ઈસ્લામિક સ્ટોરી 22
હઝરત ઈમામ હુસૈન મક્કા આવ્યા પછી ચાર મહિના સુધી તો કુફાના લોકો ને જાણ પણ ન હતી કે હઝરત હુસૈન ક્યા અને કઈ હાલાતમા છે.ચાર મહીને લોકોને જ્યારે જાણ થઈ કે હઝરત હુસૈન મક્કામાં છે તો કુફાથી તેમની ઉપર પત્રો આવવા લાગ્યા કે.
"અમારા ઉપર યઝીદનો ખુબ ત્રાસ છે.મહેરબાની કરીને યા હુસૈન તમે અહી આવો અને ઝુલ્મી યઝીદને ખિલાફત પરથી ઉથલાવીને અમોને એના ત્રાસથી છુટકારો આપાવો અમે તમારી સાથે છીએ."
શરુઆતમા તો હઝરત હુસૈને એ પત્રોની અવગણના કરી. પણ પછી હજારોની સંખ્યામા જ્યારે એમની ઉપર પત્રો આવવા લાગ્યા.ત્યારે તેમણે પોતાના પિતરાઈ ભાઈ મુસ્લિમ બીન અકીલને કુફાના લોકોની હાલત જોવા અને તેમની વફાદારીની ચકાસણી કરવા કુફા રવાના કર્યા.
મુસ્લિમ બીન અકીલે કુફા આવીને શરૂઆતમાં જોયુ કે કુફાના હજારો લોકો હઝરત હુસૈનને સાથ દેવા આતુર છે તો એમણે ઈમામ હુસૈનને કુફા આવવા સંદેશો મોકલ્યો.
મુસ્લિમ બીન અકીલનો સંદેશો મળતા હઝરત ઈમામ હુસૈન મક્કાથી કુફા તરફ રવાના થયા ત્યારે કુફામા ગવર્નર તરીકે નુમાન બીન બશીરનુ શાસન હતુ.અને બશીર સ્વભાવે નરમ હતા.અને તેઓ અહલેબૈયત માટે કોમળ લાગણી ધરાવતા હતા તેથી તેમણે અકીલ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી.આ વાતની જાણ જ્યારે દમાસ્કસમા યઝીદને થઈ ત્યારે તેણે તરત બશીરને તેમના સ્થાનેથી હટાવી દીધા અને તેમની જગ્યાએ ક્રુર અને કડક ગવર્નર તરીકે ઉબેદુલ્લાહ ઈબ્ને ઝિયાદની નિમણુંક કરી.
ઝિયાદે ગવર્નર પદ સાંભળતા જ સહુથી પહેલા જે લોકો સત્તાના લોભી હતા તેવા લોકોને પૈસાની અને હોદ્દાની લાલચ આપીને પોતાના પક્ષમાં કરી લીધા.જે લોકો હઝરત ઈમામ હુસૈનના વફાદાર હતા તેવા કુફાના પ્રમુખ નાગરીકો અને કબીલાના વડાઓને ધમકી આપી કે જો તેઓ ઇમામ હુસૈન કે મુસ્લિમ બીન અકીલને સાથ આપશે તો તેઓને તેમના પરિવારો સહીત મારી નાખવામાં આવશે.
ઝિયાદના ડર અને લાલચના કારણે જે હજારો લોકોએ અકીલને સાથ આપવા નો નિર્ણય કર્યો હતો અને સોગંધ લીધા હતા તે લોકો રાતો રાત અકીલને એકલા છોડીને પલાયન કરી ગયા.
મુસ્લિમ બીન અકીલે હઝરત ઇમામ હુસૈનને હવે કુફા ન આવવા માટે સંદેશો મોકલ્યો.પણ ઈમામ હુસૈન મક્કાથી પોતાના કાફલા સાથે નીકળી ચૂક્યા હતા.તેમના કાફલામાં લડી શકે તેવા બોંતેર પુરુષો હતા.અને અઠોતેર સ્ત્રીઓ અને બાળકો સહીત કુલ દોઢસોની સંખ્યા હતી.
અકીલ કુફાની ગલીઓમા સાવ એકલા પડી ગયા હતા. આખરે તેમની ધરપકડ કરીને ગવર્નરના આદેશથી તેમને કુફાના દારુલ ઈમારા.(ગવર્નર હાઉસ)ની છત ઉપરથી ફેંકીને તેમને શહીદ કરવામાં આવ્યા.
હઝરત ઈમામ હુસૈનને કુફામા આવતા રોકવા ઝિયાદે સેનાપતિ અદ તમીમી ઉર્ફ હુર બીન યઝીદની આગેવાની મા એક હજાર સૈનિકોનું લશ્કર મોકલ્યુ.
રસ્તામા તમીમીના લશ્કરે ઈમામ હુસૈનના કાફલાને ઘેરી લીધો.
તમીમીએ હઝરત હુસૈનને કહ્યુ.
"મને યઝીદનો આદેશ છે કે તમને કુફામા દાખલ થવા દેવામા ના આવે."
હુર ઈમામ હુસૈનનો આદર કરતો હતો અને એટલે એ સીધો સંઘર્ષ ના થાય તેમ ઇચ્છતો હતો.
ઈમામ હુસૈને કહ્યુ.
"તો મને પાછો મક્કા જવા દો."
"ઠીક છે પણ તમે એવો રસ્તો લો કે જે ન તો કુફા તરફ જતો હોય ન મદીના તરફ."
હુરે કહ્યુ.
હુર આ દરમ્યાન ગવર્નર પાસેથી નવો આદેશ મેળવવા માંગતો હતો.જેથી તેણે ઈમામ સાથે સીધા સંઘર્ષમા ઉતરવું ન પડે.
ઈમામ હુસૈનનો કાફલો હુરના લશ્કરની દેખરેખ નીચે ચાલી રહ્યો હતો.રસ્તામાં જ કુફાથી ગવર્નર ઝિયાદનો હુર ઉપર કડક સંદેશો આવ્યો કે.
"ઈમામ હુસૈનને એવી ઉજ્જડ અને ખૂલ્લી જગ્યાએ રોકી દેવામાં આવે જ્યા પાણી કે રહેવા માટે કોઈ આસરો ન હોય.અને મારો આ દુત તારી ઉપર પણ સખ્ત નજર રાખશે કે તુ મારા આદેશનું બરાબર પાલન કરે છે કે નહિ."
ગવર્નરને ખયાલ આવી ગયો હતો કે હુરને હઝરત હુસૈન પ્રત્યે કુણી લાગણીઓ છે.
આ આદેશ મળ્યા પછી હુરે ઈમામ હુસૈનનો રસ્તો સંપૂર્ણ રીતે રોકી લીધો.