Darna Mana Hai - 12 books and stories free download online pdf in Gujarati

Darna Mana Hai-12 શરીરમાં ઘર કરી ગયેલા એ ભૂતો

ડરના મના હૈ

Article 12

શરીરમાં ઘર કરી ગયેલા એ ભૂતો

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

નામ તેનું એનેલિસ માઈકલ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૫૨ને દિવસે જર્મનીના બર્લિન શહેરમાં તેનો જન્મ થયો હતો. તેનું કુટુંબ કેથોલિક ધર્મ પાળતું હોવાથી નાનપણથી જ એનેલિસને ચર્ચમાં જવાની ટેવ પાડવામાં આવી હતી. તે ચર્ચમાં માત્ર પાર્થના કરવા કે ધાર્મિક પ્રવચન સાંભળવા જ નહોતી જતી, પરંતુ ચર્ચના મકાન અને બગીચાની સાફ-સફાઈ કરવામાં પણ તેને ઘણો આનંદ મળતો. બાળપણથી જ તે પ્રતિભાશાળી હતી અને ચર્ચ દ્વારા કરવામાં આવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તે અચૂક ભાગ લેતી. શાળાકીય અભ્યાસ દરમ્યાન તેની રીતભાત સંપૂર્ણપણે સભ્યતાથી ભરપૂર રહેતી. બોલવામાં અને વ્યવહારમાંય એકદમ સભ્ય અને સંસ્કારી. ભણવામાં હોશિયાર હોવાથી તેણે ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું. બધી રીતે જોતાં એનેલિસ એક આદર્શ દીકરી હતી જેનું સુંદર ભવિષ્ય હતું.

જર્મનીના બીજા શહેર બાવેરિયામાં આવેલી મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું એ દિવસ એનેલિસનાં જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો, કેમ કે બાવેરિયા મેડિકલ યુનિવર્સિટી વિશ્વની ટોચની મેડિકલ યુનિવર્સિટી ગણાતી હતી અને ત્યાં એડમિશન લેવા માટે ભારે ધસારો રહેતો હતો. ઈ.સ. ૧૯૬૮માં ૧૬ વર્ષની વયે એનેલિસ ઘર છોડીને બાવેરિયા નામના રમણિય શહેરમાં આવી ગઈ. કોલેજની જ હોસ્ટેલમાં રહીને તે ભણવા લાગી. હસમુખા અને મળતાવડા સ્વભાવને લીધે તેણે થોડા જ દિવસોમાં હોસ્ટેલની છોકરીઓ અને સ્ટાફ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપી દીધા. બધાં જ એનેલિસને પસંદ કરતાં હતાં.

શરૂઆતનાં થોડાં અઠવાડિયા બાદ ધીમે ધીમે એનેલિસનું વર્તન બદલાવા માંડ્યું. કોઈ પણ દેખીતા કારણ વગર તે વારંવાર ગુસ્સે થઈ જતી. તેનો સ્વભાવ અતડો થવા લાગ્યો અને તે એકલી રહેવા લાગી. શરૂઆતમાં કોઈએ તેના સ્વભાવમાં આવેલા બદલાવ પર ખાસ ધ્યાન આપ્યું નહીં, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પરિસ્થિતિ વધુ ગંભીર થતી ગઈ. એનેલિસને આંચકીઓ આવવા લાગી અને એવા સમયે તે ડોળા ચઢાવી જઈ નીચે પડી જતી. ઘણી મિનિટો સુધી આ જ રીતે નિશ્ચેત પડ્યા રહ્યા બાદ તે આપોઆપ જ ઊભી થઈ જતી, અને એ રીતે વર્તતી કે જાણે કંઈ બન્યું જ ન હોય. ધીમે ધીમે આચંકીઓનું પ્રમાણ વધવા લાગ્યું અને દિવસમાં ત્રણ-ચાર વાર તેને આ તકલીફ થવા લાગી. આંચકીઓનું પ્રમાણ વધતાં હવે તેના શરીર પર એની અસર દેખાવા લાગી. તેને સતત સ્નાયુઓનો દુખાવો થતો રહેતો.

એવામાં એક સવારે કંઈક એવું બની ગયું કે જે કદી કોઈની કલ્પનામાં પણ ન આવે. એનેલિસ બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. અચાનક જ તે કંઈ પણ પહેર્યા વિના બહાર દોડી આવી અને હોસ્ટેલની લોબીમાં જઈ બૂમાબૂમ કરવા લાગી. તેને તદ્દન નગ્ન અવસ્થામાં જોઈ બધા ચોંકી ગયા, પરંતુ તેનું વર્તન એટલું આક્રમક હતું કે કોઈની હિંમત તેની નજીક જઈ તેને શાંત પાડવા કે કોઈ વસ્ત્ર ઓઢાડવાની થઈ નહિ. મિનિટો બાદ તે જાતે જ શાંત થઈ ગઈ અને પોતાના કમરામાં જતી રહી. આ એક અત્યંત ગંભીર બાબત હોવાથી એનેલિસના પરિવારજનોને તાત્કાલિક ખબર આપવામાં આવી.

એનેલિસના ઘરવાળા તો એ ઘટના વિશે સાંભળીને અવાચક થઈ ગયા. એનેલિસ આ પ્રકારનું બેહુદું અને અસભ્ય વર્તન કરે એ એમના મતે શક્ય જ નહોતું. એ ઘટના બન્યા બાદ હોસ્ટેલની કોઈ પણ છોકરી એનેલિસ સાથે એક કમરામાં રહેવા તૈયાર નહોતી, કેમ કે એનેલિસ હિંસક બની જતી ત્યારે ન કરવાનું કરી બેસતી અને કોઈના કાબૂમાં આવતી નહિ. એકાદ-બે વાર તેણે પોતાની રૂમ પાર્ટનરને માર પણ માર્યો હતો. આથી એનેલિસના ઘરના લોકો તેને લેવા ન આવે ત્યાં સુધી તેને એકલી જ એક રૂમમાં પૂરી રાખવામાં આવી, પરંતુ એનેલિસને આનો કોઈ વાંધો નહોતો, કેમ કે તે એકાંતને પોતાનો સાથી બનાવી ચૂકી હતી.

એનેલિસનાં માતા-પિતા તેને લેવા હોસ્ટેલ પહોંચે તેની એક રાત પહેલાં એક ભયંકર ઘટના ઘટી. અડધી રાતે કોઈકે એનેલિસને હોસ્ટેલના ગાર્ડનમાં નગ્નાવસ્થામાં પડેલી જોઈ. તેના શરીર પર અનેક ઘા પડેલા હતા અને તે લોહીલુહાણ અવસ્થામાં હતી. એનેલિસ સાથે જે બન્યું હતું એને લીધે હોસ્ટેલમાં હો-હા મચી ગઈ. સ્ટાફ અને તમામ છોકરીઓ ગાર્ડનમાં ભેગી થઈ ગઈ. એનેલિસની હાલત જોઈ કેટલીક છોકરીઓને ઊલટી થઈ ગઈ તો અમુક તો આઘાતની મારી બેહોશ થઈ ગઈ. પોલીસ આવી ત્યાં સુધીમાં એનેલિસ થોડી સ્વસ્થ થઈ ચૂકી હતી. પોલીસ સાથેની વાત દરમ્યાન તેણે ધડાકો કરતા કહ્યું, ‘મારા પર બળાત્કાર થયો છે.’

તેની વાત સાંભળી વાતાવરણમાં ખામોશી છવાઈ ગઈ. એનેલિસ જે કંઈ કરતી હતી અને બોલતી હતી એ સ્પષ્ટપણે ગાંડપણનું લક્ષણ હતું એવું ધારી લેવામાં આવ્યું. ગાંડપણને લીધે જ તેણે સ્વયં પોતાની જાતને ઈજાઓ પહોંચાડી હતી એવું માની લેવાયું. તેનાં માતા-પિતાને બોલાવવામાં આવ્યા અને તેઓ એનેલિસને તેમના ઘરે લઈ ગયાં. બાવેરિયા પોલીસે એ રાતે ખરેખર શું બન્યું હતું એની સઘન તપાસ ચલાવી. જોકે પોલીસ તપાસમાં કોઈ પણ શકમંદ વ્યક્તિ મળી નહિ એટલે માનસિક બીમારી હેઠળ એનેલિસ જૂઠ્ઠું બોલી રહી હતી એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો. બીજી બાજુ તેના મેડિકલ રિપોર્ટમાં એવું બહાર આવ્યું કે, એ રાતે તેના ઉપર એકથી વધુ વાર બળાત્કાર થયો હતો! પોલીસ અને ડૉક્ટરમાંથી સાચું કોણ એની અવઢવમાં બધા હતા. હકીકત એ હતી કે, પોલીસ અને ડૉક્ટર બંને જ સાચા હતા. એનેલિસ માઈકલ પર એ રાતે ખરેખર બળાત્કાર થયો હતો, પરંતુ બળાત્કાર કરનાર કોઈ ઈન્સાન નહોતા તેના પર બળાત્કાર કરનાર ભૂતો હતા! ભૂતો! એકથી વધારે ભૂતો!

બર્લિનમાં મનોચિકિત્સક પાસે લઈ જવાયેલી એનેલિસે જ્યારે એવું કહ્યું કે, તેના ઉપર એકથી વધારે ભૂતોએ બળાત્કાર કર્યો હતો ત્યારે મનોચિકિત્સક પણ ચોંકી ગયા. એનેલિસની માનસિક સારવાર માટે વધુ સારા ડૉક્ટરોને રોકવામાં આવ્યા, પરંતુ તેના વર્તનમાં કોઈ જ સુધારો થયો નહિ. તે હવે પહેલાં કરતાં વધુ હિંસક બની ગઈ. તે ડૉક્ટરો અને નર્સો ઉપર હુમલો કરવા લાગી. હિંસક અવસ્થામાં તે જાતજાતના અવાજો કાઢતી. પુરુષોના અવાજમાં બોલતી. તેને સતત પલંગ સાથે બાંધી રાખવાના દિવસો આવ્યા. મોંઘામાં મોંઘી દવાઓની પણ તેના ઉપર કોઈ હકારાત્મક અસર થતી નહોતી. છેવટે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા.

એનેલિસના રહસ્યમય વર્તનનો મેડિકલ સાયન્સ પાસે કોઈ જવાબ નહોતો, એટલે છેવટે ચર્ચના પાદરીની મદદ માગવામાં આવી. ઘરમાં પણ એનેલિસને તેના રૂમમાં પલંગ પર બાંધીને જ રાખવામાં આવતી હતી અને એની એ દશામાં જ પાદરીએ તેની સારવાર શરૂ કરી. દયાળુ પાદરી સવાર-સાંજ તેની પાસે જઈ દૈવી પ્રાર્થના કરતા અને એનેલિસને પિશાચોના કબજામાંથી છોડાવવા માટે ઈશુને પ્રાર્થના કરતા.

એક રવિવારે સવારની પ્રાર્થના બાદ એનેલિસની માતા કેથરીન પાદરીને ચર્ચમાં મળી. કેથરીને તેમને કહ્યું કે, તેઓ એક વાર એનેલિસને સાજી કરી દે પછી તેઓ તેમની પુત્રીને ઈશુને જ સમર્પિત કરી દેશે. તેને નન બનાવી દેશે.

કેથરીનની ઈચ્છા-પ્રાર્થના ઈશ્વરે તો ન સાંભળી, પરંતુ શેતાને સાંભળી લીધી. એ રાતે એનેલિસ પર ભૂતોએ ફરી વાર બળાત્કાર કર્યો. પલંગ પર લોહીલુહાણ હાલતમાં પડેલી એનેલિસ પોતાની માતા કેથરીનને સંબોધીને પુરુષના અવાજમાં ગર્જના કરતા બોલી, ‘આવી અપવિત્ર છોકરી કદી નન ન બની શકે!’

એનેલિસના શરીરમાં ભૂતો વસતા હોવાના કોઈ વધારે પુરાવાઓની હવે જરૂર નહોતી. તેણે ખાવા-પીવાનું છોડી દીધું અને ધીમે ધીમે તેનું શરીર ઘસાતું ચાલ્યું. દીકરીને કોઈ પણ ભોગે બચાવવા માટે મરણિયા બનેલાં માઈકલ દંપતીએ ઘણા તાંત્રિક વિધિના જાણકારોને બોલાવીને પણ વિધિઓ કરાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો થયો નહિ.

એનેલિસના કૃશકાય શરીરમાં પણ ભૂતો ઉત્પાત મચાવતાં રહ્યાં. ભૂતોના હુમલા દરમ્યાન તે ભારે ઊછળકૂદ કરી બંધનમુક્ત થવા પ્રયત્નો કરતી. હારેલા-થાકેલા માઈકલ પરિવારે છેવટે એનેલિસના બચવાની આશા છોડી દીધી.

તમામ પ્રકારની સારવાર બંધ કર્યા બાદ પણ તે અઠવાડિયા સુધી જીવતી રહી. છેવટે ૧ જુલાઈ, ૧૯૭૬ના દિવસે તેણે દમ તોડી દીધો. તેના શરીરમાં ઘૂસેલાં ભૂતો આખરે તેને પોતાની સાથે જ લઈ ગયાં. એક હોનહાર યુવતી ફક્ત ૨૪ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી ગઈ. એનેલિસની કહાની પરથી ૨૦૦૬માં જર્મનીમાં ‘રેકવીમ’ નામની એક ફિલ્મ પણ બની હતી.