Adani Masala books and stories free download online pdf in Gujarati

અદાણી મસાલા

અદાણી મસાલા

ભવ્ય રાવલ

અદાણી મસાલાની નેક્સ્ટ જનરેશનએ ગૃહ ઉદ્યોગ સમા અદાણી મસાલાનું મલ્ટીનેશનલ કંપનીમાં રૂપાંતર કર્યું

પરંપરાગત સ્વાદમાં આધુનિકતાનો સંગમ રચી મસાલા માર્કેટમાં નંબર ૧ બનતા અદાણી મસાલા

અદાણી પરિવારની ત્રીજી પેઢી ઓર્ગેનિક મસાલા બજારમાં લઈ આવશે

તમારા મમ્મી-દાદી કે માસી-મામીની જ રસોઈ તમને કેમ ભાવે છે એનું રહસ્ય આજે ખુલ્લું પડવા જઈ રહ્યું છે. જ્યારે ભોજનમાં મા, મામી, માસીની મમતા સાથે અદાણી મસાલા ઉમેરાય છે ત્યારે આંગળીઓ ચાટતા રહી જવાય છે. જો વિશ્વાસ ન હોય તો સ્વાદનાં શોખીન અને રસોઈની રાણી એવા મમ્મી-દાદીઓને પૂછી જોવો કે રસોઈનાં રાજા અદાણી મસાલા વિના કોઈપણ ભોજન સામગ્રી સ્વાદિષ્ટ બની શકે ખરી? જવાબ છે – ના. છેલ્લાં ૬૦થી વધુ વર્ષોથી અદાણી મસાલા સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત પૂરા વિશ્વમાં ફૂડ પ્રોડક્ટ્સની એક એવી બ્રાંડ બની ગઈ છે જેનું ફક્ત નામ હી કાફી છે. અદાણી મસાલા કોઈ ઓળખનાં મોહતાજ નથી તેમ છતાં આવો કરીએ આ અદાણી મસાલાની કેટલીક અજાણી ચટાકેદાર ચર્ચા.

૧૯૫૫ની સાલમાં સ્વ. અનંતરાય અદાણી અને તેમના ધર્મપત્ની સ્વ. લાભકુંવરબેન અનંતરાય અદાણીએ આટકોટમાં પોતાના ઘરમાંથી મસાલાઓ બનાવીને ઓળખીતાઓમાં મોકલવાનું શરૂ કર્યું. ત્યારબાદ ૧૯૫૮-૫૯માં તેઓ રાજકોટ આવી ગયા અને રાજકોટનાં તેમનાં ઘરમાંથી સીઝનલ મસાલા બનાવી સૌ પ્રથમ તો રાજકોટથી છેક મુંબઈ સુધી કુટુંબ, પરિવાર અને મિત્રવર્ગમાં વહેચ્યા. અનંતરાયભાઈ મસાલાનાં માર્કેટિંગમાં ધ્યાન આપે જ્યારે લાભકુંવરબેન મસાલા બનાવવા અને તેનાં પેકિંગનું કામકાજ સંભાળે. ધીમેધીમે અદાણી દંપતીએ બનાવેલા ઘરઘરાઉ મસાલાની માંગ એવી તો વધી કે, અદાણી મસાલા રસો‘રાણી’ઓની અનિવાર્ય જરૂરિયાત બની ગયા આથી ૧૯૮૦માં આજી વસાહતમાં શેડ અને રાષ્ટ્રીય શાળા પાસે નાનકડી દુકાન રાખી અદાણી મસાલાની શરૂઆત નાના પાયા પરથી મોટા પાયા પર કરવામાં આવી. જેમાં અદાણી મસાલાનાં સ્થાપક અનંતરાય અદાણીનાં છ સંતાનો નવીનભાઈ, પ્રવીણભાઈ, અરુણભાઈ, સ્વ. હરેશભાઈ, હર્ષદભાઈ અને જીતેન્દ્રભાઈ (જીતુભાઈ)એ પિતાનાં મસાલાનાં વ્યવસાયને હર્ષભેર વધાવ્યો અને આગળ જતા અનંતરાયનાં છ સંતાનો પૈકીનાં બે સંતાનો ફાર્માસ્યુટિકલનાં વ્યવસાયમાં કલકત્તા સ્થાયી થયા. હર્ષદભાઈ, જીતેન્દ્રભાઈ અને બાકીનાં અદાણી બંધુઓ પિતાનાં અદાણી મસાલા જોડાયેલા રહી અદાણી મસાલાને આમથી ખાસ બનાવવાનાં પ્રયત્નોમાં લાગી પડ્યા.

પસાર થતા સમયની સાથે અદાણી મસાલાની લોકપ્રિયતા અને બજાર માંગ વધતા આજી વસાહતનો અદાણી મસાલાનો શેડ નાનો પડતાં હર્ષદભાઈ અને જીતુભાઈએ ૧૯૯૫-૯૬ની સાલમાં મેટોડા ખાતે અદાણી મસાલાનો આધુનિક પ્લાન્ટ નાખ્યો. આ સાથે જ ગૃહ ઉદ્યોગની બનાવટ કહેવાતા અદાણી મસાલાનું ૧૯૯૫ની સાલમાં જ અદાણી પ્રા.લિ. કંપની તરીકે સ્થાપન કરવામાં આવ્યું. વળી, ૨૦૧૧ની સાલમાં હર્ષદભાઈ અને જીતુભાઈનાં કલકત્તા સ્થાયી થયેલા બંધુઓ પણ રાજકોટ પરત આવી ગયા અને મેટોડામાં અદાણી મસાલા સાથે ફાર્માસ્યુટિકલ કંપની નાખી. આ સાથોસાથ હવે બધા જ અદાણી બંધુ અને તેમનાં સંતાનો પણ બાપ-દાદાનાં વેપાર-ધંધા અદાણી મસાલામાં જોડાઈ ગયા. મસાલામાં જાણે મજા ભળી.

અદાણી મસાલાનાં સ્થાપક અનંતરાય અને લાભકુંવરબેનનાં સંતાનો હર્ષદભાઈ અને જીતુભાઈએ અદાણી મસાલાને વૈશ્વિક ખાદ્ય વસ્તુ બનાવવામાં પાયાનાં પથ્થરની ભૂમિકા ભજવી તો અદાણી પરિવારની ત્રીજી પેઢી સિદ્ધાર્થભાઈ, મહાવીરભાઈ, ઋષભભાઈ અને પારસભાઈએ પણ અદાણી મસાલામાં જોડાઈને અદાણી મસાલાને વૈશ્વિક ખાદ્ય વસ્તુ બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો. આમ, અદાણી મસાલા પરિવારની બીજી અને ત્રીજી પેઢીએ પોતાના પારિવારિક વ્યવસાયને આધુનિક અને આગવી ઓળખ અપાવી. અદાણી મસાલાનું સંચાલન તેની નેક્સ્ટ જનરેશન પાસે આવતા તેમણે અદાણી મસાલાને કાળજીપૂર્વક નિષ્ણાતોની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ અને ગ્રાઈડીંગની પ્રક્રિયા હાથ ધરી. અદાણી મસાલા પોતાના ઉપભોક્તાઓનાં સ્વાસ્થ સાથે કે કોઈપણ ખાદ્ય બનાવટનાં સ્વાદની શુદ્ધતા સાથે બાંધછોડ કરતું નથી. આથી ટીયુવી જર્મની તથા એચએસીસીપી સર્ટીફાઈડ અને જીએમપી આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનાં આધુનિક પ્લાન્ટ ધરાવતા અદાણી મસાલામાં રો-મટીરીયલનું મેગ્રેટ વડે ફેરસ અને નોન-ફેરસ ધાતુઓની તપાસ માટે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રોડક્ટ પ્રિઝર્વેશન અને લાંબી શેલ્ફ લાઈફ માટે વેલ-ઈક્વીપ્ડ કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ પણ અદાણી મસાલા પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. અદાણી મસાલા પ્લાન્ટ સંપૂર્ણ સ્ટેનલેસ સ્ટીલ અને ડસ્ટપ્રૂફ છે. જેમાં એકપણ મસાલાની બનાવટમાં કોઈનો પણ હાથ લાગતો કે મસાલા બનતા સમયે રજ ઉડતી નથી. અદાણી પ્લાન્ટની ચોખ્ખાઈ જૂઓ તો ઉડીને આંખે વળગે. મતલબ કે, અદાણી મસાલા સંપૂર્ણપણે આધુનિક ઢબે મશીનમાં જ બની શુદ્ધ, સ્વચ્છ અને ગુણવત્તાસભર તૈયાર થાય છે. મશીનમાં બનતા હોવા છતાં અદાણી મસાલાનો સ્વાદ અને ગુણવત્તા એવા છે કે તેમનો યશ વર્ષોથી દાદી-મમ્મીઓ લેતા આવ્યા અને કિચન ક્વીન બનતા આવ્યા છે.

મહત્વની વાત એ છે કે, અદાણી મસાલાની બનાવટમાં ઈટીઓ સ્ટરીલાઈઝેશન ટેક્નોલોજીનો અમલ કરવામાં આવે છે જે સીન્થેટીક કલર અને પ્રિઝર્વેટીવ ફ્રી સહિત સંપૂર્ણ વેજીટેરીયન છે. આ સિવાય એનએબીએલ સ્તરની સૌરાષ્ટ્રની એકમાત્ર ઈનહાઉસ લેબ ધરાવતા અદાણી મસાલા દ્વારા એક ખેડૂતની ટિમ પણ બનાવવામાં આવી છે. જે ટીમ રોટરી ક્લબનાં નેજા હેઠળ ખેડૂત વર્ગમાં તાલીમલક્ષી કેમ્પેઈન ચલાવે છે. આ ખેડૂતોની ટીમ પરંપરાગત ખેતી દ્વારા મસાલાની ગુણવત્તાયુક્ત પેદાશોની સમજણ, તેનાં બિયારણ વગેરે માહિતી અને જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. અદાણી મસાલાની સુગંધિત વાત એ છે કે, અહીં તૈયાર થતા મસાલાની બનાવટમાં સૌથી વધુ ધ્યાન તેનાં રો-મટીરીયલ પર આપવામાં આવે છે. જો પાક નબળો તો અંતિમ ઉત્પાદન નબળું તેથી અદાણી મસાલા ભારતનાં શ્રેષ્ઠ મસાલા પાકને ચકાસીને તેની ખરીદી કરી તેમાંથી જ મસાલા બનાવે છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં એક્સી. કમીટી મેમ્બર, રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રી.એસો. પ્રમુખ અને ફેડરેશન ઓફ ઓલ ઈંડિયા ડિસ્ટ્રી.એસો. રાજકોટનાં હેડની ફરજ બજાવતા અને અદાણી મસાલાનાં ડિરેક્ટર જીતેન્દ્રભાઈ અદાણી એટલે કે, જીતુભાઈનાં જણાવ્યા અનુસાર અદાણી મસાલા ટૂંકસમયમાં ઓર્ગેનિક મસાલા લઈને માર્કેટમાં આવી રહી છે. ઓર્ગેનિક મસાલા માટેની નોંધણી અને પ્રમાણપત્ર અદાણી મસાલાને મળી ચૂક્યું છે. આવનારા દિવસોમાં વધુ ગુણવત્તા અને શુદ્ધતા સાથેનાં અદાણી ઓર્ગેનિક મસાલા લોકલથી ગ્લોબલ રસોઈઘરમાં પોતાનું સ્થાન જમાવી લોકોનાં શુદ્ધ ખાનપાન અને સ્વસ્થતાનો ભાગ બનશે. અદાણી મસાલાનાં મુખ્ય ઉત્પાદન મરચું, હળદર અને ધારજીરૂ સિવાય પણ અદાણી મસાલાની દરેક પ્રોડક્ટ્સ વિશ્વની બજાર અને દુનિયાનાં ઘરોમાં વધુને વધુ પસંદ અને પ્રસંશા પામી અદાણી મસાલા વિશ્વભરનાં દરેક ભોજનમાં ભાગ બને તેવો સંકલ્પ અદાણી મસાલાનાં સંચાલક જીતુભાઈ અને અદાણી મસાલા પરિવાર ધરાવે છે.

આજે અદાણી મસાલાનાં મરચું, હળદળ, ધાણાજીરૂથી લઈ ગરમ મસાલા, છાસ-ચા-શાકનાં મસાલા અને અથાણા દેશ અને દુનિયાનાં મોટાભાગનાં ઘરોમાં ભોજન સામગ્રીનો એક ભાગ છે. અદાણી પરિવારની એક પેઢીએ મસાલાનો નાનકડો ગૃહ ઉદ્યોગ સ્થાપ્યો તો તેમનાં સંતાનો અને પૌત્રોએ એ નાનકડા ગૃહ ઉદ્યોગનું આજે મલ્ટીનેશનલ મસાલા કંપનીમાં રૂપાંતર કરી મસાલા માર્કેટમાં અદાણી મસાલાને નંબર ૧નું સ્થાન અપાવ્યું છે. આટલું જ નહીં પરંતુ અદાણી મસાલાનાં સ્થાપક સ્વ. અનંતરાય અને સ્વ. લાભકુંવરબેનએ સ્થાપેલા અદાણી મસાલાનો કાર્યભાર તેમનાં સંતાનો અને પૌત્રોની સાથે વહુ અને પુત્રવધુ પણ સંભાળી રહ્યાં છે. એટલે કે, અદાણી મસાલાને હરેક ઘરની પસંદ અને પ્રતિષ્ઠા બનાવવા માટે સમગ્ર અદાણી પરિવાર અને તેની ત્રણ-ત્રણ પેઢીઓની મસાલેદાર મહેનત રહેલી છે.

ફેક્ટ ફાઈલ : અદાણી મસાલા પ્રા.લિ. કંપનીસ્થાપના : ૧૯૫૫સ્થાપક : અનંતરાય અદાણી, લાભકુંવરબેન અદાણીસંચાલક : હર્ષદભાઈ (એમડી) જીતેન્દ્રભાઈ (માર્કેટિંગ એમડી), સિદ્ધાર્થભાઈ (એક્સપોર્ટ ડિરેક્ટર), તેમજ પારસભાઈ, મહાવીરભાઈ અને ઋષભભાઈ (પ્રોડક્શન-મેનેજમેન્ટ ડિરેક્ટર)પ્રોડક્ટ્સ : મરચું, હળદર, ધાણાજીરૂ, ભાજીપાઉં મસાલા, પાણીપુરી મસાલા, ગરમ મસાલા, ચાટ મસાલા, ટી મસાલા, છાશ મસાલા, પનીર ટીકા મસાલા, રાજમા મસાલા, તંદુરી મસાલા, કરી મસાલા, પિકલ મસાલા, વિવિધ જાતનાં અથાણા વગેરે ગ્રોસરીઝસ્ટાફ : ૨૫૦ કર્મચારીઅદાણી પ્લાન્ટ : ૮૦૦૦૦ ચો. ફૂટથી વધુ વિસ્તારએક્સપોર્ટ : યુએસએ, યુકે, સીંગાપુર, વિએતનામ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સહિત ૩૦ દેશોમાંએવોર્ડ : સ્ટાર એક્સપોર્ટ હાઉસ એવોર્ડ, એક્સપોર્ટ રેન્જ-૬ એવોર્ડ, યુએસએફડીએ ઓડીટ એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે.

ગુરુમંત્ર : અદાણી મસાલાની બીજી અને ત્રીજી પેઢી ‘જે ખાઈએ છીએ એ જ ખવડાવીએ છીએ’ને પોતાની સફળતાનો ગુરુમંત્ર માને છે. હર્ષદભાઈ, જીતુભાઈ, સિદ્ધાર્થભાઈ, મહાવીરભાઈ, ઋષભભાઈ અને પારસભાઈનાં મતે શુદ્ધતા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પેદાશોનું નિર્માણ એ અદાણી મસાલાનું મુખ્ય લક્ષ્ય છે. હજુ અદાણી મસાલાને અવનવી સફળતાની ઊંચાઈઓ પર લઈ જઈ ધંધાનો વિકાસ કરવા અદાણી મસાલા પરિવાર પ્રયત્નશીલ છે. કોઈપણ ધંધા-વ્યવસાયનો મુખ્ય આધાર ગ્રાહકોનાં વિશ્વાસ પર હોય છે. આજે અદાણી મસાલાએ ગૃહિણી એટલે કે, પોતાની વસ્તુનાં વપરાશકર્તાનો વિશ્વાસ અને વહાલ જીતી વિશ્વભરનાં મસાલા માર્કેટમાં પોતાની પ્રતિષ્ઠિત નામના મેળવી છે. પારિવારિક વ્યવસાયને આધુનિકતા અર્પી પ્રામાણિકતાનાં આદર્શ અને શુદ્ધતા, સ્વચ્છતાનાં સિદ્ધાંત સાથે કાર્યરત અદાણી મસાલાની મોર્ડન જનરેશનએ જે ખાઈએ એ ખવડાવીએની યુએસપીને સફળતાપૂર્વક સાર્થક કરી છે.

અદાણી મસાલાની નેક્સ્ટ જનરેશને સ્થાપેલું ‘અનંતલાભ ચેરિટેબલ ટ્રસ્ટ’ અન્ય કંપનીઓ માટે રોલમોડેલ

અદાણી મસાલાનાં સંચાલક પુત્ર અને પૌત્રોએ અદાણી મસાલાનાં સ્થાપક અને પિતા-દાદા અનંતરાય અને માતા-દાદી લાભકુંવરબેન અદાણીની યાદમાં તેમનાં નામ પરથી ‘અનંતલાભ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી છે. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ અદાણી પરિવાર દ્વારા સમાજ માટે ઉપયોગી થઈ મદદરૂપ બનાવાનો છે. અદાણી પરિવાર દ્વારા ‘અનંતલાભ ચેરિટેબલ ટ્રસ્ટ’ અદાણી મસાલાનાં આશરે ૨૫૦ જેટલાં સ્ટાફ અને તેમનાં પરિવારને એજ્યુ. અને હેલ્થ સેવા પૂરી પાડે છે. સામાજીક અને વ્યવસાયિક જવાબદારીનાં ભાગરૂપે અદાણી મસાલા દ્વારા તેમનાં દરેક નાના-મોટા કર્મચારીઓ અને તેમના ઘર-પરિવારને શિક્ષણ અને સ્વાસ્થની સેવા પૂરી પાડતું ‘અનંતલાભ ચેરિટેબલ ટ્રસ્ટ’ અન્ય કંપનીઓ માટે રોલમોડેલ છે.

***