Guhilot dynasty and Maharana Pratap in Indian history - 1 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 1

મહાજાતિ ક્ષત્રિય

         ભારતીય સંસ્કૃતિમાં વર્ણાશ્રમ વ્યવસ્થાને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના શ્રીમુખે ચાર વર્ણનો મહિમા શ્રીમદ્ ભગવતગીતામાં ગાયો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણો છે. આ ચાર વર્ણોના ધર્મ કર્મ વિષે ભારતીય સમાજ માહિતી ધરાવે છે. આ ચાર વર્ણો પૈકી ક્ષત્રિય વર્ણની વાત આપણે કરીશુ. ક્ષત્રિય એક મહાજાતિ છે. સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને આજ સુધી નદીના પ્રવાહની માફક આ જાતિનું વહેણ અણથમ્ભયું આગળ વધતું ગયું છે.

ક્ષત્રાયત તુ કિલત્રાય્ત તુ દગ્રઃ।

ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશ રૃઢઃ ।

          આમા ક્ષત્રિય શબ્દનો અર્થ આપ્યો છે. જે નર નિર્બળની રક્ષા કરેં એના પર થનાર અત્યાચારથી છુટકારો અપાવી શકે એજ યથાર્થ રૂપમાં ક્ષત્રિય છે. ત્રણેય લોકમાં ક્ષત્રિય શબ્દની આજ વ્યાખ્યા પ્રચલિત છે.

શોર્ય તેજો ધ્રુતિર્દાક્ષયં યુધ્ધે ચાપ્યપલાયનમ

દાનમીશ્વર ભાવ્શ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ

           શૌર્ય, તેજસ્વીતા, ધૈર્ય, દક્ષતા, યુદ્ધમાં પીછેહઠ ન કરવી દાન અને શાસનનું પ્રભુત્વ, ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. (શ્રી. ભ.ગી.અ.18/43) સદચરિત્ર એ ક્ષત્રિયો માટે અનિવાર્ય આભૂષણ છે. જેને દૂષણ લાગે એ સ્વયંભૂ ક્ષત્રિય મટી જાય છે. ક્ષત્રિયો પણ મોટા ભાગે ‘આર્ય’ શબ્દનો પ્રયોગ વારંવાર કરતા. ‘આર્ય’ શબ્દ સભ્યતાનું પ્રતીક છે. સંસ્કૃતિ શીલ માનવનો પર્યાય છે. પરસ્પર ભાવમિલન વેળા માન આપવા માટે સંબોધન માં વપરાતો શબ્દ છે.

ક્ષત્રિયના લક્ષણ:- ક્ષત્રિય જાતિ તો સરોવર ના જળ પર કમળ શોભે તેમ માનવ ઇતિહાસમાં પોતાના ઉત્તમ લક્ષણથી શોભે છે.

1)     તે અસત્ય ન બોલે. સત્યનો પરમ ઉપાસક હોય.

2)     બીજાને નુકસાન ન કરેં, ન કરાવે. તેનામાં પરપીડનવૃતિ ન હોય.

3)     વચન આપીને ફરી ન જાય. વચન પાલક હોય. રઘુવંશીઓનો તો મુદ્રાલેખ જ આ પાયા પર રચાયો હતો.

રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાઇ.

4)     પોતાની આબરૂ ખાતર મસ્તક કાપી જાણે કપાવી જાણે.

5)      શરણાગત ની રક્ષા કરેં.

6)      તે દાન કરેં,  પુણ્ય કમાય, તીર્થયાત્રા કરેં.

7)     તે ધનનો દુરવ્યય ન કરેં.

8)     ક્ષત્રિય રાજા હોય તો પ્રજાનું પુત્રવત્ પાલન કરેં. રામરાજ્યમાં પિતા પહેલા પુત્ર મરતો નહીં.

9)     બળનો ઉપાસક હોય દુશ્મનના મસ્તકે અસિ ચલાવે.

10)    કવિને કંઠ લગાવે. સાહિત્ય, કળા, સંગીત, અને સ્થાપત્યનો મમજ્ઞ તથા પોષક અને વર્ધક હોય.

11)   યુદ્ધમાં કપટ ના કરે, ધર્મયુદ્ધ કરે, યુદ્ધના ધર્મનું પાલન કરે.

12)    ક્ષત્રિય ના હાથમાંથી શસ્ત્ર એના પ્રાણ ગયા વગર ના છૂટે.

 સાચો ક્ષત્રિય મદિરાપાન ન કરે એનાથી ધન ની બરબાદી થાય છે. બુદ્ધિનો નાશ થાય છે. મનુષ્યનો શત મુખી વિનિપાત સર્જાય છે. ઇતિહાસ પોકારી પોકારીને કહે છે કે મોટા મોટા સામ્રાજ્યો, ગઢ, કોટ, કિલ્લા આ મદિરારૂપી ડાકણ ના પંજામાં સપડાઈ ને જડમૂળથી ઊખડી ગયા.

       હિમાલયના ઉત્તુંગ શિખરો પર વિજય મેળવવાની ક્ષમતા ને જે નર ધરાવે છે તે ક્ષત્રિય છે. ક્ષત્રિય યુવાન મોટા મોટા અહઁકારી ભૂપતિઓને પોતાના પાદ પ્રહારથી ધરાશાયી બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. ક્ષત્રિય પ્રચંડ વેગથી ધસમસતી આંધીને પણ રોકી ને બીજી દિશામાં વાળી શકે છે ક્ષત્રિય સાગરની ઊંચી ઊંચી મહાકાળ સમાન લાગતી પ્રચંડ વિરાટ લહેરોને શાંત પાડે છે. ક્ષત્રિય પળવારમાં મેઘના ગર્જનને શાંત કરી દે છે. વખત આવ્યે ક્ષત્રિય પોતાના બાહુબળથી પૃથ્વી અને આકાશ ને બાંધી લે છે. કૃષ્ણે અભિમન્યુ ઉત્તરાના મિલનની રાત શું લંબાવી ન હતી? ક્ષત્રિય મોટી મોટી ગર્જના કરતા પ્રચંડ પાણીના વેગની ધારાઓને સહજમાં રોકી લે છે. ક્ષત્રિય પ્રચંડ દાવાનળ અને વડવાનળ ની અગ્નિશિખા વચ્ચે પણ ડમરુ બજાવતા બજાવતા તાંડવ ખેલી જાણે છે ક્ષત્રિય સૂર્ય જેવા તેજસ્વી હોય છે. કણ્રૅ આથી જ મહાતેજસ્વી હોવાને કારણે સૂર્યપુત્ર કહેવાયો હતો.

       ક્ષત્રિય શીતળતા માં ચંદ્ર જેવો હોય એની છાયામાં સર્વને શાંતિ જ મળે વિક્રમાદિત્ય પરદુઃખભંજક પરોપકારી તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયો. પ્રજાના દુઃખો દૂર કરવા પુરાતન કાળના સમ્રાટો અને રાજાઓ છૂપાવેશે ફરતા અને દુઃખો દૂર કરતા કૃષ્ણ જેવા લોકનાયક હોય તો તે ક્ષત્રિય જ. ક્ષત્રિય માં રામ જેવી મર્યાદા હોય એ ધર્મ ધારક બની એની રક્ષા માટે પ્રાણની બાજી લગાવી શકે ક્ષત્રિય ના રોમ રોમ માં પ્રેમ અને ભક્તિ ભર્યા હોય. ત્યાગનો તો એ ખજાનો હોય. ભિષ્મ અને ચૂંડાજી જેવા ત્યાગવીર ક્ષત્રિય જાતિ માં જ સંભવી શકે.

       ક્ષત્રિય નિર્ધનનો દાતા હોય. હર્ષવર્ધન અને એના જેવા બીજા સમ્રાટો બાર વર્ષે મેળો ભરીને સર્વસ્વનુ દાન આપતા. ઇક્ષવાકુ વંશના યશસ્વી રાજા રઘુએ કૌત્સમાટે ધરતી પર દેવરાજ ઈન્દ્ર દ્વારા સોનામહોરોનો વરસાદ વરસાવ્યો હતો. વિક્રમ રાજાએ પોતાની પ્રજાનુ તમામ ઋણ ચૂકવી દીધું હતું. પ્રજાજનોનો પાલક હોય. એના મા ધૈર્ય હોય. એ ગંભીર હોય. સ-રસ હોય. એ સાત્વિક હોય, એનામાં શરણાગત વત્સલતા હોય. રાગ અને દ્વેષ એનાથી માઇલો દૂર ભાગતા હોય.

       સાચા ક્ષત્રિય ના હૈયામાં કરુણાનું ઝરણું વહેતું હોય. વનવાસ દરમિયાન રામે ઋષિઓની અસ્થિઓનો ઢગ જોયો અને અત્યાચારી રાવણના વધની પ્રતિજ્ઞા લીધી. પક્ષીને બચાવવા પોતાના દેહનું બલિદાન આપવા તૈયાર થનાર રાજા શિબિ કે ગાયનો નંદીનો જીવ બચાવવા પોતાની જાતને સિંહના હવાલે કરવા તૈયાર થનાર રઘુવંશના રાજવી દિલીપ ક્ષત્રિય હતાને? એ શક્તિનો ઉપાસક હોય. ભીમ, અર્જુન, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, પૃથ્વીરાજ, ચામુંડરાય, મેવાડપતિ, સમરસિંહ, વીર જયમલ રાઠોડ આ બધા શક્તિ ના મહાઉપાસકો હતા એમના રણક્ષેત્ર ના પરાક્રમો જાણીતા છે. ક્ષત્રિય નારી સન્માનની ભાવના ધરાવે જ.

       ક્ષત્રિય દેશપ્રેમનો મતવાલો હોય. પોતાની ભૂમિ નો જાગૃત મતવાલો હોય. શત્રુ સેના માટે વીરભદ્ર-શો મહાકાય, મિત્રો માટે વટ વૃક્ષની છાયા સમ, દુશ્મનોને કંપાવનાર હોય.

         અત્યાચારી અને અન્યાયી માટે કઠોર યમદૂત સમાન અબળાઓ  અને દુઃખીઓના અંતર્નાદથી મીણબત્તીની માફક કરુણામાં ઓગળી જનાર.

       ઘોર સંગ્રામ વેળા ભૈરવ સમાન ઘૂમતો હોય. એ દુંદુભીનાદના ભીષણ અવાજ વેળા પણ યુદ્ધમાં કૂદી પડે. સાચો ક્ષત્રિય વીજળીની માફક ચમકતી તલવારોના અવાજ હણહણતા અશ્વદળની માહે ચિંઘાડ્તા ગજ સૈન્યની મધ્યમાં, શાસ્ત્રોના ઘાથી ચીસો પાડતા દુશ્મનોના દળને રક્તનું તર્પણ કરે છે.

         બહાદુર ક્ષત્રિય ઘોર  અંધકારમાં મસાણમાં ચરર…ચરર… સળગતી અગ્નિ-ફેણ જેવી જ્વાળાઓ, ઘૂમતા ભૂત પ્રેતો વચ્ચે પણ ઉન્મત લાલપીળી આંખો કાઢતી, મોટા અણીદાર નખ અને દાંતોવાળી ચુડેલોના ઘેરાને ચીરીને ક્ષેમકુશળ નીકળી આવતો હોય છે. ક્ષત્રિય નો હોંકારો એટલે મેઘની ગર્જના, મેઘનો નાદ, ગુસ્સે થયેલા સિંહોના ટોળા પણ ક્ષત્રિયના નાદ મેઘનાદથી ભાગી જાય. ક્ષત્રિય પોતાની ભવાની થી દુશ્મનના શરીરને કાપીને ગીધ અને શિયાળવાંને ભોજન માટે નિમંત્રણ આપે છે. નશામાં ઉન્મત હાથીઓના ટોળાંને ક્ષત્રિય રોકી રાખે છે. હિંસક પ્રાણી હુમલો કરે તો એની જીભ ક્ષત્રિય, સામી છાતીએ ઘસીને ખેંચી કાઢે છે. રાજપૂત અને ક્ષત્રિય બંને સમાનાર્થી શબ્દો છે. ભગવાન વિષ્ણુના અવતારો શ્રીરામચંદ્રજી, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ ક્ષત્રિય હતા એટલે રાજપૂત હતા. મૂળ રાજપૂત વંશોની સંખ્યા છ્ત્રીસની છે.દસ સૂર્યવંશી દસ ચંદ્રવંશી બાર ઋષિવંશી તથા ચાર અગ્નિવંશી. મહાવીર સ્વામી જૈનધર્મના ચોવીસમાં તીર્થંકર હતા. એ પહેલાં આ ધર્મમાં ૨૩ તીર્થંકરો થઈ ગયા. એક તીર્થંકર અને બીજા તીર્થંકર વચ્ચેનો સમયગાળો પણ ખૂબ જ મોટો હોય છે. અને બધાંજ તીર્થંકરો ક્ષત્રિય હતા. હવે ક્ષત્રિયોની પ્રાચીનતા વિષે વિચારો. રઘુવંશના બધાંજ રાજાઓ ક્ષત્રિય હતા.

 ગાયત્રીમંત્રના રચયિતા મહર્ષિ વિશ્વામિત્ર ક્ષત્રિય કુળના હતા. દર્શન શાસ્ત્રોના પ્રણેતા પણ ક્ષત્રિય હતા. રામાયણ અને મહાભારતના રચયિતા ક્ષત્રિય ન હતા પરંતુ એના નાયકો, અધિનાયકો ક્ષત્રિયો હતા. ભગવાન પરશુરામની ફરસી એકવીસ વાર ફરી. રાજપૂત રાજાઓ રાજપૂતીને ભૂલ્યા માટે એમનો વધ થયો. પછીથી જનકસૂતાના સ્વયંવરમાં ‘ક્ષત્રીવિહીન મહી મૈં જાની’ નો જનકજીનો વિષાદ રામે સહજ રીતે શિવધનુષ્યભંગ કરીને દૂર કર્યો. શક પ્રજાને આ દેશની સરહદેથી ભગાડનાર વીર વર સ્કંદગુપ્ત મહાન રાજપૂત હતો. સમગ્ર એશિયાખંડમાં બૌદ્ધધર્મનો પ્રકાશ-પુંજ ફેલાવનાર અશોક પણ મહાન રાજપૂત હતો. જેના વિષે એચ.જી.વેલ્સે લખ્યું છે કે, “ ઇતિહાસના પાનાઓમાં દુનિયાના જે લાખો સમ્રાટો, રાજરાજેશ્વરો, મહારાજાધિરાજો વગેરેના નામો અંકિત થયા છે. એમાં કેવળ સમ્રાટ અશોકનું નામ જ ગગનના તારાની માફક ચમકે છે. વૉલ્ગા નદીથી જાપાન સુધી એનું નામ ઘણાં આદર સાથે લેવામાં આવે છે.” આ મહાન ક્ષત્રિય વિષે પંડિત જવાહરલાલ આ પ્રમાણે કહે છે.

         “ મોટા મોટા વજનદાર પથ્થરોથી બનાવેલો રાજમહેલ નષ્ટ થઈ ગયો. પરંતુ સમ્રાટ અશોકની કીર્તિ એશિયાખંડમાં આજે પણ 22૦૦ વર્ષ પછી જીવંત છે.

ક્ષત્રિય મૂળ શબ્દથી પાછળથી એનાં પર્યાય તરીકે રજપુત, રાજપુત શબ્દો આવ્યા.

 મહાન ક્ષત્રિયોમાં ‘મનુસ્મૃતિ’ના રચયિતા વૈવસ્ત મનુ, મહારાજ ઇક્ષ્વાકુ, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, સાગર, ભાગીરથીને ધરતી પર લાવનાર રાજા ભગીરથ, સિંહના પંજામાંથી ગાયને બચાવવા પોતાના પ્રાણોની આહુતિ આપવા તૈયાર થનાર રાજા દિલીપ, જેના નામ પરથી આગળ વંશ ચાલ્યો એ રઘુરાજા. ઉજ્જૈન નગરીની રાજકુમારીને જીતીને નર્મદા કિનારે ભારતભરના સમ્રાટોને હરાવી, ઇન્દુમતીને પ્રાપ્ત કરી કીર્તિમાન સ્થાપિત કરનાર મહાન ક્ષત્રિય યુવક તેજ રઘુ. રઘુવંશનો પ્રણેતા. દેવોને પણ સહાયતા કરનાર રાજા દશરથ, ધર્મની મર્યાદાનો સંદેશો ફેલાવનાર શ્રીરામચંદ્રજી, લાહોર વસાવનાર લવ, કુશવાહાનો પ્રથમ પુરુષ કુશ, રાજા નળ, શિબીરાજા, ભકતરાજ, અંબરીષ, યયાતિ, યદુરાજા, રાજા દુષ્યંત, જેના નામ પરથી આ દેશ ભરતખંડ કહેવાયો તે રાજા ભરત. હસ્તિનાપુરના સંમ્રાટ શાંતનું, ભીષ્મ પિતામહ, પાંડુરાજ, શ્રીકૃષ્ણ, બળરામ, વીરવર અર્જુન, સૂર્યપુત્ર કર્ણ, ભીમ, અભિમન્યુ, વિક્રમાદિત્ય, ભર્તુહરિ-નીતિ, શ્રુંગાર અને વૈરાગ્ય- શતક ત્રયીના રચયિતા. માળવાનો સંસ્કૃતિ વિધાયક રાજા ભોજ, દેવોના પ્રિય સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, હર્ષવર્ધન, કાલભોજ ઉર્ફે બાપ્પા રાવળ, બિસલદેવ, વિગ્ર્હરાજ, પૃથ્વીરાજ ચૌહાણ, સિધ્ધરાજ જયસિંહ, ચક્રવર્તી કુમારપાળ, વીર સ્વામીભક્ત આલ્હા અને ઉદલ, હમ્મીરદેવ, રાણા ભીમસિંહ, ગોરા અને બાદલ, રાણા સંગ્રામસિંહ, જયમલ રાઠોડ, પત્તા સિસોદિયા, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, બુંદેલા વીર રાજા છત્રસાલ, ‘57’ નો ક્રાંતિવીર રાજા કુંવરસિંહ.

 સમ્રાટ હર્ષવર્ધન ના મૃત્યુ બાદ, દેશમાં કુસંપ વધતો ગયો. એનો લાભ વિદેશી શક, કુશાણ અને હુણોએ આક્રમણ કરી લીધો. ભારતનો ઘણો પ્રદેશ પચાવી પાડ્યો. ઇતિહાસકારોએ, જે જાતિ-દ્વેષથી પિડાયેલા હતા, આ અંધાધૂંધીના કાળનો લાભ લઇ ઇતિહાસમાં ક્ષેપક વર્ણનો ઘુસાડી દીધા. જેથી રાજપૂત જાતિ પોતાના પ્રાચીન ગૌરવથી કપાઈ જાય. તેઓએ પોતાના વર્ણનોમાં વૈદિકકાળના ક્ષત્રિયો અને મધ્યકાળના રાજપૂતો વચ્ચે એક મોટી ખાઈ છે, જેનું સંધાન લગભગ અશક્ય છે. એવું વારંવાર ઠસાવવા માંડ્યું.

  તેઓએ હકીકતને વિકૃત કરવા માંગતા હતા કે, ક્ષત્રિય ઉર્ફે રાજપૂતો સાચે જ આર્ય છે. તેઓ અને તેઓના વંશજો કદાપિ અનાર્ય ન હોઈ શકે.

 કેટલાક ઇતિહાસકારો ક્ષત્રિયોના ગૌરવનું ખંડન કરવા એવી વાતો પોતાની રચનાઓમાં લખતા ગયા કે, ક્ષત્રિયોની જુદા જુદા વંશોનું મૂળ ઉદભવસ્થાન શક, હુણ કે કુશાણોના આક્રમણ કાળ સાથે સંબંધ ધરાવે છે. શ્વેત હુણ,  જેઓએ પાંચમી સદીમાં ગુપ્ત સામ્રાજ્ય જીતી લીધું તેઓએ પાછળથી હિન્દુધર્મ અપનાવી લીધો. પાછળથી તેઓએ રાજપૂત વંશોની સ્થાપના કરી. બ્રાહ્મણ વર્ગે તથા તેઓમાં રાજકીય અને સાંસ્કૃતિક કારણોસર સમન્વય સધાયો. એમણે પાછળથી લખાયેલા, લિપિબદ્ધ થયેલા પુરાણોમાં ક્ષેપક ભાગોમાં તેઓનો સંબંધ રામ અને કૃષ્ણ સાથે જોડી દીધો. 

સમગ્ર ક્ષત્રિય જાતિને હલકી કોટિમાં મૂકવાનું ભારતના અભિજાત્ય વર્ગનું આ સાંસ્કૃતિક કાવતરું હતું એમ હાલના સંશોધનો પરથી સિદ્ધ થયું છે. સમાજે તો ‘ચંદ્રગુપ્ત’ ને પણ ‘હલકો’ કહીને તિર્સ્કાર્યો હતો. સત્તાધીશ થયા પછી જ સમાજે એને સ્વીકાર્યો.

 હવે આપણે  ‘મેડીવિઅલ હિન્દુ ઇન્ડિયા’માં પ્રસિદ્ધ ઇતિહાસકાર સી.વી. વૈદ્યનું આ બાબતે મંતવ્ય જોઈશું. “ રાજપુત અનાર્ય ન હતા. આ સંબંધમાં વંશગત, પરમ્પરાગત અને સંભાવનાગત જે જે પ્રમાણ મળે છે. એ વાતથી એ સિદ્ધ થઈ જાય છે કે, રાજપૂતો શુદ્ધ આર્ય છે. એમને વિદેશી સાઇથિક જાતિના વંશજો કહી શકાય નહીં. એવું માનવામાં આવે છે કે, એમાંથી કેટલાક ગુર્જરના વંશજ હતા. જેને શક, હુણ, કુશાણમાંથી ઉતરી આવ્યા હોવાનું કેટલાક સાબિત કરવા માંગે છે. તો પણ એમને અનાર્યોની શ્રેણીમાં કદાપિ ન મૂકી શકાય.”

 દક્ષિણ ભારતના ઇતિહાસકારો પર અંગ્રેજી ભાષાના ઇતિહાસકારોની જબરજસ્ત અસર છે. તેઓ ફારસી ઇતિહાસકારોના ઇતિહાસને આધારભૂત માને છે. મોગલ દરબારના આ ઇતિહાસકારો પાસે તટસ્થતાની આશા રાખવી વ્યર્થ છે. શ્રીનિવાસાચારી, એમ.એ જેવા ઈતિહાસકારો બાપ્પા રાવળના ગુહિલોતવંશને રામના રઘુવંશ માંથી ઉદ્ભવતો માનતા જ નથી. તેઓ પોતાના ઐતિહાસિક ગ્રંથ ‘મુગલ ભારત’ માં લખે છે.

“ મેવાડ કે સિસોદીયા રાજપૂતોં મેં સબસે અધિક ગર્વીલ માને જાતે હૈં, અપને કો રામ કા વંશજ કહેતે હૈ.” જે સ્વયંસિદ્ધ હકીકત છે તે પ્રત્યે તેઓ આશંકા સેવે છે. ક્ષત્રિય અસ્મિતાને દબાવવાનું શતાબ્દીઓથી આ એક ષડયંત્ર ચાલતું આવેલું છે. જેની ચરમસીમા આજે, વીસમી સદીમાં અત્ર, તત્ર, સર્વત્ર જોવા મળે છે.

સાતમી સદીથી બારમી સદીને આપણે રાજપૂત યુગ ગણીએ છીએ. એ દરમિયાન ક્રૂર જાતિઓના આક્રમણોથી બધા દેશોની સ્થાનિક સત્તાઓ ઉખડી ગઈ હતી. જ્યારે રાજપૂત જાતિએ મોંઘેરા બલિદાન આપી વિદેશી આક્રમણખોરોને સરહદ પર જ રોકી રાખ્યા હતા. ક્ષત્રિય મહાજાતિનો માનવ સભ્યતાના ઇતિહાસમાં આ બહુમૂલ્ય ફાળો છે. પ્રાચીન સાહિત્યમાં ચૌબેજી લખે છે..” રાજપૂતોમાં બિરાદરી અને ઉચ્ચ કુળના હોવાના ભાવો પ્રબળ વેગથી વહેતા હતા. તેઓ પોતાના સરદારની આજ્ઞા અચૂક પાડતા. પોતાની કન્યાઓનો વિવાહ તેઓ ઊંચા કુળમાં કરતા પોતાના માટે તેઓ બરાબરિયા અથવા નીચા કુળમાંથી પણ પત્ની લાવતા. યુદ્ધો ની બોલબાલા હતી એટલે જૌહર અને કેસરિયા ની પ્રથા હતી.”

 આ યુગમાં હિંદુધર્મનો આમજનતામાં વિશેષ પ્રચાર થયો. આ સમયે મોટા મોટા મંદિરો બંધાયા. ક્ષત્રિયો મોટે ભાગે શિવ અને શક્તિના ઉપાસકો હતા. ગુજરાતમાં સોલંકી રાજા શૈવ ધર્મ પાળતા, રાજસ્થાનમાં ગુહિલોત વંશ તો ભગવાન એકલિંગજીનેજ મેવાડના ગાદીપતિ માનતા. ધાર્મિક ઉત્સવો ઉજવવાની પ્રથા શરૂ થઈ. યાત્રાઓ વધી. રાજમાતા મીનળદેવીએ યાત્રાવેરો માફ કરાવ્યો હતો એ હકીકત જાણીતી છે. પુરાણો અને મહાકાવ્યોના પઠન-પાઠન અને શ્રવણની પ્રવૃત્તિઓ વેગ પકડવા લાગી. આ સમયમાં આમજનતામાં શિવ, વિષ્ણુ, શક્તિ, ભગવતી, આદિત્ય અને ગણપતિની પૂજાનો મહિમા ખૂબ વધી ગયો. જૈન ધર્મના મંદિરો આબુ, રાણકપુર, પાલીતાણામાં બંધાયા. ક્ષત્રિય જાતિમાં જે મહાન પુરુષો થઈ ગયા. તેમાં તેના ચોવીસેચોવીસ તીર્થંકરો ક્ષત્રિય જ હતા. આ એક ઐતિહાસિક તથ્ય છે.

 કર્નલ વોલ્ટર રાજપૂત જાતિ માટે લખે છે.

“ રાજપૂતોને પોતાના પૂર્વજોના મહત્વપૂર્ણ ઇતિહાસનું અભિમાન હોય એ સ્વાભાવિક છે. કારણ કે, વિશ્વના કોઇપણ દેશના ઇતિહાસમાં આવી વીરતા અને ગર્વ કરવા લાયક ચારિત્ર્ય મળતું નથી. આ વીરોના કાર્યોમાંથી એ ઝલક સાહજિકપણે એ મળી આવે છે. એમણે પોતાના દેશ, આબરુ અને ધાર્મિક સ્વતંત્રતા માટે જે અદભૂત ‘જવાંમર્દી’ બતાવી છે એ ખરેખર બેનમૂન છે.” મિસ્ટર ટેલવીય વ્હીલર રાજપૂત જાતિની પ્રાચીનતા માટે સ્પષ્ટ લખે છે. “રાજપૂત જાતિ ભારતદેશમાં કુલીન અને સ્વાભિમાની છે. વિશ્વમાં બીજી કોઈ એવી જાતિ ભાગ્યે જ મળી આવશે. જેની ઉત્પત્તિ આટલી પુરાણી અને શુદ્ધ હોય. તેઓ ક્ષત્રિય જાતિના ઉચ્ચ વંશજ છે. આ વીરો ગરીબ અને અનાથોના રક્ષક હોય છે. તેઓ અપમાનને જરાપણ સહન કરી શકતા નથી. પોતાની સ્ત્રીઓના પૂર્ણ સ્વમાનના આગ્રહી હોય છે.” હવે કર્નલ ટોડનું મંતવ્ય જોઈએ.  “આ વીરજાતિના વંશધરો સતત પેઢીઓ સુધી યુદ્ધ કરતા. પોતાના પૂર્વજોના ધર્મની રક્ષા માટે પોતાની અતિ પ્રિય વસ્તુની હાનિ પણ ઉઠાવતા. બધુંજ હોમીને શૌર્યપૂર્વક, પોતાનાં સ્વાભિમાન અને જાતીય સ્વતંત્રતાને મોટામાં મોટી લાલચને ઠોકર મારીને પણ તેઓ બચાવે છે. મહાનતા, શૂરવીરતા, દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા, અતિથિ સત્કાર, નિર્બળની રક્ષા વગેરે ઉત્તમોત્તમ માનવીય ગુણો આ રાજપૂતોમાં જોવા મળે છે.”

 મોગલ શહેનશાહ અકબરનો દરબારી કવિ અબુલ-ફઝલ રાજપૂતો બાબતે લખે છે. “ આફતના સમયે જ રાજપૂતોનું સાચું ચારિત્ર્ય ઝળકી ઊઠે છે. આવા સમયે, રાજપૂત સૈનિક પોતાના રક્ષણ માટે રણક્ષેત્રમાંથી ભાગતો જ નથી. જ્યારે લડાઈની હવા તેની વિરુદ્ધ જાય છે. ત્યારે તેઓ પોતાના ઘોડા પરથી ઉતરીને લડવા મંડી પડી જાય છે અને વીરતાપૂર્વક પોતાના પ્રાણોનું બલિદાન આપે છે. બરનિયર ના મંતવ્યને જોઈએ.

રાજપુતો જ્યારે યુદ્ધે ચડે છે ત્યારે પરસ્પર એવી રીતે ગળે મળે છે. ભેટે છે, જાણે મરવાનો પાક્કો નિર્ધાર એમણે કરી લીધો ના હોય. એમના જેવી વીરતા દુનિયાની બીજી કોઈ જાતિમાં જોવા મળતી નથી. રાજપુતોની સર્વોચ્ચ સભ્યતા અને એમના અતુલનીય સાહસથી, પોતાના પૂર્વજોના રિવાજો, ભયંકર મુસીબતો વખતે પણ બહાદુરી સાથે નિભાવી રાખ્યા છે.”

ક્ષત્રિય જાતિમાં જે મહાન પુરુષો થઈ ગયા તેમાં જૈન ધર્મના ચોવીસે ચોવીસ તીર્થંકરો ક્ષત્રિય જ હતા. આ એક ઐતિહાસિક સત્ય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ હતા. તેમની માતા મરૂદેવી અને પિતા નાભિકુલકુર  હતા. તેઓનો વંશ ઇક્ષ્વાકુ હતો. ગોત્ર કશ્યપ હતું.

જૈનોના બીજા તીર્થંકર અજીતનાથ હતા. તેમના પિતા જીતશત્રુ હતા. માતાનું નામ વિજયદેવી હતું. ઇક્ષવાકુ વંશ હતો. અને કશ્યપ ગોત્ર હતું.

જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથ હતા. જિતારી તેમના પિતા અને સેવાદેવી માતા હતા. ઇક્ષવાકુ વંશ હતો. અને કશ્યપ ગોત્ર હતું.

જૈનોના ચોથા તીર્થંકર અભિનંદનનાથ હતા. તેમના પિતા સંભર અને માતા સિધ્ધાયા હતા. ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર કશ્યપ હતું.

જૈનોના પાંચમાં તીર્થંકર શ્રીસુર્ભીત સ્વામી, મેઘ પિતા અને માતા મંગલા ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર કશ્યપ હતું.

જૈનોના છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુના પિતા પર હતા. અને માતા સુશી હતા. ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર કશ્યપ હતું

જૈનોના સાતમાં તીર્થંકર સુપાર્શ્વનાથ હતા. પિતા પ્રતિષ્ઠ અને પૃથ્વી માતા ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર.

જૈનોના આઠમાં તીર્થંકર શ્રીચંદ્રપ્રભુ હતા પિતા મહસેન હતા. માતા લક્ષ્મણાદેવી. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર.

જૈનોના નવમાં તીર્થંકર સુવિધનાથ ઉર્ફે પુષ્પદત્ત હતા. તેમના પિતા સુગ્રીવ અને માતા રામા હતા. ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર કશ્યપ હતું.

જૈનોના દસમાં તીર્થંકર શ્રીશીતલનાથ હતા. પિતા દ્રઢરથ અને માતા નંદા હતી. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર.

જૈનોના અગિયારમાં તીર્થંકર શ્રીશ્રેયાસનાથ હતા. તેમના પિતા વિષ્ણુ નામે હતા. અને માતા વિષ્પુત્રી અને ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર કશ્યપ હતું.

જૈનોના બારમાં તીર્થંકર શ્રીવાસુપૂજ્ય હતા. તેમના પિતા વસુપૂજ્ય અને માતા જિયા હતા. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર હતું.

જૈનોના તેરમાં તીર્થંકર શ્રીવિમલનાથ હતા. જેમના પિતા કૃતવર્મા અને માતા શ્યામ હતા. કશ્યપ ગોત્ર અને ઇક્ષ્વાકુ વંશ હતો.

જૈનોના ચૌદમાં તીર્થંકર અનંતનાથ હતા. પિતા સિંહ્સેન તથા માતા સુયાશા હતા. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર હતું.

જૈનોના પંદરમાં તીર્થકર શ્રીમેઘનાથ, પિતા ભાનું અને માતા સુવ્રુતા હતાં. ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર કશ્યપ હતું.

જૈનોના સોળમાં તીર્થંકર શ્રીશાંતિનાથ, પિતા વિશ્વસેન અને માતા અચિરા હતા. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર હતું.

જૈનોના સત્તરમાં તીર્થંકર શ્રીકુંભનાથ હતા. પિતા સુરસેન અને માતા શ્રીદેવી હતા. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર હતું.

જૈનોના અઢારમાં તીર્થંકર શ્રીઅમરનાથ હતા. પિતા સુદર્શન અને માતા શ્રીદેવી હતા. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર હતું.

જૈનોના ઓગણીસમાં તિર્થકાર શ્રીમલ્લીનાથ હતા. પિતા કુંભ હતા. અને માતા પ્રભાવતી દેવી હતા. ઇક્ષ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર.

જૈનોના વીસમાં તીર્થંકર વિશ્વ સવૃતસ્વામી, પિતા સુમિત્ર નામે, પદ્માવતી માતા. હરિવંશ અને ગોત્ર ગૌતમ હતું.

જૈનોના એકવીસમાં તીર્થંકર શ્રીનેમિનાથ, પિતા વિજયસેન, માતા વપ્રા અને ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર કશ્યપ હતું.

જૈનોના બાવીસમાં તીર્થંકર શ્રીઅરિષ્ઠનેમી, પિતા સમુદ્રવિજય માતા શિવા અને હરિવંશ તથા ગૌતમ ગોત્ર.

જૈનોના ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ, પિતા અશ્વસેન. માતા વામા. ઈશ્વાકુ વંશ અને કશ્યપ ગોત્ર.

જૈનોના ચોવીસમાં તીર્થંકર શ્રીવર્ધમાન સ્વામી (મહાવીર સ્વામી). પિતા સિદ્ધાર્થ. માતા ત્રીશલા દેવી. ઇક્ષ્વાકુ વંશ કશ્યપ ગોત્ર.

આ સમય એટલે કે અરવલ્લી પર્વતમાળાની છાયામાં વિદેશી આક્રમણખોરોની અસરથી પાછળ હઠેલા રાજવંશોની દિલ્હીથી પીછેહઠ દરમિયાન- અનેક રાજપૂત રાજ્ય સ્થપાયા. ચિત્તોડગઢમાં તો બાપા રાવળનું રાજ્ય પ્રથમથી જ હતું. એટલે એને શીર્ષઉદયના નામે પણ ઓળખાવા લાગ્યું. આ ગુહિલોત વંશ સૌથી પ્રાચીન વંશ હતો. રાજપૂતોમાં મહત્વ અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ તેઓ અગ્રસ્થાન ભોગવે છે. તેઓ ક્રમભંગ થયા વગર સીધા સૂર્યવંશી છે. આ પ્રતાપી રાજ વંશના સંસ્થાપક બાપા રાવળ મહાપરાક્રમી હતા. એમને ‘કાલભોજ’ નું બિરુદ આપવામાં આવેલ.

 મહાજાતિ ક્ષત્રિયની અસ્મિતા વિષે વિશેષ શું કહેવું? ક્ષત્રિયજનો જાગે અને પોતાના યશસ્વી પૂર્વજોના પથપર અગ્રેસર બને તો વિશ્વસનીયતા પણ તેમનો પથ યશસ્વી બનાવે.