mugha books and stories free download online pdf in Gujarati

મુગ્ધા

વાર્તા:- મુગ્ધા
રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




આજે પંદર વર્ષ ઉપર થઈ ગયા હશે, પણ મુગ્ધા હજુ પણ દરવાજે એક વાર નજર નાંખવાનું ચૂકતી નથી. હજુ પણ એને ઊંડે ઊંડે વિશ્વાસ છે કે ઘરેથી કોઈક તો આવશે ને એને લઈ જશે.


મુગ્ધા જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે એની માતાનું યોગ્ય સારવારના અભાવે માંદગીના કારણે મૃત્યુ થયું હતું. આર્થિક સ્થિતિ આમ પણ નબળી હતી, તેમાં પાછું એનાં પિતા દારૂડિયા. આખો દિવસ દારૂ પીને ઘરમાં પડી રહે. ક્યાંક મજૂરીનું કામ મળે તો કરે, પણ મળેલા પૈસાનું દારૂ જ પી જાય. ઘરમાં કોઈ જાતની આર્થિક મદદ નહીં. કામ નહીં મળે ત્યારે પોતાની પત્નીને મારઝૂડ કરીને એની પાસેથી દારૂ પીવાનાં પૈસા ઝૂંટવી લે.


મુગ્ધાની મા જ્યારે મૃત્યુ પામી ત્યારે એનાં પિતાનાં સ્વભાવને જાણતા હોવાથી મુગ્ધાનાં નાના નાની એને પોતાની સાથે લઈ ગયા. પહેલાં તો બધું બરાબર ચાલતું હતું, પણ મુગ્ધા પંદર વર્ષની આસપાસની ઉંમરની હશે ને ઉંમરને કારણે થોડા થોડા સમયનાં અંતરે એનાં નાના નાની પણ મૃત્યુ પામ્યા. મુગ્ધાની મામીને તો એ આમ પણ ખટકતી જ હતી! એણે એક દિવસ ચુપચાપ મુગ્ધાને એનાથી બમણી ઉંમરનાં વ્યક્તિ સાથે પરણાવી દીધી. મુગ્ધાનાં મામાનું મામી આગળ કશું ઉપજતુ નહીં. એ કશું કરી શક્યા નહીં આ લગ્નની બાબતમાં.


મુગ્ધા માત્ર સત્તર વર્ષની હતી જ્યારે એનાં લગ્ન થયાં. લગ્નની પહેલી જ રાતે એનાથી બમણી ઉંમરનાં પતિએ જ્યારે એનાં પર પતિ તરીકેનો હક ભોગવ્યો ત્યારે એ છોકરી પીડા સહન કરી શકી ન હતી. એકાદ મહિનામાં જ એને ખબર પડી ગઈ કે એનો પતિ હવસખોર છે. એક પણ રાત એણે મુગ્ધાને પીખ્યાં વગરની કાઢી ન હતી.


આટલું ઓછું હોય તેમ હવે તો એ પોતાનાં ધંધાનાં ફાયદા માટે અન્ય પુરુષોને પણ ઘરમાં લાવવા માંડ્યો અને મુગ્ધાને એમને હવાલે કરી દેતો. પોતે બીજા રૂમમાં શાંતિથી સુઈ જતો અને પેલો પુરુષ મુગ્ધાને પીખીને જતો રહેતો. મુગ્ધાને એક રૂમમાં જ એણે પૂરી રાખી કે જેથી એ ક્યાંય જતી ન રહે અને કોઈને પોતાની પરિસ્થિતિ વિશે જાણ ન કરે. મુગ્ધાને ગર્ભ રહી જતો તો એનો પતિ પોતાનાં ઓળખીતા ડૉક્ટર પાસે લઈ જઈને ગર્ભપાત કરાવી નાખતો.


અંતે એક દિવસ એણે મુગ્ધાને એક વેશ્યાને ત્યાં વેચી દીધી. મુગ્ધાએ બહુ આજીજી કરી, પણ એનાં પતિએ કશું જ ન સાંભળ્યું. એને ખાસ્સી મોટી રકમ મળી હતી. મુગ્ધાએ આ વાતની જાણ એના મામા મામી સુધી પહોંચાડી. જવાબમાં એનાં મામાએ એટલું જ ક્હેવડાવ્યું કે એક દિવસ એ આવીને મુગ્ધાને લઈ જશે. બસ, ત્યારથી મુગ્ધાની આંખો દરવાજા પર એને લેવા આવનાર કોઈની રાહ જુએ છે. એની રાહનાં જવાબમાં ઘરેથી તો કોઈ લેવા નથી આવતું, પણ દરરોજ નવા નવા ચહેરા એને ભોગવીને ચાલ્યા જાય છે. કોઈક વાર ત્રણ ચાર ગ્રાહક તો કોઈક વાર આખો દિવસ ગ્રાહકો આવ્યા જ કર્યા હોય. ક્યારેક તો એવું પણ બનતું કે એકસાથે પાંચથી છ લોકો ભેગા મળીને એને ભોગવતા. આ પરિસ્થિતિ સામે મુગ્ધા લાચાર હતી. ન તો એ ના પાડી શકે એમ હતી કે ન તો ત્યાંથી ભાગી શકે એમ હતી. જ્યાં સુધી કોઈ એને લેવા ન આવે ત્યાં સુધી આમ જ રહેવું પડે એમ હતું.


આટલાં વર્ષોથી આ કલંકિત જીંદગી જીવી રહેલી મુગ્ધા સમાજને એક જ પ્રશ્ન પૂછે છે, "મારા પર લાગેલા આ કલંક માટે મારો શું વાંક?" શું ખરેખર બધી વેશ્યાઓ મરજીથી આ કામમાં જોડાઈ હશે? ના. આમાંની મોટા ભાગની તો મુગ્ધા જેવી હોય છે. કેટલીક પ્રેમીને લીધે તો કેટલીક પોતાનાં જ સગાને લીધે આવી જગ્યાએ હશે.


નોંધ:- આ વાર્તા કોઈની લાગણી દુભવવા માટે નથી, પરંતુ દરેક વખતે ખરાબ કામ કરનાર સ્ત્રીને ખરાબ નજરે જોવાની જરુર નથી એ જણાવવા માટે છે. સહાનુભૂતિ દરેક જગ્યાએ દાખવવી જોઈએ. શું ખબર પરિસ્થિતિવશ લાચાર કોઈ વ્યક્તિ આપણી સહાનુભૂતિ થકી કદાચ કોઈક આશાનું કિરણ મેળવી જાય.


આભાર.

સ્નેહલ જાની