Mara Swapnanu Bharat books and stories free download online pdf in Gujarati

Mara Swapnanu Bharat

મારા સ્વપ્નનું ભારત


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકાશકનું નિવેદન

આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલવહેલી નામથી ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ને રોજ બહાર પડી હતી, જે દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે. પહેલી આવૃતિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે જે પ્રેરણા-દાયી ઉપોદ્‌ઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કારણમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે.

શ્રી આર. કે. પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના તથા માં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમનાં લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુષળતાપૂર્વક સંગ્રહ કર્યો છે. અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો છે.

પુસ્તક વાંચીને આપણી સમક્ષ ગાંધીજીના સ્વપ્નના ભારતનું ચિત્ર ખડું થાય છે જે તે કુશળ કલાકારે અને નાં અમર પૃષ્છોમાં અંકિત કર્યું છે.

૧૯૫૯માં નવજીવન ટ્રસ્ટે તેની બીજી આવૃતિ બહાર પાડીતેમાં સંપાદકે દેશની બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ફેરફાર કર્યા. આ સુધારેલી આવૃતિ તૈયાર કરવામાં સંપાદકનો હેતુ વાચકના હાથમાં એક નાનું પણ અધિકૃત પુસ્તક મૂકવાનો છે, જેમાં ભારતનાં તમામ મહત્વના પ્રશ્નો વિષે ગાંધીજીના મૂળ વિચારો વાચકને એક જગ્યાએ વાંચવા મળે; અને એ રીતે આ પુસ્તક કેવળ ગાંધીવિચારનો અભ્યાસ કરનારને જ નહીં પણ દેશસેવાનું કામ કરતા રચનાત્મક કાર્યકર્તાઓને પણ ઉપયોગી થાય.

અંગ્રેજી પુસ્તકની બીજી આવૃતિને આધારે તૈયાર કરેલું આ ગુજરાતી સંસ્કરણ વાચકો સમક્ષ મૂકતાં અમને આનંદ થાય છે. સ્વતંત્ર ભારતના નવનિર્માણના યુગમાં આવા પુસ્તકનું કેટલું મહત્વ છે તે કહેવાની જરૂર ન હોવી જોઈએ. આજે રાષ્ટ્રપિતાનાં સ્વપ્નોના ભારતને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી આપણે શિરે આવી છે. એ જવાબદારી આપણે તેમણે બતાવેલ માર્ગે સતત જાગ્રત રહીને ચાલવાનો સાચો પ્રયત્ન કરીશું ત્યારે જ અદા કરી શકીશું.

૩-૪-’૬૩

ઉપોદ્‌ઘાત

આપણે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ તે વખતે દેશ અને દુનિયા સમક્ષ મહાત્માં ગાંધીના સ્વપ્નના ભારતનું ચિત્ર રજૂ કરવું એ એક શુભ વિચાર છે. આપણે જે સ્વતંત્રતા મેળવી છે તેને કારણે ભારતનું ભાવિ સુધારવાની કે બગાડવાની જવાબદારી આપણા ઉપર આવી પડી છે.

એ સ્વતંત્રતા મેળવવામાં મહાત્માં ગાંધીના નેતૃત્વનો ફાળો નાનોસૂનો નથી. સત્ય અને અહિંસાના જે અજોડ હથિયારનો ગાંધીજીએ ઉપયોગ કર્યો છે તેની, પોતાની અનેક પીડાઓમાંથી છૂટવા માટે, દુનિયાને જરૂર છે.

ગાંધીજીને જે માનવસાધનોનો ઉપયોગ કરવાનો હતો તે કેવાં અપબર્ણ હતાં તે આપણે જાણીએ છીએ.છતાં ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરશે કે આપણે ઓછામાં ઓછા બલિદાન વડે-જે બલિદાન આપણા જેવી પરિસ્થિતિમાં મુકાયેલ બીજા કોઈ પણ દેશને આપવું પડત,-આપણું ધ્યેય હાંસલ કરી શકયા છીએ. સ્વાતંત્યપ્રાપ્તિ માટેનું આપણું હથિયાર જેમ અજોડ હતું તેમ લ્વાતંત્રયપ્રાપ્તિથી આવી મળતી તકો પણ તેટલી જ અજોડ છે. વિજય અને આનંદના આ અવસરે આપણને દોરનાર નેતાની કે તેમને પ્રેરણા આપનાર અમર સિદ્ધાંતોની ઉપેક્ષા કરવાનું આપણને પાલવે નહીં. સ્વતંત્રતા એ તો વધુ મહાન અને ઉદાત ધ્યેય તરફ જવાનું સાધનમાત્ર છે અને મહાત્મા ગાંધીના સ્વપ્નના ભારતની સિદ્ધિ એ જેને માટે તેમણે કામ કર્યું, અને જેના તેઓ પ્રતિક છે તે બધાની યોગ્ય પરિણતિ ગણાશે. આ પ્રસંગે આપણે તેમના ઉપદેશોનાં મૂળભૂત તત્વોને યાદ કરવાં જોઈએ.

આ પુસ્તક વાચકની આગળ એ મૂળભૂત સિદ્ધાંતો રજૂ કરે છે એટલું જ નહીં પણ, રાજ્યવ્યવસ્થા અને સામાજિક જીવન સ્થાપીને તથા સંવિધાન મારફત તેમ જ આ વિશાળ દેશ કોઈ પણ જાતના બાહ્ય બંધન કે આંતરિક અવરોધ વગર કામ કરવાને માટે જે માનવ-મૂડી છલકાવશે તેનો ઉપયોગ કરીને, સ્વતંત્રતા દ્વારા આપણે એ સિદ્ધાંતો પાર પાડવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકીએ તે બતાવે છે. હું આશા રાખું છું કે સૌ કોઈ આ પુસ્તકને આવકારશે.

મહાત્મા ગાંધીનાં લખાણોમાંથી અત્યંત સચોટ અને સૂચક ફકરા-ઓ પસંદ કરવામાં શ્રી આર. કે. પ્રભુએ પોતાની કુશળતા બતાવી આપી છે અને એ વિષય ઉપરના બીજા સાહિત્યમાં આ સંગ્રહથી ઉપયોગી ઉમેરો થશે એમાં મને શંકા નથી.

નવી દિલ્હી,

રાજેન્દ્રપ્રસાદ

૮ ઓગસ્ટ, ૧૯૪૭

અનુક્રમણિકા

અભ્યાસી પ્રત્યે

મારાં લખાણોના ઉધમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વ કાળે એક રૂપ જ દેખાવાની કશી પરવા નથી.સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે,ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે. અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું દણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને.

હરિજનબંધુ, ૩૦-૪’-૩૩ -ગાંધીજી

મારા સ્વપ્નનું ભારત

પ્રકરણ પહેલું

મારા સ્વપ્નનું ભારત

ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જચોઈએ તે બધું ભારત પાસલે છે. ૧

ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. ૨

હિંદુસ્તાન પૃથ્વીના એવા થોડાક દેશ માંહેનો એક છે જેમણે વહેમ અને ભ્રમથી મલિન થઈ ગયેલી પણ પોતાની કેટલીક પ્રાચીન સંસ્થાને સાચવી રાખી છે, પણ આજ સુધી વહેમ અને ભ્રમ દૂર કરવાની સહજ શક્તિ હિંદુસ્તાને બતાવી છે. હિંદુસ્તાન તેની કોટી કોટી પ્રજાની આર્થિક સ્થિતિ સુધારી શકશે એવી મારી શ્રદ્ધા, કદાપિ મહોતી એટલી આજ ઉજજવળ છે. ૩

મને લાગે છે કે હિંદુનું મિશન બીજા દેશો કરતાં જુંદું છે. હિંદુ ધર્મની બાબતમાં જગતમાં સર્વોતમ થવા લાયક છે. આ દેશ સ્વેચ્છાએ શુદ્ધીકરણની જે પ્રક્રિયાઓમાંથી પસાર થયો છે તેનો જોટો જગતમાં જડતો નથી. હિંદને પોલાદનાં શસ્ત્રોની ઓછી જરૂર છે ; તે દૈવી શસ્ત્રોથી લડતું આવ્યું છે અને હજી લડી શકે છે. બીજાં રાષ્ટ્રો પશુબળનાં પૂજારી છે. યુરોપમાં ચાલી રહેલું ભયંકર યુધ્ધ આ સત્યનું ઉદાહરણ પૂરું પાડે છે. હિંદ આત્મબળથી સૌને જીતી શકે છે. આત્મબળ આગળ પશુબળ કશી વિસાતમાં નથી એવું પુરવાર કરતા અનેક દાખલા ઈતિહાસમાં મળી આવે છે. કવિઓએ તેને વિષે કવિતાઓ ગાઈ છે અને સંતોએ પોતાના અનુભવો વર્ણવ્યા છે. ૪

હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારે તો તે કદાચ ક્ષણિક વિજય મેળવે, પણ તેનું મારા હ્ય્દયમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે નહીં રહે. હું હિંદુસ્તાનનો ભક્ત છું કારણ કે મારું જે કંઈ છે તે તેને આભારી છે. હું ચોક્કસ માનું છું કે હિંદ પાસે દુનિયાને આપવા માટે એક મિશન છે-સંદેશો છે. તેણે ટુરોપની આંધળી નકલ કરવાની ન હોય. હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારશે તે વેળા મારી કસોટીની હશે. મને આશા છે કે હું એ કસોટીમાં ઓછો નહીં ઊતરું. મારા ધર્મને ભૌગોલિક મર્યાદા નથી. મારી મારા ધર્મમાં જીવંત શ્રદ્ધા હશે તો તે ખુદ હિંદુસ્તાન માટેના મારા પ્રેમને વટાવી જશે. મારું જીવન અહિંસા મારફત હિંદુસ્તાનની સેવા માટે અર્પણ થયેલું છે. ૫

જો ભારત હિંસાને પોતાનો ધર્મ બનાવી દે, અને હું જીવતો હોઉં તો હું યભારતમાં રહેવાની પરવા ન કરું. પછી તે મારામાં કોઈ પણ જાતની અભિમાનની ભાવના પ્રગટાવી નહીં શકે. મારું સ્વદેશાભિમાન મારા ધર્મને આધીન છે. જેમ બાળક માતાની છાતીએ વળગે તેમ હું ભારતને વળગી રહ્યો છું કારણ કે મને લાગે છે કે મારે જોઈતું આધ્યાત્મિક પોષણ ભારત મને આપે છે. તેનું વાતાવરણ મારી ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને અનુકૂળ છે. એ શ્રદ્ધા જશે ત્યારે મારી દશા, જેણે પોતાનો વાલી મેળવવાની આશા સદાને માટે ગુમાવી દીધી છે એવા અનાથ બાળક જેવી થશે. ૬

હું હિંદુસ્તાનને સ્વતંત્ર અને સુદઢ જોવા ઈચ્છું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. હિંદુસ્તાનની સ્વતંત્રતાને પરિણામે આખી દુનિયાની સુલેહ અને લડાઈને લગતું દ્રષ્ટિબિંદુ પલટાઈ જવાનું જ. અત્યારની તેની પામરતા આખી માનવ- જાતિને નડી રહેલ છે. ૭

પશ્વિમમાં એવું ઘણું છે જે લેવાથી આપણને લાભ થાય, એટલું કબૂલ કરવા જેટલી નમ્રતા મારામાં છે. બુધ્ધિમતા એ કોઈ ખંડનો કે પ્રજાનો ઈજારો નથી. પશ્વિમની સંસ્કૃતિ સામેનો મારો વિરોધ ખરેખર તો તેના આંધળા અનુકરણ સામે છે ; જે અનુકરણ એશિયાના લોકો પશ્વિમ-માંથી આવતી દરેક વસ્તુની માત્ર નકલ કરવા જેટલી લાયકાત ધરાવે છે એવી માન્યતાને આધારે કરવામાં આવે છે. હું ચોક્કસ માનું છું કે હિંદુસ્તાન પાસે કષ્ટસહનની અગ્નિપરીક્ષામાંથી પસાર થવા જેટલી અને પોતાની સંસ્કૃતિ જે બેશક અપૂર્ણ છે, છતાં આજ સુધી થતા આવેલા કાળના હુમલા સામે ટકી રહી છે તેના પર થતા હુમલા સામે થવા જેટલી ધીરજ હોય તો તે જગતને શાંતિ મેળવવામાં ને સંગીન પ્રગતિ કરવનામાં કાયમી ફાળો આપી શકે. ૮

હિંદુસ્તાનનું ભાવિ પશ્વિમના રક્તમલિન પંથે નથી-પશ્વિમ જ એથી કંટાળ્યું છે-પણ સદા અને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તરહિત પંથે છે. હિંદુસ્તાન આજે પોતાનો આતેમા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઈને એ જીવી ન શકે. એટલે ‘પશ્વિમના હુમલાની સામે અમારાથી ન ટકી શકાય’એમ પ્રમાદથી અને લાચારીથી કહેવાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કમર કસવી જોઈએ. ૯

યુરોપનો સુધારો યુરોપિયનોને માટે જરૂર અનુકૂળ છ, પણ જો આપણે એની નકલ કરવા જઈશું તો તેમાં હિંદુસ્તાનની પાયમાલી થશે. આમ કહેવાનો અર્થ એ નથી કે આપણે એમાં જે સારું અને ગ્રાહ્ય હોય તેનું ગ્રહણ ન કરવું, તેમ એનો અર્થ એ પણ નથી કે એમાં જે ખરાબ વસ્તુ ઘૂસી ગઈ હશે તે યુરોપિયનોને પણ નહીં છોડવી પડે. શારીરિક ભોગોની અવિરત શોધ અને તેનો વધારો એ એવી એક ખરાબ વસ્તુ છે ; અને હું હિંમતભેર કહું છું કે જે ભોગોના તેઓ ગુલામ બની રહ્યા છે તેના વજન તળે દબાઈને તેમને પાયમાલ થવું ન હોય તો તેમને પોતાને પણ તેમની જીવનદ્રષ્ટિને નવું રૂપ આપવું પડશે. મારો અભિપ્રાય ખોટો હોય એમ બને, પણ એટલું તો હું જાણું છું કે હિંદને માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોતદ વહોરવા બરોબર છે. ‘સાદીરહેણી અને ઊંચા વિચાર’એ એક પશ્વિમના ફિલસૂફનું સૂત્ર આપણે આપણા હ્ય્દય પર કોતરી રાખીએ. આજે એટલું તો ચોકસ છે કે કરોડોને ઊંચી રહેણી મળવી અસંભવિત છે, અને આપણે મૂઠીભર માણસો-જેઓ આમવગ્રને માટે વિચાર કરવાનો દાવો કરીએ છીએ તેઓ-ઊંચી રહેણીની મિથ્યા શોધમાં ઊંચા વિચારને ખોઈ બેસવાનું જોખમ ખેડી રહ્યા છીએ. ૧૦

હું જે બંધારણને માટે પ્રયત્ન કરીશ તે હિંદુસ્તાનને ગુલામી અને આશ્રિત દશામાત્રમાંથી છોડનારું, અને તેને જરૂર પડ્યે પાપ કરવાનો હક આપનારું હશે. મારો પ્રયત્ન એવા ભારતવર્ષને માટે હશે જે ભારતવર્ષમાં પ્રજાના વર્ગોમાં ઊંચાનીચાનો ભેદ નહીં હોય ; જે ભારત-વર્ષમાં તમામ કોમો પૂરેપૂરી હળીમળીને રહેતી હશે. એવા ભારતવર્ષમાં અસ્પૃશ્યતાના પાપને અથવા કેફી પીણાં અને પદાર્થોને સ્થાન હોઈ જ નહીં શકે. સ્ત્રીઓ પુરુષોના જેટલા જ હક ભોગવશે. આપણે બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહેતા હઈશું અને કોઈને લૂંટતા કે કોઈથી લૂંટાતા નહીં હોઈએ એટલે આપણે નાનામાં નાનું લશ્કર સખવું પડશે. મૂગાં કરોડોના હિતના વિરોધી નહીં હોય એવા તમામ દેશી કે વિદેશી હિતસંબંધો ચીવટપૂર્વક જાળવવામાં આવશે. મને પોતાને તો દેશી અને વિદેશી વચ્ચેનો ભેદ અકારો છે. આ મારા સ્વપ્નનું ભારતવર્ષ છે.. હિું આથી જરાયે ઓછાથી સંતોષ નહીં પામું.૧૧

પ્રકરણ બીજુુંં

સ્વરાજનો અર્થ

સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે અને એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો અંકુશ એવો છે. ‘ઈન્ડિપેન્ડન્સ’નો અર્થ જેમ કેટલીક વાર સંપૂર્ણ નિરંકુશતા થાય છે એવું ‘સ્વરાજ’નું નથી. ૧

પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિંદુસ્તાનની સંમતિથી થતું શાસન એટલે સ્વરાજ...વળી કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં પણ બધા લોકોએ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે...બીજા શબ્દોમાં કહું તો સામાન્ય વર્ગને રાજ્યાધિકારી-ઓને મર્યાદામાં રાખવાની તથા તેમના ઉપર પોતાનો અંકુશ રાખવાની શક્તિનું પૂરેપૂરું ભાન કરાવવાથી સ્વરાજ મળી શકે તેમ છે. ૨

સ્વરાજમાત્રનો આધાર સર્વાંશે આપણી પોતાની જ આંતરિક શક્તિ પર છે, ભારેમાં ભારે સંકટો સામે લડી પાર ઊતરવાની આપણી તાકાત પર છે. ખરું જોતાં જે સ્વરાજને મેળવવામાં ને ટકાવવામાં એવા સતત પુરુષાર્થની જરૂર નથી તેને સ્વરાજ જ ન કહી શકાય. તેથી મેં વાણીથી તેમ જ કર્મથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે રાજકીય સ્વરાજ-એટલે કે સ્ત્રીપુરુષોની મોટી સંખ્યાનું સ્વરાજ એ વ્યક્તિગત સ્વરાજ કરતાં જરાયે જુદી વસ્તુ નથી, અને તેથી વ્યક્તિગત સ્વરાજને માટે જે સાધનોની જરૂર છે તે જ સાધનોથી આ રાજકીય સ્વરાજ પણ મેળવવાનું છે. ૩

સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ; પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સ્વરાજ સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય. ૪

મારું સ્વરાજ આપણી સંસ્કૃતિનો આત્મા અમર રાખવામાં રહેલું છે. હું અનેક નવી વસ્તુઓ લખવા માગું છું પણ તે હિંદી ધરતી ઉપર જ લખાવી જોઈશે. પશ્વિમની પાસેથી લીધેલી વસ્તુ ઘટતા વ્યાજ સાથે હું પાછી વાળી શકીશ ત્યારે પશ્વિમની પાસે કરજ લેતાં હું નહીં અચકાફં. ૫

સ્વરાજ ત્યાં જ જાળવી શકાય કે જ્યાં ઘણાં માણસો સાચાં ને સાવદેશાભિમાની એટલે પ્રજા હિતમાં પોતાનું હિત સમજનારાં હોય ને થાડાં જ લાલચું, સ્વાર્થી ને અપ્રામાણિક હોય. સ્વરાજનો એક અર્થ તો એ છે જ કે ‘ઘણાનું રાજ્ય’. એ ઘણા જો અનિતિમાન અથવા સ્વાર્થી હોય તો રાજ્યમાં અંધાધૂંધી જ હોય એ ચોખ્ખું છે. ૬

મારા...આપણા સ્વપ્નના સ્વરાજમાં જાતિ કે ધર્મના ભેદ-ભાવને સ્થાન નથી. તેમ જ તે ભણેલાનો કે ધનિકનો ઈજારો નહીં હોય. સ્વરાજ બધાને માટે હશે. બધામાં ખેડૂતોનો અને ખાસ કરીને લૂલાલંગડા,આંધળા અને ભૂખે મરતા કરોડો મહેનતુ લોકોનો સમાવેશ થઈ જાય છે. ૭

કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે ? જો આ વાત સાચી હોય તો આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે. ૮

જો સ્વરાજ આપણી સભ્યતાને સ્વચ્છ અને સ્થાયી કરવાને માટે ન હોય તો તે નકામું છે. આપણી સભ્યતાનો અર્થ એ કે નીતિને વ્યવહાર- માત્રમાં-ધર્મ, રાજ્ય, સમાજ, તમામ વ્યવહારમાં-સર્વોપરી સ્થાન આપવામાં આવે. ૯

પૂર્ણ સ્વરાજ...’પૂર્ણ’એટલા માટે કે જાતિ, ધર્મ કે દરજજાના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ જેટલું રાજા માટે તેટલું જ ખેડૂત માટે, જેટલું ધનિક જમીનદાર માટે તેટલું જ ભૂમિહીન ખેડૂત માટે, જેટલું હિંદુ માટે તેટલું જ મુસલમાન માટે, જેટલું પારસી અને જૈન માટે, તેટલું જ યહૂદી અને શીખ માટે છે. ૧૦

સ્વરાજ શબ્દનો અર્થ પોતે તથા એને સિદ્ધ કરવા માટેનાં સાધનો એટલે સત્ય અને અહિંસા-જેના પાલન માટે આપણે પ્રતિજ્ઞાબદ્ધ છીએ-તે સ્વરાજ કોઈને માટે ઓછું તો કોઈને માટે વધારે, અમુકને માટે લાભદાયી અને બીજાને માટે નુકસાનકારક હોવાથી બધી શક્યતાઓને અસંભવિત બનાવી દે છે. ૧૧

મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે. રાજા અને ધનિક વર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે તે તમને પણ સુલભ હોવી જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે તેઓની માફક તમારે પણ મહેલો હોવા જોઈએ. સુખને માટે તેની જરૂર નથી. તમે કે હું એમાં ભૂલા પડીએ. પણ તમને ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો મળવી જોઈએ. એ બાબતમાં મને સહેજ પણ શંકા નથી કે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડોની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ () સ્વરાજ નથી. ૧૨

મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એકલવાયું સ્વાતંત્ર્‌ય નથી પણ નીરોગી અને પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્‌ય છે. મારો રાષ્ટ્રવાદ ઉગ્ર છે છતાં એકલપેટો નથી, અને કોઈ પણ પ્રજા કે વ્યક્તિને હાનિ કરવાનો તેનો ઉદેશ નથી. કાયદાનાં સૂત્રો જેટલાં કાયદાનાં નથી તેટલાં સદાચારનાં સૂત્રો છે. ‘તારા ુડોશીની મિલકતને હાનિ ન પહોંચે એવી રીતે તારી મિલકત ભોગવ,’એ સૂત્રના સનાતન સત્ય પર મારો વિશ્વાસ છે. ૧૩

એ બધાનો આધાર આપણે પૂર્ણ સ્વરાજનો શો અર્થ કરીએ છીએ અને તેની મારફત શું સિદ્ધ કરવા માગીએ છીએ તેના પર છે. આપણે જો પૂર્ણ સ્વરાજનો અર્થ આમજનતાની જાગૃતિ અને તેમનામાં તેમના સાચા હિતની સમજ અને તે હિતને માટે આખી દુનિયા સામે ઊભા રહેવાની શક્તિ એવો કરતા હોઈએ તથા પૂર્ણ સ્વરાજ દ્વારા સંપ, અંદરના કે બહારના આક્રમણથી મુકિત, અને આમજનતાની આર્થિક હાલતમાં ઉતરોતર સુધાર ચાહતા હોઈએ, તો આપણે આપણું ધ્યેય રાજકીય સતા વગર અને ચાલુ સતા પર સીધો પ્રભાવ પાડીને હાંસલ કરી શકીએ. ૧૪

સ્વરાજ, પૂર્ણ સ્વરાજય કે આઝાદી એટલે આપણા ઉપર કોઈ પણ પરદેશી સલ્તનત રાજ્ય ન કરે. એ આઝાદી ચારે બાજુની હોવી જોઈએ : (૧) એમાં અર્થસિદ્ધિ હોવી જોઈએ. (૨) બીજી રાજ્યપ્રકરણી આઝાદી. (૩) સ્વરાજયનો ત્રીજો ભાગ નૈતિક કે સામાજિક સ્વાતંત્ર્‌યનો છે...(૪) ચોથો ખૂણો ધર્મનો છે. તેમાં હિંદુ ધર્મ, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ વગેરેનો સમાવેશ થાય છે, છતાં તે બધાથી શ્રેષ્ઠ છે.. આપણું સ્વરાજય ચતુષ્કોણ હોય...ચારે ખૂણાને આપણે બરોબર સંભાળવાના છે. એને કોઈ કાનસ લગાવીને ઘસી નાખી નહીં શકે. એ તો સૌ ૯૦ અંશના કાટખૂણાઓ છે. એ ચાર કાટખૂણાનું બનેલું જે રાજ્ય તેને સ્વરાજ્ય કહો; હું એને રામરાજ કહું. ૧૫

મારી કલ્પનાનું સ્વરાજ ત્યારે જ આવશે જ્યારે આપણે સહુ દઢપણે માનીશું કે એકમાત્ર સત્યઅહિંસા થકી જ સ્વરાજ મેળવાય, ચલાવાય અને નભાવાય. ખરા આમવર્ગનું પ્રજાતંત્ર ખોટાં અને હિંસક સાધનોથી કદી ન મળે. કારણ તેમાં દબાવીને અગર તો મારી નાખીને બધા વિરોધીઓના નાશને સ્વાભાવિક પરિણામ તરીકે સ્વીકારવો પડે.એમાંથી વ્યક્તિની મુક્તિ ન જ ફળે. વ્યક્તિગત મુક્તિ નિર્ભેળ અહિંસા-માંથી જ પરિણમે. ૧૬

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. અને ખરા હક કે અધિકાર એ કે જે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જે સેવાધર્મ પાળે છે તેને જ શહેરીના ખરા હક મળે છે, ને તે જ તેને જીરવી શકે છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન થાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જે પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે. અને તેવા માણસ પોતાના અધિકારને પણ સેવા સારુ વાપરે છે, સ્વાર્થ સારુ કદી નહીં. પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસતાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિના શહેરી તરીકેના પોતાના ધર્મના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈને પોતાના અધિકારનો ખ્યાલ સરખાોય નથી હોતો. અધિકાર આવશ્યક હોય ત્યારે એની મેળે દોડી આવે છે. ૧૭

અહિંસક સ્વરાજમાં કોઈ કોઈના દુશ્મન ન હોય. બધા પોત- પોતાનો ફાળો ભરે. કોઈ નિરક્ષર ન હોય. ઉતરોતર તેનું જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય. કંગાલ કોઈ હોય નહીં. મહેનત કરનારને મહેનત મળતી હોય. તેમાં જુગાર, મધપાન, વ્યભિચાર ન હોય; વગ્રવિગ્રહ ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે,ભોગવિલાસ વધારવામાં કે અતિશય રાખવામાં નહીં. મૂઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને હજારો કે લાખો લોક હવા અજવાળું ન હોય એવાં અંધારિયામાં રહે એમ ન હોય. કોઈના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજમાં કોઈ તરાપ ન મારી શકે. એથી ઊલટું કોઈ ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. જ્યાં તંત્ર વ્યવસ્થિત છે ત્યાં ગેરવાજબી હક કોઈથી યભોગવી શકાતા જ નથી. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું. ૧૮

પ્રકરણ ત્રીજુુંં

રાષ્ટ્રવાદના બચાવમાં

મારે માટે દેશપ્રેમ એ મનુષ્યપ્રેમથી જુદો નથી. હું દેશપ્રેમી છું કારણ કે હું મનુષ્ય છું અને માનવપ્રેમી છું. મારો દેશપ્રેમ હિંદુસ્તાન માટે આગવો નથી. હિંદુસ્તાનની સેવા માટે હું ઈંગ્લંડ કે જર્મનીને હાનિ નહીં પહોંચાડું. મારી જીવન-યોજનામાં સામ્રાજયવાદને સ્થાન નથી. દેશભક્તનો કાનૂન કુટુંબના વડાના કાનૂનથા જુદો નથી. દેશભક્તમાં જો માનવતાની ન્યૂનતા હોય તો તેના દેશપ્રેમમાં તેટલી ઊણપ છે. વ્યક્તિના અને રાજ્યના કાનૂન વચ્ચે વિરોધ નથી. ૧

દેશપ્રેમનો ધર્મ આજે આપણને શીખવે છે કે વ્યક્તિએ કુટુંબ માટે મરવું જોઈએ, કુટુંબે ગામ માટે, ગામે પ્રાંત માટે અને પ્રાંતે દેશ માટે પોતાનો ભોગ આપવો જોઈએ. તે જ રીતે જરૂર પડ્યે આખા જગતના હિતાર્થે મરી શકે-પોતાનો ભોગ આપી શકે તે માટે દેશ સ્વતંત્ર હોવો જોઈએ. તેથી રાષ્ટ્રીયતા માટેનો મારો પ્રેમ અથવા રાષ્ટ્રીયતાનો મારો વિચાર માગે છે કે મારો દેશ સ્વતંત્ર થવો જોઈએ અને જરૂર પડ્યે માનવજાતિને જિવાડવા પોતાનો યભોગ આપે. મારા દેશપ્રેમમાં જાતિદ્વષને કોઈ સ્થાન નથી. આપણો દેશપ્રેમ એવો હો. ૨

આખી દુનિયાને લાભ થાય એટલા માટે હું ભારતનો ઉદ્ધાર ચાહું છું. બીજા દેશોને પાયમાલ કરીને ભારત પોતાની ઉન્નતિ સાધે એમ હું ઈચ્છતો નથી. ૩

યુરોપના પગ આગળ દીનહીન પડેલું કે એના ચરણસ્પર્શ વડે પોતાને કૃતકૃત્ય થયેલું હિંદ માનવજાતિને કશો જ આશાનો સંદેશ આપી શકે નહીં. જાગ્રત અને સ્વતંત્ર હિંદુસ્તાન આજની વ્યાકુળ, કષ્ટાતી દુનિયાને શાંતિ અને આશ્વાસનનો સંદેશો અવશ્ય આપી શકે. ૪

રાષ્ટ્રીય બન્યા સિવાય કોઈ આંતરરાષ્ટ્રીય બની શકે નહીં. રાષ્ટ્રીયતા હકીકત બને, એટલે કે જુદા જુદા દેશોના લોકો સંગઠિત થાય અને સંપીને એક માણસની જેમ વર્તે ત્યાર પછી જ આંતરરાષ્ટ્રીયતા સંભવી શકે છે. રાષ્ટ્રપ્રેમ એ પાપ નથી ; પણ સંકીર્ણતા, સ્વાર્થ, એકલવાયાપણું જે વર્તમાન પ્રજાઓ વચ્ચે ઝઘડાનું કારણ છે તે પાપ છે. દરેક બીજાને ભોગે લાભ લેવા માગે છે. બીજાની પાયમાલી કરીને આગળ વધવના માગે છે. હિંદુસ્તાનના રાષ્ટ્રવાદે નવો ચીલો પાડ્યો છે. સારાયે માનવ-સમાજની સેવા ને લાભ માટે જ તે સંગઠિત થવા અને પોતાની શક્તિનો પૂરેપૂરો વિકાસ કરવા માગે છે. ૫

ભારતમાં જન્મ આપીને ઈશ્વરે મારું ભાગ્ય ભારતના લોકો સાથે જોટ્યું છે. એટલે જો હું એમની સેવા કરવામાં નિષ્ફળ જાઉં તો હું ઈશ્વરને બેવફા નીવડ્યો ગણાઉં. જો ભયારતના લોકોની સેવા કેમ કરવી એ મને ન આવડે તો માનવજાતની સેવા કેમ કરવી એ મને કદાપી નહીં આવડે. મારા દેશની સેવા કરવામાં જ્યાં લગી હું બીજા દેશોને નુકશાન ન કરતો હોઉં ત્યાં સુધી મારો માર્ગ ખોટો હોલાની સંભાવના ઓછી છે. ૬

મારી દેશભક્તિ બીજા દેશોથી અલગ એવી હિંદુસ્તાનની આગવી ભક્તિ નથી. તે સર્વસ્પર્શી છે અને જે દેશભક્તિ બીજા દેશોની વિટંબણાઓ અથવા તેમના શોષણના પાયા પર પોતાનો ઉત્કર્ષ સાધવા માગે છે તેનો મારે ત્યાગ કરવો જોઈએ. દેશભક્તિ વિષે મારા વિચાર જો હંમેશાં, હરેક દાખલામાં અને એક પણ અપવાદ સિવાય સારીયે માનવજાતિના વિશાળ હિત સાથે મેળ ન ખાતા હોય તો તે નિરર્થક છે. એટલું જ નહીં, મારો ધર્મ અને તેમાંથી ઉત્પન્ન થયેલી મારી દેશભક્તિ જીવમાત્રને સ્પર્શે છે. મારે માત્ર મનુષ્ય સાથે જ ભ્રાતૃભાવ અથવા અભેદ સિદ્ધ કરવો નથી, પણ જીવમાત્ર સાથે, પેટે ચાલતાં પ્રાણીઓ સાથે પણ અભેદ સિદ્ધ કરવો છે...કારણ કે આપણે એક જ પ્રભુનમાં સંતાન હોવાનો દાવો કરીએ છીએ અમે તેથી હરકોઈ સ્વરૂપે દેખાતું ચેતનમાત્ર તત્વત : એક જ હોવું જોઈએ. ૭

આપણી રાષ્ટ્રીયતા બીજાં રાષ્ટ્રોને જોખમરૂપ ન હોય. જેમ આપણે કોઈને લૂંટવા માગતા નથી તેમ આપણા દેશને લૂંટાવા દેવા માગતા નથી. સ્વરાજય દ્વારા પણ આપણે તો જગતનું હિત સાધવું છે. ૮

લગભગ પચાસ વલસના જાહેર જીવન પછી હું આજે કહી શકું છું કે રાષ્ટ્રની સેવા અને જગતની સેવા એ વિરોધી વસ્તુઓ નથી એ સુદ્ધાંત વિષેની મારી શ્રદ્ધા વધતી ગઈ છે. એ મારો સિદ્ધાંત છે. એનો સ્વીકાર કરવાથી જ જગતમાં શાંતિ સ્થપાશે, અને પૃથ્વી પર વસતી પ્રજાઓ વચ્ચેનો દ્વેષભાવ શમી જશે. ૯

પ્રકરણ ચોથું

ભારતની લોકશાહી

સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શ્સ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા મળેલી સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંદતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકશાન કરનાર અસભ્યતાની નિશાની છે. ૧

કોઈ પણ માનવસંસ્થા તેનો દુરુપયોગ થવાના જોખમથી મુક્ત નથી હોતી. સંસ્થા જેમ મોટી તેમ તેનો દુરુપયોગનો સંભવ પણ વધારે. લોકશાહી એક મોટી સંસ્થા છે અને તેથી તેનો ભારે દુરુપયોગ થવાનો સંભવ છે. પરંતુ એનો ઈલાજ લોકશાહીથી દુર રહેવામાં નહીં પણ એના દુરુપયોગની શક્યતાને ઓછામાં ઓછી કરવામાં રહેલો છે. ૨

લોકપ્રિય સરકાર લોકમતથી આગળ વધીને કદી પગલું ભરી ન શકે. જો તે લોકમતી વિરુદ્ધ જાય તો તેના ભૂકા ઊડી જાય. નિયમનમાં રહેનારી અને જ્ઞનવાન એવી લોકશાહી એ જગતમાં સુંદરમાં સુંદર વસ્તુ છે. પૂર્વગ્રહવાળી, અજ્ઞાની અને વહેમી નોકરશાહી અંધાધૂંધીમાં ઊતરશે અને કદાચ પોતાને હાથે પોતાનો નાશ કરશે. ૩

મેં ફરી ફરીને કહ્યું છે કે કોઈ પણ સમપ્રદાયને પોતાનો વિચાર જ સાચો છે, એવો દાવો કરવાનો અધિકાર નથી. આપણે સૌ ભૂલને પાત્ર છીએ અને વારંવાર આપણને આપણા વિચાર બદલવા પડે છે. હિંદ જેવા વિશાળ દેશમાં દરેક પ્રામાણિક સંપ્રદાય માટે અવકાશ હોવો જ જોઈએ. એટલે આપણી પોતા પ્રત્યે તેમ જ પારકા પ્રત્યે ઓછામાં ઓછી એટલી ફરજ તો છે કે આપણે વિરોધીનો વિચાર સમજી લેવો અને જો તે ન સ્વીકારી શકીએ તો તેને એટલું જ માન આપવું કે જેટલાની આપણે આપણા વિચાર માટે તેની પાસેથી આશા રાખીએ. આ મનઃસ્થિતિ નીરોગ પ્રજાજીવનની એક અગત્યની કસોટી છે, અને ેમાં જ સ્વરાજની લાયકાત રહેલી છે. જો આપણામાં પ્રેમભાવ નમ હોય અને સહિષ્ણુતા ન હોય તો આપણે આપણા મતભેદો કદી શાંતિથી ઉકેલી શકવાના જ નથી. આપણે હંમેશાં ત્રીજા પક્ષની એટલે પરરાજ્યની લવાદીને આધીન રહેવું પડશે. ૪

પ્રજાના હાથમાં રાજ્યનું તંત્ર પૂરેપૂરું આવે ત્યારે તેની દખલગીરી વધવાને બદલે ઘટવી જ જોઈએ. આ જ વસ્તુને બીજી રીતે આમ મૂકી શકાયઃ’જે પ્રજાના ઘણા માણસો બાહ્ય અંકુશ વ્ના પોતાનાં કામ સરસ રીતે, સુસંગઠિત કરીને ચલાવે છે તે જ પ્રજા પ્રજાસતાક રાજ્ય કરી શકશે.’જયાં આ સ્થિતિ નથી વર્તતી ત્યાં તંત્ર પ્રજાસતાક કહેવાતા છતાં પ્રજાસતાક નથી એમ સિદ્ધ થઈ શકશે. ૫

લોકશાહી અને હિંસાનો મેળ ન ખાય. જે રાજ્યો આજે નામનાં લોકશાહી છે તેમણે કાં તો ઉધાડેચોક એકબથ્થુ સતાવાદી બનવું રહ્યું છે, અગર તો જો સાચી લોકસતા તેમનામાં વ્યાપી હોય તો હિંમતપૂર્વક તેમણે અહિંસાવાદી થવું રહ્યું છે. અહિંસાનું આચરણ માત્ર વ્યક્તિઓ જ કરી શકે, અને વ્યક્તિઓની બનેલી પ્રજાઓથી એ ન બની શકે એમ કહેવું એ તો નરી નાસ્તિકતા છે. ૬

પ્રજાસતાનો અર્થ એ જ છે કે તેની હેઠળ દરેક વ્યક્તિ જે જુદી જુદી કોમો, વર્ગો અને હિતોની પ્રજા બનેલી હોય તે તમામનું પ્રતિ-નિધિત્વ રજૂ કરતી હોય. ભલે ખાસ હિતોનાં ખાસ પ્રતિનિધિત્વને એ ન નકારે, પણ એવું પ્રતિનિધિત્વ એ એની કસણી નથી, એની અપૂર્ણતાનું જ લક્ષણ છે. ૭

ખરા આમવર્ગનું પ્રજાતંત્ર ખોટાં અને હિંસક સાધનોથી કદી ન મળે. કારણ તેમાં દબાવીને અગર તો મારી નાખીને બધા વિરોધીઓના નાશને સ્વાભાવિક પરિણામ તરીકે સ્વીકારવો પડે. એમાંથી વ્યક્તિની મુક્તિ ન જ ફળે. વ્યક્તિગત મુક્તિ નિર્ભેળ અહિંસામાંથી જ પરિણમે. ૮

સ્વતંત્ર અને લોકશાસનવાળું હિંદુસ્તાન બીજી સ્વતંત્ર પ્રજાઓ સાથે પરસ્પર બચાવ ને આર્થિક સહકાર માટે ખુશીથી જોડાશે. સ્વતંત્રતા ને લોકશાસન પર રચાયેલી સાચી જગતવ્યવસ્થાની સ્થાપના માટે અને માનવજાતિની પ્રગતિ ને આગેકૂચ માટે જગતનાં જ્ઞાન અને સાધનસામગ્રીના ઉપયોગ માટે અમે કામ કરીશું. ૯

મારી લોકશાસનની કલ્પના એવી છે કે તેની હેઠળ નબળામાં નબળાને સૌથી સબળાના જેટલી જ તક હોવી જોઈએ. કેવળ અહિંસા દ્વારા જ આ થઈ શકે, બીજી રીતે નહીં. આજે દુનિયાનો કોઈ દેશ નબળાને માટે મુરબ્બીવટભરી રહેમ નજર વિના બીજી વૃતિ બતાવતો નથી....પાશ્વાત્ય લોકશાસન આજે જેવું છે તે સ્વરૂપમાં તે હળવા નાઝીવાદ કે ફાસીવાદથી જુદું નથી. બહુ તો સામ્રાજ્યવાદની નાઝી કે ફાસિસ્ટ વલણોને ઢાંકવાનો એ માત્ર એક અંચળો છે... સાચું એટલે કે હિંસા વિનાનું લોકશાસન ખીલવવા હિંદ પ્રયાસ કરી રહ્યું છે. અમારાં હથિયાર સત્યાગ્રહનાં છે જેનાં પ્રતિક રેંટિયો, ગ્રામો- ધોગ, હાથહુન્ની દ્વારા શિક્ષણ, અસ્પૃશ્યતાનિવારણ, કોમી સંપ, દારૂબંધી અને અહિંસાને ધોરણે મજૂર વર્ગોનું સંગઠન-જેવું અમદાવાદમાં ચાલી રહ્યું છે-વગેરે છે. આનો જ અર્થ સામુદાયિક પ્રયાસ અને સામુદાયિક શિક્ષણ અને તાલીમ છે. આ પ્રવૃતિઓ ચલાવવા સારુ અમારે ત્યાં મોટા મોટા સંઘો છે. બધા કેવળ સ્વયંસેવાના પાયા ઉપર ઊભા થયેલા છે અને નીચલામાં નીચલા થરના દરિદ્ર લોકોની સેવા એ જ તેમનું એક-માત્ર પીઠબળ છે. ૧૦

પ્રજાતંત્રવાદી જન્મથી જ શિસ્તવાદી હોય. માનવી અગર દૈવી એવા તમામ કાયદાઓને જે સ્વેચ્છાએ પાળનારો છે, તેને જ પ્રજાતંત્ર સદે છે. હું સ્વભાવે તેમ જ શિક્ષણે પ્રજાતંત્રવાદી હોવાનો દાવો કરું છું. જેમને પ્રજાતંત્રની સેવાની મહત્વાકાંક્ષા છે તેઓ પ્રથમ પ્રજાતંત્રની આ પસોટચીમાં પાસ થાય. વળી પ્રજાતંત્રવાદી સાવ નિઃસ્વાર્થી હોવો જોઈએ. તેણે પોતાની અગર પોતાના પક્ષની દ્રષ્ટિએ નહીં પણ સમસ્ત પ્રજાના તંત્રની દ્રષ્ટિએ બધું વિચારવું જોઈએ, બધાં સ્વપ્નનાં ઘડવાં જોઈએ. ત્યારે જ સવિનયભંગનો તે અધિકારી બને છે... વ્યક્તિસ્વાતંત્ર્‌યની મને કિંમત છે. પણ માણસ મૂળે સામાજિક પ્રાણી છે તે ન ભૂલવું જોઈએ. સામાજિક પ્રગતિની જરૂરિયાતોને વ્યક્તિ-રૂપે બંધબેસતા થવાનું શીખતાં શીખતાં જ તે આજની સ્થિતિએ પહોંચ્યો છે. નિરંકુશ વ્યક્તિસ્વાતંત્ર્‌ય એ તો જંગલના પશુનો જીવનનિયમ છે. આપણે વ્યક્તિસ્વાતંત્ર્‌ય અને સામાજિક અંકુશ વચ્ચે મધ્યમમાર્ગ કાઢતાં શીખ્યા છીએ. સામાજિક અંકુશોનો આખા સમાજના કલ્યાણના હિતની દ્રષ્ટિએ સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં જ વ્યક્તિનો તેમ જ સમાજનો અભ્યુદય રહેલો છે. ૧૧

જે પ્રજા પોતાની ફરજો અદા કરતાં શીખશે તેમને તેમના હકો તેમાંથી આપમેળે મળી આવવાના જ છે. ખરેખરો હક એક જ છે અને તે પોતાની ફરજ અદા કરવાનો. બધા ન્યાય્ય હકો આમાં આવી જાય છે. બાકી બધો એક કે બીજા રૂપમાં લોભ જ છે, અને તેનાં ગર્ભમાં હિંસાનાં બીજ પડેલાં હોય છે. ૧૨

લોકશાહીમાં વ્યક્તિની ઈચ્છાનું નિયમન સમાજની ઈચ્છાથી થાય છે, વ્યક્તિની ઈચ્છા પર સમાજની ઈચ્છાની મર્યાદા મૂકવામાં આવે છે. એ સમાજની ઈચ્છા અથવા સંકલ્પનો અમલ રાજ્ય કરે છે કેમ કે રાજ્યનો વહીવટ પ્રજા જ પોતાના હિતને ખાતર કરે છે. દરેક વ્યક્તિ કાયદાનો અમલ પોતે કરવા મંડી જાય તો પછી રાજ્યસંસ્થા જેવું કંઈ રહેતું નથી ;એ અંધેર કહેવાય એટલે કે એમાં સમાજના કાયદાનો અથવા રાજ્યનો અભાવ હોય. એ રસ્તો સ્વતંત્રતાના વિનાશનો છે. તેથી આપણે સૌએ આપણા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ અને ન્યાય મેળવવાનું કામ રાજ્યને હસ્તક છોડી દેવું જોઈએ. ૧૩

સરકારની કોઈ ભૂલ થઈ હોય તો તે તરફ તેનું ધ્યાન ખેંચવાની લોકશાહી રાજ્યપદ્ધતિમાં પ્રજાની ફરજ છે અને એવી રીતે એક વાર સરકારનું તેની ભૂલ તરફ ધ્યાન દોરીને પ્રજાએ સંતોષ માનવો જોઈએ. પ્રજાની મરજી હોય તો સરકારને રુખસદ આપવાનો તેને અખત્યાર છે. પણ તેની સામે નકામી ચળવળ ઉપાડી તેના કામમાં પ્રજા બાધા ન કરે.આપણી સરકાર જોરાવર લશ્કર અને તેવા જ જોરાવર નૌકાદળના જોર પર આધાર રાખનારી નથી. આપણી સરકારે તાકાત અને આધાર પ્રજા પાસેથી જ મેળવવાનાં રહે છે. ૧૪

સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠે બેઠે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી હરેક ગામના લોકોએ ચલાવવી રહેશે. ૧૫

ટોળાંશાહી અંગત રીતે ટોળાના ઝનૂનની મને જેટલી ચિંતા છે તેટલી સરકારી ઝનૂનની નથી. ટોળાનું ઝનૂન એ રાષ્ટ્રીય બેચેનીની નિશાની છે અને તેથી સરકારી ઝનૂન એ રાષ્ટ્રીય બેચેનીની નિશાની છે અને તેથી સરકારી ઝનૂન જે એક નાનકડા મંડળ પૂરતું મર્યાદિત છે તેના કરતાં તેની સાથે કામ લેવું વધારે આઘરું છે. ટોળામાંના અજાણ્યા લોકોને તેમના ગાંડપણથી મુકત કરવા કરતાં રાજય કરવાને નાલાયક ઠરેલી સરકારને ઉથલાવી પાડવાનું કામ વધારે સહેલું છે. ૧૬

ટોળાંઓને કેળવવા જેટલી સહેલી બીજી એકે વસ્તુ નથી. કારણકે ટોળાંઓના લોકો લાંબી નજર પહોંચાડીને, ગણતરીઓ કરીને, ઠંડે મગજે અગાઉથી નક્કી કરી મૂકેલ કાર્યક્રમનો અમલ કરનારા નથી હોતા. એક ઘા ને બે ટુકડા કરનારા હોય છે. ભૂલ જુએ કે તેટલી જ ત્વરાએ તેનું પ્રાયશ્વિત કરવા તૈયાર થાય છે....અત્યારે અસહકાર ચલાવીને હું અન્યાયની દશામાંથી લોકસતા ઘટાવી કાઢવાનો જ કેવળ પ્રયત્ન કરી રહ્યો છું. ૧૭

આ લોકસમુદાય, જેનું હ્ય્દય શુદ્ધ છે, જેને દેશ માટે લાગણી છે, જે શીખવા માગે છે અને દોરવણી માગે છે તેને આપણે તાલીમ આપવી જોઈએ. થોડા બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન કાર્યકરો મળી જોય તો બુદ્ધિપૂર્વક કામ કરવા માટે આખા દેશને સંગઠિત કરી શકાય અને ટોળાશાહીમાંથી લોકશાહી વિકસાવી શકાય. ૧૮

સરકાર તરફથી કે પ્રજા તરફથી ત્રાસવાદ ચાલતો હોય ત્યારે લોકશાહીની ભાવના સ્થાપી શકાય નહીં. કેટલીક બાબતોમાં સરકારના ત્રાસવાદ કરતાં પ્રજાનો ત્રાસવાદ લોકશાહીની ભાવનાના વિકાસને વધારે પ્રતિકૂળ છે. કારણ કે સરકારનો ત્રાસવાદ લોકશાહીની ભાવનાને મજબૂત કરે છે જ્યારે પ્રજાનો ત્રાસવાદ તેને હણે છે. ૧૯

વધુમતી અને લઘુમતી આપણે લોકશાહીની સાચી ભાવના ખીલવવી હોય તો અસહિષ્ણુ થવાનું આપણને પાલવે નહીં. અસહિષ્ણુતા આપણા કાર્યમાં આપણી શ્રદ્ધાનો અભાવ સૂચવે છે. ૨૦

આપણે સ્વતંત્ર રીતે અભિપ્રાય વ્યક્ત કરવાનો અને સ્વતંત્ર રીતે કામ કરવાના હકનો દાવો કરીએ છીએ, તો આપણે બીજાઓને પણ તેવો હક આપવો જોઈએ. બહુમતીનો અમલ જ્યારે જુલમી બને ત્યારે તે અલ્પસંખ્યક લોકરશાહીના અમલ જેટલો જ અસહ્ય બને છે. નમ્ર સમજાવટથી અને દલીલોથી લઘુમતીને આપણા મત તરફ વાળવા માટે આપણે ધીરજપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ૨૧

બહુમતીનો નિયમ અમુક હદ સુધી જ લાગુ પડે છે. નાની બાબતો-માં જ બહુમતીને અધીન થવાય.બહુમતીના ગમે તેવા ઠરાવને વશ થવું એ તો ગુલામી જ કહેવાય..લોકશાસન એટલે જેમાં લોકો ગાડરની માફક વર્તે એવું રાજ્ય નહીં. લોકશાસનમાં વ્યક્તિગત વિચારની અને કાર્યની સ્વતંત્રતાનું સાવધાનીપૂર્વક રક્ષણ થવું જોઈએ. તેથી હું માનું છું કે મહાસભાને નામે કંઈ ન કરે ત્યાં સુધી લઘુમતીને પોતાના મત પ્રમાણે વર્તવાનો પૂરો હક છે. ૨૨

જો વ્યક્તિ કંઈ જ નથી તો સમષ્ટિ તો નથી જ. વ્યક્તિસ્વાતંત્ર્‌ય હોય તો જ વ્યક્તિ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરી શૂન્યવત્‌ થઈ સમાજ-સેવા કરી શકે. જો એ સ્વાતંત્ર્‌ય હણી લેવામાં આવે તો મનુષ્ય યંત્રવત્‌ બની જાય ને છેવટે સમાજનો નાશ થાય. આવી સમાજરચના થવાનો જરા સરખો પણ સંભવ નથી, કેમ કે તે મનુષ્યના મૂળ સ્વભાવની વિરુદ્ધ છે. ૨૩

પ્રકરણ પાંચમુુંં

ભારત અને સમાજવાદ

મૂડીદારો મૂડીનો દુરુપયોગ કરે છે. એ શોધ થઈ તેની સાથે સમાજવાદનો જન્મ નહોતો થયો. મેં સહ્યું છે તેમ સમાજવાદ, સામ્યવાદ

પણ, ઈશોપનિષદના પ્રથમ શ્લોકમાં સ્પષ્ટ રીતે સમાયેલો છે. સાચી વાત તો એ છે કે જ્યારે કેટલાક સુધારકોનો મતપરિવર્તનની પદ્ધતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો ત્યારે જે વસ્તુ ‘વૈજ્ઞાનિક સમાજવાદ’ને નામે ઓળખાય

છે તેના શાસ્ત્રનો જન્મ થયો. જે પ્રશ્ન વૈજ્ઞાનિક સમાજવાદી-ઓની સામે ઊભેલો છે તેનો જ નિકાલ લાવવાના પ્રયત્નમાં હું રોકાયેલો છું. એ વાત સાચી છે કે હું હંમેશાં કેવળ શુદ્ધ અહિંસાના સાધનનો જ ઉપયોગ કરું છું.

મારો પ્રયત્ન કદાચ અફળ જાય. એમ બને તો એનું કારણ અહિંસાશાસ્ત્રનું

મારું અજ્ઞાન હશે. એ સિદ્ધાંત વિષેની મારી શ્રદ્ધા દિનપ્રતિદિન વધતી જાય

છે. પણ એમ બને કે હું એ સિદ્ધાંતનું વિવરણ કરવાને અપાત્ર હોઉ.

ચરખા સંઘ ને ગ્રામોધોગ સંઘ એ બે સંસ્થા દ્વારા અહિંસાના શાસ્ત્રની અખિલ ભારતીય ધોરણ પર કસોટી ચાલી રહેલી છે. એ મહાસભાએ ઊભા કરેલાં બે સ્વતંત્ર મંડળ છે અને એ ઊભાં કરવાનો હેતુ એ છે કે મહાસભા જેવી સર્વાંશે લોકશાસનની પદ્ધતિએ ચાલતી સંસ્થામાં કાર્યનીતિના જે ફેરફારો હંમેશા થયા જ કરે તેનાથી અલિપ્ત અને સ્વતંત્ર રહીને આ મંડળો દ્વારા હું મારા પ્રયોગો ચલાવી શકું. ૧

આપણા પૂર્વજો આપણને સાચો સમાજવાદ આપી ગયા છે. તેમણે શીખવ્યું છે :

સભી ભોમ ગોપાલકી વામેં અટક કહાં ?

જાકે મનમે ખટક રહી સોહી અટક રહા.

ગોપાળ એ તો ઈશ્વરનું નામ છે. આધુનિક ભાષામાં એનો અર્થ રાજ્ય એટલે કે લોકો થાય. આજે ભૂમિ લોકોની માલિકીની નથી એ ખરું.

પણ તેમાં ઉપરના શિક્ષણનો દોષ નથી. આપણે જેઓ તેનો અમલ કરતા નથી તેમનો દોષ છે. મને જરાયે શંકા નથી કે રશિયા કે બીજા દેશો આ આદર્શને જેટલા પ્રમાણમાં પહોંચી શકે તેટલા જ પ્રમાણ-માં આપણે પણ પહોંચી શકીએ, અને તે હિંસા કર્યા સિવાય. મૂડીદારોની મૂડી હિંસક રીતે છીનવી લેવાને બદલે રેંટિયાનો તેમાંથી ફલિત થતા બધા અર્થો સાથે સ્વીકાર કરવામાં આવે તો તે વધારેમાં વધારે અસરકારક નીવડે. જમીન અને બીજી બધી સંપતિ જે તેને માટે કામ કરે તેની છે. કમનસીબે મજૂરો આ સાદી વાતથી અજ્ઞાત છે અથવા તેમને અજ્ઞાત રાખવામાં આવ્યા છે.

મેં હંમેશાં માન્યું છે કે હિંસા વાટે નાનામાં નાના અને નીટલામાં નીચલા સુધીનાને સામાજિક ન્યાય અપાવવાનું અશક્ય છે. મેં વધુ એમ

પણ માન્યું છે કે સૌથી નીચલા થરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય

તાલીમ આપવામાં આવે તો તેમનાં દુઃખો અને અન્યાયોની દાદ મેળવવી શક્ય છે. એ માર્ગ અહિંસક અસહકારનો છે. અમુક પ્રસંગે અસહકાર એ સહકારના જેટલો જ ધર્મરુપ થઈ પડે છે. કોઈ પણ બંધાયેલો નથી. પારકે

પ્રયત્ને મળેલું સ્વાતંત્ર્‌ય ગમે તેટલું સદ્‌ભાવભર્યું હોય તોપણ એવા પ્રયત્ન ન રહે ત્યારે તે ચકાવી શકાશે જ નહીં. મતલબ કે એવું સ્વાતંત્ર્‌ય ખરું સ્વાતંત્ર્‌ય જ નથી. પણ અદનામાં અદનો માણસ પણ અહિંસક અસહકારથી એવા સ્વાતંત્ર્‌યનમે પામવાની કળા શીખી શકે છે ને તે જ ઘડીથી એની હૂંફ અને એનો ઉજાસ એ પોતાના અંતરમાં અનુભવશે...મારો તો દ્રઢ વિશ્વાસ છે કે હિંસા જે કદી ન સાધી શકે તે વસ્તુ અહિંસક અસહકાર અંતે બૂરાઈ કરનારનો હ્ય્દય-પલટો કરીને સાધી શકે છે. હિંદમાં આપણે અહિંસાને એને લાયકની અજમાયશ જ કદી આપી નથી. અચંબો જ એ છે કે આપણી સેળ-ભેળિયા અહિંસાથી પણ આપણે આટલું બધું સાધી શક્યા છીએ. ૩

ભલીભાંતે જીવવા રહેવા જોઈએ તે કરતાં વધુ જમીન કોઈ માણસ પાસે ન હોવી જોઈએ. આપણી આમપ્રજાનું દારુણ દારિધ તેમની પાસે પોતાની કહી શકાય એવી કશી જમીન ન હોવાને કારણે જ છે એ વાતની કોનાથી ના પડાય એમ છે ?

પણ એ સુધારો એમ ઝટપટ કરાવી લેવાય તેવો નથી એ પણ સમજવું જરૂરી છે. જો એને અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમ

જ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન

મળવું જોઈએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહીં આવે.

મિફલિસોને પણ સમજ મળવી જોઈએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ

કરવાની એમને ફરજ પાડવાનો કોઈને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તેઓ પોતાની મુક્તિ સાધી શકે છે. હેતુ-સિદ્ધિ કરવી હોય તો મેં કહી તેવી કેળવણી અત્યારે જ શરૂ કર્યે છૂટકો. પ્રારંભિક પગલા તરીકે એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસનું વાતાવરણ જમાવવું જોઈએ. ઉપલા વર્ગો અને આમપ્રજા વચ્ચે

હિંસક વિગ્રહ હોઈ શકે નહીં. ૪

સમાજવાદી કોણ ?

સમાજવાદ સુંદર શબ્દ છે. હું જાણું છું ત્યાં લગી સમાજવાદ એટલે સમાજનાં બધાં અંગ સરખાં. ન કોઈ નીચાં ન કોઈ ઊંચા. નથી માથું ઊંચું કેમ કે તે શરીરની ટોચ પર છે, નથી પગનાં તળિયાં નીચાં કેમ કે તે જમીનને અડે છે. જેમ વ્યક્તિના શરીરનાં બધાં અંગ સરખાં તેમ જ સમાજશરીરનાં. આવી માન્યતાનું નામ સમાજવાદ.

આ વાદમાં રાજા ને પ્રજા, ધનિક કે ગરીબ, માલિક ને મજૂર એવું દ્વૈત નથી. આ રીતે સમાજવાદ એટલે અદ્વૈતવાદ.

સમાજ ઉપર નજર નાખીએ તો જોઈએ છીએ કે દ્વૈત જ છે. આ ઊંચો, પેલો નીચો. આ હિંદુ, પેલો મુસલમાન, ત્રીજો ખ્રિસ્તી,ચોથો પારસી, પાંચમો શીખ, છઠ્ઠો યહૂદી. વળી તેમાંય પેટા જાતિ. મારા અદ્વૈતવાદમાં આ બધાનું એકીકરણ છે. એ બધાં અદ્વૈતમાં સમાઈ જાય.

આ વાદને પહોંચવના સારુ આપણે એકબીજાની સામે જોયા ન કરીએ ; જ્યાં સુધી બધાનો પલટો ન થાય ત્યાં લગી આપણે બેઠા રહીએ, જીવનમાં ફેરફાર ન કરીએ, ભાષણ કરીએ, પક્ષ બનાવીએ ને બાજપક્ષીની જેમ જ્યાં શિકાર મળે ત્યાં ઝડપ મારેએ-આ સમાજવાદ નથી જ.

સમાજવાદ જેવી ભવ્ય ચીજ ઝડપ મારતાં આપણાથી દૂર જ જવાની.

સમાજવાદનો આરંભ પહેલા સમાજવાદીથી થાય. એકડો હોય ને તેની ઉપર મીંડા ચડે તોય તેમની કિંમત બેવડી નહીં પણ દશગણી થતી જાય. પણ જો એક મીંડું જ હોય તો મીંડાં ગમે તેટલાં મેળવો છતાં તેમની

કિંમત મીંડું જ રહેવાની;માત્ર કાગળ બગડશે અને મીંડાંભરતાં મહેનત થાય

તે એળે જાય.

વળી, સમાજવાદ અત્યંત શુદ્ધ વસ્તુ છે ; તેને પહોંચવાનાં સાધન પણ શુદ્ધ જ હોવાં જોઈએ. ગંદા સાધનથી ગંદુ જ સાધ્ય સિદ્ધ થવાનું.

તેથી રાજાને મારીને રાજાપ્રજા સરખાં ન જ થાય, માલિકને મારીને મજૂર

માલિક નહીં બને. આમ બધાને વિષે ઘટાવી શકાય.

અસત્યથી સત્યને ન પહોંચાય. સત્યને પહોંચવા નિરંતર સત્ય

આચર્યે છૂટકો. અહિંસા ને સત્યની તો જોડી ખરી ના ?નહીં જ. સત્યમાં અહિંસા છુપાયેલી છે, અહિંસામાં સત્ય. તેથી જ મેં કહ્યું છે કે એ બન્ને એક સિક્કાની બે બાજુ છે. બેયની કિંમત એક જ. વાંચવામાં જ ફેર ; એક બાજુ અહિંસા, બીજી બાજુ સત્ય. આ અહિંસા ને સત્ય પવિત્રતા વિના નભી જ ન શકે. શરીરની કે મનની અપવિત્રતાને છુપાવો એટલે અસત્ય

ને હિંસા દાખલ થયાં જ છે.

સત્યવાદી, અહિંસક, પવિત્ર સમાજવાદી જ જગતમાં કે હિંદુ સ્તાનમાં સમાજવાદ ફેલાવી શકે. સમાજવાદ એચરનારો દેશ હજુ કયાંય

નથી. મેં બતાવ્યાં તે સાધન વિના એવી સમાજસ્થાપના અસંભવિત છે. ૫

પ્રકરણ છઠ્ઠુુંં

ભારત અને સામ્યવાદ

મારે કબૂલ કરવું જોઈએ કે આજ લગી બૉલ્શેવિઝમનો અર્થ હું પૂરો જાણી નથી શક્યો. પણ જે હું જાણું છું તે પ્રમાણે એમ છે કે ખાનગી મિલકત કોઈને હોય નહીં, પ્રાચીન ભાષામાં વ્યક્તિગત પરિગ્રહ ન હોય.

આ વસ્તુ જો સહુ પોતાની ઈચ્છાએ કરે તો એના જેવું રૂડું કંઈ જ નથી.

પણ બૉલ્શેવિઝમમાં બળાત્કારને સારુ સ્થાન હોય એમ જોવામાં આવે છે.

બળાત્કારથી ખાનગી મિલકત જપ્ત કરવામાં આવી છે ને હજુ બળાત્કારે તેનો કબજો સંસ્થાન રાખે છે. જો આ હકીકત બરાબર હોય તો મારો દ્રઢ

વિશ્વાસ છે કે આ બળાત્કારે સધાયેલો વ્યક્તિગત અપરિગ્રહ દીર્ધકાળ સુધી નભવાનો નથી. બળાત્કારથી સધાયેલી એક પણ વસ્તુ આજ લગી લાંબો કાળ નભી નથી શકી ને નભવાની નથી. એટલે મારો અભિપ્રાય એ થયો કે જે પ્રમાણે બૉલ્શેવિઝમને મેં જાણ્યું છે તે લાંબી મુદત નહીં નભે.

જે હોય તે. બાંલ્શેવિઝમ સાધવાની પાછળ અસંખ્ય માણસોએ પોતાનાં બલિદાન આપ્યાં છે. લેનિન જેવા પ્રૌઢ આત્માએ પોતાનું સર્વસ્વ જેની પાછળ રેડ્યું હતું તે મહાત્યાગ વ્યર્થ નહીં જાય, ને તે ત્યાગની સ્તુતિ અવિચળ ગવાશે. ૧

પશ્વિમના લમાજવાદ ને સામ્યવાદનું મંડાણ જેના પર થયેલું છે તે વિચારો ને આપણા વિચારોપાયામાંથી જુદા પડે છે. તેમનો એક વિચાર એવો છે કે માણસ મૂળે સ્વાર્થી છે. તેમની આ માન્યતા સાથે હું મળતો થઈ શકતો નથી. કારણ કે હું જાણું છું કે મનુષ્ય અને પશુ વચ્ચે જે મૂળ

ભયેદ છે તે એ છે કે મનુષ્ય તેના આતેમાના અવાજ-નો ઉતર આપી શકે છે, મનુષ્ય અને પશુ બંનેમાં જેનો સરખો વાસ છે તે વિકારોનો સંયમમાં રાખી શકે છે, અને તેથી સ્વાર્થ અને હિંસાને પણ કાબૂમાં રાખી શકે છે.

સ્વાર્થ અને હિંસા પશુ સ્વભાવના ગુણો છે, મનુષ્યના અમર આત્માના નથી. હિંદુ ધર્મની આ પાયાની કલ્પના છે. આ સત્યની શોધની પાછળ

વરસોનાં તપ અને સાધના રહ્યાં છે. આથી આપણે ત્યાં આત્માનાં રહસ્યોની ખોજ કરવામાં પોતાનાં શરીર ઘસી નાખનારા અને પોતાના

પ્રાણનાં બલિદાન આપનારા સંતપુરુષો થઈ ગયા છે ; પણ પશ્વિમની પેઠે પૃથ્વીના દૂરમાં દૂર અને ઊંચામાં ઊંચા પ્રદેશોની શોધમાં પોતાની જાતનું બલિદાન આપનાર થયા નથી, એટલે આપણા સમાજવાદ કે સામ્યવાદની રચના અહિંસાના પાયા પર અને મજૂરો ને માલિકોના, જમીનદારો અને ખેડૂતોના મીઠા સહકારના પાયા પર થવી જોઈએ. ૨

પૃથ્થકરણ કરીને જોઈએ તો છેવટે સામ્યવાદનો અર્થ શો થાય ?-

વર્ગવિહીન સમાજ. એની સિદ્ધિ માટે મથવા જેવો એ આદર્શ છે. પણ તેમાં બળજબરીનો ઉપયોગ કરવાની વાત આવે છે ત્યારે હું તેનાથી જુદો પડું છું. આપણે સૌ સરખા જન્મ્યા છીએ, પણ સેંકડો વરસોથી આપણે

પ્રભુની ઈચ્છાથી વિરુદ્ધ વર્તતા આવ્યા છીએ. અસમાનતાનો, ઊંચનીચનો વિચાર એ ભૂંડી વસ્તુ છે, પણ મનુષ્યહ્ય્દયમાંથી એને સંગીનની અણીએ દૂર કરવામાં હું માનતો નથી. એ ઈલાજ મનુષ્યહ્ય્દયને રુચે એવો નથી. ૩

રશિયાનો સામ્યવાદ એટલે કે લોકો પર જબરદસ્તીથી લાદવામાં આવેલો સામ્યવાદ હિંદને માફક નહિં આવે. પણ સામ્યવાદ જો કશી હિંસા કર્યા વગર આવતો હોય તો તેો આવકારપાત્ર થશે. કારણ કે પછી કોઈ

વ્ય્કતિ પાસે મિલકત નહીં હોય, હશે તો તે માત્ર લોકોની વતી અને લોકો સારુ જ હશે. લાખોપતિ પાસે લાખો હશે, પણ તે તે લોકો માટે જ રાખશે અને જાહેરકાર્ય માટે જરૂર પડતાં રાજ્ય તે કબજે લઈ શકશે. ૪

સમાજવાદીઓ અને સામ્યવાદીઓ કહે છે કે આર્થિક સમાનતા સ્થાપવામાં અમે આજ ને આજ કશું ન કરી શકીએ. તે લોકો કેવળ તેને

માટે પ્રચાર કરશે અને તે પ્રચારને ખાતર વેરની લાગણી જગાડવાનું ને ઉગ્ર કરવાનું જરૂરી છે એવી શ્રદ્ધાથી ચાલશે. તે લોકોનું કહેવું એવું છે કે રાજ્યસંસ્થા પર કાબૂ મેળવ્યા પછી અમે સમાનતાનો અમલ ચલાવીશું.

મારી રાજ્યસંસ્થા લોકોના સંકલ્પનો અમલ કરશે, પોતાની મરજી લોકો પર ઠોકી નહીં બેસાડે અથવા તેમને તે મુજબ ચાલવાની ફરજ નહીં પાડે.

અહિંસા દ્વારા, દ્વેષની સામે પ્રેમની શક્તિ યોજી, લોકોનો હ્ય્દયપલટો કરી,

મારી વાત તેમને સમજાવી, હું આર્થિક સમાનતાની સ્થાપના કરીશ.

આખો સમાજ મારા વિચારનો થાય ત્યાં સુધી હું થોભી નહીં રહું, મારી કલ્પનાનો અમલ સીધો પંડથી શરૂ કરીશ. એ તો કહેવાનીયે જરૂર નથી કે પચાસ મોટરગાડીનો તો શું કેવળ દસ વીઘાં જમીનનોયે માલિક રહીને હું

મારી કલ્પનાની આર્થિક સમાનતા સ્થાપવાની આશા ન રાખી શકું. તે સમાનતા સ્થાપવી હોય તો મારી જાતને મારે ગરીબોમાં પણ જે ગરીબ છે તેમની હાલતમાં લઈ જવી જોઈએ. છેલ્લાં પચાસ કે તેથી વધારે વરસથી એ અવસ્થાએ પહોંચવાને હું મથ્યા કરું છું અને તેથી પૈસાવાળાઓ મને

મોટરગાડીઓની અને એવી બીજી જે સગવડો આપે છે તેનો ઉપયોગ કરતો છતાં હું સૌથી આગળપડતો સામ્યવાદી હોવાનો દાવો કરું છું. પૈસાવાળા

લોકોનો મારા પર કોઈ જાતનો કાબૂ નથી અને આમજનતાના હિતને ખાતર આવશ્યક જણાતાં-વેંત હું તેમને મારાથી અળગા કરી શકું છું. ૫

પારકા લોકોએ આપેલા દાન પર જીવવા કરતાં આપણી ધરતી આપણને જે કંઈ આપે, તેના પર જીવી નીકળવાની આપણામાં તાકાત અને હિંમત હોય. તેમ ન કરીએ, તો સ્વતંત્ર મુલક તરીકેની આપણી હસ્તીને આપણે લાયક ન રહીએ. પરદેશી વિચારસરણીઓનું પણ આવું જ છે. હું જેટલા પ્રમાણમાં એવી વિચારસરણીઓને પચાવી શકું અનેહિંદની ભૂમિને અનુકૂળ કરી શકું, તેટલા પ્રમાણમાં તેમનો સ્વીકાર કરું. પણ તેમનાથી અંજાઈ જઈ તેમાં આંધળા થઈને ઝંપલાવવાનું મારાથી નહીં બને.

પ્રકરણ સાતમુંં

ઉધોગવાદનો શાપ

જેને એક છેડે ભૌતિક સમૃદ્ધિ માટેની અતૃપ્ત મહત્વાકાંક્ષા છે અને બીજે છેડે તેમાંથી પરિણમતું યુદ્ધ છે એવી આ સંસ્કૃતિ તરફ શંકાની નજરે જોતો અને ઉતરોતર વધતો જતો એવો જાગ્રત વર્ગ છે.

પણ એ સંસ્કૃતિ સારી હોય કે ખોટી, હિંદનું ઉધોગીકરણ પશ્વિમની રીતે શા માટે કરવું જોઈએ ? પશ્વિમની સમસ્કૃતિ શહેરી છે.

ઈંગ્લંડ કે ઈટાલી જેવા નાના દેશો તેમની પદ્ધતિઓને શહેરી બનાવે તે પરવડે. આછી વસ્તીવાળા અમેરિકા જેવા મોટા દેશને પણ એમ જ કરવું પડે. પણ ગીચ વસ્તીવાળા વિશાળ દેશને, જેની પ્રાચીન પ્રણાલિકાઓ ગ્રામીણ છે અને જે તેને આજ સુધી ઉપયોગી થતી આવી છે,તે દેશે પશ્વિમના નમૂનાનું અનુકરણ કરવાની જરૂર નથી, ન કરવું જોઈએ. એક સ્થિતિમાં રહેલા દેશ માટે જે સારું છે તે બીજી સ્થિતિમાં આવેલા દેશ માટે સારું હોય જ એમ નથી. એકનો ખોરાક તે બીજા માટે ઝેર હોઈ શકે.

દેશની ભૌગોલિક સ્થિતિ તેની સંસ્કૃતિ ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. ધ્રુવ પ્રદેશોમાં રહેનાર માટે રુવાંટીનો ડગલો (ફર કોટ) જરૂરી થઈ પડે

; પણ વિષુવવૃતના પ્રદેશમાં રહેનારને તે ગૂંગળાવી નાખે. ૧

હું ઝાઝી દલીલમાં ઊતર્યા વિના મારી જે દ્ર ઢ માન્યતા છે તે તેમને જણાવી દઉં કે જગતમાં છે ઉત્પાતો થઈ રહ્યા છે તેનું કારણ આ

મોટા પ્રમાણમાં માલ બનાવવાની ઘેલછૌ જ છે. ક્ષણભર માની લો કે

મનુષ્યની જેટલી હાજતો છે તે બધી યંત્રો વાટે પૂરી પડે છે. છતાં યંત્રોથી થતી પેદાશ તો અમુક પ્રદેશોમાં જ થઈ શકે, અને તેથી તમારે એ માલની વહેંચણી માટે અટપટો રસ્તો લેવો જ પડે. પણ જો માલ જે જગાએ જોઈએ ત્યાં જ પેદા થાય ને ત્યાં જ વહેંચાય તો દગાને માટે ઓછો અવકાશ રહે સટ્ટો તો કોઈ કરી જ ન શકે.

તમે જુઓ છો કે આ રાષ્ટ્રો (ટુરોપ અને અમેરિકા) જગતમાં નબળાં કહેવાતાં કે સંગઠન વિનાનાં રાષ્ટ્રોને ચૂસી શકે છે. એ પ્રજાઓને આ વાતની ખબર પડશે ને તેઓ નક્કી કરશે કે હવે આપણે ચુસવું નથી, તો તેઓ પોતે જેટલું પેદા કરી શકશે એટલું જ વાપરીને સંતોષ માનશે.

ત્યારે માણસની જે મુખ્ય હાજતોને વિષે જે મોટા પ્રમાણમાં માલ પેદા થાય

છે તે બંધ થઈ જશે.

જે જગ્યાએ માલ પેદા થાય ત્યાં જ વપરાય એવી સ્થિતિ આવશે ત્યારે ઉત્પતિનો વેગ અમર્યાદપણે અને ગમે તે ભોગે વધારવાની લાલચ

નહીં રહે. આજની આપણી આર્થિક વ્યવસ્થાને લીધે જે પાર વિનાની

મુસીબતો ને ગૂંચવાડા ઊભા થાય છે તે પણ પછી તો ટળી જશે. ૨

યંત્રોનું પોતાનું આગવું સ્થાન છે;અને તે રહેવાનાં. પણ આવશ્યક

માનવમજૂરીનું સ્થાન તેમને લેવા દેવું ન જોઈએ. ઘરમાં વપરાતાં યંત્રોમાં દરેક પ્રકારના સુધારાને હું આવકારું. પણ હું જાણું છું કે જ્યાં સુધી લાખો ખેડૂતોને ઘેર બેઠાં કરી શકાય તેવો બીજો કોઈ ધંધો આપી ન શકાય ત્યાં સુધી હાથે કરવાની મજૂરીને સ્થાને યંત્રથી ચાલતી ત્રાકો દાખલ કરવી એ ગૂનો છે. ૩

યંત્રોની દેખીતી સફળતાથી હું અંજાવાને તૈયાર નથી. વળી દરેક

હિંસક યંત્રની સામે મારો હડહડતો વિરોધ છે. પણ વ્યક્તિની મહેનત બચાવે, અને કરોડો ઝૂંપડાવાસી ગામડિયાઓનો બોજો હલકો કરે એવાં સાદાં હથિયાર અને સાધનોને હું જરૂર વધાવી લઉં. ૪

હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાં વેરાયેલા ગ્રામવાસીઓરૂપી જીવતાં યંત્રોની સામે જડ યંત્રો ન ખડકવાં જોઈએ. યંત્રો મનુષ્યના પ્રયત્નને મદદ

કરે, તેને સરળ બનાવે એ યંત્રોનો સદુપયોગ કહેવાય. આજના ઉપયોગનું વલણ તો એ દિશામાં જ વધતું જાય છે કે ગણ્યાગાંઠ્યાલોકોના હાથમાં સંપતિના ઢગલા વાળવા અને જે કરોડો સ્ત્રીપુરુષોનાં મોંમાંથી રોટલો ઝૂંટવી

લેવામાં આવે છે તેમની તો લવલેશ પરવા સરખી ન કરવી. ૫

ગામડું સજીવન ત્યારે જ થાય જ્યારે એનું શોષણ થતું અટકે.

વિશાળ ઉધોગોની સાથે હરીફાઈ અને ખપતના પ્રશ્નો આવશે એટલે ગ્રામવાસીઓનું સીધું કે આડકતરું શોષણ થયા વિના નહીં જ રહેવાનું.

તેથી અમારે ગામડાને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભાગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામઉધોગનું આ રૂપ જળવાઈ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપરી શકે એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્ર એ બીજાને ચૂસવાના સાધન તરીકે ન વાપરવાં જોઈએ. ૬

કોઈ પણ દેશને કોઈ પણ પ્રસંગે યંત્રોધોગો ખીલવવાની જરૂર હોય, એમ હું માનતો નથી. હિંદને તો આ વસ્તુ વિશેષ પ્રમાણમાં લાગુ પડે છે. ખરેખર, ગૃહઉધોગો દ્વારા પોતાનાં લાખો ઝૂંપડાંઓની ખિલવણી કરી, સાદું પણ ઉમદા જીવન અપનાવીને તથા દુનિયા જોડે સુલેહશાંતિથી રહીને જ સ્વતંત્ર હિંદ ત્રાહિ પોકારી રહેલી દુનિયા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી શકશે, એમ હું માનું છું. લક્ષ્મીની પૂજાએ આપણા પર લાદેલી અતિશય વેગીલી યંત્રશક્તિ પર રચાયેલા એવા જટિલ ભૌતિક જીવન સાથે ઉચ્ચ વિચારસરણીનો મેળ નથી. આપણે ઉમદા જીવન જીવવાની કળા શીખીએ, તો જ જીવનનું સઘળું માધુર્ય પ્રગટાવી શકીશું.

જોખમભર્યું જીવન જીવવામાં એક પ્રકારનો નશો ભલે હોય, પણ જોખમની સન્મુખ જીવવું અને જોખમભરી રીતે જીવવું, એ બે વચ્ચેનો ભેદ

આપણે સમજવો જોઈશે. જંગલી પશુઓ અને એથીયે વધુ જંગલી

માણસોથી ભરેલાં જંગલમાં પોતાની પાસે બંદૂક રાખ્યા વિના, અને એકમાત્ર ઈશ્વર પર આધાર રાખીને એકાકી રહેવાની હિંમત દાખવનાર

માણસ જોખમની સામે થઈને જીવે છે. બીજો સદાયે હવામાં અધ્ધર રહે છે અને કોક કોક વાર ઊંધે માથે પૃથ્વી પર ઊતરી આવે છે. આ કસરત જોઈને આભા બની ગયેલા લોકો તેની પ્રશંસા કરવા માંડે છે. આવો માણસ જોખમભરી રીતે જીવે છે. એકનું જીવન સહેતુક ને બીજાનું હેતુરહિત છે.

ઠીસી ઠીસીને સશસ્ત્ર બનેલી દુનિયા તથા તેના ઠાઠમાઠ અને આડંબર સામે વિસ્તાર અને વસ્તીમાં ચાહે એટલા મોટા પણ એકલ-દોકલ

રાષ્ચ્રને માટે આવું સાદું જીવન શક્ય છે કે નથી, એ અશ્રદ્ધાળુ-ના મનમાં શંકા ઉપજાવે એવો સવાલ છે. એનો જવાબ સીધો અને સરળ છે.

સાદાઈનું જીવન જો જીવવા જેવું હોય, તો એ પ્રયત્ન કરવા જેવો છે ; પછી એવો પ્રયાસ કરનાર ભલેને એક જ વ્યક્તિ કે ગણી-ગાંઠી વ્યક્તિઓનું એક નાનકડું જૂથ હોય.

સાથે સાથે જ હું એમ પણ માનું છું કે, અમુક ચાવીરૂપ ઉધોગો જરૂરના છે. હું ઘરમાં બેસીને વાતો કરવાના સમાજવાદમાં કે સશસ્ત્ર એટલે કે હિંસક સમાજવાદમાં માનતો નથી. સૌના હ્ય્દયપલટાની રાહ જોયા વિના

મારી શ્રદ્ધાને અનુરૂપ અમલી કાર્ય કરવામાં હું માનું છું. એટલે, ચાવીરૂપ ઉધોગની યાદીની ભાંજગડમાં પડ્યા વિના જે ઉધોગોમાં ઘણા લોકોને સાથે કામ કરવાની જરૂર પડે, તેમની માલકી રાજ્યની હોય, એમ હું ઈચ્છું.

તેમની નિપુણ કે અણઘડમજૂરીના ફળની માલકી રાજ્ય દ્વારા એ મજૂરોની હશે. પણ આવું રાજ્ય કેવળ અહિંસાના પાયા પર રચાયેલું જ હું કલ્પી શકું છું, એટલે ધનિકોની દોલત બળાત્કારે ખૂંચવી ન લેતાં વ્યક્તિની

માલકીને રાજ્યની માલકીમાં ફેરવી નાખવાની પ્રક્રિયામાં હું તેમનો સહકાર શોધીશ. કરોડપતિઓ કે ભિખારીઓ, એમાંના કોઈ સમાજમાં અછૂત નથી. એ બંને એક જ રોગનાં જુદા જુદા રૂપનાં ચાંદાં છે. અને ગરીબ શું કે તવંગર શું, સૌ માણસો જ છે.

અને હિંદમાં તેમ જ અન્યત્ર અમાનુષીપણાનાં જે પ્રગર્શનો આપણે નિહાળ્યાં છે અને કદાચ હજી પણ નિહાળવાનાં આવશે, તે છતાં હું આ

શ્રદ્ધા પ્રગટ કરું છું. આપણે જોખમની સામે થઈને જીવતાં શીખીએ. ૭

પ્રકરણ આઠમુુંં

વર્ગવિગ્રહ

હું એમવર્ગને મૂડીદારોને શત્રુ ગણવાનું શીખવતો નથી, પણ હું એમને શીખવું છું કે તેઓ પોતે પોતાના શત્રુ છે. ૧

વર્ગવિગ્રહ ભારતની મૂળ પ્રકૃતિની વિરુદ્ધ છે. તે સમાન ન્યાયના અને સૌના મૂળભૂત હકના વિશાળ પાયા પર સામ્યવાદ સ્થાપવા શક્તિમાન છે. મારા સ્વપ્નના રામરાજ્યમાં રાય તેમ જ રંકના હક સુરક્ષિત હશે. ૨

શોષિત અને શોષક વચ્ચે સહકાર હોવો જોઈએ એવું મેં કદી કહ્યું નથી. શોષણ અને શોષણ કરવાની ઈચ્છા મોજૂદ હોય ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. હું ફકત એટલું નથી માનતો કે જમીનદારો અને

મૂડીવાદીઓ સ્વભાવે જ શોષકો હોય છે, અથવા તેમના અને પ્રજાના હિત વચ્ચે પાયાનો અથવા કદી મેળ ન ખાય એવો વિરોધ હોય છે. તમામ

શોષણનો આધાર શોષિતોના રાજીખુશીના કે બળજબરી-થી લીધેલા સહકાર ઉપર છે. આપણને કબૂલ કરવાનું ન ગમે છતાં એ હકીકત છે કે લોકો શોષકની આજ્ઞા માનવાની ના પાડે તો શોષણ થાય જ નહીં. પણ આપણો સ્વાર્થ આડે આવે છે અને આપણે આપણી બેડીઓને ચીટકી રહીએ છીએ.

આ બંધ થવું જોઈએ. જરૂર જમીનદારો ને મૂડીવાદીઓનો નાશ કરવાની નથી, પણ તેમની અને લોકોની વચ્ચેના આજના સંબંધો બદલીને વધારે તંદુરસ્ત અને વધારે શુદ્ધ કરવાની છે.

વર્ગવિગ્રહની વાત મને પસંદ નથી. ભારતમાં વગ્રવિગ્રહ અનિવાર્ય નથી એટલું જ નહીં, જો આપણે અહિંસાનો સંદેશ બરાબર સમજ્યા હોઈએ તો તે ટાળી શકાય એમ છે. જે લોકો કહે છે કે વર્ગવિગ્રહ અનિવાર્ય છે, તેઓ અહિંસાના ફલિતાર્થોને કાં તો સમજ્યા નથી અથવા તો ઉપરછલ્લા સમજ્યા છે.

પશ્વિમમાંથી આયાત કરેલાં મોહક સૂત્રોથી આપણે દોરવાઈ ન જઈએ. આપણી પાસે આપણી પૂર્વની વિશિષ્ટ પરંપરા નથી શું ?મજૂરી અને મૂડીના સવાલનો ઉકેલ આપણે આપણી રીતે નથી લાવી શકતા ?

વર્ણાશ્રમની પ્રથા એ ઊંચનીચ વચ્ચે તેમ જ મૂડી અને મજૂરી વચ્ચે મેળ

બેસાડવાનું સાધન નથી તો બીજું શું છે ? આ વિષયમાંપશ્વિમમાંથી જે કંઈ

આવે છે તે હિંસાના રંગે રંગાયેલું હોય છે. હું તેનો વિરોધ કરું છું કારણ કે આ માર્ગને અંતે આવતો વિનાશ મેં જોયો છે. આજે પશ્વિમમાં પણ વધુ વિચારશીલ વર્ગ તેમની પદ્ધતિ તેમને જે ઊંડી ખાઈ તરફ લઈ જઈ રહી છે તે જોઈને ભયભીત થઈ ગયો છે. અને પશ્વિમમાં મારું જે કંઈ વજન છે તે હિંસા અને શોષણ-ના ઝેરી કૂંડાળામાંથી છૂટવાનો ઉકેલ શોધવાના

મારા સતત પ્રયત્નને આભારી છે. પશ્વિમની સામાજિક વ્યવસ્થાનો હું સહાનુભૂતિપૂર્વક અભ્યાસ કરતો આવ્યો છું. અને મેં જોયું છે કે પશ્વિમના

લોકોમાં જે બેચેની ને અસંતોષ વ્યાપી રહ્યાં છે તેની પાછળ સત્યની વ્યાકુળ ખોજની ભાવના રહેલી છે. એ ભાવનાની હું કદર કરું છું આપણી પૂર્વની સંસ્થાઓનો એ વૈજ્ઞાનિક શોધની ભાવનાથી આપણે અભ્યાસ કરીએ એટલે દુનિયાએ કલ્પ્યો હોય તેના કરતાં વધારે સાચો સમાજવાદ કે વધારે સાચો સામ્યવાદ આપણે વિકસાવી શકીશું. પશ્વિમનો સમાજવાદ કે સામ્યવાદ એમજનતાની ગરીબાઈના સવાલનો આખરી ઉકેલ છે એમ માની

લેવું એ ખોટું છે. ૩

મારે જમીનદારનું નિકંદન કાઢવું નથી, તેમ જમીનદાર વિના ન જ

ચાલી શકે એવું પણ મને લાગતું નથી...હું જમીનદારોનાં ને બીજા ધનિકોનાં દિલ અહિંસક ઉપાયોથી પલટાવવાની આશા રાખું છું, ને તેથી વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હું માનતો નથી. કેમ કે જેટલો વિરોધ ઓછો કરવો પડે એ રીતે કામ લ્વું એ અહિંસાનું એક આવશ્યક અંગ છે. ખેડૂતોને જે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે. ખેડૂતો કહે કે જ્યાં નગીઅમે ને અમારાં બાળબચ્ચાં સુખે ખાઈએ, પહેરીએ ને કેળવણી પામીએ એટલું અમને ન મળે ત્યાં લગી અમે હરગિજ જમીન નથી ફેડવાના, તો બિચારો જમીનદાર શું કરી શકે

? વસ્તુત : શ્રમજીવી ખેડૂત તેણે ઉપજાવેલા પાકનો માલિક છે. જો

શ્રમજીવીઓ બુદ્ધિપૂર્વક ભેગા થઈને જૂથ બાંધે તો તેમની શક્તિની સામે થવાની કોઈની તાકાત નથી. એ રીતે હું વર્ગવિગ્રહની આવશ્યકતા નથી

માનતો. હું જો એને અનિવાર્ય માનું તો એનો ઉપદેશ કરતાં ને એ શીખવતાં અચકાઉં નહીં. ૪

સવાલ એક વર્ગને બીજા વર્ગ સામે ઊભા કરવાનો કે ઉશ્કેરવાનો નથી પણ મજૂરોને તેમના ગૌરવનું યભાન કરાવવાનો છે. ધનિકો તો આખરે દુનિયામાં ગણ્યાગાંઠ્યા છે. મજૂરોને પોતાના બળનું ભાન થાય અને છતાં તેઓ વાજબી રીતે વર્તે કે તરત ધનિકો તેમની સાથે વાજબી રીતે વર્તવા લાગશે. મજૂરોને ધનિકો સામે ઉશ્કેરવા એટલે સદાકાળ માટે વર્ગદ્વેષ જીવતો રાખવો અને તેમાંથી નીપજતાં અનિષ્ટ પરિણામો અનંતકાળ સુધી ભોગવવાં. મજૂર-માલિક વચ્ચેનો સંઘર્ષ એ ઝેરી કૂંડાળા જેવો છે અને તે કોઈ પણ ભોગે ટાળવો જોઈએ. તે આપણી નબળાઈનો સ્વીકાર છે, આપણી લઘુગ્રંથિની નિશાની છે. જે ઘડીએ મજૂરોને પોતાના ગૌરવનું ભાન થશે તે ઘડીએ પૈસાને પોતાનું યોગ્ય સ્થાન મળશે એટલે કે તે ધનિક પાસે મજૂરોના ટ્રસ્ટ તરીકે રહેશે. કારણ કે ધન કરતાં મજૂરીનું મહત્વ વધારે છે. ૫

પ્રકરણ નવમુુંં

હડતાળો

આજકાલ હડતાળો રાજની થઈ પડી છે. તે વર્તમાન અશાંતિની નિશાની છે. અનેક પ્રકારના અસ્પષ્ટ અને અનિશ્વિત વિચારો વાતાવરણ-

માં ફેલાયેલા છે. અનિશ્વિત આશા બધાને પ્રોત્સાહન આપે છે ખરી,પરંતુ જો તે નિશ્ચિત આકાર નહીં લે તો લોકો ખૂબ નિરાશ થઈ જશે. બીજા દેશોની માફક હિંદુસ્તાનમાં પણ મજૂરવર્ગ એવા લોકોની દયા પર નિર્ભર છે, જેઓ પોતે સલાહકાર અને માર્ગદર્શક બની બેસે છે. આવા લોકો હંમેશાં ચોકસ સિદ્ધાંતવાળા નથી હોતા અને કદાચ હોય છે તો તેમનામાં ડહાપણનો અભાવ હોય છે. મજૂરોમાં પોતાની સ્થિતિ વિષે અસંતોષ છે.

તેમના અસંતોષ માટે પૂરતાં કારણો છે. તેમને એમ શીખવવામાં આવે છે, અને તે યોગ્ય પણ છે, કે માલિકોને ધનવાન બનાવવામાં મુખ્ય સાધનરૂપ તેઓ જ છે. એમ હોવાથી તેમની પાસે હડતાળ પડાવવામાં ઝાઝો પ્રયત્ન કરવો પડતો નથી, દેશની રાજકીય પરિસ્થિતિની પણ દેશના મજૂરો પર અસર થવા લાગી છે. અને રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે હડતાળો પડાવી શકાય છે એમ માનવાવાળા મજૂર-નેતાઓનો પણ તોટો નથી.

મારા અભિપ્રાય મુજબ આવા હેતુ માટે મજૂર-હડતાળોનો ઉપયોગ કરવો એ ગંભીર ભૂલ ગણાશે. હું એમ નથી કહેતો કે આવી હડતાળોથી રાજકીય હેતુ સિદ્ધ ન થઈ શકે. પણ એ હડતાળોને અહિંસક અસહકારની યોજનામાં સ્થાન ન હોય. જ્યાં સુધી મજૂરો દેશની રાજકીય પરિસ્થિતિ ન સમજે અને સૌના કલ્યાણને માટે કામ કરવા તૈયાર ન થાય, ત્યાં સુધી તેમનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ કરવો એ ઘણું જોખમ-કારક છે, એટલું સમજવા માટે બહુ મગજ કસવાની જરૂર ન પડવી જોઈએ. તેઓ પોતાની હાલત સુધારીને પોતાનું ભરણપોષણ સારી રીતે કરી ન શકે ત્યાં સુધી તેમની પાસેથી એકાએક એવી તૈયારીની આશા રાખવી નકામી છે.

મજૂરો સૌથી શ્રેષ્ઠ રાજકીય ફાળો એ આપી શકે કે તેઓ પોતાની હાલત સુધારે, પરિસ્થિતિને વધુ સમજે, પોતાના અધિકારોનો આગ્રહ રાખે અને જે માલ તૈયાર કરવામાં તેઓ આટલો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તેના યોગ્ય ઉપયોગની માલિકો પાસે માગણી કરે તેથી મજૂરો ઉધોગમાં ભાગીદાર તરીકેનો દરજજો મેળવે તેમાં તેમનો સાચો વિકાસ છે.

તેથી હમણાં તો હડતાળો મજૂરોની પરિસ્થિતિ સુધારવા પૂરતી જ હોવી જોઈએ, અને જ્યારે તેમનામાં દેશભક્તિની ભાવના પેદા થાય,ત્યારે તેમણે ઉત્ન્ન કરેલા માલની કિંમત પર નિયંત્રણ મૂકવા તેઓ હડતાળ પાડી શકે.

સફળ હડતાળોની શરતો બહુ સાદી છે. અને તે પૂરી થતાં હડતાળ કદી નિષ્ફળ જતી નથી :

૧. હડતાળનું કારણ વાજબી હોવું જોઈએ.

૨. હડતાળિયાઓમાં વ્યાવહારિક એકતા હોવી જોઈએ.

૩. હડતાળમાં ભાગ ન લેનારાઓ સામે હિંસાનો ઉપયોગ ન થવો જોઈએ.

૪. હડતાળિયાઓમાં હડતાળના દિવસો દરમ્યાન મહાજનના ફંડ ઉપર આધાર રાખ્યા વિના પોતાનો નિર્વાહ કરવાની શક્તિ હોવી જોઈએ અને તે માટે તેમણે કોઈ ઉપયોગી અને ઉત્પાદક હંગામી ધંધો કરવો જોઈએ.

૫. હડતાળિયાઓની જગ્યાએ કામ કરવાવાળા બીજા મજૂરો પૂરતા

પ્રમાણમાં હોય ત્યારે હડતાળનો ઉપાય નિષ્ફળ નીવડે છે. તે પરિસ્થિતિમાં જો અન્યાયી વર્તન ચલાવવીમાં આવતું હોય, પગારો ઓછા હોય, અથવા એવું કોઈ બીજું કારણ હોય, તો રાજીનામું એ તેનો એકમાત્ર ઉપાય છે.

૬. ઉપરોક્ત બધી શરતો પૂરી ન થઈ હોય તેવા સંજોગોમાં પણ સફળ હડતાળો થઈ છે. પરંતુ તે પરથી તો એટલું જ સાબિત થાય છે કે કાં તો માલિકો કમજોર હતા અથવા પોતે કરંલા અન્યાયને કારણે તેમનું દિલ ડંખતું હતું. ઘણી વાર આપણે ખોટાં ઉદાહરણોની નકલ કરીને ભયંકર ભૂલો કરીએ છીએ. આપણને જેનું પૂરતું જ્ઞાન ભાગ્યો જ હોય તેવાં ઉદાહરણોની નકલ કરવી, પણ સફળતા માટે જે શરતો આવશ્યક છે એમ

માનતા હોઈએ તેમનું પાલન કરવું, એ સૌથી સુરક્ષિત માર્ગ છે. ૨

વજૂદવાળાં-કારણો વિના હડતાળ પાડવાની ન હોય. કોઈ પણ અન્યાયી હડતાળ સફળ ન થવી જોઈએ. એવી હડતાળો તરફ જનતાની સહાનુભૂતિ ન હોય.

જનતાનો વિશ્વાસ જેમણે સંપાદન કરેલો છે, એવી વ્યક્તિઓનો ટેકો હોય, તે સિવાય, હડતાળના ગુણદોષમાં ઊતરી તેને વિષે અભિપ્રય

આપવાનું જનતા પાસે બીજું સાધન નથી, તેથી બન્ને પક્ષોએ સ્વીકારેલા પંચ મારફતે લવાદી ચુકાદો અથવા કાયદાની અદાલતનો ચુકાદો મેળવવો જોઈએ. સામાન્યપણે બન્ને પક્ષ લવાદીનો અથવા કાયદાની અદાલતના

ચુકાદાનો સ્વીકાર કરે છે, ત્યારે હડતાળનાં કારણો અથવા મુદા જનતાની નજરે ચડતાં નથી. તુમાખીવાળા માલિકોએ લવાદના ચુકાદાને અવગણ્યાના અથવા અવળે રસ્તે દોરવાયેલા, અને પોતાનો કકકો ખરો કરાવવાની તાકાતના ભાનવાળા નોકરો અથવા મજૂરોએ એ રીતે લવાદી ચુકાદો મંજૂર ન રાખતાં બળજબરીથી પોતાની માગણીઓ માલિકો પાસે કઢાવવાની

મમત પકડ્યાના દાખલાઓ જોકે મળ્યા છે.

આર્થિક અન્યાયના નિવારણ માટે પાડવામાં આવતી હડતાળોના પેટામાં રાજકીય હેતુ સિદ્ધ કરવાની વધારાની તેમ જ જુદા જ પ્રકારની નેમ

કદી ન રખાય. જુદી જુદી જાતની નેમ આ રીતે ભેળસેળ કરી દેવાથી રાજકીય નેમ સાધવાનું કામ તો આગળ નથી જ વધતું, સામાન્યપણે હડતાળિયાઓ મુશ્કેલી વહોરી લે છે અને ટપાલીઓની હડતાળની માફક જોહેર ઉપયોગની કામગીરી બજાવવાનું બંધ કરી દેવામાં આવે છે, તોયે સમાજનો વહેવાર ખોળાઈ કે થંભી જતો નથી. સરકારને થોડી-ઘણી અગવડ વેઠી લેવી પડે છે, પણ તેનું તંત્ર અટકી નથી પડતું. તવંગર લોકો ટપાલનો ખરચાળ બંદોબસ્ત કામટલાઉ ઊભો કરી લે છે, પણ પ્રાથમિક જરૂરિયાતની સગવડથી પેઢીદર ટેવાયેલા, બાકીની ગરીબ આમજનતાના વિશાળ સમુદાયને તે સગવડ મળતી નથી. બાકીના બધા વાજબી અથવા ન્યાયી ઈલાજો અજમાવી લેવાય અને નિષ્ફળ જાય ત્યાર બાદ જ આવી હડતાળોનો ઈલાજ લેવાનો હોય.

ઉપરની વાતમાંથી એવો સાર નિકળે છે કે, રાજકીય હડતાળો સાથે તેમના પોતાના ગુણદોષ ખ્યાલમાં રાખીને કામ લેવું જોઈએ અને તેમને આર્થિક અન્યાયના નિવારણ માટેની હડતાળો સાથે ભેળી ન દેવી જોઈએ અથવાતેમને તેવી હડતાળો સાથે સંબંધ ન હોવો જોઈએ. અહિંસક

લડતના કાર્યમાં રાજકીય હડતાળોનું ચોક્કસ સ્થાન છે. તે કદી ફાવે તેમ

વગર વિચારે કે વગર તૈયારીએ પાડવાની ન હોય. તે હડતાળો જાહેર રીતે, ખુલ્લી રીતે પડે, તેમની આગેવાની સમાજનાં ગુંડા તત્વોના હાથમાં કદી ન હોય. અને એવી હડતાળોનો આશય લોકોને હિંસાને રસ્તે ખેંચી યા દોરી જવાનો તો કદી ન જ હોય. ૩

પ્રકરણ દશમુુંં

મજૂરો શું પસંદ કરશે ?

હિંદુસ્તાનની આગળ અત્યારે બે માગ્ર છેઃ૧. કાં તો પશ્ચિમનું ધોરણ દાખલ કરવું, એટલે કે ‘બળિયાના બે ભાગ’, એ સૂત્રને સ્વીકારવું.

એટલે હથિયારબળ એ સાચું ; સાચું એ જ હથિયારબળ એમ નહીં. ૨.

અને કાં તો પૂર્વનું ધોરણ માન્ય રાખવું. તે એ છે કે ધર્મ ત્યાં જ જય, સાચને આંચ જ નથી. નબળા સબળા બધાને ન્યાય મેળવવાનો એકસરખો હક છે.ય

મજૂરવર્ગથી આ પસંદગીની શરૂઆત થવાની છે. મજૂરો મારફોડ કરીને વધારો મેળવી શકે તો તે મેળવે ? ગમે તેવો તેમનો હક હોય તેમ

છતાં તેઓનાથી મારફોડ તો થાય જ નહીં. મારફોડ કરીને હકો મેળવવાનો રસ્તો સહેલો તો જણાય છે, પણ આખરે તે અઘરો થઈ પડે છે. જેઓ તલવાર વાપરે છે તેઓ તલવારથી જ મરે છે. તારાનું મરણ પાણીમાં જ ઘણે ભાગે થાય છે.

યુરોપની દશા તપાસો. ત્યાં કોઈ સુખી જ નથી જોવામાં આવતું, કેમ કે કોઈને સંતોષ જ નથી. મજૂરોને માલિકનો વિશ્વાસ નથી, માલિકને નથી મજૂરનો. બન્નેમાં એક પ્રકારની પ્રવૃતિ છે, જોર છે. પણ તે તો પાડામાંયે છે. તેઓ મરે ત્યાં સુધી વઢ્યા જ કરે છે. બધી ગતિ તે પ્રગતિ નથી. યુરોપની પ્રજા ઊંચે ચડતી જાય છે, એમ માનવાનું આપણને કંઈ જ કારણ નથી. તેમની પાસે દ્રવ્ય છે એટલે નીતિ છે, ધર્મ છે એવું નથી.

દુર્યોધનની પાસે ઘણું દ્રવ્ય હતું. પણ તે વિદુર સુદામા કરતાં રંક હતો.

વિદુર સુદામાને આજે જગત પૂજે છે. દુર્યોધનનું નામ તેના દુર્ગુણોનો ત્યાગ કરવાને ખાતર જ આપણે લઈએ છીએ.

......સામાન્યરીતે કહી શકાય કે માલિક-મજૂરના ઝઘડામાં ઘણે ભાગે માલિકોમાં વધારે અન્યાય હશે. પણ જ્યારે મજૂરોને પોતાના બળનું પૂરું ભાન આવે ત્યારે મજૂરો માલિક કરતાં વધારે અન્યાય કરે, એ હું સમજી શકું છું,-જોઈ શકું છું. મજૂરમાં જો માલિક જેટલું જ્ઞાન આવી જાય

તો મજૂરની શરતે જ માલિક કામ કરવું પડે. એવું જ્ઞાન મજૂરમાં કોઈ

દહાડો ન આવે એ તો સ્પષ્ટ છે. તેવે સમયે મજૂર મજૂર મટી શેઠ જ થાય.

માલિકો કેવળ પૈસાના બળ ઉપર ઝૂઝતા નથી. તેમનામાં અક્કલ, કળા વગેરે રહ્યાં જ છે.

એટલે સવાલ આપણી પાસે એ જ રહ્યો છે કે મજૂરો જેવા છે તેવા જ રહેતા છતાં, તેઓમાં કંઈક વિશેષ ભાન આવવા છતાં તેઓએ કઈ રીતે વર્તવું. મજૂરો પોતાની સંખ્યા અથવા તો પોતાના બાહુબન ઉપર એટલે મારફાડ ઉપર આધાર રાખે તો તેઓ આપઘાત કરશે, ને તેઓ દેશના ઉધોગોને નુકસાન પહોંચાડશે. જો તેઓ કેવળ ન્યાય ઉપર ઊભી ન્યાય મેળવવા દુઃખ જ સહન કરશે તો તેઓ હમેશાં જય મેળવશે એટલું જ નહીં, પણ માલિકોને સુધારશે, ઉધોગો વધારશે અને માલિક મજૂર બન્ને એક કુટુંબના થઈ રહેશે.

મજૂરોની સ્થિતિ વિચારતાં આટલાં તત્વોનો સમાવેશ થવો જ જોઈએ :

૧. મજૂરોનો નિરાંતનો વખત બચે એચલા જ કલાક કામ હોવું જોઈએ.

૨. તેઓને પોતાને કેળવણી મળે એવું સાધન હોવું જોઈએ.

૩. તેઓનાં બાળતોને પૂરતું દૂધ, પૂરતાં કપડાં ને પૂરતી કેળવણી

મળવાનું સાધન હોવું જોઈએ.

૪. મજૂરોને રહેવાનાં ધર સ્વચ્છ હોવાં જોઈએ.

૫. મજૂરો ઘરડા થાય ત્યારે તેઓ નભી શકે એટલું તેઓ બચાવી શકે એવી સ્થિતિ હોવી જોઈએ.

આમાંની એકે શરત આજે પળાતી નથી. તેમાં બન્નેનો દોષ છે.

માલિકો માત્ર મજૂરીની સાથે જ સંબંધ રાખે છે. મજૂરનું શું થાય છે તેની તેમને દરકાર નથી. ઓછામાં ઓછો પગાર આપી વધારેમાં વધારે મજૂરી

લેવામાં જ તેના પ્રયોગો સામાન્ય રીતે સમાયેલા હોય છે. મજૂર વધારેમાં વધારે પગાર મેળવી ઓછામાં ઓછું કામ કેમ કરે એવી યુક્તિઓ રચે છે.

તેથી મજૂરોને વધારા મળે છે છતાં કામમાં સુધારો નથી થતો, બન્ને વચ્ચે સંબંધ નિર્મળ નથી થતો, ને વધારાનો સદુપયોગ મજૂરો નથી કરતાં.

આ બન્ને પક્ષ વચ્ચે એક ત્રીજો પક્ષ ઉત્પન્ન થયો છે. તેઓ મજૂરના મિત્રો બન્યા છે. એ પક્ષની જરૂર છે.તેઓમાં જેટલે અંશે કેવળ મિત્રભાવ છે, કેવળ પરમાર્થદ્રષ્ટિ છે, તેટલે અંશે જ તેઓ મજૂરના મિત્ર બની શકે.

હવે સમય એવો આવે છે કે જ્યારે મજૂરોને અનેક રીતે સોગઠી ની જેમ વાપરવાના પ્રયત્નો થશે. આ સમય રાજ્યપ્રકરણી વિષયમાં પડનારાને વિચારવા જેવો છે. તેઓ શું કરશે ? પોતાનો સ્વાર્થ જોશે કે

મજૂરની ને કોમની સેવા કરશે ? મજૂરને મિત્રોની જરૂર છે. મજૂરો આધાર વિના આગળ નહીં જઈ શકે. તે આધાર આપનાર માણસો કેવા છે તે ઉપરથી મજૂરોની સ્થિતિ આંકી શકાશે.

‘સ્ટ્રાઈક’પાડવો, કામ બંધ કરવું, હડતાલ પાડવી,-એ ચમત્કારી વસ્તુ છે ; પણ તેનો દુરુપયોગ કરવો એ કઠિન નથી. મજૂરોએ મજબૂત યુનિયનો-સંઘ-બાંધવાં જોઈએ ને સંઘની પરવાનગી વિના હડતાલ ન જ પડાય. હડતાલ પાડ્યા પહેલાં માલિકોની સાથે મસલત પણ કરવી જોઈએ.

જો માલિક પંચ નીમે તો પંચનું તત્વ દાખલ કરવું જોઈએ, ને પંચ નિમાય

તો તેનો ઠરાવ માલિક મજૂર બન્નેએ ગમે તેવો લાગે છતાં કબૂલ કરવો જોઈએ. ૧

મારો અનુભવ છે કે બધે ઠેકાણે સામાન્ય રીતે મજૂરો પોતાની જવાબદારીઓ માલિક કરતાં વધુ પ્રામાણિક પણે વધુ અસરકારક રીતે અદા કરે છે. જોકે મજૂરની માલિક પ્રત્યે જેવી જવાબદારી હોય છે તેવી જ

માલિકની મજૂર પ્રત્યે પણ હોય છે. તેથી મજૂરો પોતાની વાત માલિકો પાસે કેટલી સ્વીકારાવી શકે એ જાણવું જરૂરી છે. જો આપણને પૂરતો પગાર કે પૂરતી રહેવાની સગવડ નથી મળતી એમ લાગતું હોય તો તે

મેળવવા શું કરવું જોઈએ ? મજૂરોને જોઈતાં આરામનાં સાધનોનું ધોરણ કોણ નક્કી કરે ? બેશક, સારામાં સારો માર્ગ તો એ છે કે તમે મજૂરો તમારા અધિકારો કયા છે તે સમજો , મેળવવાની રીત સમજો અને તે

મેળવો. પણ તેને માટે તમારે થોડી પૂર્વતાલીમની-કેળવણીની જરૂર છે.

મારા નમ્ર અભિપ્રાય મુજબ મજૂરો પૂરતો સંપ જોળવે અને આત્મભોગ આપવા તૈયાર થાય તો તેઓ મૂડીદારો ગમે તેટલા જુલમી હોય

તોપણ, હમેશાં ન્યાય મેળવી શકે. મને ખાતરી છે કે જે લોકોને મજૂરો સાથે સંબંધ છે, જેઓ મજૂર ચળવળને દોરવણી આપે છે તેમને પણ મજૂરો પાસે જે સાધનો છે તે મૂડીદારો પાસે કદી ન હોઈ શકે, તેનો ખ્યાલ નથી.

મજૂરો જો એટલું જ સમજે ને સ્વીકારે કે મજૂરો સિવાય મૂડીદારો લાચાર છે તો તેઓ તરત જ પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી લેશે. ૨

દુર્ભાગ્યે આપણા પર મૂડીએ ભૂરકી નાખી છે અને તેથી આપણે

માનીએ છીએ કે દુનિયામાં મૂડી જ સર્વસ્વ છે. પણ એક ક્ષણ વિચાર કરીએ તો આપણને જણાશે કે મજૂરો પાસે જે મૂડી છે તે મૂડીદારો પાસે કદી નહીં હોય...અંગ્રેજીમાં એક ભારે શક્તિશાળી શબ્દ છે. તે શબ્દ ફ્રેંચ

ભાષામાં અને દુનિયાની બધી ભાષાઓમાં છે. એ શબ્દ છે- ‘ના’. અને અમે જે રહસ્ય શોધી કાઢ્યું તે એ છે કે જ્યારે મૂડીદારો મજૂરો પાસે

‘હા’કહેવડાવવા માગતા હોય ત્યારે જો મજૂબરો ‘ના’પાડવી જોઈએ. આમ

કરવાથી મજૂરોને તરત સમજાય છે કે તેઓ જ્યારે ‘હા’કહેવી હોય ત્યારે

‘હા’કહેવાને અને ‘ના’પાડવી હોય ત્યારે ‘ના’પાડવા સ્વતંત્ર છે. અને તેમને સમજાશે કે મજૂર મૂડીદારોથી સ્વતંત્ર છે અને મૂડીદારોએ જ મજૂરોને રાજી રાખવા જોઈએ. મૂડીદારો પાસે બંદૂક અને ઝેરી ગૅસ છે તેથી આ સ્થિતિમાં કશો ફરક પડતો નથી. મજૂરો ‘ના’નો અમલ કરીને પોતાનું ગૌરવ જાળવશે તો મૂડીદારો પાસે બધાં શસ્ત્રો હોવાં છતાં તેઓ નિરૂપાય

બની જશે. પછી મજૂરોને વેર લેવાની જરૂર નહીં રહે ; પણ તેઓ ગોળીઓ અને ઝેરી ગૅસ સામે અડગ ઊભા રહેશે અને પોતાના ‘ના’ના આગ્રહને વળગી રહેશે. મજૂરો ઘણી વાર પોતાના પ્રયત્નમાં નિષ્ફળ નીવડે છે તેનું એ જ કારણ છે કે મેં મૂડીને પાંગળી બનાવી દેવાનું સૂચવ્યું છે તેને બદલે તેઓ (હું પોતે મજૂર તરીકે જ આ કહું છું)પોતે મૂડી પડાવી લેવા

માગે છે અને ખરાબમાં ખરાબ અર્થમાં મૂડીદાર થવા માગે છે. અને તેથી જ મૂડીદારો જેઓ સારી રીતે સંગઠિત થઈ મોરચો બાંધીને ઊભા છે તેઓ

મજૂરોમાં પોતાના જેવા મૂડીદાર થવા માગતા મજૂરોને શોધી કાઢીને તેમનો

મજૂરોને દાબી દેવાના કામમાં ઉપયોગ કરે છે. જો આપણે મૂડીના જાદુથી આંધળા ન બન્યા હોત તો આપણામાંના દરેક પુરુષ કે સ્ત્રી આ પાયાનું સત્ય સહેલાઈથી સમજી જાત. ૩

પ્રકરણ અગિયારમું

હક કે ફરજ ?

સમાજને આજે પીડી રહેલા એક મોટા અનિષ્ટને વિષે મારે આજે વિવેચન કરવું છે. મૂડીવાળા અને જમીનદારો પોતપોતાના અધિકાર અથવા હકની વાતો કરે છે ; બીજી બાજુથી મજીરો વળી પોતાના જ હકની વાતો

ચલાવે છે ; રજવાડાંના રાજાઓ પોતાના રાજ્ય ચલાવવાના ઈશ્વર તરફથી

મળેલા અધિકારની વાતો કરે છે અને તેમની રૈયત તેમના એ અધિકારનો

પ્રતિકાર કરવાના પોતાના હકની વાતો ચલાવે છે. આમ હરેક જણ અને હરેક વર્ગ કેવળ પોતપોતાના અધિકાર અથવા હકને વિષે આગ્રહ રાખે કે

મમત પકડે અને પોતપોતાના ધર્મ અથવા ફરજનો વિચાર સરખો ન કરે તો આખરે ભારે ગોટૈળો ને અંધેર ફેલાય.

હવે, દરેક જણ પોતપોતાના હકને વિષે આગ્રહ રાખવાને બદલે પોતપોતાને માથે આવતી ફરજ બજાવે તો માણસજાતમાં તરત જ સુવ્યવસ્થાનો અમલ શરૂ થાય. રાજ ચલાવવાના રજવાડાંના રાજાઓના ઈશ્વરી અધિકારની અને તેમની રૈયતની પોતાના આ માલિકોના હુકમનું આદર-પૂર્વક પાલન કરવાની ફરજની વાત પાયા વગરની છે. એવા કોઈ

હક કે એવી કોઈ ફરજ હસ્તી ધરાવતી નથી. આવી વારસાગત ઊતરી આવેલી બધી અસમાનતા સમાજનું અકલ્યાણ કરનારી હોવાથી નાબૂદ થવી જોઈએ એ વાત સાચી છે ; પણ તેની સાથે બીજી એક વાત પણ એટલી જ સાચી છે કે કચડાતા આવેલા કરોડો બેફામ રીતે પોતાનાં હકનો જ આગ્રહ રાખે તેથી સમાજનું એથી વધારેં નહીં તો એવું અકલ્યાણ થવાનો સંભવ રહે છે. કચડાયેલી જનતાની મેં કહી તેવી વર્તણૂકથી ઈશ્વરી અને એવા જ બીજા અધિકારોનો દાવો કરનારાં મુઠ્ઠીભર માણસોને થાય તેના કરતાં એ કરોડોને જ વધારે નુકસાન થવાનો સંભવ છે. એ મુઠ્ઠીભર

માણસો કાં તો શૂરાની જેમ અથવા નામરદની જેમ મરણને શરણ થશે પણ એટલા ખોબા જેટલા લોકોનાં મરણથી સુખમય સમાધાન અને શાંતિની વ્યવસ્થા નહીં સ્થપાય. તેથી હક અને ફરજ એ બંનેનો પરસ્પર સંબંધ

સમજી લેવાની જરૂર છે. હું બેધડક સૂચવવા ઈચ્છું છું કે યોગ્ય રીતે પ્રગટ થતા નથી તે મેળવવા જેવાયે નથી. એ બીજા કોઈના હક અથવા અધિકાર ખૂંચવી લેવા જેવું થાય અને તેથી તેવા હકો જેટલા જલદી છોડી દેવાય

તેટલા સારા. જે મા કે બાપ પોતાનાં ફરજંદો તરફની પોતાની ફરજ પ્રથમ

અદા કર્યા વિના તેમની પાસેથી પોતાની આજ્ઞા પળાવવાના પોતાના હકનો દાવો તે સાચે જ ધૃણાને પાત્ર છે. તેવીજ રીતે પત્વ્રતા પત્ની પાસેથી કોઈ

બદચાલનો પતિ હરેક બાબતમાં પોતાની આજ્ઞાનું પાલન થાય એવી અપેક્ષા રાખે તો ધર્મની આજ્ઞાનો અવળો અર્થ થાય. પરંતુ સંતાનો તરફની પોતાની ફરજ બજાવવાનો હમેશાં તત્પર રહેનાર મા કે બાપની આજ્ઞાને ઠોકરે ઉડાવનારાં ફરજંદો કૃતધ્ન અથવા નગુરાં ગણાશે અને પોતાનાં મા કે બાપના કરતાં પોતાની જાતનું વધારેઅકલ્યાણ કરશે. પતિ અને પત્નીને વિષે પણ એવું જ કહી શકાય. હવે, માલિક શેઠિયાઓ અને મજૂરો, જમીનદારો અને ગણોતિયાઓ, રજ-વાડાંના રાજાઓ અને તેમની રૈયત, અથવા હિંદુઓ ને મુસલમાનો સૌને આ સાદો છતાં સર્વસામાન્ય નિયમ

લાગુ કરો તો તમે જોશો કે હિંદમાં અને દુનિયાભરમાં જીવનના વહેવારમાં અને વેપારરોજગારમાં આજે જે બખેડા અને અનવસ્થા દેખાય છે તેને બદલે જીવનના હરેક ક્ષેત્રમાં સૌથી સરસ સુમેળવાળા સંબંધો સ્થાપી શકાય. હું જેને સત્યાગ્રહ નામથી ઓળખાવું છું તે નિયમ પોતપોતાની ફરજો અને તેમના પાલનમાંથી આપોઆપ પ્રગટ થતા હકોના સિદ્ધાંતને બરાબર સમજી લેવામાંથી ફલિત થાય છે.

પોતાના મુસ્લિમ પાડોશી તરફ એક હિંદુની ફરજ શી છે ? હિંદુનો ધર્મ પોતાના મુસ્લિમ પાડોશી સાથે પોતાના એક માનવબંધુ તરીકે દોસ્તી રાખવાનો, તેનાં સુખદુઃખમાં ભાગ લેવાનો અને તેની આફતમાં તેની મદદે ધાવાનો. આ ધર્મના પાલન પછી જ હિંદુ પોતાના મુસ્લિમ પાડોશી પાસેથી એવી જ જાતના વર્તનની અપેક્ષા રાખે અને ઘણો સંભવ છે કે પોતાને અપેક્ષિત જવાબ તેને મળશે. ધારો કે એક ગામમાં હિંદુઓની વસ્તી વધુમતીની છે અને તેમની વચ્ચે થોડા પાંચપચીસ મુસ્લિમો વેરા-યેલા છે.

એ સંજોગોમાં વધુમતીની વસ્તીની પોતાના જૂજ સંખ્યાના મુસ્લિમ

પાડોશીઓ તરફની ફરજ અદા કરવાની જવાબદારી અનેકગણી વધી જાય

છે. અને મારી સમજ પ્રમાણે એ હિંદુઓએ પોતાના થોડી સંખ્યામાં મુસ્લિમ

પાડોશીઓ પ્રત્યેની પોતાની ફરજ એટલી હદ સુધી બજાવવાની રહે છે કે વધુમતીની વસ્તીના પોતાના તરફના વર્તનમાંથી એ મુસ્લિમોને કદી એમ

ન થાય કે અમારા ધર્મને કારણે અમારી સામે ભેદ રાખવામાં આવેછે.

આટલો ધર્મ બરાબર બજાવ્યાં પહેલાં નહીં પણ તે પછી જ મુસ્લિમો પોતાના સ્વાભાવિક મિત્રો થાય એવી અપેક્ષા હિંદુઓ રાખી શકે અને પછી જોખમને વખતે બંને કોમો જાણે એક જ વ્યક્તિ હોય તેમ સાથે મળીને કાર્ય કરશે. પણ ધારો કે એ થોડા મુસ્લિમો પેલા ઘણા હિંદુઓના યોગ્ય વર્તનનો યોગ્ય જવાબ ન વાળે અને હરેક વખતે આડા થઈને લડવાની વાતો કરે તો એ નામરદાઈ લેખાશે. એ સંજોગોમાં પછી વધારે સંખ્યાની વસ્તીવાળા

હિંદુઓની ફરજ શી ? બેશક, તેમનો ધર્મ એવો ન જ હોય કે એ થોડી સંખ્યાના લોકોને કેવળ હેવાનની જબરજસ્તીથી જેર કરે ; કેમ કે એ ખોટી રીતે મેળવેલા હકનો ઉપભોગ થાય. પોતાના સગા ભાઈઓની વર્તણૂક પર જેમ હિંદુઓ અંકુશ મૂકે તેમ એ અલ્પ સંખ્યાના મુસ્લિમોના નામરદાઈભર્યા વર્તનમ પર અંકુશ મૂકવાનો તેમનો ધર્મ હોય. આ દાખલાનું વધારે વિવરણ કરવાની જરૂર હું નથી જોતો. માત્ર એટલું જણાવીને હું વિવેચન બંધ કરીશ કે મારા દાખલામાં બતાવેલી કોમોની પરિસ્થિતિ ઊલટાસૂલટી કરી નાખો તોયે મારો સિદ્ધાંત એની એ જ ઢબે લાગુ પડે છે. આ બધું જે મેં કહ્યું તે પરથી એ જ સિદ્ધાંંત આજની આખીયે પરિસ્થિતિને બરાબર કામ આપે તે રીતે વિસ્તારીને લાગુ કરવાનું સુતરું છે. અને આજની પરિસ્થિતિનો ઉકેલ

નીકળતો નથી તેનું કારણ પણ એટલું જ છે કે દરેકે પ્રથમ બરાબર બજાવેલી ફરજમાંથી જ તેને લગતો હક ફલિત થાય છે એ સિદ્ધાંતનો લોકો અમલ કરતા નથી.

રજવાડાંના રાજા અને તેમની રૈયતની રૈયતને પણ એ જ નિયમ

લાગુ પડે છે. રાજાઓનો ધર્મ પોતાની પ્રજાના સાચા સેવક તરીકે કાર્ય કરવાનો છે. બહારથી કોઈક સતાએ બક્ષેલા હકની રૂએ એ લોકો પોતાની રૈયત ઉપર રાજ નહીં ચલાવે, તરવારથી મળતા અધિકારની રૂએ તો કદી ન ચલાવે. રાજાઓ પોતાની પ્રજાની બજાવેલી સેવાના હકથી અને પોતાને

મળેલા વિશેષ ડહાપણના હકથી રાજ્યનો અમલ ચલાવે. આટલો ધર્મ બજાવ્યા પછી જ રાજાઓને રાજીખુશીથી ભરી દેવામાં આવતા કરવેરા ઉઘરાવવાના અને પોતાની જાતને માટે નહીં પણ પોતાની સંભાળ નીચેની રૈયતને માટે એવી જ રાજીખુશીથી આપવામાં આવેલી કેટલીક જાતની સેવા

લોવાનો હક મળે. રાજાઓ પોતાના આ પ્રથમ અને સાદા ધર્મનું પાલન ન કરે તો રૈયતને તેમના તરફ બદલામાં બજાવવાની કોઈ ફરજ રહેતી નથી એટલું જ નહીં, રાજાઓ ખોટી રીતે જે હકનો દાવો કરે તે હકના અમલનો

પ્રતિકાર કરવાની તેમની ફરજ ઊભી થાય છે. બીજી રીતે એમ કહી શકાય

કે રૈયતને રાજ્યની સતા પડાવી લેનારનો તથા અરાજકતાનો પ્રતિકાર કરવાનો હક પ્રાપ્ત થાય છે. પરંતુ એ હકના અમલમાં રૈયત ખૂન, કતલ

અને લૂંટને રસ્તે ચડે તો ફરજ અથવા ધર્મની દ્રષ્ટિથી વાત કરતાં એમ

કહેવાય કે તેમનો પ્રતિકાર માણસજાતની સામેનો એક ગુનો બની જાય છે.

ફરજના પાલનમાંથી કુદરતી રીતે જ પ્રગટ થતી શક્તિ સત્યાગ્રહમાંથી જન્મનારી કોઈથીયે ન જીતી શકાય તેવી અહિંસાની શક્તિ છે. ૧

પ્રકરણ બારમુુંં

બેકારીનો સવાલ

એક પણ સશક્ત પુરુષ અથવા સ્ત્રી કામ અગર ખાધા વગર રહે ત્યાં સુધી આરામ કરવાની અથવા પેટ ભરીને જમવાની આપણને શરમ

આવવી જોઈએ. ૧

પોતાની મરજીથી નહીં પણ સંજોગોને વશ થઈને દિવસના સરેરાશ માંડ પાંચ કલાક કામ કરતી પ્રજાની કલ્પના કરો એટલે તમારી આગળ ભારતનું ખરું ચિત્ર ખડું થશે.

વાચકે સાચા ચિત્રની કલ્પના કરવી હોય તો તેણે શહેરની ધાંધલ

અથવા કારખાનામાં કામ કરતા મજૂરોનો પીસી નાખનારો થાક અથવા ખેતરો પર કામ કરતા મજૂરોની ગુલામી વગેરે મનમાંથી કાઢી નાખવાં જોઈએ. એ તો હિંદના માનવસમુદ્રમાં બિંદુ સમાન છે. તેણે હિંદનાં હાડપિંજરોની કલ્પના કરવી હોય તો તેની એંસી ટકા વસ્તીનો વિચાર કરવો જોઈએ જે પોતાનાં ખેતરોમાં ખેતી કરે છે અને જેમને વરસમાં ઓછામાં ઓછા ચાર મહિના સુધી લગભગ કંઈ કામ હોતું નથી. અને તેથી તેઓ લગભગ ભૂખે મરે છે. આ સામાન્ય સ્થિતિ છે અને વારંવાર પડતા દુકાળો આ પરાણે વેઠવી પડતી બેકારીમાં ઠીક ઠીક ઉમેરો કરે છે.

આપણું સરાસરી આયુષ્ય બહુ જ ઓછું છે, આપણી ગરીબાઈ

દિવસે દિવસે વધતી જાય છે, એનું કારણ એ છે કે આપણે આપણાં સાત

લાખ ગામડાંની દરકાર નથી રાખી. આપણે એમનો વિચાર કર્યો તો છે જ, પણ તે તેમને લૂંટવા પૂરતો જ. આપણે ભારતવર્ષની જાહોજલાલીનાં રસિક વર્ણનો વાંચીએ છીએ ;આ દેશમાં એક કાળે ધનધાન્યની છોળ હતી એમ

વાંચીએ છીએ ; પણ આજે એ ભૂખે મરતાં કરોડોનો દેશ બની ગયો છે.

આપણે આ સુંદર મંડપમાં વીજળીના દીવાઓના ઝગમગાટમાં બેઠા છીએ, પણ આપણે જાણતા નથી કે આ દીવા આપણે ગરીબને પૈસે બાળીએ છીએ. એ દીવા માટે આપણે ગરીબના ઋણી છીએ એ વાત જો ભૂલી જઈએ તો એ દીવા વાપરવાનો આપણને કશો અધિકાર નથી.

પૂર્વની-ભારતવર્ષની-અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે ભેદ છે. એ ભેદ શેમાં રહેલો છે એની સામાન્યપણે ખબર પડતી નથી. આપણી ભૂગોળરચના જુદી છે, આપણા ઈતિહાસ જુદા છે, આપણી રહેણી જુદી છે. આપણો ખંડ વિશાળ છતાં ભૂતળ પર એક બિંદુ સમાન છે ; પણ

ચીનને બાદ કરતાં એમાં ઘાડામાં ઘાડી વસ્તી છે. હવે જે દેશમાં જમીન પર વસ્તીનું દબાણ વધારેમાં વધારે હોય તે દોશનાં અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિ એ દબાણ જ્યાં ઓછામાં ઓછું હોય તે દેષના કરતાં જુદાં છે ને હોવાં જોઈએ. એમેરિકામાં વસ્તી ઓછી રહી, એટલે ત્યાં કદાચ યંત્રોની જરૂર હોય. હિંદુસ્તાનને એની જરૂર કદાચ બિલકુલ ન હોય. જ્યાં કરોડો માણસો કામ વિનાના બેસી રહ્યા છે ત્યાં મજૂરી બચાવનારાં યંત્રોનો વિચાર કરવાથી કશો લાભ નથી. જો કોઈ માણસ આપણા હાથને ખાવાની મહેનત બચી જાય એવું યંત્ર કાઠે તો ખાવું એ આનંદ ની વસ્તુ મટી જાય ને ત્રાસરૂપ થઈ પડે. આપણા ઉધોગોનો નાશ થઈ ગયો અને પરિણામે બેકારી આવી એ જ આપણી ગરીબાઈનું કારણ છે. કેટલાંક વરસ પહેલાં

હિંદુસ્તાનની ખેતી પર નભનારી વસ્તી સિતેર ટકા ગણાતી ;આજે તે ન્વું ટકા ગણાય છે. એનો અર્થ એ નથી કે નેવું ટકા ખેડૂત છે ; પણ જમીન પર આધાર રાખનાર સિતેર ટકાહતા તેને બદલે હવે નેવું ટકાને લાચારીથી જમીન પર આધાર રાખવો પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો થોડાક વખત પહેલાં વીસ ટકાને ભરણપોષણ આપે એટલા ઉધોગધંધા હતા, તે હવે રહ્યા નથી, અને લોકોને પરાણે ખેતીની મજૂરીમાંથી ગુજારો ખોળવો પડે છે. આમ તેઓ આજીવિકા ચોરે છે; એનું કારણ એ નથી કે એમને એમ

કરવાનું મન થાય છે, પણ હવે વધારે જમીન રહી જ નથી.

આપણા પાંત્રીસ કરોડને અન્ન આપે એટલી જમીન આપણા દેશમાં નથી એમ નહીં. હિંદુસ્તાનમાં વસ્તી હદબહાર વધી ગઈ છે ને તેથી વધારાની વસ્તીએ મરી જવું જોઈએ, એમ કહેવું એ હસવા જેવી વાત છે.

મારી ખાતરી છે કે જેટલી જમીન છે તેટલી બધીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે અને એમાંથી ઉપજાવી શકાય એટલો પાક ઉપજાવવામાં આવે તો તેથી આખી વસ્તીનું પોષણ જરૂર થાય. માત્ર આપણે ઉધોગી થવું જોઈએ, ને જ્યાં આજે ઘાસનું એક તરણું ઊગે છે ત્યાં બે ઉગાડવાં જોઈએ.

આનોઈલાજ એ છે કે આપણે ગરીબ ગ્રામવાસીની સાથે તદ્રૂપ બનવું, એની જમીનમાંથી ઘણું અનાજ ઉગાડવામાં એને મદદ કરવી, તે જે પેદા કરે તે વાપરીને સંતોષ માનવો, અને તેને ખોરાક અને રહેણીની વધારે સારી રીતો અનુસરવાને સમજાવવો.

આપણે મિલનો દળેલો લોટ ખાઈએ છીએ, અને ગામડાનો ગરીબ

માણસ પણ માથે અધમણ અનાજનો બોજો મૂકીને નજીકમાં નજીકને સંચે દળાવવા જાય છે. તમને ખબર છે ખરી કે આપણે પુષ્કળ અનાજ પેદા કરીએ છીએ છતાં આપણે પરદેશથી ઘઉં મંગાવીએ છીએ અને ઑસ્ટ્રેલિયાથી આવેલો મેંદા જેવો લોટ ખાઈએ છીએ ? આપણે હાથે દળેલા

લોટ નથી ખાતા, અને ગરીબ ગ્રામવાસી પણ બેવકૂફીથી આપણું અનુકરણ કરે છે. આમ આપણે ધાનને ધૂળ બનાવીએ છીએ, અમૃતનું વિષ બનાવીએ છીએ. કેમ કે, પૂર્ણ ઘઉંનો લોટ એ જ યોગ્ય ખોરાક છે. મિલના દળેલા લોટમાંથી એનો પ્રાણ-વિટામિન-ઊડી જાય છે, એટલું જ નહીં પણ એ નર્યું ઝેર બની જાય છે. પણ આપણે રોજરોજ તાજો લોટ ખાવો જોઈએ તે દળી લેવાની મહેનત કરતા નથી, અને ઓછી પુષ્ટિકારક વસ્તુઓ માટે પૈસા આપીને બદલામાં માંદગી ખરીદીએ છીએ. આ કંઈ અટપટું આર્થિક સત્ય નથી, એ આપણી નજર સામે રોજ બનતી હકીકત છે. એ જ પ્રમાણે

ચોખા, ગોળ અને તેલનું છે. આપણે છડીને સત્વ કાઢી નાખેલા ચોખા ખાઈએ, ઓછા સત્વવાળી ખાંડ ખાઈએ, અને એને માટે વધારે સત્વવાળા ગોળ કરતાં વધારે પૈસા આપીએ. આપણે ગામડાના ધાંચીને પાયમાલ થવા દીધો છે, ને આપણે ભેગવાળાં તેલ ખાઈએ છીએ. આપણે ગાયની પૂજા કરીએ છીએ, પણ એને ધીમે મોતે મારીએ છીએ. આપણે મધ ખાઈએ છીએ ને મધમાખીને મારી નાખીએ છીએ, એને પરિણામે મધ એવી દુર્લભ

વસ્તુ બની ગઈ છે કે મારા જેવા ‘નહાત્મા’ને જ મળી શકે, અથવા વૈદ

અનુપાન તરીકે બતાવે તો દરદી વૈદ પાસેથી ખરીદે ત્યારે તેને મળે. જો આપણે મધમાખીના ઉછેરની સશાસ્ત્ર અને નિર્દોષ રીત શીખવાની તકલીફ

લઈએ તો આપણને તે સોંઘું પડે, અને આપણાં બાળકોને જેટલા કાર્બોહાઈડ્રેટ જોઈએ તે બધા એમાંથી મળી રહે. આપણા બધા આહારમાં આપણે કૂચાને સત્વ માનવાની ભૂલ કરીએ છીએ, સત્વવાળા રંગીન ગોળને બદલે ધોળી ખાંડ ખાઈએ છીએ, અને સત્વવાળી આખા ઘઉંના

લોટની રોટી મૂકીને ઝાંખી સફેદ રોટી ખાઈએ છીએ.

આપણે નિત્ય સ્નાન કરનારાઓની પ્રજા કહેવાઈએ છીએ. નિત્ય

સ્નાન તો આપણે કરીએ જ છીએ, પણ એથી આપણને લાભ કશો થતો નથી. કેમ કે આપણે મેલા પાણીથી નાહીએ છીએ; આપણાં તળાવ અને નદીને આપણે મેલથી ગંદા બનાવીએ છીએ અને એ પાણીને પીવા નાહવા

માટે વાપરીએ છીએ. આપણે વકીલો, ડિગ્રીધારીઓ ને ડૉકટરો સ્વચ્છતાનાં

મૂળતત્વો પણ શીખતા નથી. મળને ઠેકાણે પાડવાની સૌથી લાભકારક રીત હજુ આપણે શોધી કાઢી નથી, અને આપણે આપણી ખુલ્લી આરોગ્યદાયી જગ્યાઓને રોગનાં ઉત્પતિસ્થાનો બનાવી મૂકીએ છીએ.

મારી તમને વિનંતી છે કે તમે જડતાં ફેંકી દો, જાગ્રત થાઓ, આ પાયાની વસ્તુઓનો અભ્યાસ કરો, વધારે બુધ્દિપૂર્વક જીવન ગાળો, અને ધૂળમાંથી ધાન કેમ પેદા કરવું એ શીખો. મેં તમને કેટલાં સાદાંસત્યો કહ્યાં છે. આપણે જો યુગોથી જામેલી જડતા ફેંકી દઈશું તો આપણને એ સત્યો તરત સમજાશે અને આપણે એનો અમલ કરીશું. પણ આપણે તો શરીરશ્રમનો ત્યાગ કર્યો છે, તેથી આપણાં મગજને પણ હાનિ થઈ છે.

એટલે આપણઁ ખોરાક અને રહેણીની અવિચારી રીતોને અનુસરીને સંતોષ

માનીએ છીએ. આપણે હવે જાગવું જોઈએ અને આપણાં શરીર ને મગજને વધારે સતેજ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ૩

એક અર્થમાં આપણા દેશની બેકારીનો પ્રશ્ન બીજા દેશના જેટલો કઠણ નથી. રહેણીની ઢબ એ મોટી વસ્તુ છે. પશ્ચિમમાં તો બેકાર મજૂર ને બીજા લોકોની પેઠે જ ગરમ કપડાં, બૂટ કે જોડા ને મોજાં જોઈએ, હૂંફ

આપી શકે એવું ઘર જોઈએ, ને ઠંડી હવામાં જેના વિના ન ચાલી શકે એવી બીજી ઘણી ચીજો જોઈએ. આપણને એ બધી ચીજોની જરૂર નથી પડતી. આપણા દેશમાં ઘોર દારિદ્ર ને બેકારી જોઈને હું રડ્યો છું,પણ મારે કબૂલ કરવું જોઈએ કે એને માટે આપણાં પોતાનાં બેદરકારી ને અજ્ઞાન જ

મોટે ભાગે જવાબદાર છે. આપણે શરીરશ્રમનું ગૌરવ સમજતા નથી.

એટલે મોચી જોડા સીવવા સિવાય બીજું કશું કામ નહીં કરે. તે માનશે કે બીજું બધું કરવામાં હલકાઈ છે. એ ખોટો ખ્યાલ જવો જોઈએ. સાચી દાનતથી હાથપગ ચલાવવા માગતા હોય તે બધાને માટે હિંદુસ્તાનમાં પૂરતું કામ પડેલું છે. ઈશ્વરે દરેક માણસને કામ કરીને રોજના રોટલા કરતાં વધારે કમાવાની શક્તિ આપેલી છે, ને એ શક્તિ વાપરવા રાજી હોય તે દરેકને કામ મળી જ રહેશે. જે માણસ શુદ્ધ કોડી કમાવા માગે છે તે કોઈ પણ જાતની મજૂરીને હલકી નહીં ગણે. માત્ર ઈશ્વરે આપણને આપેલા હાથપગ વાપરવાની તૈયારી જોઈએ.

મારી કલ્પના એવી છે કે જેમ મૂડીવાળાની મૂડી તેનો પૈસો છે તેમ

મજૂરની મૂડી તેની મજૂરી કરવાની વિવિધ શક્તિ છે. ધનવાનને થોડેઘણે અંશે પણ મજૂરીની જરૂર પડવાની જ છે, તેમ મજૂરની મૂડી રૂપ મજૂરીને ધનની જરૂર પડવાની છે. જો બંનેમાં બુદ્ધિ હોય ને પોતાની મૂડીની બીજાઓને જરૂરિયાત હોવા વિષે સામાન્ય નિશ્ચિતતા હોય તો બંને પક્ષ એકબીજા પ્રત્યે માનની નજરે જોશે. જેમ ધનવાન પોતાનું સંગઠન કરી શકે છે તેમ મજૂર પોતાનું. પોતાને નિરાધાર માને છે કેમ કે તેમની બુધ્દિનો વિકાસ થયો ને તેમનું સંગઠન થયું નથી. તેમને પોતાની શરીરરૂપી મૂડીની

કિંમતનું ભાન નથી થયું. બુધ્દિવિકાસ થાય, સંગઠન થાય ને મૂડીની કિંમત સમજાય તો મજૂરો ધનવાનના જેટલા જ નિશ્ચિત થઈ શકે.

પૈસા જગતમાં બધું કરી શકે છે અને મજૂર પૈસાના દાસ છે એ બંને ઘોર ભ્રમણા છે. અજ્ઞાનની નિશાની છે. આ બેવડી ભ્રમણા દૂર કરવાનો પ્રયાસ મજૂર મહાજનના સેવકો કરી રહ્યાં છે. એ પ્રયાસમાં

મજૂરોએ કંઈ પણ મદદનીશ ધંધો શીખી લેવો એ અતિ આવશ્યક વસ્તુ છે.

પ્રકરણ તેરમુંં

દરિદ્રનારાયણ

જેને નામ આપી શકાતું નથી અને માણસની બુધ્દિથી જેનો પાર પામી શકાતો નથી તે ઈશ્વરને ઓળખવાને માણસજાતે પાડેલાં કોટિ કોટિ નામોમાંનું એક નામ દર્દ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઈશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઈશ્વર એવો થાય છે. ૧

એવાં લાખો ભૂખે મરતાં પડ્યાં છે કે જેમની આગળ ઈશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે એવો કોઈ

રસ્તો બતાવશે તો તમને ઈશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમ અને ઈશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઈ સાંભળવાનું નથી. ૨

આ મારે હાથે જ મેં તેમની પાસેથી તેમના ચીંથરામાં કસીને બાંધેલા અને ધૂળથી ખરડાયેલા પાઈ-પૈસા ભેગા કર્યા છે. તેમની આગળ

આધુનિક પ્રગતિની વાતો કરવાનો કશો અર્થ નથી. તેમની આગળ ફોગટ ઈશ્વરનું નામ લઈને તેમનું અપમાન ન કરો. જો આપણે તેમને ઈશ્વર વિષે વાત કરીશું તો તેઓ તમને અને મને શેતાન કહેશે. તેઓ ઈશ્વરને ઓળખતા હોય તોયે તેને ત્રાસ અને વેરના ઈશ્વર તરીકે, એક નિર્દય

અત્યાચારી તરીકે ઓળખે છે. ૩

મને ભારતની જાગૃતિમાં અને આ વિનાશકારી દારિધમાંથી પોતાને સ્વરાજ્યને માર્ગે વાળવાની તેની શક્તિમાં શ્રદ્ધા હોવાથી હું અનશન કરીને આત્મહત્યા કરતાં મારી જાતને રોકી શક્યો છું. આવી શક્યતામાં જો શ્રદ્ધા ન હોય તો મને જીવનમાં રસ ન રહે. ૪

તેમની(કરોડો બેકાર લોકો) આગળ ઈશ્વરનું નામ મૂકવાની મારી

હિંમત નથી ચાલતી. એ ભૂખ્યાં કરોડો જેમની આંખમાં જરાયે તેજ નથી અને રોટલો એ જ જેમનો ઈશ્વર છે તેમની આગળ ઈશ્વરનું નામ મૂંકવું અને પેલા કૂતરા આગળ મૂકવું એ બરાબર છે. તેમની આગળ ઈશ્વરનો સંદેશો લઈ જવો હોય તો મારે તેમની આગળ પવિત્ર પરિશ્રમનો સંદેશો જ લઈ જવો જોઈએ. મજાનો નાસ્તો લઈને અહીં બેઠા હોઈએ અને એથીયે

મજાના ભોજનની રાહ જોતા હોઈએ તે વખતે ઈશ્વરની વાત કરવી ઠીક છે; પણ જે કરોડોને બે ટંક ખાવાનું પણ નથી મળતું તેમને મારે ઈશ્વરની વાત શી રીતે કરવી ? એમને તો ઈશ્વર રોટલા ને ધી રૂપે જ દર્શન દઈ

શકે. હિદુસ્તાનના ખેડૂતોને રોટલો તો તેમની જમીનમાંથી મળી રહે છે. મેં

તેમની આગળ રેંટિયો મૂક્યો તે એટલા માટે કે તેમને ધી મળી શકે. અને હું આજે અંગ્રેજ પ્રજા આગળ કચ્છ પહેરીને આવ્યો છું તેનું કારણ એ છે કે હું એ અર્ધભૂખ્યાં,અર્ધનગ્ન, મૂંગા કરોડોનો એકમાત્ર પ્રતિનિધિ બનીને આવ્યો છું. ૫

મૂંગા દરિદ્રનારાયણોના અંતરમાં વસતા પ્રભુ સિવાય બીજા ઈશ્વર ને હું નથી ઓળખતો. તેમને એ અંતરયામીની ઓળખ નથી, મને છે.

અને હું એ જનતાની સેવા માટે જ પરમેશ્વરને સત્યરૂપે કે સત્યને પરમેશ્વરરૂપે ભજું છું. ૬

રોજનાપૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બંને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો.

કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે;કંગાળને પેટ પૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળ-ને પેટ પૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા-પૂરતું સહેજે મળી રહે ને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે. ૭

ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઈચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે.

અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય

છે તેમ તે સુખી, શાંત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. ૮

દરેક પ્રસંગે લાગુ પાડવાનું મહાસૂત્ર એ છે કે જે વસ્તુ કરોડોને નથી મળી શકતી તે વસ્તુનો આપણે ત્યાગ કરવો. આ પ્રમાણે ત્યાગ કરવાની શક્તિ આપણામાં એકાએક નથી ઊતરી આવવાની. પહેલી તો આપણે એવી મનોવૃતિ કેળવવી પડશે કે જે કરોડોને ન મળી શકે એવી વસ્તુઓ અને સગવડો લેવાની ના પાડે; અને ત્યાર પછી તુરત બીજી

આવશ્યકતા એ છે કે એ વૃતિને અનુરૂપ આપણા જીવનક્રમમાં જેમ બને તેટલો જલદી ફેરફાર કરી નાખવો. ૯

જિસસ, મહમદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ હજારો માણસો ઉપર અત્યંત કાબૂ ધરાવતા હતા, અને તેઓનાં

ચારિત્ર ઘડવામાં નિમિતભૂત થયા. તેઓનાં જીવનથી જગત વધારે સંપન્ન બન્યું છે અને આ બધા નરોએ બુધ્દિપૂર્વક દરિદ્રતાનો સ્વીકાર કર્યો હતો.

પ્રકરણ ચૌદમુંં

શરીરશ્રમ

કુદરત ઈચ્છે છે કે આપણે પસીનો પાડીને રોટી કમાઈએ. તેથી એક મિનિટ પણ આળસમાં ગુમાવનાર માણસ તેટલા પ્રમાણમાં પોતાના પડોશી ઉપર બોજારૂપ થાય છે, અને તેમ કરવું એ અહિંસાના પહેલા જ પાઠના ભંગ સમાન છે...જો અહિંસામાં પોતાના પડોશીનો વિચાર કરવાપણું ન હોય તો અહિંસાનો કશો અર્થ નથી, અને આળસુ માણસમાં એ મૂળ વિચારનો અભાવ હોય છે. ૧

રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ, શરીર વાંકું વાળવું જોઈએ એ ઈશ્વરી નિયમ છે. એ મૂળ શોધ ટૉલ્સ્ટૅયની નથી, પણ તેના કરતાં બહુ અપરિચિત રશિયન લેખક બૉન્ડારેફની છે. તેને ટૉલ્સ્ટોયે

પ્રસિદ્ધિ આપીને અપનાવી. આની ઝાંખી મારી આંખ ભગવદ્‌-ગીતાના ત્રીજા અધ્યાયમાં કરે છે. યજ્ઞ કર્યા વિના જે થ્ખાય છે તે ચોરીનું અન્ન ખાય

છે એવો કઠિન શાપ અયજ્ઞને છે. અહીં યજ્ઞનો અર્થ જાતમહેનત અથવા રોટીમજૂરી જ શોભે છે ને મારા મત પ્રમાણે સંભવે છે. એ ગમે તેમ હો, આપણા આ વ્રતની એ ઉત્પતિ છે.

બુદ્ધિ પણ એ વસ્તુ ભણી આપણને લઈ જાય છે. મજૂરી ન કરે તેને ખાવાનો શો અધિકાર હોય ? બાઈબલ કહે છે : ‘તારી રોટી તું તારો પસીનો રેડીને કમાજે ને ખાજે.’કરોડપતિ પણ જો પોતાને ખાટલે આળોટ્યા કરે ને તેના મોંમાં કોઈ ખાવાનું મૂકે ત્યારે તે ખાય તો તે લાંબો વખત ખાઈ નહીં શકે, તેને તેમાં રસ પણ નહીં રહે. તેથી તે વ્યાયામાદિ કરીને ભૂખ નિપજાવે છે, ને ખાય છે તો પોતાનાં જ હાથ-મોં હલાવીને. જો આમ કોઈક રીતે અંગકસરત રાય રંક બધાને કરવી જ પડે છે તો રોટી પેદા કરવાની જ કસરત સહુ કાં ન કરે, એ પ્રશ્ન સહેજે પેદા થાય છે.

એ ખેડૂતને હવા લેવાનું કે કસરત કરવાનુંએ કોઈ કહેતું નથી. અને દુનિયાના નેવું ટકા કરતાં પણ વધારે માણસનો નિર્વાહ ખેતીથી ચાલે છે.

આનું અનુકરણ બાકીના દશ ટકા કરે તો જગતમાં કેટલું સુખ, કેટલી શાંતિ ને કેટલું આરોગ્ય ફેલાય ! અને ખેતીની સાથે બુદ્ધિ ભળે એટલે ખેતીને અંગે રહેલી ઘણી હાડમારીઓ સહેજે દૂર થાય. વળી જાતમહેનતના આ નિરપવાદ કાયદાને જો સહુ માન આપે તો ઊંચનીચનો ભેદ ટળી જાય.

અત્યારે તો જ્યાં ઊંચનીચતાની ગંધ પણ નહોતી ત્યાં, એટલે વર્ણવ્યવસ્થામાંયે, તે પેસી ગઈ છે. માલિક-મજૂરનો ભેદ સર્વવ્યાપક થઈ

પડ્યો છે ને ગરીબ ધનિકની અદેખાઈ કરે છે. જો સહુ રોટી પૂરતી મજૂરી કરે તો ઊંચનીચનો ભેદ નીકળી જાય, ને પછી પણ ધનિકવર્ગ રહેશે તે પોતાને માલિક નહીં માને પણ પોતાને તે ધનના કેવળ રખેવાળ કે ટ્રસ્ટી

માનશે, ને તેનો મુખ્યપણે ઉપયોગ કેવળ લોકસેવા અર્થે કરશે. જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઈ પડે છે. આ

મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા એવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે-એટલે કે કાંતવાની, વણવાની, સુતારની, લુહારની ઈત્યાદી ઈત્યાદી. સહુએ પોતપોતાના ભંગી તો થવું જ જોઈએ. ખાય છે તેને મળત્યાગ કરવાનો જ છે. મળત્યાગ કરે તે પોતાના

મળને દાટે એ ઉતમ વસ્તુ છે. એ ન જ બની શકે તો સહુ કુટુંબ પોતાનું કર્તવ્ય કરે. જ્યાં ભંગીનો નોખો ધંધો કલ્પ્યો છે ત્યાં કંઈક મહાદોષ પેસી ગયો છે એમ મને તો વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્ય-પોષક કાર્યને હલકામાં હલકું પ્રથમ કોણે ગણ્યું હશે તેનો ઈતિહાસ આપણી પાસે નથી. જેણે ગણ્યું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ ઠસવી જોઈએ, અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતનો આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે જ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો થશે. ૨

હકનું સાચું મૂળ કર્તવ્યપાલનમાં રહેલું છે. જો આપણે બધા આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણે હકો મેળવવા બહુ દૂર નહીં

જવું પડે. જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હક પાછળ દોડીએ તો તે મૃગજળની માફક છટકી જશે અને તેની પાછળ જેટલા વધારે પડીશું તેટલા તે આપણાથી દૂર ને દૂર રહેશે. શ્રીકૃષ્ણે આ જ ઉપદેશ નીચેના અમર શબ્દોમાં આપ્યો છે :

‘તારો અધિકાર કેવળ કર્મનો છે, ફળનો નહીં.’અહીં કર્મ એટલે ફરજ ; ફળ એટલે હક. ૩

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. અને દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે ; તેથી આ પ્રાથમિક, પાયારૂપ સમાનતાને સાચવવાને સારુ તેને લગતી ફરજો અને ઈલાજો શોધી કાઢવાના જ રહ્યાં.

મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે, અને એ શ્રમનું ફળ

મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે. ૪

સૌ પોતપોતાની રોટી માટે શરીરશ્રમ કરે તો સૌને પૂરતો ખોરાક અને પૂરતી ફરસદ મળી રહે. પછી વધારેપડતી વસ્તીની બૂમ નહીં હોય, રોગ નહીં હોય અને આજે ચારે બાજુ નજરે પડતાં દુઃખો નહીં હોય. આ

મજૂરી યજ્ઞનું ઊંચામાં ઊંચું સ્વરૂપ હશે. અલબત, માણસ તેના શરીર દ્વારા કે બુદ્ધિ દ્વારા બીજી અનેક વસ્તુઓ કરશે. પણ તે બધી સાર્વજનિક લાભને

માટે કરેલી મહેનત હશે. પછી કોઈ તવંગર નહીં હોય ને કોઈ ગરીબ નહીં

હોય; કોઈ ઊંચ ને કોઈ નીચ નહીં હોય; કોઈ સ્પૃશ્ય ને કોઈ અસ્પૃશ્ય

નહીં હોય.

આ આદર્શને પહોંચવું કદાચ શક્ય ન હોય. પણ તેથી આપણે તેને માટે મથતા અટકવું ન જોઈએ. યજ્ઞના નિયમનો એટલે કે માનવ-

જીવનના નિયમનો સંપૂર્ણ અમલ ન કરી શકીએ, પણ આપણી રોજરોજની રોટી માટે પૂરતો શરીરશ્રમ કરીએ તોયે આ આદર્શની ધણા નજીક પહોંચી જઈએ.

આમ કરીએ તો આપણી જરૂરિયાતો ઘણી ઓછી થઈ જશે.

આપણો ખોરાક સાદો થશે. પછી આપણે જીવવા માટે ખાઈશું, ખાવા માટે નહીં જીવીએ. આ સિદ્ધાંતની સચ્ચાઈ વિષે જેને શંકા હોય તે પોતાના ગુજરાન માટે પરસેવો પાડી જુએ. શરીરશ્રમ કરીને કમાયેલો રોટલો તેને

મીઠો લાગશે, તેની તબિયત સુધરશે અને તેને ખાતરી થશે કે જે અનેક

ચીજો તે ખાતો હતો તેમાંની ઘણી ખરેખર બિનજરૂરી હતી. ૫

બુદ્ધિપૂર્વક કરેલી ‘બ્રેડ લેબર’એ ઊંચામાં ઊંચા પ્રકારની સમાજસેવા છે.

‘શ્રમ’ની આગળ ‘બુદ્ધિપૂર્વક કરેલો’એ વિશેષણ લગાડ્યું છે તે એમ બતાવવાને માટે કે શ્રમ એ સમાજસેવામાં ત્યારે જ ખપી શકે જ્યારે એની પાછળ સેવાનો નિશ્ચિત હેતુ રહેલો હોય. નહીં તો દરેક મજૂર સમાજસેવા કરે છે એમ કહેવાય. એક રીતે તો એ સમાજની સેવા કરે જ છે, પણ જે સેવાની અહીંયા વાત છે તે ઘણા ઊંચા પ્રકારની છે. જે માણસ સર્વના હિતને અર્થે શ્રમ કરે છે તે સમાજની સેવા કરે છે, અને તેને તેનું પેટ ભરાય એટલું મેળવવાનો હક છે. તેથી એવા પ્રકારની ‘બ્રેડ

લેબર’સમાજસેવાથી ભિન્ન નથી. ૬

માણસ બૌદ્ધિક શ્રમ કરીને રોટલો ન કમાઈ શકે ? ના. શરીરની જરૂરિયાત શરીર દ્વારા જ પૂરી પાડવી જોઈએ. ‘રાજાનું હોય તે રાજાને સોંપો,’એ કહેવત કદાચ અહીં બરાબર બંધ બેસે છે.

કેવળ માનસિક, એટલે કે બૌદ્ધિક શ્રમ આત્માને માટે છે અને તે

શ્રમ કરતાં થતો સંતોષ તે જ તેનો બદલો છે. બીજા બદલાનીઅપેક્ષા રાખવાની ન હોય. આદર્શ રાજ્યમાં દાકતરો, વકીલો વગેરે કેવળ

સમાજના લાભ માટે જ કામ કરશે, સ્વાર્થ માટે નહીં. રોટી-મજૂરીના નિયમનું પાલન કરવાથી સમાજના બંધારણમાં મૂક ક્રાંતિ થઈ જશે.

જીવનસંગ્રામને બદલે પરસ્પરની સેવા માટે મથવામાં માણસની ફતેહ ગણાશે. પશુના કાયદાનું સ્થાન મનુષ્યનો કાયદો લેશે.

‘ગામડામાં પાછા જાઓ’નો અર્થ છે :રોટી-મજૂરી અને તેમાં જે જે અર્થ સમાયેલો હોય તે બધાનો સ્પષ્ટ અને સ્વેચ્છાપૂર્વકનો સ્વીકાર. પણ ટીકાકાર કહે છે :”ભારતનાં કરોડો સંતાનો આજે ગામડામાં જ રહે છે.

તેમ છતાં તેઓ અર્ધ ભૂખમરો વેઠે છે.”આ વાત તદ્‌ન સાચી છે, એ દુઃખની વાત છે. સદ્‌ભાગ્યે આપણે એટલું જાણીએ છીએ કે તેઓ સ્વેચ્છાએ ત્યાં રહેતા નથી. તેમનું ચાલે તો તેઓ મજૂરી કરવાનું છોડી દઈને નજીકના શહેરમાં સગવડ મળે તો ત્યાં દોડી જાય. માલિકનો હુકમ ફરજિયાત ઉઠાવવો પડે એ ગુલામીની દશા છે; પિતાની આજ્ઞાનું રાજીખુશીથી પાલન કરવું એ પુત્રત્વનું ગૌરવ છે. તે જ રીતે રોટી-મજૂરી-ના કાયદાનું ફરજિયાત પાલન ગરીબાઈ, રોગ અને અસંતોષ પેદા કરે છે. એ ગુલામીની સ્થિતિ છે. તે જ કાયદાનું સ્વેચ્છાપૂર્વક પાલન કરવામાં આવે તો તે સંતોષ અને તંદુરસ્તી આપે. અને તંદુરસ્તી એ જ ખરી દોલત છે; સોનારૂપાના ચકરડાં નહીં. ગ્રામોધોગ સંઘ એ સ્વેચ્છાપૂર્વકની રોટી-

મજૂરીનો પ્રયોગ છે. ૭

ભિક્ષાવૃતિ

પોતાના ભોજન માટે જેણે પ્રામાણિકપણે શ્રમ નથી કર્યો તેને મફત ખવડાવવાનો વિચાર મારી અહિંસામાં બેસતો નથી. મારી પાસે સતા હોય

તો હું બધાં સદાવ્રત બંધ કરાવી દઉં. સદાવ્રતોએ પ્રજાની અધોગતિ કરી છે અને સુસ્તી, આળસ, દંભ તથા ગુનાખોરીને પણ ઉતેજન આપ્યું છે.

આવાં અપાત્ર દાનથી દેશની ભૌતિક કે આધ્યાત્મિક સંપતિમાં કશો વધારો થતો નથી અને દાન દેનારાઓને પુણ્ય કર્યાનો ભ્રમ થાય છે. દાતાઓ પરિશ્રમાલયો ખોલે જ્યાં ભોજન માટે કામ કરવા ઈચ્છતાં સ્ત્રીપુરુષોને આરોગ્યપ્રદ અને સ્વચ્છ વાતાવરણમાં કામઆપીને ભોજન આપે તો કેવું સરસ અને ડહાપણભર્યું કહેવાય ! અંગત રીતે હું માનું છું કે પરિશ્રમાલયમાં ચલાવવા માટે રેંટિયો અથવા કપાસ લોઢવાથી માંડીને ખાદી વળવા સુધીની કોઈ પણ ક્રિયા આદર્શ ઉધોગ ગણાય. પણ આ તેમને પસંદ

ન હોય તો બીજું કોઈ પણ કામ કરાવી શકાય. શરત માત્ર એટલી કે,

‘મજૂરી ન કરે તેને ભોજન નહીં મળે.’

જેને માટે ધનિક લોકો જવાબદાર છે એવો ભિખારીઓનો મુશ્કેલ

સવાલ દરેક શહેર સમક્ષ પડેલો છે. હું જાણું છું કે આળસુ માણસને મફત ટુકડો ફેંકવો તે સહેલું છે, પણ જ્યાં ભોજન મળે તે પહેલાં પ્રામાણિક

મજૂરી કરવાની હોય એવી સંસ્થા-પરિશ્રમાલય-ચલાવવી એ અઘરું કામ છે.

આર્થિક દ્રષ્ટિએ જોતાં, શરૂઆતમાં તો, આજે ચાલતાં અન્નક્ષેત્રો કરતાં લોકો પાસેથી કામ લઈને તેમને ભોજન આપવાનું ઘણું મોઘું પડશે. પણ મને ખાતરી છે કે આ દેશમાં ઝડપથી ફેલાઈ રહેલી રખડુઓ-ની જમાતને ભૌમિતિક ગતિએ વધવા દેવી ન હોય તો લાંબે ગાળે એ જ સસ્તું પડશે.

મને લાગે જ છે કે ભીખને ઉતેજન આપવું ખોટું છે, છતાં હું ભિખારીને કામ અને અન્ન આપવાની તૈયારી બતાવ્યા વિના ન જવા દઉં.

એ જો કામ ન કરે તો એને હું ભૂખ્યો જવા દઉં. જે અપંગ છે,

લૂલાંપાંગળાં છે, આંધળાં છે, તેમને સરકારે પોષવાં જોઈએ. પણ અંધાપાના ઢોંગને નામે ખરા અંધાપાને નામે ઘણો દગો ચાલે છે. કેટલાયે આંધળા લોકો અયોગ્ય રીતે મેળવેલા પૈસાથી તવંગર થઈ ગયા છે. એમને આ લાલચમાં પાડવા કરતાં એમને ક્યાંક અનાથાશ્રમમાં લઈ જવા સારું છે.

પ્રકરણ પંદરમુંં

સર્વોદય

નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઈનદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ

‘સું’એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.

ઘણા અંગ્રેજી લેખકો લખી ગયા છે કે, ઉપરની વ્યાખ્યા પ્રમાણે

હિંદુસ્તાનને કંઈ જ શીખવાનું નથી રહેતું. આ વાત બરોબર છે. આપણે જોયું કે માણસની વૃતિઓ ચંચળ છે. તેનું મન ફાંફાં માર્યા કરે છે. તેના શરીરને જેમ વધારે આપીએ તેમ વધારે માગે છે. વધારે લઈને પણ સુખી નથી થતું. ભોગ ભોગવતાં ભોગની ઈચ્છા વધતી જાય છે. તેથી પૂર્વજોએ હદ બાંધી. ધણા વિટારો કરીને જોયું કે સુખદુઃખ મનનાં કારણ છે. તવંગર તે તવંગરીના કારણથી સુખી નથી ; ગરીબ તે ગરીબાઈના કારણથી દુઃખી નથી. તવંગર દુઃખી જોવામાં આવે છે, ગરીબ સુખી જોવામાં આવે છે.

કરોડો તો ગરીબ જ રહેશે. આમ જોઈ તેઓએ ભોગની વાસના છોડવી.

હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં. હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણે નાશકારક હરીફાઈ રાખી નહી ; સહુ સહુનો ધંધો કરતા રહ્યા. તેમાં તેઓએ દસ્તૂર

મુજબ દામ લીધું. આપણને કંઈ સંચા વગેરે શોધતાં ન આવડે તેમ ન હતું

; પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ

છે, તેમાં જ તંદુરસ્તી છે.

તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે.

તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.

તેઓએ જોયું કે રાજાઓ અને તેઓની તલવાર કરતાં નીતિબળ

વધારે બળવાન છે. તેથી તેઓએ રાજાને નીતિવાન પુરુષો-ઋષિઓ અને ફકીરો-ના કરતાં ઊતરતા ગણ્યા.

આવું જે પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવા લાયક નથી.

આ પ્રજામાં અદાલતો હતી, વકીલો હતા, તબીબો હતા, પણ તે બધાં રીતસર નિયમમાં હતાં. સહુ જાણતું હતું કે, એ ધંધા કંઈ ભારે ન હતા. વળી વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો

લોકોના આશ્રિત હતા. લોકોના ઉપરથી થઈ ન રહેતા. ઈન્સાફ તો ઠીક ઠીક થતો. અદાલતને ન જવું એ લોકોની નેમ હતી. તેઓને ભમાવવાને સ્વર્થી માણસો ન હતા. આટલો સડો પણ માત્ર રાજારજવાડાની આસપાસમાં જ હતો. આમ (મામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ઘણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું. ૧

સત્યનું પાલન કરવા ઈચ્છનાર અહંકારી કેમ થઈ શકે ? બીજાને સારુ પ્રાણ પાથરનાર પોતાની જગા ક્યાં રોકવા જાય ? આ નમ્રતા એટલે પુરુષાર્થરહિતતા ન હોય ? એવો અર્થ હિંદુ ધર્મમાં કરી નંખાયો છે ખરો.

ખરું જોતાં નમ્રતા એટલે તીવ્રતમ પુરુષર્થ. પણ તે બધો પરમાર્થને કારણે હોય. ઈશ્વર પોતે ચોવીસે કલાક એકશ્વાસે કામ કર્યા કરે છે, આળસ

મરડવા સરખીયે ફુરસદ લેતો નથી. તેવા આપણે થઈ જઈએ, તેનામાં ભળી જઈએ, એટલે આપણો ઉધમ તેના જેવો જ અતંદ્રિત થયો-થવો જોઈએ. ૨

ઈશ્વરને નામે કરેલું અને તેને અર્પણ કરેલું એકે નાનું કે હલકું નથી. એવી રીતે થયેલું બધું કામ એક જ કોટીનું બની જાય છે. ઈશ્વરને નામે અને કેવળ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે એની આપેલી સંપતિનો ઉપયોગ કરતો રાજા અને ઈશ્વરની સેવાને અર્થે કામ કરનાર ભંગી બંને સરખા મોટા છે. ૩

અહિંસાનો પૂજારી ઉપયોગિતાવાદના સિદ્ધાંતને ફૂલ ન જ ચઢાવી શકે. એ તો સમસ્ત સૃષ્ટિના શ્રેયને અર્થે મથશે અને એ આદર્શને સત્ય

કરવાના પ્રયત્નમાં મરશે. આમ બીજા જીવે એટલા ખાતર પંડે મરવા તે હંમેશા ખુશી હશે. જાતે મરીને તે બાકીના સૌની સેવા કરશે અને તેમાં જ તેની પોતાની જાતની સેવા પણ આવી ગઈ હશે. સમસ્તની આવી સર્વોચ

સેવામાં ‘વધારે સંખ્યાનું વધારે ભલું’તો આવી જ ગયું અને તેથી ઘણી વેળા આવો શ્રેયવાદી અને ઉપયોગિતાવાદી બંને પોતાના માર્ગમાં એકબીજાના પગલામાં પગલું મૂકીને માર્ગ આક્રમતા નજરે પડશે. પણ આમ

છતાં એક એવો વખત આવે જ છે, જ્યારે તેમણે નોખા પડવું રહેશે.

બલકે એકબીજાની સામે કામ કરવાનો પણ તેમને વખત આવે.

ઉપયોગિતાવાદી જો તેના સિદ્ધાંતને ચુસ્તપણે અનુસરે તો પોતાની જાતનો ભોગ કદી નહીં આપે, ન આપી શકે. ૪

પ્રેમ અથવા અહિંસામાં સેવાનું મૂળ ન હોય ત્યાં સુધી તે થઈ ન શકે. સાચા પ્રેમને કોઈ સીમા નથી. તે સમુદ્રના જેવો છે ને માણસના અંતરમાં તેની એવી ભરતી ચડે છે કે તે બધીયે મર્યાદાઓ ને સરહદો ઓળંગી ફેલાતો ફેલાતો આખીયે સૃષ્ટિને વ્યાપી વળે છે. વળી, આવી સેવા રોટલો મેળવવાને માટેની મજૂરી કે જેને ગીતામાં યજ્ઞ કરીને ઓળખવામાં આવી છે તેના વગર અશક્ય છે. પુરુષ અથવા સ્ત્રી સેવાને અર્થે મજૂરી કરે પછી જ તેને જીવનનો અધિકાર પ્રાપ્ત થાય. ૫

જે શૂન્યતાને નથી પામ્યો તે ભક્ત કહેવાવાને લાયક નથી.

આપણે તેની પાસે જ્યાં લગી ખાલી હાથે ન જઈએ, આપણી અશક્તિનો નમ્રતાપૂર્વક તેની પાસે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને મલિન વૃતિઓરૂપી અસંખ્ય રાક્ષસોની સામે વિજય મેળવવાને શક્તિ મળતી નથી.

તેથી જ ભક્તકવિએ ગાયું છે :

ભક્તિ શીશતણું સાટું

આગળ વસમી વાટું. ૬

આ સત્યનીઆરાધનાને ખાતર જ આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃતિ. એને જ કારણે આપણે પ્રત્યેક શ્વાસોચ્છ્‌વાસ લઈએ.

આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે, ને તેમનું પાલન પણ સહેલું થઈ પડે. સત્ય વિના કોઈ પણ નિયમનું શુદ્ધ

પાલન અશક્ય છે. ૭

સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને’જોઈતી’વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, ને આપશે. ૮

સાધન અને સાધ્ય

તેઓ તો કહે છે કે ‘સાધન એ આખરે સાધન જ છે.’હું કહું છું કે ‘સાધનમાં જ બધું સમાઈ ગયું.’જેવાં સાધન તેવું સાધ્ય. સાધ્ય અને સાધન વચ્ચે અંતર નથી. જગતકર્તાએ તો સાધનના ઉપર આપણને જૂજજાજ પણ કાબૂ બક્ષ્યો તો છે, સાધ્યના ઉપર બિલકુલ નહીં. એટલે જેટલાં શુદ્ધ સાધન રાખશો તેટલા જ પ્રમાણમાં સાધ્યની શુદ્ધિ હોવાની. આ વિધાનને એકે અપવાદ નથી. ૯

હિંસાના સાધનથી હિંસાવાળું સ્વરાજ મળશે અને તે જગતને અને

હિંદુસ્તાનને બંનેને જોખમ થઈ પડશે. ૧૦

ગંદા સાધનથી ગંદુ જ સાધ્ય સિદ્ધ થવાનું. તેથી રાજાને મારીને રાજાપ્રજા સરખાં ન જ થાય, માલિકને મારીને મજૂર માલિક નહીં બને.

આમ બધાને વિષે ઘટાવી શકાય.

અસત્યથી સત્યને ન બહોંચાય. સત્યને પહોંચવા નિરંતર સત્ય

આચર્યે છૂટકો. અહિંસા ને સત્યની તો જોડી ખરી ના ?નહીં જ. સત્યમાં અહિંસા છુપાયેલી છે, અહિંસામાં સત્ય. તેથી જ મેં કહ્યું છે કે એ બન્ને એક સિક્કાની બે બાજુ છે. બેયની કિંમત એક જ. વાચવામાં જ ફેર;એક બાજુ અહિંસા, બીજી બાજુ સત્ય. આ અહિંસા ને સત્ય પવિત્રતા વિના નભી જ ન શકે. શરીરની કે મનની અપવિત્રતાને છુપાવો એટલે અસત્ય ને

હિંસા દાખલ થયાં જ છે.

સત્યવાદી, અહિંસક, પવિત્ર સમાજવાદી જ જગતમાં કે હિંદુસ્તાન

માં સમાજવાદ ફેલાવી શકે. ૧૧

પ્રકરણ સોળમુુંં

વાલીપણાનો સિદ્ધાંત

ધારો કે વારસામાં, અથવા તો વેપારઉધોગ વાટે મને ઠીક ઠીક ધન મળ્યું છે. મારે જાણવું જોઈએ કે એ બધા ધનનો હું માલિક નથી, મારો અધિકાર તો આજીવિકા મળી રહે એટલું લેવાનો જ છે, અને એ આજીવિકા પણ બીજા કરોડો માણસને મળી રહી છે એના કરતાં વધારે ન હોવી જોઈએ. મારી બાકીની સંપતિ પર માલિકી સમાજની છે, ને તેનો ઉપયોગ સમાજના કલ્યાણને સારુ થવો જોઈએ. જમીનદારો અને રાજાઓ જે સંપતિનો કબજો ભોગવે છે એને વિષે સમાજવાદી સિદ્ધાંત દેશની આગળ

મૂકવામાં આવ્યો ત્યારે મેં આ ટ્રસ્ટીપણાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું.

સમાજવાદીઓને તો આ ખાસ હક્કો ને સુખ-સગવડો ભોગવનારા વર્ગો નાબૂદ કરવા છે. હું એ વર્ગો પાસે એવી અપેક્ષા રાખું છું કે તેઓ તેમનાં

લોભ અને માલિકીની ભાવના છોડે, અને પોતે ધનિક હોવા છતાં શ્રમજીવી વર્ગોની હારમાં આવીને બેસે. મજૂરે એમ સમજવું રહ્યું છે કે મજૂર તેની પોતાની સંપતિ એટલે કે શ્રમ કરવાની શક્તિનો જેટલો માલિક છે એના કરતાં ધનિક માણસ એના ધનનો ઓછો માલિક છે.

આ વ્યાખ્યા પ્રમાણેના ખરા ટ્રસ્ટી કેટલા માણસ બની શકે એ સવાલ અસ્થાને છે. આ સિદ્ધાંત જો સાચો હોય તો એનો અમલ ઘણા કરે છે કે ફકત એક જ જણ કરે છે એ નજીવી વસ્તુ છે. સવાલ તો અંતરની આસ્થાનો છે. તમે જો અહિંસાનો સિદ્ધાંત સ્વીકારતા હો તો તમારે એનું પાલન કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ-પછી ભલે તમે એમાં સફળ નીવડો કે ન નીવડો. આ સિદ્ધાંતમાં બુદ્ધિને અગમ્ય એવું કંઈ જ નથી. હા, એનું આચરણ કરવું કઠણ છે એમ તમે કહી શકો છો. ૧

તમે કહી શકો છો કે ટ્રસ્ટીશિપ કાયદાશાસ્ત્રની એક કલ્પના માત્ર છે. પણ જો લોકો એને વિષે સતત વિચાર કરે અને તેનો અમલ કરવાનો

પ્રયાસ કરે તો જીવનમાં પ્રેમની આણ વર્તશે. સંપૂર્ણ ટ્રસ્ટીશિપ યુકિલડના

બિંદુની વ્યાખ્યા જેવી કલ્પના છે અને તેના જેટલી જ અપ્રાપ્ય છે. પરંતુ આપણે કોશિશ કરીએ તો દુનિયામાં સમાનતા આણવા માટે બીજી કોઈ

પણ પદ્ધતિ કરતાં આ રીતે આગળ જઈ શકીશું...મારી પાકી ખાતરી છે કે જો રાજ્ય મૂડીવાદને હિંસાથી દાબી દેશે તો રાજ્ય પોતે હિંસાના વમળમાં ફસાઈ જશે અને અહિંસાનો વિકાસ કરવામાં ક્યારેય સફળ નહીં

થાય. રાજ્ય હિંસાને કેન્દ્રિત અને સંગઠિત રૂપમાં રજૂ કરે છે. વ્યક્તિને આત્મા છે, પણ રાજ્ય એક આત્મહીન યંત્ર છે એટલે તેની પાસે હિંસા છોડાવી શકાય નહીં, કારણ તેનું અસ્તિત્વ જ તેને આધારે ટકેલું છે. તેથી હું ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત પસંદ કરું છું. રાજ્ય પોતાની સાથે મતભેદ

રાખનાર સામે વધારેપડતી હિંસા વાપરે એવી બીક હંમેશા રહે છે. આ

પ્રશ્ન સાથે સંબંધ ધરાવતા લોકો ટ્રસ્ટી તરીકે વર્તશે તો હું ઘણો રાજી

થઈશ;પણ તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો હું માનું છું કે આપણે રાજ્ય મારફત ઓછામાં ઓછી હિંસા કરીને તેમની સંપતિ પડાવી લેવી પડશે....(તેથી જ મેં ગોળમેજી પરિષદમાં કહ્યું હતું કે દરેક સ્થાપિત હિતની તપાસ થવી જોઈએ અને આવશ્યક હોય ત્યાં...જ્યાં જેવી જરૂર હોય તે રીતે, બદલો આપીને કે આપ્યા વગર, રાજ્યે તે જપ્ત કરવાનો હુકમ કરવો જોઈએ.) અંગત રીતે, રાજ્યના હાથમાં સતા આવે તે કરતાં ટ્રસ્ટીશિપની ભાવનાનો વિકાસ થાય તે મને ગમે. કારણ કે મારા અભિપ્રાય મુજબ રાજ્યની હિંસા કરતાં ખાનગી માલિકીની હિંસા ઓછી નુકસાનકારક છે. છતાં રાજ્યની માલિકી અનિવાર્ય જ હોય તો હું તે બને તેટલી ઓછી રાખવાના મતને ટેકો આપું. ૨

સમાજનું સંગઠન અહિંસાની પદ્ધતિથી ન થઈ શકે એમ કહેવાની આજકાલ ફૅશન થઈ પડી છે. હું તેમાં સંમત થતો નથી. કુટુંબમાં પિતા જ્યારે પોતાના અપરાધી પુત્રને તમાચો મારે છે ત્યારે પુત્ર તેનું વેર લેવાનો વિચાર નથી કરતો. તે તેના પિતાની આજ્ઞા પાળે છે. તે પોતાને પડેલા તમાચાને કારણે ફરીથી અપરાધ કરતાં ડરે છે એટલા માટે નહીં, પણ તે પોતાના પિતાના પ્રેમને લાગેલો આઘાત જુએ છે તેથી. મારા અભિપ્રાય

મુજબ સમાજની વ્યવસ્થા આ રીતે ચાલે છે, અથવા ચાલવી જોઈએ.

ઉપરનો દાખલો એ તેનું નાનું સ્વરૂપ છે. કુટુંબ માટે જે સાચું છે તે સમાજ

માટે પણ સાચું હોવું જોઈએ ; કારણ કે સમાજ એ વિશાળ કુટુંબ જ છે.

અહિંસા એ કેવળ વ્યક્તિગત સદ્‌ગુણ છે એવું હું માનતો નથી.

એ સામાજિક સદ્‌ગુણ પણ છે ને બીજા સદ્‌ગુણોની માફક એને પણ

પ્રયત્નપૂર્વક કેળવવો પડે છે. બેશક સમાજના માંહોમાંહોના વ્યવહારમાં

મોટે ભાગે અહિંસાથી જ કામ ચાલે છે. એ અહિંસાનો વિસ્તાર કરીને તેનો વિશાળ, એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પ્રયોગ કરવો જોઈએ એટલી જ મારી માગણી છે. ૪

મારો ‘વાલીપણા’નો સિદ્ધાંત કામચલાઉ ઉકેલ નથી. ધોખાની ટટ્ટી તો નથી જ નથી. મારો તો વિશ્વાસ છે કે બીજા બધા ઉકેલોથી એ વધુ ચિરંજીવ નીવડશે. એની પાછળ તત્વજ્ઞાન અને ધર્મની પ્રતિષ્ઠા રહેલી છે.

ધનિકોએ એ સિદ્ધાંતને અપનાવ્યો નથી કે એનો અમલ નથી કર્યો એ બીના એની વ્યર્થતા સિદ્ધ નથી કરતી. એ તો ધનમિકોની નબળાઈ માત્ર સિદ્ધ

કરે છે. અહિંસાની રીતમાં બૂરાઈ કરનાર જો કરેલી બૂરાઈનું ક્ષાલન કરતો નથી તો પોતાને જ હાથે પોતાનો અંત સાધે છે. કારણ કે કાં તો અહિંસક અસહકારને પરિણામે અંતે એની ભૂલ જોવાની ફરજ પડે છે, નહીં તો એના તમામ સંબંધો છૂટી જઈને એ સાવ એકલો અટૂલો થઈ પડે છે. ૫

સામાન્ય રીતે શ્રીમંત માણસો પોતે શી રીતે ધન કમાય છે તે બાબતમાં સારાનરસાના કશો નિયમ નથી પાળતા, એ વિધાનને ટેકો આપતાં મને સંકોચ નથી લાગતો. પણ અહિંસક પદ્ધતિને લાગુ પાડવામાં એમ માનીને ચાલવાનું હોય છે કે ગમે તેવા અધોગતિને પામેલા માણસને પણ પ્રેમળ અને કુશળ ઉપાયો વડે સુધારી શકાય. સારું પરિણામ આવશે જ એવી આશા રાખી મનુષ્યમાં રહેલા સદ્‌અંશને આપણે જગાડ્યા કરવો ઘટે. દરેક માણસ પોતાનું બધું બુદ્ધિકૌશલ્ય પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરવા નહીં, પણ સાર્વજનિક હિત માટે વાપરે, તેમાં સમાજનું ભલું જ થાય એમાં શંકા નથી. હું એવા પ્રકારની જડ સમાનતા પેદા કરવા નથી ઈચ્છતો જેમાં દરેક માણસ પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા અસમર્થ થાય

અથવા તેવો તેને બનાવવામાં આવે. એવો સમાજ છેવટે નાશ જ પામે.

તેથી હું સૂચવું છું કે મેં ધનિકોને જે સલાહ આપી છે કે તેઓ ભલે કરોડો કમાય(અલબત, પ્રામાણિકપણે) પણ તે જગતની સેવામાં અર્પણ કરે, તે સાચી જ છે. () નો મંત્ર અસામાન્ય જ્ઞાનમાંથી સ્ફૂરેલો છે. આજની સમાજરચનામાં દરેક માણસ પોતાના પડોશીનું શું થાય છે તેનો જરાયે ખ્યાલ કર્યા વિના પોતાનાં જ સુખ અને સ્વાર્થ માટે જીવે છે. તેની જગ્યાએ સર્વોદય સાધનાર સમાજરચના સ્થાપવી હોય તો તેને માટે આ જ નિશ્ચિત રીત છે. ૬

પ્રકરણ સતરમુુંં

અહિંસક અર્થવ્યવસ્થા

હું એમ કહેવા ઈચ્છું છું કે આપણે બધા એક રીતે ચોર છીએ.મારા તરતના ઉપયોગ માટે જેની મને જરૂર ન હોય એવી વસ્તુ જો હું લઉં, અને

મારી પાસે રાખી મૂકું, તો હું તેની બીજા કોઈ પાસેથી ચોરી કરું છું હું એમ કહેવા માગું છું કે સૃષ્ટિનો આ અપવાદ વિના મૂળ નિયમ છે કે સૃષ્ટિ આપણી જરૂરિયાતો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન્ન કરે છે, અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે.

આપણામાં આ અસમાનતા ચાલુ છે એનો અર્થ એ કે આપણે ચોરી કરીએ છીએ. હું ‘સોશિયાલિસ્ટ’નથી,અને જેઓ પાસે સંપતિ છે તેઓ પાસેથી તે પડતી મેલાવવા હું નથીમાગતો. પરંતુ હું એટલું તો કહું છું કે આપણામાહ્યલી જે વ્યક્તિઓ અંધકારમાંથી પ્રકાશમાં જવા ઈચ્છે છે તેઓએ તો અસ્તેયવ્રત પાળવાનું છે. હું કોઈ પાસે પોતાનો કબજો છોડાવવા નથી

માગતો. જો હું તેમ કરું તો હું અહિંસાધર્મથી ચલિત થાઉં. મારા કરતાં બીજા કોઈ પાસે વધારે હોય, તો ભલે. પરંતુ મારું પોતાનું જીવન વ્યવસ્થિત કરવા માટે તો હું જણાવીશ કે જેની મને જરૂર નથી તે હું મારી પાસે રાખી ન શકું. હિંદમાં ત્રણ કરોડ માણસો એવા છે કે જેઓને એક ટંકના ભોજનથી જ સંતોષ માનવો પડે છે, અને તે પણ કેવળ સૂકોરોટલો અને ચપટી-ભર મીઠાથી. જ્યાં સુધી આ ત્રણ કરોડ જણોને પૂરતાં વસ્ત્ર

અને ખોરાક નથી મળ્યાં ત્યાં સુધી તમને અને મને આપણી પાસે જે કંઈ

હોય તે રાખવાનો હક નથી. તમે અને હું વધારે સમજીએ છીએ; એટલે આપણે આપણી જરૂરિયાતોમાં ઘટતો ફેરફાર કરવો જોઈએ, અને સ્વેચ્છાથી ભૂખમરો પણ વેઠવો જોઈએ કે જેથી કરી તેઓની માવજત થાય, તેઓને ખવરાવાય અને વસ્ત્ર પહેરાવાય. ૧

મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ

પાડતો નથી. જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાના હિતને ઈજા કરે તે નીતિની વુરુદ્ધ હોઈ પાપ છે. તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવાને સારુ અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું અનીતિ ગણું છું. મજૂરોનું લોહી

ચૂસીને બનેલી વસ્તુઓ લેવી કે વાપરવી એ પાપ છે. ૨

આ દેશની અને આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઈએ કે જેથી એક પણ પ્રાણી અન્નવસ્ત્રના અભાવથી પીડાય નહીં,એટલે કે બધાને પોતાના નિભાવ પૂરતો ઉધમ મળી રહે. અને જો આવી સ્થિતિ આખા જગતને વિષે આપણે ઈચ્છતા હોઈએ તો અન્ન-વસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરેક મનુષ્યની પોતાની પાસે રહેવાં જોઈએ.તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપતિનો લાભ મુદ્‌લ રાખવો જ ન જોઈએ. જેમ હવા અને પાણી ઉપર સૌને સરખો હક છે, અથવા હોવો જોઈએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઈએ. તેનો ઈજારો કોઈ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એ ન્યાય નહીં પણ અન્યાય છે. આ મહાન સિદ્ધાંતનો અમલમાં અને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી જ આ દેશમાં અને જગતમાંના બીજા ભાગમાં પણ ભૂખનું દુઃખ વર્ત્યા કરે છે. ૩

જેમ બધું સાચું નીતિશાસ્ત્ર તેના નામ પ્રમાણે, સારું અર્થશાસ્ત્ર

પણહોવું જોઈએ તેમ સાચું અર્થશાસ્ત્ર ઊંચામાં ઊંચા નૈતિક ધોરણને વિરોધી ન હોય. જે અર્થશાસ્ત્ર ધનપૂજાનો ઉપદેશ કર્યા કરે છે અને નબળાઓને ભોગે જબરાઓને ધનસંચય કરવા દે છે તે ખોટું શસ્ત્ર છે. એ ઘાતક છે.

બીજી બાજુ સાચું અર્થશાસ્ત્ર સામાજિક ન્યાયને માટે ખડું છે, તે નબળામાં નબળા સહિત સૌનું ભલું કરવાનો પ્રયત્ન કરે છે તેમ જ સભ્યજીવન માટે તે અનિવાર્ય છે. ૪

મારે તો સૌનો દરજજો સમાન બનાવવો છે. આટલાં સૈકાં થયાં

શ્રમજીવી વર્ગોને અળગા રાખવામાં આવ્યા છે ને હલકા માનવામાં આવ્યા છે. એમને શૂદ્ર ગણેલા છે, ને એ શબ્દને હલકા દરજજાનો સૂચક ગણેલો છે. મારે વણકર, ખેડૂત અને શિક્ષકના છોકરાની વચ્ચે ઊંચાનીચાનો ભેદ

મનાવા નથી દેવો. ૫

રચનાત્મક કાર્યનો આ મુદો(આર્થિક સમાનતા) અહિંસક પૂર્ણ સ્વરાજયની મુખ્ય ચાવી છે. આર્થિક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એવો થાય કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપતિનો મુખ્ય

ભાગ એકઠો થયો છે તેમની સંપતિ કમી કરવી અને બીજી બાજુથી અર્ધા ભૂખ્યાં ને નાગાં રહેતાં કરોડોની સંપતિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતાં કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં

લગી અહિંસાના પાયા પર ચાલતો રાજવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર

હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સતા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમની પડખે જ આવેલાં ગરીબ મજૂરવસ્તીનાં કંગાળ ધોલકાંઓ વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સતા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ

સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો

હિંસક તેમ જ ખૂનખાર ક્રાન્તિ અહીં થયા વિના રહેવાની નથી એમ

ચોક્કસ સમજવું. ૬

જો હિંદે અહિંસક ધોરણે પોતાનો અભ્યુદય સાધવો હોય તો હું કહું છું કે એણે ઘણી બાબતોમાં કેન્દ્રીકરણ નહીં પણ વિસ્તૃતીકરણ કરવું પડશે. કેન્દ્રીકરણને પૂરતા પ્રમાણમાં બળનો ઉપયોગ કર્યા વગર નભાવી કે બચાવી શકાય નહીં. સાદાં ઘર અને કુટુંબો જેમની પાસેથી લૂંટી લઈ જવા જેવું કશું જ ખાસ ન હોય તેની રક્ષાને સારુ પોલીસની જરૂર ન પડે.

ધનિકોની મહેલાતો ધાડલૂંટથી સાચવવા મજબૂત ચોકિયાતો રાખવા પડે.

તેવું જ ગંજાવર કારખાનાં વિષે. લશ્કરી, દરિયાઈ તેમ જ હવાઈ બળોથી શહેરી ધોરણે સંગઠિત થયેલા હિંદના કરતાં ગ્રામરચનાને ધોરણે સંગઠિત થયેલા હિંદને વિદેશી હુમલાનું જોખમ ઓછું નડશે. ૭

આજે આર્થિક અસમાનતા છે. સમાજવાદની જડ આર્થિક સમાનતામાં રહી છે. થોડાને કરોડ કરોડ રૂપિયા ને બાકીના કરોડને ભાગે

માંડ સૂકો રોટલો. આવી ભયાનક અસમાનતામાં રામરાજ્યનાં દર્શન કદી ન થઈ શકે. ૮

પ્રકરણ અઢારમુુંં

આર્થિક સમાનતા

આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપતિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની કુદરતી આવશ્યકતા પૂરતી સંપતિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય

ને તે પાંચ તોલા આટો જ ખાઈ શકે અને બીજાને વીસ તોલ જોઈએ, તો બંનેને પોતપોતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઈએ. બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઈએ. અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે સામાજિક અહિંસા સિદ્ધ કરી કહેવાય.

આ આર્થિક સમાનતાનો ધર્મ એક મનુષ્ય પણ પાળી શકે; બીજાના સાથની તેને જરૂર નથી રહેતી. એક પાળી શકે તો દેખીતું છે કે એક મંડળ

પણ પાળી શકે. આ કહેવાની જરૂર એટલા જ સારુ છે કે કોઈ પણ ધર્મપાલનમાં બીજા પાલન કરતા થાય ત્યાં લગી પોતે રોકાઈ જવાની જરૂર નથી રહેતી. વળી છેક છેડે ન પહોંચીએ ત્યાં લગી કંઈ જ ત્યાગ ન કરવાની વૃતિ ઘણી વાર જોવામાં આવે છે એ પણ આપણી ગતિને રોકે છે.

અહિંસા વડે આર્થિકત સમાનતા કેમ લાવી શકાય એ વિચારીએ.

પ્રથમ પગલું આ છે. જેણે એ આદર્શને અપનાવ્યો હોય તેણે પોતાનાજીવનમાં જોઈતા ફેરફાર કરવા. હિંદુસ્તાનનાં ગરીબોની સાથે પોતાની સરખામણી કરી પોતાની હાજતો કમ કરવી, પોતાની ધન કમાવાની શક્તિ નિયમમાં મૂકવી, જે ધન કમાવું તે પ્રામાણિકપણે કમાવાનો નિશ્ચય કરવો, સટ્ટાવૃતિ હોય તો તેનો ત્યાગ કરવો, ઘર પણ પોતાની સામાન્ય હાજત પૂરતું રાખવું, અને જીવન સર્વ પ્રકારે સંયમી બનાવવું.

જ્યારે પોતાના જીવનમાં શક્ય સુધારો કરી લીધો હોય ત્યારે સમાનતાના આદ્રશનો પ્રચાર પોતાના સોબતી અને પડોશીમાં કરાય.

આર્થિક સમાનતાની જડમાં ધનિકનું ટ્રસ્ટીપણું રહ્યું છે. એ આદર્શ

પ્રમાણે ધનિકને પોતાના પડોશી કરતાં એક કોડી પણ વધારે રાખવાનો અધિકાર નથી. ત્યારે શું વધારાનું એની પાસેથી છીનવી લેવું? એમ કરતાં

હિંસાનો આશ્રય લેવો પડે. અને હિંસા વડે એમ કરવું સંભવે તોય સમાજને તેથી ફાયદો ન થાય. કેમ કે દ્રવ્ય એકઠું કરવાની શક્તિ ધરાવનાર એક

માણસની શક્તિ સમાજ ખોઈ બેસે. એટલે અહિંસક માર્ગ એ થયો કે માન્ય

થઈ શકે એટલી તેની હાજત પૂરી પાડી બાકીનાનો તે પ્રજાની વતી ટ્રસ્ટી બને. જો પ્રામાણિકપણે સંરયક્ષક બને તો જે દ્રવ્ય તે ઉત્પન્ન કરશે તેનો સદ્‌વ્યય પણ કરશે. વળી જ્યારે મનુષ્ય પોતાને સમાજનો સેવક માને, સમાજને અર્થે ધન કમાય, સમાજના કલ્યાણને અર્થે તે વાપરે ત્યારે તેની કમાણીમાં શુદ્ધતા આવશે, તેના સાહસમાં પણ અહિંસા હશે. આ પ્રમાણે જો કાર્યપ્રણાલી ગોઠવાય તો સમાજમાં વગર ઘર્ષણે મૂક ક્રાન્તિ પેદા થાય.

આ પ્રમાણે કયાંય મનુષ્યસ્વભાવમાં ફેરફાર થયાની નોંધ

ઈતિહાસમાં જોવામાં આવી છે ? વ્યક્તિઓમાં તો બન્યું જ છે. મોટા પાયા પર સમાજમાં ફ્રફાર થયાનું કદાચ સિદ્ધ ન કરી શકાય. આનો અર્થ એટલો જ થયો કે વ્યાપક અહિંસાનો પ્રયોગ આજ લગી થયો નથી. આપણામાં એવી ખોટી માન્યતાએ જડ ઘાલી છે કે અહિંસા વ્યક્તિઓ જ કેળવે ને ત્યાં

લગી જ મર્યાદિત રહે. ખરું જોતાં એમ.નથી, પણ એ સામાજિક ધર્મ છે, સામાજિક ધર્મ તરીકે કેળવી શકાય છે, એમ મનાવવાનો મારો પ્રયત્ન અને

પ્રયોગ છે. મવું એટલું ખોટું માનીને ફેંકવાનું આ યુગમાં તો કોઈ કહેશે જ નહીં. મુશ્કેલ એટલું અશક્ય એમ પણ કોઈ આ યુગમાં નહીં કહે. કેમ કે ઘણું નવું જૂનું થતું આપણે નજરે જોયું છે, અશક્ય લાગતું શક્ય બનતું આપણે જોયું છે. જે સાહસ હિંસાના ક્ષેત્રમાં શક્ય બનતું આપણે જોયું છે એના કરતાં ઘણું વધારે સાહસ અહિંસાના ક્ષેત્રમાં શક્ય છે એવી મારી

માન્યતા છે, અને ધર્મોના ઈતિહાસ તેના પુરાવાથી ભરપૂર છે.

સમાજમાંથી ધર્મને છેકી નાખવાનો પ્રયત્ન વંધ્યાપુત્રને પેદા કરવાના જેટલો જ નિષ્ફળ છે, અને સફળ થાય તો સમાજનો નાશ થાય. ધર્મનાં રૂપાંતર થાય. તેમાં રહેલા પ્રત્યક્ષ વહેમો, સડા, અપૂર્ણતા દૂર થાય, થયાં છે, થયાં જ કરશે. પણ ધર્મ તો જ્યાં લગી જગત છે ત્યાં લગી ચાલશે જ. કેમ કે જગતનો એક આધાર ધર્મ જ છે. ધર્મની અંતિમ વ્યાખ્યા ઈશ્વરનો કાયદો.

ઈશ્વર અને તેના કાયદા નોખા નથી. ઈશ્વર એટલે અચલિત, જીવતો કાયદો. તેનો પાર કોઈ પામ્યું નથી. પણ અવતારોએ અને પેગંબરોએ તપ કરી તેના કાયદાના કાંઈક અંશોની ઝાંખી જગતને કરાવી છે.

પણ ઘણા પ્રયત્નો છતાં જો ધનિક લોકો ખરા સંરક્ષક ન બને અને અહિંસાને નામે ભૂખે મરતાં કરોડો વધારે ને વધારે કચરાતાં જાય તો શું કરવું ? એ કોયડાનો ઉકેલ શોધતાં જ અહિંસક અસહકાર અને અહિંસક કાનૂનભંગ સાંપડ્યા. કોઈ ધનવાન સમાજના ગરીબોના સહકાર વિના ધન નથી કમાઈ શકતો. મનુષ્યને પોતાની હિંસક શક્તિનું ભાન છે, કેમ કે તે તો તેને લાખો વર્ષ પૂર્વે વારસામાં ઊતરી. તેના ચાર પગ મટીને જ્યારે તેના બે પગને હાથનો આકાર મળ્યો ત્યારે તેમામાં અહિંસાની શક્તિ પણ આવી. હિંસાશક્તિનું તો તેને મૂળથી ભાન હતું, પણ અહિંસાનું ભાન ધીમે ધીમે પણ અચૂક રોજ વધવા લાગ્યું. એ ભાન ગરીબોમાં પ્રસરે એટલે તે બળિયા થાય ને જે આર્થિક અસમાનતાના તેઓ ભોગ થયા છે તેને અહિંસક માર્ગે દૂર કરતાં શીખે. ૧

હિંદને જે જરૂરી છે તે તેનું ધન થોડાક મૂડીવાળાઓના હાથમાં એકઠું થાય એ નથી; પણ એ ધન હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાંમાં વહેંચાઈ જાય અને ૧૯૦૦ માઈલ લાંબા અને ૧૫૦૦ માઈલ પહોળા આ ભરત ખંડમાં કોઈ ભૂખ્યું ન સૂએ એ છે. ૨

પ્રકરણ ઓગણીસમુુંં

ભારતની અહિંસાની સાધના

હિંદુસ્તાન સમક્ષ મેં જૂનો આત્મબલિદાનનો કાયદો મૂકવાની

હિંમત કરી છે. કારણ કે સત્યાગ્રહ અને તેની શાખાઓ-અસહકાર અને સવિનય પ્રતિકાર એ સહન કરવાના કાયદાનાં નવાં નામ સિવાય બીજું શું છે ?જે ઋષિઓએ અહિંસાનો કાયદો શોધ્યો તે ન્યૂટન કરતાં વધારે બુદ્ધિશાળી હતા. તેઓ પોતે વેલિંગ્ટન કરતાં મહાન યોદ્ધા હતા. શસ્ત્રોનો ઉપયોગ તેઓ જાણતા હતા એટલે તેની નિરુપયોગિતા તેમણે જોઈ લીધી અને થાકેલી દુનિયાને શીખવ્યું કે તેની મુક્તિ હિંસામાં નહીં પણ અહિંસામાં રહેલી છે.

સક્રિય અહિંસા એટલે જ્ઞાનપૂર્વક સહન કરવું તે. એનો અર્થ દુષ્ટ

માણસની મરજીને ચૂપચાપ તાબે થવું એવો નછી; પણ જાલિમની ઈચ્છાનો પોતાની તમામ આત્મશક્તિથી મુકાબલો કરવો એવો છે.મનુષ્ય-જાતિના આ કાયદા પ્રમાણે વર્તતાં એકલો માણસ પણ પોતાના સ્વમાન, ધરમ અને આત્માના રક્ષણ માટે અન્યાયી સામ્રાજ્યના સમગ્ર બળનો સામનો કરી શકે, અને સામ્રાજ્યના પતન કે તેના પુનર્જીવનનો પાયો નાખી શકે. તેથી હિંદને હું અહિંસાનું પાલન કરવા કહું છું તે હિંદ નબળું છે તે કારણે નહીં પણ તે પોતાની શક્તિ અને સતાના ભાન સાથે અહિંસાનું પાલન કરે એમ હું ઈચ્છું છું તેથી કહું છું. એને એની શક્તિનું ભાન કરાવવા માટે શસ્ત્રોવાપરવાની તાલીમની જરૂર નથી. આપણને એની જરૂર લાગે છે કારણ કે આપણે માનીએ છીએ કે આપણે કેવળ માંસના લોચા છીએ. હું

હિંદને એ વાતનું ભાન કરાવવા માગું છું કે તેને આત્મા છે જે અમર છે અને દરેક પ્રકારની શારીરિક નબળાઈ-ઓથી પર થઈ શકે છે તેમ જ આખી દુનિયાની સંયુકત શારીરિક સક્તિનો સામનો કરી શકે છે. ૧

હિંદુસ્તાનને નપુંસક કે નામર્દ ગણી કાઢવાનો અવકાશ આપવાપણું નથી. જાટ અને મરાઠાઓ, મુસલમાનો, શીખો અને ગુરખાઓની સિપાઈ-

ગીરી અને અંગત બહાદુરીથી દુનિયા આજે અજાણ નથી. મારો મુદોે માત્ર એટલો જ છે કે લડવાનો અને સામાની જાન લેવાનો ખૂની જુસ્સોે

હિંદુસ્તાનના હાડમાં નથી ; અને દુનિયાની ઉત્ક્રાન્તિમાં એને કોઈ ખાસ ઉચ્ચતર ભાગ ભજવવાનું નિર્માયું હોય એ કારણે પણ આમ હોય. એ નિર્માણ શું છે તેની તો કાળે કરીને જ ખબર પડે. ૨

ભારતને એટલે કે ભારતની આમજનતાને યુગોથી જે તાલીમ

મળતી આવી છે તે હિંસાની વિરુદ્ધ છે. ભારતમાં માનવસ્વભાવનો એટલો વિકાસ થયો છે કે સામાન્ય જનસમાજ માટે હિંસાના સિદ્ધાંત કરતાં અહિંસાનો સિદ્ધાંત વધુ સ્વભાવિક થઈ ગયો છે. ૩

ભારતે કદી કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી. કેવળ સ્વરક્ષણ

માટે કોઈ કોઈ વાર અસંગઠિત કે અર્ધસંગઠિત પ્રતિકાર કર્યો છે. તેથી તેને શાંતિ માટેની ઈચ્છા પેદા કરવાની રહેતી નથી. ને ઈચ્છા તો ભારતને ખબર હોય કે ન હોય, તેમાં વિપુલ પ્રમાણમાં પડેલી જ છે. પોતાના શોષણ-નો શાંતિમય સાધનોથી સફળ સામનો કરીને તે શાંતિ સ્થાપવાના કામમાં મદદરૂપ થઈ શકે. મતલબ કે તેણે પોતાનું સ્વતંત્ર્‌ય શાંતિમય

સાધનોથી મેળવવું જોઈશે. જો ભારત તેમ કરી શકે તો કોઈ પણ એક દેશ વિશ્વશાંતિમાં વધારેમાં વધારે જેટલો ફાળો આપી શકે તેટલો તેણે આપ્યો હશે. ૪

પ્રકરણ વીસમુુંં

સર્વોદય રાજ્ય

ઘણા લોકોએ માથું ધુણાવતાં ધુણાવતાં મને કહ્યું છે કે’આમ

જનતાને તમે અહિંસા નહીં શીખવી શકો. અહિંસા કેવળ વ્યક્તિઓ માટે અને તે પણ ગણીગાંઠી વ્યક્તિઓ માટે જ છે.’મારા મત પ્રમાણે આ આત્મવંચના છે. મનુષ્યજાતિ સ્વભાવે અહિંસક ન હોત તો યુગો પહેલાં તે પોતાને હાથે મરી પરવારી હોત. પણ હિંસક બળો ને અહિંસક બળોના દ્વંદ્વયુદ્ધમાં છેવટે અહિંસક બળો વિજયી નીવડ્યાં છે. ખરી વાત એ છે કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવાના સાધન તરીકે અહિંસા-નો લોકોમાં પ્રચાર કરવા માટે ઉતાવળા થયા વગર ખરા અંતઃકરણથી કાર્ય કરવાની ધીરજ આપણે બતાવી નથી. ૧

મને તો નામની રાજ્યસતા નથી જોઈતી, કામની જ જોઈએ છે.

એ આપણું સાધ્ય નથી, પણ પ્રજાની સ્થિતિ દરેક રીતે સુધારવાનું સાધન છે. રાજયસતા મેળવવી એટલે દેશના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાજીવનને ઘડવાની સતા મેળવવી. પણ જો પ્રજાજીવન આપોઆપ જ ઘડાતું જાય તો

પ્રતિનિધિઓને સત્તા મેળવવાની ગરજ ન રહે. તે વેળા એક પ્રકારનું સંસ્કારી સંયમી અરાજક હશે. એ અરાજરમાં દરેક પોતપોતાના અંકુશમાં હશે, પોતપોતાનો રાજા હશે. એ એવી રીતે પોતાને અંકુશમાં રાખશે કે જેથી તેના પડોશીને તે જરાયે હરકતકર્તા ન થઈ પડે. એટલે આદર્શ રાજ્ય

તો તે છે કે જેમાં રાજ્યસતા નથી કારણ સામુદાયિક રાજ્ય જ નથી. પણ એ તો આદર્શ લીટીની વ્યાખ્યા જેવું થયું. એટલે જ થૉરોએ પોતાનું

મહાવાક્ય ઉચ્ચાર્યું કે જેમાં રાજ્યસત્તાનો અમલ અલ્પમાં અલ્પ તે રાજ્ય

ઉત્તમોત્તમ. ૨

રાજ્યના હાથમાં વધુપડતી સત્તાને હું ભયની નજરે જોઉં છું.

કારણ કે ઉપરથી જોતાં તે શોષણને ઓછામાં ઓછું કરી નાખીને

માણસજાતને લાભ પહોંચાડે છે, પણ વ્યક્તિત્વ, જે બધી પ્રગતિના મૂળમાં રહ્લું છે, તેનો નાશ કરીને મોટામાં મોટું નુકસાન કરે છે.

રાજ્ય હિંસાને કેન્દ્રિત અને સંગઠિત રૂપમાં રજૂ કરે છે. વ્યક્તિને આત્મા છે, પણ રાજ્ય એક આત્મહીન યંત્ર છે એટલે તેની પાસે હિંસા છોડાવી શકાય નહીં, કારણ તેનું અસ્તિત્વ જ તેને આધારે ટકેલું છે.

બળના પાયા ઉપર રચાયેલું સંગઠન મને પસંદ નથી અને રાજ્ય

એવું સંગઠન છે. સ્વેચ્છાપૂર્વકનું સંગઠન તો હોવું જોઈએ. ૩

આદર્શ સમાજમાં કોઈ રાજસતા રહેશે, કે તે સમાજમાં રાજ-સત્તા

મુદ્‌લ નહીં હોય? મને લાગે છે કે, આ સવાલની ખાલી ચર્ચાથી કશો લાભ

નથી. એવો સમાજ રચવાને આપણે મહેનત કરીએ, તો અમુક હદ સુધી તેવો સમાજ આપોઆપ રચાતો રહેશે, અને તેનો ફાયદો લોકોને મળશે.

યુકિલડે વ્યાખ્યા કરી છે કે, જેને પહોળાઈ નથી, તે લીટી. પણ અ વ્યાખ્યાની આદર્શ લીટી આજ સુધી કોઈ દોરી શક્યું નથી, અને હવે પછી પણ કોઈ દોરી શકવાનું નથી. છતાં એવી લીટીનો આદર્શ ખ્યાલમાં રાખવાથી જ ભૂમિતિના જ્ઞાનમાં પ્રગતિ થઈ શકી છે. એ જ વાત હરેક આદર્શની બાબતમાં પણ સાચી છે.

એટલું યાદ રાખવું જોઈએ કે, રાજસત્તા વગરનો સમાજ દુનિયામાં આજે ક્યાંયે હસ્તી ધરાવતો નથી. તેની હસ્તી ક્યાંય થવાની હશે, તો

હિંદુસ્તાનમાં જ થશે, કેમ કે, અહીં હિંદુસ્તાનમાં જ એવો સમાજ રચવાની કોશિશ થઈ છે. આજ સુધી આપણે પરાકાષ્ઠાની બહાદુરી નથી બતાવી શક્યા, પણ તે બતાવવાનો રસ્તો એક જ છે. જેમને તે રસ્તા પર શ્રદ્ધા છે, તેમણે તે રસ્તો બતાવવાનો છે. ૪

પોલીસદળ

આમ છતાં મેં કબૂલ કર્યું જ છે કે અહિંસક શાસનમાં મર્યાદિત અંશે પોલીસ બળને સ્થાન હશે. એ માન્યતા મારી અપૂર્ણ અહિંસાનું ચિહન છે. પોલીસ વિના ચલાવી શકશું એમ કહેવાની મારી હિંમત નથી, જેમ

ફોજ વિના ચલાવી લેશું એમ કહેવાની છે. હું અવશ્ય એવી સ્થિતિ કલ્પું છું કે જ્યારે પોલીસની પણ જરૂર ન પડે. પણ એની ખરી ખબર તો અનુભવે જ પડે.

આ પોલીસ પોતે આજની પોલીસથી કેવળ જુદા જ પ્રકારની હશે.

તેમાં અહિંસાને માનનારાની ભરતી થશે. તેઓ લોકના સેવક હશે, સરદાર નહિં. લોકો તેમને મદદ કરતા હશે, અને રોજ ઓછા થતા જતા ઉપદ્વવોને તેઓ અને પોલીસ મળીને સહેજે પહોંચી વળી શકશે. પોલીસની પાસે કંઈક શસ્ત્ર હશે, પણ તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હશે. આ પોલીસ ખરું જોતાં સુધારક તરીકે ગણાવા જોઈએ. આવી પોલીસનો ઉપયોગ મુખ્યત્વે

ચોરડાકુને પહોંચી વળવા પૂરતો જ હોય. અહિંસક શાસનમાં મજૂર

માલિકોના ઝઘડા કવચિત જ થાય, હડતાળો ભાગ્યે જ થાય, કેમ કે અહિંસક બહુમતીની પ્રતિષ્ઠા સહેજે એટલી હશે કે સમાજનાં આવશ્યક અંગો તે શાસનને માન આપનારાં હશે. તેમ જ કોમા ઝઘડાઓ પણ એ શાસનમાં ન હોવા જોઈએ. ૫

પ્રકરણ એકવીસમુુંં

સત્યાગ્રહ અને દુરાગ્રહ

હું દ્દઢતાપૂર્વક માનું છું કે સવિનય કાનૂનભંગ એ શુદ્ધમાં શુદ્ધ

પ્રકારનું બંધારણીય આંદોલન છે. અલબત્ત જો એનું વિનયી એટલે કે અહિંસક સ્વરૂપ એ કેવળ દંભ હોય તો તે આંદોલન કોડીની કિંમતનું અને અધોગતિ કરનારું બની જાય છે. ૧

જો કાયદાનો ભંગ સાચા ભાવથી માનપૂર્વક અને વિરોધની વૃત્તિવિના કરવામાં આવે અને તે સમજપૂર્વક બંધાયેલા પાકા સિદ્ધાંતના આધારે હોય-તેમાં સ્વચ્છંદ ન હોય-અને સહુથી મુદ્દાની વાત-એની પાછળ

દ્વેષ કે તિરસ્કારનો છાંટો પણ ન હોય તો જ તે શુદ્ધ સત્યાગ્રહ કહેવાય.

જે લોકો રાજ્ય દ્વારા લાદવામાં આવેલા ત્રાસદાયક કાયદાનું પણ, જ્યાં સુધી તે તેમના અંતઃકરણને કે ધર્મને દૂભવતા ન હોય ત્યાં સુધી, રાજીખુશીથી પાલન કરવામાં માનતા હોય અને તેટલી જ રાજીખુશીથી સવિનય કાનૂનભંગની સજા ભોગવવા તૈયાર હોય તેઓ જ સવિનય

કાનૂનભંગ કરી શકે. કાનૂનભંગ સંપૂર્ણ રીતે અહિંસક હોય તો જ તેને સવિનય કાનૂનભંગ કહી શકાય. આની પાછળ જાતે સહન કરીને, એટલે કે પ્રેમથી વિરોધીને જીતી લેવાનો સિદ્ધાંત રહેલો છે. ૩

સવિનયભંગ એ દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે.

મનુષ્યત્વ-ના ભોગે જ એ અધિકાર તે જતો કરી શકે. સવિનયભંગ પછી કદી અંધાધૂંધી ન આવે. અવિનયભંગને પરિણામે આવે ખરી. દરેક રાજ્ય

અવિનયભંગને બળથી દબાવી દે છે. એમ ન કરે તો તે પોતે નાશ પામે.

પણ સવિનયભંગને દબાવી દેવો એ અંતરાત્માને કેદમાં પૂરવાનો પ્રયત્ન કરવા જેવું છે. ૪

સત્યાગ્રહ સીધાં પગલાંની સૌથી પ્રબળ પદ્ધતિઓમાંની એક હોવાને કારણે, સત્યાગ્રહી સત્યાગ્રહનો આશરો લેતાં પહેલાં બીજાં બધાં સાધનો વાપરી જુએ છે. તેથી તે અધિકારીઓને સદાસર્વદા મળતો રહેશે,

લોકમતને અપીલ કરશે, લોકમત કેળવશે, પોતાને ધ્યાનપૂર્વક સાંભળવા ઈચ્છનાર દરેક આગળ પોતાની વાત શાંતિ અને સ્વસ્થતા-પૂર્વક રજૂ કરશે, અને આ બધા ઉપાયો અજમાવ્યા પછી જ તે સત્યાગ્રહનો આશરો લેશે.

પણ જ્યારે તેને અંતરનાર્દનો પ્રેરક પોકાર સંભળાય છે અને તે સ્તાગ્રહમાં ઝંપલાવે છે ત્યારે તે પોતાનું સર્વસ્વ હોમી દે છે અને પાછી પાની કરતો નથી. ૫

‘સત્યાગ્રહ’શબ્દ ઘણી વાર વગરવુચાર્યે ગમે તેમ વાપરવામાં આવે છે અને એમાં ગર્ભિત હિંસાનો સમાવેશ કરવામાં આવે છે. પણ એ શબ્દના ઉત્પાદક તરીકે હું કહું કે એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, ગુપ્ત કે પ્રગટ, કે મન, વચન ને કર્મની હિંસાનો સમાવેશ નથી થતો. વિરોધીનું બૂરું તાકવું કે તેને દૂભવવાના ઈરાદાથી તેની પ્રત્યે કે તેને વિષે કઠોર વેણ કાઢવાં એમાં સત્યાગ્રહની મર્યાદાનું ઉલ્લંઘન છે.....સત્યાગ્રહમાં નમ્રતા હોય છે. સત્યાગ્રહ કદી કોઈના પર પ્રહાર કરતો જ નથી. એ ક્રોધ કે દ્વેષનું પરિણામ ન જ હોવો જોઈએ. તેમાં ધાંધલ, અધીરાઈ, બૂમાબૂમ હોય

જ નહીં. તે બળાત્કારનો કટ્ટો વિરોધી છે. હિંસાના સંપૂર્ણ ત્યાગ તરીકે જ સત્યાગ્રહની કલ્પના કરવામાં આવેલી છે. ૬

દુરાગ્રહ

૧૯૧૯ના એપ્રિલની શરૂઆતમાં પંજાબમાં જતાં ગાંધીજીની ધરપકડ થયાની ખબર આવતાં મુંબઈ અને બીજાં સ્થળોએ હિંસક તોફાનો ફાટી નીકળ્યાં. ગાંધીજીને પોલીસ પહેરા નીચે પાછા મુંબઈ લાવવામાં આવ્યા અને ૧૧મી એપ્રિલે છોડી મૂકવામાં આવ્યાં. તે સાંજે બધી સભાઓમાં વાંચવા માટે એક સંદેશો આપ્યો. જેમાં તેમણે નીચે પ્રમાણે જણાવ્યું.

મારી અટકાયતને પરિણામે આટલા બધા ઉશ્કેરાટ અને તોફાનોનું કારણ હું સમજી શક્યો નથી. એ સત્યાગ્રહ નથી. દુરાગ્રહથી પણ એ ખરાબ છે. જેઓ સત્યાગ્રહની લડતમાં જોડાય છે તે બધા ગમે તે જોખમે

હિંસાથી દૂર રહેવા, પથરા નહીં ફેંકવા કે કોઈ પણ રીતે કોઈને ઈજા નહીં

પહોંચાડવા, બંધાયેલા છે. પણ મુંબઈમાં આપણે પથરા ફેંક્યા છે. માર્ગમાં અવરોધો ઊભા કરી ટ્રામો રોકી છે. આ સત્યાગ્રહ નથી. આપણે હિંસક કામો માટે પકડાયેલા પચાસેક માણસોના છુટકારાની માગણી કરી છે. પણ આપણી ફરજ તો મુખ્યત્વે જાતે ધરપકડ વહોરવાની છે. જે લોકોએ હિંસક કાર્યો કર્યાં છે તેમના છુટકારા માટે પ્રયત્ન કરવો એમાં આપણા ધાર્મિક કર્તવ્ય ભંગ છે. તેથી જેમને પકડવામાં આવ્યા છે તેમના છુટકારાની

માગણી કોઈ પણ રીતે વાજબી નથી. ૭

મેં અનેક વાર કહ્યું છે કે સત્યાગ્રહમાં હિંસા, લૂંટફાટ, આગ

લગાડવી વગેરેને સ્થાન નથી અને છતાં સત્યાગ્રહને નામે આપણે મકાનો બાળ્યાં છે, બળજબરીથી હથિયારો કબજે કર્યાં છે, પૈસા પડાવ્યા છે, રેલગાડીઓ અટકાવી છે, તારનાં દોરડાં કાપી નાખ્યાં છે, નિર્દોષ લોકોની હત્યા કરી છે અને દુકાનો તેમ જ ખાનગી મકાનો લૂંટ્યાં છે. આવાંકામોથી

મારો જેલમાંથી કે ફાંસીને માંચડેથી છુટકારો થતો હોય તો એવી રીતે છૂટવાની મારી ઈચ્છા નથી. ૮

એવાં કાર્યોથી હું હિંદુસ્તાનને સારુ ભયંકર વખત જ જોઉં છું.

જ્યારે જ્યારે મજૂરો ખિજાય ત્યારે જો તેઓ કાયદાનો ખૂની ભંગ શરૂ કરે અને જાનમાલને નુકસાન કરે તો તેઓ આપઘાત કરે અને હિંદુસ્તાનને પારાવાર ખમવું પડે...મેં સત્યાગ્રહનો અને તેના કાયદાના સવિનયભંગ નો

પ્રચાર કર્યો તેનો અર્થ એવો કદી નહીં હતો કે કાયદાનો ખૂની ભંગ થઈ

શકે. સત્યનો સુધ્ધ પ્રચાર ખૂન કરીને થાય જ નહીં એ મારો અનુભવ છે.

જેને પોતાના સત્ય ઉપર વિશ્વાસ છે તે તો સમુદ્ર જેટલી ધીરજ રાખે અને સવિનયભંગ તે જ કરી શકે કે જેણે કાયદાનો અવિનયી, ફોજદારી, ખૂની ભંગ કદી ન કર્યો હોય ને કદી ન કરે. જેમ માણસ એકી વખતે ગરમ અને નરમ ન હોઈ શકે તેમ કાયદાનો સવિનય અને અવિનય ભંગ એકી વખતે ન કરી શકે. અને જેમ શાંતિ તે રોજ ગુસ્સાને મારવાની તાલીમ લીધા પછી જ આવી શકે છે તેમ જ કાયદાનો સવિનયભંગ કરવાની શક્તિ પણ કાયદાને સદા માન આપવાથી જ આવી શકે છે. અને જે માણસ ઘણી

લાલચને વખતે લાલચોથી દૂર રહી શકે તે જ જીત્યો કહેવાય, તેમ ગુસ્સો કરવાનો ભારે પ્રસંગ આવ્યા છતાં પણ જે ગુસ્સાને રોકી શકે છે તેણે જ તેને જીત્યો કહેવાય. ૯

કેટલાક વિધાર્થીઓએ ત્રાગાના રૂપમાં પુરાણું જંગલીપણું ફરી સજીવન કર્યું છે. હું એને ‘જંગલીપણું’કહું છું કારણ કે એ દબાણ લાવવાનું અવિચારી પગલું છે. તેમાં કાયરતા પણ છે કારણ કે જે ત્રાગું કરે છે તે જાણે છે કે કોઈ તેને કચડીને જવાનું નથી. આ રીતને હિંસા કહેવાનું અઘરું છે, પણ ખરેખર એ હિંસાથીયે ખરાબ છે. આપણે આપણા વિરોધી સાથે

લડીએ છીએ ત્યારે કંઈ નહીં તો તેને ફટકાનો જવાબ વાળવા જેટલી તક તો આપીએ છીએ. પણ તે આપણા શરીર પર પગ મૂકીને નહીં જાય એમ

જાણવા છતાં, તેને તેમ કરવાનો પડકાર ફેંકીએછીએ ત્યારે તેને કઢંગી અને નામોશીભરી સ્થિતિમાં મૂકીએ છીએ. હું જાણું છું કે ત્રાગું કરનાર અતિ ઉત્સાહી વિધાર્થીઓ એના જંગલીપણાનો કદી વિચાર કરતા નથી. પણ જેની પાસેથી અંતરના અવાજને અનુસરવાની અને મુશ્કેલીઓની સામે એકલા ઊભા રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે તેને અવિચારી થવું પાલવે નહીં...અધીરાઈ, જંગલીપણું,ઉદ્ધતાઈ કે અયોગ્ય દબાણ ન જ હોય.

આપણે લોકશાહીની સાચી ભાવના ખીલવવી હોય તો અસહિષ્ણુ થવાનું આપણને પાલવે નહીં. અસહિષ્ણુતા આપણા કાર્યમાં આપણી

શ્રદ્ધાનો અભાવ સૂચવે છે. ૧૦

શાસનનો અવિચારી વિરોધ અરાજકતા અને નિરંકુશ સ્વચ્છંદતા તેમ જ તેમાંથી નીપજતા આત્મનાશ તરફ જ દોરી જાય. ૧૧

કોઈ પણ સત્યાગ્રહ શરૂ થવા અગાઉ તપાસવાની અનિવાર્ય શરત એ છે કે સત્યાગ્રહ કરનારાઓને પક્ષે અગર તો સામાન્ય પ્રજાને પક્ષે કોઈ

પણ જાતની હિંસા નહીં થવા પામે એવી ખાતરી હોવી જોઈએ. હિંસા થાય

અને પછી રાજ્ય અગર તો બીજા કોઈ એવા જ વિરોધી પક્ષ તરફથી તેની ઉશ્કેરણી કરવામાં આવ્યાથી તેમ થયું એવું કહ્યે ન ચાલે. સવિનયભંગ

હિંસાના વાતાવરણ વચ્ચે ખીલી ન શકે એ દેખીતું છે. આનો અર્થ એ નથી કે સત્યાગ્રહી અટકીને ઊભો થઈ રહે. સત્યાગ્રહને સારુ જરૂરી વાતાવરણ ન જુએ તો તે બીજો રસ્તો શોધે. ૧૨

સત્યાગ્રહમાં ઉપવાસ

ઉપવાસ એ સત્યાગ્રહના શસ્ત્રાલયમાં એક મહાશક્તિવાળું અસ્ત્ર

છે. હરકોઈથી ચલાવી શકાય તેવું તે નથી જ. નરી શારીરિક લાયકાત એ એને સારુ લાયકાત નથી. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા સિવાય એ સાવ નિરુપયોગી છે. વિચારરહિત મનોદશાથી કે નરી અનુકરણવૃતિથી તે કદી ન થવો જોઈએ. પોતાના અંતરાત્માના ઊંડાણમાંથી જ તે ઊઠવો જોઈએ.

૧૩

ઉપવાસીમાં સ્વાર્થ, રોષ, અવિશ્વાસ અને અધીરાઈનો પ્રવેશ ન હોવો જોઈએ...ઉપવાસીમાં અખૂટ ધૈરેય, દ્રઢતા, એકાગ્રતા અને શાંતિ હોવાં જોઈએ. એ બધા ગુણો એકા એક નથી આવતા. તેથી જેનું જીવન યમનિયમાદિના પાલનથી શુદ્ધ ન હોય તે સત્યાગ્રહી ઉપવાસ ન કરી શકે.૧૪

એક સામાન્ય નિયમ બતાવી શકાય ખરો. જ્યાં સત્યાગ્રહ ધર્મ હોય ત્યાં બીજા બધા ઉપાયો લીધા પછી જ ઉપવાસરૂપી શસ્ત્ર વપરાય.

આમાં દેખાદેખીને સ્થાન જ નથી. જેના અંતરમાં બળ નથી તે ઉપવાસ ન જ કરે, ફળની આશાએ પણ ન કરે...હાંસીજનક ઉપવાસ થયા કરે ને તે

મરકીરૂપે ફાટી નીકળે, તોય ઉપવાસ જ્યાં ધર્મ હોય ત્યાં તેનો ત્યાગ ન થાય. ૧૫

ઉપવાસ એ ખરેખર ત્રાગું હોઈ શકે એની હું ના પાડતો નથી.

સ્વાર્થ સાધવાને કરેલા ઉપવાસ એ જાતના હોય છે. સ્વાર્થ સાધવાને કોઈ

માણસ પાસેથી પૈસા પડાવવા એ ત્રાગું ગણાય, અને બળાત્કાર કહેવાય.

એવા ત્રાગાનો વિરોધ કરવો જોઈએ એવી સલાહ હું વિના સંકોચે આપું.

મારી સામે જે ઉપવાસો થયા છે કે થવાની ધમકી અપાઈ છે તેનો મેં

વિરોધ કર્યો છે ને હું તેમાં ફાવ્યો છું. જો એમ દલીલ કરવામાં આવે કે સ્વાર્થી અને પરમાર્થી ઉદ્દેશ વચ્ચેનો ભેદ ઘણી વાર નજીવો હોય છે, તો હું કહું કે જે માણસને એમ લાગે કે અમુક ઉપવાસનો ઉદ્દેશ સ્વાર્થી અથવા હીન છે તે માણસે ઉપવાસ કરનારનું મરણ નીપજે તોપણ દ્દઢતાપૂર્વક એને વશ થવાની ના પાડવી જોઈએ. પોતાને ત્રાગા જેવા લાગે એવા ઉપવાસની અવગણના કરવાની ટેવ જો લોકો પાડશે તો એવા ઉપવાસમાંથી બળાત્કારનો અથવા અઘટિત દબાણનો અંશ નીકળી જશે. મનુષ્ય ની બધી વસ્તુઓ પેઠે ઉપવાસનો સદુપયોગ તેમ જ દુરુપયોગ બંને થઈ શકે. ૧૬

પ્રકરણ બાવીસમુુંં

જમીનના ખેડૂ

આપણા સમાજે શાંતિને માર્ગે સાચી પ્રગતિ કરવી હોય તો ધનિક વર્ગે સ્વીકારવું જોઈએ કે જે આત્મા તેમના પોતાનામાં છે તે જ ખેડૂતો માં પણ વસે છે ;અને પોતાની ધનદોલતને કારણે તેઓ ખેડૂતો કરતાં ઊંચા નથી. જાપાની ઉમરાવો કરતા તેમ તેમણે પોતાને પોતાની મિલકત ના ટ્રસ્ટી ગણવા જોઈએ અને તે મિલકત પોતાના આશ્રિત ખેડૂતોના કલ્યાણને

માટે વાપરવી જોઈએ. પછી તેઓ પોતાની મહેનતના કમિશન તરીકે વાજબી કરતાં વધારે રકમ નહીં લે. અત્યારે તો ધનિક વર્ગના સાવ બિનજરૂરી ઠાઠમાઠ અને ઉડાઉપણું અને જે ખેડૂતોની વચ્ચે તેઓ રહે છે તેમની કચરી નાખનારી ગરીબાઈ અને ગંદા વાતાવરણ વચ્ચે કશું પ્રમાણ નથી. આદર્શ જમીનદાર ખેડૂતોનો આજનો બોજો ઘણોખરો ઓછો કરી નાખશે. તે ખેડૂતોના નિકટના સંપર્કમાં આવશે અને તેમની જરૂરિયાતો જાણી લેશે અને આજે તેમનો પ્રાણ નિચોવી રહેલી નિરાશાને બદલે તેમનામાં આશાનો સંચાર કરશે. ખેડૂતો સ્વચ્છતા અને આરોગ્ય-ના નિયમો વિષે અજ્ઞાન છે એમ કહીને તે સંતોષ નહીં માને. ખેડૂતોને જીવનની જરૂરિયાતો મળી રહે તે માટે તે પોતે ગરીબાઈ સ્વીકારશે. પોતાના ખેડૂતોની આર્થિક સ્થિતિની તે તપાસ કરશે, શાળાઓ કાઢશે જેમાં ખેડૂતનાં બાળકો સાથે પોતાનાં બાળકોને ભણાવશે. તે ગામનાં કૂવા તળાવ સાફ

કરશે. તે ખેડૂતોને રસ્તા વાળવાનું ને જાજરૂ સાફ કરવાનું, પોતે આવશ્યક

શ્રમ કરી બતાવીને, શીખવશે. તે પોતાના બગીટા ખેડૂતોના મુકત ઉપયોગ

માટે કશા સંકોચ વગર ખુલ્લા મૂકશે. તે પોતાની મોજ માટે જે બિનજરૂરી ઈમારતો રાખી મૂકે છે તે બધાનો ઉપયોગ શાળાઓ, ઈસ્પિતાલો વગેરે

માટે કરશે. જો મૂડીદાર વર્ગ સમયનાં એંધાણ ઓળખે, પોતાની સંપતિ પરના ઈશ્વરદત અધિકાર વિષેની કલ્પના બદલે તો થોડો જ વખતમાં આજે જે ગામડાંને નામે ઓળખાય છે તે આઠ લાખ ઉકરડાને શાંતિ, સ્વાશ્રય

અને આરામનાં સ્થળોનું રૂપ આપી શકાય. મને ખાતરી છે કે મૂડીદાર જાપાનના સેમુરાઈનું અનુકરણ કરે તો તેમને ખરેખર કંઈ ખોવાનું નથી, બધું મેળવવાનું જ છે. બે જ શક્યતાઓ છે : એક તો, મૂડીદારો પોતાનો વધારાનો સંગ્રહ રાજીખુશીથી આપી દે અને તેને પરિણામે સર્વ લોકો સાચું સુખ પ્રાપ્ત કરે; બીજી એ કે જો મૂડીદારો વખતસર ન જાગે તો અજ્ઞાન અને ભૂખ્યાં કરોડો લોકો દેશને એવી અંધાધૂંધીમાં ધકેલી દે જેને શક્તિશાળી સરકારનું લશ્કરી બળ પણ અટકાવી ન શકે-આ બે શક્યતાઓમાંથી પસંદગી કરવાની છે. મેં આશા રાખી છે કે હિંદુસ્તાન આ વિનાશ સફળતાપૂર્વક અટકાવી શકશે. ૧

ખેડૂત પોતે ભૂમિહીન મજૂર હોય કે જાતે મજૂરી કરનારો જમીન-

માલિક હોય, તેનું સ્થાન સૌથી મોખરે છે. તે ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઈએ-ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં. પણ અહિંસક પદ્ધતિમાં મજૂર જમીનદારને બળ-

જબરીથી કાઢી મૂકી નહીં શકે. પણ તેણે એવી રીતે કામ કરવું જોઈએ કે જેથી જમીનદાર તેનું શોષણ કરી જ ન શકે. ખેડૂતો વચ્ચે ગાઢ સહકાર હોવો જરૂરી છે. એ ઉદ્દેશ પાર પાડવા માટે ખેડૂતોનું સંગઠન કરનારાં ખાસ

મંડળો કે સમિતિઓ ન હોય ત્યાં રચવી જોઈએ અને હોય ત્યાં તેમાં સુધારો કરવાની જરૂર હોય તો કરવો જોઈએ. ખેડૂતો મોટે ભાગે નિરક્ષર છે. પ્રૌઢો તથા શાળામાં જવાની ઉંમરનાં બાળકોને કેળવણી આપવી જોઈએ-આમાં

સ્ત્રીપુરુષ બન્ને આવી જાય. ભૂમિહીન ખેતમજૂરોના મજૂરીના દર એટલા વધારવા જોઈએ કે જેથી તેઓ સારી રીતે જીવન ગાળી શકે એટલે કે તેમને યુક્તાહાર મળે અને તંદુરસ્તીની દ્રષ્ટિએ સંતોષકારક ઘર અને વસ્ત્ર મળી રહે. ૨

જો આપણું સ્વરાજ લોકશાહી સ્વરાજ હોય-જો સ્વરાજ અહિંસા દ્વારા મેળવ્યું હશે તો તે લોકશાહી જ હશે-તો મને બિલકુલ શંકા નથી કે કિસાનની પાસે રાજકીય સત્તા સહિત બધા પ્રકારની સત્તા હશે જ. ૩

જો બધા લોકોના પ્રયત્નથી સ્વરાજ આવશે, અહિંસામાં તેમ જ થાય, તો કિસાનોને પોતાનું યોગ્ય સ્થાન મળશે અને તેમનો અવાજ સૌથી ઉપર હશે. પણ એમ ન થાય અને મર્યાદિત મતાધિકારના પાયા પર પ્રજા અને સરકાર વચ્ચે કોઈ પ્રકારનું કામચલાઉ સમાધાન થાય તો જમીન ખેડનારાઓના હિતની ખાસ સંભાળ રાખવી પડશે.

ધારાસભાઓ ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં અસમર્થ નીવડી તો ખેડૂતો પાસે અસહકાર અને સવિનયભંગનો રામબાણ ઉપાય તો હંમેશા હશે જ.પણ..છેવટે અહિંસક સંગઠન, શિસ્ત અને બલિદાનની તાકાત જ અન્યાય અને જુલમ સામે રક્ષણ આપી શકશે; કાગળ પરનો કાયદો,જુસ્સાદાર શબ્દો અને ઉશ્કેરણીભર્યાં ભાષણો એ નહીં આપી શકે.

પ્રકરણ ત્રેવીસમું

ગામડાં તરફ પાછા વળીએ

હું માનું છું ને મેં અસંખ્ય વાર કહ્યું છે કે હિંદુસ્તાન એનાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં લહીં પણ સાત લાખ ગામડાંમાં વસે છે. પણ આપણે અહીં ભેગા થયા છીએ તે ગ્રામવાસીઓ નથી પણ શહેરવાસીઓ છીએ. આપણે શહેરોમાં વસનારાઓએ માની લીધું છે કે હિંદુસ્તાન એનાં શહેરોમાં વસે છે અને ગામડાં તો આપણી હાજતો પૂરી પાડવાને સરજાયેલાં છે. આપણે કદી એમ પૂછવા નથી બેઠા કે એ ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં અને એમને તડકો ને વરસાદથી રક્ષણ કરવા છાપરું છે કે નહીં. ૧

મેં જોયું છે કે શહેરવાસીઓએ સામાન્ય રીતે ગ્રામવાસીઓને લૂંટ્યા છે; વસ્તુતઃ તેઓ ગરીબ ગ્રામવાસીઓની મહેનત પર, તેમની સંપતિ પર જીવે છે. ઘણા અંગ્રેજ અમલદારોએ હિંદુસ્તાનના લોકોની સ્થિતિ વિષે

લખ્યું છે. પણ મારી જાણ પ્રમાણે કોઈએ એમ નથી કહ્યું કે હિંદુસ્તાનનાં ગામડાંના લોકોને પેટ પૂરતું ખાવા મળે છે. ઊલટું એમણે કબૂલ કર્યું છે કે ગામડાંની વસ્તીનો મોટો ભાગ ભૂખમરા જેવી સ્થિતિ ભોગવે છે અને દસ ટકા અડધે પેટે રહે છે, અને કરોડોને ચપટી ગંદું મીઠું, મરચા ને ચાવલ

કે સત્તુ ખાઈને સંતોષ માનવો પડે છે. તમે ખાતરી રાખજો કે આપણે કોઈને એવા ખોરાક પર રહેવાનું કહેવામાં આવે તો આપણે એક મહિનાથી વધારે જીવવાની આશા ન રાખીએ અથવા તો આપણી મગજશક્તિ મરી જશે એવો ડર આપણને લાગે. અને છતાં આપણાં ગામડાંના લોકો દરરોજ એવી સ્થિતિમાં રહે છે. ૨

પંચોતેર ટકા વસ્તી ખેડૂતોની છે. પણ જો આપણે તેમની પાસેથી તેમની મહેનતનું લગભગ પૂરું ફળ લઈ લઈએ અથવા બીજાઓને લઈ લેવા દઈએ તો આપણામાં સ્વરાજની ભાવના છે એમ ન કહેવાય. ૩

શહેરો પોતાની સંભાળ રાખવા શક્તિશાળી છે. આપણે તો ગામડાં-ઓ તરફ વળવાનું છે. આપણે તેમને તેમના પૂર્વગ્રહો, વહેમો અને સંકુચિત દ્રષ્ટિમાંથી મુક્ત કરવાના છે. આ બધું આપણે તેમની વચ્ચે વસીને, એમનાં સુખદુઃખમાં ભાગ લઈને અને તેમનામાં કેળવણી અને ઉપયોગી માહિતીનો ફેલાવો કરીને જ કરી શકીએ, બીજી કોઈ રીતે નહીં.

આપણે આદર્શ ગ્રામવાસી બનવાનું છે. સામાન્ય ગ્રામવાસીઓને તો આજે સફાઈ વિષે વિચિત્ર ખ્યાલ છે, અથવા કહો કે બિલકુલ ખ્યાલ

નથી. તેઓ શું ખાય છે ને શી રીતે ખાય છે એનો તેઓ વિચાર જ કરતા નથી, એવા આપણે થવાનું નથી. તેઓ જેમ ગમે તેમ રાંધે છે, ગમે તેમ

ખાય છે, ગમે તેમ રહે છે, એવું આપણે કરવાનું નથી. આપણે એમને આદર્શ ખોરાક બતાવવો જોઈએ. આપણને જે ગમે તે કર્યું, ન ગમે તે છોડી દીધું; એમ આપણે ન ચલાવવું જોઈએ, પણ ઊંડા ઊતરીને એ રુચિ

અરુચિનાં કારણો તપાસવાં જોઈએ. ૫

સૂરજ પ્રખર તાપમાં કેડ વાળીને કાળી મરી કરતા ગ્રામવાસી-ઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઈએ અને જે ખાબોચિયામાં તેઓ નહાય છે. તેમનાં કપડાં-વાસણ ધુએ છે તથા જેમાં તેમનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એમ કરીશું ત્યારે જ આપણે આમજલતાના સાચા પ્રતિનિધિ ગણાઈશું અને ત્યારે આપણી દરેક હાકલનો તેઓ જરૂર જવાબ વાળશે. ૬

એમને આપણે બતાવવું જોઈએ કે તેઓ કેમ પોતાની જરૂર જોગાં શાકભાજી ઝાઝાં ખરચ વિના ઉગાડી શકે ને એ ખાઈને તંદુરસ્તી જાળવી શકે. આપણે એમને એ પણ બતાવવું જોઈએ કે તેઓ લીલી શાકભાજીને રાંધે છે એટલે તેમાંનાં વિટામિન ઊડી જાય છે. ૭

સમય, આરોગ્ય અને ધનનો બચાવ કેમ થઈ શકે એ આપણે એમને શીખવવાનું છે. લાયોનલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તો ઉકરડા છે. એને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણાં ગામડાંની આસપાસ તાજી હવાની કંઈ ખોટ છે ? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી. એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે, છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખોરાકની બાબતમાં હું મિશનરીની પેઠે બોલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમૂના બનાવવા એ મારું ધ્યેય છે, મારું જીવનકાર્ય છે. ૮

ભારતવર્ષનાં ગામડાંની આવી દુર્દશા હંમેશાં હતી કે કેમ એ શોધી કાઢવાથી કશો લાભ નથી. જો આથી સારી એમની દશા કદી ન હોય તો આપણે આપણી જે પ્રાચીન સંસ્કૃતિને માટે અભિમાન રાખીએ છીએ તેની એ એબ ગણાય. પણ જો એમની દશા આથી સારી કદી ન હતી, તો આપણે સૈકાંઓથી જે પડતી અને વિનાશ આપણી આસપાસ જોઈ રહ્યા છીએ..તોની સામે એ ગામડાં ઝીક ઝીલીને જીવતાં શી રીતે રહી શક્યાં છે

?

દરેક સ્વદેશપ્રેમીની સામે કામ એ છે કે આ પડતી શી રીતે અટકાવવી, અથવા બીજા શબ્દમાં કહીએ તો ભારતવર્ષનાં ગામડાંની નવેસર રચના એવી રીતે કેમ કરવી જેવી શહેરમાં રહેવામાં જેવી સુખ-

સગવડ મનાય છે તેવી જ ગામડાંમાં રહેવામાં લાગે. દરેક દેશદાઝવાળા

માણસની સામે આજે એ એક જ કામ છે. કદાચ એવો સંભવ હોય કે આ ગામડાંનો ઉદ્ધાર થવો શક્ય જ ન હોય, ગામડાની સંસ્કૃતિનો જનાનો આથમી ગયો હોય, અને સાત લાખ ગામડાં નાશ પામીને તેની જગાએ ત્રીસ કરોડ નહીં પણ ત્રણ કરોડની વસ્તીને પોષતાં સાતસો સુવ્યવસ્થિત શહેરો સ્થપાય એવું બનવાનું હોય. ભારતવર્ષને નસીબે એમ થવાનું હશે તોયે તે એક દિવસમાં નહીં બને. ઘણાં ગામડાં અને ગ્રામ-વાસીઓને ભૂંસાઈ જવાને અને બાકીનાનું શહેરો અને શહેરીઓમાં રૂપાંતર થવાને વખત લાગશે જ. ૯

ગામડાંની હિલચાલ એ જેટલી ગ્રામવાસીઓની તેટલી જ શહેર-

વાસીઓની કેળવણીને માટે છે. શહેરમાંથી આવતા સેવકોએ ગામડાનું

માનસ કેળવવું રહ્યું છે અને ગ્રામવાસીઓની ઢબે રહેવાની કળા શીખી

લેવી રહી છે. આનો અર્થ એવો નથી કે તેમણે ગામડાંના લોકોની પેઠે ભૂખે

મરવું. પણ એનો અર્થ એવો તો અવશ્ય છે કે જૂની રહેણીમાં ધરમૂળથી પલટો થવો જોઈએ. ૧૦

એક જ માગ્ર આપણે માટે છે :એમની વચ્ચે વાસ કરી ધામા નાખવા ; એમના ભંગી, એમના નર્સ, એમના નોકર-એમના શુભેચ્છુ નહીં,-એવા બનીને અડગ શ્રદ્ધા રાખી, આપણા ગમા-અણગમા ભૂલી જઈ, કામ કૂટ્યે જવું. એક વાર તો સ્વરાજની વાત પણ આપણે જાણે ભૂલી જઈએ; અને ડગલે ને પગલે જેમની હાજરી આપણને નડે છે એવા

માલદાર વર્ગોને જરૂર વિસારી દઈએ. તેઓ તો જ્યાં છે ત્યાં છે. આ મોટા

પ્રશ્નોની પંચાયત કરનારાં તો ઘણાં પડેલાં છે. આપણે તો નાનું સરખું ગામડાંનું કામ ઉકેલવા લાગીએ, કેમ કે એ આજ જરૂરનું છે અને આપણા ધ્યેયને પહોંચ્યા પછી પણ જરૂરનું રહેવાનું છે. ખરેખર, આ ગ્રામસેવાનું કામ જ્યારે સફળ થશે ત્યારે તે જ આપણને આપણા ધ્યેય નજીક લઈ

જવાનું છે. ૧૧

જૂનાં ગામડાંનાં મહાજનો જે નાશ પામ્યાં છે તેને સજીવન કરવાં જોઈએ. હિંદુસ્તાનનાં ગામડાં દેશના કસબા ને શહેરોને જોઈએ એટલો બધો

માલ પેદા કરીને પૂરો પાડતાં. અમારાં શહેરો જ્યારે પરદેશના માલનાં હાટ થઈ પડ્યાં ને પરદેશથી સસ્તી ને ભમરાળી ચીજો લાવીને ગામડાંમાં ઝીંકવા

માંડી ને એ વાટે ગામડાનું ધન શોષવા માંટ્યું ત્યારથી હુંદુસ્તાન ધનહીન ને દરિદ્ર બન્યું. ૧૨

શહેરો ગામડાં પર નિર્ભર રહે, પોતાના બળનું સિંચન ગામડાંમાંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોતે ગામડાંને ખાતર વટાવાય તો અર્થ દ્ધ થાય ને અર્થશાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ

અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાળકોના ઉધોગને ગામડાંના ઉધોગો સાથે સીધો સંબંધ હોવો જોઈએ. ૧૩

એટલે આપણી સામે ગામડાંને પોતાના જડબામાં જકડી રાખનાર આ ત્રિમૂર્તિ રાક્ષસ છે : (૧) સામુદાયિક સ્વચ્છતાનો અભાવ, (૨) ઓછો ખોરાક, (૩) આળસ ને જડતા..પોતાના જ ભલામાં એમને રસ નથી.

આધુનિક સ્વચ્છતાના માર્ગોની એમને કદર નથી. કરતા આવ્યા છે એ જાતની મજૂરી ને જમીન ખેડી ખાવા ઉપરાંત શરીર તોડવા તે તૈયાર નથી.

અને આ મુશ્કેલીઓ મોટી છે ને સાચી છે. પણ એનાથી આપણે પાછા પડવાનું નથી. આપણા કર્તવ્યમાં આપણે અખૂટ શ્રદ્ધા રાખવાની છે; ધીરજથી લોકો જોડે વર્તવાનું છે. અને આપણે પણ ગ્રામસેવાના કાર્યમાં નવા બિનઅનુભવી છીએ. ઘર કરી બેઠેલા રોગની દવા આપણે કરવાની છે. આપણી પાસે જો ખંત અને ધૈર્ય હશે તો મોટા વિધ્નદુર્ગો પણ તૂટી જશે. રોગીને અસાધ્ય રોગ છે માટે નર્સ શું એને છોડી જશે? આપણું કામ

પણ આવી નર્સ જેવું છે. ૧૪

જે ક્ષણે તમે એ લોકોની (હિંદના ખેડૂતોની) જોડે વાત કરો ને તેઓ બોલવા માંડે તે ક્ષણે તમે જોશો કે એમની જીભમાંથી જ્ઞાન ઝરે છે.

બહારનો અણધડપણાનો દેખાવ છે તેની પાછળ આધ્યાત્મિક વૃત્તિનો ઊંડો ઝરો પડેલો છે. એને હું સંસ્કારિત કહું છું. એવી વસ્તુ તમને પશ્ચિમમાં નહીં જોવા મળે. યુરોપના કોઈ ખેડૂતની જોડે તમે વાત કરી જુઓ તો તમને દેખાશે કે એને ઈશ્વર કે આત્માની વાતમાં કશો રસ નહીં હોય.

હિંદી ગામડિયામાં તો અણધડપણાના પોપડાની નીચે જુગજૂની સંસ્કારિતા છુપાયેલી પડી છે. એ પોપડો ઉખાડી નાખો, એ ગ્રામવાસીનાં દારિધ ને નિરક્ષરતા દૂર કરો તો શિષ્ટ, સંસ્કારી, સ્વતંત્ર નાગરિક કેવો હોવો જોઈએ એનો સુંદરમાં સુંદર નમૂનો તમને જોવા મળશે. ૧૫

પ્રકરણ ચોવીસમું

ગ્રામસ્વરાજ

ગ્રામસ્વરાજનો મારો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ

પ્રજાસતાક હોવું જોઈએ. પોતાના જીવનની અત્યંત મહત્વની જુૃરિયાતો

માટે એ પ્રજાસતાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે, પરંતુ જે બાબતોમાં સહકાર્ય અનિવાર્ય હશે તે બધાં કાર્યોમાં પડોશીઓ સાથે પર-સ્પર સહાયથી કાર્ય કરશે. એ મુજબ પોતાની જરૂરિયાત જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની તેની પહેલી ફરજ ગણાશે.

પોતાનાં ઢોરને ચરવાને માટે તેમ જ બાળકોની રમતગમતો અને મોટેરાં-ઓના આમોદપ્રમોદને સારુ તે જમીન અલગ રાખશે. તે પછી જો ગામ

પાસે જમીન ફાજલ રહેશે તો તેમાં ઉપયોગી, બજારમાં વેચી શકાય, એવો પાક લેવાશે-ઉપયોગી એટલે કે તેમાં ગાંજો, તમાકુ, અફીણ વગેરે જેવા પાકો નહીં આવે. દરેક ગામ પોતાનું એ નાટકઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઈ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતા કૂવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પડી શકશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજિયાત હશે. બની શકે ત્યાં સુધી દરેકદરેક પ્રવૃતિ સહકારી પદ્ધતિના સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. આજે છે તેવીા અસ્પૃશ્યતાની ચડતીઊતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય.

દરેક ગ્રામસમાજની સતા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકારની પદ્ધતિવાળી અહિંસા હશે. ગામમાં રાખવામાં આવતીયાદીમાંથી ગામની ફરજિયાત ચોકી માટે વારા પ્રમાણે ચોકીયાતો પસંદ કરવામાં આવશે. નિયમ પ્રમાણેની નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઈ

પધ્ધતિનો અમલ નહીં હોય, એટલે આ પંચાયત પોતાના અમલના એક વર્ષને માટે ગામની ધારાસભા, ન્યાયાધાશ, અને કાર્યવાહક મંડળ બનશે.

કોઈ પણ ગામ આજે જ આવું પ્રજાસત્તાક બની શકે અને તેમાં હાલની સરકાર-જેનો ગામ સાથેનો એકમાત્ર સક્રિય સંબંધ જમીનની

મહેસૂલ ઉઘરાવી ખેંચી જવા પૂરતો જ છે- પણ બહુ અંત-રાય નહીં નાખે.

પડોશનાં ગામો સાથેના અને જે હોય તે કેન્દ્ર સાથેના સંબંધોનો વિચાર મેં

નથી કર્યો, મારો હેતુ તો ગ્રામસ્વજરાજ અથવા ગ્રામસરકારની રૂપરેખા રજૂ કરવાનો જ છે. દરેક વ્યક્તિની સ્વતંત્રતાના પાયા પર રચાયેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ લોકશાહી રહેલી છે. એમાં પ્રત્યેક વ્યક્તિને હાથે પોતાની સરકારનું ઘડતર થાય છે. તે અને તેની સરકાર અહિંસાના નિયમને વશ છે. તે અને તેનું ગામ આખી દુનિયા-ના બળનો સામનો કરી શકે છે, કેમ કે, પોતાના ગામના અને તેની આબરૂના રક્ષણને સારુ દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધાં ગ્રામવાસીઓ બંધાયેલાં હશે.

અહીં જે ચિત્ર દોરેલું છે તેમાં સ્વભાવતઃ એવું કશું નથી કે જેથી તેની સિદ્ધિ અશક્ય બને. આવા પ્રકારના ગામના આદર્શ નમૂનાને પહોંચતાં કદાચ આખી જિંદગી કાર્ય કરવું પડે. સાચી લોકશાહી અને ગ્રામજીવનનો આશક જો એકાદ ગામ પકડીને તેના જ ઘડતરને પોતાની સર્વ સૃષ્ટિ અને સમગ્ર કાર્ય ગણીને બેસી જાય તો તેને સારાં પરિણામો

મળી શકશે. તેણે શરૂઆત ગામના ભંગી, કાંતણ-શિક્ષણ, ચોકિયાત, વૈદ

અને શાળા-શિક્ષક એ બધાનાં કાર્યો એકી સાથે આરંભીને કરવી જોઈએ.

એની સાથે તરત કોઈ ન જોડાય તો ગામનું ભંગીકામ અને કાંતણ કરતા રહીને તે સંતોષ મેળવશે. ૧

ગામડાંના રહેવાસીઓમાં એવી કાળજી ને કુશળતા આવવી જોઈએ કે, જેથી તેમની પેદા કરેલી અથવા બનાવેલી વસ્તુઓની કિંમત બહાર પણ અંકાય. જ્યારે ગામડાંઓનો પૂર્ણ વિકાસ થશે, ત્યારે દેહાતીઓની બુદ્ધિ

અને તેમના આત્માને સંતોષી શકાય એવી કળા ને કુશળતાવાળાં સ્ત્રીપુરુષો ગામડાંમાં હશે જ. ગામડાંમાં કવિ, ચિત્રકાર, શિલ્પી, ભાષા-વિશારદ, શોધક વગેરે હશે. ટૂંકમાં જીવનની એવી એકે ચીજ નહીં હોય, જે ગામડાંમાં ન હોય. ગામડાં આજે ઉજ્જડ છે, વેરાન છે, ઉકરડા જેવાં છે; આવતી કાલે તે સુંદર બગીચા જેવાં બનશે, અને ત્યાંના લોકોને છેતરવાનું

મુશ્કેલ બનશે.

આ કલ્પનાનાં ગામડાંની રચનાનો આરંભ આજથી થવો જોઈએ.

ગ્રામરચના હંગામી નહીં, પણ સ્થાયી, કાયમની થવી જોઈએ.

કેળવણીમાં ઉધોગ, તંદુરસ્તી, ભણતર અને કળાનું મિશ્રણ છે, સુમેળ છે. નયી તાલીમની દ્રષ્ટિમાં ઉધોગ અથવા ઉધમ અને ભણતર, સ્વાસ્થ અને કળાના વિભાગ નથી પણ એ બધાનો મેળ મળીને ગર્ભ રહે ત્યાંથી માંડીને ઘડપણ લગીમાં માણસ ખીલીને પૂર્ણ વિકસિત ફૂલ જેવું સુંદર બને, એનું નામ નવી તાલીમ. એથી હું ગ્રામરચનાના આરંભમાં જ વિભાગો ન પાડું, પણ ઉપર ગણાવેલી ચારે બાબતોનો વિકાસ ને મેળ

એકસાથે સધાય, તેવો પ્રયત્ન આદરું. એથી કોઈ ઉધોગને કેળવણીથી નોખો ન ગણું, પણ તેને જ કેળવણી આપવાનું વાહન કે સાધન ગણું અને તેથી આવી યોજનામાં મવી તાલીમની સંસ્થાને ભેળવી લઉં. ૨

મેં જે જાતનો ગ્રામઘટક કલ્પ્યો છે, તે દેશના બળવાનમાં બળવાન અંગના જેટલો જ બળવાન હશે. મારા ખ્યાલ મુજબના ગામડાની વસ્તી મેં

એક હજારની લીધી છે. પોતાની બધી જરૂરિયાતો પોતાની જાતે મેળવી

લેવી એવા સિદ્ધાંતના પાયા પર તેની સ્વયંસંપૂર્ણ વ્યવસ્થા ગોઠવો તો પાયાનો એ ઘટક બરાબર કામ આપશે. ૩

ભારતવર્ષના આદર્શ ગામડાની રચના એવી હશે કે સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતા હવાઅજવાળાવાળી ઝૂંપડીઓ હશે, ને તે આસપાસના પાંચ માઈલના ઘેરાવામાંથી મળતી સાધન-સામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓને વાડા રાખેલા હશે જેથી તેમાં વસનાર માણસો તેમના ઘરના ઉપયોગ પૂરતાં શાકભાજી ઉગાડી શકે ને ઢોર રાખી શકે. ગામડાના રસ્તા ને શેરીઓ જેટલાં ધૂળ વિનાનાં બનાવી શકાય એટલાં બનાવાશે. ગામમાં ગામની જરૂરિયાત પૂરતા કૂવા હશે ને તેમાંથી પાણી ભરવાની સૌને છૂટ હશે. સૌને માટે ઉપાસનાનાં સ્થાનો હશે, એક સાર્વજનિક સભાસ્થાન હશે, ઢોરને ચરવા માટે ગોચર હશે, સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ધાલય, ઔધોગિક શિક્ષણને કેન્દ્રમાં રાખીને

ચાલતી પ્રાથમિક ને માધ્યમિક શાળાઓ, અને ઝઘડા પતવવા માટે પંચાયતો એ ગામડામાં હશે. ગામડું પોતાના ખપ પૂરતાં અનાજ, શાકભાજી ને ફળ પકવી લેશે, ને પોતાના વાપર પૂરતી ખાદી પેદા કરી

લેશે. આદર્શ ગામડા વિષેની મારી કલ્પનાની આ રૂપરેખા છે. ૪

પ્રકરણ પચીસમું

પંચાયતરાજ

સ્વતંત્રની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનું એકએક ગામ રાજ્યઅમલની પૂરીપૂરી સતા ધરાવનારું પ્રજાસતાક અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઈ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી

મળી હોય, અને તે રક્ષણના પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય.

આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે.

પડોશીઓ અથવા બહારની દુનિયા પર આધાર રાખવાની અથવા તેમની રાજીખુશીથી જે મદદ આપે, તે લેવાની વાત આમાં સમાઈ જાય છે. આ સ્થિતિ સ્વેચ્છાએ પરસ્પર સહાય કરનારાં બળોની એકબીજા પરની અસરનું ફળ હશે. એ અનિવાર્ય છે કે, આવી જાતનો સમાજ ખૂબ સંસ્કારી હોય

અને તેમાં દરેક સ્ત્રી પુરુષ પોતાને શું જોઈએ છે, તે વિષે ખબરદાર હોય, અને સૌથી વિશેષ તો એવી સમજવાળાં હોય કે, એક જ જાતની મજૂરીથી જે બીજાને ન મળી શકે, તે આપણને પણ ન મળે.

આ સમાજની રચના સ્વાભાવિક રીતે જ સત્ય અને અહિંસાના પાયા પર થાય અને મારો એવો અભિપ્રાય છે કે, ઈશ્વર એટલે કે, દુનિયાએ જાણેલાં સર્વ પ્રકારનાં બળોમાં જે વસે છે, પોતાની શક્તિ વડે જ જેની હસ્તી છે, જે વસ્તુમાત્રનું જ્ઞાન ધરાવે છે, જે કોઈના પર આધાર રાખતી નથી, અને જે બીજાં બળોનો કલ્પી શકાય તેવો નાશ થયા પછી, અથવા તેમની અસર જણાતી અટકી જશે, ત્યાર પછી પણ પોતાનું કાર્ય કરતી હશે તે જીવંત શક્તિ પર સમજપૂર્વક શ્રદ્ધા રાખ્યા વિના એ સત્ય

ને અહિંસા સંભવિત નથી. સર્વને પોતાના તેજ-થી પ્રકાશિત કરતી, સર્વવ્યાપી ચેતનમયી શક્તિ વિષેની શ્રદ્ધા વિના હું મારી પોતાની હસ્તીનું કારણ આપી શકતો નથી.

અસંખ્ય ગામડાંઓની બનેલી આ સમાજરચનાની આકૃતિ એકએકથી ઊંચે જતાં વર્તુળોની નહીં, પણ એકબીજાથી વિશાળ થતાં જતા અને નાનાને મોટામાં સમાવી લેતાં વર્તુળોની હશે. જીવનનો ઘાટ, જ્યાં ટોચ પાયાને કચડીને ઊંચી રહે છે તેવા પિરામિડનો નહીં હોય. તેનો ઘાટે સમુદ્રનાં અનંત સીમા સુધી વિસ્તરતાં જતાં મોજાંઓનાં વર્તુળનો હશે, જેના કેન્દ્રમાં પોતાના ગામને સારુ ખપી જવાને હરહમેશ તત્પર એવી વ્યક્તિ હશે, અનેો ગામ વળી બીજાં ગામોના બનેલા પોતાના વર્તુળને માટે ખપી જવાને તત્પર રહેશે, અને આખરે આ રચનામાં સર્વ વર્તુળો મળીને એક જ પ્રાણવાળું એક શરીર બનશે. એ રચનામાં જે વ્યક્તિઓનો સમાવેશ થશે, તે પોતાના અહંકાર અથવા ઘમંડમાં કોઈ બીજાના પર આક્રમણ નહીં

કરે, હમેશ નમ્ર રહેશે અને સમુદ્રના વિશાળ વર્તુળમાં સમાયેલા સમસ્ત જીવનની ભવ્યતા પોતાના અંતરમાં અનુભવી, તે વર્તુળના અંગરૂપ ઘટક બની રહેશે.

તેથી, આ વર્તુળાત્મક રચનામાં બહારની સીમા પર આવેલું સૌથી

મોટું વર્તુળ પોતાની અંદર સમાતાં વર્તુળને કચડી નાખવાને પોતાનું સામથ્ય

નહીં વાપરે, પણ અંદરના સર્વને બળ આપશે અને પોતાનું સામથ્ય પણ કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓમાંથી મેળવશે. કોઈ પણ એવો ટોણો મારશે કે, આ તો આદર્શ થયો, સંપૂર્ણતાનું તરંગી ચિત્ર થયું, અને તેને વિષે વિચાર કરી નાહક વખત બગાડવાની જરૂર નથી. યુકિલડની વાયાખ્યાનું બિંદુ દોરી બતાવવાને માણસ સમર્થ નથી, છતાં તેનું કદી ઘટે નહીં તેવું મૂલ્ય છે.

તેવી રીતે માણસજાતને જીવવું હોય, તો મારા આદર્શ ચિત્રની પણ કદી ઓછી ન થાય તેવી કિંમત છે. એ સાચા ચિત્રની અણિશુદ્ધ સંપૂરણ સિદ્ધિ

કદી ન થવાની હોય, તોપણ હિંદુસ્તાન તેને માટે જીવે. આપણને જે કંઈ

જોઈતું હોય, તેના જેવું કંઈકેય મેળવી શકીએ તે પહેલાં આપણી પાસે તેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. હિંદુસ્તાનમાં એકએક ગામનું પ્રજાસત્તાક સ્થાપવાની વાત સ્વીકારો, તો જ્યાં છેલ્લે આવનારો પહેલાના જેવો હોય, અથવા બીજા શબ્દોમાં કહીએ તો, જેમાં કોઈ પહેલો નથી ને કોઈ છેલ્લો નથી, તે મારું ચિત્ર વાસ્તવિક અને સત્ય છે, એવો હું દાવો કરું છું.

આ ચિત્રમાં દરેક ધર્મનું સરખા દરજજાનું તેમ જ ઘટતું સ્થાન રહેશે. આપણે સૌ એક ભવ્ય તરુવરનાં પાંદડાં જેવા છીએ અને તેનાં મૂળ

પાતાળમાં પૃથ્વીના હ્ય્દય સુધી પહોંચેલાં હોવાથી, તેના થડને હલાવવાને કોઈ સમર્થ નથી. ગમે તેવા જોરદાર, તોફાની પવનથી તે હાલે તેમ નથી.

માણસની મજૂરીની જગ્યા લઈ લઈ તેને નકામી બનાવે અને સત્તાને થોડા લોકોના હાથમાં એકઠી કરી આપે, તેવાં યંત્રોને આ ચિત્ર-

માં સ્થાન નથી. સુસંસ્કૃત માનવી સમાજકુટુંબમાં મજૂરીનું સ્થાન અનન્ય

છે. જે યંત્ર હરેક વ્યક્તિને સહાયરૂપ થાય, તેને અહીં સ્થાન છે. પણ,

મારે કબૂલ કરવું જોઈએ કે, આવું યંત્ર કેવું હોય, અથવા હોવું જોઈએ, તેનો વ્યવસ્થિત વિચાર કરવા હું કદી બેઠો નથી. સિંગરના સીવવાના સંચાનો મેં વિચાર કર્યો છે, પરંતુ તે પણ ઉપરચોટિયો અથવા કામ-ચલાઉ

કે તૂટક જ કહેવાય. મારું ચિત્ર પૂરું કરવાને હમણાં જ એ વિચાર કરવા બેસવાની જરૂર નથી. ૧

જ્યારે પંચાયતરાજ થશે ત્યારે પંચ બધું કરાવી લેશે. જમીનદાર, પૂંજીપતિ કે રાજા પોતાની તાકાત ત્યાં લગી જ નભાવી શકે જ્યાં લગી

પ્રજા પોતાની તાકાત નથી ઓળખતી, લોક રૂઠે તો રાજા વગેરે શું કરી શકે? પંચના રાજ્યમાં પંચ બધું પોતાના કાયદા વડે કરાવી લેશે. ૨

પ્રકરણ છવ્વીસમું

ગ્રામોધોગો

ગામડાંના ઉધોગોનો લોપ થાય તો હિંદુસ્તાનનાં સાત લાખ

ગામડાં ની પાયમાલી અધૂરી રહી હોય તો પૂરી થઈ જાય.

ગ્રામોધોગો વિષે મેં જે યોજનાની રૂપરેખા આપી છે તેના પર દૈનિક પત્રોમાં ટીકાઓ થઈ છે તે મેં વાંચી છે. કેટલાકે મને એવી સલાહ આપી છે કે મનુષ્યની શોધકબુદ્ધિએ કુદરતની જે શક્તિઓને તાબે કરી છે તેનો ઉપયોગ કરવામાં આવે એમાં જ ગામડાંની મુક્તિ રહેલી છે.

ટીકાકારો કહે છે કે પ્રગતિમાન પશ્ચિમમાં જેમ પાણી, હવા, તેલ અને વીજળીનો પૂરેપૂરો ઉપયોગ થાય છે તેમ આપણે પણ કરવો જોઈએ. તેઓ કહે છે કે આ ગૂઢ કુદરતી શક્તિઓ પર કાબૂ મેળવવાથી દરેક અમેરિકનમ

તેત્રીસ ગુલામો રાખી શકે છે, એટલે કે તેત્રીસ ગુલામ પાસેથી મળે એટલું કામ આ શક્તિઓ પાસેથી લઈ શકે છે.

એ રસ્તે હિંદુસ્તાનમાં ચાલીએ તો હું બેધડકપણે કહું છું કે દરેક

માણસને તેત્રીસ ગુલામ મળવાને બદલે આ દેશના એકએક માણસની ગુલામી તેત્રીસ ગણી વધશે. જે કામ કરવા ધાર્યું હોય તેને માટે પૂરતા

માણસો ન હોય ત્યારે એ કામ સંચાથી લેવું એ સારું છે પણ જેમ

હિંદુસ્તાનમાં છે તેમ કામને માટે જોઈએ તે કરતાં વધારે માણસો પડેલાં હોય ત્યારે સંચા વાપરવાથી નુકસાન છે. થોડાક ચોરસવાર જમીનના ટુકડા

માટે હું હળ ન વાપરું. આપણાં ગામડાંમાં ઊભરાઈ જતાં કરોડો માણસોને

શ્રમની ચક્કીમાંથી ફુરસદ કેમ અપાવવી એ સવાલ આપણે ત્યાં નથી.

આપણી સામે તો સવાલ એ છે કે એમને વરસમાં છ મહિના જેટલો વખત પરાણે આળસમાં ગાળવો પડે છે એ વખતનો ઉપયોગ કેવી રીતે કરવો.

કેટલાકને સાંભળીને વિચિત્ર લાગશે, પણ હકીકત એ છે કે એકએક મિલ

ગામડાંની પ્રજાને ભયરૂપ છે, ને તેની રોજી પર તરાપ મારનાર છે. મેં

આંકડા ઝીણવટથી ગણ્યા નથી, પણ એટલું તો કહી જ શકાય કે ગામડાંમાં બેસીને ઓછામાં ઓછા દસ મજૂરો જે કામ કરે છે તેટલું ત કામ મિલનો એક મજૂર કરે છે. બીજા શબ્દમાં કહીએ તો ગામડાના દસ માણસની રોજી

છીનવીને આ એક માણસ ગામડામાં કમાતો તેના કરતાં વધારે કમાય છે.

આમ કાંતવાની ને વણવાની મિલોએ ગામડાંના લોકોનું ગુજારાનું એક મોટું સાધન છીનવી લીધું છે. એ મિલો વધારે સારું ને સોંઘું કપડું તૈયાર કરતી જ હોય તોયે એ કંઈ ઉપલી દલીલનો જવાબ નથી. કેમ કે એ મિલોએ જો હજારો મજૂરોનો ઉધોગ છીનવી લઈ તેમને બેકાર બનાવ્યા હોય તો સોંઘામાં સોંઘું મિલ-કાપડ ગામડાંમાં વણાયેલી મોંઘામાં મોંઘી ખાદી કરતાં

મોંઘું છે. કોલસાની ખાણમાં કામ કરનાર મજૂર જ્યાં વસે છે ત્યાં જ કોલસાનો ઉપયોગ કરી શકે છે, એટલે એને કોલસા મોંઘા પડતા નથી. એ જ રીતે જે ગ્રામવાસી પોતાના ખપપૂરતી ખાદી બનાવી લે છે તેને તે મોંઘી પડતી નથી. પણ જો મિલામાં બનેલું કાપડ ગામડાંનાં માણસોને બેકાર બનાવે છે, તો ચોખા ખાંડવાની ને આટો દળવાની મિલો બજારો સ્ત્રીઓની રાજી છીનવી લે છે, એટલું જ નહીં પણ સાટે આખી પ્રજાના આરોગ્યને હાનિ પહોંચાડે છે. જ્યાં લોકોને માંસાહાર કરવાનો વાંધો ન હોય ને એ આહાર પોસાતો હોય ત્યાં મેંદાથી અને પૉલ્શ કરેલવા ચોખાથી કદાચ કંઈ

નુકસાન ન થતું હોય;પણ હિંદુસ્તાનમાં જ્યાં કરોડો માણસો એવાં છે જેમને

માંસ મળે તો તે ખાવામાં વાંધો નથી પણ જેમને માંસ જોવા મળતું નથી, ત્યાં તેમને આખા ઘઉંનો આટો પૉલિશ કર્યા વિનાના હાથે ખાંડેલા ચાખામાં રહેલાં પૌષ્ટિક અને ચેતનદાયી તત્વો ન મળવા દેવાં એમાં પાપ છે. હવે તો ડૉકટરોએ અને બીજાઓએ મળીને લોકોને મેંદો અને પૉલિશ કરેલા સંચે ખાંડેલા ચોખા વાપરવાથી થતા નુકસાનનું ભાન કરાવવુમ જોઈએ.

મેં આ કેટલીક મોટી સહેજે નજરે ચડે એવી વાતો તરફધ્યાન ખેચ્યું છે તે એમ બતાવવા માટચે કે ગ્રામવાસીઓને કામ આપવું હો. તો તે યંત્રો વાટે ન બની શકે; પણ તેઓ અત્યાર સુધી જે ઉધોગો કરતા આવ્યા છે તેને સજીવન કરવા એ જ એનો સાચો રસ્તો છે. ૧

ગ્રામોધોગની યોજનાની પાછળ કલ્પના તો એ છે કે આપણે રોજની જરૂરિયાતો ગામડાંમાં બનેલી ચીજોથી પૂરી પાડવી જોઈએ; અને જ્યારે એમ જણાય કે અમુક ચીજો તો ગામડાંમાં મળતી જ નથી, ત્યારે આપણે જોવું જોઈએ કે એ ચીજો થોડીક મહેનત અને સંગઠનથી ગામડાંના

માણસો બનાવી શકે ને એમાંથી કંઈ નફો કરી શકે એમ છે કે નહીં.

નફાનો અંદાજ કાઢવામાં આપણે પોતાનો નહીં પણ ગ્રામવાસીનો ખ્યાલ

રાખવો જોઈએ. એમ બને કે શરૂઆતમાં આપણે સામાન્ય ભાવ કરતાં જરાક વધારે આપવું પડે અને બદલામાં હલકી ચીજ મળે. પણ જો આપણે એ ચીજો બનાવી આપનાર માણસના કામમાં રસ લેતા થઈશું, એ માલ

સુધારે એવો આગ્રહ રાખીશું, અને એને એ સુધારવામાં મદદ કરીશું તો એ

ચીજો જરૂર સુધરશે. ૨

હું કહું કે ગામડાંનો નાશ થશે તો હિંદુસ્તાનનો પણ નાશ થશે.

પછી એ હિંદુસ્તાન નહીં રહે. જગતમાં એનું જે વિશિષ્ટ કાર્ય છે તે લુપ્ત થઈ જશે. ગામડું સજીવન ત્યારે જ થાય જ્યારે એનું શોષણ થતું અટકે.

વિશાળ ઉધોગોની સાથે હરીફાઈ અને ખપતના પ્રશ્નો આવશે એટલે ગ્રામવાસીઓનું સીધું કે આડકતરું શોષણ થયા વિના નહીં જ રહેવાનું.

તેથી અમારે ગામડાંને સ્વાવલંબી, સ્વયંપૂર્ણ બનાવવામાં બધી શક્તિ વાપરવાની છે, ને મોટે ભાગે જે ચીજો વાપરવાની હોય તે જ બનાવવાની છે. ગ્રામોધોગનું આ રૂપ જળવાઈ રહે તો ગ્રામવાસીઓ પોતે બનાવીને વાપરી શકે એવાં આધુનિક યંત્રો અને ઓજારો વાપરે એમાં કશો વાંધો નથી. માત્ર એ બીજાને ચૂસવાનાં સાધન તરીકે ન વાપરવાં જોઈએ. ૩

આપણે ગામડાંમાં વસતું હિંદ જે ભારતવર્ષના જેટલું જ પ્રાચીન છે તેની વચ્ચે અને શહેરો કે જે વિદેશી સત્તાએ ઊભી કરેલી સૃષ્ટિ છે તેની વચ્ચે પસંદગી કરવી રહી છે. આજે શહેરો ગામડાં પર સત્તા ચલાવી રહ્યાં છે અને તેને ચૂસી રહ્યાં છે. પરિણામે ગામડાં નાશ પામતાં જાય છે. મારું ખાદી-માનસ મને એમ સૂચવે છે કે એ વિદેશી સત્તાના અસ્ત સાથે શહેરોએ પણ હિંદના ગામડ.ાંની સેવાના વાહનરૂપ બનવું પડશે. ગામડાંની

ચૂસ એ જ મોટી સંગઠિત હિંસા છે. જો આપણે અહિંસાની ભૂમિકા ઉપર સ્વરાજ્યની રચના કરવી હોય તો આપણે ગામડાંઓને તેમનું યોગ્ય સ્થાન પાછું આપ્યે જ છૂટકો છે. ૪

ખાદી

મારે મન ખાદી હિંદુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર્‌ય ને સમાનતાનું પ્રતીક છે અને તેથી જવાહરલાલના કાવ્યમય શબ્દોમાં કહું તો ‘હિંદની આઝાદીનો પોશાક છે’.

વળી ખાદી-માનસનો અર્થ થાય છે જીવનની જરૂરિયાતોની પેદાશ તેમ જ વહેંચણીનું વિકેન્દ્રીકરણ. તેથી આજ સુધીમાં જે સિદ્ધાંત ઘડાયો છે તે એ છે કે દરેકેદરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી

લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાત પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી.

મોટા ઉધોગો તો અલબત એકકેન્દ્રી તેમ જ રાષ્ટ્રને હસ્તક રાખવા પડશે. પણ આખું રાષ્ટ્ર મળીને જે વિરાટ આર્થિક પ્રવૃતિ ગામડાંઓમાં

ચલાવશે તેનો આ તો નજીવો ભાગ રહેશે.

ખાદીની બનાવટમાં આટલી બાબતો આવેછે : કપાસ ઉગાડવો, કપાસ પણવો, તેને ઝૂડવો, સાફ કરવો ને લોઢવો, રૂ પીંજવું, પૂણીઓ બનાવવી, કાંતવું, સૂતરની પવાયત કરવી કે તેને કાંજી પાવી, સૂતરને રંગવું, તેનો તાણો પૂરવો ને વાણો તૈયાર કરવો, વણાટ અને ધોલાઈ.

આમાંથી રંગાટી કામ સિવાયનાં બાકીનાં બધાં કામો ખાદીને અંગે જરૂરી તેમ જ મહત્ત્વનાં છે, ને કર્યા વિના ચાલે તેવાં નથી. એમાંનું એકએક કામ

ગામડાંઓમાં સારી રીતે થઈ શકે તેવું છે; અને હકીકતમાં અખિલ ભારત

ચરખા સંઘ હિંદભરનાં જે અનેક ગામડાંઓમાં કાર્ય કરે છે તે બધાંમાં એ કામો આજે ચાલુ છે.

ગામડાંઓમાં ચાલતા અનેક ઉધોગો પૈકીના આ મુખ્ય ઉધોગનો અને તેની આજુબાજુ વીંટળાયેલા હાથકારીગરીના અનેક ધંધાઓના વગર વિચારે ને ફાવે તેમ તેમ જ નિર્દયપણે નાશ કરવામાં આવ્યો ત્યારથી આપણાં ગામડાંઓમાંથી બુદ્ધિ ને નૂર ઊડી ગયાં, તે બધાં ઝાંખાં ને ચેતન વગરનાં થઈ ગયાં, અને તેમની દશા તેમનાં પોતાનાં ભૂખે મરતાં ને દૂબળાં ઢોર જેવી થઈ ગઈ. ૫

બીજા ગ્રામોધોગો

ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી

મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઉધોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉધોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરૂપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ

બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરૂરી તેમ જ મહત્ત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપૂર્ણ નહીં થાય; એટલે કે તે સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાંનો વતની હશે અથવા ગામડે જઈને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક

હિંદીએ જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઈએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિષે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચમની નકલ-માં મળતી સંચામાં વનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું. ૬

કંપોસ્ટ ખાતર

હિંદુસ્તાનના લોકો સ્વેચ્છાપૂર્વક સહકાર આપે તો આ દેશ, અનાજની તંગી નાબૂદ કરી શકે એટલું જ નહીં પણ હિંદુસ્તાનની જરૂરિયાત કરતાં વધારે ખોરાક પેદા કરી શકે. જીવતું ન્મિશ્ર ખાતર જમીન-ને હમેશાં ફળદ્રુપ બનાવે છે. એનાથી જમીનના રસકસ કદી ઘટતા નથી. રોજરોજનાં

મળમૂત્રનો મિશ્ર ખાતર બનાવવામાં બરોબર ઉપયોગ કરવામાં આવે તો એમાંથી સોના જેવું ખાતર જમીન માટે મળી રહે છે, જેથી કરોડો રૃપિયાનો બચાવ થાય છે અને અનાજ અને કઠોળનું એકંદરે ઉત્પન્ન અનેકગણું વધે છે. આ ઉપરાંત મળને ખાતર તરીકે ઉપયોગમાં લેવાથી આજુબાજુના વિસ્તારો સ્વચ્છ રહે છે. અને સ્વચ્છતા-માં પવિત્રતા છે, એટલું જ નહીં, તે સ્વાસ્થ્યને પોષક છે. ૭

ચામડાં કેળવવાનો ઉધોગ

ગામડાંમાં ચામડાં કેળવવાનો ધંધો ભારતવર્ષના જેટલો જ પ્રાચીન છે. ચામડાં કેળવવાનો ધંધો હલકો ક્યારથી ગણાવા લાગ્યો એ કોઈ કહી નહીં શકે. પ્રાચીન કાળમાં તે હલકો નહીં જ ગણાતો હોય. પણ આજે આપણે જાણીએ છીએ કે આ ધંધો જે સૌથી ઉપયોગી અને અનિવાર્ય એવા ધંધામાંનો એક છે, તે કરનાર દસેક લાખ માણસને વંશપરંપરાના અસ્પૃશ્ય

બનાવી દેવામાં આવ્યા છે. જે દિવસે મજૂરી પ્રત્યે લોકોને તિરસ્કાર પેદા થયો ને તેથી તેની ઉપેક્ષા થવા લાગી તે દિવસે આ અભાગી દેશની દુર્દશા બેઠી. જે કરોડો લોકો દેશના હીર સમા હતા, ને જેમના ઉધમ પર આ દેશની જિંદગી જ ટકી રહેવાનો આધાર હતો તે નીચ વર્ણના ગણાવા

લાગ્યા, અને ખોબા જેટલા નવરા બેઠાડુ લોકો ઊંચ વર્ણ થઈ બેઠા. એનું

માઠું પરિણામ એ આવ્યું કે ભારતવર્ષની નીતિ ને સંપત્તિ બંને પાયમાલ

થઈ ગયાં. એ બે પાયમાલી-માં મોટી કઈ હતી એની અટકળ બાંધવી અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ. પણ ખેડૂતો અને કારીગરો વિષે બેદરકારી રાખવાનો ગુનો આપણે કર્યો તેને લીધે આપણે ભિખારી થઈ

ગયા, આપણી બુદ્ધિ જડ થઈ ગઈ, અને આપણામાં આળસે ઘર ઘાલ્યું.

ભારતવર્ષમાં સુંદરઆબોહવા છે, અદ્‌ભૂત સૃષ્ટિસૌન્દર્ય છે, ઊંચા પહાડો,

પ્રચંડ નદીઓ અને વિશાળ સમુદ્રકાંઠો ઈશ્વરે ભારતવર્ષને આપ્યાં છે. અહીં

કુદરતે રિધ્ધિસિદ્ધિના એટલા તો ભંડાર ભર્યા છે કે આ દેશનાં ગામડાંમાં એ બધાનો પૂરો ઉપયોગ થતો હોય તો દારિધ અને રોગ પેસવા જ નામ્યાં હોત. પણ આપણે ત્યાં બુદ્ધિ ને અંગમહેનત વચ્ચે વેર બંધાયું તેને લીધે આપણી આવરદા દુનિયાના બધા દેશોમાં ઓછામાં ઓછી થઈ ગઈ, આપણી બુદ્ધિ મંદમાં મંદ બની ગઈ, અને આખા જગતમાં કોઈ દેશ નથી

ચુસાતો એટલા આપણે ચુસાઈ રહ્યા છીએ. આપણાં ગામડાંના ચામડાં કેળવવાના ઉધોગની દુર્દશા એ કદાચ મેં મૂકેલા આરોપનો સૌથી સચોટ પુરાવો ગણી શકાય.

આજે હિંદુસ્તાનમાંથી દર વરસે નવ કરોડ રૂપિયાનું કાચું ચામડું પરદેશ ચડે છે, અને એમાંનું ઘણું તૈયાર માલ રૂપે આ દેશમાં પાછું આવેછે. આનો અર્થ એ છે કે આપણી સંપત્તિ જ નહીં પણ બુદ્ધિ પણ શોષાઈ રહી છે. ચામડાં કેળવવામાં અને રોજના વાપર માટે કેળવાયેલા

ચામડાની અગણિત ચીજો બનાવવામાં આપણને જે તાલીમ મળવી જોઈએ તે મેળવવાની તક આપણે ગુમાવીએ છીએ.

અહીં સો ટકા સ્વદેશીના પ્રેમીને માટે કામ પડેલું છે, અને એક

મહાપ્રશ્ન ઉકેલવામાં શાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનો અવકાશ રહેલો છે.

આ એક કામથી ત્રણ અર્થ સરે છે. એથી હરિજનોની સેવા થાય છે, ગ્રામવાસીઓની સેવા થાય છે, અને મધ્યમ વર્ગના જે બુદ્ધિશાળી લોકો રોજગારીની શોધમાં હોય તેમને આબરૂભેર કમાણી કરવાનું સાધન મળે છે.

વળી બુધ્યધિશાળી લોકોને ગામડાંની પ્રજાના સીધા સંસર્ગમાં આવવાની સુંદર તક મળે છે એ લાભ તો જુદો જ. ૮

આરંભ કેમ કરવો ?

કેટલાક સજ્જનો કાગળ લખીને, અને કેટલાક મિત્રો મળીને મને પૂછે કે, ‘અમારે ગ્રામોધોગના કામનો આરંભ કેવી રીતે કરવો, ને સૌથી પહેલાં શું કરવું ?’

ચોખ્ખો જવાબ તો એ છે કે ‘તમારી જાતથી આરંભ કરો,ને તમારે માટે જે વસ્તુ સહેલામાં સહેલી હોય તે પહેલી કરો.’

પણ આ જવાબથી પૂછનારાઓને સંતોછ થતો નથી. તેથી હું વધારે સ્પષ્ટતાથી વાત કરું.

દરેક માણસ પોતાના ખોરાકની ચીજો, વસ્ત્રો, અને રોજના વાપરની બીજી બધી વસ્તુઓ તપાસે; અને એમાં જે પરદેશની કે શહેરની બનાવટની હોય તે તજીને ગ્રામવાસીઓએ તેમનાં ધરમાં કે ખેતરમાં તેમનાં સાદાં ને સહેજે વાપરી ને સુધારી શકાય એવાં ઓજારો વડે બનાવી હોય

એવી વસ્તુઓ વાપરે. આ. પરિવર્તન કરવામાં જ એને ઘણી કીમતી કેળવણી મળી રહેશે, અને એ સંગીન શરૂઆત થશે.

આ પછીનું પગથિયું તેને આપોઆપ જડી જશે. દાખલા તરીકે, આ આરંભ કરનાર આજ સુધી મુંબઈના કારખાનામાં બનેલું ટૂથબ્રશ વાપરતો હોય. તેને બદલે એને હવે ગામડાંમાં બનેલી વસ્તુ વાપરવી છે.

તેને સલાહ આપવામાં આવે છે કે તેણે બાવળનું દાતણ વાપરવું. તેના દાંત નબળા હોય કે પડી ગયા હોય તો દાતણને એક ગોળ પથરા-થી કે હથોડીથી કૂટીને તેનો કૂચો બનાવે. બીજા છેડા પર ચપ્પુથી કાપ મૂકી રાખે. પછી બે ચીર થાય તેના વતી તે ઊલ ઉતારે. કારખાનામાં બનેલાં અતિશય મેલાં ટૂથબ્રશને બદલે આ દાતણ તેને સસ્તાં ને બહુ જ ચોખ્ખાં

લાગશે. શહેરમાં બનેલા ટૂથપાઉડરને બદલે કોલસાની ઝીણી ચાળેલી ભૂકી અને ચોખ્ખા મીઠાનું સરખે ભાગે મિશ્રણ કરીને તે વાપરશે. તે મિલનું કપડું છોડીને ગામડાંમાં હાથે કાંતી-વણીને તૈયાર થયેલી ખાદી વાપરશે; મિલના ખાંડેલા ચોખાને ઠેકાણે હાથના ખાંડેલા, અણછડ ચોખા, અને ખાંડને ઠેકાણે ગોળ ખાશે.

આ તો પત્રમાં જે વસ્તુઓ બતાવાઈ ચૂકી છે તેમાંથી મેં માત્ર દ્રષ્ટાંતો આપ્યાં છે. એ ગણાવવામાં મારો ઉદ્દેશ આ પ્રશ્નને મારી સાથે

ચર્ચનારાઓએ જણાવેલી મુશ્કેલીઓની ચર્ચા કરવાનો પણ છે. ૯

પ્રકરણ સત્તાવીસમુુંં

કૉગ્રેસના પ્રધાનોનું કર્તવ્ય

હવે, હાથમાં અધિકાર આવ્યો છે ત્યારે કૉંગ્રેસ પ્રધાનો ખાદી ને ગ્રામોધોગને ઉત્તેજન આપવા સારુ શું કરવાના છે, એવો પ્રશ્ન વાજબી ગણાય. સ્વતંત્ર પ્રધાન નીમીએ કે ન નીમીએ, તોયે આ કામને સારુ

અલગ ખાતું ખોલાવાની જરૂર તો છે જ. અન્નવસ્ત્રની તંગીના આજના દિવસોમાં આવું ખાતું ઉપયોગી નીવડે. અ. ભા. ચ. સંઘ અને અ. ભા.

ગ્રા. સંઘ મારફતે પ્રધાનોને નિષ્ણાતોની મદદ મળતી રહેશે. પ્રમાણમાં જૂજ

મૂડી રોકી ટૂંક સમયમાં હિંદની આખી પ્રજાને ખાદી પહેરાવી શકાય તેમ

છે. દરેક પ્રાંતિક સરકાર દેહાતી એટલે કે ગામડાંમાં રહેનારા લોકોને કહે કે, તમારે જોઈતી ખાદી તમે જાતે પેદા કરી લો. આથી આપોઆપ જ સ્થાનિક ઉત્પત્તિ અને વહેંચણીને વેગ મળશે. ગામડાંની જરૂરિયાત પૂરી પાડ્યા પછી થોડી ખાદી જરૂર બચશે. તે કંઈક અંશે શહેરની ગરજ પૂરી પાડી શકશે અને તેથી સ્થાનિક મિલો પરનો બોજો હળવો થશે. પછી દુનિયામાં જ્યાં જ્યાં કાપડની તંગી છે ત્યાં આપણી મિલોનું કાપડ મોકલી શકાશે.

આ બધું શી રીતે થઈ શકે ?

સરકારે ગામડાંમાં વસનારાઓને જાહેરાત કરીને જણાવવું કે અમુક તારીખની અંદર સૌ સૌના ગામને જોઈતી ખાદી પેદા કરી લો. તે તારીખ

પછી તમને બહારથી કાપડ પૂરું પાડવામાં નહીં આવે. સરકારે તેમને જોઈતા કપાસિયા કે રૂ પડતર ભાવે આપવું, તેમ જ પાંચ કે તેથી અધિક વર્ષમાં વસૂલ થઈ શકે તે રીતે પડતર ભાવે ઉત્પત્તિનાં સાધનો પણ પૂરાં પાડવાં. જ્યાં જરૂર જણાય ત્યાં શિક્ષકો મોકલવા અને પોતાની પેદાશમાંથી ગામની ગરજ પૂરી પડી રહે પછી જે બાકી રહે, તે ખરીદી લેવાનું સરકારે સ્વીકારવું. આમ કરવામાં આવે તો ઝાઝી ધાંધલ કે ઝાઝા વ્યવસ્થાખર્ચ વગર સહેલાઈથી કાપડની તંગી નાબૂદ થાય.

ગામડાંઓની તપાસ કરવી, અને ત્યાંના વપરાશ માટે અથવા બહારના વેચાણ સારુ સહેજે કે ઓછી મદદે શું શું બનાવી શકાય તેની યાદી તૈયાર કરવી, જેમ કે ઘાણૂનું તેલ, ખોળ, ઘાણીમાંથી કાઢેલું બાળવાનું તેલ, હાથછડના ચોખા, તાડગોળ, મધ, રમકડાં, સાદડી, હાથબનાવટના કાગળ, સાબુ વગેરે.

આમ કાળજીથી કરવામાં આવે તો, આપણાં મરવા વાંકે જીવી રહેલાં ગામડાંમાં નવું ચેતન આવશે. પોતાની અને હિંદુસ્તાનનાં શહેરોની જરૂરિયાતો પૂરી પાડવાની તેમની શક્તિ ખીલશે.

આ ઉપરાંત, આપણી અક્ષમ્ય બેપરવાઈને લઈને પીડાતી હિંદની બેસુમાર ગોધનસંપત્તિનો વિચાર કરવો ઘટે. એમાં ગોસેવા સંઘ પોતાના અધૂરા અનુભવથી પણ સારી પેઠે મદદ આપી શકશે.

બુનિયાદી તાલીમને અભાવે, ગ્રામવાસીઓને આજે કેળવણી

મળતી નથી. હિંદુસ્તાની તાલીમ સંઘ આ ખોટ પૂરી શકે. ૧

પ્રકરણ અઠ્ઠાવીસમું

ગ્રામ-પ્રદર્શનો

ગામડાં કેવળ ટકી ન રહે પરંતુ મજબૂત અને સમૃદ્ધ પણ બને એમ જો આપણે ઈચ્છતા હોઈએ અને માનતા હોઈએ તો તેને માટે ગ્રામદ્રષ્ટિ એ જ એકમાત્ર સાચી દ્રષ્ટિ છે. જો આ સાચું હોય તો આપણાં ગ્રામ-પ્રદર્શનામાં શહેરોના ભપકા અને ઠાઠ માટે કોઈ સ્થાન નથી. એમાં શહેરોના ખેલતમાશા કે બીજાં મનોરંજનોની પણ કંઈ જરૂર ન હોવી જોઈએ. ગ્રામ-પ્રદર્શન એ તમાશો ન બને; એ કમાણી માટેનું સાધન પણ ન બને. વેપારીઓના માલની જાહેરાતનું સાધન તો એ કદીય ન જ બનવું જોઈએ. ત્યાં કોઈ ચીજનું વેચાણ ન થવા દેવું જોઈએ. એટલે સુધી કે ખાદી કે ગ્રામોધોગની ચીજો પણ એમાં ન વેચાવી જોઈએ. ગ્રામ-પ્રદર્શન એ કેળવણીનું સાધન બનવું જોઈએ. એ આકર્ષક હોવું જોઈએ અને એ જોઈને ગ્રામવાસીને એક અથવા બીજો ગ્રામોધોગ અપનાવવાનું મન થાય એવું હોવું જોઈએ. આજના ગ્રામ-જીવનના તરી આપતા દોષો અને ઊણપો એમાં બતાવવાં જોઈએ અને એને દૂર કરવાનો ઉપાય પણ બતાવવો જોઈએ. ગ્રામ-સુધારણાનો વિચાર જ્યારથી પ્રચલિત થયો છે અને એનો અમલ કરવામાં આવ્યા છે ત્યારથી આજ સુધીમાં આ દોષો અને ઊણપો દૂર કરવામાં કેટલી સફળતા મળી છે એ પણ ત્યાં બતાવવું જોઈએ.

ગ્રામજીવનને કળાપૂર્ણ અને સુંદર કેવી રીતે બનાવાય એ પણ પ્રદર્શનમાં શીખવવું જોઈએ.

ઉપરની શરતો મુજબ ગ્રામ-પ્રદર્શન કેવું હોવું જોઈએ એ હવે જોઈએ.

૧. પ્રદર્શનમાં ગામોના બે નમૂનાઓ હોવા જોઈએ-એક આજના ગામડાનો નમૂનો અને બીજો સુધરેલા ગામડાનો નમૂનો. સુધરેલું ગામ આખું તદ્‌ન સ્વચ્છ અને સુધડ હશે. એનાં ધરો, એના રસ્તાઓ, એની આજુબાજુની જગ્યા અને એનાં ખેતરો બધું સ્વચ્છ હશે. ઢોરોની હાલત પણ સુધરવી જોઈએ. કયા ગ્રામોધોગોમાંથી વધારે આવક થાય છે અને તે કઈ રીતે એ બધું બતાવવા માટે પુસ્તકો, ચિત્રો અને નકશાઓનો ઉપયોગ કરવો જોઈએ.

૨. જુદા જુદા ગ્રામોધોગો કેવી રીતે ચલાવવા, એને માટેનાં જરૂરી ઓજારો ક્યાંથી મેળવવાં અને કેવી રીતે બનાવવાં વગેરે પ્રદર્શનમાં બતાવવું જોઈએ. દરેક ઉધોગની બધી જ પ્રક્રિયા પ્રત્યક્ષ બતાવવામાં આવે.

એની સાથે સાથે નીચેની બાબતોને પણ પ્રદર્શનમાં સ્થાન આપવું જોઈએઃ (ક) ગામડાનો આદર્શ ખોરાક

(ખ) ગ્રામઉધોગો અને યંત્રઉધોગોની સરખામણી (ગ) પશુપાલનનો પ્રત્યક્ષ પાઠ

(ઘ) કળા વિભાગ

(ડ.) ગામડાના પાયખાનાનો નમૂનો

(ચ) ખાતર અને રાસાયણિક ખાતર

(છ) ઢોરનાં ચામડાં, હાડકાં વગેરેના ઉપયોગ (જ) ગ્રામ-સંગીત, જુદી જુદી જાતનાં ગ્રામ-વાજિંત્રો, ગ્રામનાટકો (ઝ) ગામડાની રમતગમતો, ગામડાના અખાડાઓ અને જુદી જુદી કસરતો

(ગ) નઈ તાલીમ

(ટ) ગામડાનાં દવાદારૂ

(ઠ) ગામડાનું પ્રસૂતિ-ગૃહ

ઉપર બતાવેલા ધોરણને અનુસરીને આ યાદીને હજી લંબાવી શકાય. મેં અહીં જે કંઈ સૂચવ્યું છે તે ઉદાહરણ તરીકે જ સૂચવ્યું છે. આને સંપૂર્ણ કે સર્વગ્રાહી માની ન લેવું જોઈએ. મેં ચરખા અને બીજા ગ્રામઉધોગોનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે તે તો આવી જ જાય એમ માની

લીધું છે. એ ન હોય તો પ્રદર્શન તદ્‌ન નકામું ગણાય. ૧

પ્રકરણ ઓગણત્રીસમું

રેંટિયાનું સંગીત

હું પ્રત્યંક તાર કાંતતાં હિંદુસ્તાનના કંગાલોનું ચિંતન કરું છું.

હિંદુસ્તાનના કંગાલ લોકોનો ઈશ્વર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે; પછી

મધ્યમ વર્ગ અથવા તો ધનિક વર્ગ ઉપર તો શેનો જ હોય ? જેના પેટમાં ભૂખ છે અને જે તે ભૂખ મટાડવા ઈચ્છે છે તેનું તો પેટ જ પરમેશ્વર છે.

જે માણસ તેને રોટીનું સાધન આપશે એ તેનો અન્નદાતા બનશે, અને તેની

મારફત એ ઈશ્વરનું દર્શન પણ કદાચ કરશે. આ માણસોને હાથપગ હોવા છતાં કેવળ અન્નદાન કરવું એ તો પોતે જ દોષમાં પડી તેઓને પણ દોષિત કરવા બરોબર છે. તેમને કંઈક પણ મજૂરી મળવી જોઈએ. કરોડોની મજૂરી તો રેંટિયો જ હોઈ શકે.. કાંતવાની ક્રિયાને હું તપશ્ચર્યા અથવા યજ્ઞરૂપ ઓળખાવું છું. અને જ્યાં ગરીબોનું શુદ્ધ ચિંતન છે ત્યાં ઈશ્વર છે જ એમ

માનતો હોવાથી પ્રત્યેક તાંતણઁ હું ઈશ્વરને જોઈ શકું છું. ૧

મને ખાતરી છે કે હાથકાંતણ અને હાથવણાટને સજીવન કરવામાં આવે તો તે હિંદના આર્થિક અને નૈતિક નવનિર્માણમાં મોટામાં મોટો ફાળો આપશે. કરોડોની ખેડૂત વસ્તીને ખેતીની આવકમાં પુરવણી કરવા કોઈ

સાદો ઉધોગ આપવો જોઈએ. વરસો પહેલાં કાંતણ આવો ગૃહઉધોગ હતો, અને કરોડોને ભૂખમરામાંથી બચાવવા હોય તો તેમને પોતાના ઘરમાં રેંટિયો ફરીથી દાખલ કરવામાં મદદ કરવી જોઈએ અને દરેક ગામે ફરીથી વણકરને વસાવવો જોઈએ. ૨

લોકો માટે વધારેમાં વધારે સ્વીકાર્ય અને અનુકૂળ ક્ષમયજ્ઞ તરીકે

મને રેંટિયો જ સૂઝે છે. આપણે બધા એક કલાક માટે ગરીબોને જે મજૂરી કરવી પડે છે તે કરીએ અને એ રીતે તેમની સાથે તથા તેમની મારફત સમગ્ર માનવજાત સાથે એકતા સાધીએ એના કરતાં વધારે ઉમદા કે વધારે રાષ્ટ્રીય બીજું કંઈ હું કલ્પી શકતો નથી. ઈશ્વરને નામે મારે ગરીબોને માટે તેમની માફક મજૂરી કરવી જોઈએ. એનાથી વધુ સારી ઈશ્વરપૂજા હું કલ્પી શકતો નથી. રેંટિયો દ્વારા દુનિયાની દોલતની વધુ ન્યાયી વહેંચણી થાય છે.

આ દેશના દારિધ્ર દુઃખના પ્રશ્નનો ઉકેલ અત્યંત સ્વાભાવિક રીતે, સહેલાઈથી, બહુ ખર્ચમાં ઊતર્યા વિના ને વહેવારની રીતે લાવી આપવાનું

માન રેંટિયાને જ મળવાનું છે, એ મારો દાવો છે...રટિયો નિરુ-પયોગી તો નથી જ, પણ તે દરેક ઘરની આવશ્યક ને જેના વિના ન ચલાવી શકાય

એવી ઘરવખરી છે. દેશની બરકતનું ને દેશની મુક્તિનું તે ચિહ્ન છે.

દુનિયાના દેશોને દ્વેષનો નહીં પણ પ્રીતિનો ને સ્વાશ્રયનો સંદેશો તેના મીઠા ગંભીર સૂરથી તે સંભળાવે છે. જગતની શાંતિમાં ભંગાણ પાડનાર દરિયાઈ

કાફલાના અંગરક્ષકની તેને જરૂર નથી. કરોડોના એક એટલા દઢ નિશ્ચયની જ તેને જરૂર છે, કે અમારા જ ઘરમાં આજે જેમ અમે અમારા કુટુંબ માટે અન્ન રાંધી લઈએ છીએ તેમ અમારા જ ઘરમાં અમે અમારા કુટુંબને માટે સૂતર કાંતી લઈશું. મારી ઘણી ભૂલચૂકોને માટે હું ભવિષ્યની પ્રજાના શાપને પાત્ર ભલે હોઉં, પણ રેંટિયાને સજીવન કરવાની સલાહ આપવા સારુ તો તેઓ મને આશિષ જ આપશે અવો મારો અચળ વિશ્વાસ છે.

આના ઉપર મારું સર્વસ્વ હુ વારી જાઉં છું. કેમ કે રેંટિયાને આંટે આંટે શાંતિના ને પ્રીતિના ને બંધુભાવના તાર કંતાય છે. અને એ સાથે જ, જેમ

તેના નાશથી હિંદની ગુલામી આવી તેમ તેનું સ્વેચ્છાપૂર્વક પુનર્જીવન

હિંદુસ્તાનને મુક્તિ પણ આપશે જ. ૪

રેંટિયાનો દાવો છે કે,

૧. જેમને નવરાશ છે અને થોડા પૈસાની જરૂર છે તેમને તે તરત ધંધો આપે છે.

૨. કાંતતાં હજારોને આવડે છે.

૩. સહેલાઈથી શીખી શકાય છે.

૪. તેમાં મૂડી રોકવી પડતી નથી.

૫. તે સહેલાઈથી અને સસ્તો બનાવી શકાય છે. ઘણાને ખબર નહીં હોય કે વાંસની સળી ને નળિયાના કટકા વડે કાંતી શકાય છે.

૬. લોકોને તેના પ્રત્યે અરૂચિ કે વિરોધ નથી.

૭. દુકાળ કે અછતના સમયમાં તે તાત્કાલિક રાહત આપે છે.

૮. પરદેશી કાપડ ખરીદવામાં જે સંપતિ હિંદ બહાર ઘસડાઈ જાય

છે તે રેંટિયો જ અટકાવી શકે.

૯. આ રીતે બચતા કરોડો રુપિયા ગરીબોમાં આપમેળે વહેંચાય

છે.

૧૦. આમાં થોડી પણ સફળતા મળે તો લોકોને તેટલા તાત્કાલિક

લાભ થાય છે.

૧૧. લોકોમાં સહકારની ભાવના ખીલવવા માટે એ જબરજસ્ત સાધન છે. ૫

એ’.......રેંટિયામાં આટલા બધા ગુણો હોય તો લોકોએ એને ઉપાડી કેમ નથી લીધો ?’એમ ટીકાકાર પૂછે છે. સવાલ વાજબી છે. જવાબ પણ સીધો છે. રેંટિયાનો સંદેશ તદ્‌ન નિરાશ થઈ બેઠેલા, નિરાધાર થઈ

બેઠેલા, અને કામ ન આપવામાં આવે તો કામ વિના ભૂખે મરવાનું પસંદ

કરનારા લોકોને બારણે લઈ જવાનો છે. પહેલાં આ સ્થિતિ ન હતી, પણ

લાંબા સમયની બેપરવાઈને લીધે આળસુપણું તેમના હાડમાં ભરાઈ બેઠું છે.

એ આળસ તો ચારિત્રવાન અને ઉધોગી માણસ તેમની આગળ જઈને રેંટિયો ચલાવે અને તેને રસ્તો બતાવે તો જ ઊડી શકે.

બીજી મુશ્કેલી ખાદી માટે તુરત બજાર નથી મળી શકતું તે બતાવવામાં આવે છે.

હું કબૂલ કરું છું કે હાલતુરત ખાદી મિલનાં કપડાં સાથે હરીફાઈ ન કરી શકે. એવી ઘાતક હરીફાઈમાં હું ઊતરું એમ નથી. મૂડીવાળો તો બજાર પોતાનું કરવાને પોતાનો કૅલિકો મફત પણ વેચે. પણ જેની એકમાત્ર મૂડી મજૂરી છે એવા મજૂર બિચારાને એ ન પાલવે. ગમે તેવા એકસરખી પાંદડીઓવાળા કાગળના કે કપડાંના ગુલાબની, અસરખી પાંદડીવાળા પણ સ્વાભાવિક જીવંત ગુલાબની સાથે સરખામણી થઈ શકશે?

ખાદી તો જીવંત વસ્તુ છે. પણ હિંદુસ્તાનને ખરી કળા દેખાતી નથી, અને ઉપરની ભભકથી એ મોહાય છે. ખાદીને માટે લોકોમાં નિર્દોષ શોખ ઉત્પન્ન કરો એટલે દરેક ગામડું રેંટિયા-સાળથી ગુંજી ઊઠશે તો ખાદી કાર્યાલયોને ખાદી ખપાવવાને માટે અનેક તરકીબો કરવી પડે છે, અને કોઈક વાર તેમની મતિ મૂંઝાય છે. આશ્ચર્યની વાત એ છે કે ભયંકર મુશ્કેલીઓ છતાં ખાદીની પ્રવૃતિ આગળ ધપી રહી છે.

આમ વધારાના ઉધોગ તરીકે વણવાના ઉધોગ વિરૂદ્ધ કાંતવાના ઉધોગના પક્ષમાં મારી દલીલ ટૂંકમાં મેં રજૂ કરી છે. પણ આનો કોઈ અનર્થ ન કરે. હાથસાળની હું વિદ્‌ર્ધ નથી. હાથસાળનો ધંધો મોટો ધીકતો ધંધો છે. પણ મારું કહેવું એ છે કે રેંટિયો ઘર-ઘર દાખલ થાય તો એ ધંધો આપોઆપ વધી જશે, જો રેંટિયો બંધ થાય તો એ ધંધો બંધ થશે. ૬

રેંટિયો મારે મન આમપ્રજાની આજ્ઞાનું પ્રતિક છે. આપણી પ્રજાએ તેની પાસે જે કંઈ સ્વતંજ્ઞતા હતી તે રેંટિયો ખોઈને ગુમાવી.રેંટિયો ગામડાંના ખેડૂતની ખેતીમાં પૂરણી રૂપ હતો અને એની ખેતીને મોભો આણતો. વિધવાનો એ મિત્ર ને વિસામો હતો. ગામડાંના દેહાતીને તે રોકાયંલો રાખતો ને આળસ-એદીપણાથી બચાવતો. કારણ રેંટિયા જોડે

લોઢાઈ, પીંજણ, તાણીવાણી, પવાયત, રંગકામ, વણાટ ઈત્યાદિ

આગળપાછળની તમામ ક્રિયાઓ આવતી. આને લીધે ગામડાંના સુતાર

લુહારને પણ કામ રહેતાં. રેંટિયો હિંદનાં સાત લાખ ગામડાંને સ્વયંપૂર્ણ રહેવામાં મદદ કરતો. રેંટિયો જતાં તેલઘાણી વગેરે બીજા ધંધા પણ ગયા.

આ ઉધોગોને સ્થાને નવું કશું ન આવ્યું. તેથી ગામડાંના અનેક-વિધ ધંધા, તેની પાછળની ગામડિયાઓની સર્જનશક્તિ અને એ ધંધાઓથી એમના ઘરમાં આવતું થોડુંધણું ધન, બધું સુકાઈ ગયું.

જો ગામડાંની પ્રજાને ફરી ટટાર કરવી હોય તો તેનો સૌથી સ્વાભાવિક માર્ગ એ જ છે કે રેંટિયો અને તેની આગળપાછળ રહેલા તમામ

વ્યવસાયોને સજીવન કરવા.

આવી નવરચના કરવા નિઃસ્વાર્થી, બુદ્ધિમાન, દેશભક્તિપરાયણ અને અનન્ય સંવાભાવથી રેંટિયાના સંદેશાને ગામેગામ ફેલાવીને ભાંગી ગયેલ ગામડાંને સજીવન કરવાના અને તેના દરિદ્રનારાયણોની નિસ્તેજ આંખોમાં અને તેમના હૈયાં આશાના કિરણનો ઉજાસ પૂરવાના સંકલ્પવાળા

હિંદીઓની સેના જોઈએ. આનું નામ જ વિશાળ પાયા પરની અને સાચા સ્વરૂપની સહકાર અને પ્રૌઢશિક્ષણ પ્રવૃતિ આમાંથી રેંટિયાના મૂંગા, નિશ્ચિત અને જીવનદાયી ફેરાના જેવી જ મૂંગી અને નિશ્ચિત ક્રાંતિની નીપજ થશે.

પ્રકરણ ત્રીસમુુંં

મિલઉધોગ

આજે આપણી મિલો આપણી જરૂરિયાત જેટલું સૂતર પેદા કરી શકે એમ નથી. અને એમ કરી શકે તેમ હોય તોપણ તેમને ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ ભાવ નીચા રાખશે નહીં. તેઓ ખુલ્લી રીતે કહે છે કે તેમનો ઉદ્દેશ પૈસા કમાવાનો છે એટલે તેઓ રાષ્ટ્રની જરૂરિયાત

પ્રમાણે ભાવોનું નિયમન કરશે નહીં. તેથી ગરીબ ગ્રામ-જનોના હાથમાં કરોડો રૂપિયા મૂકવા માટે હાથકાંતણની યોજના કરવામાં આવી છે. દરેક ખેતીપ્રધાન દેશને પોતાના ખેડૂતો ફુરસદના સમયનો ઉપયોગ કરી શકે તે

માટે કોઈ પૂરક ઉધોગની જરૂર પડે છે. ભારત માટે આ ઉધોગ હમેશાં કાંતણનો રહ્યો છે. જે પુરાણા ઉધોગના નાશને પરિણામે ગુલામી અને દારિધ આવ્યાં છે અને ભારતનાં વસ્ત્રોમાં સંપૂર્ણ-પણે વ્યક્ત થતી, દુનિયાને જેની અદેખાઈ આવે એવી અજોડ કલા-પ્રતિભા લુપ્ત થઈ છે તે ઉધોગને ફરી સજીવન કરવાનો પ્રયત્ન એ શું તરંગીઓનો આદર્શ છે ? ૧

મોટો મિલઉધોગ એ હિંદી ઉધોગ છે એવો દાવો સામાન્યપણે કરી શકાય ખરો. પણ, જાપાન અને લૅકેશાયરની સાથે ટકકર ઝીલવાની તેની શક્તિ છતાં, એ ઉધોગ જેટલે અંશે ખાદી ઉપર વિજય મેળવે છે તેટલે અંશે તે જનસમૂહનું શોષણ કરે છે અને એમના દારિધમાં વધારો કરે છે.

આખા દેશમાં જંગી યાંત્રિક ઉધોગો ઊભા કરી દેવાની આ જમાનાની ઘેલછામાં મારા વિચારને છેક જ ફેંકી દેવામાં ન આવ્યો હોય તોયે એને વિષે શંકા તો ઉઠાવવામાં આવી જ છે. એની સામે એમ કહેવામાં આવ્યું છે કે યાંત્રિક ઉધોગોની પ્રગતિને લીધે જનસમૂહ-નું દારિધ વધતું જાય છે એ વસ્તુ અનિવાર્ય છે ને તેથી સહન કર્યે છૂટકો છે. એ અનિષ્ટ સહન કરવા જેવું તો શું, એ અનિવાર્ય છે એમ પણ હું માનતો નથી. અખિલ

ભારત ચરખા સંઘે સફળતાપૂર્વક બતાવી આપ્યું છે કે પ્રજાની ફુરસદના સમયનો ઉરપયોગ જો કાંતણ અને તેના પહેલાંની ક્રિયાઓમાં કરવામાં આવે તો એટલાથી જ હિંદુ-સ્તાનને જોઈએ એટલું બધું કાપડ ગામડાંમાં પેદા કરવું શક્ય છે. મુશ્કેલી પ્રજાની પાસે મિલકાપડનો વાપર છોડાવવામાં રહેલી છે. ૨

હાથસાળ પર વણનાર વણકર મિલવાળાઓ સાથે અસરકારક હરીફાઈમાં ઊતરે, તોપણ તેમને મિલનું સૂતર પૂરું પાડ્યા કરે એવા

માનવપ્રેમીઓ એ લોકો નથી. ૩

અવસર આવ્યે મિલવાળા પોતાનું સૂતર પોતે જ વણશે .

એઓનો ધંધો પરોપકારનો નથી, પૈસા કમાવાનો છે. એટલે જેથી વધારે પૈસા કમાય તેવું કામ કરશે. એ જ કારણે કાંતનારી મિલ ઊભી થઈ અને એ જ કારણે વણવાની મિલ થઈ. ૪

મિલના સૂતરનો ઉપયોગ એ હાથસાળના ઉધોગ માટે મુખ્ય ફાંસો છે. હાથે કાંતેલું સૂતર એ જ એનો એકમાત્ર ઉગારો છે. રેંટિયો ગયો, તો એની ુાછળ હાથસાળ પણ અચૂક જવાની. ૫

અંગત રીતે હું મોટાં ટ્રસ્ટો અને વિશાળ યંત્રો દ્રારા થતા ઉધોગોના કેન્દ્રીકરણનો વિરોધી છું. જો ભારત ખાદીને તેના બધા અર્થમાં અપનાવે તો તો જીવનની સુખસગવડો માટે અને મજૂરી બચાવવા જરૂરી જણાય એટલા પ્રમાણમાં જ આધુનિક યંત્રોનો સ્વીકાર કરશે એ આશા હું છોડતો નથી. ૬

ઘણાને નિચોવવાને ખાતર થોડા માણસોના હાથમાં ધન અને સત્તા એકત્રિત કરવાની મુરાદ પાર પાડવા સાંચાકામનું સંગઠન કરવું એને હું જદ્‌ન અન્યાય ને પાપ સમજું છું. આજના જમાનાનું ઘણું-ખરું સાંચાકામ

આવા પ્રકારનું સંગઠન છે. આવા ધણી રણીપણામાંથી સાંચાઓના સંગઠનને પદભ્રષ્ટ કરી તેને તેની યોગ્ય જગ્યાએ મૂકવાના સુસંગઠિત

પ્રયત્નરૂપે રેંટિયાની પ્રવૃતિ છે. આમ મારી યોજના હેઠળ સાંચાકામના

માલિકો કેવળ પોતાનો જ અગર પોતાના દેશનો જ વિચાર નહીં કરે પણ આખી માનવજાતિનું હિતાહિત વિચારશે. લૅંકેશાયરના લોક હિંદુસ્તાન અને બીજા દેશોના લોકોને નિચોવવાને પોતાના સાંચાકામનો ઉપયોગ કરતા અટકશે એટલું જ નહીં, પણ હિંદુસ્તાન પોતાનાં ગામડાંમાં જ પોતાના રૂમાંથી જ પોતાનાં કપડાં ઉત્પન્ન કરી લે એવાં સાધનો શોધવામાં રોકશે.

તે જ પ્રમાણે અમેરિકાના લોક પણ મારી યોજના હેઠળ પોતાની શોધકબુદ્ધિનો ઉપયોગ દુનિયાની બીજી પ્રજાઓને નિચોવીને પોતાને પૈસાદાર બનાવવામાં કરતા અટકશે. ૭

પ્રકરણ એકત્રીસમુુંં

સ્વદેશીભાવના

સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેથી પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા કરવા તથા દૂરની પરિસ્થિતિનો ત્યાગ કરવા પ્રેરે છે. દાખલા તરીકે, મારામાં સ્વદેશીભાવના હોય તો ધર્મના વિષયમાં, મારે મારા બાપદાદાના ધર્મને જ વળગી રહેવું જોઈએ. તેમ કરવાથી હું મારી નિકટની ધાર્મિક પરિસ્થિતિનો ઉપયોગ કરું છું. જો મને તેમાં ખામી જણાય, તો તે દૂર કરીને મારે તેની સેવા કરવી જોઈએ. રાજકીય વિષયમાં મારે દેશી સંસ્થાઓનો જ ઉપયોગ લેવો જોઈએ, અને તેની પુરવાર થયેલી ખામીઓ કાઢી નાખીને મારે તેની સેવા કરવી જોઈે. આર્થિક વિષયમાં મારે મારી પાસે વસનારાઓએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ, અને જે ઉધોગમાં ન્યૂનતા જણાય તે દૂર કરી તેને પગભર કરી મારે તેની સેવા કરવી જોઈએ. એમ કહેવામાં આવ્યું છે કે, જો સ્વદેશીભાવના અનુસાર આચરણ કરવામાં આવે, તો સત્યયુગ જલદી આવે...

સ્વદેશીનાં ઉપર વર્ણવાલાં ત્રણ ક્ષેત્રોનો આપણે ટૂંકમાં વિચાર કરીશું. હિંદુ ધર્મ પરંપરાને જાળવી રાખે છે, તેથી કરી તે જબરદસ્ત સત્તાવાળો થયો છે. આમ થવાનું કારણ એ છે કે તેના મૂળમાં સ્વદેશી ભાવના રહેલી છે. તે અત્યંત સહિષ્ણુ છે, કારણ કે તે કોઈ પાસે ધર્મની ફેરબદલી કરાવતો નથી, અને જેમ તેનો વિકાસ ભૂતકાળમાં થતો જણાયો છે તેમ આજે પણ થઈ શકે છે. કેટલાક ખોટી રીતે માને છે તેમ, હિંદુ ધર્મે બૌદ્ધ ધર્મને હાંકી કાઢ્યો નથી, પરંતુ તેણે તે ધર્મને પોતામાં જ મેળવી દીધો છે. સ્વદેશીભાવનાને લઈને હિંદુ પોતાનો ધર્મ બદલવા ના પાડે છે.

તેમ કરવામાં તેની એવી કંઈ ખાસ માન્યતા હોતી નથી કે હિંદુ ધર્મ સર્વોત્તમ ધર્મ છે : પરંતુ, તે જાણે છે કે તે પોતે તેમાં સુધારા દાખલ કરીને તેને ન્યૂનતારહિત બનાવી શકે છે. આ જે મેં હિંદુ ધર્મ વિષે કહ્યું છે તે, હું માનું છું કે, જગતના બીજા મોટા ધર્મોને પણ લાગુ પડે છે, છતાં , એટલું તો ખરું કે, હિંદુ ધર્મની બાબતમાં આમ ખાસ કરીને છે. જે કહેવાને હું મથી રહ્યો છું તે હવે હું જણાવી શકીશ. હિંદમાંની મોટી ધર્મપ્રચારક સંસ્થાઓએ હિંદ માટે જે કંઈ કર્યું છે અને કરે છે તે વાસ્તે હિંદ તેનો બહુ ઋણી છે. પરંતુ, જે મેં કહ્યું છે તેમાં કંઈ સાર હોય તો, આ સંસ્થાઓ ધર્માંતર કરાવવાની પ્રવૃતિ છોડી દઈ માત્ર પરોપકારી કાર્યો ચાલુ રાખે, તો શું તેઓ વધારે ભલું ન કરી શકે અને ખ્રિસ્તી ધર્મનાં મૂળ તત્ત્વની સેવા વધારે સારી રીતે ન કરી શકે ?...

સ્વદેશીભાવનાનું પાલન કરતો હોવાથી હું દેશી સંસ્થાઓ ઉપર

મારું લક્ષ આપું છું ; એટલે હું ગ્રામપંચાયતોને જ વળગી રહું છું. હિંદ

ખરેખર એક પ્રજાસત્તાક દેશ છે, અને તેને લઈને જ તે અત્યાર સુધી તેના ઉપર કરવામાં આવેલ દરેક પ્રહાર સામે ટકી શક્યું છે. રાજા અને અમીરો, પછી તેઓ હિંદી હો કે પરદેશી હો, તેઓ માત્ર કર ઉઘરાવવાના પ્રસંગ ઉપર વિશાળ જનસમૂહના સંબંધમાં આવતા; અન્યથા તેવું ભાગ્યે જ બનતું. પ્રજા પણ રાજાને રાજાનો ભાગ આપી છૂટતી, અને પછી પોતાની રુચિમાં આવે તેવું ઘણુંયે કરતી. જ્ઞાતિનું વિસ્તૃત બંધારણ પ્રજાની ધાર્મિક જરૂરિયાતો પૂરી પાડતું એટલું જ નહીં, પરંતુ તેની રાજકીય આવશ્યકતાને પણ પહોંચી વળતું. ગ્રામજનો ગ્રામવ્યવહાર જ્ઞાતિબંધારણ દ્વારા ચલાવતા; અને તેનાથી જ તેઓ રાજ્યસત્તાના જુલમની સામે થતા. જે પ્રજા

જ્ઞાતિવ્યવસ્થા ઉત્પન્ન કરવા સમર્થ થઈ છે તેમાં વ્યવસ્થા કરવાની અદ્‌ભૂત શક્તિ નથી એમ કહેવું અઘટિત છે. ગયે વર્ષે હરદ્વારમાં ભરાયેલા મોટા કુંભમેળામાં કોઈ ગયું હશે તો તેને જણાતે કે જે વ્યવસ્થાને લીધે દશ લાખ

કરતાં પણ વધારે યાત્રાળુઓને, કોઈ પણ દેખીતા પ્રયત્ન વિના, ખોરાક પૂરો પાડવાનું કામ બની શક્યું હતું, તેવી વ્યવસ્થા રચવામાં કેટલી બધી

ચતુરાઈ વાપરવામાં આવી હશે. છતાં અમારામાં વ્યવસ્થા કરવાની શક્તિ નથી એમ કહેવાની પ્રથા પડી છે. જેઓને નવા પ્રકારની કેળવણી મળી છે, તેઓ માટે આમ કહેવું, મને લાગે છે કે, અમુક અંશે વાજબી છે.

સ્વદેશીભાવનાના ત્યાગથી અમને બહુ હાનિ પહોંચી છે; તેને

લઈને અમારે ભારે મુશ્કેલી વચ્ચે કામ કરવું પડ્યું છે. અમે કેળવાયેલા વર્ગે અમારું શિક્ષણ વિદેશી ભષા મારફત લીધું છે. પરિણામે અમારા જનસમૂહ ઉપર અસર કરી શક્યા નથી. અમે જનસમૂહના પ્રતિનિધિ થવા ઈચ્છીએ છીએ, પરંતુ તેમાં અમે નિષ્ફળ નીવડીએ છીએ. લોકો અંગ્રેજી

અમલદારોની જેટલી કદર કરે છે તેના કરતાં અમારી કદર વધારે કરતા નથી. આ બેમાંથી એકે વર્ગ તેઓના અંતરપટ ઉપર સંસ્કાર પાડી શકતો નથી. તેઓની અભિલાષાઓ અમારી અભિલાષા નથી. એટલે અમારી વચ્ચે અંતરાય પડ્યો છે. ખરી રીતે જોતાં તમને જણાશે કે, અમારામાં વ્યવસ્થા કરવાની શક્તિ નથી એમ નથી. પરંતુ પ્રતિનિધિઓ અને જેઓના અમે પ્રતિનિધિ થવા ઈચ્છીએ છીએ તેઓ બંને વચ્ચે સંબંધ નથી. છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન અમને અમારી માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવ્યું હોત, તો અમારા વડીલોને અમારા નોકર-ચાકરોને અમારા પાડોશીઓને અમારા જ્ઞાનનો લાભ મળ્યો હોત. બોઝ (જગદીશચંદ્ર) અને રાય

(પ્રફુલ્લચંદ્ર) જેવાની શોધો રામાયણ અને મહાભારતની પેઠે ઘરઘરનો ખજાનો થઈ પડી હોત. અત્યારે તો, તે શોધી પરદેશીઓએ કરેલી શોધો જેટલી જ લોકોને અજાણી છે. વિષય-માત્રનું શિક્ષણ માતૃભાષા દ્વારા આપવામાં આવ્યું હોત, તો હું એમ રહેવા હિંમત કરું છું કે, તેનો વિકાસ આશ્ચર્યકારક રીતે થયો હોત : ગ્રામસુખાકારી અને એવા બીજા પ્રશ્નનો નિવેડો ક્યારનો આવી ગયો હોય;ગ્રામપંચાયતો અત્યારે વિશેષ રીતે જીવંત સંસ્થાઓ બની હોત; અને હિંદ અત્યારે પોતાની પરિસ્થિતિને અનુકૂળ

એવું સ્વરાજ્ય ભોગવી રહ્યું હોત, અથવા તો ભોગવવાની તૈયારીમાં હોત; અને તેની પવિત્રભૂમિ ઉપર યોજનાપૂર્વક થતી ખુનામરકી જોવાનો શરમાવનાર પ્રસંગ આવ્યો ન હોત. ભૂલ સુધારવા માટે હજી પણ મોડું થયું નથી.

હવે હું સ્વદેશીનો છેલ્લો ભાગ હાથ ધરું છું. આર્થિક અને ઔધોગિક જીવનમાં સ્વદેશીનો ત્યાગ કરવાથી દેશને હાનિ બહોંચી છે.

લોકોની અત્યંત ગરીબાઈ તેને આભારી છે. હિંદની બહારની એક પણ જણસ વ્યાપાર અર્થે અહીં લાવવામાં આવી ન હોત, તો હિંદ આજે દહીં-

દૂધથી છલકાતૂ ભૂમિ થઈ રહી હોત. પરંતુ તેવું ભાગ્ય જ ન હતું. ઈંગ્લંડે

હિંદ સાથે સંબંધ દેખીતી રીતે કુદ્રષ્ટિથી બાંધ્યો હતો; પરંતુ હવે સંબંધ

ચાલુ રાખવામાં તેની દ્રષ્ચિ તેવી નથી રહી. તેણે પોતાની નીતિ જાહેર કરી છે કે, હિંદીઓના હિત માટે જ તે હિંદને સંભાળે છે. જો આ ખરું હોય, તો લૅકેશાયરે વચ્ચે આવવું નહીં જોઈએ. અને જો સ્વદેશી-સિદ્ધાંત સંગીન હોય, તો લૅકેશાયરને વચ્ચેથી ખસી જવામાં કંઈ નુકસાન નહીં થાય, જોકે ક્ષણભર તો તેને ધક્કો પહોંચવા જેવું લાગશે. વેર લેવાના ભાવથી ઉપાડવામાં આવેલી બૉયકોટની ચળવળ જેવી સ્વદેશી ચળવળ હું લેખતો નથી. હું તો તેને સૌ કોઈને પાળવાના ધાર્મિક નિયમ તરીકે માનું છું. હું અર્થશાસ્ત્રી નથી; પણ મેં એવા કેટલાક ગ્રંથો વાંચ્યા છે, કે જેના ઉપરથી

મને જણાય છે કે, ઈંગ્લંડ પોતાને જોઈતી બધી વસ્તુઓ ઉપજાવીને પોતાનું પોષણ કરી શકે એમ છે. આ વાત સાવ હસી કાઢવા જેવી લાગશે. અને તેમાં સત્ય ન હોઈ શકે એનો સૌથી સરસ પુરાવો આ આપવામાં આવશે કે, દુનિયાના સૌથી મોટા આયાત કરનારા દેશો માંહેલો તે એક છે. પરંતુ

હિંદ પોતાનો નિભાવ ન કરી શકે ત્યાં સુધી તેને માટે લૅકેશાયર કે પછી બીજા કોઈ દેશની ઉપાધિ કરવી શક્ય નથી. અને પોતાની હદમાં જ પોતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે જોઈતી દરેક વસ્તુ તે પેદા કરે, અને તેમ કરવામાં આવે તેને મદદ કરવામાં આવે, તો જ હિંદ પોતાનો નિભાવ કરી શકે. ગાંડી અને નાશકારક હરીફાઈ, જે અંદર અંદર લડાવી

મારે છે, જે ખાર અને બીજા અનેક દોષોને પોષે છે, તેના વમળમાં હિંદને પડવાની જરૂર નથી, હિંદે પડવું નહીં જોઈએ. પરંતુ તેના મોટા કરોડાધિપતિઓને દુનિયાની સાથે હરીફાઈમાં ઊતરતાં કોણ રોકી શકશે ?

ખચીત કાયદાથી તેમ થઈ શકશે નહીં. છતાં પ્રજામતનું દબાણ અને યોગ્ય

શિક્ષણ મનમાનતું ઘણુંયે કરી શકે એમ છે. સાળનો ઉધોગ મરવા પડ્યો છે.

ગયે વર્ષે મારી મુસાફરી દરમ્યાન જેટલા બને તેટલા વણકરોને મળવા મેં

ખાસ પ્રયત્ન કર્યો હતો. તેઓની સંખ્યામાં ઘટાડો થતો જોઈ તથા એક પછી એક કુટુંબને એક વખત આબાદી ભોગવતા આબરૂદાર ધંધામાંથી ફારગ થતા જોઈ, મારું હૈયું પીડાયું હતું.

આપણે સ્વદેશી-સિદ્ધાંતનું પાલન કરતા હોઈએ, તો અમારી અને

મારી આ ફરજ છે કે, આપણી જરૂરિયાતો પૂરી પાડી શકે એવા પાડોશી ઓ શોધી કાઢવા જોઈએ, તથા જેઓને તે કામ કરતાં નથી આવડતું તેઓને તે શિખવાડવું જોઈએ. આમ કહેવા ચાણે, હું એમ માની લઉં છું કે, આપણા કેટલાક એવા પાડોશી છે કે જેઓ ઉપયોગી ધંધાની શોધમાં છે.

આમ થશે ત્યારે જ હિંદનું દરેક ગામડું પોષણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય

તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે. આ બધામાં તમને ઘેલછા જણાશે. ગમે તેમ હો, પણ હિંદ તો ઘેલો દેશ છે. કોઈ માયાળુ મુસલમાન પીવા માટે ચોખ્ખું પાણી આપવા તૈયાર હોય, તોયે તે ન લેતાં તરસ વેઠી પોતાનું ગળું સીકવી નાખવું, એ ગાંડાઈ છે. છતાં હજારો હિંદુઓ

મુસલમાનના ઘરનું પાણી પીવા કરતાં તરસથી મરી જવું પસંદ કરે છે. આ જ ઘેલા માણસોને જો એક વખત એવી ખાતરી થઈ જાય કે, તેઓનો ધર્મ

માત્ર હિંદમાં જ બનેલાં કપડાં પહેરવાનો અને હિંદમાં જ ઉત્પન્ન થયેલો ખોરાક લેવાનો છે, તો પછી તેઓ બીજાં કોઈ કપડાં પહેરવાને અથવા બીજો કોઈ ખોરાક લેવાને લલચાશે નહીં.

ભગવદ્‌ગીતામાં એક એવો શ્લોક છે, કે જેનું તાત્પર્ય આ છે, કે

લોકો શિષ્ટોને પગલે ચાલે છે. પ્રજાનો વિચારશીલ વર્ગ સ્વદેશીવ્રત અંગીકાર કરે,-જોકે તેમ કરવા જતાં તેને થોડોક વખત ઘણી અગવડ વેઠવી પડે એમ છે,-તો આ દોષ દૂર કરવો સહેલો છે. જીવનની કોઈ પણ

પ્રવૃત્તિમાં કાયદો વચ્ચે પડે એ મને ઈષ્ટ નથી. કાયદો ગમે તેવો હોય, તોપણ તે એક પ્રકારનું અનિષ્ટ જ છે. તેમ છતાં, પરદેશી માલ ઉપર કડક આયાતવેરો નાખવામાં આવે, તો હું તેને ચલાવી લઈશ, બલકે વધાવી

લઈશ, તેનો બચાવ કરીશ નાતાલના બ્રિટિશ સંસ્થાને, મોરિશિયસ નામના બીજા બ્રિટિશ સંસ્થાનમાંથી આવતી ખાંડ ઉપર જકાત નાખી પોતાના ખાંડના ઉધોગનું રક્ષણ કર્યું હતું. હિંદનો વ્યાપાર હિંદની મરજી ઉપરાંત અરક્ષિત રાખી ઈંગ્લંડે હિંદના સંબંધમાં પ કર્યું છે. તેમ કરવામાં વખતે તેને અમૃત મળ્યું હશે, પરંતુ આ દેશને તો તે ઝેરરૂપ થઈ પડ્યું છે.

ઘણી વાર એમ કહેવામાં આવ્યું છે કે, આર્થિક જીવનમાં તો હિંદ

સ્વદેશીનો સ્વીકાર કરી શકે એમ નથી. જેઓ તરફથી આ વાંધો રજૂ કરવામાં આવે છે, તેઓ સ્વદેશીને જીવનના એક નિયમ તરીકે નથી ગણતા. તેઓની નજરે આ કેવળ દેશાભિમાનથી પ્રેરાયેલો પ્રયત્ન છે, અને તેમાં કોઈ પણ જાતનો આત્મત્યાગ કરવો પડે, તો તે છોડી દેવા જેવો છે.

આગળ આપવામાં આવેલાં લક્ષણ પ્રમાણે, સ્વદેશી એક ધાર્મિક નિયમ છે, અને કદી કોઈ વ્યક્તિને શારીરિક અગવડ વેઠવી પડે, તોપણ તેનો વિચાર કર્યા વિના તેનું પાલન કરવાનું છે. અને તેમ કરવા જતાં, એક સોય કે ટાંકણી વાપરવી છોડી દેવી પડે,- કારણ કે આ વસ્તુઓ હિંદમાં નથી બનતી,-તો તેથી આપણને મૂંઝવણ થવી ન જોઈએ. સ્વદેશી વ્રત પાળનાર સેંકડો જણસો, જે આજે તેને જરૂરની જણાય છે, તે વિના ચલાવી લોતાં શીખે છે. વળી, સ્વદેશી ધર્મ પાળવો શક્ય નથી એવી દલીલ કરી જેઓ સ્વદેશી છોડી દે છે તેઓ ભૂલી જાય છે કે, સ્વદેશી તો એક લક્ષ્ય છે જેની

પ્રાપ્તિ માટે એકસરખો પ્રયત્ન કરવાનો છે., આપણા દેશમાં મળી શકતી ન હોય એવી વસ્તુઓ માટે હાલ તુરત તો છૂટ મૂકી, અમુક નક્કી કરેલી વસ્તુઓના સંબંધમાં આપણે સ્વદેશીનું પાલન કરીશું, તોપણ આપણે આપણા લક્ષ્ય ભણી જતા થઈશું.

સ્વદેશી સામે રજૂ કરવામાં આવતા વાંધાઓમાં હવે એક જ વાંધાનો વિચાર કરવો બાકી છે. વિરોધીઓ તેને એક અતિ સ્વાર્થી નિયમ

તરીકે ગણે છે, અને કહે છે કે, તેને માટે ચડિયાતા નીતિશાસ્ત્રમાં પ્રમાણ નથી. તેઓના મતે તો, સ્વદેશીનું પાલન કરવું એ જંગલી દશા પાછી સ્વીકારવા સમાન છે. હું આ દલીલનું વિસ્તારથી પૃથ્થકરણ કરવા નથી ઈચ્છતો. છતાં હું એટલું જણાવીશ કે, સ્વદેશી એ એક જ એવો સિદ્ધાંત છે કે, જે નમ્રતા અને પ્રેમને અનુકૂળ છે. હું મારા કુટુંબની ભાગ્યે જ સેવા કરી શકતો હોઉં, તેવે વખતે આખા હિંદની સેવા કરવા બહાર પડવા વિચાર કરવો એ મદ જ કહેવાય. હું મારા કુટુંબને જ મારા પ્રયત્નનું લક્ષ્ય

બનાવું, અને તેમ કરીને હું એમ માનું કે હું આખા રાષ્ટ્રની સેવા કરું છું, બલકે આખી માણસજાતની સેવા કરું છું, તો તે વધારે સારું કહેવાય.

આમાં જ નમ્રતા છે, આમાં જ પ્રેમ છે. કર્મના સારાસારનો નિર્ણય વૃતિ ઉપરથી કરાય છે. બીજાઓને હું પીડા કરતો હોઉં છતાં, તે ઉપર ધ્યાન આપ્યા વિના, મારા કુટુંબની સેવા કરવી મારે માટે શક્ય છે. જેમ કે, હું એક એવું કામ લઉં કે જેને લઈ હું લોકો પાસેથી પૈસા કઢાવી શકું, અને તેમ કરી હું પૈસાદાર બનું અને પછી કુટુંબની ઘણીયે અઘટતી ઈચ્છાઓ પૂરી પાડું. આમ કરવાથી હું નથી સેવા કરતો કુટુંબની કે નથી કરતો રાજ્યની. અથવા, હું એમ માનું કે મારા તથા જેઓ મારા ઉપર આધાર રાખે છે તેઓના ભરણપોષણ માટે કામ કરવૌ વાસ્તે જ ઈશ્વરે મને હાથપગ આપ્યા છે, તો પછી હું મારું તથા જેઓ ઉપર હું સીધી અસર કરી શકું તેઓનું જીમન એકદમ સાદું કરી નાખું. આમ કરવાથી બીજા કોઈને હાનિ કર્યા વિના હું મારા કુટુંબની સેવા કરું છું. દરેક જણ આવા

પ્રકારનું જીવન અંગીકાર કરે, તો આપણું રાજ્ય તરત જ આદર્શરૂપ બને.

બધા આ સ્થિતિએ એક વખતે જ નહીં પહોંચી શકે. પરંતુ આપણામાંથી જેઓને આમાં સત્ય જણાય છે અને જેઓ તેને અમલમાં મૂકે છે, તેઓ તે પુણ્યશાળી દિવસ ક્યારે આવશે તેનો ખ્યાલ અચૂક રીતે કરી શકશે તથા તે જલદીથી આવે એમ કરશે. જીવનરેખા આ પ્રમાણે દોરવાથી, બીજા બધા દેશોને બાતલ કરી હિંદની સેવા કરતો જણાવા છતાં, હું બીજા કોઈ દેશને નુકસાન પહોંચાડતો નથી. મારું દેશાભિમાન વ્યાવર્તક તેમ અભિવ્યાપક છે. મારી જન્મભૂમિની સેવામાં હું મારું ચિત પૂર્ણ નમ્રતાથી પરોવું છું

ઃએટલે તે વ્યાવર્તક છે. પરંતુ મારી સેવા સ્પર્ધા-કે વિરોધ-રૂપે નથી ; એટલે તે અભિવ્યાપક છે. ‘તમારી પ્રવૃતિ એવી રીતે ગોઠવાો કે જેથી તમારા પડોશીને ખલેલ ન પહોંચે.’આ સૂત્ર કેવળ કાયદાનું જ નથીપરંતુ એ તો જીવનનો એક મહાન નિયમ છે. અહિંસા અથવા પ્રેમના યોગ્ય

પાલનની એ કૂંચી છે. ૧

સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડૂબી નહીં જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશની ધર્મ નથી. સ્વદેશીનો ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહીં. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે. ૨

પ્રકરણ બત્રીસમું

ગોરક્ષા

હિંદુ ધર્મની પ્રધાન વસ્તુ નિરાળી જ છે. તે ગૌરક્ષા. ગૌરક્ષા એ

મનુષ્યના આખા વિકાસક્રમમાં મને સૌથી અલૌકિક વસ્તુરૂપે ભાસી છે.

ગાયનો અર્થ હું માણસની નીચેની આખી મૂંગી દુનિયા એવો કરું છું.

ગાયને બહાને, એ તત્ત્વ દ્વારા માણસને આખી ચેતનસૃષ્ટિ જોડે આત્મીયતાનો અનુભવ કરાવવાનો એમાં પ્રયત્ન છે. આવો દેવભાવ ગાયને જ કેમ આપવામાં આવ્યો હશે એ પણ મને તો સ્પષ્ટ છે. ગાય જ

હિંદુસ્તાનમાં માણસનો સૌથી સાચો સાથી-સૌથી મોટો આધાર હતી. એ જ એક હિંદુસ્તાનની કામધેનુ હતી. તે માત્ર દૂધ જ આપનારી નહોતી, આખી ખેતીનો એ આધારસ્તંભ હતી.

ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અશરાફ

પ્રાણીમાં આપણે કેવળ દયા જ ઊભરાતી જોઈએ છીએ. લાખો કરોડો

હિંદીઓને ઉછેરનારી એ માતા છે. એ ગાયની રક્ષા તે ઈશ્વરની આખી મૂક સૃષ્ટિની રક્ષા છે. જે અજ્ઞાત ઋષિ કે દ્રષ્ટાએ આ ગોપૂજા ચલાવી તેણે ગાયથી શરૂઆત કરેલી. એથી નિરાળું બીજું કશું એનું ધ્યેય હોઈ જ ન શકે. આ પશુસૃષ્ટિની અરજ મૂંગી છે તેથી વળી વધારે જ અસરકારક છે.

ગૌરક્ષા એ હિંદુ ધર્મ દુનિયાને આપેલી બક્ષિસ છે. અને હિંદુ ધર્મ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનાર હિંદુઓ છે ત્યાં સુધી જ રહેશે...

હિંદુઓની પરીક્ષા ટીલાં કર્યાથી, સ્વરશુદ્ધ મંત્રો ભણ્યાથી, તીરથ-

જાત્રાઓ કર્યાથી, કે ન્યાતફિરકાઓના ઝીણામાં ઝીણા નિયમો ચીવટથી પાળ્યાથીયે નહીં, પણ ગાયને બચાવવાની તેમની શક્તિથી જ થવાની છે.

ગોમાતા જન્મદાત્રી માતા કરતાં ઘણી રીતે અદકી છે. માતા તો બે વરસ દૂધ પાય, પણ પછી આશા રાખે કે છોકરો મોટો થઈને મારી સેવા કરશે. ગોમાતા તો બાપડી આપણી પાસે ઘાસચારા ઉપરાંત કશી સોવાની આશા નથી રાખતી. મા તો ઘણી વાર બીમાર પડે અને સેવાચાકરી માગે. ગોમાતા તો ભાગ્યે જ બીમાર પડે છે. અને એની સેવા તો એ મરે ત્યારે પણ પૂરી નથી થતી. આપણી માતા મરે ત્યારે તેને બાળવા કે દાટવાના પૈસા તો જોઈએ જ. ગોમાતા મરે ત્યારે પૈસા નથી

માગતી, પણ સામી પૈસા આપે છે. એના માંસનું ખાતર થાય, એનાં હાડકાંના અનેક ઉપયોગ થાય, એનાં આંતરડાંની તાંત થાય, એનાં

શિંગડાની અનેક વસ્તુ બને, અને ચામડાની તો કેટલીક વસ્તુ બને તે તમે જાણો છો. પણ આ બધું આપણી જન્મદાત્રી માને વખોડવાને હું નથી કહેતો-તેના ગુણો જુદા જ અનેક છે જ- પણ આ તો ગામાતાને હું પૂજારી કેમ થયો એ બતાવવા કહી રહ્યો છું. ૨

આપણાં ઢોરોની આ દુર્દશા આપણી ઘાતકી બેદરકારી સિવાય

બીજા કશાની જ સૂચક નથી. આપણી પાંજરાપોળો આપણી દયાવૃતિ ઉપર ખડી થયેલી સંસ્થાઓ છતાં, તે વૃત્તિનો અતિ બેહૂદો અમલ કરનારી સંસ્થાઓ માત્ર છે. તેઓ નમૂનેદાર ગોશાળાઓ કે ડેરીઓ અને ઘાતકી રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે માત્ર ખોડાં ઢોરો રાખવાનાં ધર્માદા ખાતાંઓ જ થઈ પડી છે !...અત્યારે તો ગોરક્ષાધર્મનો દાવો કરનારા આપણે ગાયને અને વંશને ગુલામ બનાવી જાતને ગુલામ બન્યા છીએ. ૩

આ સાપ્તાહિકમાં અનેક વાર ભાર મૂકીને જણાવ્યું છે, તે જરા વધારે સ્પષ્ટ કરવાની જરૂર છે,-તે એ કે, કાયદો કરીને ગોવધ બંધ કરવાથી ગોરક્ષા નથી થઈ જતી; એ તો ગોરક્ષાના કાર્યનો અલ્પમાં અલ્પ ભાગ છે...લોકો એમ માનતા લાગે છે કે કોઈ પણ અનિષ્ટની વિરુદ્ધ કાંઈ કાયદો કરવામાં આવ્યો કે તુરત જ બીજી કશી ભાંજગડ વિના તે નાબૂદ થશે.

આના જેવી ભયંકર છેતરામણ એકે નથી. કોઈ દુષ્ટ બુદ્ધિના અજ્ઞાન અથવા નાનકડા સમાજની સામે કાયદો કરવામાં આવે છે તો તેની અસર પણ થાય

છે; પણ જે કાયદાની સામે સમજુ અને વ્યવસ્થિત લોકમતનો વિરોધ હોય, અથવા ધર્મને બહાને નાનકડા મંડળનો પણ વિરોધ હોય, તો તે કાયદો સફળ ન થાય. ગોરક્ષાના પ્રશ્નનો જેમ જેમ વધારે અભ્યાસ કરતો જાઉં છું તેમ તેમ મારો મત દ્દઢ થતો જાય છે કે, ગાય અને તેની પ્રજાનું રક્ષણ તો જ થઈ શકે કે જો મેં ઉપર જણાવી છે તે દિશામાં ચાલુ અને અનવરત

પ્રયત્ન કરવામાં આવે. ૪

એટલે એ સવાલ સહેજે ઉત્પન્ન થાય છે કે જે ગાય પૂરતું દૂધ ન દેતી હોય અથવા બીજા કોઈ દોષવાળી હોય તેને કતલખાનામાં જતી કઈ

રીતે બચાવવી. આ સવાલનો જવાબ નીચે મુજબ આપી શકાય : ૧. ગોવંશ પ્રત્યે હિંદુ પોતાનો ધર્મ પૂરી રીતકે પાળે. તે એમ કરે તો આપણાં ઢોર હિંદુસ્તચાનમાં શું, આખી દુનિયામાં પંકાય. આજની હાલત એથી ઊલટી છે.

૨. ગોવંશપાલન અને તેની વૃદ્ધિનું શાસ્ત્રજ્ઞાન હિંદુ પૂરેપૂરું મેળવે.

આજે આ બાબતમાં અંધેર પ્રવર્તે છે.

૩.વાછરડાને ખસ્સી કરવાની આજે જે નિર્દય રીત પ્રચલિત છે તેને બદલે પશ્ચિમમાં પ્રચલિત થયેલી પ્રમાણમાં નિર્દોષ ક્રિયા આપણે ત્યાં દાખલ કરવી.

૪. આજે પાંજરાપોળ ચલાવવામાં જે અજ્ઞાન પ્રવર્તે છે તે દૂર કરવાને ખાતર જાણકાર માણસો રોકી સિદ્ધ થયેલી પદ્ધતિ પ્રમાણે પાંજરાપોળો ચલાવી અજ્ઞાન દૂર કરવું.

૫.જ્યારે આ ચારે વસ્તુ થઈ હશે ત્યારે આપણે જોઈશું કે જો

હિંદુ-મુસલમાનોમાં મિત્રભાવ પ્રવર્તતો હશે તો એક મિત્રતાને ખાતર જ

મુસલમાનો પોતાની મેળે ગોમાંસને માટે અથવા બીજાં કોઈ કારણસર ગોકશી કરતા અટકશે.

વાંચનાર જોઈ શકશે કે આ પાંચે મુદ્દાની પાછળ એક જ વસ્તુ રહેલી છે એટલવે અહિંસકા અથવા વિશ્વપ્રેમ. એ હોય તો ઉપરની વસ્તુઓ ને એવુિં બીજું બધું આપમેળે ઠેકાણે આવી જાય. જ્યાં અહિંસા

પ્રવર્તે છે ત્યાં ધીરજ હોય, જ્ઞાન હોય, શાંતિ હોય, વિવેક હોય, ત્યાગ હોય. ગોસેવાનો ધર્મ બહુ કઠણ છે. ગોરક્ષાને નામે ઘણો પૈસો રેડાય છે છતાં ધર્મ અને અહિંસાને અભાવે રક્ષક હોવાને બદલે હિંદુ ગાયનો ભક્ષક થઈ પડ્યો છે. વિદેશી સત્તાને ઉખેડવામાં મુશ્કેલીઓ પડી તેના કરતાં વધારે મુશ્કેલી ગોવંશપાલન અને તેની વૃદ્ધિ કરવાની આડે પડેલી છે.

(નોંધ : હિંદુસ્તાનની ગાય સરેરાશ રાજનું બશેર દૂધ આપે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડની ગાય ચૌદ રતલ, ઈંગ્લંડની પંદર રતલ, અને હોલૅન્જની વીસ રતલ દૂધ આપેછે. તંદુલસ્તી દર્શાવનારા આંકડા પણ દૂધની ઊપજના

પ્રમાણમાં ઊંચા જાય છે.) ૫

ભેંસના દૂધ વિષેનો આપણો પક્ષપાત જોઈને હું સડક થઈ જાઉં છું. આપણે તાત્કાલિક સ્વાર્થ તરફ જોઈએ છીએ, દૂરના લાભનો વિચાર નથી કરતા. નહીં તો એટલું તો સ્પષ્ટ છે કે છેવટે તો ગાય જ વધારે ઉપયોગી છે. ગાયના ધી અને માખણમાં એક ખાસ પ્રકારનો પીળો રંગ હોય છે, જેમાં ભેંસના માખણ ધી કરતાં કેટલુંયે વધારે કેરોટિન એટલે કે

‘એ’વિટામિન હોય છે. એમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે. મને

મળવા આવનાર વિદેશી મુસાફરો સેવાગ્રામમાં ગાયનું ચોખ્ખું દૂધ પીને ખુશ થઈ જાય છે. અને યુરોપમાં તો ભેંસનાં ધી માખણ કોઈ જાણતું જ નથી. એક હિંદુસ્તાનમાં જ લોકોને ભેંસનાં દૂધ ઘી આટલાં ગમે છે. આને

લીધે ગાયની બરબાદી થઈ છે. અને તેથી હું કહું છું કે આપણે એકલી ગાયની સેવા પર જ ભાર ન મૂકીએ તો ગાય બચી શકવાની નથી. ૬

પ્રકરણ તેત્રીસમુંં

સહકારી ધોરણે પશુપાલન

દરેક ખેડૂત પોતાના ઘરમાં ગાયબળદ રાખી તેનું પાલન સારી રીતે અને શાસ્ત્રીય પદ્ધતિએ કરી શકે નહીં. ઘણાં કારણમાં વ્યક્તિગત પાલન પણ ગોવંશની ક્ષતિ થવામાં એક કારણ છે. એ ભાર વ્યક્તિગત ખેડૂતની શક્તિ ઉપરાંતનો છે.

હું તો ત્યાં સુધી કહું છું કે દરેક કાર્યમાં આજે જગત સામુદાયિક શક્તિસંગઠન તરફ જઈ રહ્યું છે. એ સંગઠનનું નામ સહકાર. ઘણી ચીજો આજે સહકારથી થાય છે. આપણા દેશમાં સહકાર આવ્યો તો છે, પણ એવા વક્ર રૂપમાં કે એનો ખરો લાભ હિંદુસ્તાનના ગરીબોને મળ્યો જ નથી.

આપણી વસ્તી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ખેડૂતની વ્યક્તિગત જમીન ઓછી થતી જાય છે. પરિણામે દરેક ખેડૂત પાસે પૂરતી જમીન રહી નથી. જે છે તે પણ અગવડભરી છે. આવો ખેડૂત પોતાના ઘર કે ખેતરમાં પોતાનાં ગાયબળદ રાખી શકતો નથી. રાખે તો ઢોર તેને પોતાને જ ખાઈ જાય છે. આ જ હાલત આજે હિંદુસ્તાનની છે. ધર્મ, દયા કે નીતિની દ્રષ્ટિ છોડીને વુચારનાર અર્થશાસ્ત્રી તો પોકારીને કહે છે કે

હિંદુસ્તાનમાં લાખો પશુઓનું અસ્તિત્વ મનુષ્યને ખાઈ રહ્યું છે. કારણ કે તેથી લાભ તો થતો નથી, પણ તેને ખવડાવવું તો પડે છે. તેથી એને

મારી નાખવાં જોઈએ. પણ ધર્મ કહો, નીતિ કહો કે દયા કહો, આવાં નકામાં ગણાતાં પશુઓને મારતાં રોકે છે.

આ સ્થિતિમાં શું કરવું ઘટે? જવાબ એ જ છે કે બને તેટલે પ્રયત્ને પશુઓને જીવતાં રાખવાનું અને બોજારૂપ ન બનવા દેવાનું કરી શકાય એમ

કરવું. એ પ્રયત્નોમાં સહકારનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.

સહકાર અથવા સામુદાયિક પદ્ધતિએ પશુપાલન કરવાથી-૧. જગ્યા બચે. ખેડૂતને પોતાના ઘરમાં પશુ રાખવાં ન પડે.

આજે તો જે ઘરમાં પોતે રહે છે તેમાં જ તેનાં ઢોર પણ રહે છે. આથી હવા બગડે છે અને ગંદવાડ રહે છે. માણસ પશુ સાથે એક જ ઘરમાં રહેવાને સર્જાયો નથી. એમાં નથી દયા કે નથી જ્ઞાન.

૨. પશુની સંખ્યા વધતાં એક ઘર પૂરું પડતું નથી. આથી ખેડૂત વાછડાને વેચી દે છે અને પાડાને મારી નાખે છે કે મરવા માટે છોડી દે છે.

આ અધમતા છે. સહ અધમતા છે. સહકારથી આ અટકે.

૩. પશુને રોગ થાય તો તેનો શાસ્ત્રીય ઈલાજ વ્યક્તિગત પદ્ધતિમાં થઈ જ શકતો નથી. સહકારમાં ચિકિત્સા સહેલી થાય છે.

૪. દરેક કિસાન સાંઠ રાખી ન શકે. સહકારમાં ઘણી ગાયો માટે સારો સાંઠ સહેલાઈથી રાખી શકાય.

૫. દરેક ખેડૂતને ગોચર જમીન તો બાજુએ રહી, વ્યાયામની (ઢોરને પગ છૂટા કરવાની)યે જમીન રાખવી અસંભવ છે. સહકારથી સહેલાઈથી બંને સગવડો મળી શકે.

૬. ઘાસ વગેરેનું ખર્ચ વ્યક્તિગત ખેડૂતને ઘણું આવે. તેની સરખામણીમાં સહકારમાં ઓછું પડે.

૭. વ્યક્તિગત ખેડૂત પોતાનું દૂધ સહેલાઈથી વેચી શકતો નથી.

સહકારમાં સારી કિંમત મળે અને દૂધમાં પાણી વગેરે નાખવાની લાલચ-

માંથી ઊગરે.

૮. વ્યક્તિગત ખેડૂતનાં ઢોરની પરીક્ષા કરવી અસંભવ છે. પણ આખા ગામનાં ઢોરોની પરીક્ષા સહેલી છે. અને તેની ઓલાદ સુધારવા-નો ઉપાય સહેલો થાય.

૯. સામુદાયિક અથવા સહકારી પદ્ધતિના પક્ષમાં આટલાં કારણો પૂરતાં લાગવાં જોઈએ.પણ સૌથી મોટી અને સચોટ દલીલ તો એ છે કે વ્યક્તિગત પદ્ધતિને પરિણામે આપણી તેમ જ પશુઓની દયાજનક દશા થઈ છે. તેને ફેરવીએ તો જ આપણે બચી શકીએ અને પશુનેય બચાવી શકીએ.

મારી તો ખાતરી છે કે જો જમીનનેયે આપણે સામુદાયિક પદ્ધતિ-

થી ખેડીએ તો જ તેમાંથી આપણે પૂરો લાભ ઉઠાવી શકીએ. એક ગામની જમીન સો ટુકડાઓમાં વહેંચાઈ જાય તેના કરતાં શું એ વધારે સારું નથી કે સો ખેડૂતો ગામની બધી જમીન સહકારથી ખેડે અને આવક વહેંચી લે

? જે ખેતીને તે જ પશુનેય લાગુ પડે છે.

એ બીજી વસ્તુ છે કે સહકાર પદ્ધતિ પર લોકોને લાવવામાં

મુશ્કેલીઓ છે. સાચી ચીજો કરવામાં મુશ્કેલીઓ હોય છે જ. ગોસેવાનાં સર્વે કામોમાં મુશ્કેલીઓ છે. મુશ્કેલીઓ દૂર કરવામાં જ સેવાનો માર્ગ સાફ

થઈ શકે છે. અહીં તો એટલું જ બતાવવું હતું કે સામુદાયિક પદ્ધતિ શી

ચીજ છે, અને તે વૈયકિતિક પદ્ધતિથી શી રીતે વધારે સારી છે. એટલું જ નહીં, બલ્કે વૈયક્ક ભૂલભરેલી છે અને સામુદાયિક સાચી છે. વ્યક્તિ પોતાની સ્વતંત્રતાની રક્ષા પણ સહકારનો સ્વીકાર કરીને જ કરી શકે છે.

અહીં સામુદાયિક પદ્ધતિ અહિંસા છે, વૈયક્તિક હિંસા છે. ૧

છાણ, કચરો, માણસોનો મળ વગેરેના મિશ્રણમાંથી સોના જેવું ખાતર બને છે. આ ખાતર ખૂબ કીંમતી ચીજ છે. આ ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. આવું ખાતર બનાવવું એ પણ એક ગ્રામઉધોગ જ છે. પરંતુ ભારતના કરોડો લોકો ગ્રામઉધોગ જ છે. પરંતુ ભારતના કરોડો લોકો ગ્રામઉધોગોનો પુનરુદ્ધાર કરવામાં અને એ રીતે ભારતને આબાદ કરવામાં સહકાર ન આપે તો બીજા ગ્રામઉધોગોની જેમ આ ઉધોગ પણ પ્રત્યક્ષ પરિણામ નહીં બતાવી શકે. ૨

પ્રકરણ ચોત્રીસમું

ગ્રામસફાઈ

મજૂરી ને બુદ્ધિ વચ્ચે ફારગતી થઈ છે તેથી ગુનો ગણાય એટલી હદ સુધી આપણાં ગામડાંઓ તરફ આપણે બેદરકાર થયા છીએ. એટલે શોભીતાં ને રળિયામણાં નાનાં નાનાં ગામો ઠેર ઠેર પથરાયેલાં હોય તેને બદલે આપણે ત્યાં ઉકરડા જોવાના મળે છે. ઘણાં, કહો કે લગભગ બધાં, ગામોમાં પેસતી વખતે જે અનુભવ થાય છે તેનાથી આનંદ ઊપજતો નથી.

ભાગોળે જ આજુબાજુ એવી ગંદકી હોય છે ને તેમાંથી એવી બદબો ઊઠે છે કે ઘણી વાર ગામમાં પેસનારને આંખ મીંચી જવી પડે છે ને નાક દબાવવું પડે છે. મોટા ભાગના મહાસભાવાદીઓ ગામડાંના વતનીઓ હોવા જોઈએ. તેમ હોય, તો તેમણે આપણાં ગામડાંઓ ને બધી રીતે

ચોખ્ખાઈના નમૂના બનાવવાં જોઈએ. પણ ગામડાંના લોકોના નિત્ય એટલે કે રોજરોજના જીવનમાં ભાગ લેવાની અથવા તેની સાથે એકરૂપ થવાની તેમણે પોતાની ફરજ કદી માની નથી. રાષ્ટ્રીય કે સામાજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો નથી ને કેળવ્યો નથી. આપણે રિવાજથી અમુક ઢબે નાહીએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે આપણે

શ્રાદ્ધ ને એવા બીજા ધર્મવિધિ કરીએ છીએ, ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવાને સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદુ કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઉપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગો આપણે તે દુર્ગુણના ફળરૂપે ભોગવીએ છીએ. ૧

ગામડાંમાં આપણે કરવાનું એ છે કે તળાવ-કૂવા સાફ કરવાં ને રાખવાં, અને ઉકરડા કાઢી નાખવા. ગ્રામસેવકો જો જાતે કામ શરૂ કરશે, દરરોજ પગારદાર ભંગીની પેઠે કામ કરશે, અને લોકોને એટલું સમજાવશે કે એમની પાસેથી પણ એ કામમાં જોડાવાની અને અંતે જાતે એ બધું કામ

ઉપાડી લેવાની અપેક્ષા રખાય છે, તો ગ્રામસેવકો ખાતરી રાખે કે ગામડાંના

લોકો વહેલામોડા એમને સહકાર આપ્યા વિના નહીં રહે.

રસ્તા ને શેરીઓ પરથી બધો કચરો ફેંકી દેવો જોઈએ, ને એનું વર્ગીકરણ કરવું જોઈએ. એમાં કેટલીક ચીજો એવી હોય છે જેનું ખાતર બની શકે;કેટલીક એવી હોય છે જેને દાટી જ દેવી જોઈએ, અને કેટલીક એવી હોય છે કે જેમાંથી તરત જ પૈસા પેદા થઈ શકે. જેટલાં હાડકાં મળી આવે તે કાચા સોના જેવાં ગણાય, ને એમાંથી ઉપયોગી વસ્તુઓ બને, અથવા એને વાટીને ભૂકો કરવાથી એનું સુંદર ખાતર બને. ચીંથરાં ને નકામા કાગળમાંથી કાગળ ને. અને મળનું ગામડાંનાં ખેતરને માટે સોના જેવું ખાતર બને. મળને ઠેકાણે પાજવાની રીત એ છે કે પેશાબ તેમ જ

મળને નકામી માટી જોડે ભેળવવાં અને તેને વધારેમાં વધારે એક ફૂટ ઊંડો ખાડો કરીને જમીનમાં દાટી દેવાં. ડૉ. પૂરે ગામડાંની સફાઈ વિષેની એમની

ચોપડીમાં લખ્યું છે કે મળ જમીન-માં ૯થી ૧૨ ઈંચ કરતાં વધારે ઊંડાઈએ દાટવો ન જોઈએ(આ ચોપડી અત્યારે મારી પાસે નથી, પણ આ પ્રમાણે

લખેલું મને યાદ છે). લેખકનું કહેવું એમ છે કે નકામી જમીનમાં સૂક્ષ્મ

જંતુઓ છે અને પ્રકાશ અને હવા પણ આટલે ઊંડે સહેજે પહોંચી શકે છે.

એ જંતુઓ અને હવા તથા પ્રકાશ મળીને એક અઠવાડિયાની અંદર મળનું સુંદર નરમ ખાતર બનાવી દે છે. કોઈ પણ ગ્રામવાસી આ વસ્તુ અજમાવીને જોઈ શકે છે. આમ કરવાનો એક રસ્તો એ છે કે સ્થાયી જાજરૂ

રાખીને તેમાં માટીનાં કૂંડાં કે લોઢાની ડોલો રાખવાં, અને તેમાંનાં મળમૂત્ર દરરોજ યોગ્ય રીતે તૈયાર કરેલી જગાએ ઠાલવી દેવાં. અથવા બીજો રસ્તો એ છે કે જમીનમાં ખાડા કરીને તૈયાર રાખ્યા હોય ત્યાં શૌચક્રિયા કરવી.

મળને ગામની સાર્વજનિક જમીનમાં અથવા તો કોઈ માણસોની ખાનગી

માલિકીની જમીનમાં દાટી શકાય. આ કામ ગામલોકોના સહકાર વડે જ થઈ શકે. બીજું કશું ન જ બને તોયે કોઈ સાહસિક ગ્રામવાસી મળને ભેગા કરીને પોતે એમાંથી ધન ઉપજાવી શકે. આજે આ લાખો રૂપિયાની કિંમતનું ખાતર દરરોજ વેડફાઈ જાય છે, હવાને બગાડે છે અને બદલામાં રોગો પેદા કરે છે.

ગામડાંનાં તળાવના પાણીને લોકો નાહવા, કપડાં ધોવા અને પીવા તથા રાંધવા માટે ફાવે તેમ વાપરે છે. ધણાં ગામડાંનાં તળાવનો ઢોર પણ ઉપયોગ કરે છે. ભેંસ ઘણી વાર એમાં આળોટતી દેખાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગામડાંનાં તળાવનો આટલો ઘોર દુરુપયોગ થતો હોવા છતાં ગામડાં હજુ ચેપી રોગોથી નાશ પામ્યાં નથી. બધા જ ડૉકટરો એવો પુરાવો આપે છે કે ગામડાંને સ્વચ્છ પાણી જ મળે એવી વ્યવસ્થા આપણે કરી નથી શકતા તકે જ ગામડાંના ઘણા રોગોનું મૂળ કારણ છે.

એટલું તો સૌ કબૂલ કરશે કે આ કામ એવું છે કે એમાં રસના ઘૂંટડા આવે, ઘણી કીમતી કેળવણી મળે અને એમાંથી હિંદુસ્તાનની દુઃખી

પ્રજાને પાર વિનાનો લાભ થાય. આ કામને પહોંચી વળવાના ઉપાયનું જે વર્ણન મેં કર્યું છે તે પરથી મને આશા છે એટલું સ્પષ્ટ સમજાયું હશે કે જો કલમ કે સીસાપેનના જેટલાં જ સહેલાઈથી ને ગર્વથી સાવરણી ને પાવડો

ચલાવવાને તત્પર એવા ઉત્સાહી ગ્રામસેવકો આપણને મળી રહે તો ખરચનો સવાલ તો લગભગ આખો ઊડી જ જાય. સાવરણી, ટોપલી, પાવડો ને કોદાળી, અને કદાચ ચેપ અટકાવનારી વસ્તુ એટલો જ સરંજામ

આપણને જોઈએ. સૂકી રાખ એ કોઈ પણ રસાયણશાસ્ત્રી આપી શકે એના જેટલી જ અસરકારક રીતે ચેપ અટકાવનારી વસ્તુ હશે. પણ આ બાબતમાં પરગજુ રસાયણ શાસ્ત્રીઓએ આપણને કહેવું જોઈએ કે ગામડાંના લોકો ગામડાંમાંથી જ મેળવી શકે એવી સૌથી અસરકારક અને સસ્તી ચેપ અચકાવનારી વસ્તુ કઈ ગણાય. ૨

ભારતવર્ષના આદર્શ ગામડાની રચના એવી હશે કે સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતાં હવા-અજવાળાંવાળી ઝૂંપડીઓ હશે, ને તે આસપાસના પાંચ માઈલના ઘેરાવામાંથી મળતી સાધન-સામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓને વાડા રાખેલા હશે જેથી તેમાં વસનાર માણસો તેમના ઘરના ઉપયોગ પૂરતાં શળાકભાજી ઉગાડી શકે ને ઢોર રાખી શકે. ગામડાના રસ્તા ને શેરીઓ જેટલાં ધૂળ વિનાનાં બનાવી શકાય એટલાં બનાવશે. ગામમાં ગામની જરૂરિયાત પૂરતા કૂવા હશે ને તેમાંથી પાણી ભરવાની સૌને છૂટ હશે. સૌને માટે ઉપાસનાનાં સ્થાનો હશે, એક સાર્વજનિક સભાસ્થાન હશે, ઢોરને ચરવા માટે ગોચર હશે, સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ઘાલય, ઔધોગિક શિક્ષણને કેન્દ્રમાં રાખીને

ચાલતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, અને ઝઘડા પતાવવા માટે પંચાયતો એ ગામડામાં હશે. ગામડું પોતાના ખપ પૂરતાં અનાજ, શાક-

ભાજી ને ફળ પકવી લેશે, ને પોતાના વાપર પૂરતી ખાદી પેદા કરી લેશે.

આદર્શ ગામડાં વિષેની મારી કલ્પનાની આ રૂપરેખા છે. આજના સંજોગોમાં તો ગામડાની ઝૂંપડીઓમાં સહેજસાજ સુધારા થઈ શકે એટલું જ; બાકી તે જેવી ને તેવી રહેશે. જ્યાં સારો જમીનદાર હોય ત્યાં અથવા જ્યાં લોકોમાં સહકારની ભાવના હોય ત્યાં, આદર્શ ઝૂંપડાં સિવાયનો લગભગ આખો કાર્યક્રમ એક કે અનેક જમીનદાર સહિત સર્વ ગ્રામવાસીઓ મળીને કરી શકે એકલા ખરચથી, સરકારની મદદ વિના, પાર પાડી શકાય એવો છે.

સરકારની મદદ હોય તો તો ગામડાંની પુનર્ઘટનાનું કામ પર વિનાનું થઈ

શકે. પણ મારું કામ હાલ તુરત તો એ શોધી કાઢવાનું છે કે ગ્રામવાસીઓમાં પરસ્પર સહકારની ભાવના હોય ને તેઓ જો સાર્વજનિક હિતને ખાતર સ્વેચ્છાએ શ્રમ કરે તો તેઓ સ્વાવલંબનથી કેટલું કરી શકે.

મારી પાકી ખાતરી છે કે જો એમને બુદ્ધિપૂર્વક દોરનાર કોઈ હોય તો તેઓ વ્યક્તિઓની આવકથી ભિન્ન એવી આખા ગામડાની આવક બમણી તો કરી જ શકે. આપણાં ગામડાં માં સાધનસામગ્રીનો અખૂટ ભંડાર પડેલો છે. એ બઘધાને જ વેપારી દ્રષ્ટિએ ઉપયોગ ન થઈ શકે; પણ સ્થાનિક ને ઘરગથ્થુ ઉપયોગ તો લગભગ એમાંથી એકએક ચીજનો થઈ શકે. સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે ગામડાંના લોકો એમની સ્થિતિ સુધારવાને જરાયે રાજી જ હોતા નથી.

ગ્રામસેવક સૌથી પહેલાં સફાઈના પ્રશ્નનો નિકાલ કરશે.

ગ્રામસેવક ને હંફાવી રહેલી ને લોકોનાંશરીરની પાયમાલી કરીને રોગનાં ઘર ઘાલનારી અનેક વસ્તુઓમાં સૌથી વધારે ઉપેક્ષા આની થઈ છે.

ગેરમસેવક જો સ્વેચ્છાએ ભંગી બને તો તે ગામના મળ ઉઠાવી તેનું ખાતર બનાવવાના ને ગામની શેરીઓ વાળવાના કામથી આરંભ કરશે. શૌચાદિક

માટે ક્યાં જવું ને એ ક્રિયાઓ કેવી રીતે કરવની એ તે લોકોને કહેશે, અને સફાઈની ઉપયોગિતા સમજાવી એ વિષે બેદરકારી રાખવાથી થતા ભારે નુકસાનનો ચિતાર તેમને આપશે. ગ્રામવાસીઓ પોતાનું કહેલું સાંભળે કે ન સાંભળે તોયે ગ્રામસેવક પોતાનું કામ કર્યે જશે. ૩

પ્રકરણ પાંત્રીસમું

ગામડાનું આરોગ્ય

જ્યાં શરીરની ચોખ્ખાઈ, ઘરની સફાઈ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય

છે. અને ઉપર ગણાવેલી સફાઈ સાથે દિલની સફાઈ હોય, તો રોગ અસંભવિત બની જોય, એમ કહી શકાય. દિલની સફાઈ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય, તો વૈદ હકીમ કે દાકતરની જરૂર રહેતી નથી.

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઈ રહે. અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાંની કે શહેરની આદર્શ રચના સમાઈ જાય છે. અલબત્ત, એ આદર્શ રચનાનું મધ્યબિંદુ તો ઈશ્વર જ હોય. ૧

કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, તેમાં ઓછામાં ઓછું ખરચ અને ઓછામાં ઓછી ધમાલ હોય. કુદરતી ઉપચારનો આદર્શ એ છે કે, ઉપચાર થઈ શકે એવાં સાધનો બનતા સુધી ગામડાંમાં જ હોવાં જોઈએ, અને ન હોય તો પેદા કરી લેવાં જોઈએ. કુદરતી ઉપચારમાં જીવનપરિવર્તનની વાત તો છે જ. આ કંઈ વૈદનું પડીકું લેવાની અથવા ઈસ્પિતાલમાં જઈને મફત દવા લેવાની કે ત્યાં રહેવાની વાત નથી. મફત દવા લેનારો ભિખારી બને છે. કુદરતી ઉપચાર કરનારો કદી ભિખારી બનતો નથી. તે પોતાની પ્રતિષ્ઠા વધારે છે ને સારા થવાનો ઉપાય

પોતાની મેળે કરી લે છે, તથા શરીરમાં ઝેર કાઢી નાખી ફરી વાર માંદો ન પડે, એવો પ્રયત્ન કરે છે.

પથ્ય ખોરાક, યુક્તાહાર, એ અનિવાર્ય અંગ છે ખરું. આપણે જેવા કંગાળ છીએ તેવાં આપણાં ગામડાં કંગાળ છે. ગામડાંમાં શાકભાજી, ફળ, દૂધ વગેરે પેદા કરવાં, એ કુદરતી ઉપચારનું ખાસ અંગ છે. તેમાં જે સમય જાય છે, તે વ્યર્થ જતો નથી એટલું જ નહીં, તેનાથી બધા ગ્રામવાસીઓને અને અંતે આખા હિંદુસ્તાનને લાભ છે. ૨

આનો (કુદરતી ઉપચારનો) સાર એ કે, આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈને પાળીએ અને યોગ્ય ખોરાક લઈએ, તો આપણે પોતે આપણા દાક્તર બની ગયા. જે માણસ જીવવા માટે ખાય છે, પંચમહાભૂતો એટલે કે, માટી, પાણી, આકાશ, સૂર્ય અને વાયુનો મિત્ર બનીને અને તેમના સરજનહાર પ્રભુનો દાસ બનીને રહે, તે બીમાર નહીં પડે. પડે, તોપણ ઈશ્વરને આધારે રહી શાંતિથી મરણને ભેટશે. પોતાના ગામના ખેતરની કોઈ ઔષધિ મળી, તો લેશે. કરોડો માણસો આમ જ જીવે છે ને

મરે છે. તેમણે દાક્તરનું નામ સુધ્ધાં સાંભળ્યું નથી, પછી મોઢું તો ક્યાંથી જ જોયું હોય ? આપણે આવા બનીએ અને આપણી પાસે ગામડાંનાં બાળકો તથા તેમના વડીલો આવે છે, તેમને પણ આમ જ રહેતાં શીખવીએ. દાકતરો કહે છે કે, સોમાંથી નવ્વાણું જણ ગંદકીથી, ન ખાવાનું ખાવાથી, ખાવો જોઈએ તે ખોરાક ન મળવાથી અને ભૂખથી મરે છે. જો આ નવ્વાણુંને આપણે જીવનકળા શીખવીએ, તો બાકીના એકને આપણે ભૂલી શકીએ. અને તેને કોઈ ડૉકટર જરૂર મળી રહેશે. તેની ફિકર આપણે કરવાની ન હોય. આજે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી

ચોખ્ખી માટી મળતી, નથી ચોખ્ખી હવા મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાનો વિચાર કરીએ અને યોગ્ય ખોરાક યોગ્ય રીતે

લઈએ, તો કેટલાય યુગોનું કામ થયું સમજજો. તેનું જ્ઞાન મેળવવાને માટે નથી ડિગ્રી જોઈતી,નથી કરોડો રૂપિયા જોઈતા. કેવળ ઈશ્વર પર શ્રદ્ધા, સેવાની ધગશ અને પંચમહાભૂતોનો થોડો પરિચય તથા યુક્તાહારનું જ્ઞાન જોઈએ. આટલું તો આપણે શાળાકૉલેજના શિક્ષણ કરતાં ઓછી મહેનત અને ઓછા સમયમાં મેળવી શકીએ. ૩

રોગમાત્ર જાણીજોઈને કુદરતના નિયમનો ભંગ કરવાથી અગર અજાણતામાં તેમનો ભંગ થવાથી થાય છે. તેથી, એનો અર્થ એવો થયો કે, વખતસર તે નિયમોનું પાલન પાછું શરૂ થાય, તો રોગ નાબૂદ થાય. જે

માણસ કુદરતના નિયમોનો ભંગ કરી તેને કસોટીએ ચડાવે, તેણે કાં તો કુદરત તરફથી મળતી સજા ભોગવી લેવી અથવા તે સજામાંથી બચાવાને જરૂર હોય, તે મુજબ દવા કે વાઢકાપ કરાવવી. પણ, જે સજા પોતાની કરણીથી માણસ વહોરી લે છે, તેને ભોગવી લેવાથી તેનું મન મજબૂત બને છે; તે સજામાંથી છટકવાના ઉપાય કરવામાંથી મનની તાકાત ઘટે છે. ૪

દેશને ખાતર દાકતરી ધંધો કરનારા અને વિજ્ઞાનીઓ શું કરે છે તે

મારે જાણવું છે. ખાસ રોગોની સારવારની નવી પદ્ધતિઓ શીખવાને તેઓ જરાજરામાં પરદેશ દોડી જતા દેખાય છે. મારી તેમને દરખાસ્ત છે કે હવે

હિંદના સાત લાખ ગામડાં તરફ તેઓ પોતાનું લક્ષ વાળે. એમ કરતાંની સાથે તેમને જણાશે કે પશ્ચિમની ઢબે નહીં પણ પૂર્વના દેશોની ઢબે ગામડાંની સેવાને માટે દાકતરી ધંધાની કેળવણી પામેલાં એકે-એક

સ્ત્રીપુરુષની અહીં જરૂર છે. એ પછી તમે લોકો ઘણી દેશી પદ્ધતિઓને અનુકૂળ થઈ તેમને અપનાવશો. પશ્ચિમમાંથી તૈયાર દવાઓ આયાત કરવાની હિંદને કશી જરૂર નથી કેમ કે ખુદ ગામડાંમાં ઉગાડવામાં આવતી ભાતભાતની ઔષધિઓનો અખૂટ ભંડાર આપણે ત્યાં મોજૂદ છે. પરંતુ ઔષધિઓ વાપરવા કરતાં પણ દાકતરોએ લોકોને જીવનની સાચી પદ્ધતિની કેળવણી આપવાની જરૂર વધારે છે. ૫

આ વાત (કુદરતી ઉપચારની) કેવળ ગામડિયાઓ સારુ, ગામડાંઓ સારુ છે. એટલે એમાં સૂક્ષ્મદર્શક યંત્ર, ‘ક્ષ’કિરણો વગેરેને કશું સ્થાન નથી. કિવનાઈન, ઈમેટિન, પેનિસિલીન, જેવી દવાઓને પણ નેચર-ક્યોરમાં સ્થાન નથી. ગ્રામસફાઈ, ઘરસફાઈ, અંગસફાઈ અને આરોગ્ય-રક્ષણને પ્રથમ સ્થાન છે અને સંપૂર્ણ છે. એટલું થઈ શકે, તો વ્યાધિ ન આવી શકે, એ એની પાછળની કલ્પના છે. અને વ્યાધિ આવ્યો હોય, તો તેને કાઢવાને ખાતર કુદરતના બધા નિયમોને જાળવવા છતાં રામનામ એ મૂળ ઉપચાર છે. એ ઉપચાર સાર્વજનિક ન થઈ શકે, જ્યાં

લગી રામનામની સિદ્ધિ પોતાનામાં ઉપચારકને ન આવી હોય. એટલે રામનામરૂપી ઉપચાર એકાએક સાર્વજનિક ન થઈ શકે. ૬

પ્રકરણ છત્રીસમું

ગામડાનો આહાર

સંચાથી ખાંડેલા વિ૦ હાથે ખાંડેલા ચોખા જો ડાંગરને ગામડાંમાં જૂની ઢબે હાથે ખાંડવામાં આવે તો ડાંગર ખાંડનારી બહેનોને કમાણી મળે, અને ચોખા ખાનાર કરોડો માણસોને સંચે ખાંડેલા ચોખામાંથી નર્યો ‘સ્ટાર્ચ’મળે છે તેને બદલે હાથે ખાંડેલા ચોખામાંથી કંઈક પૌષ્ટિક તત્ત્વો મળે. દેશના જે ભાગોમાં ડાંગર પાકે છે ત્યાં બધે ડાંગર ખાંડવાના બેહૂદા સંચા જામી ગયા છે એનું કારણ માણસોનો લોભ છે. એ

લોભ જેને ચૂસે છે તેનાં આરોગ્ય કે સંપત્તિનો કશો વિચાર જ નથી કરતો.

જો લોકમત બળવાન હોય તો તે હાથે ખાંડેલા ચોખા જ વાપરવાનો આગ્રહ રાખે; ડાંગર ખાંડવાનાં કારખાનાંના માલિકોને વીનવે કે જે ધંધો આખા રાષ્ચ્રના આરોગ્યને હાનિ કરે છે અને જે ગરીબ માણસોનું પ્રામાણિકપણે ગુજારો કરવાનું સાધન છીનવી લે છે તે ધંધો તેઓ બંધ કરે, અને આમ

કરીને તે ડાંગર ખાંડવાના સંચા ચાલવા જ અશક્ય કરી મૂકે. ૧

હાથે દળેલા ઘઉં

સૌ ડૉકટરોનો અભિપ્રાય છે કે ભૂસા વિનાનો લોટ એ પૉલિશ કરેલા ચોખા જેટલો જ ખરાબ છે. બજારમાં જે ઝીણો લોટ કે મેંદો મળે છે તેના કરતાં ઘરમાં ઘંટીએ દળેલો આખા ઘઉંનો લોટ સારો છે ને સસ્તો પણ છે. સસ્તો છે કેમ કે દળામણની કિંમત બચી જાય છે. વળી ઘરના દળેલા

લોટમાં વજનનો ઘટાડો થતો નથી. ઝીણાં લોટમાં ને મેંદામાં વજનનો ઘટાડો થાય છે. ઘઉંનો સૌથી પૌૈષ્ટિક ભાગ તેના ભૂસામાં રહેલો છે. ઘઉંનું ભૂસું કાઢી નાખવામાં આવે ત્યારે પૌષ્ટિક તત્ત્વની ભયાનક હાનિ થાય છે.

ગ્રામવાસીઓ અને બીજા જે ઘરની ઘંટીમાં દળેલા આખા ઘઉંનો લોટ ખાય

છે તે પૈસા બચાવે છે, અને વધારે અગત્યનું તો એ કે આરોગ્ય બચાવે છે.

અત્યારે લોટની મિલો જે લાખો રૂપિયા કમાય છે તેમાંનો મોટો ભાગ, જ્યારે ગામડાંમાં ઘંટીઓ પાછી ફરી ચાલતી થશે ત્યારે, ગામડાંમાં જ રહેશે અને સુપાત્ર ગરીબો-માં વહેંચાશે. ૨

ગોળ

ડૉકટરના પુરાવા બતાવે છે કે સફેદ ખાંડના કરતાં ગોળ વધારે પૌષ્ટિક છે; અને જો ગ્રામવાસીઓ ગોળ બનાવવાનું છોડવા લાગ્યા છે તેમ

છેક જ છોડી દેશે તો તેમનાં બાળકોના ખોરાકમાંથી એક અગત્યની વસ્તુ નીકળી જશે. તેઓ પોતે કદાચ ગોળ વિના ચલાવી શકશે; પણ તેમનાં છોકરાંનાં શરીરને ગોળ વગર હાનિ થયા વિના નહીં રહે....ગોળ બનવો

ચાલુ રહે અને લોકો એનો ઉપયોગ કરવો છોડે નહીં તો કરોડો રૂપિયા ગ્રામવાસીઓનાં ગજવાંમાં રહેશે. ૩

લીલોતરી

ખોરાક અથવા વિટામિન વિષે લખેલું કોઈ પણ આધુનિક પુસ્તક ઉઘાડો તો તેમાં દરેક ભોજન સાથે થોડી કાચી લીલોતરી અથવા ભાજી

લેવાની ભલામણ કરેલી જોવામાં આવશે. અલબત્ત આ ભાજીમાં લાગેલો ધૂળ વગેરે કચરો સાફ કરવા માટે તેને ચાર છ વાર સારી રીતે ધોવી જોઈએ. આવી ભાજી દરેક ગામમાં સહેલાઈથી-ફકત ચૂંટી લેવાની મહેનતે-

મળે છે. તેમ છતાં ભાજી શહેરના લોકોની શોખની વસ્તુ મનાય છે.

હિંદુસ્તાનના ઘણા ભાગોમાં ગામડાંના લોકો દાળભાત અથવા રોટલા ને પુષ્કળ મરચાં ખાય છે, જે શરીરને નુકસાન કરે છે. ગામડાંની આર્થિક નવરચનાનું કામ ખોરાકના સુધારાથી શરૂ કરવામાં આવ્યું છે તેથી સાદામાં સાદા ને સોંઘામાં સોંઘા ખોરાક શોયધી કાઢવા એ આવશ્યક છે, જેથી ગામડાંના લોકો પોતાનું ખોયેલું સ્વાસ્થ્ય પાછું મેળવી શકે. તેમના ખોરાકમાં ભાજીનો ઉમેરો કરવાથી તેઓ આજે જે ઘણા રોગોથી પીડાય છે, તેમાંથી બચી જશે. તેમના ખોરાકમાં વિટામિનોની ઊણપ હોય છે, જે તાજી લીલી ભાજીથી પૂરી શકશે.

મેં મારા ખોરાકમાં સરસવ તથા સૂવાની ભાજી, સલગમ, ગાજર તથા મૂળાનાં કૂણાં પાન સામેલ કર્યાં હતાં. આ ઉપરાંત મૂળો, સલગમ

અને ગાજર પણ કાચાં ખાઈ શકાય છે તે જાણીતી હકીકત છે. આ ભાજી

અને કંદને રાંધવામાં પૈસાનો દુરુપયોગ થાય છે અને તેનો સ્વાદ નાશ પામે છે. શાકભાજી રાંધવામાં તેમાંનાં વિટામિન મોટે ભાગે અથવા સમૂળગાં નાશ પામે છે. શાકભાજી રાંધવામાં સ્વાદનો નાશ થાય છે એમ

મે કહ્યું, કારણ કે રાંધ્યા વગરનાં શાકભાજીમાં તેમનો પોતાનો સ્વાભાવિક સુસ્વાદ હોય છે, તે રાંધવામાં નાશ પામે છે. ૪

પ્રકરણ સાડત્રીસમું

ગામડાનો કાર્યકર્તા

ગામડાંના કામથી આપણે ભડકીએ છીએ. આપણે શહેરી થઈ ગયા છીએ એટલે તે કામ ઉપાડી લેતાં આપણા મોતિયા મરી જાય છે. એ કઠણ જીવનને પહોંચી વળવાને માટે આપણામાંના ઘણાનાં શરીર પણ તૈયૌર નથી.

પણ જો પ્રજાને માટે સ્વરાજ સ્થાપવું હોય, અને એક વર્ગના રાજ્યને બદલે કદાચ તેથી પણ વધારે ખરાબ હોય એવું બીજા વર્ગનું રાજ્ય ન સ્થાપવું હોય, તો એ મુશ્કેલીની સામે આપણે હિંમતથી જ નહીં પણ મરણિયા થઈને કમર કસવી જોઈએ. આજ સુધી ગામડિયાઓ થોકેથોક મૂઆ છે-આપણને જિવાડવા

માટે. હવે આપણે મરવું પડશે-તેમને જિવાડવા માટે. ફેર આસમાન જમીનનો પડશે. ગામડિયાઓ અજાણતાં અને અનિચ્છાએ મૂઆ. તેમના બળાત્કારે થયેલા બલિદાનથી આપણી અવનતિ થઈ છે. હવે જ્ઞાનપૂર્વક અને ઈચ્છા-પૂર્વક આપણે

મરીએ તો આપણું બલિદાન આપણને અને આખી પ્રજાને ઉન્નત કરશે. જો આપણે સ્વતંત્ર સ્વભિમાની પ્રજા તરપીકે ટકી રહેવું હોય તો આ આવશ્યક બલિદાન આપતાં આપણે પાછી પાની ન કરીએ. ૧

સુઘડ ઘરના જેવી કોઈ નિશાળ નથી, અને પ્રામાણિક સદ્‌ગુણી

માતાપિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી. આજનું હોઈસ્કુલ-

નું શિક્ષણ

પ્રકરણ આડત્રીસમું

સમગ્ર ગ્રામસેવા

અઢારવિધ રચનાત્મક કાર્યક્રમમાં સમગ્ર સેવા આવી જાય છે. બધા ગામલોકોને ઓળખવા, તેમની જરૂરી સેવા કરવી એટલે કે તે માટે સાધન

મેળવી આપવું અને તેમને તે કામ શીખવી દેવું, બીજા કાર્યકર્તાઓ તૈયાર કરવા વગેરે એમાં આવી જાય છે. ગ્રામસેવક ગામલોકો પર એટલો પ્રભાવ પાડે કે તેઓ પોતે આવીને તેની સેવા માગે અને તે માટે જે સાધનો કે બીજા કાર્યકર્તાઓ જોઈએ તે મેળવવામાં તેન પૂરેપૂરી મદદ કરે. હું એક ગામડામાં ઘાણી નાખીને બેઠો હોઉં તો ઘાણીને લગતાં બધાં કામો તો કરીશ જ; પણ હું પંદરવીસ રૂપિયા કમાનારો સામાન્ય ઘાંચી નહીં રહું. હું

મહાત્મા ઘાંચી બનીશ. ‘મહાત્મા’શબ્દ મેં વિનોદમાં વાપર્યો છે. એનો અર્થ કેવળ એટલો જ છે કે મારા ઘાંચીપણામાં હું એટલી સિદ્ધિ સમાવીશ કે જેથી ગામલોકો અજબ થઈ જાય. હું ગીતા વાંચનારો, કુરાન શરીફ

પઢનારો, અનેક બાળકોને શિક્ષણ આપવાની શક્તિવાળો ઘાંચી બનીશ.

વખતના અભાવે હું બાળકોને શિક્ષણ ન આપી શકું એ જુદી વાત. લોકો આવીને કહેશેઃ”ઘાંચી મહાશય, અમારાં બાળકો માટે એક શિક્ષક તો લાવી આપો.” હું કહીશ, “શિક્ષક તો હું લાવીઆપું પણ તેનું ખરચ તમારે ઉઠાવવું પડશે.” તે લોકો એ વાત ખુશીથી સ્વીકારશે. હું તેમને કાંતતાં શીખવીશ. તેઓ વણકર મેળવવામાં મારી મદદ માગશે. ત્યારે શિક્ષક લાવી આપ્યો તેમ તેમને વણકર લાવી આપીશ, એટલે જે ઈચ્છે તે વણાટ પણ શીખી લે. તેમને ગ્રામસફાઈનું મહત્ત્વ સમજાવીશ એટલે તેઓ સફાઈ માટે ભંગીની માગણી કરશે. હું કહીશ કે, “હું પોતે ભંગી છું. આવો, તમને એ કામ પણ શીખવી દઉં.” આ મારી સમગ્ર સેવાની કલ્પના છે. તમે કહી શકશો કે આવો ઘાંચી આ યુગમાં તો પેદા થવાનો નથી, તો હું તમને કહીશ કે, ત્યારે આ યુગમાં ગામડાં પણ છે તેવાં જ રહેવાનાં છે.

રશિયાના ઘાંચીનો દાખલો લો. તેલની મિલો ચલાવનારા પણ ઘાંચી જ છે ને ? તેમની પાસે પૈસા હોય છે, પણ પૈસા મળ્યા તેથી શું

મળ્યું? પૈસો તો હાથનો મેલ છે. ખરી શક્તિ જ્ઞાનમાં રહેલી છે.

જ્ઞાનવાનની નૈતિક પ્રતિષ્ઠા અને લૈતિક બળ હોય છે. તેથી તેની સૌ લોકો સલાહ લેવા જાય છે. ૧

ગામડાંમાં પક્ષાપક્ષી

આપણાં યશહેરોમાં જેમ પક્ષો અને તડ જોવા મળે છે તેવી જ રીતે આપણાં ગામડાંઓમાં પણ પક્ષાપક્ષી દેખાતી હોય તો હિંદુસ્તાનને

માટે અફસોસ કરવા જેવું થાય. અને ગામડાંઓના કલ્યાણનો વિચાર ન રાખતાં સત્તાનો કબજો કરવાની ચડસાચડસીનું રાજકારણ પક્ષોની પોતાની સત્તા વધારવાના હેતુથી આપણાં ગામડાંઓમાં દાખલ થાય તો તે ગામડાંની વસ્તીની પ્રગતિમાં સહાયરૂપ ન થતાં ઊલટું તેમાં બાધા કરશે. મારો પોતાનો એવો મત છે કે ગમે તેવું પરિણામ આવે તેની પરવા કર્યા વિના આપણે આપણા કામમાં બની શકે તેટલી બધી સ્થાનિક મદદ લેવી જોઈએ, અને આપણને સત્તા કબજે કરવાનો રંગ નહીં લાગ્યો હોય તો આપણે હાથે કશું બગડવાનો ઝાઝો સંભવ રહેતો નથી. આપણે યાદ રાખીએ કે શહેરોનાં અંગ્રેજી ભણેલાં સ્ત્રીપુરુષોએ આપણા મુલકના મુખ્ય આધાર સમાં આપણાં ગામડાંઓ તરફ બેદરકાર રહેવાનો ગુનો કર્યો છે. એટલે આજ સુધીની આપણી બેપરવાઈ યાદ રાખવાથી આપણામાં ધીરજ કેળવાશે.

આજ સુધી જે જે ગામે મારે જવાનું થયું છે ત્યાં એકાદ પ્રામાણિક કાર્યકર્તા

મને મળ્યા વિના રહ્યો નથી. પણ ગામડાંઓમાંયે કંઈક સારું સ્વીકારવા જેવું હોય છે એવું માનવા જેટલા આપણે નમ્ર થતા નથી તેથી તે આપણને જડતો નથી. બેશક, સ્થાનિક પક્ષાપક્ષીથી આપણે પર રહેવું જ જોઈએ.

પણ બધાયે પક્ષોની અથવા કોઈ પણ પક્ષની નહીં એવી સહાય ખરેખર સારી હોય તે સ્વીકારવી એટલું આપણે શીખીશું તો જ પક્ષાપક્ષીથી પર રહી શકીશું. ૭

Share

NEW REALESED