Rajvi - 21 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 21

(૨૧)

(રાજુલના મનને આઘાત લાગતાં બેભાન થઈ જાય છે. તે સ્વસ્થ થઈને વાત જાણવા પ્રયત્ન કરે છે. હવે આગળ...)

સંયોગની જોડે વિયોગ સંકળાયેલાં છે. અને એવું જ રાજુલ જોડે બની રહ્યું છે.

તે નેમિ... નેમિ... મનથી જ પોકારી રહે છે.

"કુમાર કયાં ગયા છે?"

એ પ્રશ્નનો જવાબ કોઈ આપે તો પણ કેવી રીતે? એટલે અકળાઈને શશિલેખાએ કહ્યું,

"રાજુલ, છોડ હવે એનું નામ..."

"કોનું કુમારનું?... ગાંડી થઈ લાગે છે, શશિલેખા!'

"હું આર્યકન્યા ખરી કે નહીં?"

રાજુલ કોઈ અલગ જ દુનિયાથી બોલતી હોય એમ બોલાવા લાગી તેમ તેને સામો પ્રશ્ન કર્યો.

"ખરી ભાઈ ખરી."

વૃદાંએ જવાબ આપ્યો.

"કુવંરીબા, હું જઉં છું... હું તો માત્ર કહેવા આવ્યો હતો કે નીચે મહેલના ચોકમાં આપને મહારાજ યાદ કરે છે."

"સુભટજી... રાણીમાને અહીં મોકલો, અને ખરેખર શું બીના બની છે એ પણ મને કહેતા જાવ."

"માધવી કહેશે."

અને સુભટે પણ પોતાના ઉપરણાંથી આંખો લૂછતાં લૂછતાં વિદાય લીધી.

"બોલ, માધવી."

રાજુલે માધવીને આજ્ઞા કરતી હોય તેમ કહ્યું.

"હું... શું બોલું?... રાજુલ બા."

માધવી ડૂસકાં ભરતાં બોલી.

"મને સમજવા તો દો કે શા માટે કુમાર પાછા ફર્યા છે?"

રાજુલે મોટા સાદે કહ્યું અને સખીઓ જાણે રાજુલ ગાંડી થઈ ગઈ હોય એમ થોડી ક્ષણો તો ગભરાઈ ગઈ. કિન્તુ પાંચ દસ ક્ષણો બાદ રાજુલે એકદમ નીચું કરીને રડવા જ માંડયું.

"વૃદાં... શશિલેખા... મારું શું થશે?"

તેને આક્રંદ કરતાં પૂછ્યું.

"થવાનું શું છે વળી?... જગતમાં યાદવો સિવાય પણ ઘણા મહાન કુટુંબો વસે છે."

વૃદાંએ એને આશ્વાસન આપતાં કહ્યું.

"યાદવો સિવાય?"

રાજુલે ચીસ પાડતાં કહ્યું. બધા પાછા ડરી ગયા. આ ગાંડી તો નહીં થઈ જાય ને?"

'કુમાર... કુમાર...' બંનેને વિચાર આવ્યો. 'માત્ર દર્શન આપીને જ ગાંડી કરી મૂકનાર બાળાને વર્યા હોત તો તે કોણ જાણે શું ને શું યે કરી નાંખત.'

"માધવી, તું પણ જવાબ નથી આપવાની."

"મને બરાબર કંઈ જ ખબર નથી. માત્ર એટલી જ ખબર છે કે કુમારે વાડામાં પૂરેલા પ્રાણીઓને છોડાવી રથ પાછો વાળ્યો છે અને..."

તે આગળ ન બોલી શકી. જાણે કડવી દવાનો ઘૂંટડો પરાણે પરાણે ગળે ઉતારવાનો પ્રયત્ન કરતાં એકદમ કરતાં જેવો ગચરકો આવે એમ માધવી ખચકાઈ ગઈ.

"એમને બધાં મનાવવા ગયાં છે."

શશિલેખાએ વાકય પૂરું કર્યું.

"મનાવવા શા માટે?"

રાજુલે નાના બાળકની માફક પૂછ્યું.

"શા માટે તે પરણવા માટે... પીઠી ચોળેલ કન્યા એમની વાટ જુએ છે એ માટે."

વૃદાં પણ થોડી ચિડાઈ એટલે બોલી પડી.

"તમે બધાં નકામા ચિડાવ છો. દરેક મનુષ્યને પોતાના અમુક વિચારો અને સિધ્ધાંતો હોય છે. અને કુમારને એટલા માટે તમે દોષ દો એ બરાબર નથી."

રડતી રાજુલ પણ સ્વસ્થતાથી બોલી શકી. એટલામાં તો ધારિણીરાણી અને ઉગ્રસેન રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. અટારીએ જ બધાંની ઠઠ જામી.

"પુત્રી..."

બોલતાં બોલતાં જ ઉગ્રસેન રાજા ઢગલો થઈને જ બેસી ગયા. સુભટે એમના માટે ગાદી ગોઠવાની તૈયારી કરી ત્યાં તો એ બોલ્યા,

"રહેવા દે..."

"તમે આમ ઢીલા થાવ છો તો રાજુલને કોણ હિંમત આપશે?"

રાણી જે થોડી ઘણી શક્તિ સાચવી રાખી હતી એનો ઉપયોગ કરતાં બોલ્યાં.

"દીકરી, તું બધી વાત જાણતી તો હોઈશ જ."

"ના, મા..."

રાજુલ બોલી.

"તો લે કહું, નેમિકુમારથી પ્રાણીઓની ચીસો સહન ન થઈ એટલે એમને રથ પાછો વાળ્યો."

"પણ હવે તો પ્રાણીઓ છૂટયા ને."

વૃદાં વચ્ચે બોલી.

"હા, પણ એ પાછા આવે એમ લાગતું નથી."

ઉગ્રસેન બોલ્યા,

"અને મારે પણ સ્વમાન હોય ને, હું પણ આટલું મોટું રાજ લઈને બેઠો છું."

"પણ પિતાજી, આમાં આપના સ્વમાનને કયાં આંચ આવી?"

રાજુલે શરમાતા કહ્યું.

"વાહ...' ધારિણી રાણી સતી પતિને અનુસરે તેમ કહ્યું કે,

"એ તો કહે છે કે સાદું સાદું ભોજન આપી જાન જમાડો. પણ એમ આપણાથી ઓછું થાય છે. આપણે પણ આપણો મોભો જાળવવો પડે કે નહીં?"

"અને તેમ છતાં એમને બરોબર બધાં પ્રાણીઓને મારી આજ્ઞા વિનાજ છોડી મૂકવાનો હુકમ કર્યો. તે પણ જાણે સમજયાં, ઓછું હોય તેમ પાછા રીસાઈને પાછા વળ્યા. રાજુલ એક બાજુથી મારું પિતાનું હૈયું રડે છે. બીજી બાજુ મારી ક્ષત્રિયપણું લાજે છે."

"પિતાજીની વાત એકદમ સાચી છે, રાજુલ. તારે હવે એમની પ્રતિષ્ઠા જાળવવી પડશે, એમનું ઘવાયેલું સ્વમાન તારે પાછું લાવવું પણ પડશે."

શશિલેખા બોલી તો ધારિણીરાણીએ વાતનો દોર પકડી લીધો.

"મારું પણ એવું જ કહેવું છે. હવે કુમારની આશા આપણે નથી રાખવી. અને આવા ચોખલિયા તથા વેદિયાવેડા કરે એવાની સાથે મારી છોકરી શું સુખ ભોગવવાની હતી. એ તો ભગવને જે કર્યું છે એ સારું જ કર્યું છે, એમ જ વિચારવાનું."

"પણ આપણે શું કરવું એ તો વિચારો. ધારો કે સમુદ્રવિજય એને મનાવીને પાછા લાવ્યા તો..."

ઉગ્રસેન રાજાએ નવી શકયતાનું સૂચન કર્યું.

"હવે એ પાછા નહીં આવે, પિતાજી!"

રાજુલે મક્કમતાપૂર્વક સત્ય બોલતી હોય તેમ ગંભીર અવાજે કહ્યું,

"હું પણ એ જ ઈચ્છું છું કે સાધુહૃદય ધરાવતો માણસ મારો જમાઈ ન બને, એ જ મારી એક માત્ર ભગવાનને પ્રાર્થના છે."

રાજા બોલ્યા.

"પણ એ આવે તો મને મળ્યા વિના ન જાય એટલું જરૂર એમને કહેવરાવજો."

રાજુલને પોતાને જ આશ્ચર્ય થયું કે એ વાક્ય એના મ્હોંમાં થી અનાયસે અને આપોઆપ કેવી રીતે બોલાઈ ગયું.

"તારે એમને મળવું છે?"

વૃદાંએ વિસ્મયથી પૂછ્યું.

"કેમ ન મળાય? એ મારા સ્વામી નથી?"

રાજુલે વૃદાં તરફ નજર કરીને અણધાર્યો બીજો પ્રશ્ન કર્યો અને બધા તેની સામે જોઈ જ રહ્યા.

"સ્વામી... તારા..."

ધારિણીરાણી એકાએક બોલી ઉઠયા.

"હા... મારી મા..."

રાજુલે પણ એટલાજ સંકલ્પ અને મક્કમતાથી કહ્યું. બધા વધારે ને વધારે આશ્ચર્ય અનુભવ્યું.