Rajvi - 13 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 13

(૧૩)

(સત્યભામા નેમકુમારને સરોવરતટે જળક્રીડા કરવા માટે મનાવી લે છે. હવે આગળ...)

મનુષ્ય તરીકે જન્મયા પછી નક્કી જ હોય છે. બાળપણમાં રમો.. આનંદ લૂટો.. એ પણ જવાબદારી વગર, મોટા થાવ એટલે ભણો અને નવું નવું શીખો.. કંઈક કાબેલિયત મેળવો, યુવાવસ્થામાં લગ્ન કરો. આ જ ઘટનાક્રમ દરેક માટે એકસરખો જ હોય છે. અને આવું જ નેમ જોડે થવા જઈ રહ્યું છે.

અને 'હવે આ કયાં છટકવાનો છે?' એ વિચાર આવતા જ કૃષ્ણ મહારાજથી હસી પડાયું.

"ભાઈ, આ બધા તમારા કારસ્તાન લાગે છે. મારી પર આટલો બધો જુલમ?"

નેમે તેમને કહ્યું તો,

"અને તું એમ માને છે કે આ મારી પર જુલમ નથી?"

કૃષ્ણ મહારાજ ખડખડાટ હાસ્ય સાથે બોલ્યા.

"એટલે મને એનો ભાગીદાર બનાવો છો?"

"હા, અને હવે તો મારે તને પૂરેપૂરો ભાગીદાર બનાવવો છે."

કૃષ્ણ મહારાજે સૌની તરફ ઈશારો કરીને મૂક ભાષામાં જ કહ્યું. અને એવું જ નેમના મસ્તક પર કમળનું છત્ર આવી પડ્યું. પાછળ ફરીને જોવા જાય છે ત્યાં તો એમની આંખો પર જ ભયંકર જળવર્ષા થતી હોય એમ એકદમ જળપ્રવાહ વહેવા લાગ્યો. બંધ આંખો રાખીને જ એમને પાછળ હાથ ફેરવવા માંડયો, અને એમના હાથમાં સત્યભામાનો હાથ આવી પડ્યો.

"હવે પકડાઈ ગયા."

સત્યભામાએ કુમારના લલાટ પરના જળના બિંદુઓ લૂછતાં કહ્યું...

"રાજહંસની માફક સરોવરમાં ભમો છો, પણ એકલા જરાયે શોભતા નથી."

"વાહ! આટલી બધી હંસ હંસીઓની જોડ છે ને. કોઈ હંસ એકલો સારો."

કુમારે મશ્કરીમાં કહ્યું.

"લાજતા નથી મશ્કરી કરતા? બોલો, હવે તમારે પરણવું છે કે આવાં નખરાં જ કર્યા કરવા છે?" સત્યભામાએ અતિશય મહેનતથી લાલ  આંખ કરતાં કહ્યું.

"અને આજે આ વાતનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અહીંથી જરાપણ તમને ખસવા પણ નથી દેવાના."

રુક્મિણી પાસે આવતા બોલી.

"મારા વહાલા દિયરજી, સંસારથી આટલા બધા ડરો છો? કાયર નહીં તો બીજું શું?" સત્યભામાએ રુક્મિણીની વાતમાં ટાપશી પૂરતા કહ્યું.

"અરે, એમને તો એ પણ ચિંતા નથી કરવાની. એમની સ્ત્રીને અને જો જરૂર પડે તો નાના નાના ભૂલકાંઓ ને સાચવવાની જવાબદારી પણ આપણે લઈએ."

રુક્મિણી નેમના મ્હોં પર ખોબો ભરીને પાણી છાંટતાં કહ્યું.

"તે કોણ ના પાડે છે, એમના ભાઈ એમની એક નહીં પણ એકવીસ રાણીઓ ને પાળવા તૈયાર છે  સંસારમાં જન્મી એટલું ગૃહસ્થ તરીકેનું કર્તવ્ય બજાવે નહીં તો તો આપણા આખા કુળની આબરૂ જાય."

સત્યભામા બોલી તો રુક્મિણી જરા દુઃખી અવાજે કહ્યું,

"એના કરતાં વધારે મોટી બીક તો બીજી છે."

એ અવાજની કરુણતા નેમના અંતરને સ્પર્શી ગઈ.

"બો.. લો.." નેમ સંકોચ સાથે બોલ્યો.

"લોકો એમ જ કહેવાના કે યાદવકુળના છોકરાને પણ કન્યા ન મળી. અને એ તો મોટામાં મોટું લાંછન કહેવાય. ભાઈ, તમે પોતે જ તમારા કુળને આવું લાંછન લગાડશો?"

"મને વિચારવા દો...."

કહીને નેમ દૂર ગયા તો રુક્મિણી,

"સત્યભામા, હવે આમને છોડવા નથી... થોડું મન પલળ્યું છે. હવે તો મૂડી જ નાંખવાનું."

બંને નેમ પાછળ ગઈ. સત્યભામા કમળપાનથી તેમની પીઠ પંપાળતા કહ્યું કે,

"આમ તો તમે આટલા બધા ડાહ્યા છો, બહાદુર છો અને આવી નાની બાબતમાં આટલા બધા કાયર બનશો?"

"પણ ભાભી... તમે મને શ્વાસ લેવાનો વખત પણ આપશો કે આમ મારી પાછળ પાછળ જ આવ્યા કરશો?"

નેમે અકળાઈને બોલ્યા તો રુક્મિણી બોલી કે,

"એ જાંબુવતી, આમ આવ તો... સમજાવને આ તારા લાડકા દિયરને કે આપણા માટે દેરાણી લાવે."

તો જાંબુવતીએ કહ્યું કે,

"એ કયાં ના પાડે છે? પણ એમની જોડે એવી કન્યા તો લાવો..."

"એ વાત સાચી સત્યભામા... આપણે પણ મુખ્ય વસ્તુ ભૂલી ગયા ને?"

રુક્મિણીએ એવું કહ્યું તો..

"...રાજુલ ગૌરી બેઠા છે, બારીએ રે....

નેમકુમાર ની વાટમાં, લઈને વરમાળા રે...."

"અરે, બિચારી વાટ જોઈને થાકી ગઈ."

જાંબુવતીએ કહ્યું.

"આ બધું શું છે, જરા એ કહેશો?"

"જુઓ, અમે તો સાચી વાત કહીએ છીએ, તમારે નાટક માનવું હોય તો નાટક માનો."

સત્યભામાએ કહ્યું તો નેમકુમાર મૌન રહ્યા.

"ત્યારે બોલો... કાલે શુભ મુહૂર્તે દૂતને રવાના કરી દઈએ ને?"

રુક્મિણીએ પૂછ્યું તો કુમાર ના હા કે ના તો ના કહી શકયા તો સત્યભામા બોલી,

"મા બાપને રાજી કરવાની પણ સૌની ફરજ હોય છે."

"અને મહાન પુરુષો તો બીજાની ઈચ્છાને પહેલાં માન આપે." રુક્મિણીએ કહ્યું.

"આમ તો તમે રોજરોજ મોટી મોટી વાત કરો છો, દુનિયાને કલ્યાણમાર્ગે વાળવાની, પણ બોલવા કરતા આચરવું પણ પડે, સમજયા."

જાબુવંતીએ કહ્યું તો,

"એ ના પાડતો નથી, તો પછી ભાષણ શું કામ?...."

"રાજુલને સંદેશો મોકલીએ ને......"

કુમાર ભાભીઓ ને નારાજ કરી ના શકયા અને ભાભીનો સંગ જો આટલો પ્રેમાળ હોય તો પત્નીનો સાથની વાત જ શું કરવી? એ વિચારને વિચારમાં ખોવાઈ ગયા તો સત્યભામાએ કૃષ્ણ મહારાજને બોલાવ્યા,

"અરે, આમ તો આવો...."

કૃષ્ણ મહારાજ જળમાં થી માર્ગ કરીને ત્યાં આવ્યા...

"આ તમારા ભાઈ જબરા છે... એમને તો ઘણા ઘણા મહાન થવું છે એટલે એ સંસારમાં પડવા નથી માંગતા... પણ એનો ભાર પણ આપણે લઈ તો એમને વાંધો નથી."

"એટલે એને જવાબદારીમાંથી છટકવું છે એમ ને, ભલે એમ થશે."

મહારાજ હામી ભરતા કહ્યું.

"પણ... ભાઈ..."

"હવે તારે બોલવાની જરૂર નથી અને શરમાવાની પણ... એ તો આખું જગત આમ જ કરે છે. અને તું તારે મનમાં એટલો સંતોષ માનજે કે મારે તો લગ્ન નહોતા કરવા પણ બધાએ ભેગા મળીને કરાવ્યા. આપણે માણસ પણ ખરા ને રાજા પણ. એટલે આપણે ના ના કરવાની અને લોકો હા હા સમજવાના જ."

નેમના મનમાં વિચારોનો ઉલ્કાપાત સર્જાયો, પણ રાજુલ નું નામ થોડી શાંતિ આપી,

'એ નવયૌવના બાળાના ગુનેગાર તો નથી જ બનવું. જીવનનો આ રાહ પણ જોઈ લઈએ.'

"અને સત્યભામા, જો જરાપણ અયોગ્ય કન્યા શોધી છે, તો તમારું આવી બન્યું."

કૃષ્ણ મહારાજે કહ્યું.

"એ રાજાશાહી અહીં નહીં ચાલે...." સત્યભામાએ હસતા હસતા મહારાજને કહ્યું.

"એ રાજાશાહી નહીં પણ ભાઈ  માટેની લાગણી બોલે છે."

"તે અમને પણ દિયર માટે લાગણી છે અને દેરાણી લઈને અમારે ફરવાનું છે, એટલે જો યોગ્ય ના હોય તો અમારે શરમાવું પડે."

આ સાંભળીને નેમકુમાર શાંત હોવા છતાં પણ તેમના હોઠ પરનું સ્મિત જાણે રાજુલની રાહ જોઈ રહ્યું હોય એમ ખીલી ઉઠ્યું.