Sandhya - 33 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 33

સંધ્યાએ ખુબ મોટી અપેક્ષા એ કુમળા બાળક પાસે રાખી હતી. એને હતું કે, રોજ કોઈને કોઈ ખોટી વાત રજુ કરીને અભિમન્યુને ખોટી આશા આપવી એના કરતા હકીકત જણાવી દેવી એજ યોગ્ય છે. સંધ્યાએ પોતાની વાત તો અભિમન્યુને કહી દીધી પણ એ અભિમન્યુ મમ્મી દુઃખી ન થાય એ હેતુથી એની સામે કઈ જ બોલી ન શક્યો પણ એ આ બધું જ એના દાદા પાસે જઈને બોલ્યો, "દાદા! પપ્પા મારી ગિફ્ટ લઈને ક્યારેય પાછા આવશે જ નહીં. કૃષ્ણજીને એમની ખુબ જરૂર હતી એટલે એમણે પપ્પાને ત્યાં જ રોકી લીધા છે. એ ક્યારેય નહીં આવે."

"તને આવું કોને કહ્યું?"

"મને આ બધુ મમ્મીએ કીધું. અને દાદા ત્યાં વિડીયો કોલ પણ કરી શકાશે નહીં. કેમ કે ત્યાં ફોન વાપરવાની છૂટ નથી."

અભિમન્યુએ સાવ નિખાલસતાથી બધી જ વાત દાદાને કહી દીધી હતી. એ અણસમજુ બાળક બધું બોલી ગયો પણ એનું વિપરીત પરિણામ સંધ્યાને ચૂકવવું પડ્યું હતું. ચંદ્રકાન્તભાઈએ અભિમન્યુ જેવો બહાર રમવા ગયો કે તરત જ સંધ્યાને સાદ પાડીને બોલાવી અને કહ્યું, "તું આટલા નાના બાળકને કેમ બધું શીખવે છે? એ નાનો છે હજુ એને કોઈ સમજ જ નથી તારે સૂરજની હકીકત એને કહેવાની શી જરૂર હતી. તને કોઈ વાત કહેવાની સમજ જ નથી. હવે બીજી વાર આવી ભૂલ કરજે નહીં."

"હા પપ્પા." બસ આટલો જ જવાબ સંધ્યા આપી શકી હતી. સંધ્યા એકદમ સમસમી ઉઠી હતી. એને થઈ ગયું કે, મારા જ દીકરાને કેમ ઉછેરવું એ હક શું મારો ન હોવો જોઈએ? મેં મારા દીકરાને ખોટું બોલવાની ટેવ પડતા અટકાવ્યો અને એથી વિશેષ એ કે, એના મનમાં જે ખોટી પપ્પા આવશે એ આશા હતી એને મેં હકીકતથી પ્રત્યક્ષ કર્યો હતો. મારી સાચી વાતનો આટલો બધો વિરોધ કેમ પપ્પા કરે છે એ સંધ્યા સમજી શકતી નહોતી.

સંધ્યાને હવે ધીરે ધીરે સમજાઈ રહ્યું હતું કે પતિ વગરનું એક સ્ત્રીનું ખરેખર જીવન શું હોય છે! ઘરમાં પણ નાની નાની વાતે સંધ્યાને ખુબ ટોકવામાં આવતી હતી. સંધ્યા બધું જ સહન કરી શકતી હતી પણ અભિમન્યુની બાબતે કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરી શકતી નહોતી પણ પોતાના સંસ્કાર એને વડીલોની વાતનો વિરોધ કરતા રોકતા હતા. સંધ્યા જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ વડીલોની કનડગત એને ગમતી નહોતી. સંધ્યા ઘરની બહાર ના છૂટકે પગ મુક્તી હતી પણ સંસ્કાર જ્યાં પણ હોય એ અકબંધ જ રાખતી હતી. છતાં સાસુ-સસરાની અમુક વાતો સંધ્યાને ખુબ તાકલીફ આપતી હતી.

સંધ્યા બે ત્રણ દિવસે પોતના પિયર પણ જતી આવતી હતી. સાક્ષી સાથે અભિમન્યુને ખુબ મજા આવતી હતી. એ ખુબ જ ખુશ થઈ જતો હતો. અમુક સમય પિયર રહી રાત પહેલા જ ઘરે આવી જતી હતી.

સમયે એવી રફ્તાર પકડી હતી કે સૂરજની પ્રથમ પુણ્યતિથિ પણ આવી ગઈ હતી. આ દિવસે ચંદ્રકાન્તભાઈએ ખુબ દાન કર્યું હતું. સંધ્યા વિચારી રહી કે, જેની હયાતી જ નથી એના માટે પપ્પા આટલું બધું કરે છે અને મારો પુત્ર હયાત છે તો એના માટે કેમ ગણતરી કરે છે! સંધ્યા જાણતી જ હતી કે સૂરજની આટલી ટૂંકી આવરદામાં બહુ તો મૂડી ન હોય પણ આટલી નામનામાં એણે મેળવી ત્યારે રોકડ ઈનામનો આંકડો પણ નાનો તો નહોતો જ. અને પોતાના સસરાને જમીન હતી ત્યાં ખેતીનું કામ પણ માણસો પાસે કરાવાતું એટલે આવકતો એમની પણ હતી જ પણ કોણ જાણે કેમ એમના મનમાં એવું જ હતું કે, અભિમન્યુનો બધો ખર્ચો સંધ્યા જ ઉપાડે! સંધ્યા એમ જ કરતી હતી, પણ ક્યારેક એને દુઃખ થતું કે હું અભિમન્યુની બધી જ ઈચ્છા પુરી કરવા સક્ષમ નથી.

સંધ્યાને અભિમન્યુનું સ્કૂલમાં એડમિશન લેવામાં ખુબ તકલીફ પડતી હતી. માતાપિતાનું ઇન્ટરવ્યૂમાં સંધ્યા સિંગલ પેરેન્ટ તરીકે સારી સ્કૂલમાં ફીના સ્ટ્રકચરને પહોંચી શકશે કે નહીં એજ સર્વ પ્રથમ એક પ્રશ્ન થતો હતો. આથી ના છૂટકે સંધ્યાને સામાન્ય સ્કૂલમાં જ એડમિશન લેવું પડ્યું હતું. આ સમયે સંધ્યાને સૂરજની ખુબ કમી અનુભવાઈ રહી હતી. કદાચ સૂરજ હોત તો આમ આ સામાન્ય સ્કૂલમાં અભિમન્યુને ભણાવવો ન પડત! આ સમયે સંધ્યાને એના સાસુ સસરા માટે પણ થોડું મન ઉતરી ગયું હતું, એમનો કદાચ થોડો પણ આર્થિક સાથ હોત તો આમ સંધ્યાને પોતાની અમુક ઈચ્છાઓ મારવી ન પડત.

સંધ્યા જોબ પર વહેલી જતી હોય, એના ગયા બાદ અભિમન્યુ સ્કૂલ જવાની ના પાડતો તો ક્યારેય એના દાદા અને દાદી એને સમજાવતા નહોતા કે, સ્કૂલ જવું કેટલું જરૂરી છે! એ બંને અભિમન્યુની બધી જ વાતે હા એ હા કરતા હતા. એક વડીલ તરીકેની એમની ફરજ બજાવતા નહોતા. અભિમન્યુની સ્કૂલમાં ખુબ રજા પડતી હતી. બાળકને યોગ્ય જ્ઞાન આપવું ને સાચી સમજ કેળવવી એ બહુ અઘરી વાત છે. આ બધું ફક્ત સંધ્યાએ એકલા હાથે અભિમન્યુને શીખડાવવું પડતું હતું. ક્યારેક અભિમન્યુ પોતાની મમ્મી પર ગુસ્સે થઈ જતો હતો, કે તું જ મને ન ગમે એવું જ ધરારથી કરાવે છે. સંધ્યા ખુબ પ્રેમથી એને અનેક ઉદાહરણ આપતી, પણ દાદા અને દાદીની અમુક આદતોથી સંધ્યાને પોતાની વાત અભિમન્યુને સમજાવવામાં ખુબ તકલીફ પડતી હતી.

સંધ્યાએ જોબ ની સાથો સાથ થોડું સિલાઈકામ પણ શરૂ કરી દીધું હતું. જેથી કરીને ઘરે નવરાશના સમયે મન કામમાં રહે તો બીજા કોઈ વિચારોને વાગોળવાનો સમય જ ન રહે. સંધ્યા બધી ફરજ ખુબ સારી રીતે નિભાવતી હતી. સંધ્યાનો પ્રયાસ રહેતો કે એ શક્ય એટલી બધાની ઈચ્છાને માન આપી શકે! સંધ્યા સૂરજ વિહોણા આ દોઢ વર્ષમાં પોતાના જીવનમાં અનેક ફેરફાર લાવી ચુકી હતી. પણ એની કિસ્મતમાં હજુ શું લખ્યું છે એ ક્યાં જાણતી હતી?

એક સાંજે રવિવારના દિવસે એ પોતાના પિયર અભિમન્યુને લઈને ગઈ હતી. સાક્ષી અને અભિમન્યુ બંને રમી રહ્યા હતા. સુનીલ અને પંક્તિ બંને એમના કામથી બહાર ગયા હતા. પંકજભાઈ અને દક્ષાબહેન અને સંધ્યા હોલમાં બેઠા હતા. સંધ્યાએ આજ પોતાના પેરેન્ટ્સને જે એના સાસુસસરાના વર્તનથી દુઃખ થતું હતું એ રજુ કર્યું હતું. પંકજભાઈને સંધ્યાની વાત સાંભળીને ખુબ તકલીફ થઈ આવી હતી. એમણે કહ્યું, "જો બેટા! મન મક્કમ રાખી શકે તો તને એક વાત કહું. તું દુઃખી થયા વગર વાતને સમજવાનો પ્રયાસ કરજે. હું બે ત્રણ દિવસથી આ વાત જાણું છું. પણ તને કહેવી કે નહીં એ હું અને દક્ષા વિચારમાં હતા. મને લાગે છે કે, મારે તને આ વાત કહેવી જ જોઈએ. સંધ્યા બોલી ઉઠી કે, "પપ્પા કેમ ગોળ ગોળ વાત કરો છો? જે કહેવું હોય એ સ્પષ્ટ વાત કહો."

"જો બેટા! તારા સાસુ અને સસરા એમ ઈચ્છે છે કે, તું બીજા લગ્ન કરી લે અને અભિમન્યુ કે, જે સૂરજની નિશાની છે એ એમને સોપી દે, અને તારું જીવન તું તારી રીતે જીવ."

"આ શું કહો છો પપ્પા તમે? આવું કહ્યું એમણે તમને?"

"હા, બેટા! આવું કીધું અને સાથોસાથ એમ પણ કીધું કે તમે એને સમજાવજો કે, અભિમન્યુની સોંપણી અમને કરીને એ એના જીવનમાં આગળ વધે!"

"અરે ગજબ છે એમના વિચાર.. હું મારા બાળકને મૂકીને એમની વાત માનું! અભિમન્યુ કુદરતના પ્રહારને હજુ પચાવી નથી શકતો અને એ બન્ને જણા હું હયાત છું છતાં મારાથી અભિમન્યુને દૂર કરવાના આવા વિચારો લે છે! એ બંનેનું મગજ કામ નથી કરતુ કે શું? મા દીકરાને નોખા કરવાનું વિચારે છે."

"જો બેટા! તું શાંત થઈ જા, અને પાણી પી. તને દુઃખ ન થાય એટલે જ હું આ વાત તારા પપ્પાને કહેવાની ના પાડતી હતી." ચિંતિત સ્વરે દક્ષાબહેન બોલ્યા હતા.

"અરે મમ્મી! સારું થયું પપ્પાએ મને એમના મનના વિચાર કીધા. હું હવે મક્કમ પણે અભિમન્યુ માટે યોગ્ય નિર્ણય લઈ શકીશ."

સંધ્યાએ આ વાત સાંભળીને મનોમન એક નિર્ણય લઈ લીધો હતો.

શું હશે સંધ્યાએ લીધેલો નિર્ણય?
શું હશે અભિમન્યુના જીવનમાં આવનાર દિવસોમાં બદલાવ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻