Aushadho ane Rogo - 2 books and stories free download online pdf in Gujarati

ઔષધો અને રોગો - 2

અગર:
અગરનાં વૃક્ષ બંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જંટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે. આસામમાં ઘણા પર્વતો પર તથા મલબાર, કર્ણાટક તરફ પણ આ વૃક્ષ થાય છે. અગરનાં વૃક્ષ મોટાં અને બારેમાસ લીલાંછમ રહે છે. તેનાં પાંદડાં અરડુસીનાં પાંદડાં જેવાં જ હોય છે. આ વૃક્ષને ચૈત્ર-એપ્રીલ માસમાં ફુલ આવે છે. તેનાં બીજ શ્રાવણ-ઓગસ્ટમાં પાકે છે. તેનું લાકડું કોમળ અને અંદર રાળ જેવો સુગંધી પદાર્થ ભરેલો હોય છે. અગર સુગંધી, (આથી તે ધપુ અને અગરબત્તીમાં પણ વપરાય છે) ઉષ્ણ, કડવો, તીખો, ચીકણો, રુચિ ઉત્પન્ન કરનાર, પીત્તકારક, તીક્ષ્ણ, વાયુ, કફરોગો અને કર્ણરોગ તથા કોઢ અને ત્વચા રોગનાશક છે. અગર લેપ અને તેલમાં વપરાય છે.

ઉત્તમ ઔષધ અગરને મહર્ષિ ચરકે શરદી અને ખાંસી મટાડનાર માનેલ છે. સુશ્રુત લખે છે કે, અગર વાયુ અને કફનાશક, શરીરનો રંગ સુધારનાર, ખંજવાળ અને કોઢ તથા ચામડીના રોગોનો નાશકર્તા માનેલ છે. અગરની લાકડીના નાના ટુકડાઓ પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી તાવમાં લાગતી વારંવારની તરસ ઓછી થાય છે. એને વાઈ-એપીલપ્સી, ઉન્દ્માદ, અપસ્મારમાં પરમોપયોગી ગણે છે. એ ગરમ પ્રકૃતીવાળાને હાનીકારક છે. આધુનિક મત પ્રમાણે તે વાત વાહીનીઓને ઉત્તેજક છે. વાતરક્ત અને આમવાતમાં તે અપાય છે. અગર અને ચંદનની ભુકી સરખેભાગે મીશ્ર કરી આખા શરીરે ચોળવાથી શરીરની આંતરીક ગરમીનું શમન થાય છે. અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચૂર્ણ કરી તેનો પાણીમાં બનાવલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.

અગ્નીતુંડ વટી:
મોટા ભાગના રોગોનું મૂળ કારણ અગ્નીમાંદ્ય હોય છે. એનાં શ્રેષ્ઠ ઔષધ અગ્નીતુંડ વટી જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દૂધ સાથે લેવાની. પંદર દિવસ પછી એક અઠવાડિયુ બંધ કરવી. સતત એકધારુ સેવન ન કરવું. ઉપરાંત પીત્તના રોગોમાં પણ સેવન ન કરવું. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, આમનું પાચન થાય છે, સંધીવા, આમવાત, અર્દીત(અડદીયો) વા, કાંપવા, પક્ષઘાત, અરુચી, અજીર્ણ, આફરો, ગેસ, પેટની ચૂંક વગેરે મટે છે.

અગ્નીમુખ ચૂર્ણ:
હીંગ ૧૦ ગ્રામ, વજ ૨૦ ગ્રામ,પીપર ૩૦ ગ્રામ, સુંઠ ૪૦ ગ્રામ, અજમો ૫૦ ગ્રામ, હરડે ૬૦ ગ્રામ, ચીત્રકમુળ ૭૦ ગ્રામ અને કુક(આ એક જાતનો કંદમૂળનો છોડ છે. એના કંદ જેઠ મહિનામાં રોપવામાં આવે છે. છોડ એક હાથ ઉંચા થાય છે. પાંદડાંની વાસ અજમાનાં પાંદડાંને મળતી આવે છે. તેની કાળી અને પાતળી છાલ કાઢી લીધા પછી અંદરનો માવો ખાવાના ઉપયોગમાં આવે છે. -સૌજન્ય ‘ભગવદૃગોમંડળ’) ૮૦ ગ્રામ લઈ બધાંને ભેગાં ખાંડી બનાવેલા ચૂર્ણને અગ્નીમુખ ચૂર્ણ કહે છે. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી અજીર્ણ, શળુ, બરોળવૃદ્ધી, મળાવરોધ, ઉદરરોગ, ગેસ , ખાંસી અને દમ મટે છે. પાચનની ગરબડમાં આ ચૂર્ણ ખુબ જ ઉપયોગી છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે. રોગ અનુસાર આ ચૂર્ણ મધ, દહીં કે છાસ સાથે લઈ શકાય.

અજમો:
સામાન્ય રીતે દરેક ઘરમાં મસાલા રૂપે વપરાતો અજમો સપ્રકારના અન્નને સરળતાથી પચવામાં મદદરૂપ થાય છે. આમ તો અજમો આખા દેશમાં થાય છે પણ બંગાળ, દક્ષીણ ભારત અને પંજાબમાં તેનું ઉત્પાદન વધારે છે. અજમાના આશરે એકથી બે ફુટ ઉંચા છોડ થાય છે. એનો ઔષધમાં પુષ્કળ ઉપયોગ થાય છે. આ અજમામાંથી એક પ્રકારનું સત્ત્વ કાઢવામાં આવે છે. તેને અજમાના ફુલ કહે છે. જે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં બને છે.

અજમો સ્વાદમાં તીખો, સહેજ કડવો, રુચિ ઉત્પન્ન કરાવનાર, ફેફસાંની સંકોચ-વીકાસ ક્રિયાનું નીયમન કરનાર, ઉત્તમ ઉત્તજેક, બળ આપનાર, શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગંધ નાશક, વ્રણ-ચાંદા-ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર અને કૃમીનાશક છે. એ ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, આહાર પચાવનાર, પીત્ત કરનાર, તીક્ષ્ણ, લઘુ, હૃદય માટે હીતકર, મૈથુન શક્તિ વધારનાર, મળને સરકાવનાર, ગેસ મટાડનાર, વાયુથી થતા મસા-પાઈલ્સ, કફના રોગો, ઉદરશૂળ, આફરો, સ્નાયુ ખેંચાવા, કરમીયા, શુક્રદોષ, ઉદરના રોગો, હૃદયના રોગો, બરોળના રોગો અને આમવાતનો નાશ કરે છે. અજમો મુત્ર પીંડને ઉર્જા આપનાર અને શક્તિવર્ધક છે.

અજમામાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર હોય છે. તેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશિયમ, સોડીયમ, રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્ત્વ મળી આવે છે.

(૧) શીળસમાં અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.

(૨) અજમાનું પા(૧/૪)થી અડધી ચમચી ચૂર્ણ અને તેનાથી અડધો સંચળ કે સીંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની બધી તકલીફ મટે છે.

(૩) શરીરમાં કોઈ પણ જાતની દુર્ગંધ સડાથી ઉત્પન્ન થાય છે. દાંતનાં સડાને લીધે મોમાંથી, નાકમાંથી, વળી ફેફસાંમાં સડેલા કફને કારણે શ્વાસમાંથી, યોનીના સ્રાવમાંથી, અપાનવાયુની વાછુટથી કે કાનમાં સડો થવાથી આવતી કોઈ પણ દુર્ગંધ દુર કરવા અજમાનો ઉપયોગ કરી શકાય. સોપારી જેટલો ગોળ અડધી ચમચી અજમા સાથે જમ્યા પછી ખુબ ચાવીને ખાવાથી મોટા ભાગની દુર્ગંધ દુર થાય છે.

(૪) ઉકળતા પાણીમાં અજમો નાખી, ઠંડું પાડી એ પાણીથી વ્રણ ધોવાથી વ્રણની દુર્ગંધ દુર થાય છે.

(૫) જુની કબજીયાતને લીધે મળ સડવાથી દુર્ગંધ હોય, જેથી વાછુટ પણ દુર્ગંધ મારતી હોય છે. આમ મળ, વાછુટ, કફ, શ્વાસ કે દાંતની દુર્ગંધને દુર કરવા અડધી ચમચી અજમો રોજ રાત્રે મખુવાસની જમે ખુબ ચાવીને ખાવો. પીત્તવાળાએ સાકર મેળવીને ખાવો. અજમા સાથે થોડો સંચળ લેવાથી ઉત્તમ પરીણામ મળે છે.

(૬) અડધી ચમચી અજમાનું ચૂર્ણ ફાકી ઉપર અડધો કપ નવશેકું પાણી ધીમે ધીમે પીવાથી શરદી-સળેખમ, કફના રોગો, માંદાગ્ની, અરુચી, અપચો, ગેસ, ઉદરશૂળ વગેરે મટે છે.

(૭) અજમાનું ચૂર્ણ કપડાંમાં બાંધી સુંઘવાથી બંધ નાક ખૂલી જાય છે, સુગંધ ન આવતી હોય તો ફરી આવવા લાગે છે અને માઈગ્રેનમાં ફાયદો થાય છે.

(૮) બહુમુત્રતાની તકલીફ હોય તો અડધી ચમચી અજમો એક ચમચી કાળા તલ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જાય છે.

(૯) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખુબ ચાવીને ખાવાથી શરીરની આંતરીક ગરમી મટે છે.

(૧૦) પ્રસુતિ પછીના જ્વરમાં અજમાનો ઉપયોગ અત્યંત હીતકારક છે.

(૧૧) શ્વાસ રોગમાં અને કફની દુર્ગંધ તથા કફના જુના રોગોમાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.