Jaldhi na patro - 16 books and stories free download online pdf in Gujarati

જલધિના પત્રો - 16 - કૃષ્ણનો સાંદિપનીને પત્ર

આદરણીય ગુરુજી,

હું આપનો શિષ્ય કૃષ્ણ, આજે આપને યાદ કરીને આપને આ પત્ર લખી રહ્યો છું ત્યારે જાણે સાક્ષાત તમારી કલમ દ્વારા મારી લાગણીઓને મારા શબ્દોમાં ઢાળી આપના સુધી મોકલી રહ્યો છું. સામાન્ય માનવથી માંડી દેવતાઓ સુધીની દરેક વ્યક્તિને ગુરુની ગુરુભક્તિ એટલે જીવનની સાચી મૂડી. મારે પણ આપના ચરણની ભક્તિ એનાથી સહેજે ઉતરતી નથી.આપે આપેલા અક્ષરજ્ઞાન વડે શબ્દો રચી મારી લાગણીના ભાવને આપના સુધી પહોચાડવાનો આ નાનકડો પ્રયાસ કર્યો છે.

જીવનની એ અવસ્થાએ આપના સાનિધ્યને પામેલું, જ્યારે હું એક માતૃવત્ સ્નેહમાં મસ્ત બનેલો નંદ-જશોદાનો દુલારો હતો.એટલે જ કદાચ અન્ય કોઈના સાનિધ્યમાં હું મારી જાતને એટલી સિદ્ધ ન કરી શકત જે શિક્ષા આપે મને પ્રદાન કરી છે. આપના ગુરુ આશ્રમમાં રહીને જ મેં સુદામા જેવા મિત્રને પ્રાપ્ત કર્યા છે.આશ્રમમાં આવનાર દરેક બાળકને સંતાન સમુ માની એને જતનથી ઉછેર્યા નો હું સાક્ષી છું.એટલે આપે જ મને પુત્ર રૂપે પંપાળ્યો છે અને શિષ્ય રૂપે દુન્યવી રંગમાં ઢાળ્યો છે.નાળીયર સમા આપે બહારથી કઠોરતા દાખવી ભીતરી કોમળતા દ્વારા મને અને મારા જેવા અનેક શિષ્યોની જીવનદશાને સુધારી દીધી છે.

મારા કોઈપણ અવતારમાં મેં પ્રાપ્ત કરેલ શિક્ષામાં મેં આ જન્મે આપ દ્વારા મેળવેલ ચોસઠ કળાની શિક્ષા હર હંમેશ સરાહનીય રહેશે.આપે જ આશ્રમમાં રહીને મને એક સામાન્ય મનુષ્યને પોતાના અવતારમાં રોજિંદા જીવનમાં કરવા પડતા કામો વિશે ન માત્ર સભાન કરાવ્યો. પરંતુ, એ દરેક કામોને સ્વયં કરતાં પણ શીખવ્યું છે.જે કદાચ મારા માતા પિતા પાસે રહી લાડમાં એ ક્યારેય ન શીખી શકત.કેમકે ઘરે તો હું નટવર નાનકો ...મને પાણી માંગુ ત્યાં દૂધ હાજર થાય એવો સ્નેહ ન માત્ર માતા પિતા પણ બધી ગોપીઓ ને પણ હું લાડકવાયો કૃષ્ણ હતો.

અરે, સુદામા સાથે જંગલમાં લાકડા કાપવા ગયેલ મને અને સુદામાને ચોમાસાની રાત્રી આશ્રમમાં પાછા ન ફરેલા જોઈ, તમે આદરેલી શોધખોળ અને અમારા ખોવાયા બદલ અમારા અસ્તિત્વની ચિંતા અને વ્યાકુળતાવાળો આપનો ચહેરો આજે પણ મારી આંખ સમક્ષ આવે છે, અને હું કૃતકૃત્ય થઈ જાવ છું.જાણે કોઈ સંતાન તેના પિતાથી વિખુટું પડયું હોય એવી એ ક્ષણ જણાઈ હતી.

આપના સાનિધ્યમાં અમે અમારા સઘળા વૈભવને વિસારી દીધા હતા.કેમકે, આપની શિક્ષા અને આશ્રમની એ સાદગી કોઈને પણ આકર્ષિત કરે એવી સરળ અને સંતોષી હતી.વળી,ગુરુમાંનો માતૃવત્ સ્નેહ અને એમના કંઠે ગવાતું એ હાલરડું આજેય કાનમાં મિસરી ઘોળી જાય છે.જાણે આંખોને પણ એનું સંમોહન લાગ્યું હોય એમ જમીન પર જ પોઢી જવાતું હતું.જયારે આજે તો આ સુખ-વૈભવ વચ્ચે પણ એવી સંતોષી નિંદ્રા નથી આવતી.

આપના એવા મોહક વ્યક્તિત્વની સમીપતા મળે એવી મનસા તો દરેક સજીવ કરતો હશે.પણ,દરેક મારા જેવું ભાગ્યશાળી થોડું હોય કે જેને આપની ચરણરજ મળે.આપના પુત્રની મુકિત અને પુનઃ પ્રાપ્તિ રૂપે આપે મારી સમક્ષ માગેલ ગુરૂ દક્ષિણા એટલે મારા જીવનનું સૌથી મોટું અહોભાગ્ય.ગુરુમાતાને પુત્રનો ભેટો કરાવી મેં એમના દ્વારા મેળવેલ સ્નેહ ઋણના બોજને ઓછો કર્યો. પણ, એને પુરેપુરૂ તો હું જન્મો-જન્મ નહીં ચુકવી શકું.હા, એ ગુરુમાંના સાનિધ્યમાં જીવન ફરી જીવવા મળે એવી ઝંખના આજેય થઈ આવે છે.પણ, એ મીઠપને ફરી પામવી ક્યાં એટલી સરળ છે.

અંતે તો એટલું જ કહેવું છે આ કૃષ્ણને, કે જન્મો જન્મ આપનો જ શિષ્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.આપના દ્વારા જ મને વિદ્યા મળે અને મારૂ જીવન ફળે.એ જ અભિલાષા સાથે મારા આ પત્રને પૂર્ણ કરી, આપની પાસે મોકલું છું.એને મળ્યા તુલ્ય માની અંતરના આશિષ આપશો. એજ વિનંતિ સહ્ વંદના.

લી.

આપનો શિષ્ય કૃષ્ણ.