Graam Swaraj - 28 - Last Part books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 28 - છેલ્લો ભાગ

૨૮

સરકાર અને ગામડાં

સરકાર શું કરી શકે

હવે, હાથમાં અધિકાર આવ્યો છેત્યારે, કૉંગ્રેસ પ્રધાનો ખાદી ને ગ્રામઉદ્યોગને ઉત્તેજન આપવા સારુ શું કરવાના છે, એવો પ્રશ્ન વાજબી ગણાય. હું તો એ પ્રશ્ન માત્ર કૉંગ્રેસી પ્રાંતને નહીં પણ બધા પ્રાંતને લાગું કરું. ગરીબાઇ, કરોડોની ગરીબાઇ, બધા પ્રાંતોમાં સરખી છે, અને તેથી તેને દૂર કરવાના ઇલાજો, આમજનતાનો વિચાર રાખીએ તો, બધા પ્રાંતોમાં સમાન હોય, અ. ભા. ચ. સંઘ અને અ. ભા. ગ્રા. સંઘનો એ અનુભવ છે. એવી સૂચના પણ આવી છે કે, આ કાર્યને સારું એક સ્વતંત્ર પ્રધાન આખો સમય એમાં સહેજે રોકાય. હું પોતે એવી સૂચના કરતાં ડરું છું, કારણ કે આપણે હજી અંગ્રેજ લોકોએ અહીં ચાલું કરેલું ખર્ચનું ધોરણ છોડયું નથી. સ્વતંત્ર પ્રધાન નીમીએ કે ન નીમીએ, તોયે અલગ ખાતું ખોલવાની જરૂર તો છે જ. અન્નવસ્ત્રની તંગીના આજના દિવસોમાં એવું ખાતું ઉપયોગી નીવડે. અ. ભા. ચ. સંઘ અને અ. ભા. ગ્રા. સંઘ મારફતે પ્રધાને નિષ્ણાતોની મદદ મળતી રહેશે. પ્રમાણમાં જૂજ મૂડી રોકી ટૂંક સમયમાં હિંદની આખી પ્રજાને ખાદી પહેરાવી શકાય તેમ છે. દરેક પ્રાંતિક સરકાર દેહાતી એટલે કે ગામડાંમાં રહેનારા લોકોને કહે કે, તમારે જોઇતી ખાદી તમે જાતે પેદા કરી લો. આથી આપોઆપ જ સ્થાનિક ઉત્પત્તિ અને વહેંચણીને વેગ મળશે. ગામડાંની જરૂરિયાત પૂરી પાડ્યા પછી થોડી ખાદી જરૂર બચશે. તે કંઇક અંશે શહેરની ગરજ પૂરી શકશે અને તેથી સ્થાનિક મિલો પરનો બોજો હળવો થશે. પછી દુનિયામાં જ્યાં જ્યાં કાપડની તંગી છે ત્યાં આપણી મિલોનું કાપડ મોકલી શકાશે.

આ બધું શી રીતે થઇ શકે ?

પ્રાંતિક સરકારે ગામડાંમાં વસનારાઓને જાહેરાત કરીને જણાવવાનું કે, અમુક તારીખની અંદર સૌ સૌના ગામને જોઇથી ખાદી પેદા કરી લો. તે તારીખ પછી તમને બહારથી કાપડ પૂરું પાડવામાં નહીં આવે. સરકારે તેમને જોઇતા કપાસિયા કે રૂ પડતર ભાવે આપવું, તેમ જ પાંચ કે તેથી અધિક વર્ષમાં વસૂલ થઇ શકે એ રીતે પડતર ભાવે ઉત્પત્તિનાં સાધનો પણ પૂરાં પાડવાં, જ્યાં જરૂર જણાય ત્યાં શિક્ષકો મોકલવા અને પોતાની પેદાશમાંથી ગામની ગરજ પૂરી પડી રહે પછી જે બાકી રહે તે ખરીદી લેવાનું સરકારે સ્વીકારવું. આમ કરવામાં આવે તો ઝાઝી ધાંધલ કે ઝાંઝા વ્યવસ્થા ખર્ચ વિના સહેલાઇથી કાપડની તંગી નાબૂદ થાય.

ગામડાંઓની તપાસ કરવી, અને ત્યાંના વપરાશ માટે અથવા બહારના વેચાણ માટે સહેજે કે ઓછી મદદે શું શું બનાવી શકાય તેની યાદી તૈયાર કરવી, જેમ કે. ઘાણીનું તેલ, ખોળ, ઘાણીમાંથી કાઢેલું બાળવાનું તેલ, હાથછડના ચોખા, તાડગોળ, મધ, રમકડાં, સાદડી, હાથબનાવટના કાગળ, સાબુ વગેર.

આ કાળજીથી કરવામાં આવે તો, આપણાં મરવા વાંકે જીવી રહેલાં ગામડાંમાં નવું ચેતન આવશે, પોતાની અને હિંદુસ્તાનનાં શહેરોની જરૂરિયાતો પૂરી પાડવાની તેમની શક્તિ ખીલશે.

આ ઉપરાંત, આપણી અક્ષમ્ય બેપરવાઇને લઇને પીડાતા હિંદની બેસુમાર ગોધન સંપત્તિનો વિચાર કરવો ઘટે. એમાં ગોસેવા-સંઘ પોતાના અધૂરા અનુભવથી પણ સારી પેઠે મદદ આપી શકશે.

બુનિયાદી તાલિમને અભાવે ગ્રામવાસીઓને આજે કેળવણી મળતી નથી. હિંદુસ્તાની તાલીમી સંઘ આ ખોટ પૂરી શકે.૧

જો હું પ્રધાન હોઉં તો

(ઉપર જણાવેલા) મારા વિચારોમાં ફેરફાર નથી થયો. પણ તેની એક બાબતે ગેરસમજ ઊભી કરી છે. કેટલાક મિત્રો તેમાં જબરજસ્તી છે, એમ સમજ્યાં છે. આવી એમાં રહેલી અસ્પષ્ટતાને માટે મને દિલગીરી થાય છે. કંઇક કરવાની ઇચ્છાવાળી પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવનારી પ્રાંતિક સરકારો શું કરે, એ સવાલનો જવાબ એ નોંધમાં મેં આપ્યો હતો. મેં એમ માનેલું કે, આવી સરકારો નોટિસો કાઢે તે પણ જબરજસ્તી છે, એમ નહીં સમજવામાં આવે. અને એ માન્યતા ક્ષમાપાત્ર છે, એમ મને લાગે છે.કેમ કે, પ્રજાનું સાચું પ્રતિનિધિત્વ ધરાવનારી સરકાર માને જ કે, અમારા હરેક કામમાં, મતદારોનો અમને ટેકો છે. મતદારોમાં, નોંધાયેલા ઉપરાંત મતદારો તરીકે નોંધાયેલી વસ્તી પણ આવી જાય છે. આ ખ્યાલથી મેં લખ્યું હતું કે, સરકારોએ ગામડાંના રહેવાસીઓને નોટિસ આપવી કે, તમે લોકો તમારી પોતાની બનાવેલી ખાદી પહેરતા થાઓ, તેટલા ખાતર અમુક મુકરર કરેલી તારીખ પછી તમને મિલનું કાપડ પહોંચાડવામાં નહીં આવે.

મારા ઉપરના લેખનો ગમે તે અર્થ હો, મારે એટલું સ્પષ્ટ જણાવવું છે કે, જેને જેને સંબંધ છે, તે બધા લોકોના રાજીખુશીના સહકાર વગર સ્વીકારવામાં આવેલી ખાદીને લગતી કોઇ પણ યોજના, સ્વરાજના સાધન તરીકે ખાદીને ઘાતક નીવડશે. તો તો, ખાદી આપણને મધ્યયુગના અંધકારના અને ગુલામીના જમાનામાં પાછી લઇ જાય છે, એ મહેણું સાચું ઠરે. પણ મારો અભિપ્રાય એથી ઉલટો છે. પરાણે તૈયાર કરાવવામાં આવતી અથવા પહેરાવવામાં આવતી ખાદી ગુલામીનો પોશાક હશે, પણ સમજપૂર્વક અને રાજીખુશીથી પોતાના વપરાશને માટે જાતે તૈયાર કરેલી ખાદી સહેજે સ્વતંત્રતાનો પોશાક બને. બધી બાજુનું સ્વાવલંબન ન કેળવે તો સ્વતંત્રતામાં કશો માલ નથી. મારે માટે તો હું કહું છું કે, જો ખાદી સ્વતંત્ર માણસનો હક અને ફરજ ન હોય તો મારે તેની સાથે કશી લેવાદેવા નહીં હોય.

એક ટીકાકારે મિત્રભાવે સવાલ કર્યો છે કે, આ યોજના મુજબ ખાદી તૈયાર કરનાર લોકો તે ખાદી જાતે વાપરે તેની સાથે સાથે વેચીયે શકે ખરા કે નહીં ? વેચી શકે. પણ વેચાણ યોજનાનો ગૌણ હેતું હોય; અને આ યોજના મુજબ, વેચાણ જો ખાદી તૈયાર કરવાનો એકમાત્ર તો શું, પ્રધાન હેતું હોય, તો તે નહીં વેચી શકે. શરૂઆત આપણે વેચાણને સારુ ખાદી બનાવવાથી કરી, તે આપણી કામચલાઉં જરૂરિયાત અને આપણી દૃષ્ટિની મર્યાદા બતાવે છે. અનુભવ મોટો ગુરુ છે. એ ગુરુએ આપણને ઘણું શીખવ્યું છે. તેણે શીખવેલા પાઠોમાં ખાદીનો આ મૂળ ઉપયોગ નજીવો નથી. પણ એ જ એનો એકમાત્ર અથવા છેવટનો ઉપયોગ નથી. પણ ખાદીની શક્યતાઓની કલ્પનાઓના આકર્ષક પ્રદેશોને છોડી આ લેખના મથાળામાં મૂકેલી સવાલનો ચોક્કસ જવાબ જ આપું.

રાજ્યવહીવટની બધી પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ગામડાંઓને સ્થાપવાના આશયથી તેમનો પુનરુદ્ધાર કરવાનું ખાતું પ્રધાન તરીકે મારે હસ્તક હોય, તો સૌથી પહેલાં હું કાયમની નોકરીઓમાંથી આ કામ પાર પાડવાની શક્તિવાળા ચોખ્ખા માણસોને ખોળી કાઢું. તેમાંથી સૌથી વધારે લાયક અમલદારનો હું કૉંગ્રેસે ઊભા કરેલા અખિલ ભારત ચરખા સંઘ અને અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘની સાથે સંબંધ જોડી આપું, અને પછી ગામડાંના હાથ ઉદ્યોગોને વધારેમાં વધારે પ્રોત્સાહન આપે તેવી યોજના લઇ આવું. યોજનામાં હું પહેલેથી જણાવું કે, આમાં ગામડાંના લોકો પર કોઇ જાતની જબરજસ્તી નથી; તેમને કોઇ બીજાને ખાતર વૈતરું કરવાનું નથી; તેમને પોતાની જાતે પોતાનું કામ પાર પાડવાનું, અને પોતાને જોઇતા ખોરાકના પદાર્થો, કાપડ અને બીજી જરૂરિયાતોને માટે ખુદ પોતાની મજૂરી અને આવડત પર આધાર રાખવાનું શીખવવામાં આવશે. આ રીતે આ યોજનામાં ગામડાંની બધી જરૂરિયાતોને સમાવી લેવામાં આવશે. તેથી મારા પહેલા મદદનીશ. અમલદારને હું હિંદુસ્તાની તાલીમી સંઘને મળી, તે શું કહે છે, તે જાણી લેવાને સૂચના આપું.

હવે આપણે એમ પણ માનીને ચાલીએ કે, આ રીતે તૈયાર કરવામાં આવેલી યોજનામાં નીચે પ્રમાણેની કલમ રાખવામાં આવી હશેઃ ગામડાંના લોકો જાતે થઇને જાહેરાત કરે કે, અમુક એક મુકરર કરેલી તારીખ બાદ એકાદેક વરસ રહીને અમારે મિલનું કાપડ નથી જોઇવાનું, અને અમારે બક્ષિસ લેખે નહીં પણ હળવા દરથી કિંમત નથી જોઇવાનું, અને અમારે બક્ષિસ લેખે નહીં પણ હળવા દરથી કિંમત ચૂકવી આપવાની શરતે કપાસ, ઊન તેમ જ જરૂરી સાધનો તથી ઓજારો અને કાંતણ વણાટનું શિક્ષણ જોઇશે. ખુદ યોજનામાં એવી જોગવાઇ પણ રાખવામાં આવે કે, તેનો અમલ એક આખા પ્રાંતમાં ન કરતાં શરૂઆત પૂરતો એકાદ વિભાગમાં ચાલુ કરવામાં આવશે. વળી, યોજનામાં એમ પણ જણાવેલું હોય કે, યોજનાના અમલના કામમાં અખિલ ભારત ચરખા સંઘ રસ્તો બતાવશે અને મદદ કરશે.

આ યોજનાના સંગીનપણાની ખાતરી કરી લીધા બાદ કાયદાના ખાતાની સાથે મસલત કરીને હું તેને કાયદાનું રૂપ આપું અને એક સરકારી જાહેરાત કરું, જેમાં યોજના મૂળ ક્યાંથી ને કેમ નીકળી, તેનું પૂરેપૂરું વર્ણન હોય. ગામડાંના રહેનારા ને મિલવાળાઓ તેમ જ બીજા સૌ તેમાં ભાગ લેશે. જાહેરાત સ્પષ્ટપણે બતાવશે કે, આ યોજના પર સરકારી છાપ હોવા છતાં, તે પ્રજાને પોતે લીધેલું પગલું છે. સરકારનાં નાણાં ગરીબમાં ગરીબ ગામડિયાઓના લાભને અર્થે વપરાશે અને લાગતાવળગતા સૌ લોકોને વધારેમાં વધારે વળતર મળશે. તેથી, આ યોજના સૌથી વધારે નફો આપનારું નાણાનું રોકાણ હશે, જેમાં કામમાં પાવરધા નિષ્ણાતોની મદદ સ્વેચ્છાએ મળેલી હશે, જેમાં કામમાં પાવરધા નિષ્ણાતોની મદદ સ્વેચ્છાએ મળેલી હશે અને વ્યવસ્થાખર્ચ ઓછામાં ઓછો હશે. કેટલું વળતર મળશે, તેની બધી વિગત આપવામાં આવશે.

પ્રધાન તરીકે મારે નક્કી કરવાનો સવાલ તો એક જ રહે છે : ખાદીની યોજના તૈયાર કરી, તેના સફળ અમલને માટે દોરવણી આપવાની જવાબદારી ઉઠાવવાની અખિલ ભારત ચરખા સંઘની શ્રદ્ધા ને શક્તિ છે કે નથી ? એ શક્તિ ને શ્રદ્ધા તેનામાં હોય, તો પૂરા ભરોસાથી મારી યોજનાની હોડી હું ભરદરિયે છોડી મૂકું.૨

*******

હિંદ અને દુનિયા

હિંદ જ્યારે સ્વાવલંબી અને સ્વાશ્રયી બનશે અને કોઇ દેશ એઠી નજર ન નાખી શકે કે શોષણ ન કરી શકે એવી સ્થિતિ ઊભી કરશે ત્યારે તે પશ્ચિમ કે પૂર્વની કોઇ પણ સત્તાના લાલચું આકર્ષણનો વિષય નહીં રહે. ્‌અને પછી તે ખર્ચાળ શસ્ત્રસરંજામનો બોજો વહ્યા સિવાય પોતાની હુમલા સામે તેનો મજબૂત કિલ્લો બની રહેશે.૧

મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એકલવાયું સ્વાતંત્ર્ય નથી પણ નીરોગી અને પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્ય છે. મારો રાષ્ટ્રવાદ ઉગ્ર છે છતાં એકલપેટો નથી, કોઇ પણ પ્રજા કે વ્યક્તિને હાનિ કરવાનો તેનો ઉદ્દેશ નથી. કાયદાનાં સૂત્રો જેટલાં કાયદાનાં નથી તેટલાં સદાચારનાં સૂત્રો છે. ‘તારા પડોશીની મિલકતને હાનિ ન પહોંચે એવી રીતે તારી મિલકત ભોગવ,’ એ સૂત્રના સનાતન સત્ય પર મારો વિશ્વાસ છે.૨

સ્વતંત્ર ને લોકશાસનવાળું હિંદુસ્તાન બીજી સ્વતંત્ર પ્રજાઓ સાથે પરસ્પર બચાવ ને આર્થિક સહકાર માટે ખુશીથી જોડાશે. સ્વતંત્રતાને લોકશાસન પર રચાયેલી સાચી જગતવ્યવસ્થાની સ્થાપના માટે, અને માનવજાતિની પ્રગતિ ને આગેકૂચ માટે જગતમાં જ્ઞાન અને સાધનસામગ્રીના ઉપયોગ માટે અમે કામ કરીશું.૩

પશ્ચિમની પ્રજાઓએ પોતાની કુશળતાનો ઉપયોગ બીજાને આપવો રહ્યો. અમેરિકાએ જો પોતાની કુશળતાનો ઉપયોગ પરદેશોમાં પરમાર્થબુદ્ધિથી કરવો હોય તો તે કહેશે, ‘જુઓ, અમને પુલ બનાવતાં આવડે છે. એ કળા અમે છાની નહીં રાખીએ. પણ આખી દુનિયાને અમે કહીએ છીએ કે અમે તમને પુલ બાંધતાં મફત શીખવીશું.’ ‘જ્યાં બીજી પ્રજાઓ ઘઉંનું એક કણસલું પેદા કરી શકે છે ત્યાં અમે બે હજાર પેદા કરી શકીએ છીએ.’ તો અમેરિકાએ એ કળા જે શીખવા માગે તેને મફત શીખવવી જોઇએ; પણ આખા જગતને માટે ઘઉં પેદા કરવાનો વિચાર ન કરવો જોઇએ. નહીં તો દુનિયાના બાર વાગી જાય.૪

(હિંદ તેમને શું શું આપી શકે, અને હમણાં તેમનું જે ભયંકર શોષણ ચાલે છે તેમાંથી ઊગરવાને સહકારના પાયા પર તેમના મુલકનું ઉદ્યોગીકરણ કઇ રીતે ખીલવવું, એ વિષે આફ્રિકાવાસીઓ જાણવા ઇચ્છતા હતા.)

હિંદ તમને સારા વિચારો જરૂર આપી શકે. તે તમને આખઈ દુનિયાને ઉપયોગી થાય તેવા ગ્રંથો આપી શકશે. તમારા પશ્ચિમના શોષકો તમારા કાચા માલના બદલામાં તૈયાર માલ તમારે ગળે બાંધીને જે જાતનો વેપાર તમારી સાથે ચલાવે છે તેવો હિંદનો વેપાર નહીં હોય; હિંદ અનેતમારી વચ્ચેના વહેવારમાં વિચારની ને સેવાની આપલે હશે. ઉપરાંત સૌથી વિશેષ તો હિંદ તમને રેંટિયાની ભેટ આપી શકે. હું આફ્રિકામાં હતો તે દરમિયાન મને રેંટિયો મળ્યો હોત તો ફિનિક્સમાંના મારા આફ્રિકાવાસી પડોશીઓમાં જરૂર દાખલ કરત. તમે લોકો કપાસની ખેતી કરી શકો, તમારી પાસે ફાજલ વખતની ખોટ નથી અને હાથકારીગરીનાં કામોમાં તમારી આવડત ઓછી નથી. અમે ગામડાંના હાથકારીગરીના હુન્નરોને પાછા સજીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારે તેમનો અભ્યાસ કરી તે અપનાવી લેવા. તમારી મુક્તિની ચાવી મને તેમાં દેખાય છે.૫

‘અમેરિકાની પ્રજાને માટે રેંટિયાનો કોઇ સંદેશ છે ખરો ? અણુબોમ્બની સામે તેના ઇલાજ રૂપે રેંટિયાનું હથિયાર ચાલે ખરું ?’

એકલા અમેરિકા માટે નહીં; બલકે આખી દુનિયાને માટે રેંટિયાનો સંદેશો છે. ....મને રજભાર શંકા નથી કે હિંદુસ્તાનનો, બલકે આખી દુનિયાનો ઉદ્ધાર અને તેમની સલામતી રેંટિયામાં રહેલી છે. હિંદુસ્તાન યંત્રનું ગુલામ બન્યું, તો પછી દુનિયાને માટે બચવાનો આરો નથી, એક ઇશ્વર જ તેને બચાવી શકશે.૬

મને મારા અંતરમાં ઊંડે ઊંડે એવી પ્રતીતિ થાય છે કે...જગત યુદ્ધથી અતિશય ત્રાસી ગયું છે અને તેમાંથી નીકળવાનો માર્ગ શોધી રહ્યું છે. મને લાગે છે કે શાંતિના ભૂખ્યા જગતને માર્ગ બતાવવાનું માન કદાચ હિંદ જેવા પ્રાચીન દેશને ફાળે જશે.૭

હિંદ નિષ્ફળ નીવડશે તો એશિયાનો અંત આવશે. બહુ જ યથાર્થ રીતે હિંદને અનેક ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓના સમન્વયની ભૂમિ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. એશિયા, આફ્રિકા અગર બીજા કોઇ પણ ખંડમાં હસ્તી ધરાવતી સૌ કોઇ શોષિત તેમ જ કચડાયેલી પ્રજાને માટેહિંદ આશારૂપ થાઓ અને હમેશ તેવું રહો.૮

અમે આખા જગતથી વખૂટા નથી પડી જવા માગતા. અમે સર્વે પ્રજાઓની સાથે સ્વેચ્છાએ લેવડદેવડ કરીશું, પણ આજે જે પરાણે લેવડદેવડ થાય છે તે તો જવી જ જોઇએ. અમે નથી કોઇને હાથે ચુસાવા માગતા, કે નથી કોઇને ચૂસવા માગતા. (પાયાની કેળવણીની), યોજના દ્ધારા અમે સર્વે બાળકોને કંઇક ઉત્પાદન કરતાં બનાવવાની, ને એમ કરીને આખા રાષ્ટ્રની મુખમુદ્રા બદલવાની આશા સેવીએ છીએ, કેમ કે એ વસ્તુ અમારા આખા સમાજજીવનની રગેરગમાં ઊતરી જશે, પણ એનો અર્થ એ નથી કે અમે આખા જગત જોડેનો સંબંધ તોડી નાખીશું. એવી પ્રજાઓ તો કહેશે કે જે પોતે અમુક માલ પેદા ન કરી શકે એટલા માટે બીજી પ્રજાઓ પાસેથી માલની લેવડદેવડ કરવા ઇચ્છશે. એવા માલ માટે તેઓ બીજી પ્રજાઓ પર જરૂર આધાર રાખશે, પણ એ માલ પૂરો પાડનાર પ્રજાઓએ એમને ચૂસવી ન ઘટે.

‘પણ તમને બીજા દેશો પાસેથી કશાની જરૂર જ ન પડે એટલું સાદું તમારું જીવન તમે બનાવી દો તો તમે એમનાથી અળગા પડી જ જવાના, જ્યાં હું તો ઇચ્છું કે તમે અમેરિકાને માટે પણ જવાબદાર બનો.’

ચૂસવાનું કે ચુસાવાનું બંધ કરીને અમે અમેરિકા માટે જવાબદાર બની શકીએ, કેમ કે અમે એ પ્રમાણે કરીએ તો અમેરિકા અમારા દૃષ્ટાંતનું અનુકરણ કરશે, અને પછી આપણી વચ્ચે છૂટથી લેવડદેવડ થવામાં મુશ્કેલી નહીં આવે.૯

હું જાણું છું કે એ (આદર્શ ગામ બનાવવાનું) કામ એટલું જ મુશ્કેલ છે જેટલું આખા હિંદુસ્તાનને આદર્શ બનાવવાનું હોય.... પણ જો એક જ દેહાતને કોઇ એક માણસ આદર્શ બનાવી શકે તો તેણે આખા હિંદુસ્તાનને સારુ જ નહીં પણ કદાચ આખા જગતને સારુ માર્ગ શોધી આપ્યો ગણાય. સાધક આથી આગળ જવાનો લોભ ન સેવે.૧૦

‘સ્વતંત્ર હિંદમાં કોનું હિત સર્વોપરી ગણાશે ? પડોશનું રાજ્ય તંગીમાં આવી પડે તો સ્વતંત્ર હિંદ, મારી પોતાની જરૂરિયાતો પ્રથમ પૂરી પાડવી જોઇએ, એમ કહીને, અલગપણાનું વલણ અખત્યાર કરશે ?’

સાચા અર્થમાં સ્વતંત્ર હિંદુસ્તાન આફતમાં આવી પેડલા પોતાના પડોશીની મદદે દોડી જશે. જે માણસની સ્વાર્થત્યાગ કરવાની ભાવના પોતાની કોમના વાડાથી આગળ વધતી નથી તે પોતાની જાતને સ્વાર્થી બનાવી દે છે અને આખરે પોતાની કોમને પણ સ્વાર્થી બનાવે છે. મારી મતિ પ્રમાણે, પોતાના સ્વાર્થનો ત્યાગ કરવાની ભાવનામાંથી એવું પરિણામ આવવું જોઇએ કે, વ્યક્તિ પોતાની કોમની સેવાને અર્થે સ્વાર્થત્યાગ કરે, કોમ જિલ્લાના હિતને અર્થે પોતાનો સ્વાર્થ છોડે, જિલ્લો પ્રાંતની સેવાને અર્થે પોતાનો સ્વાર્થ ત્યાગ કરે, મહાસાગરમાંના પાણીનું એક ટીપું કશું શુભ કર્યા વિના નાશ પામે છે. પણ તે જ પાણીનું ટીપું, મહાસાગરના એક અંગ તરીકે, વિરાટકાય જહાજોના મોટા કાફલાને પોતાની સપાટી પર વહી લઇ જવાના મહાસાગરના ગૌરવનું ભાગીદાર બને છે.૧૧

રામરાજ્ય એટલે હિંદુઓને રાજ્ય એમ વિચારવાની ભૂલ કોઇએ કરવી જોઇએ નહીં. મારો રામ એ ખુદા અથવા ‘ગૉડ’નું બીજું નામ છે. મારે તો ખુદાઇ રાજ્ય જોઇએ છે અને એનો અર્થ પૃથ્વી પરનું ઇશ્વરનું રાજ્ય છે આવા રાજ્યની સ્થાપનાનો અર્થ સમગ્ર હિંદના લોકોનું જ નહીં પણ આખી દુનિયાના લોકોનું કલ્યાણ છે.૧૨

હિંદુસ્તાનને સ્વતંત્ર અને સુદૃઢ જોવા ઇચ્છું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. શુદ્ધ વ્યક્તિ કુટુંબને માટે પોતાનું બલિદાન આપશે, કુટુંબ ગામને માટે, ગામ જિલ્લાને માટે, જિલ્લો પ્રાંતને માટે, પ્રાંત રાષ્ટ્રને માટે અને રાષ્ટ્ર માનવસમસ્તને માટે.૧૩

સ્વરાજ દ્ધારા પણ આપણે તો જગતનું હિત સાધવું છે.૧૪

રાજ્યે નિર્માણ કરેલી સરહદોની પેલે પારના આપણા પડોશીોને આપણી સેવા આપવાને કશી સીમા નથી. ઇશ્વરે કદી પણ એવી સરહદો સરજી નથી.૧૫