Anantoyuddham - 1 books and stories free download online pdf in Gujarati

અનંતોયુધ્ધમ્ - 1

પ્રસ્તાવના:

અનંતોયુધ્ધમ્ - એ બે શબ્દોનું બનેલું શિર્ષક છે. "અનંતો' એ અનંત શબ્દનું બહુવચન છે. અનંત કાળથી ચાલતાં કેટલાંય યુદ્ધ સતત ચાલુ જ રહ્યાં છે. યુગો બદલાયાં, કાળ બદલાયો છતાં આ યુદ્ધ સમાપ્ત નથી થતું. ક્યારેક પ્રતિદ્વંદ્વ, ક્યારેક આતરદ્વંદ્વ, ક્યારેક મહાયુદ્ધ રૂપે તો ક્યારેક નાની-મોટી અથડામણો સ્વરૂપે નિરંતર ચાલતું જ રહે છે. ક્યારેક બુદ્ધિથી લડાય છે, ક્યારેક મનથી, ક્યારેક બાહુબળ અને ક્યારેક શસ્ત્રોથી તો ક્યારેક શાસ્ત્રોથી. સૃષ્ટિનો દરેક જીવ આ અનંતો યુદ્ધમ્ સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો છે અને પોતાનાં સ્તરે લડે પણ છે.

આ કથાનો વિચાર મને એક ચિત્ર જોઈને આવેલ જે એનું મુખપૃષ્ઠ છે.
પહેલીવાર કોઈ નવલકથા લખવા જઈ રહી છું. આ કથાનું મુખ્ય પાત્ર કેટલાંય સમયથી મનોમસ્તિષ્કમાં ઘૂમરાયા કરતું હતું પણ એને પૃષ્ઠ પર લાવવાની ન તો આવડત હતી ન વિશ્વાસ.... કારણ મારે આ કથાને કોઈ ધારાધોરણ કે નિયમોમાં બાંધવી નહોતી. ક્યારેય કોઈ સચોટ રૂપરેખા કે પટકથા તૈયાર નહોતી કે રિસર્ચ કરવાની દિશા. લખતાં લખતાં મનમાં ઉઠતાં તરંગોને જ શબ્દોમાં કંડારવાનો વિચાર હતો. બસ, કલ્પનાઓને અવિસ્મરણીય ગાથાનુ રૂપ આપવાની ઈચ્છા હતી.

જેને હિંમત કરી એને શબ્દ સ્વરૂપ આપવા જઈ રહી છું. આશા છે ન્યાય કરી શકીશ અને વાંચકો કંઈક વિશેષ વાંચનનો આનંદ અનુભવી શકે.

અસ્વીકરણ:

પ્રસ્તુત કથા સંપૂર્ણ કાલ્પનિક છે. કોઈ કાળ, ઘટના કે પાત્રોની સામ્યતા માત્ર એક સંયોગ હશે.
_____________________________________

ભાગ - ૧ (સંકલ્પ)

||ૐ||

ૐકારનો ધ્વનિ અરણ્યમાં અથડાયો અને આકાશે પડઘાયો.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।

આ બીજાં શ્લોક સાથે એનો અવાજ જાણે પંચમહાભૂતોને આહ્વાન કરતો હોય એમ બ્રહ્માંડમાં ફેલાયો. આ શ્લોક એક સંકલ્પનું પ્રતિનિધિત્વ કરતો હતો.

આજે એ ગૌરવર્ણ તરુણી અલગ લાગતી હતી. કંઈક વિશેષ જ એની આભા હતી જાણે શિવનું સ્ત્રૈણ રૂપ. કેસરી-કથ્થઈ પોષાકમાં જાણે રણમાં મૃગજળ થકી ઉત્પન્ન અગનજ્વાળા સમ જાણે કોઈ દેવળે લહેરાતી ધ્વજની જેમ ભાસતી હતી. એક સંકલ્પ જ્વાળાઓ બની એની નસનસમાં ફેલાઇ જાણે એને અગ્નિકન્યા બનાવી રહ્યો હતો. એનાં નેત્રો એમ તો કામણગારા અને સુંદર છતાં વિકરાળ અને અક્ષમ્ય બન્યાં હતાં. એનાં સુકોમળ ગાત્રો શિલા સમાન શિથિલ જણાતાં હતાં. એણે ધનુષ બાણ, તલવાર, ભાલો, કટાર, ઢાલ જેવાં આયુધો ધારણ કર્યાં હતાં. છેલ્લે એક કરમાં ત્રિશૂળ લઈ એ મક્કમ ચાલે ચાલી નીકળી અને એનાં પિતા એને જતાં જોઈ રહ્યાં.

એમને પણ ખબર હતી કે આજે એને રોકાય એમ નથી અને રોકવું પણ શાં માટે! પોતાની પુત્રી જે કાર્ય માટે જઈ રહી હતી એ એનાં જીવનનું લક્ષ્ય બની ચૂક્યું હતું. એમને એનાં પર વિશ્વાસ હતો, પોતાનાં સંસ્કારો અને શિક્ષા પર વિશ્વાસ હતો.

"તમે રોકોને એને..." કેટલાંય વાનાં કરી રોકવામાં અસફળ થયેલ એવાં રૂદનથી વ્યથિત અવાજે એમની પત્ની શ્રીએ વૈદ્ય જયકરને આજીજી કરી.

"તમારા મમત્વથી ન રોકાઈ એ મારા તર્કોથી રોકાશે એવું તમને લાગે છે!" વૈદ્ય જયકર એમની પત્ની સામે જોઈ બોલ્યાં.

"પરંતુ, એ તો હજુ બાળક છે. એ કંઈ રીતે..."

"આપણાં માટે બાળક છે. બાકી તમે ક્યાં અણજાણ છો એની પ્રતિભાથી."

"હજું હમણાં જ તો એ મારા ખોળે રમતી હતી. મારાં પાલવે વીંટળાઈ રહેતી. હજું તો તરુણી છે. નાસમજ છે."

એમ કહી શ્રી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અને વૈદ્ય જયકર પત્નીને સાંત્વના આપતા એમને માથે હાથ ફેરવતાં રહ્યાં.

એમને ગૌરાનો જન્મ અને બાળપણ યાદ આવી ગયું. અધિક શ્રાવણ માસની સાંજે શિવઆરતી સાથે ભળી ગયેલું નવઅવતરીત બાળકીનું રુદન એટલે ગૌરા. વૈદ્ય જયકર અને શ્રીનું એકનું એક સંતાન - ગૌરા.

(ક્રમશઃ)


©મૃગતૃષ્ણા