Hindu Dharmnu Hard - 24 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 24

Featured Books
Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 24

(24)

પ્રાર્થના એટલે શું ?

પ્રાર્થનાનો મૂળ અર્થ તો માગવું થાય

છે. ઈશ્વર પાસે કે વડીલોની પાસે

વિનયપૂર્વક કરેલી માગણી એ પ્રાર્થના.

અહીં આ અર્થમાં પ્રાર્થના શબ્દ નથી

વપરાયો. પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ,

ભજનકીર્તન, (ઉપાસના), સત્સમાગમ,

અંતર્ધ્યાન, અંતરશુદ્ધિ.

પણ ઈશ્વર કોણ ? એ કોઈ આપણી શરીરની કે આ જગતની બહાર રહેલ વ્યક્તિ નથી. એ તો સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન સર્વજ્ઞ છે. અને સ્તુતિની શી ગરજ હોય

૧૨-૬-૩૨

સર્વવ્યાપક હોઈ એ બધું સાંભળે છે, આપણા વિચાર જાણે છે. મોટેથી બોલીને એને શું સંભળાવવું ? એ આપણા હૃદયમાં વસે છે. નખ આંગળાં આગળ છે તેનાથી પણ તે નજીક છે. અહીં પ્રાર્થના શું કરે ?

આવી ગૂંચવણ છે તેથી જ પ્રાર્થનાનો અર્થ અંતરશુદ્ધિ પણ કર્યો.

બાલીને ઈશ્વરને નથી સંભળાવવું. બોલીને કે ગાઈને આપણને સંભળાવીએ છીએ, ઊંઘમાંથી જાગ્રત થઈએ છીએ. આપણામાંના કેટલાક ઈશ્વરને બુદ્ધિથી ઓળખે છે, કેટલાકને તો તે વિશે શંકા પણ છે. કોઈએ ઈશ્વરને આંખે જોયો નથી. આપણે તેને હૃદયથી ઓળખવો છે, સાક્ષાત્કાર કરવો છે, તેના રૂપમાં ભળી જવું છે. આ સારુ પ્રાર્થના કરીએ છીએ.

આ ઈશ્વર, જેનો સાક્ષાત્કાર કરવા ઈચ્છીએ છીએ તે, સત્ય છે.

અથવા કહો કે સત્ય એ જ ઈશ્વર. સત્ય એટલે

સાચું બોલવું એટલું જ નહીં. સત્ય એટલે આ જગતમાં જે હમેશાં એને રૂપે હતું, છે ને હશે, અને એના સિવાય બીજું કાંઈ જ નથી, જે પોતાની શક્તિ વડે છે, જેને કોઈનો આશ્રય નથી જોઈતો, પણ જેને આશ્રયે જે કંઈ છે તે છે. સત્ય જ શાશ્વત છે, બાકી બધું ક્ષણિક છે. એને આકૃતિની જરૂર નથી.

એ જ શુદ્ધ ચેતન છે, એ જ શુદ્ધ આનંદ છે. એને ઈશ્વર કહીએ, કેમ કે એની સત્તા વડે જ બધું ચાલે છે. એ અને એનો કાયદો એક જ છે; તેથી એ કાયદો

ચેતનરૂપ છે. એ કાયદાને આધારે આખું તંત્ર ચાલે છે. એ સત્યની આરાધના તે પ્રાર્થના, - એટલે કે આપણી સત્યમય થવાની તીવ્ર ઈચ્છા. આ ઈચ્છા

ચોવીસે કલાક હોવી જોઈએ. પણ આપણામાં એટલી જાગૃતિ નથી, તેથી અમુક વખતે તો પ્રાર્થના, આરાધના કે ઉપાસના કરીએ જ, ને એમ કરતાં કરતાં આપણને ચોવીસે કલાક સત્યનું ચિંતવન રહે.

આવી પ્રાર્થનાને આશ્રમ પહોંચવા ઈચ્છે છે. અત્યારે તે બહુ દૂર છે.

ઉપર વર્ણવ્યા તે બધા બાહ્યોપચાર છે. પણ જેમ તેમ કરીને પ્રાર્થના હૃદયગત કરવાની ધારણા છે. અને જો આત્રમની પ્રાર્થના હજુ આકર્ષક નથી બની, હજુ આશ્રમવાસીઓને પણ તેમાં હાજર રહેવા ટોકવા પડે છે તો તેનો અર્થ એ છે કે આશ્રમમાં અમારામાંથી કોઈમાં હજી મેં સૂચવ્યો છે તે અર્થમાં પ્રાર્થના

મૂર્તિમંત નથી થઈ.

હૃદયગત પ્રાર્થનામાં તો ભક્ત એટલો અંતર્ધ્યાન રહેવો જોઈએ કે તે વખતે તેને બીજી વસ્તુનું ભાન જ ન હોય. ભક્તને વિષયીની ઉપમા ઠીક જ અપાઈ છે. વિષયીને જ્યારે તેનો વિષય મળે છે ત્યારે તે પોતાનું ભાન ભૂલી વિષયરૂપ બની જાય છે. તેની બધી ઈંદ્રિયો તદાકાર થઈ જાય છે, કેમ તે તેને તેના વિષયની આડે બીજું સૂઝતું જ નથી. એથી પણ વધારે તદાકારતા ઉપાસકમાં હોવી જોઈએ. એ તો બહુ પ્રયાસથી, તપથી, સંયમથી જ કાળે કરીને આવે છે. આવા કોઈ ભક્ત જ્યાં હોય ત્યાં પ્રાર્થનામાં જવાનુે સારું કોઈને લલચાવવાપણું ન હોય. તેની ભક્તિ બીજાને પરાણે ખેંચે છે.

આટલે લગી સામાજિક પ્રાર્થના વિશે લખ્યું. પણ આશ્રમમાં વ્યક્તિગત, એકાંતિક પ્રાર્થના ઉપર પણ ભાર દેવામાં આવે છે. જે એકલો

પ્રાર્થના કરતો જ નથી તે સામાજિક પ્રાર્થનામાં ભલે હાજર થાય, પણ તેમાંથી બહુ સિંચન નહીં કરે. સમાજને અર્થે સામાજિક પ્રાર્થના અત્યાવશ્યક છે. પણ વ્યક્તિ વિના સમાજ હોઈ જ ન શકે, તેમ વ્યક્તિગત પ્રાર્થના વિના સામાજિક પ્રાર્થના સંભવતી નથી. તેથી દરેક આશ્રમવાસીને વારંવાર

ચેતવવામાં આવે છે કે તેણે સૂતાં જાગતાં અનેક વખતે પોતાની મેળે તો અંતર્ધ્યાન થવાનું જ છે. આપી કોઈ ચોકી નથી રાખી શકતું. આનો હિસાબ ન હોય. આશ્રમમાં આ પ્રાર્થના ક્યાં લગી ચાલે એ ન કહી શકું. મારી એવી

માન્યતા છે કે ઓછાવત્તા પ્રમાણમાં સહુ એ દિશામાં યત્ન કરે.

૧૦૫. આશ્રમની પ્રાર્થના

(‘હરિજનસેવક’માંથી)

આશ્રમની પ્રાર્થના ઘણી પ્રચલિત થઈ છે. એનો આપોઆપ વિકાસ થયો છે. ત્ત્ક્રઊંક્રૠક્ર઼ક્રપઌક્રૐટ્ટની ઘણી આવૃત્તિઓ થઈ છે. તેની માગણી પણ વધી છે. આ પ્રાર્થનાની ઉત્પત્તિ કૃત્રિમ રીતે નથી થઈ. દરેક શ્લોક અને ભજનને સ્થાન આપવામાં કાંઈક ઈતિહાસ રહ્યો છે.

ભજનોમાં અનાયાસે સર્વે ધર્મોને સ્થાન મળ્યું છે. એમાં મુસ્લિમ સૂફી અને ફકીરોનાં ભજન છે, ગુરુ નાનકનાં છે, અને ખ્રિસ્તીઓનાંયે છે.

આશ્રમમાં ચીના રહી ગયા છે, બ્રહ્મદેશના સાધુ રહ્યા છે, લંકાના ગૃહસ્થ રહ્યા છે. મુસ્લિમ, પારસી, યહૂદી, અંગ્રેજ વગેરે પણ રહ્યા છે. એ જ પ્રમાણે ૧૯૩૫માં મગનવાડીમાં મારી પાસે બે જાપાની સાધુ આવેલા.

તેમનામાંના એક જાપાન સાથે લડાઈ જાહેર થઈ અને સરકાર તેમને પકડી ગઈ ત્યાં સુધી અહીં હતા. તે રોજ સવારસાંજ પોતાની પ્રાર્થના એક ઢોલના અવાજ સાથે ફરતા ફરતા કરતા. સેવાગ્રામમાં તે એક ધડો લેવા લાયક વ્યક્તિ હતા. આશ્રમનાં દૈનિક કામોમાં ઉત્સાહથી ભાગ લેતા. કદી કોઈની સાથે તેમને ઝઘડો તયાનું મેં જાણ્યું નથી.કામ સિવાય કદી એમને બોલતા સાંભળ્યા નથી. શિખાયું તેટલું હિન્દી તે શીખ્યા. પોતાના વ્રતોમાં બહુ જાગ્રત રહેતા. આશ્રમની સાંજની પ્રાર્થનાનો આરંભ તેમના નિત્યજપના મંત્રથી થતો. મંત્ર આ છે :

આ મંત્રનો અર્થ આ છે : ‘સદ્ધર્મ દેખાડનારા બુદ્ધ ભગવાનને નમસ્કાર હો.’

જ્યારે એમને પોલીસ પકડવા આવી ત્યારે જે વ્યવસ્થા, શીઘ્રતા અને તટસ્થતાથી તે મારી પાસે તૈયાર થઈને આવ્યા એ દૃશ્યને હું ભૂલી શકતો નથી. વિદાય લેતી વખતે તે પોતાના ઢોલ સાથે આવ્યા. પોતાના પ્રિય મંત્રનો ઉચ્ચાર કરી વિદાય લીધી. મેં એમને સહજપણે કહી દીધું, “તમે જાઓ છો, પણ તમારો મંત્ર આશ્રમપ્રાર્થનાનું એક અવિભાજ્ય અંગ બનશે.” ત્યારથી એમની ગેરહાજરીમાં એ મંત્રથી પ્રાર્થનાનો આરંભ થાય છે. મારે માટે એ

મંત્રમાં સાધુ કેશોની પવિત્રતા અને એકનિષ્ઠાની યાદગીરી છે. આથી એ

મંત્રમાં ખાસ શક્તિ છે.

સાધુ કેશો હતા તે જ અરસામાં બહેન રૈહાના તૈયબજી થોડા દિવસ આવી ગયાં. તે ચુસ્ત મુસલમાન છે. હું જાણતો નહોતો કે તે કુરાને શરીફ

બહુ સારી રીતે જાણે છે, ગુજરાતરત્ન અબ્બાસ તૈયબજી સાહેબનું જ્યારે અવસાન થયું ત્યારે તેમના ઓરડામાં રડવાનો અવાજ મુદ્દલ થયો નહોતો.

ઓરડો બહેન રૈહાનાના કુરાને શરીફના પાઠના ગુંજનથી ભરાઈ ગયો હતો.

અબ્બાસ સાહેબ મર્યા જ ક્યારે છે ? પોતાના કામથી તે સદાકાળ જીવતા જ છે.

જ્યારે રૈહાના બહેન આવ્યાં ત્યારે મેં તેને મજાકમાં કહ્યું : “તું આશ્રમવાસીઓને મુસલમાન બનાવ, હું તને હિંદુ બનાવીશ.” એનું સંગીત તો ઉત્કૃષ્ટ છે જ. તેની પાસે સર્વે પ્રકારનાં ભજનોનો ભંડાર છે. તે એ રોજ સંભળાવતાં. કુરાનમાંથી મીઠી અને ઊંટા અર્થવાળી આયતો પણ સંભળાવતાં. મેં કહ્યું, “અહીં જે શીખે તેમનેય કંઈક આયતો શીખવી જા.”

તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું ? બધા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં.

ભક્તોએ આયતો શીખી લીધી. એમાંની એક પ્રખ્યાત ‘ફાતેહા’ છે. તે ભજનમાં દાખલ થઈ. રૈહાનાબહેન પોતાના કામ પર ચડી ગયાં; પોતાનું સ્મરણ મૂકતાં ગયાં.

“૧. પાપાત્મા શેતાનની સામે હું અલ્લાનું શરણ લઉં છું.

“૨. ઈશ્વર એક છે; સનાતન છે; નિરાલંબ છે. તે અજન્મા છે, અજોડ છે; તે સર્વનો સ્રષ્ટા છે, તેનો કોઈ સર્જક નથી.

“૩. પ્રભો, તારે નામે હું સર્વ આરંભ કરું છું. તું દયાનો સાગર છે. તું મહેરબાન છે. તું સર્વ બ્રહ્માંડોનો સર્જનહાર છે, સ્વામી છે, અમે તારી આરાધના કરીએ છીએ અને તારી જ

સહાયતા માગીએ છીએ. તું જ અંતે ન્યાય દેશે. તું અમને સાચો માર્ગ બતાવ; તે માર્ગ જે તારા કૃપાપાત્ર બનેલાઓનો છે, તે નહીં જે તારી પ્રસન્નતાના પાત્ર થયેલાઓ અને ભૂલેલાઓનો છે.”

એક મિત્ર ચુસ્ત હિંદુ છે અને મારો હિંદુત્વનો ઈન્કાર નથી કરતો તે

મને મીઠો મીઠો ઠપકો સંભળાવે છે કે, “હવે તો તમે આશ્રમમાં કલમો પણ દાખલ કર્યો છે ! હવે બાકી શું રહ્યું ?” એમની શંકાના ઉત્તરમાં આ લેખ

લખ્યો છે. જાપાની મંત્ર અને કુરાનની આયતને લીધે મારું અને આશ્રમના

હિંદુઓનું હિંદુત્વ ઊંચે ચડ્યું છે. આશ્રમના હિંદુત્વમાં સર્વધર્મસમભાવ છે.

જ્યારે ખાનસાહેબ મારી પાસે આવે છે ત્યારે પ્રાર્થનામાં રોજ ભાવથી બેસે છે. રામાયણનો સૂર તેમને મીઠો લાગે છે, ગીતાનો અર્થ ધ્યાનથી સાંભળે છે.

એમનું મુસ્લિમપણું એથી ઓછું નથી થયું. શું હું કુરાનને એટલા આદરથી ન ભણું, ને ન સાંભળું ? વિનોબા અને પ્યારેલાલ જેલમાં કુરાન બહુ પ્રેમથી પરિશ્રમ લઈને શીખ્યા. અરબીનો અભ્યાસ કર્યો. એમણે કશું ખોયું નથી, પુષ્કળ કમાયા છે. હિંદુ-મુસ્લિમ ઐક્ય આવા પ્રયત્નોમાંથી થશે; બીજી રીતે કદી નહીં. રામનાં નામ સહસ્ત્ર નહીં, અબજ છે, અગણિત છે. તેને અલ્લા કહો, ખુદા કહો, રહેમાન કહો, રજ્જાક કહો, રોટી દેનારો કહો.

(‘ઉમેરાનું કારણ નોંધમાંથી’)

શ્રીનગરમાં ત્રણ દિવસ ગાળ્યા તે દરમિયાન ત્યાં હું જેમાં ઊતર્યો હતો તે લાલા કિશોરીલાલના બંગલાના ચોગાનમાં મેં પ્રાર્થના કરી હતી પણ તે પ્રસંગે ભાષણો કર્યાં નહોતાં. દિલ્હી છોડતાં પહેલાં જ મેં જાહેર કર્યું હતું કે કાશ્મીરમાં હું ભાષણ નહીં કરું. પણ પ્રાર્થનામાં આવનારાઓમાંથી કેટલાક

લોકોએ મારા પર પ્રશ્નો મોકલી આપ્યા હતા. એમાંનો એક આ છે :

“તમારી પ્રાર્થનાસભામાં મેં હાજરી આપી હતી. તે વખતે તમે બીજી કોમોની બે પ્રાર્થનાઓ બોલ્યા હતા. એમ કરવામાં તમારો આશય શો છે ને ધર્મનો તમારો ખ્યાલ કેવો છે ?”

આ પહેલાં મેં જણાવ્યું છે કે કુરાનની પ્રાર્થના થોડાક વરસ પહેલાં રૈહાના તૈયબજીની સૂચનાથી દાખલ કરવામાં આવી હતી. એ બહેન તે વખતે સેવાગ્રામ આશ્રમમાં રહેતાં હતાં. પારસીઓની પ્રાર્થનામાંની ગાથા મેં ડૉ. ગીલ્ડરની સૂચનાથી દાખલ કરી હતી. આગાખાનના મહેલમાં અમારી અટકાયત દરમિયાન મારા ઉપવાસના પારણા વખતે તેમણે એ પ્રાર્થના ગાઈ હતી. આ ઉમેરાથી પ્રાર્થના વધારે સમૃદ્ધ તેમ જ સાર્થક બની છે એવો મારો મત છે.

પહેલાં કરતાં એ હવે વધારે સંખ્યાના લોકોના દિલને સ્પર્શ કરે છે. અને તે હિંદુ ધર્મને ખસૂસ તેના સહિષ્ણુ અને વ્યાપક સ્વરૂપમાં દર્શાવે છે. પ્રાર્થનાનો આરંભ

જાપાની ભાષામાં બૌદ્ધ પ્રાર્થનાથી કેમ કરવામાં આવે છે એ પણ પ્રશ્ન કરનારે પૂછવું જોઈતું હતું. એ પ્રાર્થનાના શ્લોકોની પસંદગીની પાછળ એની પવિત્રતાને છાજે એવો ઈતિહાસ રહેલો છે. સેવાગ્રામમાં એક ભલા જાપાની સાધુ રહેતા હતા ત્યારે વહેલી સવારે આખો સેવાગ્રામ આશ્રમ જે પ્રાર્થનાના સૂરથી ગાજી

રહેતો તે એ બૌદ્ધ પ્રાર્થના છે. પોતાના મૂગા અને ગૌરવશાળી વર્તનથી બધા આશ્રમવાસીઓના એ જાપાની સાધુ પ્રીતિપાત્ર બન્યા હતા.

૧૦૬. સામુદાયિક પ્રાર્થના

(બૅંગલોરથી નીકળતા પહેલાં છેલ્લી પ્રાર્થનાસભાનું વ્ય્ખ્યાન -

‘વિદાય વેળા’માંથી)

સાંજે સભામાંથી આવી નિત્યને જેમ પ્રાર્થના થઈ. બૅંગલોરમાં જે દિવસે પહોંચ્યા તે દિવસે જેટલી સંખ્યા હતી તેટલી તો આજે નહોતી જ, કારણ આજે તો દૂર ભરાયેલી સભામાંથી તરત ઘણાને પહોંચવું પણ મુશ્કેલ

હતું. પણ જેટલા આવ્યા હતા તે સૌ હંમેશ આવનારા હતા. આજે નવામાં મિ. અને મિસિસ બેરમ તો હતાં જ, પણ ઍન્ટ્રૂઝ પણ હતા. રોજના ભજનો ઉપરાંત આ ત્રણ ખ્રિસ્તી મિત્રોએ એક સુંદર ખ્રિસ્તી ભજન પણ ગાયું.

ગાંધીજી કહે, “આ ભજન મેં પહેલી વાર પ્રિટોરિયામાં સાંભળેલું. આજે એ સાંભળીને મારી આગળ પ્રિટોરિયા ખડું થાય છે.” પ્રાર્થના થઈ ગયા પછી હંમેશ પ્રમાણે સૌ ઊઠતા હતા ત્યાં તો ગંગાધરરાવને ગાંધીજીએ કહ્યું કે,

“બધાંને રોકો; મારે બે શબ્દો કહેવા છે.” પ્રાર્થનામાં આવનારા કેટલા છે એમ પૂછીને ગાંધીજીએ જાણી લીધું તે ઘણાખરા આવનારા હતા, રાજી થઈ ગાંધીજી બોલ્યા :

“તમે નિયમિત પ્રાર્થનામાં આવતા હતા એ તો તમે સારું કર્યું. મારે માટે તો એ સારું હતું જ, કારણ મને તો તમારી સાથે પ્રાર્થના કરવાથી આનંદ મળ્યો છે, અને મારી ઉન્નતિ થઈ છે. હવે પણ તમે પ્રાર્થના નહીં

છોડતા. સંસ્કૃત શ્લોકો ન આવડે, ભજનો ગાતામ ન આવડે તોયે ફિકર નહીં.

આપણા પ્રાચીન ઋષિઓએ આપણે માટે રામનામનો સહેલો રસ્તો બતાવ્યો છે.”

“માણસના જીવનના બે ભાગ છે - એક વ્યક્તિગત ને સ્વતંત્ર અને બીજો સામાજિક. આ સ્વતંત્ર ભાગની સ્વતંત્ર પ્રાર્થના ચોવીસે કલાક ચાલે, પણ સમાજના અંગ તરીકે એણે સામાજિક પ્રાર્થના પણ કરવી રહી. માટે સવારે ઊઠતાં અને સાયંકાળે દિવસની બધી પ્રવૃત્તિઓ પૂરી થતાં સૌ સમાજમાં બેસી પ્રાર્થના કરે.

“મારો અનુભવ તો એ છે કે હું એકલો હોઉં ત્યારે ભગવાનનું નામ લઈ લઉં છું, પણ જ્યારે કોઈ નથી હોતું ત્યારે બહુ અડવું લાગે છે, એકલું એકલું લાગે છે. તમે અહીં આવો છો તેમને હું ઓળખતો નથી, કાલે મને તમે રસ્તામાં મળો તો પિછાની પણ ન શકું; છતાં તમે મારી સાથે પ્રાર્થનામાં સામેલ હતા એટલી વાત જ મારા માટે પૂરતી હતી, તમે મારો સમાજ બન્યા હતા. અહીંથી જઈશ ત્યારે જે અનેક જાતનાં દુઃખ મને થશે તેમાં પ્રાર્થના વખતે ભેગા થતા આ સમાજનો વિયોગ પણ એક દુઃખ હશે જ. પણ વેલોર જઈને હું નવો સમાજ ઉત્પન્ન કરી લઈશ, અને અહીંના સાજના વિયોગનું દુઃખ ધોઈ નાખીશ. જે મુષ્ય મનુષ્યમાત્રને પોતાનાં ભાઈભાંડુ ગણતો હોય તેને જ્યાં જાય ત્યાં સમાજ મળી રહેવો જોઈએ. એ વિયોગને એ સંઘરી શકતો નથી.

“એટલે આ પ્રાર્થના ચાલુ રાખશો, - અહીં આવીને આ જ સમાજમાં પ્રાર્થના કરશો એમ નહીં, પણ તમે પોતપોતાનો સમાજ પોતપોતાને સ્થાને ઘડી લેજો. કાંઈ નહીં તો તમારા કુટુંબીજનો તો છે જ, તેમને સમાજ ગણીને પ્રાર્થના કરજો; પણ આ પ્રાર્થના ચૂકશો નહીં.

પ્રયત્નપૂર્વક ભજન, ગીતા શીખશો તો ઉત્તમ છે જ. જેટલું વધારે કરી શકો એટલું સારું. ગમે તે નામ લો, અને આત્મશુદ્ધિ કરી લો એ મુખ્ય વાત છે.

(‘સામુદાયિક પ્રાર્થના’માંથી)

સ. : આપ સમૂહપ્રાર્થનામાં માનો છો. આજે જે રીતે સામુદાયિક પ્રાર્થના ચાલે છે એ ખરી પ્રાર્થના કહેવાય ? મારા અભિપ્રાય પ્રમાણે તે માણસને નીચો ઉતારનારી છે અને તેથી ભયંકર છે. ઈશુ ખ્રિસ્તે કહ્યું છે કે,

“દંભી લોકોની જેમ તું પ્રાર્થના ન કર. તારા અંતરના મંદિરમાં પ્રવેશ કરી મનનાં બારણાં બંધ કરી એકાંતમાં તારા કર્તાની પ્રાર્થના કરજે.” ભીડમાં ઘણાખરા માણસો સાવધાન હોતા નથી. તેથી તેઓ એકાગ્ર નથી થઈ શકતા.

પછી પ્રાર્થના એક દંભ થઈ જાય છે. યોગી આ વસ્તુ જાણે છે. માટે લોકોને આત્મનિરીક્ષણરૂપી ખરી પ્રાર્થના શીખવવી સારી નહીં ?

જ. : હું જે પ્રાર્થના ચલાવું છું, તે જનસમૂહ માટે સાચી પ્રાર્થના છે, એમ માનું છું. પ્રાર્થના ચલાવનાર શ્રદ્દાળુ છે, દંભી નથી. જો એ દંભી હોત, તો મૂળમાં જ પ્રાર્થના દૂષિત થાત. એમાં આવનાર સ્ત્રીપુરુષ જ્યો લૌકિક લાભ મળી શકે, એવા જૂના ઢબના મંદિરમાંનથી આવતાં. તેમાંનાં ઘણાંખરાંનો પ્રાર્થના કરનારની સાથે કોઈ સંબંધ પણ નથી. એટલે તેઓ દેખાવ કરવા નથી આવતા, એમ માની લીધું છે. સમૂહપ્રાર્થનાથી કંઈક પુણ્યપ્રાપ્તિ થશે, એમ માનીને તેઓ આવે છે. એમાંના કેટલાક અથવા ઘણાંખરાં સાવધાન કે એકાગ્ર નથી થઈ

શકતાં, એ સાચું છે. તેનો અર્થ એટલો જ કે, તેઓ શિખાઉ છે. અસાવધાનતા અથવા એકાગ્ર થવાની અશક્તિ, એ કંઈ દંભનો કે જૂઠાણાનો પુરાવો નથી.

ધ્યાન ન હોવા છતાં ધ્યાન છે, એમ તેઓ બતાવે, તો દંભી ગણાય. ઊલટું એકાગ્ર થવા સારું શું કરવું ઘટે, એમ ઘણાએ મને કેટલીયે વાર પૂછ્યું છે.

સવાલમાં આપેલું ખ્રિસ્તનું વટન અહીં બિલકુલ બંધ બંસતું નથી.

વ્યક્તિગત પ્રાર્થના અને તેની પાછળના દંભને અંગે તેમનું એ વચન છે. એમાં સામુદાયિક પ્રાર્થનાની વિરુદ્ધ કશું નથી. મેં ઘણી વાર કહ્યું છે કે, વ્યક્તિગત

પ્રાર્થના વગર સામુદાયિક પ્રાર્થનાથી વિશેષ લાભ થવાનો નથી. મારું માનવું છે કે, વ્યક્તિગત પ્રાર્થના સમૂહપ્રાર્થનાનો પ્રારંભ છે. તેમ જ સમૂહપ્રાર્થના જો અસરકારક હોય, તો વ્યક્તિગત પ્રાર્થનાને તેમાંથી પ્રેરણા મળે. તેનો અર્થ એ થયો કે, પ્રાર્થના હૃદયગત થઈ હોય, તો માણસ એકાંતમાં કે સમૂહમાં હરહંમેશ પ્રાર્થના જ કરતો હોય.

સવાલ કરનારા યોગી શું કરે છે કે નથી કરતો, એ હું જાણતો નથી.

હું એટલું જાણું છું કે, જનતા જ્યારે જનાર્દન સાથે એકરૂપ થઈ જાય છે, ત્યારે આત્મનિરીક્ષણ તરફ આપોઆપ વળે છે. સાચી પ્રાર્થનાનો એ જ ઉદ્દેશ હોવો જોઈએ.

૧૦૭. સામુદાયિક પ્રાર્થનાની પ્રથા કેવી રીતે દાખલ કરી (મુંબઈમાં જંગી મેદની સમક્ષ આપેલા ભાષણના ઉતારા - ‘સત્યાગ્રહ -

જીવવાની અને મરવાની કળા’માંથી)

તા. ૧૪મી માર્ચે શિવાજી પાર્કમાં બે લાખથીયે વધુ માણસોની ગંજાવર સભા આગળ ગાંધીજીએ હિંદુસ્તાનીમાં મહત્વનું વ્યાખ્યાન આપ્યું હતું. તેનો સાર નીચે આપ્યો છે :

“દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત પહેલાં થોડા વખત પર સામુદાયિક પ્રાર્થનાની પ્રથા મેં દાખલ કરી હતી. ત્યાંની હિંદી કોમ સામે ગંભીર જોખમ ખડું થયું હતું. માણસ કરી શકે એ બધું અમે કરી છૂટ્યા હતા. છાપાંઓ દ્વારા અને સભાઓ દ્વારા આંદોલન, અરજીઓ, પ્રતિનિધિમંડળ વગેરે દાદ મેળવવા માટેની હરેક રીત અજમાવી જોઈ પણ તે બધી વ્યર્થ ગઈ. મૂઠીભર હિંદી કોમે સીદીઓ અને ગોરાઓની જબરદસ્ત બહુમતી વચ્ચે શું કરવું ?

હિંદીઓમાં ઘણાખરા અભણ ગિરમીટિયા મજૂરો તથા ગણ્યાગાંઠ્યા સ્વતંત્ર વેપારીઓ અને ફેરિયાઓ વગેરે હતા. ગોરાઓ તો સંપૂર્ણપણે શસ્ત્ર સજ્જ હતા. હિંદીઓએ પોતાનો ઉદ્ધાર કરવો હોય તો ગોરા વસાહતીઓ પાસે જે બળ સારી પેઠે હતું તેથી ભિન્ન અને અનેકગણું ચડિયાતું શસ્ત્ર તેમણે શોધી કાઢવું જોઈએ એ સ્પષ્ટ હતું. સત્યાગ્રહ અથવા આત્મબળના શસ્ત્રના ઉપયોગની તાલીમ આપવાના સાધન તરીકે તે વખતે ટૉલ્સ્ટોય ફાર્મ તથા ફિનિક્સમાં મેં સામુદાયિક પ્રાર્થના શરૂ કરી હતી.

“રામધૂન સામુદાયિક પ્રાર્થનાનું સૌથી મહત્વનું અંગ છે. ગીતાના શ્લોકોનું અને કુરાનની અથવા ઝંદ અવસ્તાની પ્રાર્થનાઓનું શાસ્ત્રશુદ્ધ પારાયણ કરવાનું તથા તે સમજવાનું કરોટોની આમજનતાને મુશ્કેલ લાગે એમ બને, પણ રામધૂન ગાવામાં દરેક જણ જોડાઈ શકે. એ જેટલું સરળ છે તેટલું જ અસરકારક છે. એની સફળતામાં જ એની મહત્તા તથા એની સર્વને સ્પર્શ કરવાની શક્તિનું રહસ્ય છે. જે કંઈ કરોડો લોકો એકસાથે કરી શકે તે અપૂર્વ શક્તિવાળું બની જાય છે.

“આગળની કશી તાલીમ વિના તમે સૌ એકસાથે સફળતાપૂર્વક રામધૂન ગાઈ તેને માટે હું તમને ધન્યવાદ આપું છું. પરંતુ એમાં સુધારાને અવકાશ છે. ઘર આગળ તમારે એનો મહાવરો રાખવો જોઈએ. હું તમને ખાતરી આપું છું કે તાલબદ્ધ રામધૂન ગાવામાં આવે તો અવાજ, તાલ અને વિચારનો સુમેળ એવું મધુર વાતાવરણ પેદા કરે છે તથા શક્તિ પ્રગટાવે છે, જેને વાણી વર્ણવી ન શકે.