Anantoyuddham - last part books and stories free download online pdf in Gujarati

અનંતોયુધ્ધમ્ - (અંતારંભ)

દસેદસ આરણ્યકોનો અંત કરાયો.

પરંતુ, આક્રમણનો અંદેશો આવી જતાં અંબરીષ અરિધ પર કવચ ફેંકી પલાયન કરી જાય છે.
____________________________

મધ્યાહન સમયે પ્રતિક્ષાનો અંત થયો. એકતરફ ઘાયલોનાં ઉપચાર શરું થયાં અને બીજીતરફ અરિધે આપેલ માહિતીનું આકલન શરું થયું.

વિલવકપ્રદેશનું સૈન્યબળ અરણ્યમા શાં માટે આવી શકે! એ વિચાર માંગી લે તેવો પ્રશ્ન હતો કારણ આ પહેલાં સૈન્ય પ્રયોગશાળામાં આવ્યું હોય તેવું બન્યું નહોતું. જરુર કોઈ મોટી યોજના અંતર્ગત જ આવું બની શકે. હવે, એ સૈન્ય માટે પણ તૈયાર રહેવું જરૂરી હતું. શક્યતાઓ ચકાસી એક દૂત રાજા ચંદ્રવીર પાસે તુરંત રવાના કરાયો જેથી સેના સાબદી રહે. સીમાવર્તી ચોકીઓ પર સંદેશવાહક પક્ષીઓ દ્વારા આશંકિત હુમલાની જાણકારી મોકલાઇ.

આ બધી ગતિવિધિઓમાં બીજાં દિવસે સંધ્યાકાળે એક ખબર આવી કે અરણ્યની ઉત્તરે આવેલા કિરાતવાસીઓના ગ્રામ પર હુમલો થયો અને બધાં જ ગ્રામવાસીઓને બંધક બનાવી કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવાયા.

કારણ ચિંતાજનક હતું.... એક પ્રયોગશાળાનો ખાત્મો ક્યાંક બીજીનું ખાતમુહૂર્ત ન હોય એ આશંકા સૌને ઘેરી વળી... વિલવકનરેશ અને અંબરીષની મહાત્વાકાંક્ષા હજું કંઈ હદ પાર કરવા તત્પર છે એ જાણવું જરૂરી હતું.

"અંબરીષ કંઈ હદ સુધી જઈ શકે?" વિજયરાજ પ્રશ્નાર્થ સાથે વૈદ્ય જયકર તરફ જોઈ બોલ્યાં.

"કદાચ કોઈપણ... પ્રયોગશાળાનો વિધ્વંસ ભડકાવનાર સાબિત થયો હશે તેથી કહી ન શકાય આગળ શું કરશે અંબરીષ છતાં એટલું તો નિશ્ચિત છે કે કંઈક મોટું હશે. કદાચ રાજ્ય પર હુમલો કે પછી માત્ર કિરાતવાસીઓનુ અપહરણ હજું પણ એની કોઈ મહાત્વાકાંક્ષા માટે કરાયું છે! કળવું હાલ તો અંધકારમાં શરસંધાન જેવું છે." વૈદ્ય જયકરે ચિંતિત સ્વરે કહ્યું.

"હમમમ્.... ગમે તે હોય આપણે એડી-ચોટીનુ જોર લગાવી અંબરીષ અને વિલવકસૈન્યને રોકવું જ પડશે. પરાજય હવે નહીં પાલવે. હું આપણાં યોદ્ધાઓને સાબદા કરું છું." વિજયરાજે ઉભાં થતાં કહ્યું.

"પરંતુ, આપણાં યોદ્ધાઓ થાકેલાં અને કેટલાંક ઘાયલ છે વિજયરાજ."

"યોદ્ધા ઘાયલ હોય તો પણ યોદ્ધા જ હોય છે. એમાંય ઘાયલ યોદ્ધા.... ઘાયલ યોદ્ધા વધું મરણિયા બને. મને મારા યોદ્ધાઓ અને શિષ્યો પર વિશ્વાસ છે." ગૌરા તરફ નજર કરી આટલું બોલી વિજયરાજ શસ્ત્રાગાર તરફ રવાના થયા.

આટઆટલી કોશિશ પછી પણ અંબરીષને રોકવામાં અસફળ થવું...આ જ કારણ હતું ગૌરાના ક્રોધનું....
____________________________

વિલવકપ્રદેશની સેના છાવણીમાં અચાનક હળબળાટ મચી ગયો. એકસાથે ઉર્ધ્વદિશાએથી તીર-ભાલાનો વરસાદ વરસ્યો. ઘાયલ સૈનિકોને ચીરતા યોદ્ધાઓ આગળ વધ્યાં. થોડાં સમયમાં અરિધ અને વિલવક સેનાનાયક તથા ગૌરા અને અંબરીષ આમને સામને હતાં.

અરિધ અને વિલવક સેનાનાયક બંને યુદ્ધમાં નિપુણ હોઇ બંનેમાંથી કોઈ નમતું જોખે એ શક્યતા નહિવત્ હતી. બંનેની આગઝરતી તલવારની તેજી જોનારની આંખો આંજી દે એવી હતી.

બીજીતરફ શસ્ત્રોની લડાઈ કરતાં જ્ઞાન કે વિચારોનું દ્વંદ્વ શરું હતું.

"વૈદ્ય જયકરનાં, મારા મિત્રનાં પુત્રી છો એટલે પ્રભાવી તો છો પરંતુ, આવું જોખમ તારી માતાએ લેવાં દીધું, આશ્ચર્ય!!!" અંબરીષે ધુર્તતાથી કહ્યું.

"વાક્ બાણ જ ચલાવશો કે યુદ્ધ કરશો!"

"યુદ્ધ!!! એક તરુણ કન્યા સાથે!!! અને એ પણ મારા મિત્રની બાળકી સાથે!!! ના... ના... હું પ્રહાર ન કરી શકું."

"પરંતુ મને પ્રહાર કરતાં જરા પણ ક્ષોભ નહીં થાય. એક પ્રપંચી, દુષ્ટ અને ક્રૂર વ્યક્તિત્વ પિતાજીના મિત્ર ન હોઇ શકે."

"એવું તારાં પિતાએ કહ્યું તને!"

"કહેવાની શી જરૂર, હું મારા પિતાજીને ખૂબ સારી રીતે જાણું છું, વિપરીત અને નકારાત્મક વિચારો એમની નજીક ન જ હોઈ શકે."

છેવટે શસ્ત્રયુદ્ધ પણ જામ્યું, કટાક્ષ તથા વાક્ય બાણો વચ્ચે અંબરીષે નજર ચૂકવી કવચનો વાર કર્યો જેને ગૌરાએ સિફતપૂર્વક ઢાલથી ચૂકવી દીધો અને ભસ્મ ફેંકી, જેની અસરથી એનું શરીર જાણે ત્યાં જ જડવત્ થઈ ગયું.

"આ શું કર્યું તે? મારું શરીર કેમ પાષાણસમ થઈ ગયું? આ શું હતું ?"

"આપ ભૂલી ગયા આ ભસ્મને વૈદ્યેશ્વર અંબરીષ!"

"સોમલ!!!! ના..." અચંબિત અંબરીષે કહ્યું.

"જી... સોમલ. આપનાં દ્વારા જ આવિષ્કારિત. એકાદ પ્રહર માટે જડ કરી દેતી ભસ્મ જેનો આવિષ્કાર આપે શલ્યક્રિયા દરમિયાન દર્દીને તકલીફમાં રાહત થાય એ શુભાશયથી કરેલ."

"એ હજી જયકરે સાચવી રાખી છે?"

"હા... જનહિત ઉપયોગી આવિષ્કારો જેણે પણ શોધ્યાં હોય ઉપયોગ તો થવો જ જોઈએ ને માન્યવર!"
______________________

આ વાક્ય દ્વંદ્વ નાં અંતે અંત વૈદ્યેશ્વર અંબરીષ કે અંબરીષનો થયો એ મનોમંથનનો વિષય છે.

(સમાપ્ત)

- મૃગતૃષ્ણા
🌼🌼🌼