Mara Swapnnu Bharat - 14 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | મારા સ્વપ્નનું ભારત - 14

Featured Books
Categories
Share

મારા સ્વપ્નનું ભારત - 14

પ્રકરણ ચૌદમું

શરીરશ્રમ

કુદરત ઈચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઈએ. તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલા જ પાઠના ભંગ સમાન છે...જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કશો અર્થ નથી, અને આળસુ માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે. ૧

રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ, શરીર વાંકું વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટૉલ્સ્ટૅયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બૉન્ડારેફની છે. તેને ટૉલ્સ્ટોયે પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌-ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે થ્ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહેનત અથવા રોટીમજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે તેમ હો, આપણા આ વ્રતની એ ઉત્પતિ છે.

બુદ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઈ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ? બાઈબલ કહે છે : ‘તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.’કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટ્યા કરે ને તેના મોંમાં કોઈ ખાવાનું મૂકે ત્યારે તે ખાય તો તે લાંબો વખત ખાઈ નહીં શકે, તેને તેમાં રસ પણ નહીં રહે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાનાં જ હાથ-મોં હલાવીને. જો આમ કોઈક રીતે અંગકસરત રાય રંક બધાને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહુ કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે.

એ ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનુંએ કોઈ કહેતું નથી. અને દુનિયાના નેવું ટકા કરતાં પણ વધારે માણસનો નિર્વાહ ખેતીથી ચાલે છે.

આનું અનુકરણ બાકીના દશ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ! અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીચનો ભેદ ટળી જાય.

અત્યારે તો જ્યાં ઊંચનીચતાની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વર્ણવ્યવસ્થામાંયે, તે પેસી ગઈ છે. માલિક-મજૂરનો ભેદ સર્વવ્યાપક થઈ પડ્યો છે ને ગરીબ ધનિકની અદેખાઈ કરે છે. જો સહુ રોટી પૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય, ને પછી પણ ધનિકવર્ગ રહેશે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે. જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઈ પડે છે. આ મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા એવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે-એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઈત્યાદી ઈત્યાદી. સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઈએ. ખાય છે તેને મળત્યાગ કરવાનો જ છે. મળત્યાગ કરે તે પોતાના

મળને દાટે એ ઉતમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઈક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્ય-પોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઈતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઈએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે જ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે. ૨

હકનું સાચું મૂળ કર્તવ્યપાલનમાં રહેલું છે. જો આપણે બધા આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણે હકો મેળવવા બહુ દૂર નહીં

જવું પડે. જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હક પાછળ દોડીએ તો તે મૃગજળની માફક છટકી જશે અને તેની પાછળ જેટલા વધારે પડીશું તેટલા તે આપણાથી દૂર ને દૂર રહેશે. શ્રીકૃષ્ણે આ જ ઉપદેશ નીચેના અમર શબ્દોમાં આપ્યો છે :

‘તારો અધિકાર કેવળ કર્મનો છે, ફળનો નહીં.’અહીં કર્મ એટલે ફરજ ; ફળ એટલે હક. ૩

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે ; તેથી આ પ્રાથમિક, પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઈલાજો શોધી કાઢવાના જ રહ્યાં.

મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે, અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે. ૪

સૌ પોતપોતાની રોટી માટે શરીરશ્રમ કરે તો સૌને પૂરતો ખોરાક અને પૂરતી ફરસદ મળી રહે. પછી વધારેપડતી વસ્તીની બૂમ નહીં હોય, રોગ નહીં હોય અને આજે ચારે બાજુ નજરે પડતાં દુઃખો નહીં હોય. આ મજૂરી યજ્ઞનું ઊંચામાં ઊંચું સ્વરૂપ હશે. અલબત, માણસ તેના શરીર દ્વારા કે બુદ્ધિ દ્વારા બીજી અનેક વસ્તુઓ કરશે. પણ તે બધી સાર્વજનિક લાભને માટે કરેલી મહેનત હશે. પછી કોઈ તવંગર નહીં હોય ને કોઈ ગરીબ નહીં

હોય; કોઈ ઊંચ ને કોઈ નીચ નહીં હોય; કોઈ સ્પૃશ્ય ને કોઈ અસ્પૃશ્ય નહીં હોય.

આ આદર્શને પહોંચવું કદાચ શક્ય ન હોય. પણ તેથી આપણે તેને માટે મથતા અટકવું ન જોઈએ. યજ્ઞના નિયમનો એટલે કે માનવ-

જીવનના નિયમનો સંપૂર્ણ અમલ ન કરી શકીએ, પણ આપણી રોજરોજની રોટી માટે પૂરતો શરીરશ્રમ કરીએ તોયે આ આદર્શની ધણા નજીક પહોંચી જઈએ.

આમ કરીએ તો આપણી જરૂરિયાતો ઘણી ઓછી થઈ જશે.

આપણો ખોરાક સાદો થશે. પછી આપણે જીવવા માટે ખાઈશું, ખાવા માટે નહીં જીવીએ. આ સિદ્ધાંતની સચ્ચાઈ વિષે જેને શંકા હોય તે પોતાના ગુજરાન માટે પરસેવો પાડી જુએ. શરીરશ્રમ કરીને કમાયેલો રોટલો તેને મીઠો લાગશે, તેની તબિયત સુધરશે અને તેને ખાતરી થશે કે જે અનેક ચીજો તે ખાતો હતો તેમાંની ઘણી ખરેખર બિનજરૂરી હતી. ૫

બુદ્ધિપૂર્વક કરેલી ‘બ્રેડ લેબર’એ ઊંચામાં ઊંચા પ્રકારની સમાજસેવા છે.

‘શ્રમ’ની આગળ ‘બુદ્ધિપૂર્વક કરેલો’એ વિશેષણ લગાડ્યું છે તે એમ બતાવવાને માટે કે શ્રમ એ સમાજસેવામાં ત્યારે જ ખપી શકે જ્યારે એની પાછળ સેવાનો નિશ્ચિત હેતુ રહેલો હોય. નહીં તો દરેક મજૂર સમાજસેવા કરે છે એમ કહેવાય. એક રીતે તો એ સમાજની સેવા કરે જ છે, પણ જે સેવાની અહીંયા વાત છે તે ઘણા ઊંચા પ્રકારની છે. જે માણસ સર્વના હિતને અર્થે શ્રમ કરે છે તે સમાજની સેવા કરે છે, અને તેને તેનું પેટ ભરાય એટલું મેળવવાનો હક છે. તેથી એવા પ્રકારની ‘બ્રેડ લેબર’ સમાજસેવાથી ભિન્ન નથી. ૬

માણસ બૌદ્ધિક શ્રમ કરીને રોટલો ન કમાઈ શકે ? ના. શરીરની જરૂરિયાત શરીર દ્વારા જ પૂરી પાડવી જોઈએ. ‘રાજાનું હોય તે રાજાને સોંપો,’એ કહેવત કદાચ અહીં બરાબર બંધ બેસે છે.

કેવળ માનસિક, એટલે કે બૌદ્ધિક શ્રમ આત્માને માટે છે અને તે

શ્રમ કરતાં થતો સંતોષ તે જ તેનો બદલો છે. બીજા બદલાનીઅપેક્ષા રાખવાની ન હોય. આદર્શ રાજ્યમાં દાકતરો, વકીલો વગેરે કેવળ

સમાજના લાભ માટે જ કામ કરશે, સ્વાર્થ માટે નહીં. રોટી-મજૂરીના નિયમનું પાલન કરવાથી સમાજના બંધારણમાં મૂક ક્રાંતિ થઈ જશે.

જીવનસંગ્રામને બદલે પરસ્પરની સેવા માટે મથવામાં માણસની ફતેહ ગણાશે. પશુના કાયદાનું સ્થાન મનુષ્યનો કાયદો લેશે.

‘ગામડામાં પાછા જાઓ’નો અર્થ છે :રોટી-મજૂરી અને તેમાં જે જે અર્થ સમાયેલો હોય તે બધાનો સ્પષ્ટ અને સ્વેચ્છાપૂર્વકનો સ્વીકાર. પણ ટીકાકાર કહે છે :”ભારતનાં કરોડો સંતાનો આજે ગામડામાં જ રહે છે.

તેમ છતાં તેઓ અર્ધ ભૂખમરો વેઠે છે.”આ વાત તદ્‌ન સાચી છે, એ દુઃખની વાત છે. સદ્‌ભાગ્યે આપણે એટલું જાણીએ છીએ કે તેઓ સ્વેચ્છાએ ત્યાં રહેતા નથી. તેમનું ચાલે તો તેઓ મજૂરી કરવાનું છોડી દઈને નજીકના શહેરમાં સગવડ મળે તો ત્યાં દોડી જાય. માલિકનો હુકમ ફરજિયાત ઉઠાવવો પડે એ ગુલામીની દશા છે; પિતાની આજ્ઞાનું રાજીખુશીથી પાલન કરવું એ પુત્રત્વનું ગૌરવ છે. તે જ રીતે રોટી-મજૂરી-ના કાયદાનું ફરજિયાત પાલન ગરીબાઈ, રોગ અને અસંતોષ પેદા કરે છે. એ ગુલામીની સ્થિતિ છે. તે જ કાયદાનું સ્વેચ્છાપૂર્વક પાલન કરવામાં આવે તો તે સંતોષ અને તંદુરસ્તી આપે. અને તંદુરસ્તી એ જ ખરી દોલત છે; સોનારૂપાના ચકરડાં નહીં. ગ્રામોધોગ સંઘ એ સ્વેચ્છાપૂર્વકની રોટી-

મજૂરીનો પ્રયોગ છે. ૭

ભિક્ષાવૃતિ

પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો તેને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં બેસતો નથી. મારી પાસે સતા હોય તો હું બધાં સદાવ્રત બંધ કરાવી દઉં. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે અને સુસ્તી, આળસ, દંભ તથા ગુનાખોરીને પણ ઉતેજન આપ્યું છે.

આવાં અપાત્ર દાનથી દેશની ભૌતિક કે આધ્યાત્મિક સંપતિમાં કશો વધારો થતો નથી અને દાન દેનારાઓને પુણ્ય કર્યાનો ભ્રમ થાય છે. દાતાઓ પરિશ્રમાલયો ખોલે જ્યાં ભોજન માટે કામ કરવા ઈચ્છતાં સ્ત્રીપુરુષોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં કામઆપીને ભોજન આપે તો કેવું સરસ અને ડહાપણભર્યું કહેવાય ! અંગત રીતે હું માનું છું કે પરિશ્રમાલયમાં ચલાવવા માટે રેંટિયો અથવા કપાસ લોઢવાથી માંડીને ખાદી વળવા સુધીની કોઈ પણ ક્રિયા આદર્શ ઉધોગ ગણાય. પણ આ તેમને પસંદ ન હોય તો બીજું કોઈ પણ કામ કરાવી શકાય. શરત માત્ર એટલી કે, ‘મજૂરી ન કરે તેને ભોજન નહીં મળે.’

જેને માટે ધનિક લોકો જવાબદાર છે એવો ભિખારીઓનો મુશ્કેલ

સવાલ દરેક શહેર સમક્ષ પડેલો છે. હું જાણું છું કે આળસુ માણસને મફત ટુકડો ફેંકવો તે સહેલું છે, પણ જ્યાં ભોજન મળે તે પહેલાં પ્રામાણિક

મજૂરી કરવાની હોય એવી સંસ્થા-પરિશ્રમાલય-ચલાવવી એ અઘરું કામ છે.

આર્થિક દ્રષ્ટિએ જોતાં, શરૂઆતમાં તો, આજે ચાલતાં અન્નક્ષેત્રો કરતાં લોકો પાસેથી કામ લઈને તેમને ભોજન આપવાનું ઘણું મોઘું પડશે. પણ મને ખાતરી છે કે આ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલી રખડુઓ-ની જમાતને ભૌમિતિક ગતિએ વધવા દેવી ન હોય તો લાંબે ગાળે એ જ સસ્તું પડશે.

મને લાગે જ છે કે ભીખને ઉતેજન આપવું ખોટું છે, છતાં હું ભિખારીને કામ અને અન્ન આપવાની તૈયારી બતાવ્યા વિના ન જવા દઉં.

એ જો કામ ન કરે તો એને હું ભૂખ્યો જવા દઉં. જે અપંગ છે,

લૂલાંપાંગળાં છે, આંધળાં છે, તેમને સરકારે પોષવાં જોઈએ. પણ અંધાપાના ઢોંગને નામે ખરા અંધાપાને નામે ઘણો દગો ચાલે છે. કેટલાયે આંધળા લોકો અયોગ્ય રીતે મેળવેલા પૈસાથી તવંગર થઈ ગયા છે. એમને આ લાલચમાં પાડવા કરતાં એમને ક્યાંક અનાથાશ્રમમાં લઈ જવા સારું છે.