Excitement - 5 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 5

અતીત રાગ- ૫

અતીત રાગ શ્રેણીની આજની પાંચમી કડીમાં આપને વાર્તાલાપ કરીશું હિન્દી ફિલ્મજગતમાં ટોચનું સ્થાન હાંસિલ કરનાર દિગ્ગજ ગુજરાતી અભિનેતા સ્વ.સંજીવકુમાર વિષે.

સંજીવકુમારને તેની રીલ નહીં, પણ રીયલ લાઈફમાં એકવાર એક કુપુત્રની ભૂમિકા ભજવવાની ફરજ પડી. એ બેડ સન. કારણ ?

આ એ સમયની વાત છે જયારે સંજીવકુમાર એકટર નહતા બન્યા.
હરિહર ઝરીવાલા, એટલે કે સંજીવકુમારે તેમની અસ્સલ જિંદગીમાં એક કુપુત્રની ભૂમિકા એટલાં માટે ભજવવી પડી કારણ કે, તેઓ ઈશ્વર આધીન સમય અને સંજોગની કઠપૂતળી બની ગયાં. તેમના પરિવાર પર આર્થિક સંકટનું આભ તૂટી પડ્યું.

સંજીવકુમારના પિતા જેઠાલાલ ઝરીવાલાનો વર્ષ ૧૯૪૯ના નવેમ્બર મહિનામાં એક પ્રાણઘાતક હ્રદયરોગના હુમલામાં સ્વર્ગવાસ થયો.

એ સમયે સંજીવકુમારની ઉમર હતી માત્ર અગિયાર વર્ષ.
તેમના પિતાના અવસાન બાદ તેમનો બિઝનેશ તેમના પિતાના ભાગીદારે હડપ કરી લીધો.

સંજીવકુમાર અને તેમનો પરિવાર તેમની માતા સાથે મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં રહેતો હતો, તે રહેણાંક છોડીને તેઓ એ બે રૂમના એક ખોલીમાં વસવાટ કરવો પડ્યો. જે ઘર મુંબઈના ભૂલેશ્વર એરિયામાં સ્થિત હતું.

એ સમયે સંજીવકુમાર છટ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં, અંગ્રેજી મીડીયમમાં.તે શાળામાંથી અભ્યાસ પડતો મુકીને તેમને ગુજરાતી માધ્યમની શાળામાં પ્રવેશ લેવો પડ્યો, આર્થિક તંગીના કારણોસર.

પરિવારમાં માતા સિવાય સંજીવકુમારના બે ભાઈઓ અને એક બહેન હતી.અને આ ચારેયની જવાબદારી તેમના માતા શાંતાબેનના શિરે હતી.

તેમના બે રૂમના મકાનમાંથી એક રૂમ તેમણે ભાડે આપ્યો. તેમનો ખાનદાની ઝરીકામનો વ્યવસાય નાના પાયા પર ઘરેથી શરુ કર્યો. આમ કરતાં આવકનો સ્ત્રોત શરુ થયો.

અને ચારેય ભાઈ બહેન તેમના અભ્યાસમાં લાગી ચૂક્યા.

સંજીવકુમારે તેમનો અભ્યાસ પરિપૂર્ણ કર્યો.
આ વાત છે વર્ષ ૧૯૬૦ ના આસપાસની. તે સમયે સંજીવકુમારની આયુ હશે આશરે એકવીસ યા બાવીશ વર્ષ.

એ સમય દરમિયાન સંજીવકુમાર અભિનેતા બનવાનો મનસુબો ઘડી ચૂક્યા હતાં અને એમેચ્યોર નાટકોમાં નાની મોટી ભૂમિકા પણ ભજવી ચૂક્યા હતાં.

પછી તેમને ખ્યાલ આવ્યો કે આ રુચિને વ્યવસાયિક ધોરણે અપનાવવા માટે તાલીમ લેવી આવશ્યક છે.

ફિલ્માલય સ્ટુડિયોના માલિક શશીધર મુખરજીની એક એક્ટિંગ સ્કૂલ હતી. સંજીવકુમાર ત્યાં ગયાં પૂછતાછ માટે.
પણ સંજીવકુમારે ત્યાંથી વિલા મોઢે પરત ફરવું પડ્યું, કારણ કે તાલીમ માટેની જે ફીની રકમ ચુકવવાની હતી તેના માટે સંજીવકુમાર સક્ષમ નહતાં.

ઘરમાં અત્યંત નિરાશાજનક અવસ્થામાં સંજીવકુમારને જોતાં તેમની માતા શાંતાબેને પૂછ્યું ત્યારે સંજીવકુમાર રડવાં લાગ્યાં.

હતાશ અને ઉદાસ સંજીવકુમારે કારણ રજુ કર્યું.
તરત જ તેમની માતાએ કહ્યું કે.
‘હું વિધવા છું.. મારાં ઘરેણાં મારાં માટે સાવ નિરર્થક છે, એ તું વેંચી કાઢ.’

સંજીવકુમાર આ પ્રસ્તવા માનવા કોઇ કાળે રાજી નહતા. ખુબ દલીલ બાજી થઇ, માતા અને પુત્ર વચ્ચે.

અંતે તેમની માતાએ એમ કહ્યું કે. ‘તું આ ઘરેણાં ગીરવે મૂકી દે.’
સંજીવકુમારે કહ્યું કે. ‘કારકિર્દી બનાવતાં પહેલાં મારે મારાં પરિવારનું કલંક નથી બનવું.’

અંતે માતાની મમતા અને મમત આગળ સંજીવકુમારે ઝૂકવું પડ્યું. ઘરેણાં ગીરવી મૂક્યા અને ફિલ્માલયની એક્ટિંગ સ્કૂલમાં એડમીશન મેળવ્યું.

અભિનયની તાલીમ સીખતા સીખતા સંજીવકુમાર ઘણાં નામચીન ફિલ્મી હસ્તીઓના સંપર્કમાં પણ આવ્યાં. અને ઇપ્ટા (ઇન્ડિયન પીપલ થીએટર એશોસિએશન )ના માધ્યમથી પ્રોફેશનલ નાટકો પણ ભજવવા લાગ્યાં.
ત્યારબાદ ફિલ્મોમાં નાની મોટી ભૂમિકાઓ પણ મળવા લાગી.

થોડી આવક અને બચત થતાં સૌ પ્રથમ સંજીવકુમારે ગીરવે મૂકેલાં માતાના ઘરેણાં છોડાવ્યા અને માથેથી ઋણ અને કલંકનો બોજ ઉતરતાં હળવાશનો શ્વાસ લીધો.

હરિહર ઝરીવાલામાંથી તેમનું નામ સંજીવકુમાર નામ કેમ પડ્યું ? અને કોણે પાડ્યું ? અને સંજીવકુમાર પહેલાં પણ એક ફિલ્મી નામથી તેઓ ફિલ્મ કરી ચૂક્યા છે, એ નામ શું હતું ? એ વિશેની રસપ્રદ ચર્ચા આપણે અતીતરાગ શ્રેણીની આગામી કડીમાં કરીશું.

વિજય રાવલ
૧૦/૦૮/૨૦૨૨