Angat Diary books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - વડીલો તમે ઘણું જીવો રે વ્હાલા


શીર્ષક : વડીલો! તમે ઘણું જીવો રે વહાલાં..
©લેખક : કમલેશ જોષી

એક સવારે મારા ભાણીયાએ પ્રશ્ન પૂછ્યો: "મામા, સ્ટાન્ડર્ડ એટલે?" મેં સહજ કહ્યું : "ધોરણ." આવો સાદો પ્રશ્ન પૂછે એવડો નાનો એ હવે નહોતો. એણે તરત જ બીજો ગુગલી નાંખ્યો: "લાઈફ સ્ટાન્ડર્ડ એટલે?" મેં કહ્યું "જીવન ધોરણ." એ મારી સામે તાકતા બોલ્યો "એટલે? જીવન ધોરણ એટલે?" હવે જવાબ સરળ નહોતો. મેં સમજાવવા પ્રયત્ન કર્યો: "તું નાના ધોરણમાં ભણતો ત્યારે સાદા સરવાળા-બાદબાકી, કક્કો-બારાક્ષરી તને ભણાવવામાં આવતા, હવે તું મોટા ધોરણમાં છે તો તને સમીકરણો, નિબંધો, વ્યાકરણ શીખવવામાં આવે છે એમ જીવનમાં પણ વાણી, વર્તન અને વિચારોના આધારે જે લાઈફ સ્ટાઈલ આપણે અપનાવીએ એને જીવન ધોરણ કહેવાય." એણે મારી સામે જોઈ મને સમજવા પ્રયત્ન કર્યો અને પછી રમવા જતો રહ્યો, પણ મારું મગજ વલોવાવાનું શરુ થઈ ગયું.

ખરેખર આપણું જીવન બરાબર જીવાઈ રહ્યું છે ખરું? પહેલા ધોરણનો વિદ્યાર્થી પણ સરવાળા-બાદબાકી કરે અને દસમા ધોરણનો વિદ્યાર્થી પણ સરવાળા-બાદબાકી જ કરે તો એમના ધોરણ વચ્ચે તફાવત શું? બાળક પણ આહાર અને નિંદ્રા પાછળ આખો દિવસ વીતાવે, યુવાન પણ ખાઈ-પીને જલસા કરે અને વૃદ્ધનો જીવ પણ એમાં જ રચ્યો પચ્યો રહે તો વીતેલા વર્ષોનું શું? કશોક ફર્ક તો દેખાવો જોઈએ ને? કૈંક તો એવું હોવું જોઈએ જે વૃદ્ધે સિદ્ધ કર્યું હોય, હાંસિલ કર્યું હોય, યુવાને નહિ, અથવા યુવાન પામી ગયો છે, સમજી ગયો છે અને બાળક નહિ. વીસ-ત્રીસ ટકા સ્કોલર અને ટોપર બાળક, યુવાન અને વૃદ્ધને બાદ કરો તો મોટાભાગના લોકો જે બાળપણમાં કરતા એવું જ યુવાનીમાં અને એવું જ વૃધ્ધાવસ્થામાં કરી રહ્યા છે.
તમારી આસપાસના દસ વડીલોનું ઓબ્ઝર્વેશન કરો. કેટલાની આંખોમાં સંતોષ, સુખ, શાંતિ, સૌમ્યતા જોવા મળે છે? તમને અચરજ થશે અને દુઃખ પણ થશે. વીસમા ધોરણમાંથી સાઠમા ધોરણમાં પહોંચી ગયા છતાં લોભ, મોહ, માયા એના એ જ લેવલે છે. બહુ વિચારવા જેવો પ્રશ્ન છે કે આપણે ખરેખર કઈ ઉંમરે સત્ય અને ઈમાનદારીથી જીવવાનું શરુ કરવું જોઈએ? સ્કૂલમાં શરૂઆત એક ગુજરાતી ભાષા(એટલે કે માતૃભાષા) શીખવવાથી થાય, એ પછી અમુક ધોરણો બાદ હિન્દી (એટલે કે રાષ્ટ્રભાષા) અને એ પછી અંગ્રેજી (કે એવી બીજી ભાષાઓ) શીખવવાની શરુ થાય એવો સિલેબસ ચાલે છે. શું જીવનમાં એવું કંઈ નહિ? અમુક વર્ષો પછી તો દરેકે પોતાના વાણી, વર્તન અને વિચારમાં ઈશ્વરસ્પર્શ, ભક્તિ, સજ્જનતા શીખવાના કે નહિ?

મોટાભાગના વડીલોને સાંભળશો તો એમની વાણીમાં નિરાશાનો સૂર જોવા મળશે: "હવે પહેલા જેવું નથી રહ્યું", "ઘોર કળિયુગ છે", "બધું ખલાસ થઈ ગયું", "અમે જેવું જીવ્યા એવું હવે કોઈ ન જીવી શકે" વગેરે. જાણે એમના ગયા પછી સૂર્ય ઉગવાનો ન હોય, ફૂલડાં ખીલવાના ન હોય કે મેઘધનુષ્ય રચાવાના ન હોય એમ એ લોકો આખા સંસારને કાળોધબ્બ ચીતરતા હોય છે. માન્યું કે તેઓ હવે એક્ઝીટ લેવાની તૈયારીમાં છે એટલે ગમના ગીતો ગાવા માંડ્યા હોય પણ શું જિંદગી આખીની મહેફીલો એમને ન જીવવા જેવી જ લાગી હશે? શું વૃદ્ધાવસ્થા એટલે કેવળ અંધાર પટ. એક મિત્રે કહ્યું: અમુક દીકરાઓ તો એમના વડીલો વારંવાર ‘હવે મરી જઈશું.. મરી જઈશું’ એવી વાતો કરતા હોવાથી એમનાથી દૂર ભાગતા હોય છે. કેટલાક વડીલો તો પોતાના મરણની વાતો કરી જાણે, સહાનુભૂતિની ઉઘરાણી કરતા હોય છે. એ ખરેખર મરે એની પહેલા એની મરણવાણી સંભાળનારા અનેક મરી ચૂક્યા હોય છે.

કરુણતા જગાવતા શરણાઈના સૂર અને શૂરાતન ચઢાવતા બ્યુગલ વચ્ચે ભારે તફાવત હોય છે. સ્કોલર-ટોપર વડીલોનો જીવન પ્રત્યેનો અભિગમ ખુબ જ ઉત્સાહપૂર્ણ અને આશાવાદી હોય છે. જાણે સેન્ચ્યુરી ફટકારી આઉટ થતો ખેલાડી પેવેલિયનમાં પરત ફરતો હોય ત્યારે એના ચહેરા પર જે વિજયી સ્મિત હોય અને ચાલમાં જે સંતોષ અને આત્મવિશ્વાસ છલકતા હોય એવું વર્તન કેટલાક વડીલો કરે ત્યારે એની આસપાસના તમામ લોકો પ્રસંગ કે ઉત્સવ જેવો થનગનાટ અનુભવતા હોય છે. આવા ફેવરીટ વડીલોનું જો ઓબ્ઝર્વેશન કરશો તો તેઓ કદી ‘તમને ન ખબર પડે’, ‘તમે નાના છો’, ‘તમે તો જોયુંએ નહિ હોય’, ‘ઈ બધું અમે કરી લીધું છે’ કે ‘આ તો કંઈ નથી.. હમારે જમાનેમેં ઐસા હોતા થા, વૈસા હોતા થા’ નથી બોલતા. આવા વડીલો યુવાનો પાસેથી મોબાઈલ એપ ડાઉનલોડ કરતા શીખવામાં કે ગરબાના સ્ટેપ શીખવામાં કે વહુ પાસેથી નવી વાનગી શીખવામાં નાનપ નથી અનુભવતા. એક વડીલે કહ્યું "જેમની ભીતરે નાનપ હોય છે, લઘુતાની ગાંઠ - લઘુતાગ્રંથિ હોય છે એ લોકો જ નાનપ અનુભવતા હોય છે."

લઘુતા ગ્રંથિ શાની? જિંદગી ધાર્યા મુજબ ન જીવી શકાઈ એની? ધારી સફળતાઓ ન મળી એની? જિંદગીમાં સફળતા એટલે શું એ પ્રશ્ન યુગો-યુગોથી માનવને પજવતો રહ્યો છે. એક વડીલે કહ્યું, "જિંદગી એટલે મંઝિલ તરફ દોડી જતી ટ્રેનને કોઈ એક સ્ટેશને આવતો હોલ્ટ." સમજો ને કે કોઈ સ્ટેશને તમને કહેવામાં આવે કે અહીં ટ્રેન દોઢ કલાક (એટલે કે નેવું મિનિટ) ઊભી રહેશે, તો તમે શું કરો? નાસ્તો પાણી કરો, કોઈ સગાં નજીક રહેતા હોય તો એમને મળી લો કે પછી જર્ની માટે લીધેલી રોકડ ખર્ચીને જમીનનો પ્લોટ ખરીદો? યાદ રહે ટ્રેનમાં પરત ફરતી વખતે કશું સાથે લઈ જવાનું નથી. ખાલી હાથ આયે થે હાલી હાથ જાના હૈ. ન હાથી હૈ, ન ઘોડા હૈ વહાં પૈદલ હી જાના હૈ. યાદ રહે આ પૃથ્વી ઉપર આપણે ગાય, કૂતરું, મોર, માછલીથી માંડી કરચલા, દેડકો, માંકડ,મચ્છર સુધીના ચોર્યાસી લાખ પાત્રો ભજવી ચૂક્યા છીએ, એ તમામ જન્મોના પુણ્યની કમાણી ખર્ચી માનવ તરીકે મુસાફરી કરવાનો મોકો મળ્યો છે. હવે એક જ છલાંગ મારીએ, જો મારી શકીએ તો, નર કા નારાયણ બની શકવાની તક છે. હજુ જીવનની ઘણી અવર્સ બાકી છે. મિનિટે મિનિટ અને સેકન્ડે સેકન્ડમાં જિન્દાદીલી ઉમેરીએ તો આપણે પણ રામ કે કૃષ્ણ નહિ તો નરસિંહ, મીરાં જેવા ટોપર્સ બનવાની દિશામાં ચોક્કસ થોડાં ડગલાં ચાલી શકીએ, એટલીસ્ટ એ બાજુની દિશા પકડાય તોય ઘણું. બાકી ડીયર વડીલો.. તમે ઘણું જીવો વ્હાલા...
હેપ્પી જર્ની..
- kamlesh_joshi_sir@yahoo.co.in