Guhilot dynasty and Maharana Pratap in Indian history - 11 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 11

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 11

આહુતિ

         મેવાડે વિજયોત્સવ ઉજવી એની યશકલગીમાં એક પીછું ઉમેર્યું. જેમણે બલિદાનો આપ્યા હતા તેમના સ્મ્રુતિ-સ્મારકો રચાયાં. એમના પરિવારોને રાજ્ય તરફથી નિર્વાહ માટે જમીનો આપવામાં આવી. વીરોનું સન્માન કરવામાં આવ્યું.

 ચિત્તોડના વૃદ્ધ સેનાપતિએ સ્વેચ્છાએ પદત્યાગ કર્યો. ભગવાનની ભક્તિ કરવા કાશીધામમાં ચાલ્યા ગયા. બાદલને સેનાપતિ બનાવવામાં આવ્યો અને મેવાતના રાવનું વીરોચિત સન્માન કરવામાં આવ્યું. કવિઓની વાણીમાંથી દેશભક્તિના ગીતો સ્ફુરવા માંડ્યા.

 તેરે ભાલે મેં ચમક હે અભી, ઇન તલવારો મેં પાની હૈ,

 તેરી મેં ક્યા ગાથા ગાઉં, તું ખુદ ચિત્તોડ કહાની હૈ,

 યહ ભારત કા સચ્ચા ગૌરવ,યહ ભારત કા રક્ષક પ્યારા,

યહ સતિયોં કા પાવન આંસુ, યહ માં કી આંખો કા તારા,

 સમયની શક્તિ અજબ છે. તે બધું ભુલાવી દે છે. દુ:ખનું ઓસડ દહાડા. થોડા વર્ષોમાં ચિત્તોડ એની યાતનાભરી લડાઈ ભૂલી ગયું. જીવનનો ઉન્માદ ફરી પ્રગટ્યો. અપાર માનવહાનિ અને ધનહાનિની પૂર્તિ પણ થઈ ગઈ. ફરી પાછી મેવાડમાં વૈભવની ઝાંખી જોવા મળતી હતી.

 ચિત્તોડના રાજ્યમહેલમાં મહારાણી પદ્મિની અને મહારાણા રતનસિંહ બાર બાર મહારથી પુત્રોને નિહાળીને ગૌરવથી હર્ષ અનુભવતા હતા. મેવાડના રાજ્યતંત્રની ધુરા યુવાનોના હાથમાં હતી. સેનામાં બહાદુર યુવાનો જોડાઇને તાલીમ મેળવતા હતા. રાજકાર્યમાં રાજપુતો તન અને મનથી લાગી ગયા હતા. અહીં રાજકુમારો પ્રેમના તાંતણે બંધાયા હતા. ગાદી માટે સ્પર્ધાતો હતી જ નહીં.

સૌ ધારતા હતા કે, હવે બાદશાહ મેવાડ તરફ નજર સુદ્ધાં નહીં કરે. પરંતુ આ ધારણા ખોટી પડી. દિલ્હીમાં શાસન કરતાં શાસક્ને હંમેશા ચક્રવર્તીના ખ્વાબો આવતા હોય છે. આમાંયે બાદશાહ અલાઉદ્દીન ખીલજી તો છંછેડાયેલા નાગ જેવો હતો. વર્ષો વીત્યા છતાં એ મેવાડની રાણીને ભૂલ્યો ન હતો. જે વસ્તુ અપ્રાપ્ય હોય એની કિંમત જ આપોઆપ માનવીના મનમાં વધી જાય છે. આટલા વૈભવ વચ્ચે પણ બાદશાહ બાર બાર દર્પણના પ્રતિબિંબમાં થઈને આવેલી પદ્મિનીના રુપની ઝાંખીને વાગોળતો જ રહ્યો હતો. સમય પસાર થતો હતો તેમ તેમ તેની ત્રુષ્ણા વધતી જતી હતી.

 ચિત્તોડમાં યુવાની પાંગરી રહી હતી. દિલ્હીમાં બાદશાહના દિમાગમાં એની બલિવેદી તૈયાર થઇ રહી હતી. બકરો પોતાના મદમસ્ત કાયા ઉપર ગર્વ કરતો હોય ત્યારે જ જલ્લાદ છુરાની ધાર તેજ કરતો હોય છે.

 અને એક દિવસે બાદશાહે આદેશ આપ્યો. “મેવાડ પર આક્રમણ કરવા સેના તૈયાર કરો.”   સેનાનાયક મલિક કાફુર ચમક્યો. એની શમશેર જોગણીના ખપ્પર જેવી હતી. પરંતુ મેવાડ સાથે ટકરાવાની વાતથી એ જરા ખચકાયો. બીજી જ ક્ષણે બાદશાહની કરડી નજર નિહાળી બોલ્યો. “જહાંપનાહ, આ વેળા તો ચિત્તોડનો સર્વનાશ જ કરવાની તૈયારી કરીશું. કોઈ કસર રહી જાય નહીં.” જેમ જળ વગર માછલી તરફડે તેમ બાદશાહ તરફડતો હતો. સ્વપ્નમાં જાણે એ સુંદરી એને ઉપાલંબ આપતી હોય એમ આભાસ થતો.

સિપેહસાલાર મલિક કાફુરે સૈન્ય નવેસરથી તૈયાર કર્યું. એણે નિવેદન કર્યું. શહેનશાહ, આક્રમણની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આ સેના ખુંખાર છે. મેવાડને ઉજાડવાની ચિત્તોડગઢને તોડવાની અને રાણી પદ્મિની ને પ્રાપ્ત કરવાની એનામાં ક્ષમતા છે. આપ આદેશ આપો.”

“મલેક, દુશ્મનની શક્તિને ઓછી ન આંક. પાછલી લડાઈમાં હું ત્યાંજ ભૂલો પડ્યો હતો. આ વખતે તો ચિતોડને શ્મશાનમાં જ ફેરવી નાખીશ. હું પણ આવું છું. અને ગુજરાતમાં ખિજરખાંને સંદેશો મોકલાવી દે એ એની સમસ્ત સેનાને લઈને આબુ ના રસ્તે મેવાડમાં આવે.” સાગર જેવડી વિશાળ સેના મેવાડ તરફ કૂચ કરી ગઈ.

 સમસ્ત રાજપુતાનામાં મેવાડ પર આક્રમણના સમાચાર ફેલાઈ ગયા. ચિત્તોડની મહારાણીની માન-મર્યાદાની રક્ષા કાજે રાજપુતાનાના ગામે ગામ, શહેરે શહેરથી વીર યોધ્ધાઓ, સરદારો, રાજસીઓ ચિત્તોડ પ્રતિ પ્રસ્થાન કરી ગયા.

 વાતાવરણમાં ગરમી આવી. ગુપ્તચરો સમાચાર આપવા માંડ્યા. “અફઘાન સેના વિનાશ વેરતી વેરતી આવી રહી છે. આપણાં ગામોને સળગાવે છે. નિર્દોષ પ્રજાપર અત્યાચાર ગુજારે છે. પ્રજામાં નાસભાગ શરૂ થઈ ગઈ છે. શત્રુ સેનાના આગમનના સમાચારે પ્રજા સઘળું મુકીને દૂર દૂર ભાગી જાય છે. સેનાના ગયા બાદ પાછી આવે છે. આથી પ્રજાનું ખમીર તૂટી રહ્યું છે.”

 તત્કાળ રાણા સમરસિંહે એક સભા બોલાવી.

“મારા સાથીઓ, ચિત્તોડના માથે મહાસંકટ આવ્યું છે. આ યુદ્ધ નિર્ણાયક બનશે. જેમ એક મ્યાનમાં બે તલવારો રહી શકે નહીં તેમ હવે આ પૃથ્વીપર અલાઉદ્દીન ખીલજી અને હું બંને રાજ્ય કરી શકીએ નહીં. રાજપુતાનાના ગામેગામથી વીરો આવ્યા છે. છતાં બાદશાહની સેના કરતા આપણે સંખ્યામાં ખૂબ જ ઓછા છીએ. બાદશાહે યુદ્ધ માંગ્યું છે. આપણે એવું યુદ્ધ આપીએ કે, એના હૈયામાં ઝટકો વાગે. એ ભલે વિજયની મૃગ-મરીચિકા પ્રાપ્ત કરે. આપણે કેસરિયાં કરીશું અને વિજેતાને વિજયના ફળથી પણ વંચિત રાખીશું.”

 ચિત્તોડગઢ માં યુદ્ધની તૈયારી ચાલી. તલવારોને સજાવવામાં આવી. યુદ્ધનો પ્રચંડનાદ ઘેર ઘેર ગાજ્યો હતો. ગામેગામ ભાવવાહી દ્રશ્યો જોવા મળતા હતા.

રામગઢના ઠાકોરનો એકનો એક દીકરો અર્જુનદેવ યુધ્ધે જવા તૈયાર થયો. એની બહેન વીરમતીએ એનાં ઓવારણા લઈને વિદાય આપી. ભવાનગઢના રાજા ભદ્રસિંહ યુધ્ધે ચઢવા તૈયાર થયા. એમની પુત્રી રુપમતીએ તિલક કરી પિતાને વિદાય આપી.

કલ્યાણગઢના એક યુવક જશવંતને વિદાય આપતા તેની પ્રેયસી ઉર્વશીની આંખોમાં અનોખી ચમક જણાતી હતી, “ચિંતા ન કરશો. અહીં નહીં મળાય તો દેવલોકમાં હું તમને પકડી પાડીશ.”

બાદશાહે જજિયાવેરો નાખ્યો હતો. એ વેરામાંથી મુક્ત થવાનો હુકમ આપતા બાદશાહે કહ્યું, “મેં મારી પ્રજાને પયગંબરના ધર્મનો સ્વીકાર કરવા પ્રોત્સાહિત કરી અને ઘોષણા કરી કે, જે મુસલમાન બનશે એની પાસેથી જજિયાવેરો નહીં લેવામાં આવે.”

 શિયાપંથના મુસલમાનો પણ બાદશાહના જુલ્મનો ભોગ બન્યા હતા. સુન્ની મુસલમાન હોવાને કારણે સુલતાન શિયાપંથના મુસલમાનોને પકડતો. અને એમને ‘રાહ ભૂલ્યા’ નો આરોપ લગાવતો. જે શિયાપંથના કટ્ટર હતા તેમને મૃત્યુદંડ આપતા. એમના પુસ્તકોને જાહેરમાં બાળી નાખતા. તેઓ આ માટે ગર્વ લઈને કહેતા, “ખુદાની મહેરબાનીથી સુન્ની સંપ્રદાય ફુલતો ફાલતો જાય છે.”

આવા અસંતોષના કારણે પણ ચિત્તોડગઢ માં પ્રતિકાર કરવા માટે ઘણાં સંસ્કૃતિરક્ષક યોદ્ધાઓ જમા થયા હતા. ફરી ચિત્તોડગઢના દરવાજા બંધ થઈ ગયા. અફઘાન સેનાએ ગઢની ચારે બાજુ સજ્જડ ઘેરો ઘાલ્યો. નાની મોટી અથડામણ શરૂ થઈ ગઈ. ગુજરાતમાંથી જાહજાદો ખિજરખાં મોટીસેના લઈને ચિત્તોડ બાદશાહને આવીને મળ્યો.

 સૌને લાગતું હતું કે, ચિત્તોડગઢની હાર હવે માત્ર સમયનો સવાલ છે. મહારાણી પદ્મિનીદેવીએ મેવાડની કૂળદેવી અંબાભવાનીના ચરણોમાં પડીને રક્ષા માટે યાચના કરી. એ જ રાત્રે મહારાણા રતનસિંહને સપનું આવ્યું.

“મેવાડી રાણા, મારું ખપ્પર ખાલી છે. હું તેને ભરવા માટે મેવાડના રાજપરિવારના બાર બલી માંગું છું. જો તું એ નહીં આપે તો સમસ્ત મેવાડ વેરાન થઈ જશે.”

 “માં, દેવી, રક્ષા કરો, અમારી રક્ષા કરો.”

“મેવાડના રાણા વિધિના વિધાનને પલટી ન શકે. જીવન ક્ષણભંગુર છે. કીર્તિ અક્ષય છે, અમર છે. તું અને ચિત્તોડ અમર થવા સર્જાયા છો. જીવનદાનથી જરાય ઓછું મને નહીં ખપે.”

મહારાણાજીએ સ્વપ્નની વાત પોતાના દરબારીઓ સામે મૂકી.

“મહારાણાજી, મૃત્યુને ભેટવાતો આપણે પ્રસ્તુત છીએ જ. આપણે યુદ્ધ આપવું છે. સજ્જડ મુકાબલો કરવાનો છે. દુશ્મન દંગ થઈ જાય, તે રાત્રે રાણા રતનસિંહને ફરી સપનામાં દેવીએ દર્શન આપ્યા.

“રાજન, દ્વિધા ન અનુભવીશ, તારે ભાગ્યને આધીન થવું જ પડશે. તારા બાર પુત્રોને એ માટે તું તૈયાર કર, તારા એક પુત્રને રાજતિલક કર, ત્રણ દિવસ રાજ ભોગવવા દે. ચોથે દિવસે યુદ્ધ કરવા મોકલી દે. એ વીરગતિ પામે એટલે બીજાને એ પ્રમાણે વિધિ કરીને મોકલ, બાર રાજ બલી વિના હું તૃપ્ત થવાની નથી.”

 મેવાતના રાવને, રાજાએ આ વાત જણાવી. “મહારાણાજી, આપણે હવે એ જ રીતે દુશ્મનને યુદ્ધ આપીએ. સૌથી મોટા પુત્ર ઉસી નુ રાજ તિલક કર્યું ત્રણ દિવસ રાજ નો ભોગવટો કર્યો પછી એક નાનકડી સેના લઈ યુદ્ધ કરવા ગઢની બહાર નીકળી ગયો. જંગમાં વીરગતિ મેળવી.

 હવે અજય સિંહનો વારો આવ્યો. સૌથી પ્યારો પુત્ર. એનું બલિદાન કેમ અપાય? રાણાએ એને ન મોકલતાં ત્રીજા નંબરના પુત્ર ને મોકલ્યો. ક્રમશઃ 11 પુત્રોનું બલિદાન લેવાયું.

“પિતાજી, હવે તો મને જવા દો, હું પણ મારા ભાઈઓની જેમ જંગમાં લડીને વીરગતિ પ્રાપ્ત કરવા માંગુ છું. મને આન પ્યારી છે, પ્રાણ નહીં.

“દીકરા, બારમાં બલિ તરીકે સ્વયં હું જઈશ. તારે કેલવાડા તરફ પ્રયાણ કરવાનું છે. આંધિ શમી જાય પછી તારે મેવાડપતિ બનવાનું છે. મારો વંશ તારા થકીજ આગળ વધશે. પરંતુ તારા પછી તારા મોટાભાઈનો દીકરો જે સૌરાષ્ટ્રમાં મોટો થઈ રહ્યો છે એને મેવાડની ગાદી સોંપ જે. આ મારો તને આદેશ છે.”

“પરંતુ પિતાજી, મારે કાયરની માફક પ્રાણ બચાવવા ભાગવાનું?”

“પુત્ર, પ્રાણ આપવા તો સહેલાં છે. પરંતુ પરંપરા બચાવવા આંધિ માં પણ જીવન ટકાવવું મુશ્કેલ છે. હું જાણું છું કે, તારો રાહ કઠિન છે પરંતુ તારે માટે એનું જ સ્રુજન છે.”

 અજયસિંહ કેલવાડા તરફ ચાલ્યો ગયો. અંધકારે પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. એક વૃદ્ધ દાસી મહારાણી પદ્મિનીને શિવપુરાણની કથા સંભળાવી રહી હતી. પ્રસંગ હતો સતીના પિતાને ત્યાં દક્ષ-યજ્ઞ અને સતીની અવહેલના તથા મહાદેવનું ઘોર અપમાન. બ્રહ્માજી નારદને કહે છે. “સતી મૌન થઈ ગઈ. પતિ શંકરજી નું સ્મરણ કર્યું અને એકદમ જમીનપર બેસી ગઈ. વિધિપૂર્વક જળનું આચમન કરીને વસ્ત્ર ઓઢી લીધું અને પવિત્ર ભાવથી આંખો મીંચીને ચિંતન કરતાં કરતાં યોગમાર્ગમાં સ્થિર થઈ ગયા. આસનને સ્થિર કરીને પ્રાણાયામ દ્વારા પ્રાણ અને આયાનને એક કરીને નાભિચક્રમાં સ્થિત કર્યું. પછી ઉદાતવાયુને બળપૂર્વક નાભિચક્રની ઉપર ખેંચીને બુદ્ધિપૂર્વક હૃદયમાં સ્થાપિત કર્યો. ત્યારપછી ભગવાન શંકરની પ્રાણવલ્લભા સતી હૃદયમાં રહેલ વાયુને શ્વાસ માર્ગેથી ભ્રુકુટિની વચમાં લઈ ગયા. અને દક્ષ પર ક્રોધે ભરાઈને એકાએક પોતાના શરીરને ત્યાગવાની ઇચ્છાથી પોતાના પૂર્ણ શરીરમાં યોગમાર્ગ પ્રમાણે વાયુ અને અગ્નિની ધારણા કરી પછી પોતાના પતિના ચરણકમળો નું ચિંતન કરતી, બીજા બધાં ભાવને વિસારીને પોતાના ચિત્તને યોગમાર્ગમાં પરોવી દીધું. હવે તેમને પતિ ના ચરણો સિવાય બીજું કશું દેખાતું ન હતું. સતીનું શરીર નિષ્પ્રાણ બની ગયું. ઈચ્છા શક્તિ પ્રમાણે યોગથી ઉત્પન્ન અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયું.”

 હવે તો રાણી પદ્મિનીએ પણ સંસારની વાતો પરથી મન હટાવી લીધું. આ દેહ હવે અલ્પ સમય માટે જ છે. એવી એને પ્રતીતિ થઇ ગઇ હતી. રાજપુતાના એટલે સતીઓ અને રણવીરની ભૂમિ આવા લોકો અલૌકિક મન:સ્થિતિ વાળા હોય છે. આવી વ્યક્તિઓનું મૃત્યુ પણ સંસારને પ્રેરણા આપી જાય છે.  ત્રીજા, ચોથા એમ અગિયાર રાજકુમારોની વીરગતિ થઈ હવે જીવનમાં જીવવામાં રસ ક્યાંથી હોય? દુશ્મને પોતાની તમામ તેના ઉતારી હતી. એટલે પરાજય નિશ્ચિત હતો. મહારાણા રતનસિંહે કહ્યું, “બારમા રાજબલી તરીકે હું જઈશ.” સર્વે યોદ્ધાઓએ છેલ્લું યુદ્ધ ખેલવા, કેસરિયાં કરવાનો નિર્ણય કર્યો. રાણી પદ્માવતી સાથે ચિત્તોડગઢ ની બાવીસ હજાર સ્ત્રીઓએ જૌહર કરવાનો ભીષણ નિર્ણય કર્યો.

જૌહરની પ્રથા પ્રાચીન જમાનાથી ચાલી આવતી, શત્રુનો વિજય નિશ્ચિત લાગે. કિલ્લામાં ભરાઈને સાધન સામગ્રીના અભાવે રિબાવું પડે કે મરવું પડે તે કરતાં રાજપૂતો કેસરિયા કરવાનો નિર્ણય લે ત્યારે સ્ત્રીવર્ગ ચિતામાં સ્વેચ્છાએ બળી મરતી આ પ્રથા તે જૌહર. જલ જૌહર, અસી જૌહર અને અગ્નિ જૌહર ત્રણ પ્રકાર છે. ચિત્તોડ માં અગ્નિ જૌહર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

‘જૌહર’ યુદ્ધના વખતનો આખરી અને અદભુત મહાન ત્યાગ છે. જેને વીર રાજપૂત નારીઓ ખુશીથી સ્વેચ્છાએ, તે વખતે પોતાના સતીત્વની રક્ષા માટે કરે છે. જ્યારે વિજયની સંભાવના રહેતી નથી તેથી પોતે શત્રુના હાથમાં ન જાય, પોતાની માન મર્યાદા સાથે ચિતામાં બળીને વીરગતિ પ્રાપ્ત કરે છે.    આવા સમયે ક્ષત્રાણીઓ સ્નાન કરી, પૂજા પતાવી, ઈશ્વરનું સ્મરણ કરતી કરતી પોતાના બાળકને ગોદમાં લઈ, ખુશીથી જલતી આગમાં કૂદી પડતી.

 જ્યારે ક્ષત્રિય વીરાંગનાઓ જૌહરની તૈયારી કરતી ત્યારે રાજપૂત વીરો પોતાના તમામ પહેરવાના કપડાં, કેસરિયા રંગે રંગી પહેરીને સજ્જ થતા. એ ટાણે પરસ્પર ખાતા-પીતા અને ભોજનનો છેલ્લો સ્વાદ પણ માણી લેતા. રાજપુતવીરો પણ સ્નાન કરી, પૂજા કરતા, કપાળે ચંદન લગાડતા, તુલસીના પાનનું સેવન કરતા, ગીતા, રામાયણ કે મહાભારતનો પાઠ કરતા.

 રાજમહેલની પાછળ મોટી ગુફા હતી. એ ગુફામાં ચંદન કાષ્ઠની મોટી ચિતા તૈયાર કરવામાં આવી. યોધ્ધઓ કેસરિયાં રંગના વસ્ત્રોમાં સજ્જ થયા. સ્ત્રીઓ લાલ વસ્ત્રોમાં સજ્જ થઈ. ગઢના ઘરે ઘર થી પાંચ વર્ષની ઉપરની કન્યાઓ કિશોરીઓ, યુવતીઓ, પ્રૌઢાઓ, વૃદ્ધાઓ હાથમાં નાળિયેર લઈને મૃત્યુ ની સોડમાં પોઢવા માટે નીકળી પડી. પોતાના ભાઈ, પતિ કે પિતાને ભાલે કુમકુમ લગાડી તેઓ ગુફા તરફ અગ્નિને સમર્પિત થવા લાગી છેવટે રાણી પદ્મિનીએ રાણા રતનસિંહને  તિલક કર્યું અને પ્રસિદ્ધ બાપારાવળની શમશેર હાથમાં ગ્રહીને તે ગુફામાં પ્રવેશી. જે રૂપ દિગદિગંતમાં પ્રસિદ્ધિ પામ્યું હતું તે રૂપ ઘડીભરમાં અગ્નિની જ્વાળાઓમાં ભસ્મ થઈ ગયું. અચાનક ચિત્તોડગઢના દરવાજા ખુલી ગયા. ખુલ્લી તલવારો સાથે મેવાડી યોદ્ધાઓ અફઘાન સેના પર ધસી આવ્યા.

 ભયંકર યુદ્ધ થયું. જયારે એક્પણ કેસરી વાઘાવાળો સૈનિક મેદાનમાં ન રહ્યો ત્યારે યુધ્ધ બંધ થયું. બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી ખુશ થયો. ઘણા વર્ષોની તેની મુરાદ પૂરી થશે જ. વિજેતાના ગૌરવ સાથે કિલ્લામાં પ્રવેશ કર્યો. પદ્મિનીના મહેલ સુધી ધસી ગયો. ચારે બાજુ સુનકાર હતો. તેણે ગુફામાં નજર કરીતો ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ ફેલાયેલી હતી.

હાથ આવેલી ભારત-સુંદરી પદ્મિની છીનવાઈ જતા ગાંડાતુર બનેલા નિર્દેય બાદશાહે ચિત્તોડને વિનાશની ગર્તામાં ધકેલવાનો શર્સધારીઓને આદેશ આપ્યો.

 ચિત્તોડગઢ શ્મશાન જેવું બની ગયું. ગઢમાં આમતેમ રખડતાં કુતરાઓ અને પશુઓ સિવાય બધું જ ખતમ થઈ ગયું હતું. “યા ખુદા! યે ચિત્તોડ નહીં હૈ, હૈ તો કેવલ કબ્રસ્તાન. હવે ચિત્તોડ માં બાદશાહ વધુ વખત રોકાયો નહિ. એની તમન્નાઓના ચૂરેચૂરા થઈ ગયા હતા. એનું દિલ તૂટી ગયું હતું.

“ખિજર ખાં, તું ચિતોડને સાચવજે. અહીં રાજકર, હું હવે દિલ્હીમાં ચાલ્યો જાઉં છું. અલાઉદ્દીન ખીલજી વિજેતા હતો. પરંતુ વિજેતાનો હર્ષ એની પાસે ન હતો. પદ્મિનીએ જૌહર કર્યા એટલે જે માટે તેણે આટલી મથામણ કરી તે વિજયનું ફળ તો ન જ મળ્યું. કેવી કરુણા! વિજેતા હોવા છતાં તે પસ્તાતો હતો. તેણે શીઘ્રાતિશીઘ્ર ચિત્તોડગઢ છોડી દેવાનો નિર્ણય કર્યો. પોતાની સેના સાથે જ્યારે તે મેવાડ છોડી રહ્યો હતો ત્યારે વાતાવરણમાં નીચેનું કાવ્ય ગુંજતું હતું.

બાદશાહ ખીલજી લેને આયા, પદ્મિની, રુપ કી રાની કો

ઉસ સુંદરતા કી નવ-નિધિ કો, રે જલા દિયા તન કુંદન-સા

ઉસ રતનસિંહ કી પ્યારી ને, ચિત્તોડ દુર્ગ દિવાનો કા.

 અપને સતીત્વ કી રક્ષા કી, ઉસ વીરાં વીર કુમારીને.

 ખીલજીને તબ ચકિત દેખા, વો રૂપ સચ્ચે ઇન્સાનોં

 ક્યા દેખ રહે વિસ્મય સે તુમ, ચિત્તોડ દુર્ગ દીવાનોં કા.

ચિત્તોડે કર્તવ્યની બલી-વેદી પર મોટામાં મોટી આહુતિ આપી. વિશ્વના ઈતિહાસમાં આ આહુતિ અજોડ હતી. બાદશાહ અલાઉદ્દીન ખીલજી ના અંતિમ દિવસોમાં તેનું સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. એના જ સેનાપતિ મલિક કાફુરે એને ઝેર આપી મારી નાંખ્યો.

 to be continued .....