગયા પણ જરાક જેટલી મુસીબત આવી પડતાં પોતે આદરેલી પ્રવૃત્તિ છોડી ન દે. ધીરજપૂર્વક પ્રયત્ન કરવાથી દેખાઇ આવશે કે ગ્રામવાસીઓ નગરવાસીઓથી બહુ જુદી જાતના નથી હોતા ને તેમને પણ મમતા ને હેત બતાવવામાં આવે તો તેઓ તે સમજી શકે છે ને પાડ માને છે. ગામડામાં દેશના મોટા માણસોના સંબંધમાં આવવાની તક નથી મળતી એ વાત સાચી છે. જેમ જેમ ગ્રામવૃત્તિ વધતી જશે તેમ તેમ નેતાઓએ ગામડામાં ફરવાની ને તેમની સાથે પ્રત્યક્ષ સંબંધમાં આવવાની જરૂર જણાશે. વળી ચૈતન્ય, રામકૃષ્ણ, તુલસીદાસ, કબીર, નાનક, દાદુ, તુકારામ, તિરુવલ્લુવર અને બીજા એટલા જ પ્રસિદ્ધ અને પવિત્ર અગણિત સંતોની કૃતિઓ દ્ધારા દરેક માણસ મહાપુરુષો ને સંતોનો સત્સંગ સાધી શકે છે. મુશ્કેલી મનને શાશ્વત તૈયાર કરવાની છે. તેનું આકલન કરી શકે એવી રીતે વાળીને તૈયાર કરવાની છે. રાજકીય, સામાજિક, ્‌આર્થિક, વૈજ્ઞાનિક ક્ષેત્રોના આધુનિક વિચાર જોઇએ તો તેમાં પણ જિજ્ઞાસા તૃપ્ત કરી શકાય એટલું સાહિત્ય મળી શકે એમ છે. એટલું હું કબૂલ કરું છું ખરો કે જેટલી સહેલાઇથી ધાર્મિક સાહિત્ય મળે છે તેટલી સહેલાઇથી આ બીજા પ્રકારનું સાહિત્ય મળતું નથી. સંતો આમવર્ગને માટે લખતા ને બોલતા. આધુનિક વિચારોને આમવર્ગના લોકો સમજી શકે એવી રીતે આપણી દેશી ભાષાઓમાં વતારવાની પ્રથા હજુ બરાબર શરૂ થઇ નથી; પણ કાળે કરીને થવી જ જોઇશે. એટલે આ પત્રલેખક જેવા જુવાનોને મારી સલાહ એ છે કે તેઓ પોતાના પ્રયત્નમાં ખંતથી મંડ્યા રહે, અને પોતાની હાજરીથી ગામડાંને વધારે વસવાલાયક અને વધારે આકર્ષક બનાવે. એ કામ તેઓ ગ્રામવાસીઓને ભાવે એવી રીતે તેમની સેવા કરીને કરી શકશે. પોતાની મહેનતથી ગામડાંને વધારે સ્વચ્છ બનાવીને અને યથાશક્તિ નિરક્ષરપણું દૂર કરીને દરેક જણ એ સેવાકાર્યનો આરંભ કરી શકે છે. અને એમનું જીવન જો શુદ્ધ, વ્યવસ્થિત ને ઉદ્યમપરાયણ હશે તો તેઓ જે ગામડાંમાંકામ કરતા હશે તેમાં એનો ચેપ ફેલાયા વિના નહીં જ રહે.૧૪

ગ્રામસેવકની યાત્રા

શ્રી સીતારમ શાસ્ત્રીએ ગ્રામસેવકોની યાત્રાઓની યોજના કરી છે. એ સેવકો આસપાસના પ્રદેશમાં ફરીને લોકોને ગ્રામસેવાનો સંદેશો પહોંચાડે છે. મારી સૂચના એ છે કે આ યાત્રાઓએ રેલ, મોટર અને ગાડાંમાં પણ પ્રવાસ કરવાનું છોડવું જોઇએ. તેઓ મારી સલાહ માને તો જોશે કે એમનું કામ પગપાળા યાત્રા કરવાથી વધારે અસરકારક થશે અને ખરચ નહીં જેવું આવશે. આવા સંઘમાં બેત્રણથી વધારે માણસો ન હોય. ગ્રામવાસીઓ આ સંઘને ઉતારો ને ભોજન આપે એવી અપેક્ષા હું રાખું. મોટા સંઘ ગ્રામવાસીઓની ઉપર બોજારૂપ થઇ પડવાનો સંભવ રહે ખરો; પણ નાના સંઘ જરાયે બોજારૂપ ન લાગે.

આ સંઘોનું કામ મુખ્યત્વે ગામડાંની સફાઇ કરવાનું, ગામડાની સ્થિતિ તપાસવાનું, અને ગામડાંના લોકો ઝાઝા પૈસા ખરચ્યા વિના આરોગ્ય અને આર્થિક સ્થિતિ બંને કેવી રીતે સુધારી શકે તેનું તેમને શિક્ષણ આપવાનું છે.૧૫

જૂનાં ઓજારોમાં દખલ ન કરો

સેવકોએ બહોળો અનુભવ મેળવ્યા વિના જૂનાં ઓજાર, જૂની રીતો, અને જૂની ભાતોમાં દખલ ન કરવી જોઇએ. આજે હયાત છે એ જૂની ભૂમિકા ટકાવી રાખીને તેઓ સુધારા કરવાના વિચાર કરશે તો તેઓ સુરક્ષિત રહેશે. એમ કરતાં તેઓ જોશે કે એમાં જ સાચો અર્થ લાભ છે.૧૬

સમગ્ર ગ્રામસેવા

સમગ્ર ગ્રામસેવકે બધા ગામલોકોને ઓળખવા, તેમની જરૂરી સેવા કરવી, એટલે કે તે માટે સાધન મેળવી આપવું અને તેમને તે કામ શીખવી દેવું. બીજા કાર્યકર્તાઓ તૈયાર કરવા વગેરે એમાં આવી જાય છે. ગ્રામસેવક ગામલોકો ગામલોકો પર એટલો પ્રભાવ પાડે કે તેઓ પોતે આવીને તેની સેવા માગે અને તે માટે જે સાધનો કે બીજા કાર્યકર્તાઓ જોઇએ તે મેળવવામં તેને પૂરેપૂરી મદદ કરે. હું એક ગામડામાં ઘાણી નાખીને બેઠો હોઉં તો ઘાણીને લગતાં બધાં કામો તો કરીશ જ; પણ હું ૧૫ ૨૦ રૂપિયા કમાનારો સામાન્ય ઘાંચી નહીં રહું. હું તો મહાત્મા ઘાંચી બનીશ. ‘મહાત્મા’ શબ્દ મેં વિનોદમાં વાપર્યો છે. એનો અર્થ કેવળ એટલો જ છે કે મારા ઘાંચીપણમાં હું એટલી સિદ્ધિ સમાવીશ કે જેથી ગામલોકો અજબ થઇ જાય. હું ગીતા વાંચનારો, કુરાન શરીફ પઢનારો. અનેક બાળકોને શિક્ષણ આપવાની શક્તિવાળો ઘાંચી બનીશ. વખતના અભાવે હું બાળકોને શિક્ષણ ન આપી શકું એ જુદી વાત. લોકો આવીને કહેશેઃ “ઘાંચી મહાશય, અમારાં બાળકો માટે એક શિક્ષક તો લાવી આપો.” હું કહીશ. “શિક્ષક તો હું લાવી આપું પણ તેનું ખરચ તમારે ઉઠાવવું પડશે.” તે લોકો એ વાત ખુશીથી સ્વીકારશે. હું તેમને કાંતતાં શીકવીશ. તેઓ વણકર મેળવવામાં મારી મદદ માગશે. એટલે જે ઇચ્છે તે વણાટ પણ શીખી લે. તેમને ગ્રામસફાઇનું મહત્ત્વ સમજાવીશ. એટલે તેઓ સફાઇ માટે ભંગીની માગણી કરશે. હું કહી દઇશ કે, “હું પોતે ભંગી છું આવો, તમને એ કામ પણ શીખવી દઉં.” આ મારી સમગ્ર સેવાની કલ્પના છે.૧૭