Let me introduce you to God - 8 books and stories free download online pdf in Gujarati

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 8

         ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ ?   
            દરેક આસ્તિકો વિજ્ઞાનને ચેલેન્જ અને છુપી માગણી કરે છે કે, " વિજ્ઞાન સાબિત કરી શકે છે કે ભગવાન નથી?" આ લોજીકલી અવૈજ્ઞાનિક મુદ્દો છે. પહેલી વાત તો એ છે કે વૈજ્ઞાનિકોને આવી વાતોમાં રસ હોતો નથી. એ તરફ એમનું ધ્યાન પણ હોતું નથી. ઘણા વૈજ્ઞાનિક સુપર નેચરલ પાવર કે ગોડમાં માનતા હોય છે, તેમના માટે પણ એક બીલીફ, માન્યતા હોય છે. પ્રુફ કે સાબિતીની જરૂર ત્યારે જ પડે છે જ્યારે જે તે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય! જેનું કોઈ અસ્તિત્વ જ ન હોય તો પછી પૃફની ક્યાં જરૂર રહી! 
        ઈશ્વરની બાબતમાં પણ આવું જ છે!!  જો ભગવાન હોય તો સાબિતીની જરૂર પડે અને નથી તો સાબિતીની જરૂર નથી. હા, લોકો મનમાં રાખીને ફરે છે તે મુદ્દો અલગ છે. 
આ વાત સીધી સાદી છે. હવે રહી શ્રદ્ધાની વાત, આસ્થાની વાત તો એ એક તદ્દન અલગ મુદ્દો  છે.  ત્યાં સાબિતીની આવશ્યકતા નથી. તમે માની જ લીધું છે પછી હવે આગળ ટાઈમ બગાડવાનો કોઈ અર્થ ખરો ! તમે સાબિતી માંગો છો ત્યાં જ તમારો ભગવાનના અસ્તિત્વ માટે અવિશ્વાસ  દર્શાવે છે. સૂર્ય, ચંદ્ર, તારા, દરિઓ, નદી, પહાડો, પાણી અને નરી આંખે ન દેખાતી હવાને પણ સાબિતીની ક્યાં જરૂર છે. તમારી બાજુમાં કોઈ બેઠું છે તો શું આપ એ વાતની સાબિતી માંગશો??
          જોકે હજુ લોકો મનમાં અટવાયા જ કરે છે ! પૂછે છે કે વિજ્ઞાનની શુ જવાબદારી છે?  વિજ્ઞાન ધર્મની કેમ વિરોધી છે? શું વિજ્ઞાન ભગવાન છે કે નહીં તે પુરવાર કરી શકે છે? દોસ્તો, આપને નવાઈ લાગશે કે નેવું ટકા લોકો એવા છે જેમને વિજ્ઞાન શું છે તે જ ખબર  નથી તેવા આસામીઓ(આસામના લોકો) આવા ઇરરિલેવન્ટ પ્રશ્નો હવામાં તરતા મૂકે છે. 
        વિજ્ઞાન કોઈ ચોક્કસ તારણ કે નિયમનું અસ્તિત્વ કેટલાય (અસંખ્ય) પ્રયોગો, અવલોકનો, પરિણામો- રિઝલ્ટસ તપાસ્યા બાદ સ્વીકારે છે. કોઈના કહેવાથી કે ઇતિહાસમાં લખ્યું છે એટલે સાયન્સ માની લેતું નથી. વિજ્ઞાનનો આત્મા જ "ડાઉટ" નામના ભૂતમાં હોય છે. શંકા કરવી વિજ્ઞાનનો શોખ છે. આવા તારણો પણ સમયાંતરે નવા રીઝલ્ટ આવ્યા પછી બદલવા પડતાં હોય છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો વિજ્ઞાન કોઈ સુપર નેચરલ પાવર એટલે કે સર્વશક્તિમાન ભગવાનમાં માનતું નથી. જે કઈ પણ બ્રહ્માંડમાં બની રહ્યું છે તે કુદરતી ઘટનાઓ છે અને ચોક્કસ નિયમોને આધીન બની રહી છે તેમ નાસ્તિકો અને સાયન્સ માને છે. 
         વિજ્ઞાન પાસે આશા રાખવી કે તે ભગવાન છે કે નથી તે પુરવાર કરી આપે તે ફૂલની દુકાનમાં જઈ બે કિલો ખાંડ માગવા બરાબર છે. સાયન્સનો વિષય ભગવાન નથી. એમનું કામ પ્રયોગો કરી બ્રહ્માંડના સત્યો બહાર લાવવાનું છે. વિજ્ઞાન કુદરત કે બ્રહ્માંડમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે એના રહસ્યો અને એના અસ્તિત્વ માટેના કારણો સમજવાનું, શોધવાનું છે.
         જે ખરેખરા ધાર્મિક છે અને ધર્મનું પાલન કરે છે , ભગવાનમાં માને છે તે કોઈ દિવસ ઓશિયાળા થઈ સાયન્સના દરવાજે ઉભા રહી, ભગવાન છે તેવું સાબિત કરી આપો તેવું કહેતા નથી. 
        આતો ઢોંગી સાધુઓ જ બેકારના બુમ બરાડા પાડતા હોય છે, વિજ્ઞાનને પરાણે વચમાં ઢસડી લાવે છે! વાહિયાત દાવાઓ રજૂ કરતા હોય છે, કે વૈજ્ઞાનિકો પણ માને છે!! જેથી એમના જુઠાણા પર પડદો પડી રહે! વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની કાર્યપ્રણાલી એવા લોકો સમજી નથી શકતા. અબ્દુલ કલામ સાહેબ માને છે એટલે ભગવાન છે, ધર્મ છે...વગેરે વગેરે.. કોઈ ફોરેનર વાંસળી વગાડી "હરે કૃષ્ણ .. હરે રામ...ગાય" એટલે તરત બતાવશે જુઓ જુઓ... અલ્યા શું જોવાનું છે...ડફોળ ! તું પણ ભજન કર, કોણ ના પાડે છે!  એને એમાં મોજ આવતી હોય તો કરે, એનાથી સાબિત શું કરવું છે?
          મારે એટલું જ કહેવું છે કે આવા મામુલી પ્રશ્નોમાં પોતાની જાતને ગૂંચવી નાંખી હેરાન થવા કરતાં જીવનલક્ષી જે જ્ઞાન છે તેનો અનુસરણ કરી આપની જિંદગી સુખી અને આનંદિત કરો. વિજ્ઞાન અને ધર્મને પોતપોતાના કામકાજ કરવા દો. તમને આસ્થા હોય તો કરો, કોણ ના પાડે છે? આપણાં દેશના બંધારણમાં જ દેશના દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર આપ્યો છે, આપણે બિનસંપ્રદાયિકતા જ સ્વીકારી છે. તો તમને વાંધો શેમાં છે? બીજા કેમ નથી માનતા એજ દુઃખ છે ને?
          આપ સારા બિઝનેસમેન, ડોકટર તો બની ગયા, એકદમ નિષ્ણાંત પરંતુ પરિવાર અને દેશને , સમાજને ઉપયોગી થાવ તેવા વ્યવસ્થિત માનવ બનવામાં જ સૌની ભલાઈ છે. માનવી માનવ બને તો ઘણું છે. ભલે ને એ નાસ્તિક કેમ ન હોય.
        સૌથી મોટી ભૂલની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યારે તમે મનુષ્ય તરીકે તમારી જાતને અતિશય મહત્વ આપવા લાગ્યા. તમે એક વિશાળ બ્રહ્માંડમાં વાયરસના પણ ખરબોના ખરબોમા ભાગ જેટલા હોઈ શકો છો. કોઈ સુપર કોમ્પ્યુટર જોઈએ! અને આપણે બધું નક્કી કરવા લાગ્યા છીએ...શુ સારું ને શુ ખરાબ...એક કીડી દેશના વહીવટ વિશે વિચારે એવું !
          આપણે જિંદગીના અનિષ્ટોના સમાધાન માટે ભગવાનની કૃપાદ્રષ્ટિનો આશરો મેળવવાની આશા રાખીએ છીએ અને માનીએ છીએ કે ભગવાન સારું કરશે, ભલું કરશે... ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા નાના, મોટા પાપકર્મો અને પુણ્યકર્મો "God" થી પર છે (અહીં god નો અર્થ કુદરતી નિયમો સમજવો)  દા.ત. વીજળી પડે અને બે જણાને મારી નાખે...આ વીજળી ગમે તે ઉપર પડી શકે, મજૂરથી લઈ મિનિસ્ટરો સુધી. તમે વીજળીને પાપ કર્યું કે પુણ્ય કર્યું એમ આરોપ લગાવી નહિ શકો! સારું કામ કર્યું કે ખરાબ એમ પણ નહીં કહી શકો...કેમકે વીજળીને કાન નથી. આંખ નથી. કોરોનાને તમે રાક્ષસ, દુષ્ટ, પાપી ગમે તે કહો એને શું ફરક પડવાનો છે! સારું, સજ્જન, પુણ્ય અને પાપ, નરસું, ખરાબ , દૃષ્ટ, નીચ...વગેરે સાપેક્ષ છે, રિલેટિવ છે. એ દરેકની જુદી જુદી પસંદગી, તેનાથી શું લાભ, ગેરલાભ મળે છે અથવા તો અનુકૂળ છે કે નહીં! તે બાબતો ઉપર આધાર રાખે છે. એની સમગ્ર બ્રહ્માંડ માટે કોઈ "વેલીડીટી" નથી. 
         જ્યારે જ્યારે કુદરતમાં કોઈપણ ઘટના બને છે અને તે આપણને અયોગ્ય, વિચિત્ર, અણગમતું, કે આડેધડ લાગે છે તો તે આપણું અધૂરું, અધકચરું જ્ઞાન છે. આવી અપૂર્ણ સમજ મનુષ્યને ભ્રમમાં નાખે છે. આપણને કુદરતના નિયમોને આધીન જે પ્રક્રિયાઓ ચાલે છે, તેની કાર્યપ્રણાલિમાં રહેલ ગૂઢ સુસંગતતા, સંગતિ અને લયબદ્ધતા સમજાતી નથી. જેમ નાના બાળકને પંડિત રવિશંકરનું સિતારનું મ્યુઝીક સમજમાં ન આવે તેમ! એ સાંભળી એ ક્યાં રડે અથવા ધ્વનિના અવાજથી ખુશ થાય. એને સૂર તાલની કોઈ સમજ નથી. આપણી આસ્થા પણ આવી જ કંઈક છે. એનું કારણ એ છે કે સત્ય હંમેશા આપણી સમક્ષ ટુકડે ટુકડે આવે છે, ભવિષ્યમાં શું થશે તે ખબર હોતી નથી. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલ છે તે ફક્ત અનુમાન થઈ શકે. પરફેટ ન જાણી શકાય. 
            મનુષ્ય તેની જિંદગીમાં તેના બનાવેલા માપદંડો કે ગુણવત્તાના ધોરણો અનુસરવામાં માને છે. તેની જિંદગીનું અને બીજાની જિંદગીનું મૂલ્યાંકન પણ એજ આધાર પર કરે છે. આપણા આવા અભિપ્રાયોને કુદરત ગણકારતી નથી, માન્યતા પણ આપતી નથી. આપણે દુનિયાને આપણી લાલસાઓ મુજબ ગોઠવવા માંગતા હોઈએ છીએ, પરંતુ કુદરત બિચારી એનું કામ કરે રાખતી હોય છે અને જ્યારે જ્યારે તે આપણને નડે એટલે આપણી દ્રષ્ટિએ કુદરત ખરાબ થઈ જાય. કુદરતને ગાળો આપીએ! અમુક સમયે આપણી ફેવરમાં ઘટનાઓ બને તો કુદરત/ ઈશ્વર આપણી સાથે છે એવો દાવો કરીએ છીએ. આ આપણી અજ્ઞાનતા છે.
         વાસ્તવમાં આપણી અક્કલ જેને ખરાબનું લેબલ લગાડે છે તે કુદરતના નિયમ મુજબ ખરાબ કે અયોગ્ય નથી, એ તો આપણા બનાવેલા રીત રિવાજ અને પ્રથાઓ અને માન્યતાઓ અનુસાર ખરાબ ઠરે છે. જેમ કોઈ સિંહ હરણ કે માણસને ફાડી ખાય તો એના ઉપર કેસ દાખલ થતો નથી કે એને ઉમરકેદ કે ફાંસીની સજા આપવામાં આવતી નથી. કારણ કે કાયદા કાનૂન આપણે મનુષ્યોએ સમાજ વ્યવસ્થાના ભાગરૂપે બનાવેલ છે. ઘણીવાર તે કુદરત સાથે મેળ ન પણ ખાય. જ્યાં સુધી સારું, ખરાબના અર્થની વાત છે તો તે અર્થમાં કઈ પોઝીટીવ નથી. કોઈ એક જ ઘટના અલગ અલગ વ્યક્તિઓ માટે સારી, ખરાબ કે ન્યુટ્રલ હોય શકે છે. દા.ત. કોઈ મૂડમાં હોય તેના માટે મ્યુઝીક સારું છે, મજા આવે છે. તો જે લોકો શોકગ્રસ્ત છે તેના માટે ખરાબ અને અસ્વીકાર્ય છે, જ્યારે મૃત શરીર કે કાને બહેરાઓ માટે મ્યુઝીક તટસ્થ છે. 
        એનો મતલબ એ નથી કે સારું, ખરાબ, ઉચ્ચ, નીચના આઈડિયા કામના નથી કે એમાં કોઈ વજૂદ નથી. ઘણી બધી બાબતોમાં જીવન ઉપયોગી ગાઈડલાઈન છે. જેમકે ધ્રુવીય પ્રદેશોમાં ઉઘાડા શરીરે ન ફરાય, કદાચ મિનિટોમાં તમે ઈશ્વરના દરબારમાં એને ખુશ કરવા ભજન ગાતા હોવ. આમ અનુભવે વિશાળ જનસમુદાય માટે અમુક વર્તણુક સારી અથવા અનુકૂળ બની ગઈ હોય છે કેમકે તે આપણને લાભદાયી હોય છે, આનંદ આપતી હોય છે. 
To be continued ....ભાગ - 9માં