chalo tamne bhagwan sathe mulakat karavu - 2 books and stories free download online pdf in Gujarati

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 2

ભાગ - 2 , ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું:
ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?
શું ભગવાનને કોઈએ જોયા છે? ભગવાન કોઈને મળ્યો છે? શું એણે આ સૃષ્ટિ રચી છે? શું એ કોઈ વ્યક્તિ છે? અથવા તો કુદરત, નેચરનું વિશાળ રૂપ જ ભગવાન છે?
ભગવાન મહાવીરના માનવા મુજબ આ સૃષ્ટિની રચના કરનાર કોઈ સર્વશક્તિમાન ભગવાન નથી. ભગવાન બુદ્ધનું પણ એવું જ માનવું હતું.
There is no belief in a personal god અને જન્મથી કોઈ ઉચ્ચ કે નીચ નથી પણ કર્મ થકી હોય છે એમ સંદેશ આપ્યો હતો. ભગવાન વિશે પ્રશ્નો દરેકને થાય, એના જવાબ જાતે જ શોધવાના છે. તમે શું મારો જવાબ માની લેશો? કોને અધિકાર છે સાચો જવાબ આપવાનો? કોની પાસે છે સાચો જવાબ? જવાબ સાચો છે કે ખોટો કોણ નક્કી કરી આપશે? આ સૃષ્ટિ કોણે બનાવી? આ પ્રશ્નનો જવાબ પણ બીજા પ્રશ્ન તરફ લઈ જશે! જો ભગવાને બનાવી તો ભગવાનને કોણે બનાવ્યો? એમ આગળ પ્રશ્નો ચાલ્યા કરશે.
આપણે જન્મ્યા ત્યારથી જાણતા આવ્યા છીએ કે કોઈ વસ્તુ હોય તો એને બનાવનાર કોઈક તો હોય જ. સાયકલ, બિલ્ડીંગ, જહાજ કે નટ બોલ્ટ. એક સાંઈબાબા મોમાંથી ગોલ્ડની મૂર્તિ ચમત્કાર કરીને કાઢતા, પણ એમની વાત ન થાય! કોઈ સજીવ બનાવવો હોય તો બે સજીવ જોઈએ!! આવડું મોટું વિશ્વ બનાવનાર કોઈ મહાશક્તિશાળી વ્યક્તિ હોવો જોઈએ અને એજ ભગવાન! સૃષ્ટિ બનાવી તો ચલાવવી પણ પડે. એ ક્યા નિયમોથી ચાલે છે? એ ભગવાન ધાર્યું કરી શકવો જોઈએ વગેરે વગેરે.
સામાન્ય માણસની બુદ્ધિએ હકીકતની દુનિયામાં એની હાજરી ક્યાંય જણાતી નથી. જ્યારે રેપ, બળાત્કાર, ખૂન અને લૂંટ વગેરે થઈ રહયા હોય છે ત્યારે એ મહાન પુરુષ કે એ સર્વશક્તિમાન ભગવાન કેમ આવા દુષ્કૃત્ય અટકાવવા આવતો નથી?! ચાલો માની લઈએ કે અવતારી પુરુષ કે દેવતા તરીકે આવવાના જમાના ગયા, કારણ કે આ કલિયુગમાં કદાચ ન અવાય! પણ આપણે તો મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠા કરી બેસાડયા છે અને આ કોરોના આવી ગયો, વધ્યે જાય છે, લોકો મોતના શરણે જઇ રહ્યા છે, એને જરાય પડી નથી! મંદિરોને તાળા માર્યા તોય એકપણ બુમ ન મારી કે "અલ્યા ભક્તો હું અંદર બેઠો છું નાસ્તો, દૂધ, ફળો વગેરે તો મુકતા જાઓ, આટલા દિવસ ભૂખે મરી જઈશ!" ભગવાનની પાછળ પાછળ ફરનારા ભક્તો કોરોનાની બીકે ઘરમાં સંતાઈ ગયા ને ભગવાન ભગવાન ભરોસે રહી ગયો!! જોકે પૂજારીઓ અને ટ્રસ્ટીઓને એ ચિંતા જરૂર છે કે આવક બંધ થઈ ગઈ! સરકારે કોરોના છે ત્યાં સુધી પૂજારીઓને હાલ પૂરતું અમુક પેંશન બાંધી દેવું જોઈએ. મંદિર, પૂજા, ભગવાન આપણી સંસ્કૃતિનો ભાગ છે. હવે ઓનલાઈન દર્શનથી ચલાવી લેવું પડશે.
ભગવાનને સમજવો હશે તો એનું કામકાજ કેવું છે, એના કાયદા કાનૂન કેવા છે એ જાણવું પડે! મેજોરીટી લોકો એવું માને છે કે ભગવાનમાં આસ્થા રાખી તો માંગીએ એટલું મળી જાય. આ વાતમાં તથ્ય જણાતું નથી. જો એવું હોય તો આ પ્રજા ઘરે બેઠા બેઠા ખાય એવી છે. નોકરી ધંધે શું કામ જાય? પાંચ મહિનાનું કે દશ વર્ષનું કરિયાણું ભેગું માગી લે, ચાર ગાડી માગી લે, પાંચ બંગલા માગી લે અને પાંચસો કરોડ માગી લે, એટલે પાંચ પેઢીની નિરાંત. દુશમનોનું મોત માગી લે, પાડોશીની સુંદર પત્ની માગી લે, પ્રધાનપદ માગી લે...
નોકરી લેવી છે તો ઉચ્ચ અધિકારીઓને લાંચ/ગિફ્ટ આપો, વાહન લાયસન્સ વિના પકડાયા તો 200 રૂપિયા લાંચ આપી છટકી જાવ. કોન્ટ્રેક્ટ લેવો છે, મોટું સેટિંગ કરો, સત્તા ઉથલાવી પોતે ચઢી બેસવું છે તો ધારાસભ્યો ખરીદી લો...ટૂંકમાં હવે લોકો જાતે જ સેટિંગ કરી લે છે, પૃથ્વી પરના છોટા છોટા ભગવાનોને(ઓફિસર, મિનિસ્ટરો) ભોગ ધરાવો એટલે કાર્ય પૂર્ણ થઈ જાય, અસલી ભગવાનને કોઈ યાદ નથી કરતું , એતો બે નાળિયેર અને 250 ગ્રામ પેંડાનો ઘરાક! ભગવાનને પણ ભૂલી જાય!
ગરીબો પણ માંગતા હોય છે ભાવથી, કેમ ભગવાન એમને અમીર કરતો નથી! એ તો દૂર "બે પાંદડે" પણ નથી થતા. કોરોના આવ્યો તો સૌથી વધારે માર એમને પડ્યો, ભૂખ તરસ વેઠીને સેંકડો કિલોમીટર ચાલ્યા. પોલીસે ખૂબ માર્યા પણ ખરા ! શું એમણે ભગવાનને યાદ નહિ કર્યા હોય? એ લોકો ભગવાનમાં શ્રદ્ધા આસ્થા ધરાવતા નહિ હોય? ચતુર લોકો કહેશે કે ભાઈ એતો કર્મોનું ફળ ભોગવે છે, એ લોકો કામ નથી કરતા, આળસુ છે વગેરે વગેરે. કામ ન કરતા હોય તો મજૂરોની ડિમાન્ડ કેમ છે? ઊંચી ઊંચી ઇમારતો કોણ બનાવે છે? ખેતરોમાં તનતોડ મહેનત કોણ કરે છે?
હા, એક વર્ગ એવો છે જે કામ નથી કરતો, સાધુ, બાબાઓ અને ઘણા નેતાઓ. જોકે એને સંસાર મફત ખવડાવે છે. અન્ય લોકોને તો મહેનત કરવી જ પડે છે, નહીંતર ભૂખે મરે. કર્મ મુજબ જ બધાએ ભોગવવાનું હોય તો પછી ભગવાન પાસે શા માટે આજીજી કરી ભીખ માંગવી? જરા નીડર બની ભોગવી લો. ફાંસીની સજા પામેલ કેદીઓ પણ દયાની ભીખ ભગવાન/પ્રેસિડેન્ટ પાસે માંગતા જ હોય, પરંતુ ફાંસીની સજા થાય જ છે, ક્યારેક ન પણ થાય, ભગવાનનો તેમાં કોઈ હાથ નથી. ફક્ત મંદિરોના પગથિયાં ઘસીને મેં એકેય આઈએએસ(IAS) કે ઉદ્યોગપતિ બનતા જોયા નથી. તો પછી પુરુષાર્થ જ તમારો ભગવાન થયો. આખો દિવસ મજૂર મહેનત કરી ચારસો રૂપિયા ઘરે લઈ જાય અને એના પરિવારની જરૂરિયાત પૂરી પાડે તો પછી એવા પુરુષાર્થ અને એવા પિતાને જ ભગવાન માનવામાં શુ વાંધો છે. એ પણ પાલનહાર જ થયો ને! આ પૃથ્વી પર તમને લાવનાર અને ઉછેરનાર માતા પિતા પણ ભગવાન વિષ્ણુ જ છે, કોઈ શક!!
માઇથોલોજીકલ વાતો સાચી કે ખોટી એ વિશે ચર્ચાઓ કરવી વેસ્ટ ઓફ એનર્જી છે. કોઈ જ પુરાવા ઉપલબ્ધ નથી. સત્ય માનો કે ન માનો તમારી મરજી. પણ તમે જ સાચા છો એવું બીજાને ઠસાવવાનો પ્રયત્ન તમને હલકી કેટેગરીમાં મૂકે છે. આપ સૂર્યને દેવ માનો કે ન માનો એ પ્રચંડ સળગતા ગોળાને શું ફરક પડે છે! એની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન ચક્ર ચાલુ છે, એ હકીકત બદલાઈ જવાની નથી. બ્રહ્મા, વિષ્ણુ કે મહેશમાં માનો અને પુજો અથવા ન માનો એમને ફરક પડવાનો નથી. એવું બની શકે કે આ વિશાળ પૃથ્વી પણ બ્રહ્માંડની રીતે જોતાં રેતીના કણથી પણ અબજો ઘણી નાની હોય શકે છે.
કુદરતની ત્રણ ખાસ પ્રકારની શક્તિઓને સમજાવવા ઋષિ મુનિઓએ આ ત્રિદેવનો કોન્સેપ્ટ આપ્યો હોય એવું પણ શક્ય છે. જીવનનું સર્જન કરનાર ફોર્સ બ્રહ્મા, પોષણ કરનાર શક્તિ, ફળ, વનસ્પતિ, ખોરાક આપનાર વિષ્ણુ અને વિનાશકારી શક્તિ શિવ. જૂનું નકામું નાશ ન થાય ત્યાં સુધી નવીનની જગ્યા ન થાય, અમુક સ્ટેજે નવસર્જન અશક્ય થઈ જાય. માની લો કે કોઈપણ જીવ કે જંતુ મરે જ નહીં અને નવા પેદા થયે રાખે તો આ પૃથ્વી ઉપર જગ્યા જ ન બચે. દરિયાનું પાણી ઉપર આવી જાય માટે મરણ(નાશ) આવશ્યક છે, એ મરેલ શરીરનું પણ વિસર્જન જરૂરી છે. વનસ્પતિ, જંગલનું પણ એવું જ છે. બધું પંચતત્વમાં ભળી જવું જોઈએ. આપણે આજે જે પેટ્રોલ, ડીઝલ વાપરીએ છીએ તે લાખો વર્ષ પૂર્વે નાશ પામેલ વનસ્પતિ, જીવ જંતુ જ છે! આમ એક જ ઝાટકે ઋષિઓએ કુદરતની ત્રણ મહાશક્તિ વિશે જ્ઞાન આપ્યું અને એનો આદર કરવાનું શીખવ્યુ, એનો મિસ યુઝ કરો કે અવિચારીપણે ઉપયોગ કરો તો નુકસાનકારક બની શકે છે. અણુ પાવરનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે થઈ શકે અને વિનાશ માટે પણ થઈ શકે. વીજળીની શક્તિ એ વિષ્ણુનું રૂપ છે અને બ્રહ્મા પણ છે. સૂર્યની શક્તિ એ પણ વિષ્ણુની જ શક્તિ છે. શક્તિના સ્વરૂપ પણ બદલતા રહે છે. જુદા જુદા દેવોની , દેવીઓની કલ્પનાઓ બીજી સંસ્કૃતિમાં પણ છે. આ પણ કુદરતની વિવિધ શક્તિઓ એનર્જીની સમજ અને ઓળખ આપવા માટે છે. દા.ત. વાયુપુત્ર હનુમાન, વરુણ દેવ, અગ્નિદેવ, ઇન્દ્ર, મહાકાલી, લક્ષ્મી દેવી, સરસ્વતી, કુબેર....એકજ ઇલેક્ટ્રિક શક્તિથી એસી, પંખો, મોટર, ઘરઘંટી, વોશિંગ મશીન અને બલ્બ ચાલુ કરી શકાય છે. શક્તિનું રૂપાંતર પણ થાય છે. તમે પોતે પણ ૧.૫ લાખ જેવી કેલરી/ઉર્જા ધરાવો છો.
ઘણા લોકો મૂર્તિમાં ભગવાન બિરાજે છે તેવું માનતા નથી. મૂર્તિ ઉપર ઉંદર ફરે છે, મૂર્તિ ચાલતી કેમ નથી, વાતો કેમ કરતી નથી, આહાર, પ્રસાદ કેમ લેતી નથી!! તો પણ મૂર્તિનું નિર્જીવપણું સાબિત થઈ જાય! દોસ્તો, પણ આ મુદ્દો અસલી નથી, હકીકત એ છે કે મૂર્તિ નિર્જીવ છે તેમ છતાં હજારો શ્રદ્ધાળુ ભક્તો દરરોજ નિયમિત મંદિરે જાય છે. જો મંદિરોમાં મૂર્તિઓ બોલતી થઈ જાય ને દોસ્તો તો લોકોને કંટ્રોલમાં રાખવા મિલિટરી બોલાવવી પડે. આ દર્શનાર્થીઓ અમુક મિત્રો માને છે એવા અંધશ્રધ્ધાળુ કે મૂરખ પણ નથી, પરંતુ તેઓ મૂર્તિ સામે બે હાથ જોડી ઊભા રહી 'પરમતત્વને' યાદ કરી કનેક્ટ થવાની કોશિષ કરતા હોય છે. હવે આ એમની શ્રદ્ધા છે, એમાં એ કેટલા સફળ થાય છે કે નિષ્ફળ એ એમનો આંતરિક મામલો છે. એ શું માંગે છે કે પ્રાર્થના કરે છે, કોના માટે કરે છે? એ જાણવા માટે આપણે નવરા ન હોવું જોઈએ! માંગવાથી બધું મળી જાય છે એવું પણ નથી, ન માગ્યું હોય તો પણ મળી જાય છે. દા. ત. અભિષેકને! પ્રયત્નથી પણ મળી જાય છે, કુદરતના નિયમમાં કોઈ ફોર્મ્યુલા કાયમ નથી, ફિક્સ નથી, હંમેશ બદલાતી રહે છે. Buddhists believe that nothing is fixed or permanent and that change is always possible. આપણા શાસ્ત્રોમાં પણ "પરિવર્તન સંસારનો નિયમ છે" એવી સમજ આપી છે. કુદરત, કુદરતની શક્તિ, નેચર કે તેના નિયમોને પણ બહોળો વર્ગ "ભગવાન" તરીકે માને છે.
બધા જ ધર્મોએ ભગવાન/ગોડની પ્રચલિત વ્યાખ્યા કઈક આવી કરી છે, “તે એવી વ્યક્તિ કે શક્તિ છે જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી(omniscient, omnipotent and omnipresent) છે. વધુમાં આ બ્રહ્માંડનું સર્જન તેણે જ કર્યું છે અને તે અનંતકાળથી હાજર છે. આ એક સરસ મજાની થિયરી છે, મોટાભાગના લોકોમાં સારું કામ આપે છે. એક નવી થિયરી પણ હમણા જ બહાર પડી - એક નવા વરણી થયેલા પ્રમુખ દ્વારા પણ અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન થાય છે. મારે પૂછવું હતું કે આવું ભગીરથ કાર્ય કરવા રોજની કેટલી કેલરી જોઈએ? બિગ બેંગ થિયરી પણ છે જે ઘણા વૈજ્ઞાનિક માને છે. તે મુજબ અંદાજે ૧૩.૭ અબજ વર્ષ પૂર્વે નાનકડા બિંદુમાંથી બ્રહ્માંડ બન્યું.
સેન્ટ્રલ આફ્રિકાના બોશીંગો લોકો પાસે પણ એક માન્યતા છે કે પ્રથમ તો અંધારું, પાણી અને મહાન ભગવાન "બુમ્બા" હતાં. એકવાર આ બુમ્બાને પેટમાં દુઃખાવો ઉપડ્યો અને એમણે ઉલ્ટી કરી તો સૂર્ય નીકળી પડ્યો. સમય જતાં સુર્યે થોડું પાણી સુકવી નાંખ્યું એટલે જમીન ખુલ્લી થઇ. પરંતુ બુમ્બાને હજુ પેટમાં દુઃખતું હતું તો ફરીથી ઉલ્ટી કરી ને ચંદ્ર, તારાઓ, અમુક પ્રાણીઓ જેવાકે દીપડો, મગર, કાચબો, અને છેલ્લે માણસ થયો!!
સેન્ટ્રલ અમેરિકા અને મેક્સિકોના "માયા" લોકો કહે છે કે સૌ પ્રથમ પહેલા દરિયો, આકાશ અને સર્જનહાર આટલું જ હતું. પરંતુ એની પ્રસંશા કરનાર કોઈ હતું નહીં માટે તેણે પૃથ્વી, પહાડો, વૃક્ષ અને પ્રાણીઓ બનાવ્યા. પરંતુ પ્રાણીઓ વખાણ કરી શકે નહીં, માટે પછી તેણે સફેદ અને પીળી મકાઈમાંથી માણસ બનાવ્યો!
ઓલ્ડ ટેસ્ટામેન્ટ અનુસાર ભગવાન દ્વારા સૃષ્ટિના સર્જનના છ દિવસે આદમ અને ઇવનું સર્જન કર્યું.
હિંદુ શાસ્ત્ર પ્રમાણે પ્રથમ સર્જનહાર વિષ્ણુ છે, એમની નાભિમાંથી બ્રહ્મા પેદા થયા અને તેમણે પ્રથમ પુરુષ મનુ અને સ્ત્રી શતરૂપા ઉત્પન કર્યા.
મહાન વૈજ્ઞાનિક ન્યુટન પણ માનતા હતા કે આવી રહેવાલાયક સોલાર સિસ્ટમનું અસ્તિત્વ કુદરતી સિદ્ધાંતો દ્વારા અંધાધૂંધીભર્યા બનાવોથી નથી થયું,પરંતુ પ્રથમ ગોડ દ્વારા બનાવવામાં આવ્યું, ત્યારબાદ તે સુનિયોજીતપણે ચાલે અને આજદિન સુધી એજ પરિસ્થિતિમાં રહે એવા નિયમો કરવામાં આવ્યા છે.
આઈન્સ્ટાઈન દ્વારા પણ એમના સહાયકને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે સૃષ્ટિની રચના કરવા માટે ગોડ/ઈશ્વર પાસે કોઈ વિકલ્પ હતો કે નહીં?
દુઃખ પડે અને આપત્તિ આવે એટલે આવા સર્વશક્તિમાન ઈશ્વરને બધા યાદ કરે, એ તો બીઝી હોય ન આવી શકે, ક્યારેક તિરુપતિ મંદિરે તો ક્યારેક હિમાલય કે માનરોવરમાં બેઠા હોય! પરંતુ તેવા સંજોગોમાં કોઈ મિત્ર, સગા, મદદ કરવા આવે અને જીવનનું ગાડું આગળ ચાલે છે. તો આવા મિત્ર કે સગાને જ ભગવાન કેમ ન માનવો જોઈએ! ના, ત્યાં તો હજી ભ્રમ છે, “એતો ભગવાને જ દેવદૂત બનાવીને મોકલ્યો હોય!” ટુંકમાં, આપણી સામે સાક્ષાત છે તેને માનવું નથી. પરંતુ જેને ક્યારેય જોયા નથી, જાણતા નથી એ થિયરીમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે! વાહ! રે માનવ.
જુડાઈઝમ, ખ્રિસ્તી, ઇસ્લામ, હિન્દૂ અનુસાર સર્જનહાર, ગોડ , ઈશ્વર, અલ્લાહ અનુક્રમે હેવન, સ્વર્ગ કે જન્નતમાં બિરાજે છે. તે મારી બાજુમાં ઓટલા ઉપર તો બેસે નહિ. જેમ ઊંચી હસ્તી એવી એની બેઠક વ્યવસ્થા! મિનિસ્ટરોની ચેમ્બરો જોઈ છે? આવા ઓલ પાવરફુલ વ્યક્તિ સાથે એટલકે ભગવાન સાથે મુલાકાત મરણ બાદ જ થાય છે અને ત્યારે આપણે કેવી તૈયારીઓ કરીએ છીએ એ આગળ બતાવીશ! ઈશ્વર અક્ષરધામમાં રહે છે. વૈકુંઠમાં રહે છે. વૈજ્ઞાનિક કહે છે કે બીજા અનેક બ્રહ્માંડ હોય શકે છે, તો ત્યાં પણ જતા રહ્યા હોય! કોરોના લોકડાઉન જેમ! હું પણ તમને ભગવાન બતાવ્યા વિના છોડવાનો નથી! 😊😊
પરમાત્મા એ અનંત અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતું તત્વ છે અને અણુએ અણુમાં વિરાજમાન છે, એની ઈચ્છા વિના પાંદડું પણ હલી નથી શકતું, આવું પુરાણોમાં કહ્યું છે. આ વાતને ઉંડાણથી સમજીએ તો નિર્જીવ જણાતાં પદાર્થોમાં પણ જીવંત તત્વ છે. ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન્સ આવા ૧૫૦ થી વધુ પ્રકારના સબ-એટોમિક પાર્ટીકલ્સ હલચલ કરતા હોય છે. પણ એમની ચેતના દ્રશ્યમાન નથી. અણુએ અણુમાં વિરાજમાનનો અર્થ શક્તિ, ઉર્જારૂપે દરેક સ્થળે, સજીવ અને નિર્જીવમાં હયાત છે. આપણામાં શરીરમાં પણ ખરબો કોષ જીવંત છે. આપણે પણ એનર્જીની કેપસ્યૂલ જ છીએ. અંદાજે ૧.૫ લાખ કેલરી હોય છે. સિંહ આપણો શિકાર કરે તો એના પરિવાર માટે પૂરતું ભોજન મળી રહે અને વધે તે જરખ, શિયાળ, ગીધડા, કીડી, મકોડા, જંતુ, બેક્ટેરિયા હજમ કરી જાય ફક્ત હાડપિંજર વધે. કેટલા બધા જીવોને પોષણ મળે એ પણ આપણું મૃત શરીર આરોગીને! મતલબ આપણે મૃત્યુ પછી પણ અણુરૂપે જીવંત છીએ!
યાદ રહે, સિંહ માટે તમે બે કે ત્રણ પ્લેટ સમોસા/પાઉભાજી જ છો.

To be continued, (વધુ આવતા અંકે ભાગ - 3 માં )