Atitrag - 4 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 4

અતીતરાગ- ૪

આજે ફ્રેન્ડશીપ ડે નિમિતે અતીતરાગની આજની કડીમાં હિન્દી ફિલ્મજગતના બે મહાન કલાકારોની ગઢ જેવી ગાઢ અને મિશાલ જેવી મિત્રતાની મહોબ્બતના કિસ્સાને મમળાવીએ.

ધ ગ્રેટ શો મેન રાજકપૂર અને ફિલ્મી પડદે સેંકડો ભૂમિકામાં પ્રાણ ફૂંકનાર ઉચ્ચ દરજ્જાના અદાકાર પ્રાણ.

તેઓ બન્ને વચ્ચે બંધુ જેવી મિત્રતાનો બાંધ એટલો મજબુત અને ભરોસાપપાત્ર હતો કે, રાજકપૂરના આર. કે. બેનર હેઠળ નિર્માણધીન ફિલ્મ ‘બોબી’ ના મહેનતાણા પેટે પ્રાણ સાબે ફક્ત, હાં, કક્ત એક રૂપિયો સ્વીકાર્યો હતો.

અને આ ફિલ્મ સાથે જોડાયેલી બીજી એક દુઃખદ ઘટના એ છે કે, આ ફિલ્મના અંત સાથે બન્નેની દોસ્તીનો પણ અંત આવી ગયો.

રાજકપૂર અને પ્રાણ સાબની મુલાકાત એ સમયે થઇ જયારે પહેલીવાર પ્રાણ સાબ આર.કે. બેનર તળેની એક ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યાં હતાં. ફિલ્મ રીલીઝ થઇ હતી વર્ષ ૧૯૫૩માં. ફિલ્મમાં રાજકપૂર, નરગીસની સાથે સાથે પ્રાણ સાબ એક સકારત્મક ભૂમિકા નિભાવી રહ્યાં હતાં. ફિલ્મ રીલીઝના સમયે ફિલ્મના પોસ્ટરની ડીઝાઇનમાં પ્રાણ સાબને ખાસ્સું મહત્વ આવ્યું હતું. ફિલ્મનું નામ હતું ‘આહ’.

એ પછી પ્રાણ સાબને ફરી એકવાર આર. કે. બેનરની એક અત્યંત સફળ ફિલ્મમાં એક યાદગાર ભૂમિકા ભજવવાની સુવર્ણ તક મળી. એક એવી સશક્ત ભૂમિકા જેને આજે છ દાયકા પછી પણ લોકો ભૂલી નથી શક્યા. ડાકૂની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મમાં રાકાનું અવિસ્મરણીય પાત્ર પ્રાણ સાબે ભજવ્યું હતું અને એ ફિલ્મ હતી..
‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ.’ વર્ષ હતું ૧૯૬૦.

પ્રાણ સાબ અને રાજકપૂરના સંબંધો ફિલ્મો પૂરતાં સીમિત નહતા, પણ રાજકપૂર પ્રાણ સાબને તેના પરિવારના સદસ્ય સમાન સન્માન અને માન આપતા. અને એ આદરતાની મહત્તા જાળવવા પ્રાણ સાબે ફિલ્મ ‘બોબી’ માં માત્ર એક રૂપિયાના વળતરની અવેજીમાં સ્વેચ્છાએ ફિલ્મમાં કામ કરવાં રાજી થઇ ગયાં હતાં.

તો પછી એવું તે શું અનર્થ થયું કે ભેરુબંધમાં ભાગલા પડી ગયાં ?

આ ભાઈબંધના બાંધમાં તિરાડ પડવાનું બીજ રોપાયું ફીલ્મ ‘ મેરા નામ જોકર’ ના કારણે..

‘મેરા નામ જોકર’ એ રાજકપૂરની ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ હતી. તે ફિલ્મના નિર્માણ પાછળ રાજકપૂરે આંધળું મૂડી રોકાણ કર્યું હતું. અને એ ફિલ્મ ફ્લોપ નહીં પણ સુપર ફ્લોપ જતાં રાતોરાત રાજકપૂર અકલ્પનીય આર્થિક સંકટમાં ફંસાઈ ગયાં.

એ ગજા બહારના આર્થિક નુકસાનીનું સાટું વાળવા તેમણે આગામી ફિલ્મના નિર્માણ માટે યોજના ઘડી. એ ફિલ્મનું નામ હતું ‘બોબી’.

પણ ખાટલે મોટી ખોટ હતી.. તળિયા ઝાટક તિજોરીની. પણ નાણાકીય ભીડની ભીંસને ભાંગવા રાજકપૂરે તેમનો બંગલો, આર.કે. સ્ટુડીઓ,પત્નીના ઘરેણા બધું જ ગીરવે મૂકી દીધું.

આર્થિક સંકટને ધ્યાનમાં રાખતાં તેમણે ફિલ્મનું કાસ્ટિંગ પણ ખુબ ચતુરાઈથી કર્યું. એટલે મુખ્ય નાયકની ભૂમિકા માટે પસંદ કર્યો પુત્ર ઋષિ કપૂરને, નાયિકાના પાત્ર માટે એક નવોદિત (ડીમ્પલ કાપડિયા) નો સંપર્ક કર્યો એટલા માટે કે,વધુ વળતર ન ચુકવવું પડે. નાયિકાના પિતાના પાત્ર માટે પસંદગી કરી પ્રેમનાથની, એ એટલાં માટે કે તે ઘરના સદસ્ય છે, મતલબ રાજકપૂરના સાળા, એટલે એ પણ સસ્તામાં પડ્યા. નાની પણ મહત્વની ભૂમિકા માટે પ્રેમ ચોપડાને સાઈન કર્યા કારણ, પ્રેમ ચોપડા રાજકપૂરના સાઢૂભાઈ એટલે ત્યાં પણ ફાયદામાં જ રહ્યાં.

હવે બાકી રહી નાયકના પિતાની એક દમદાર ભૂમિકા. તેમના માટે રાજકપૂરે પ્રસ્તાવ મુક્યો પ્રાણ સાબ સમક્ષ, પણ પ્રસ્તાવની સાથે સાથે રાજકપૂરે તેની પળોજણ પણ રજુ કરી, અને કહ્યું કે, અત્યારે તમારું મહેનતાણું આપવા માટે હું સક્ષમ નથી. છતાં તમારી જે ડીમાંડ હોય એ મને કહી શકો છો.

મિત્રો તમને યાદ અપાવી દઉં કે, રાજકપૂર અને પ્રાણ સાબ વચ્ચેના આ વાર્તાલાપનો સમયગાળો છે વર્ષ ૧૯૭૦નો અને એ સમયે ફિલ્મના લીડ રોલ કરતાં પ્રાણ સાબને વધુ રકમ મળતી હતી અને ઇન્ડસ્ટ્રીઝના લોકો તેમને આપતાં પણ ખરા.

એ સમયે પ્રાણ સાબની માર્કેટ વેલ્યુ હતી કમ સે કમ ત્રણ લાખ રૂપિયા. અને ૧૯૭૦માં પ્રાણ સાબથી વધુ જો કોઈને રકમ મળતી હતી, તો તે હતાં એક માત્ર સુપરસ્ટાર રાજેશ ખન્ના.

રાજકપૂર જે કલ્પના બહારના આર્થિક સંકટમાં ઘેરાયેલા હતાં તે વાતથી પ્રાણ સાબ સારી રીતે વાકેફ હતાં. રાજકપૂરની લાચારી સામે જીગરજાન મિત્ર તરીકેની ફરજ નિભાવતા પ્રાણ સાબે કહ્યું કે, હું મારી મહેનતાણાના બદલાંમાં માત્ર એક રૂપિયો લઈશ, અને જો ફિલ્મ સફળ જાય તો તમને યોગ્ય હોય તે આપજો અથવા ભૂલી જાજો.

ફિલ્મની સ્ટોરી શું છે ? તેની ભૂમિકા શું છે ? એ કશું જ જાણ્યા કે પૂછ્યા વગર માત્ર એક રૂપિયા જેવી નજીવી રકમ સ્વીકારી, ફિલ્મ સાઈન કરીને પ્રાણ સાબે એક દિલાવર દોસ્તીની ભૂમિકા ભજવી, મેરુ જેવાં ભેરુની ઓળખ આપી દીધી.

વર્ષ ૧૯૭૩, ફિલ્મ ‘બોબી’ રીલીઝ થઇ.. ફિલ્મની અપાર ઐતિહાસિક જલવંત સફળતાએ ફિલ્મ સમીક્ષકોના ગણિત ઊંધાં પાડી દીધા. ‘મેરા નામ જોકર’ ના નુકસાનનું વ્યાજ સહીત સાટું વાળી લીધું રાજકપૂરે. તળિયા ઝાટક તિજોરી છલકાઈ ગઈ..

ત્યારબાદ રાજકપૂરને યાદ આવ્યું પ્રાણ સાબનું વચન. અને રાજકપૂરે પ્રાણ સાબના નામે એક ચેક લખ્યો... પુરા એક લાખ રૂપિયાનો અને પ્રાણ સાબને પહોંચાડવામાં આવ્યો.

જે સમયે પ્રાણ સાબની માર્કેટ વેલ્યુ ત્રણ લાખ જેટલી હતી એ વાતથી રાજકપૂર અવગત હોવાં છતાં ઓછી રકમનો ચેક રાજકપૂરે કેમ લખ્યો એ રહસ્ય અકબંધ રહ્યું.

પણ એ એક લાખનો ચેક પ્રાણ સાબના હાથમાં આવતાં તે નારાજ નહીં પણ ક્રોધિત થઈ, ગુસ્સામાં આવી ગયાં. તેમને દુઃખ એ વાતનું લાગ્યું કે, તે સમયે રાજકપૂર તેમના યોગ્ય વળતરની રકમ આપવા સક્ષમ હતાં. છતાં આવું અનુચિત પગલું કેમ ભર્યું ?

પ્રાણ સાબે એ એક લાખ રૂપિયાનો ચેક રાજકપૂરને પરત મોકલી આપ્યો.

આ ઘટના પછી આજીવન પ્રાણ સાબે આર.કે. બેનરની એકપણ ફિલ્મમાં કામ નથી કર્યું.

અતીતરાગની આગામી કડીમાં ફરી કોઈ આપને મનગમતી રસપ્રદ ફિલ્મી કહાની સાથે મળીશું.

વિજય રાવલ
૦૬/૦૮/૨૦૨૨