Rajvi - 14 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 14

(૧૪)

(કૃષ્ણ મહારાજ અને તેમની પટરાણીઓ એ નેમકુમારને રાજુલ સાથે લગ્ન કરવા માટે તેમના મનને પલાળી દે છે. હવે આગળ...)

કૃષ્ણ મહારાજને એક વાર નેમની આછીપાતળી પણ સંમતિ મળી એટલે એમના મન પરનો ભાર ઉતરી ગયો  એમને તો તરત જ દૂતને ઉગ્રસેન રાજાના દરબાર ભણી મોકલ્યો. સંદેશામાં એમને લખ્યું કે,

'આપની પુત્રી રાજુલનું સગપણ મારા ભાઈ નેમકુમાર સાથે આપ કરો એવી અમને આશા છે. બંને એકબીજા માટે સર્જાયાં હોય એવું જ મને લાગી રહ્યું છે. અને અમારી આ માગણી આપ નહીં નકારો એટલી આપને અમારી વિનંતી.'

ઉગ્રસેન રાજા પાસે એક સુંદર રત્ન હતું, જેને અત્યાર સુધી તેમને સંભાળી રાખેલું. ખબર નહીં કયાંથી આજે એક ઝવેરી આવ્યો અને તે રત્નને માંગવા લાગ્યો.

આ સ્વપ્ન જોઈને દુઃખ થવાની જગ્યાએ ઉગ્રસેન રાજા આજે સવારથી જ મનમાં આનંદ છવાઈ ગયો હતો. તેમને એમ જ લાગ્યા કરતું હતું કે મારા અમૂલ્ય રત્નને ગ્રહણ કરનાર બહુ જલ્દી મળી જશે. એ આનંદ મનમાં જ લઈને ઉગ્રસેન રાજા દરબારમાં ગયા. સભામાં કૃષ્ણ મહારાજનો દૂત સંદેશો લઈને આવ્યો.

સંદેશો વાંચતા જ ઉગ્રસેન રાજા ધારિણીરાણીના આવાસે ગયા. જતાં જતાં તેમને મંત્રીને કહ્યું કે,

"દૂતને અતિથિગૃહે આરામ કરવા મોકલો. અને તેમને જોઈતી વસ્તુઓ ઉપલબ્ધ કરજો. અને હા, તેમનો યથાયોગ્ય સ્વાગત અને માન આપજો. સભાનો કારભાર કાલે કરીશું."

મંત્રીએ નમન કરીને ઉગ્રસેન રાજાની વાત સ્વીકારી. દૂત પણ એ સત્કાર જોઈ આશ્ચર્યમાં પડી ગયો અને તેમના ગુણગાન કર્યા.

"જો હું નહોતો કહેતો કે રાજુલ માટે આપણા કરતા પણ એના ભાગ્યદેવને વધારે ચિંતા છે?"

ઉગ્રસેન રાજાએ ધારિણીના હાથમાં પત્ર મૂકતાં કહ્યું તો રાણીના આનંદનો પાર ના રહ્યો.

"યાદવકુળનો રાજવી આપણી પુત્રીનું માગું કરે એનાથી મોટી સિદ્ધિ જીવનમાં કઈ હોઈ શકે, સાચે જ હું કયાંક સ્વપ્ન તો નથી જોતી ને?"

"ના દેવી, તમે સ્વપ્ન નહીં પણ હકીકતમાં જોઈ રહ્યા છો."

"હમણાં ને હમણાં એનો સ્વીકાર કરી એને રવાના કરો."

"તમે તો ભારે અધીરાં અને ઉતાવળાં, રાણી. એમ ના કરાય, હજી તો આપણે એકાદ દિવસ વિચાર કરવામાં ગાળીશું અને પછી જવાબ આપવાનો."

"પણ આમાં હવે વિચાર કરવાનો રહે છે જ કયાં?"

"એ તમને નહીં દેખાય, કારણ તમને મનભાવતાં ભોજન મળી ગયા છે, પણ એક વાત તમે ભૂલી જાવ છો કે એ ભોજનનું જમનાર બીજું કોઈ છે."

ઉગ્રસેનરાજા ધારિણીરાણીને પાઠ ભણાવતા હોય તેમ કહ્યું.

"એટલી તો મને ગમ પડે છે."

રાણીએ કહ્યું.

"આ સ્ત્રી જાતુનું આજ દુઃખ છે ને! ગમ પડે, જ્ઞાન હોય છતાં પણ જયાં લાગણી ઉશ્કેરાઈ જાય કે ઊર્મિઓ જાગે પછી એનો ઉપયોગ જ નહીં કરવાનો."

"માટે જ તો ભગવાને તમને અમારી સાથે મૂકયા છે ને."

રાજાને જવાબ આપતાં ધારિણીદેવીએ કહ્યું.

"રાજુલને બોલાવીએ..."

ઉગ્રસેન રાજાએ પ્રસ્તાવ મુક્યો.

"હા, હું માધવીને મોકલું છું. એ હમણાં જ જમીને ઊંઘી ગઈ હોવી જોઈએ."

"એ ઊંઘે છે કે ઊંઘવાનો ડોળ કરે છે."

રાજાએ નવો પ્રશ્ન પૂછ્યો.

"કેમ આમ પૂછો છો?"

રાણીએ આશ્ચર્યથી કહ્યું.

"કારણ ઘણીવાર મેં એને ગાલે હાથ ટેકવી ઊંડા વિચારમાં ડૂબેલી જોઈ છે."

"એ તો એનો સ્વભાવ છે, એના વિચારમાંથી ઊંચા આવવાનું એ શીખી જ નથી."

"પણ...."

"પણ, શું વિચારો છો?"

"આ યાદવકુળની રીત, એની પ્રણાલિકાઓ વગેરે આપણી રાજુલને ફાવશે તો ખરાં ને?"

રાજાએ પોતાના મનમાં આવેલ વિચાર રજુ કર્યો.

"વાહ, થોડા દિવસ પહેલા જ સત્યભામાને હું મળેલી, ત્યારે મેં એને આડકતરી રીતે ઘણું ઘણું એના ઘર વિશે, રીત વિશે પૂછેલું. એને કહ્યું હતું કે એને તો શિવાદેવી જાણે પેટની દિકરીની માફક ગણે છે. જો એને આવું રાખે તો આપણી દિકરીને કેવુંય રાખશે... અરે, જોજોને, એને અને એના રૂપને જોઈને ગાંડા થઈ જશે... ગાંડા થઈ જશે."

માતૃગૌરવ સાથે ધારિણીરાણીએ શબ્દેશબ્દે આત્મવિશ્વાસ સાથે બોલ્યા.

બંને જાણે દિકરીનો સાસરીમાં કેવા લાડ મળશે? વિચારમાં ખોવાઈ ગયા. થોડી ક્ષણો કયાંય પસાર થઈ ગઈ. આ તો રાજુલે બોલવાનું કારણ પૂછ્યું ત્યારે જ એ બંને એમના વિચારમાં થી બહાર આવ્યા.

"જો સીધી જ વાત કરું... તો તારા માટે કૃષ્ણ મહારાજે કહેણ મોકલ્યું છે."

"કૃષ્ણ મહારાજે..."

"એમના ભાઈ માટે..."

રાજાએ રાણીની વાત બરાબર સ્પષ્ટ કરી. રાજુલ શરમાઈને ધારિણીદેવીના પડખે ભરાતાં મૌન જ ધારણ કર્યું.

"કેમ બોલી નહીં, પુત્રી."

ઉગ્રસેન રાજાએ પોતાના તરફ ખેંચતા પૂછ્યું.

"મારે શું બોલવાનું હોય?"

તેને શરમાતાં હળવે સાદે કહ્યું તો ધારિણીએ એની પીઠ પંપાળતા કહ્યું કે,

"વાહ, રોજ તો બોલતી બંધ કરતાં ભારે પડે છે અને આજે જાણે લાજુડી થઈ ગઈ."

"તમે માદિકરી વિચારો, પછી જવાબ મોકલાવીશું."

એકાએક રાજુલ જાણે એના હાથમાં આવેલું રત્ન ઝૂંટવાઈ જતું હોય એમ ભયભીત અને અસ્વસ્થ થતાં બોલી.

"મારે તો આ બાબતમાં કંઈ જ કહેવાનું નથી, પિતાજી."

"એ તો તારું નિર્માણ જ કામ કરે છે."

ધારિણીરાણી બોલ્યા.

"હું પણ એ જ માનું છું, મા. અને નિર્માણ જયાં હશે ત્યાં કોણ મિથ્યા કરવાનું છે?"

રાજુલે કહ્યું.

"છતાં પણ આપણા મનને તો એનાથી આનંદ થવો જોઈએ ને."

ઉગ્રસેન રાજાએ પૂછ્યું.

"આનંદ તો મને એના અંતરમાં દેખાય છે."

ધારિણીરાણી બોલ્યા અને રાજુલે પણ એનો વિરોધ નઆ કર્યો એટલે રાજા પણ હસતાં હસતાં ત્યાંથી દરબારમાં જવા રવાના થયા.

છતાં એમને દૂત જોડે સંદેશો તો એમ જ કહેવડાવ્યો કે,

'એકાદ માસમાં જવાબ મોકલાવીશું'

બીજે દિવસે એમને રાજજોશીને બોલાવ્યા, અને નેમકુમાર તથા રાજુલની રાશિને મેળ કેવો છે એ પૂછ્યું. જોશીએ જવાબમાં કહ્યું,

"રાજન, આ બેના ગ્રહમાં પૂછવા જેવું શું છે? બંને મહાન આત્મા છે અને ભવોભવની પ્રીતિ હોય એટલો બધો મેળ બંનેની રાશિમાં છે. એમના ગ્રહ જ એવા છે કે એકમેકને માટે તેઓ મરી ફીટશે. આવો સુમેળ તો મેં આજ લગી સુધી કયાંય જોયો નથી."

ત્યાર પછી ઉગ્રસેન જુદી જુદી રીતે વિધવિધ માનવીઓ દ્વારા નેમકુમાર વિષે માહિતી મેળવવા માંડી. અને એ માહિતી મેળવતાં હતાં તે જ દરમિયાન એમને દૂત મારફતે સંદેશો કહેવડાવી દીધો કે,

"આપે મારી પુત્રીનું માગું કર્યું છે એ માટે આપનો અત્યંત ઋણી છું, અને મારી પુત્રી આપના જેવાના કુળની લક્ષ્મી બને એ મારે માટે ગૌરવનો વિષય છે. મને લાગે છે કે આ વર્ષાઋતુ વીતે પછી આપણે લગ્ન માટે તૈયારી કરવાનું રાખીએ."

ચારે બાજુથી નેમકુમારના સૌંદર્યની, બળની, સ્વભાવની અને જ્ઞાન સમૃદ્ધિની વાતો સાંભળી ને ઉગ્રસેન રાજાને વિચાર આવવા માંડયો કે હવે તો વહેલામાં વહેલી તકે લગ્ન પતાવી દેવા. છતાં પુત્રી તરફના મોહમાં એમને વર્ષાઋતુ પતે પછી લગ્નકાર્ય આટોપવું એ નિર્ણયમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો.

કૃષ્ણ મહારાજે જયારે સમુદ્રવિજય રાજાને આ બધી વાતો કરી તો તેમને એક નવો મત દર્શાવ્યો.