Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 77 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 77

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 77

(૭૭) પિતા-પુત્ર સામસામે

         બુંદીનરેશ સૂરજમલ હાડા પોતાને ભાગ્યશાળી માનતા હતા. દુરજનસિંહ અને દૂદાજી જેવા ચાંદ-સૂરજ-શાં દીકરા હતા. હિંદુસ્તાનમાં અજોડ એવી મોગલસેનાના બહાદુર સેનાપતિઓમાં પોતાની ગણના થતી હતી. અને બુંદીનગરની પરંપરા તો કાંઇ વિશિષ્ઠ જ હતી.

રાજપૂતાનાની મહિમાવંતી નગરીઓમાં ઉદયપુર, અજમેર, બિકાનેર, જોધપુર, ચિત્તોડગઢ, બુંદી, કોટા, જેસલમેર, ભરતપુર અને પ્રતાપગઢ ગણાય.

આબુ અનોખુ વિહારસ્થાન છે તો ઉદયપુર અલબેલી નગરી તરીકે વિકસી રહ્યું છે. અજમેર અપૂર્વ નગરી તરીકે માન મેળવે છે. જોધપુર રણઘેલાની ભૂમિ ગણાય છે. ચિત્તોડગઢ વીરોની ભૂમિ ગણાય છે.

બુંદી! રાજપૂતાનાનું અલબેલું નગર છે. બુંદીનો કિલ્લો જોવા લાયક બનાવ્યો છે. આ કિલ્લમાં ઘણી ઘટનાઓ બની. જે ઇતિહાસમાં સુવર્ણોક્ષરે લખાઇ. એ ઘટનાઓએ રાજપૂતાના ને પુષ્કળ લોકકથાઓ આપી છે.

બુંદા મીણાના નામ પરથી આ નગરીનું નામ બુંદી પડ્યું. એક જમાનામાં, બુંદી ઉપર આ આદિવાસી મીણાનું ગણ રાજ્ય હતું.

બુંદી ત્રણ બાજુએ પહાડોથી ઘેરાયેલું છે. બુંદી જવા માટે માર્ગ ઢાળવાળો છે. ઢાળ ચઢીએ એટલે છેલ્લે બુંદીનો કિલ્લો જણાય છે.

રાજમહેલમાં જવાના રસ્તા ઉપર બે પ્રાણીઓની મૂર્તિ છે. એક મૂર્તિ હાથીની છે અને બીજી ઘોડાની છે.

આ કિલ્લાના દરવાજા ઉપરના તોરણની શિલ્પકલા અજોડ છે. તેથી તે હિંદભરમાં મશહૂર છે.

અહીં પશ્ચિમ બાજુએ એક સરોવર છે. એ સરોવરનું નામ નવલ સાગર છે. નવલસાગરને કિનારે સુંદર ઘાટ છે. તેને અડીને મોતી મહેલ છે, આ મહેલની રચના સુંદર છે.

રાજમહેલમાં જવા માટે બે રસ્તાઓ છે. અહીં “દિવાને-આમ” છે અને મહેલ “રંગ-વિલાસ” પણ છે.

“રંગવિલાસ”માં ચિત્રશાળા પણ છે. આ ચિત્રાશાળામાં ધાર્મિક, ઐતિહાસિક તથા શિકારના ચિત્રો છે. આ ચિત્રોમાં એકથી એક ચઢિયાતા રંગો પૂરવામાં આવેલા છે.

આ નગરમાં ઘણી વાવો આવેલી છે. આ વાવો ઘણી જ કલાત્મક અને સુંદર ઘડેલા પત્થરોની બનાવેલી છે. મોગલ શહેનશાહ અકબર અત્યંત ગુસ્સામાં હતા. સમાચાર હતા કે, પોતાના કટ્ટર શત્રુ શિરોહીના રાવ સુરતાણ સિંહને બુંદીના યુવરાજે આશરો આપ્યો છે.

“રાજા સૂરજમલ હાડાને મારી તહેનાતમાં તુર્ત હાજર કરો.”

શાહી ફરમાન થતાં જ વાયુવેગી ઘોડેસવારો છૂટ્યા.

બુંદીના રાજા રાવ સૂરજમલ હાડા મોગલસેનામાં હતા. બુંદીની જાહોજલાલી કાયમ રહે તે માટે રાજા માનસિંહની સલાહ માની તેમણે શરણાગતિ સ્વીકારી હતી.

મહારાણા પ્રતાપને મિત્ર વિહોણા કરવા માટે બાદશાહી સેનાએ શિરોહી અને આબુને હરાવ્યા. રાવ સુરતાણસિંહે બુંદીમાં આશરો લીધો.

બુંદીમાં તે વખતે રાજા રાવ સૂરજમલ હાજર ન હતા. મોગલ સેનામાં હતા.

બુંદીના યુવરાજ દુરજનસિંહ અને રાજકુમાર દૂદાજી સ્વાતંત્ર્ય પ્રેમી અને રાજપૂતી શાનના ચાહક હતા. તેમણે રાવ સુરતાણસિંહને શરણ આપ્યું.

“સુરતાણસિંહજી, આપ નિર્ભય રહો. હાડો કદી શરણાગતનું રક્ષણ કરતો અચકાતો નથી.”

“પરંતુ તમારા પિતા મોગલસેનામાં છે.”

“આપ ફિકર ન કરો. જો સમય આવશે તો અમે પિતા સામે પણ જંગે ચઢતા અચકાઇશું નહિ.”

રાજા રાવ સૂરજમલ બાદશાહની સામે હાજર થયા.

“સૂરજમલજી, આપના યુવરાજે સુરતાણને આ શરો આપ્યો.”

“સંભવ છે, જહાંપનાહ, સુરતાણ બુંદી ગયો હોય અને શરણાગતને રક્ષણ આપવાનો પોતાનો ધર્મ સમજીને યુવરાજે આશરો આપ્યો હોય.”

પરંતુ સુરતાણ મારો શત્રુ હોવા છતાં?”

“યુવરાજે ક્ષાત્રધર્મ સામજીએ સુરતાણસિંહને આશરો આપ્યો હશે.”

“તો પછી આપ સ્વયમ એને દંડ આપવા બુંદી રવાના થઈ જાઓ. હું જોવા માંગું છું કે, પુત્રપ્રેમ આગળ વફાદરી ઝૂકે છે કે, વફાદારી આગળ પુત્રપ્રેમ.”

“જહાંપનાહ, જેવો આદેશ. વફાદારીમાંથી ગદ્દારી નહિ થાય. એની હું આપને ખાતરી આપું છું. જંગે-મૈદાનમાં શમશેરો સામસામે અથડાય ત્યારે પિતાપુત્રનો સંબંધ જોતી નથી. તે વખતે તો કેવળ કર્તવ્યપથ જ સામે હોય છે. પિતાપુત્રનું યુદ્ધ જોવાનો લ્હાવો લેનારને જ્યારે એ આચરવાનો સમય આવે ત્યારે જ એની કઠિનાઇ ખબર પડે.”

“હાડા તમે જબરા છો.”મોગલ શહેનશાહ હસ્યા.

રાજા સૂરજમલ મોગલસેના લઈને બુંદીનગરના પાદરે આવી પહોંચ્યા. બુંદી નગરથી, એક માઇલ દૂર ૮૪ થાંભલાવાળી એક છત્રી રાવ સૂરજમલના પૂર્વજની યાદમાં બંધાવેલી હતી. આ છત્રી ઘણી જ સુંદર હતી. થાંભલાઓ પર ગુંબજ, તેના ઉપર શિખર શી ભવ્ય કળા હતી.

થોડે દૂર પહાડો વચ્ચે એક સરોવર પણ હતું. થોડા સમય પહેલાં જ એ પૂર્ણ થયું હતું. એના કિનારે સુખમહેલ પણ હતો. પરંતુ યુદ્ધની પરિસ્થિતિમાં ત્યાં સુખ ભોગવવા કોણ જઈ શકે?

બુંદીના રાજદરબારમાં મોગલદૂત આવ્યો.

“ યુવરાજશ્રી, મહારાજા રાવ સૂરાજમલે સંદેશો કહેડાવ્યો છે કે, આપે સુરતાણસિંહને આશરો આપી શહેનશાહ અકબરનું અપમાન કર્યુઁ છે. બુંદી મોગલોનું મિત્ર રાજ્ય છે. આ પરિસ્થિતિમાં આપે આપેલો આશરો બાદશાહ સાથે શત્રુતાની ગરજ સારે છે.”

“જો કે, શહેનશાહે તો પોતાની આ તૌહીન બદલ બુંદીને તારાજ કરી નાખવાનો હુકમ ફરમાવ્યો છે, છતાં જો તમે સુરતાણસિંહને સોંપી દો તો યુદ્ધા ન થાય. જો તમે તેમ નહી કરો તો મોગલસેનાનો સામનો કરવા  તૈયાર રહો. આજના સૂર્યાસ્ત સુધી જ રાહ જોવામાં આવશે. આવતી કાલના સૂર્યોદયે તો તમે નહીં માનો તો, મોગલસેનાની શક્તિનો પરચો જોવા મળશે.”

બુંદીના યુવરાજ દુરજનસિંહે, સુરતાણને દૂદાજી સાથે, પહાડીઓમાં સુરક્ષિત જગ્યાએ મોકલી દીધા.

“બુંદીના યુવરાજ યુદ્ધ ઇચ્છે છે. આવતી કાલનો સૂર્યોદય અનોખો સંગ્રામ જોશે” દૂતે આ સમાચાર કહ્યા એટલે મોગલ-છાવણીમાં સોપો પડી ગયો. બીજે દિવસે મહાસંગ્રામ થયો. શૌર્યની ચરમસીમા જોવા મળી.

છેવટે બુંદીના યુવરાજનો વધ થયો. બુંદી હાર્યું પરંતુ સૂરજમલ હાડાને શું મળ્યું? યુવરાજ હણાયો. પુત્ર દુદાજી અને શત્રુ સુરતાણ સિંહ છટકી ગયા.

ભારે હૈયે તેઓ મોગાલસેનાને દોરીને દિલ્હી તરફ રવાના થયા.