Guhilot dynasty and Maharana Pratap in Indian history - 76 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 76

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 76

૭૬ ચંગેઝખાઁથી હુમાયુઁ સુધી

         ઇ.સ. ૧૧૯૫ માં ચંગેઝખાઁનો જન્મ થયો. ઇ.સ. ૧૫૫૬માં હુમાયુઁનું મૃત્યુ થયું. સાડા ત્રણસો વર્ષોની તવારીખ આ વંશે એશિયાના નકશા પર બુલંદીથી આંકી. વિશ્વ ઇતિહાસમાં એના ત્રણ-ત્રણ નબીરાઓ એશિયાના મહાન સેનાપતિઓ, વિજેતાઓ તરીકે, આ સમય દરમિયાન સ્થાન પામ્યા. એ હતાં ચંગેઝખાઁ તૈમુરલંગ અને બાદાશાહ બાબર.

         પિતાના આક્સ્મિક નિધનથી અકબર ૧૪ મી ફેબ્રુઆરી, ૧૫૫૬ના રોજ માત્ર ૧૩ વર્ષની વયે શહેનશાહ બન્યો.

અકબર મહાન પૂર્વજોનો વારસો ધરાવતો હતો. ચંગેઝખાઁ અને તૈમુર લંગના  વંશધર હોવાનો બાદશાહ બાબરને ગર્વ હતો. અકબર એ બાબરનો મહત્વાકાંક્ષી પૌત્ર હતો.

એક જમાનામાં પોતાના દુશ્મનોનો પીછો કરતો કરતો ઠેક સિંધુ નદી સુધી ચંગેઝખાઁ આવી પહોંચ્યો. પરંતુ તે કોઇક કારણસર ત્યાંથી પાછો ફરી ગયો. અને સદનસીબે ભારત એક ભયંકર કત્લેઆમમાંથી ઉગરી ગયું.

મંગોલિયાના સ્ત્રી-પુરૂષો ખૂબ જ બળવાન હતા. ખુલ્લા પ્રદેશના હોવાથી મુસીબતો સહન કરવાની આદતો તેમના જીવન સાથે વણાઇ ગઈ હતી. ઉત્તર-એશિયાના લાંબા પહોળા મેદાનમાં તંબુ નાંખીને તેઓ રહેતાં.

મોંગોલિયાના લોકોમાં કષ્ટ સહન કરવાની તાકાત હતી આથી એમનું શરીર બળવાન હતું. છતાં જો ચંગેઝખાઁ આ જાતિમાં પાક્યો ન હોત તો ઇતિહાસના પટ પર એનું નામ આટલું ઝળહળતું ન હોત.

ઇ.સ. ૧૧૫૫માં યેગુસીમગાતુરને ત્યાં એક બાળકને જન્મ થયો. બાળ વયે જ એણે પિતાની છત્રછાયા ગુમાવી.

“મગાતુર”અનો મંગોલભાષામાં “બહાદુર” એવો અર્થ થાય છે.

માત્ર ૧૦ વર્ષની ઉંમરથી જ બાળકે પ્રગતિના સોપાન સર કરવાનો શુભારંભ કર્યો. પ્રગતિની આ કૂચ વણથંભી ચાલુ જ રહી. અંતે મંગોલોની મોટી સભા “કુરૂલતાઈ”એ અધિવેશન ભરી એને પોતાને મહાન સમ્રાટ જાહેર કર્યો. આ સમય દરમિયાન એ ચંગેઝખાઁનના નામે જાણીતો થઈ ચૂક્યો હતો.

 જ્યારે ચંગેઝખાન સમ્રાટ બન્યો ત્યારે એની ઉંમર ૫૧ વર્ષની હતી. ચંગેઝખાને ૫૧ વર્ષની ઠરેલ ઉંમર પછી જ બધાં મહાન વિજયો હાંસલ કર્યા.

અનુશાસન અને સંગઠનના પાયાપર ચંગેઝખાન સિકંદર અને જુલિયસ સિઝર  કરતાંયે મહાન બની ગયો. એ સ્વયં બાહોશ સેના નાયક તો હતો જ. પોતાના ઘણાં યુવાનોને તાલીમ આપીને સેનાનાયક તરીકે કેળવ્યા.

એની ખરી ખૂબી તો એ હતી કે, વતનથી હજારો માઇલ દૂર, દુશ્મન સેના અને વિરોધી પ્રજાની વચ્ચે ઘેરાયેલા ચંગેઝખાઁને હંમેશા પોતાની સેનાથી વધારે સંખ્યાબળ ધરાવતી સેનાઓને ધરાશયી બનાવી હતી. અર્જુન અને કૃષ્ણ, રામ અને લક્ષ્મણની એ તો મોટી ખાસિયત હતી.

ચંગેઝખાને સાગરથીયે વિશાળ સેના સાથે કૂચ કરી. ઉત્તર ચીન, મંચુરિયા, પેકિંગને પણ જીતી લીધું. વિજયની પરંપરા આગળ વધી. પરંતુ એની પણ ચરમસીમા આવે છે. સ્વયં ચંગેઝખાઁ યુદ્ધથી વિરામ ચાહતો હતો પરંતુ યુદ્ધે તેને ન છોડ્યો.

મંગોલ સોદાગરો આરજમના પ્રદેશમાં જઈ પહોંચ્યા. ત્યાંના અવિચારી સુબાએ આ સોદાગરોની કતલ કરી નાખી. આ સમાચાર ચંગેઝખાન પાસે પહોંચ્યા ત્યારે પ્રથમ તો એ તપી ગયો.

“એક મામૂલી સૂબો ચંગેઝખાનને પડકાર આપે છે? એને ખબર નથી એના આરજમના સામ્રાજ્યની ગરદન મરોડી નાખવાની મારામાં ક્ષમતા છે. પણ હું સંઘર્ષ ઇચ્છતો નથી.”

“જાઓ, આરજમના બાદશાહને સંદેશો આપો કે, મારા સોદાગરોની કતલ કરનાર બદતમીઝ સૂબાને સખત સજા આપવાની શરતે હું સમાધાન ચાહું છું.”

સંદેશો પહોંચ્યો.આરજમના બાદશાહે કોઇપણ જાતનો વિચાર કર્યા વિના સંદેશો લાવનાર રાજદૂતનો જ વધ કારી નાખ્યો. ભરદરબારમાં પોતાની શમશેરથી ડોકુ ઉડાવી દીધું.

વજીરે કહ્યું, “ બાદશાહ, આ મસ્તકના ભારે મોલ ચુકવવા પડશે.”

“રાજદૂતની હત્યા.” સાંભળતાની સાથે જ ચંગેઝખાને આરજમ સામ્રાજ્યની તબાહીની પ્રતિજ્ઞા લીધી.

ભયંકર આક્રમણ કરવામાં આવ્યું. ખુંખાર સિપાહીઓને બધી જ છૂટ આપવામાં આવી. આખુ સામ્રાજ્ય બરબાદ કરી નાખ્યું. દશ લાખ માણસોમાંથી માત્ર ૫૦ હજર માનવો જ જીવતા રહ્યાં.

હિરાત, બલ્ખ અને બીજા શ્હેરો નષ્ટ કરી નાખ્યા. આ આંધિ સામે આરજમના બાદશાહનો દીકરો જલાલુદીન બહાદુરીથી લડ્યો. પાછો હટતો હટતો છેક સિંધુ નદી સુધી આવી પહોંચ્યો.

પાછળ પડેલા યમરાજ જેવા ચંગેઝખાનથી બચવા વીસ ફૂટ ઉંડી સિંધુનદીમાં ઘોડા સહિત કુદી પડ્યો.  તરીને બીજે પાર નીકળી ગયો. દિલ્હી દરબારમાં એણે આશરો લીધો.

ચંગેઝખાન રશિયા તરફ આગળ વધી ગયો. ઇ.સ. ૧૨૨૭ માં ૭૨ વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો.

વિશ્વનો ઇતિહાસ ચંગેઝખાનને “દાનવ”ના નામે ઓળખે છે. એ “ખુદા કા કહર” હતો.

ચંગેઝખાન એ મંગોલ નામ છે. એના પછી ઓગતાઇ સમ્રાટ થયો. જે એનો પુત્ર હતો. એ જમાનાના મંગોલોમાં એ દયાવાન અને શાંતિપ્રિય હતો.

તે કહેતો “ અમારૂં આંગણૂં ચંગેઝખાને ખૂબ જ  મહેનત કરી, મહાન ખાનદાન ઉભું કરી ઉજાળ્યું છે. હવે સમય આવી પહોચ્યોં છે કે, અમે લોકો શાંતિ અર્પીએ. ખુશી બક્ષીએ, પ્રજાની હાડમારીઓ ઓછી કરીએ.

-૨-

તૈમુરલંગ સમરકંદનો બાદશાહ હતો. એ પોતાના મહાન પૂર્વજ ચંગેઝખાઁ જેવો પરાક્રમી બનવાના નાનપણથી સ્વપ્ના સેવતો હતો.

એના પિતાનું ઇ.સ. ૧૩૬૯માં અવસાન થયું.

હવે તે સમરકંદનો બાદશાહ બન્યો. એણે વિજયોની પરંપરા સર્જી. જ્યાં જ્યાં એના કદમ પડ્યા ત્યાં ત્યાં બરબાદીનું તાંડવ રચાયું. એણે નરામૂંડોના ઢાગલા ખડકી દીધા.

ભારત પર એણે આક્રમણ કર્યુઁ દિલ્હીમાં એને અને એના મદાંધ સિપાહીઓને છંછેડવામાં આવ્યા અને પછી તો એણે દિલ્હીને “મુર્દે હા શહર” જ બનાવી દીધું. એશિયાખંડના બીજા શહેરોમાં પણ એણે શબોના પગલા ખડકી દીધા. આ જોવામાં એને મઝા આવતી.

એક જગ્યાએ, બે હજાર માણસોનો મિનારો બનાવ્યો. અને એને ઇંટ અને ગારાથી ચણાવી દીધો. ઇરાન, ઇરાક અને અંગોરામાં કારમી કત્લેઆમ ચલાવી. તુર્કોને હરાવીને આગળના સમુન્દરને પાર ન કરવાથી તે રોકાઇ ગયો. ઇ.સ. ૧૪૦૫માં ચીન તરફ આક્રમણની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તે મૃત્યુ પામ્યો. તે એક પગે લંગડો હતો તેથી તૈમુર લંગ કહેવાતો. તેના અવસાન પછી થોડા જ સમયમાં તેનું વિશાળ સામ્રાજ્ય અસ્ત પામ્યું.

-૩-

ચંગેઝખાન અને તૈમુર લંગના જ વંશમાં જન્મ પામેલ બાબરમાં કેટલીક મોટાઇ અને સૈનિક યોગ્યતા તો હતી જ. મંગોલો હવે સભ્યતાને અપનાવી ચૂક્યા હતા.

બાબર સુસંસ્કૃત અને દિલાવર ઇન્સાન હતો. એ મહાન બની શક્યો કારણ કે, એનામાં રજમાત્ર જાતિદ્વેષ  ન હતો. ધાર્મિક કટ્ટરતા ન હતી. તે સ્વયં પોતના પૂર્વજોની માફક ઝનૂની ન હતો. આવા વીરલ ગુણોવાળી વ્યક્તિ મંગોલ જાતિ માટે ગૌરવ બની ગઈ.

પોતાના પિતાના મૃત્યુ પછી કેવળ ૧૧ વર્ષની ઉંમરે તે સમરકંદની ગાદીએ બેઠો, પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. એની ચારે બાજુ, આંતરિક અને બાહ્ય બંને પ્રકારના દુશ્મનો હતા. એના પિત્રાઇઓ એની પૂંઠે પડ્યા હતા. વારંવાર ગાદી માટે સંઘર્ષ થતો. બાબરની જીત થતી, હાર પણ થતી. પાછો તલવારના બળે તે ગાદી પાછી મેળવતો. આવા સંઘર્ષકાળમાં આગળ વધવા છતાં એણે સાહિત્ય, કળા અને કવિતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. પછી તેણે કાબુલ જીતી લીધું. આવા સંઘર્ષકાળમાં પણ બાબરે “બાબરનામા” જેવી સુંદર આત્મકથા તુર્કી ભાષામાં લખી.

કાબુલથી હિંદ પર ચઢાઇ કરી. ઇ.સ. ૧૫૨૬માં અફઘાનો સામે વિજય મેળવ્યો. આગ્રાને રાજધાની બનાવી. અનેકવાર બાદશાહ બાબર મોતના મુખમાંથી ઉગરી ગયા. ઇ.સ. ૧૫૩૦માં ૪૯ વર્ષની ઉંમરે તે અવસાન પામ્યા.

હવે હુમાયુઁ મોગલ શહેનશાહ બન્યો. એની રઝળપાટ તવારીખમાં નોંધાઇ. ઇ.સ. ૧૫૫૬ માં છેવટે એ બાદશાહી મેળવી શક્યા.

ઇરાનના શાહ અને બહેરામખાનના ઉપકારથી હુમાયુઁનો પુત્ર, ૧૩ વર્ષનો અકબર બાદશાહ અકબર બન્યો.

અકબરશાહન પૂર્વજોની આવી બુલંદ તવારીખ હતી.