Guhilot dynasty and Maharana Pratap in Indian history - 100 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 100

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 100

(૧૦૦ ) રહીમખાન શાહજાદા સલીમના ગુરૂ

બાદશાહ અકબરના ઇબાદતખાનામાં મહાત્મા કબીરની ચર્ચા કરતા કરતા ધર્મગુરૂ ‘ગુરૂ-મહિમા’ પર ઉતરી પડ્યા. “ગુરૂ બિન જ્ઞાન નહી.”

ગુરૂ ગોવિંદ દોનોં ખડે,કિસકો લાગુ પાય,

બલિહારી ગુરૂદેવકી, જિન મોંહે ગોવિંદ દિયો બતાય.

બાદશાહ, ગુરૂ વગર જ્ઞાન નથી. સિકંદરની મહાનતા એરિસ્ટોટલને લીધે છે. ચંદ્રગુપ્તની મહાનતા ચાણક્યને લીધે છે. અર્જુનની મહાનતા કૃષ્ણને લીધે છે. ગુરૂની જ્ઞાન દ્રષ્ટિથી જ શિષ્ય સંસારના પ્રકાશને લાધી શકે છે. ખુદા કો ભી મિલાનેવાલે ઉસ્તાદ હૈ, ઉસ્તાદ જિસે અચ્છા મિલ જાય ઉસકા જન્મ સફલ હો જાતા હૈ.

પંડિતજીનો ઉપદેશ શહેનશાહના કાનોમાં સતત ગૂંજ્યા કરતો હતો. સાથે સાથે રંગીલા વસ્ત્રોમાં સજ્જ રહેતો અને હરમની કનીજોના ટોળામં, હાસ્યની છોળો ઉડાડતો શાહજાદો સલીમ યાદ આવી ગયો. ૧૨ વર્ષની એની ઉંમર થઈ હતી. તે મસ્તી સભર વાતાવરણમાં ઉછરી રહ્યો હતો.

બાદશાહ, અકબરનું જનાનખાનુ હુનરની માલિકાઓથી ભરપૂર હતું. જે હુનરના જામને તે પીતા હતા એ હુનરની વચ્ચે મોગલોના ભાવિ બાદશાહને રાખવામાં જોખમ છે એમ તેઓ સમજી ગયા હતા.

અકબરશાહ સમજતા હતા કે, પ્યાર નામની આંધિ જ્યારે આવે છે ત્યારે સલ્તનતોમાં મોટા મોટા તોફાનો સર્જાય છે.

મામુલી કનીજના હુશ્‍નની સામે તાકી રહેતા સલીમના ડોળા જોધાબાઈથી પણ છૂપાઇ ન શક્યા. આ પણ અકબરનો જ દીકરો છે. આ મોગલો ઇશ્કના દરિયામાં લોહીની નદીઓ વહેવડાવતા તો અચક્યા નથી પરંતુ પોતાને વહાવતા પણ ખચકાયા નથી.

આંધી આવતા પહેલાં  એના માર્ગ માંથી હટી જવું જોઇએ.

શહેનશાહ અને સામ્રાજ્ઞી પુત્ર માટે ચિતિંત બન્યા.

શાહજાદો સલીમ પોતાના ગુરૂ શેખ સલીમ ચિશ્તીની દુઆઓનું ફળ હતું. એમ શહેનશાહ માનતા હતા. અને તેથી જ “સલીમ” નામ તેમણે રાખ્યું હતું.

શહેનશાહને ગત ભૂતકાળ યાદ આવ્યો.

અકબરશાહ જેવો શહેનશાહ, જેણે હિંદમાં મહાન મોગલ સામ્રાજ્ય જમાવ્યું હતું. એને ત્યાં ગાદીનો વારસ ન હતો. “ખુદાનો ખૌફ” સમજી બાદશાહે અનેક પ્રકારે ખુદાની બંદગી કરવા માંડી.

શેખ સલીમ ચિશ્‍તીના આશિર્વાદ અને અજમેરના ખ્વાજા પીરની દુઆ ફળી. અકબરશાહે ફતેહપુર સિકરીમાં શેખ સલીમ ચિશ્‍તીને મોટી જાગીર બક્ષી. તેઓએ ફતેહપુર સિકરીથી અજમેર પગે ચાલીને “યાત્રા” કરી. પીરનો આભાર માન્યો, દુઆ માંગી.

અકબરશાહની રાજપૂત રાણી જોધાબાઇનો દિકરો સલીમ. સલીમને લાડ અને પ્યારથી શેખુબાબા કહેવામાં આવતા. હિંદુઓ અને મુસલમાનો “શેખુબાબા”માં કોઇ દેવાંશી ગુણોની મુરાદ સેવતા હતા. આજ શાહજાદો “હરમ”ની રંગીનીમાં ખોવાઇ જાય તો.... બાદશાહ નિરાશ બની જતા.

“સર સે પાની ઉંચા હો જાયે ઉસસે પહલે પાની મેં સે બાહર નિકલના ચાહિયે” બેગમ જોધાબાઇએ શહેનશાહને યાદ દેવડાવ્યું.

દિન-પ્રતિદિન મોગલ હરમ મોટું થતું જતું હતું. નવા નવા રાજ્યોનું હુશ્‍ન ઠલવાતું હતું. શહેનશાહની શાન અને શૌકત માટે મોટું જનાનખાનું આવશ્યક હતું. અકબર ઘણી લડાઇઓ લડ્યો. એની જિદંગી જંગ જીતવામાં જ ગઈ. જ્યારે તે કોઇ મોટી લડાઇ જીતતો ત્યારે પરાજીત રાજા અથવા સુલતાન અથવા નવાબના કુંટુંબની કોઇ કન્યાના બાદશાહ અથવા તેમના કૌટુંબિંક રિશ્તેદાર સાથેના વિવાહથી આવનાર કન્યા સાથે બાંદીઓ પણ આવતી. સખીઓ પણ આવતી. ખાસ કરીને અકબરને શરણે આવેલા રાજપૂત રાજાઓએ જે રાજપૂત દુલ્હનો વળાવી હોય એની સાથે બાંદીઓ અને  ખવાસણો મોટી સંખ્યામાં આવતી.

એ જમાનાની રીત પ્રમાણે યુદ્ધમાં માર્યા ગયેલા શત્રુઓના ઘરની યુવતીઓ પણ સમ્રાટ અથવા અમીર-ઉમરવાડાના જનાનખાનાની શોભા બનતી માટે જ રાજપૂતાણીઓ પહેલાં જૌહર કરતી અને રાજપૂતો પછી જૌહર કરતા.

બાદશાહ અકબર મહત્વાકાંક્ષી હતા. પોતાના પૂર્વજો માટે એને અપૂર્વ માન હતું. પિતામહ બાબર અને પિતા હુમાયુઁના બુલંદ જીવન માટે તે હંમેશા ગર્વ લેતા.

એક દિવસ રામાયણ, મહાભારત વિષે ચર્ચા કરતા અકબરશાહ બોલ્યા, “આ મહાન આત્માઓનું જીવન તવારીખમાં સુવર્ણાક્ષરે લખાઇ ગયું. વાલ્મીકિ અને વ્યાસ જેવા તવારીખકારને ધન્ય છે.”

“બાદશાહ, આપનું જીવન પણ બુલંદીનું સરતાજ છે આપે જે વિક્રમો હાંસલ કર્યા છે તે પણ અપૂર્વ છે. આપ અગર ઇજાજત આપો તો હું પણ તવારીખમાં આપના કાર્યોની સુવાસ જળવાય તે માટે આપના જીવનનુ વર્ણન લખી ચંદ-વરદાઇએ જેમ પૃથ્વીરાજ તરફ મિત્રઋણ અદા કર્યું હતું તેવી રીતે આપનું ઋણ અદા કરવાની કોશિશ કરૂં.”

અને બાદશાહે અબુલ ફઝલને પોતાના જીવનના પ્રસંગો આલેખતું એક પુસ્તક લખવા ઇજાજત આપી.

પોતાના દાદા બાબર અને પિતા હુમાયુઁ વિષે હિંદુસ્તાનમાં જે કાંઇ, જે કોઇ હકીકત જાણતા હોય તે અબુલફઝલ આગળ જાહેર કરે તેવો જાહેર ઢંઢેરો બાદશાહે પોતાના સામ્રાજ્યમાં પિટાવ્યો. હકીકત ભલે ગમે તેવી હોય પરંતુ સત્ય હોવી જરૂરી છે. વિનાસંકોચે હકીકત નોંધાવાની જાહેરાત હતી.

આ સમયે મર્હુંમ બાદશાહ બાબરની દિકરી શાહજાદી ગુલબદન હયાત હતી. તેણે પણ આના અનુસંધાનમાં પોતાની યાદદાસ્તના આધારે “હુમાયુઁનામા”ની રચના શરૂ કરી.

અબુલફઝલે જ્યારે સાંભળ્યું કે, શાહજાદી ગુલબદન હુમાયુઁ વિષે જે જીવન ચરિત્ર લખી રહી છે. તેને “હુમાયુઁનામા” નામ આપ્યું છે. તો પોતાની રચનાને પણ તેણે “અકબરનામા” નામ આપ્યું.

આમ એક બાજુ હુમાયુઁનામાની રચના થઈ રહી હતી અને બીજી બાજુ “અકબરનામા” લખાઈ રહ્યું હતું ત્યારે બાદશાહને “બાબરનામા” ની યાદ આવી.

આજથી બાર વર્ષ પહેલાં રહીમખાનને મેં તુર્કીમાંથી ફારસીમાં બાબર નામાનો અનુવાદ કરવા ફરમાન કર્યું હતુ. મિર્ઝા ક્યાં સુધી પહોંચ્યા હશે?

અકબરશાહ હસ્યા. મિર્ઝા સુબેદારી કરે કે અનુવાદ કરે થોડા સમય માટે મિર્ઝાને રાજધાનીમાં બોલાવી લીધા હોય તો?

અને થોડાં જ સમયમાં એવા સંજોગો ઉભા થયા કે, રહીમખાનને રાજધાની બોલાવી લેવા પડ્યા.

તવાયફોના નાચ-મુજરા અને કનીજોની સેવા વડા જાહજાદાને પોતાની નાગચૂડમાં ફસાવી રહી હતી.

આથી ચિતિંત બની વધારે ભારપૂર્વક જોધાબાઇ શહેનશાહ અકબર “શેખુબાબા” ના સંસ્કાર  વિષે યાદ દેવડાવવા લાગ્યા.

“મોગલે આઝમ”નો દરબાર રંગીલી મહેફીલોથી સભર હતો શેખુબાબા હિંદુસ્તાનનો ભાવિ સમ્રાટ હતો. એના સંસ્કાર બળવાન બનવા જોઇએ. માતા જોધાબાઇ વીરાંગના હતી. હવે સલીમ બાર વર્ષનો થયો હતો. રૂપાળી દાસીઓ તરફની એની નજરો જોધાબાઇની આંખોની ભ્રમરો ચઢાવી દેતી.

બીજી બાજુ, જાસૂસોના સમાચાર એવા હતા કે, રાજપૂતાના સૂબા રહીમખાન મેવાડના મહારાણા પ્રત્યે ઝનૂની બની શકે એમ નથી બંનેને એકબીજા  પ્રત્યે માન છે. મિર્ઝા હવે પ્રતાપને ઝબ્બે નહિ કરી શકે એવો ભરોસો શહેનશાહને થઈ ગયો. મિર્ઝાને રાજપૂતાનામાંથી ખસેડવા જરૂરી થઈ પડ્યા.

મિર્ઝા કવિ હતા. ભાવુક હતા પરંતુ બેવકૂફ તો નહોતા. પોતાનો ભાઇ હતો. મેવાડથી ખસેડવા માટે કોઇ માનભર્યુઁ બહાનું જોઇએ જ.

“શેખુબાબાની તાલીમ માટે કોઇ માહીર ઉસ્તાદની જરૂર છે વર્ના એ વૈભવશાળી વાતાવરણમાં લપસી જશે. જોધાબાઇએ કહ્યું

અને અકબરશાહે નિર્ણય કર્યો. મિર્ઝાને બોલાવવાનો આ મોકો છે.

“બેગમ, મિર્ઝા જેવો કવિ દિલ, સંસ્કૃત અને સંસ્કારી ઉસ્તાદ ક્યાંથી મળવાનો છે. આપણે એને જ બોલાવીએ.”

આ સાંભળી બેગમના હૈયામાં હર્ષ વ્યાપી ગયો. બંને ખુશ હતા. પરિણામે આદેશ નીકળ્યો. “રહીમખાન, તુમ પરિવાર કે સાથ રાજધાની ચલે આઓ.”

દ્વિધાભર્યા હૈયે રહીમખાન બાદશાહ સમક્ષ ઉપસ્થિત થયા.

“રહીમખાન મેં તમને યાદ કર્યા છે બે કામ માટે સલ્તનતના ભાવિ શહેનશાહને તાલીમ આપવાની મહત્વની જવાબદારી હું તમને સોંપી રહ્યો છું. એની તાલીમ ઉત્તમ પ્રકારે થવી જોઇએ એને હિંદુ, મુસલમાન, શીખ, ઇસાઇ ધર્મના પાઠોને ભણાવવાને બદલે બધા ધર્મોના માનવતાના પાઠો ભણાવજો. મારી મુરાદ છે કે, તમારી ઉસ્તાદીથી એ ભવિષ્યમાં ઉત્તમ બાદશાહ બને.

“હું જાણું છું કે, શેખુબાબા હિંદની હિંદુ અને મુસલમાન કૌમના સંગમનું પ્રતીક છે. મારી ખ્વાહીશ છે કે, એ હિંદની ખુશહાલીનું દર્પણ બને.” રાજા માનસિંહ બોલ્યા.

“શેખુબાબા મારી કળાનો આત્મા બનશે. એ મોગલવંશનો શ્રેષ્ઠ સંસ્કારી બાદશાહ બને એવી મારી આરઝૂ છે.”

રાજા માનસિંહે વિદાય લીધી.

રહીમખાન બીજી ખાસ વાત હવે સાંભળો. આ વાત મારી અંગત વાત છે. તું જાણે છે કે, આપણે તુર્કોએ હિન્દુસ્તાનમાં આવીને મોટી તવારીખ સર્જી છે. એને શબ્દોમાં લખાઇ રહી છે. “અબુલફઝલ” અકબરનામા તૈયાર કરી રહ્યા છે. શાહજાદી ગુલબદનને હુમાયુઁનામા લખવાની શરૂઆત કરી દીધી છે. તેં “બાબરનામા” નો અનુવાદ કયાં સુધી?

“જહાઁપનાહ, બાદશાહ બાબરની આત્મકથા “બાબરનામા” સંસારની બેહતરીન આત્મકથા છે. એનો અનુવાદ કરી રહ્યો છું. મને હજુ થોડો સમય લાગશે. પરંતુ આપ યકીન રાખજો. મૂલ કરતાં અનુવાદ જરાય ઉતરતો નહીં હોય. અડધી મંઝીલ તો પૂર્ણ થઇ ચૂકી છે.

“તો પછી સલીમના ઉસ્તાદ તરીકે રાજધાનીમાં રહી આ કામ પણ પાર પાડી શકાશે.”

રહીમખાને નિરાંતનો શ્વાસ ખેંચ્યો. અજમેરથી પ્રયાણ કરતા જે તર્ક વિતર્ક કર્યા હતા તે સર્વે વિખરાઇ ગયા.

શેખુબાબાને રહીમખાને તાલીમ આપવા માંડી. ઉર્દુ, ફારસી, અરબી સંસ્કૃત અને હિંદુમાં વિદ્ધાન ગુરૂ પાસેથી શાહજાદા સલીમને વિશાળ જ્ઞાન પ્રાપ્ત થયું. ન્યાયદ્રષ્ટિ ઘડાઇ. ઉર્દુ અને હિંદી જનાબમાં તો સલીમ પણ માહીર બની ગયો. તાલીમ ખૂબ કડક હતી. મોગલ જમાનાના દુષણોનો સ્પર્શ શુદ્ધા ન થાય તેની રહીમખાન કાળજી લેતાં હતા. શાહજાદાને પણ પ્રાણીશાસ્ત્ર, સંગીત અને ચિત્રકળામાં ઉંડી દિલચસ્પી જાગી.

ખાનખાનાનની સાહિત્યિક પ્રવૃત્તિ પણ જોરશોરથી ચાલતી હતી. સમ્રાટ અકબરે કળાને સામ્રાજ્યની બાંદી બનાવી ન હતી એટલે એનો સમુચિત વિકાસ થઈ રહ્યો હતો.

ચિત્રકુટમાં નિવાસ કરતા હિંદી ભાષાના મહાન કવિવર સંત તુલસીદાસ રહીમખાનના મિત્ર હતા. બંનેની મિત્રતામાં સત્તા કદી આડે આવી ન હતી.

ગોસ્વામી તુલસીદાસ વારાણસીમાં નિવાસ કરી રહ્યા હતા. એક દિવસે એક ગરીબ અને વૃદ્ધ તથા દુર્બળ બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને પગમાં પડી ગયો. રૂદન કરવા લાગ્યો.

“ગોસ્વામી, મારી કન્યા ઋતુકાળને પ્રાપ્ત થઈ ચૂકી છે. મારે એના લગ્ન કરીને કન્યાદાન કરવું છે. પણ હું મહા દરિદ્ર છું. આ સંસારમાં દરિદ્ર હોવું એ મહાપાપ છે. કન્યા રૂપાળી છે. પરંતુ એના ધનાભાવે લગ્ન થતાં નથી. આપ દયા કરો.”

તુલસીદાસ વિચારવા પડી ગયા. આ દ્વિજને હું શી રીતે મદદ કરું? આ વખતે તેમને રહીમખાન યાદ આવ્યા. થોડા સમય પહેલાં જ તુલસીદાસજીએ તેમનો એક દોહો સાંભળ્યો હતો.

                  सर सुखे, पंछी उडै, औरे शरन समा हिं,

                  दीन मीन, बनु पच्छ रहीम कँहु कह जाहि    

જેના કાર્યોમાં ગરીબો પ્રત્યે આવી મમતા છે એવા રહીમખાન તો મોગલ સેનાપતિ છે એ ધારે તો આ બ્રાહ્મણનું કાર્ય પાર પાડી આપશે.

“ જો, ભાઇ, તું દિલ્હી જઈને મોગલ સેનાપતિ રહીમખાનને આ ચબરખી આપજે. તારી જરૂરિયાત જણાવજે.”

વિપ્ર દિલ્હી રહીમખાનના નિવાસે ગયો.

એણે ગોસ્વામી તુલસીદાસજીની ચબરખી આપી.

सुरतिया, नरतिय, यह चाहत सब कोय।

તત્ક્ષણ રહીમદાસે પહેલી પંક્તિની જોડે બીજી પંક્તિ આ પ્રમાણે લખી દીધી.

गोद लिये हुलसी फिरै, तुलसी सों सुत होय॥

“ભાઇ, તારા આગમનનું પ્રયોજન?

વિપ્રે પોતાની કથની સંભળાવી.

જરૂરી ધન આપી પેલો પૂરો કરેલો હોદ્દો આપી રહીમે વિપ્રને વિદાય કર્યો. તુલસીદાસજી એ જ્યારે આ ઘટના જાણી ત્યારે અનહદ આનંદ થયો.

મોગલસેનામાં શમશેરસિંહનું આગવું સ્થાન હતું. વીરતામાં તેઓનો જોટો જડવો મુશ્કેલ હતો. ગુજરાત પર બાદશાહ અકબરે ચઢાઈ કરી ત્યારે સેનાપતિ રહીમ ખાનખાનાન સાથે રહીને પોતાની કર્તવ્ય નિષ્ઠાથી એટલા બધા પ્રભાવિત કર્યા હતા કે, બંને વચ્ચે હંમેશા માટે ઘરોબો બંધાઇ ગયો હતો.

                 *                *                *                *

શમશેરસિંહની દિકરીના લગ્નનો ઉત્સવ હતો. રહીમ ખાનખાનાન ત્યાં હાજર હતા. એક સ્ત્રી સુંદર અવાજે અવધીમાં ગાઇ રહી હતી. સિપેહસાલાર ખાનખાનાન કવિ પણ હતા. ગીતની હલક, ગીતોનો ભાવ અને લોકબોલીના લયથી બેહદ પ્રભાવિત થયા.

શમશેરસિંહ, આ સુંદર ગીત કોણ ગાય છે?

“ જી, શીલાની માનું પ્રિય ગીત છે. આજે દિકરીની શાદીના મુબારક અવસરે એ ગાઈ રહી છે.”

થોડીવાર પછી શમશેરસિંહના અનુરોધથી એમનાં ધર્મપત્ની સુમિત્રાદેવી ઉપસ્થિત થયા.

“બહેન, આ કયો છંદ છે? આ ગીત તો લોકબોલીનો સુંદર નમુનો છે.”

“જી આ બરવૈ છંદ છે. અવધ પ્રદેશ જ્યાં મારૂં પિયેર છે. ઠેર ઠેર હોંળી, દિવાળી અને લગ્નના માંગલિક પ્રસંગોમાં આ છંદમાં સુંદર ગીતો ત્યાંની સ્ત્રીઓ ગાય છે. અમારા ઘરમાં મન્નો નામની દાસી તો આ ગીતો ગાવામાં મુલકભરમાં મશહૂર હતી.

રહીમજીને આ છંદ ખૂબ ગમ્યો. એમણે આ છંદમાં રચનાઓ રચી એટલું જ નહિ એક સુંદર રચના બરવૈ છંદમાં રચી તુલસીદાસજીને મોકલી અને આ છંદમાં રચનાઓ કરવાની વિનંતી કરી.

મહાકવિ સંત તુલસીદાસે તો આ છંદમાં રામાયણ રચી કાઢી જે બરવૈ-રામાયણના નામે ઓળખાઈ અને જ્યાં મહાકવિનો પારસમણી સ્પર્શ થયો ત્યાં તો બરવૈ છંદ અવધી ભાષાનો કંઠહાર બની ગયો.