Guhilot dynasty and Maharana Pratap in Indian history - 5 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 5

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 5

બાપ્પા ના પરાક્રમો

           “બાપ્પા, આ વૃદ્ધ હાથોને તારો સહારો મળી ગયો. તે જ્યારથી રાજ્ય વ્યવસ્થા સંભાળી, ત્યારથી તંત્ર સુધારવા માંડ્યું છે.” ચિતોડના રાજવીએ કહ્યું.

            મહામલ્લ સેનાપતિ  બાપ્પાદિત્યની ધાક જબરી હતી. એના સાથીઓ રાત્રિ ચર્ચા કરી પ્રજાની નિશાચરોથી રક્ષા કરવા લાગ્યા. વેપારી વર્ગને ઉત્તેજન આપવા એમને પુરતું રક્ષણ આપવા માંડ્યું. બન્યું એવું કે, જ્યાં જ્યાં લૂંટ ચલાવી ત્યાં ત્યાં લૂટારાઓ આબાદ ઝડપાઈ ગયા. એમને સખ્ત શિક્ષા કરવામાં આવી. કોઈ જાણતું ન હતું કે, આમ શા થી બન્યું પરંતુ આ કમાલ બાપ્પાની ગુપ્તપણે પથરાયેલી ભીલ સેનાનો હતો. સૈન્યની નવરચના કરી. શસ્ત્રાગાર તૈયાર કરાવ્યા. વેપારીઓનો વ્યાપાર વધ્યો એટલે તેમણે રાજકોશ છલકાવી દીધો.

મેવાડના અધિપતિ માનસિંહ મોરી ભાણેજ પર વારી ગયા. તેમણે કહ્યું. “ બાપ્પા, આખું મેવાડ તને ચાહે છે, મને તારા પર ગર્વ છે.”

 આજે તો એ મેવાડનો પ્રાણધાર હતો. યુવાનીનું જ્વલન પ્રતીક હતો. મેવાડની ચાહના એને મળી ચૂકી હતી. રાત્રીનો સમય હતો. બધે ચાંદની પથરાયેલી હતી. પર્વતની ધારે એ છેક ટોચે  જઇ પહોંચ્યો. હવે અહીંથી આગળ વધાય એમ ન હતું. ત્રણે બાજુ, નજર પહોંચે ત્યાંથી પણ દૂર સુધી ઊંડી ઊંડી ખીણ જણાતી હતી. થોડે દૂર પથ્થરની એક શીલાપર જઈને તે બેસી ગયો. આજે એને પોતાના ભૂતકાળની સર્વ વાતો દ્રષ્ટિગોચર થવા લાગી. ભૂતકાળ નયનોમાં નાચવા માંડ્યો. એને બધું મળ્યું હતું પરંતુ છતાં એ કોકવાર પોતાની જાતને એકાકી માનતો. એણે હારિત ઋષિ પાસેથી સૂર્યપુત્ર કર્ણ ની વેદના સાંભળી હતી. એને પોતાની વેદનામાં એની સંવેદના લાગતી હતી. છતાં એને હારિત રુષિના શબ્દો સતત યાદ આવતા હતા. “કાલભોજ, તું મેવાડનો મહાન રાજવી થવાને સર્જાયો છે.” પોતાની સાધનાને અતિવિજય મળવાનો છે એવી શ્રદ્ધા બાપ્પામાં હતી જ્યારે કર્ણને પરાજયની, મૃત્યુની ખાતરી હોવા છતાં મિત્ર ઋણ ખાતર ઝઝૂમવાનું હતું. એક વિદ્વાન પુરોહિત પોતાની પત્ની સાથે જંગલને છેવાડે એક ગામમાં ઝૂંપડી બાંધીને રહેતો હતો. ધર્મપાલ અને કરણ બાપ્પાને લઈને પુરોહિત પાસે ગયા. ચરણ સ્પર્શ કર્યા.

”પુરોહિતજી, હું આપને એક વિકટ કાર્ય સોંપવા આવ્યો છું. મોટી ઉમ્મીદથી,

 “બોલો, ધર્મપાલ, તમે ભીલોના સન્માન્ય પ્રતિનિધિ છો. મારી ક્ષમતા હશે તો હું તમને નિરાશ નહીં કરું. ઇડરના રાજપરિવર્તન પછી તો આપ પિતા-પુત્ર અહીં જ છો ને?” “આપની ક્ષમતા વિષે અમને પૂર્ણ શ્રધ્ધા છે. પરંતુ ઇચ્છા વિશે આશંકા છે. “ધર્મપાલ, બ્રાહ્મણ કદી કોઈને નિરાશ કરતો નથી. કહો તો ખરા.”

“સાંભળો, મારા પુત્ર કરણ સાથે જે બાળક બહાર ફરે છે એની પાછળ મોટું રહસ્ય છે. આપ શાસ્ત્રજ્ઞ છો. ધર્મના રક્ષક છો. હું એક રહસ્ય આપને જણાવું છું. ઇડરની મહારાણી અને મહારાજા નાગાદિત્યની પત્નીને મેં વચન આપેલું કે, આપના પુત્રને હું શસ્ત્ર અને શાસ્ત્રમાં અદ્વિતીય બનાવીશ. હું ધર્મપાલ શસ્ત્રમાં તો તેને અજુ લડવૈયો બનાવી શકીશ. તેને મહામલ્લ પણ બનાવીશ. પરંતુ શાસ્ત્રમાં તો આપ સિવાય……….”

“સમજ્યો, ઇડર ના રાજબીજનો તું રખેવાળ છે. કર્તવ્ય ના પંથે વિહરતા આદર્શઘેલા માનવીઓ મને ગમે છે. સમાજની સુરક્ષા અને ઉન્નતિ માટે આદર્શ રાજબીજને શિક્ષણ આપવાનું મને ગમશે જ. હું એ કુમારને સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોનું સુંદર અધ્યયન કરાવીશ. પુરોહિતે કહ્યું.

 બાળક સંસ્કૃત શીખવા લાગ્યો. એની ગ્રહણશક્તિ જોઈને પુરોહિત પત્નીને નવાઈ લાગતી. “આ છોકરો આટલો બધો ચપળ છે. એનું કારણ શું?” અને જ્યારે કારણ જાણ્યું ત્યારે એમને નવાઈ લાગી. “ બેટા, ખૂબ શીખજે અને મા-બાપ નું નામ દીપાવજે.”

“ સતીમાં, આપના આશીર્વાદ ફળો.” બાળક ધાર્યા કરતાં વધુ વિનયી હતો. પુરોહિત આજુબાજુના પંથકમાં કથાકાર તરીકે પ્રખ્યાત હતા. ગ્રામવાસીઓના હૈયામાં એમણે આદરણીય સ્થાન મેળવ્યું હતું. એમના પત્નિ પણ આખા પંથકમાં ‘સતીમાં’ નામે જાણીતા હતા. બાળક બાપ્પાનો વિકાસ ઝડપથી થવા લાગ્યો. માત્ર આઠ વર્ષનો બાપ્પા પંદર વર્ષનો હોય એવો લાગતો હતો. ધર્મપાલ ની શસ્ત્ર-શિક્ષા, પુરોહિત શાસ્ત્ર-શિક્ષણ અને સતીમાં તથા શૈલાદેવીની મમતાએ સોળ વર્ષની ઉંમરે કાલભોજ ઉર્ફે બાપ્પાને મહામલ્લ બનાવી દીધો.

ઇડરમાં મેળો ભરાયો. કાલભોજ પણ પોતાના સાથીઓ બાલીય, દેવ અને કરણ સાથે ત્યાં પહોંચી ગયો. ભાતભાતના માનવને જોઈને મન પ્રફુલ્લિત થઇ ગયું. વિવિધ કળાનું પ્રદર્શન જોઇને આનંદ ઉપજ્યો. ફરતા-ફરતા નાનકડી ટોળી એક જગ્યાએ, જ્યાં કુશ્તીનું દંગલ ચાલતું હતું ત્યાં આવી. કસાયેલા મલ્લો એકબીજા સાથે હાથ મિલાવતા અને પછી કુશ્તી જામતી. વાતાવરણમાં ગરમી આવતી અને જ્યારે એક પહેલવાન વિજયી ઘોષિત થતો ત્યારે બધું શાંત થઈ જતું. કુશ્તીમાં આ ટોળીને રસ પડ્યો. સમય તો ઝડપથી પસાર થવા લાગ્યો. કાલભોજ કુશ્તી લડવા ક્યારનોય તલપાપડ થઇ રહ્યો હતો. પરંતુ એને તો જનમેદનીને દંગ કરવી હતી. આખરે એ મોકો પણ આવ્યો. એક પ્રચંડકાય મલ્લ કુશ્તીના મેદાનમાં સર્વને મ્હાત કરીને અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. “ છે કોઈ માઈનો પૂત. જે મને કુશ્તીમાં હરાવે?”  આખી જનમેદની સ્તબ્ધ. કારણ કે, આ પહેલવાને ઘણા પહેલવાનોને ધૂળ ચાટતા કરી દીધા હતા. એની રાક્ષસી કાયા જોઈને જ ડર લાગે એમ હતું. એક વાર, બે વાર, આ પહેલવાને ગર્વોક્તિ ઉચ્ચારી પરંતુ જ્યાં ત્રીજીવારની ગર્વોક્તિ ઉચ્ચારવા જાય છે ત્યાં તો બાપ્પાએ જઈને એની સાથે હાથ મિલાવ્યો.

સોળ વર્ષના કિશોરને પોતાની સાથે હાથ મિલાવતો જોઈને પેલો પહેલવાન તો દંગ થઈ ગયો. “અચ્છા, બચ્ચા, તુમ્હેં ભી થોડા ખિલાઉંગા.”

 લોકોનું ટોળું વિચારવા લાગ્યું. આ કિશોર હમણાં જ ધૂળ ચાટતો થઈ જશે. હાડકાં ખોખરા થઈ જશે.

 પરંતુ આ શું? પ્રચંડકાય પહેલવાન સાથેની પહેલી ઝપટમાં જ એક સુંદર ધોબી પછાડ અને અખાડામાં પહાડ ટૂટી પડે તેમ પેલો પ્રચંડકાય પહેલવાન ગબડી પડ્યો. જો કે તરત જ ઊભો થઈ ગયો. એને ખ્યાલ આવી ગયો કે, સામે મલ્લવિદ્યાનો માહીર યુવાન છે. સૌને આ કુશ્તીમાં ગજબ નો રસ પડ્યો. કોઈ કોઈથી હારતું નથી. દાવ અને એનો તોડ. ઘડીમાં એકનો વિજય તો ઘડીમાં બીજાનો વિજય એમ કરતાં. બાપ્પાએ જોયું કે, સામેવાળો પહેલવાન થાકી ગયો છે એણે ઝડપથી સ્ફૂર્તિમાં આવી એક એવો દાવ લગાવ્યો કે, પહેલવાન અખાડામાં ચિત્ત.

 સૌ સ્તબ્ધ થઈ ગયા પોતે સ્વપ્ન તો નથી જોતા. થોડીવારે પેલો પ્રચંડકાય પહેલવાન, ક્ળ વળી એટલે ઉભો થયો. બાપાને ઊંચકી લીધો. “ધન્ય છે યુવાન તારી જનેતાને. હું તો મલ્લ છું પણ તું તો મહામલ્લ છે.

આઘટના ઇડરના મેળામાં ફૂલની સુવાસની માફક પ્રસરી ગઈ. બાપ્પાની કીર્તિ નાગદાના સીમાડા વટાવી ગઈ.

 “રાજબીજ છૂપે નહિ છુપાયે, સૂર્ય છૂપે નહિ વાદળ છાયે”. પુરોહિતે કહ્યું.”

 બાપ્પાને ગુરુ ગોરખનાથની યાદ આવી.

 રોજ પોતે ગાયો ચરાવવા માટે જતો હતો. પરાશરના જંગલમાં બાસુરીના મધુર સૂર છેડ્તો. ગાયો ચરાવીને તે પાછો ફરતો ત્યારે એક ગાય ઓછી થતી ઝાડીમાં ઘૂસી જતી. મોડેથી ગણતરી થતી તો ગાયો બરાબર થતી. બાપ્પાએ પણ નોંધ્યું કે, એક ગાય કેટલાય દિવસથી દૂધ આપતી ન હતી. થોડા દિવસ આ પ્રમાણે બન્યું એટલે બાપ્પાનો વહેમ પાકો થયો કે, માનો યા ના માનો એ ગીચ ઝાડીમાં કોઈ ગાયનું દૂધ દોહી લેતું હશે.

 “દેવા, તું ગાયોને લઇને જતો રહેજે. હું પાછળથી આવીશ”. બાપ્પાએ જોયું કે, ગીચ ઝાડી આવતાં એ જ  ગાય અંદર પ્રવેશી. થોડે દૂર જતાં ત્યાં એક ઝરણા આગળ શિવલિંગનો થોડો ભાગ દેખાતો હતો. ગાય ત્યાં જઈને ઊભી રહી એટલે એના આંચળમાંથી દૂધની ધારા એ શિવલિંગ પર પડવા લાગી. હવે બાપ્પાને થયું કે, આ ગાય કોઈ સાધારણ ગાય નથી. દેવાંશી છે. આ શિવલિંગ પણ મહિમાવંતુ છે. બાજુમાં પદ્માસન વાળીને ભવ્ય જળાધારી યોગી તપ કરી રહ્યા હતા. બાપ્પાને આ સ્થળ ગમી ગયું. એ હવે દરરોજ આ જગ્યાએ જવા લાગ્યો. એણે આજુબાજુની જગ્યા સાફ કરી. એ નિયમિત શિવલિંગની પૂજા કરવા લાગ્યો. યોગીરાજના તપમાં ખલેલ ન પડે એ માટે શિવ સ્તવન મનમાં બોલતો. આથી એને અનેરો આનંદ થવા લાગ્યો.

થોડા દિવસો પછી યોગીની સમાધિ ઉતરી. એમણે આજુબાજુની સ્વચ્છતા જોઈ. શિવલિંગની પૂજા થતી હોય એવું લાગ્યું. સાંજના સમયે એક તેજસ્વી યુવાનને પોતાની તરફ આવતો જોયો.

 યોગીની ના ચહેરા પર આનંદ હતો. “બેટા, તુમ કોન હો?”

 “બાબા, મે મહાદેવ કા ભક્ત હું. મેરા નામ કાલભોજ હૈ. આ યોગી ગુરુ ગોરખનાથ હતા. તેમણે આ યુવકના વિશાળ ભાલ જોઈને અચરજ થયું. તેમણે સમાધી લગાવીને જોયું કે, આ યુવક તો રાજબીજ છે અને ભવિષ્યનો મહાન રાજવી છે. આથી યોગીએ યુવકને કહ્યું, “બેટા, તુમ્હારા ભવિષ્ય બહુત ઉજ્વલ હે, તુમને ભગવાન એકલિંગજી કી પૂજા કી હૈ, સો કરતે રહેના. વહી તુમ્હારી બહેતર પીઢીકા ઉધાર કરેંગે. યાદ રખ્ખો, બચ્ચા, તુમ ધર્મ કી રક્ષા કરોગે તો ધર્મ તુમ્હે અક્ષય કીર્તિ દેગા.”  કાલભોજ હવે તન-મનથી યોગીની સેવા કરવા લાગ્યો. થોડા દિવસ પછી, એક દિવસે યોગીએ બાપ્પાને એક ચમત્કારિક તલવાર આપતા કહ્યું. “બેટા, હમારે પ્રસ્થાન કા સમય આ ગયા હૈ, યહ ખડ્ગ માં અંબાભવાનીને સ્વયં હમેં દિયા હૈ, કલ હી ઉનકા આદેશ હુઆ કિ, “ઇસ કો કાલભોજ કો સૌંપ દો. તુમ ઇસ ખડ્ગસે ધર્મ કી રક્ષા કરના, પ્રજા કા પાલન કરના, ભગવાન એકલિંગજી કા મંદિર બનવાના. તુમ્હારી કીર્તિ દશો દિશાઓ મેં ફેલેગી.” બાપ્પાએ યોગીના આશીર્વાદને માથે ચડાવ્યાં. શિવલિંગ ની જગ્યાએ એક શિવાલય બંધાવ્યું. થોડા સમય પછી પરાશરના આ જંગલમાં ફરતાં ફરતાં હારિત ઋષિ આવી પહોંચ્યા. તેમને આ સ્થાન ખૂબ ગમી ગયું. કથાકાર પુરોહિત અને હારિત ઋષિનો ગંગા જમના શો મીલન યોગ સધાયો. “જીવનના છેલ્લા વર્ષો હું આ શિવાલય વાળા મનોરમ્ય સ્થળે ગાળવા ઇચ્છું છું. પરંતુ ભયંકર જંગલમાં………..

“ઋષિવર્ય, અમારો કાલભોજ મહામલ્લ છે. એ જ્યાં સુધી આપની સેવામાં હશે ત્યાં સુધી આપ નચિંત રહી શકશો.” હસતા હસતા પુરોહિત બોલ્યા. બીજે જ દિવસે સાંજના સમયે કાલભોજને લઈને પુરોહિતજી આવ્યા આજે એમના મુખ પર અનેરો આનંદ હતો. “મહારાજ, આજથી આપની સેવા હું કરીશ”. બાપ્પાએ કામ ઊપાડી લીધું.

 આજે સવારે ગામમાં એક વિકરાળ વરાહ ધસી આવ્યો. આ એકલદંતીએ એ પોતાના સપાટામાં કેટલીય સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને ફસાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગામલોકો તો એના આગમનની ખબરથી જ ભયના માર્યા કાંપી ઉઠ્યા. મર્દ પણ આ વિકરાળ વરાહના સંહાર માટે પાછા પડ્યા.

કાલભોજ, પુરોહિત અને ધર્મપાલ હારિત ઋષિ પાસે આવવા નીકળ્યા. રસ્તામાં જ વરાહને સામો ધસી આવતો જોઈને કાલભોજે તલવાર ઊંચકી. એટલે એના ગુરુ ધર્મપાલે એને અટકાવ્યો. “એ વરાહ તલવારથી નહીં મરે. તલવાર એની ચામડીને નહિ ભેદી શકે. એની ચામડી જ એનું રક્ષણ છે. બાપ્પા.

“ તો?” કાલભોજના ચહેરા પર પળવાર માટે મૂંઝવણ જણાઇ. “કંઈક વિચારીએ?” ધરમપાલ બોલ્યો.

“વિચારવા રહીશું ત્યાં તો ઘણી હત્યા થઈ ચૂકી હશે.” આમ કહી કાલભોજે તલવાર ફગાવી દીધી અને દોટ મૂકી. આમ શસ્ત્રહીન દોડતા જોઈને પુરોહિતજી પણ અરે….. અરે……. બોલી ઉઠ્યા.

 કાલભોજે સ્વર સાંભળ્યો છે. પારખ્યો પરંતુ પાછળ નજર સરખીયે ના કરી. રાજપૂતાના ના કોઈ ભૈરવી શિખર સમો એ વરાહની સામે જઈ ઉભો. આજુબાજુના ઘરો વસાઈ ગયા હતા. બંધ બારણાંની તિરાડમાંથી દૃષ્ટિપાત કરતાં ગ્રામજનો ચીસ પાડી ઊઠ્યા. દૂર ઊભેલા ભાલાધારી રાજપૂતો આ તેજસ્વી યુવકના પ્રાણની કિંમત .”જાણતા હતા. કાલભોજ…… ભોજ…….. અરે……. ખસીજા. અમે એને ભાલે પરોવીએ.” વરાહે પોતાની સામે, દૂર એક માનવને જોયો. એણે છીકોટો નાખ્યો અને પગ પછાડયા. ધૂળની ડમરી ચઢી. પરંતુ કાલભોજ તો બે ડગલાં આગળ વધ્યો. કમાનમાંથી તીર છૂટે એમ વરાહ વછૂટ્યો. જોનારાઓ આંખો મીંચી ગયા. વરાહ સાવ સમીપ આવી જતાં જ કાલભોજ કૂદી ગયો. વરાહ પોતાના વેગને ન રોકી શક્યો. હવે કાલભોજે વરાહની પાછળ દોટ મૂકી હતી. એટલી સમગ્ર તાકાતથી વરાહને ખેંચ્યો. વરાહના ચારેય પગ પહોળા થઈ ગયા. એટલે ગબડી પડ્યો. બાપ્પાએ એને ખેંચવાનું ચાલુ જ રાખ્યું. વરાહે છીંકોટા માર્યા. બેઉ બાજુથી કાલભોજે હવે વરાહને ઉંચ્ક્યો, ફેરવ્યો અને પછાડ્યો.

 થોડીવાર તરફડી વરાહ શાંત થઈ ગયો. સૌના જીવ હેઠે બેઠા. જાણે કાંઈ ન બન્યું હોય તેમ કાલભોજ બોલ્યો. “ચાલો શિવાલયે”  નાગદા ગામની પ્રજા પોતાના તારણહારને ભાવભીની નજરે જોઈ રહી.

રામાયણના વશિષ્ઠ ઋષિનો ક્લિયુગી અવતાર એટલે હારિત ઋષિ. કાલભોજ જાણતો હતો. સંત-સમાગમ અને ઋષિ દર્શન ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય.

કાલભોજ હારિત ઋષિનો મહાભક્ત બની ગયો. સવાર-સાંજ ઋષિની સેવા, બપોરના સમયે બાલીય, દેવ અને કરણ સાથે જંગલો ખૂંદવા એ તેનો નિત્યક્રમ થઈ પડયો. વારંવાર એને ગુરુ ગોરખનાથના શબ્દોનો પ્રતિઘોષ સંભળાતો.

“બચ્ચા, તુમ્હારા ભવિષ્ય બહુત ઉજ્વલ હે, ભગવાન એકલિંગજી કી કૃપાસે તુમ બહુત બડે રાજા બન જાઓગે.”

 એ પોતાના સાથીઓ સાથે યુદ્ધ કળા, રણમેદાનની વ્યુરચના પણ શીખતો. ચાર ચાર વર્ષના વહાણા વાઈ ગયા. બાપ્પાની સેવા ભક્તિ કોઈ કમી ન હતી. હારિત ઋષિ ખુશ થયા. “પુત્ર, હું તારી સેવાથી પ્રસન્ન છું. માંગ તારી ઈચ્છા હોય તે.”

 બાપ્પા નમ્ર સ્વરે બોલ્યો, “મહારાજ, આપની કૃપાથી મને કશી ખોટ નથી. હું શું માંગુ? આપની સેવા એ જ મારી તૃપ્તિ છે. જેમ જેમ હું આપનો સંગ પ્રાપ્ત કરતો જાઉં છું. મને અનેરો આનંદ મળતો રહે છે.”

 ઋષિ અવાચક બની બાપ્પા સામે જોઈ રહ્યા, આ બાળક આટલો બધો  નિસ્પ્રુહી!  “દીકરા, કાંઈક તો માંગ.”  ઋષિ ગળગળા થઈને બોલ્યા.

“ મહારાજ, આપવો જ  હોય તો મને આનંદ આપો.”

 ઋષિને થયું, આ યુવાન કોઈ દેવાંશી લાગે છે. એમણે આંખો મીંચી લીધી. સમાધિ ચડાવીને જોયું. આંખો ખોલી અહોભાવથી બોલ્યા,  “બેટા, તારો સિતારો બુલંદ છે. તું ભવિષ્યમાં રાજા થવાને સર્જાયો છે. ચિત્તોડગઢ તને પોકારે છે. તારા ચરણોમાં ચિત્તોડ ની ગાદી છે. ફક્ત તારે કર્મમાં મન પ્રવૃત કરવાનું છે.”

 બાપ્પાની સજ્જતા તો હતી જ. દ્વિગુણિત ઉત્સાહ થયો. થોડા દિવસો થયા. એક દિવસે હારિત ઋષિએ કહ્યું,  “બેટા, કાલથી આ સ્થળે તારે આવવાનું નથી. આપણો ઋણાનુબંધ પૂરો થયો છે.”

“ કારણ? મારો કોઈ અપરાધ?

“ બેટા, મારી ગોલોકવાસી થવાની ઘડી આવી પહોંચી છે.” બીજા દિવસે કરુણાસભરતાથી આ પ્રસંગ પરાશરના જંગલમાં પસાર થયો.

 પછી અલ્પ સમયમાં જ બાપ્પાએ રાજા માનસિંહ મોરીની રક્ષા કરી. રાત ઝડપથી પસાર થતી હતી. સ્વપનાવસ્થામાંથી જાગૃત થતા બાપ્પા હસ્યો. અને પછી કંઈક વિચારી પોતાના નિવાસસ્થાને ચાલ્યો ગયો.

to be continued......