Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૧

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧ : તારામૈત્રક

જે પ્રાતઃકાળે ભક્તિમૈયા અને અન્ય સાધુજનના સાથમાં કુમુદસુંદરી સુંદરગિરિ ઉપર જવા નીકળી તે જ પ્રાતઃકાળે સરસ્વતીચંદ્ર વિહારપૂરી અને રાધેદાસના સાથમાં, સુરગ્રામ અને સમુદ્રતટ જોવા પર્વત ઉપરથી નીચે જવા નીકળ્યો.

સુંદરગિરિનું પશ્વિમ અંગ આ કાળે વિચિત્ર રમણીયતા ધરતું હતું. પર્વતની આનતિ શિખરથી ભૂમિ સુધી ધીમેધીમે થતી હતી અને પહોળાં પગથિયાંવાળા મોટા આરા પેઠે સમુદ્રના તટ સુધી ગોઠવાયેલી લાગતી હતી. એ આરાનો નીચેનો ભાગ કેટલાંક સ્થાન આગળ સુરગ્રામસહિત દૃ।્‌ટિમર્યાદાની નીચે ડૂબી જઈ આગળ નીકળી આવતા ખડકો નીચે ઢંકાયેલો હતો અને આરાના નીચલા ભાગ સાથે સમુદ્રનાં મોજાં અથડાતાં હોય એમ ઉપર ઊભેલાને લાગતું. ચિત્રવિચિત્રવૃક્ષોની ઝાડીઓ, લીલાં અને સૂકાં ઘાસનાં જંગલ, વચ્ચે વચ્ચે ઉઘાડાં કાળાં માથાવાળા ખડકો અને તેની અણિયાળી શિખાઓ અને અનેક નાનામોટા સર્પ જેવા અને કંઈક દેખાતા ને કંઈક ન દેખાતા વાંકાચૂંકા રસ્તાઓ-એ સર્વ પદાર્થ તીર્થવાસી બ્રાહ્મણોના સાથરાઓ પેઠે અને તેમની સામગ્રી પેઠે આરા જેવા ઢોળાવ ઉપર પથરાયેલા હતા.

આ બધો ભાગ પશ્વિમ દિશાનો હતો અને ચૈત્ર માસની વાદળાં વગરની રાત્રિને અંતે સૂર્ય ઊગ્યા પહેંલા તેનાં કિરણ પૂર્વમાંથી ચડી પર્વતના શિખર ઉપરથી પશ્વિમમાં ઊતરતાં હોય એવો મન્દ આભાસ થતો હતો. આકાશ સ્પષ્ટ કેવળ ભૂરું અને ડાઘા વગરનું હતું અને છેલ્લામાં છેલ્લો તારો અસ્ત થઈ ગયો હતો. સૂર્ય, તારા અને વાદળાં-એમાંના કરચલી વગરની મોટી ભૂરા વસ્ત્રની છત જેવું આકાશ હતું. તેને એક છેડે સમુદ્રપારની દૃ।્‌ટિમર્યાદાનો મોટો તટ હતો અને બીજે છેડે પર્વતના શિખર આગળનો ઊંચો તટ હતો. પૃથ્વીનાં શિખરગૃહ જેવા આ બે તટ વચ્ચે, ગયેલી રાત્રિના અંધકારને સ્થાને, રંકજનયોગ્ય અને સાદી પણ સુંદર ચળકતી છત ઈશ્વરે આમ અત્યારે ચડાવી દીધી હતી તે કાળે સાધુજનોના સથવારામાં કુમુદસુંદરી અર્ધો ઢોળાવ ચડી ગઈ હતી અને માર્ગની આસપાસની શિલાઓ ઉપર એ અને સર્વ સ્ત્રીઓ વિશ્રાન્તિ લેવા વાતો કરતી બેઠી હતી.

પર્વત ઉપર જવાના આ માર્ગનો આ સ્થાને મોટો વાંક પડતો હતો અને આ મંડળ એવે ઠેકાણે બેઠું હતું કે ઉપરથી ઊતરનાર છેક ત્યાં આગ આવે ત્યાં સુધી એમને દેખે નહીં પણ નીચે જનારના ઉપર ત્યાંથી ઘણે છેટે સુધી દૃષ્ટિ જાય. માર્ગમાં ઠેકઠેકાણે તરસ્થાન ૪ હતાં. કેટલાંક તરસ્થાન માર્ગની બે પાસે હતાં; કેટલાંક માર્ગના બેટની પેઠે આવી રહેતાં. કેટલાંક તરસ્થાન ગોળ અથવા લાંબા ઓટલા પેઠે ચણેલાં હતાં. પ્રસ્તુત તરસ્થાને માર્ગની બે પાસ શિલાઓ નાખી હતી. તે તરસ્થાન, વિશ્રામસ્થાન અથવા વિસામા ઉપર થાકેલા વટેમાર્ગુ થાક ઉતારતા.

કુમુદસુંદરી અર્ધો પર્વત ચડી આવી હતી, પણ પ્રાતઃકાળના મધુર ઉત્સાહક પવનને બળે તેમ હ્ય્દયના ઉત્સાહક પ્રસંગને બળે એને પડેલો અપરિચિત દીર્ધ શ્રમ જાણે તે અનુભવતી જ ન હોય તેમ સૌ સાથે વાર્તાવિનોદમાં ભળી જતી હતી. એના સુંદર ગાલ ઉપર આવેલી રતાશ, એના હાથપગની અસ્વસ્થ શિથિલતા અને આંગળાંનું ધડીધડી વળવું, એના ઉરઃસ્થલ ઉપરનો વસ્ત્રનો કંપ, એના અટકતા બોલ અને તેને ઘડીઘડી અટકાવનાર શ્વાસ, એની સંકોચાતી આંખો, ભ્રૂભંગ અને કપાળની કરચલીઓ, અને એનાં વસ્ત્ર તથા કેશભારની કંઈક અવ્યવસ્થા-આ સર્વ એના શારીરિક શ્રમનાં પરિણામ હતાં કે એના ઉત્સાહિત મનોરાગે પ્રેરેલા ચાંચલ્યનાં કાર્ય હતાં તેનો નિર્ણય કરવો કઠણ હતો. વાસ્તવિક રીતે અર્ધી વાત આ ખરી હતી અને અર્ધી બીજી પણ ખરી હતી, પણ સૂક્ષ્મ વિચાર કરી જાણકારને જ આ બે અવસ્થાઓનું મિશ્રણ સમજાય એમ હતું.

સર્વ સાધુ સ્ત્રીઓ વચ્ચે એકલી કુમુદસુંદરી રૂપથી, વસ્ત્રથી અને અલંકારથી જુદી પડતી હતી. ભક્તિમૈયા ઊંચી, પહોળી, કાળી અને કદ્રુપી બાવી હતી. બીજી બાવીઓ એનાથી નીચી હતી અને એક વામનરૂપઠીંગણી-બાવીને બાદ કરતાં બીજી સર્વ કુમુદથી ઘણી ઊંચી હતી, અને ઠીંગણી હતી તે સાટે ઘણી જ જાડી હતી. કુમુદનાથી કાળાં તો સર્વ હતાં પણ પરસ્પર કાળાશ વધતી-ઘટતી હતી. જો રંગમાં જ રૂપ આવી જતું ન હોય તો એક- બે સ્ત્રીઓમાં સુંદરતા અને લાવણ્યના ચમકારનો અતિશય હતો. સર્વ બાવીઓનાં વસ્ત્ર તો ભગવાં જ હતાં. માત્ર કુમુદે માતાની પ્રસાદીની ચૂંદડી પહેરી હતી તે ધોળાં ટપકાંવાળી કસુંબલ અને રેશમી હતી. એનાં નિત્યનાં વસ્ત્ર એક ધોળા નાના કટકામાં બાંધી ઢીંગણી બાવીએ સાથે લીધાં હતાં. સુવર્ણપુરમાં જે અલંકાર પહેરેલા હતા તે પહેરીને જ એ ડૂબી હતી અને તે અલંકાર અત્યારે પણ એના શરીર ઉપર હતા. વર્ષાઋતુની વાદળીઓ વચ્ચે ચંદ્રલેખા જેવી દેખાતી કુમુદ આ બાવીઓની વચ્ચે એક પથરા ઉપર બેઠી હતી.

ભક્તિમૈયા કુમુદની પીઠે હાથ ફેરવતી હતી.

‘બેટા મધુરી ! આજના જેટલો શ્રમ તો તારે કોઈ દિવસ પણ લેવો નહીં પડ્યો હોય. ?’

‘ના, પણ ત્યારે સાધુજનની સંગતિ, અને થોડી વાર પછી પવિત્ર સ્થાનનાં દર્શનની આશા, એ બે લાભની પ્રાપ્તિથી આ શરીરનો શ્રમ તેમ મનનાં દુઃખ બે વાનાં ભૂલી જાઉં છું. મૈયા ! યદુશૃંગ હવે કેટલે છેટે હશે ? કુમુદે પ્રશ્ન પૂછ્યો.

‘હજી તો આપણે અર્ધે માર્ગ આવ્યાં. આવ્યાં એટલું ને એટલું બાકી રહ્યું.’

‘મધુરી મૈયા ! તારા કોમળ ચરણ શ્રાંત થયા છે- કમળની ચોળાયેલી નાળો જેવા થયા છે- હું તેનું જરી મર્દન કરું.’ ઠીંગણી બાવી બોલી ને કુમુદના પગ ચાંપવા લાગી.

‘વામની મૈયા ! આપણા ચરણ સરખા જ છે. મારા શ્રાન્ત થાય તો તમારા પણ શ્રાન્ત જ હશે, માટે રહેવા ધો.’ મંદ લીલાથી તેના હાથ ખસેડતી કુમુદ સ્મિત કરી બોલી.

‘મૈયા ! મારા ચરણ છે તો તારા જેવડા પણ લોખંડના થાંભલા જેવા કઠણ છે. ને શ્રમ ઢાંકવા તું મોં મલકાવે છે તો તારા જેવડા પણ કમળપત્ર જેવા મુખમાં જે કોમળતાં છે તે કંઈ કઠણ થઈ શકે છે ?’ વામનીએ ચરણ છોડ્યા નહીં.

‘વામની ! તારા હાથપગના જેવો મારા હાથપગમાં દોષ નથી. માટે તારું કામ મને કરવા દે.’ ભક્તિમૈયા હસતાં હસતાં વામનીના હાથ ખસેડી જાતે પગ ચાંપવા લાગી.

‘વામની આઘી ખસતી ખસતી બોલી : ‘સ્પૂર્ણપણે દોષ દૂર કરવો હોય તો તમે પણ ખસો અને તે સ્થાને મોહની મૈયાને બેસવા ધો કે સુંદરને સુંદરતાનો યોગ થાય.’

શ્યામ પણ રૂપવતી મોહની કુમુદની પાસે બેઠી અને ભક્તિ ખસી. ખસતાં ખસતાં હસી અને બોલી :

‘સત્ય વચન તો પાળવું જોઈએ તે પાળું છું. પણ આ બેમાં સુંદર કોણ અને સુંદરતા કોણ ?’

વામની અને ભક્તિ ઉભય કુમુદ અને મોહની સામે એકીટશે જોઈ રહ્યાં અને તેમની કીકીઓમાં વિનોદક હાસ્ય રમવા લાગ્યું.

‘આપણને મધુરી મૈયા સુંદર લાગે છે માટે તે સુંદર. એનું રૂપ જેવું સુંદર છે તેવા જ એના ગુણ સુંદર છે માટે તે સર્વનો આત્મા પણ સુંદરતારૂપ જ હોવો જોઈએ. માટે સુંદર પણ એ અને સુંદરતા પણ એ જ. એનું લખરૂપ સુંદર અને અલખ આત્મા સુંદરતા. કેમ બંસરી મૈયા ?’ કુમુદના હાથા કમળનાળ જેટલા બળથી ન અટકતાં તેના ચરણ ચાંપતી ચાંપતી મોહની બીજી રૂપવતી બાવીને પૂછવા લાગી. પૂછતાં પૂછતાં એના શાંત પ્રેમનું લાવણ્ય એના મુખ ઉપર સ્ફુરવા લાગ્યું.

ભક્તિ -‘બાકીના માર્ગમાં એને આપણે તેડી લઈશું.’

કુમુદ -‘મૈયા ! એ તો અઘટિત જ થાય. તમ સાધુજનને એવી રીતે ભારરૂપ હું નહીં થઈ પડું. હું ધીમી ધીમી જાતે જ ચડીશ.’

બંસરી બીજી પાસથી કુમુદને ભેટી પડી. તેને છાતી સરસી દાબી ચુંબન કરતી કરતી બોલી :

‘મધુરી ! માજી તને યદુનંદનના ધામમાં મોકલે છે તે પુણ્યકાર્યમાં તને આશ્રય આપવો એ તો અમ અલખના જોગીકુળમાં અમારું પોતાનું જ પૂણ્યબીજ રોપાતું જોવાનો માર્ગ છે. લે સાંભળ :

‘સાધુ સાધુનો સંગ કરીને

અલખ પ્રભુને પામે રે ;

અલખ પમાડી જગાડે તેને

લખ ચોર્યાશી ના’વે ! - સુણ, મેરી મૈયા, તું !’

આ પૂરું થાય એટલામાં તો તૂમડી ઉપર બાંધેલી એક તારની સાજક એક જણી પાસથી લઈ સજ્જ કરી તેમાં આ કડીઓ મોહની ઉતારવા લાગી. ગાયન અને વાદિત્રના સ્વરપ્રભાતની લક્ષ્મીમાં પ્રસરવા લાગ્યા ત્યાં વામની ઊઠી.

‘બ્રહ્માણી, મહાલક્ષ્મી અને રુદ્રાણી જેવાં તમે ત્રણ જણ એકબીજાને બાઝીને બેઠાં છો ત્યાં મને પણ આનંદની ઊર્મિ ચડી આવે છે. મધુરી મૈયા ! મહાસાગર અને ગિરિરાજ વચ્ચે સૂર્ય વિનાના આ કોમળ મધુર આકાશ જેવી તું અમને પ્રિય લાગે છે. તારા હ્ય્દયનાં દુઃખ અમે કાલે રાત્રે જ દીઠાં છે. અમ સાધુજનના સ્થાનમાં તારાં જેવાં દુઃખ છેક અપરિચિત નથી, પણ અમો દુઃખને પણ યદુનંદનનો પ્રસાદ ગણી ભોગવીએ છીએ. સુંદરતા અને પ્રીતિ એ પણ અમારે ત્યાં પરિચિત છે ; એટલું જ નહીં પણ તમે સંસારીજનો જ્યારે પ્રીતિ કર્યા પહેલાં વિવાહ કરો છો ત્યારે અમો સાધુજન હરિભજનમાં લીન રહીએ છીએ, પુરુષને ન પરણીએ તો શ્રી અલખને શરણે રહીએ છીએ, અને શ્રીકૃષ્ણ પરમાત્માને ત્યાં મહાલક્ષ્મીની કૂખમાં જન્મેલો મન્મથ અમારાં અંતઃકરણમાં જાગે છે તો તેની પવિત્ર આજ્ઞાને વશ થઈ વિવાહ પણ કરીએ છીએ. ભગવાન મન્મથનાં દીધેલાં દુઃખમાં પણ કાંઈક જુદી જ મધુરતા છે. એનાં આપેલાં સુખદુઃખ અમે ભોગવીએ છીએ તેથી તારી સ્થિતિ સમજીએ છીએ અને તને તેમાંથી ઉગારીશું. અમારા સ્નેહનું પરિણામ શ્રી અલખમાં આવે છે તે સાંભળ અને જો સ્નેહ કરે તો અમારાં જેવો જ રાખજે. દુઃખ, શ્રમ, ઈત્યાદિ વિચાર છોડી દે અને અમે જે પ્રદેશમાં તને લઈએ છીએ તેના પ્રેમનું કીર્તન સાંભળ.’

વામની કુમુદના સામી ઊભી રહી જરીક નૃય કરતી ગાવા લાગી, બસંરી તેમાં રાગ ભેળવવા લાગી અને મોહની સાજકનો સ્વર ભેળવવા લાગી.

‘જોની સુંદરી મૈયા અલખની !

સુંદર લખરૂપ તું !

નાચી રહી માયા લખતણી,

તેમાં મન્મથશર તું !- જોની

હ્ય્દય કોરે, મૈયા, પુરુષનાં

પીતી લખરસપાન તું,

એ રે હ્ય્દયમાં સરી જતાં

ઘર અલખનો પ્રકાશ તું !- જોની

વામનરૂપ પણ કિન્નરકંઠી સાધુસ્ત્રીનું ગાયન મોહનીની સાજકના કોમળ સ્વરમાં ભળ્યું. એના જ વામન પણ ચતુર ચરણનું નૃત્ય અને લાલિત્યકળાવાળા શરીરના હાવભાવ એક થઈ ગયા અને કંઠ અને તંત્રી ઉભયના સ્વરોને પોતાનામાં લય પમાડવા લાગ્યા. ગાય છે કોણ ને વગાડે છે કોણ ? ગવાય છે શું ને વાદિત્રમાં ઉતારાય છે શું ? બે સ્વર બોલે છે કે એક ?કંઠ બોલે છે કે તંત્રી ? આ સર્વ પ્શ્ન નિષ્ફળ થાય, પ્શ્નો સૂઝે જ નહીં-એમ ગાયનસામગ્રીનો સંવાદ થયો. નવા પ્રાતઃકાળનું કોમળ તેજ, મંદ પવનની મિષ્ટ શીતળ લહરી અને અનેક સ્વર અને ચિત્રોથી ભરેલા પણ સજીવ એકાકાર પટ જેવા લાગતા ગિરિરાજનો આનતિપ્રદેશ-એ સર્વ સંગીતની આ મધુર કલિકાના પ્રસરતા પરાગથી તન્મય થવા લાગ્યાં. સર્વ સાધું સ્ત્રીઓ તેના પવિત્ર રમણીય આનંદમાં ક્ષણવાર લીન થઈ ગઈ- નવીન રસથી ધૃર્ણાયમાન થવા લાગી. પણ તે જ પદાર્થો કુમુદસુંદરી ઉપર ભિન્ન અવસ્થાનું નિમિત્ત થઈ પડ્યાં. વામનીના સંગીતમાંના લખ-અલખમાં તેને કંઈ સમજણ પડી નહીં, પણ તેમાં દર્શાવેલાં પ્રેમાળ સ્ત્રીના ઉત્સાહનાં મર્મ એના મર્મને અચિંત્યાં વલોવવા લાગ્યાં. ક્ષણ ભુલાઈ ગયેલો પુરુષ ક્ષણમાં પાછો સ્ફુરી આવ્યો. એ પુરુષના પ્રિયતમ અભિલાષો પ્રથમાવસ્થામાં રસ અને ઉત્સાહથી પોતાના કાનમાં અને હ્ય્દયમાં ભરાયા હતા, એ અભિલાષ સિદ્ધ કરવાની શક્તિવૃત્તિવાળા સમર્થ સ્વામીની સાથે પ્રાણયાત્રા અને લોકયાત્રા કરી, તેની સહધર્મચારિણી થઈ, તે સહચારકાળે ઉચ્ચાભિલાષી વિદ્વાન પતિના હ્ય્દયમાં ગુપ્ત મંત્ર પ્રેરવાના પોતાને અભિલાષ થયા હતા તે કાળ સ્મરણમાં ખડો થયો. વિધાતાની વિચિત્ર ઈચ્છાથી આવા શુદ્ધ સ્નેહની સૃષ્ટિમાં લઈ જવા તત્પર થયેલો પ્રિયજન ઉદાસીન થઈ ગયો, તેને સ્થાને માત્ર કામદેવના મંદિરમાંનાં અને ગૃહસંસારમાંનાં સ્વપ્ન દેખાડનાર પતિનો જ યોગ થયો, એ પતિ પણ શત્રુ થયો, એ સ્વપ્ન પણ નષ્ટ થયાં, અને નેત્રના પલકારા જેટલા કાળમાં કંઈ કંઈ અનુભવ અને ચમત્કાર જોવા પડ્યા-આ સર્વ ચિત્ર વામનીના ગાને કુમુદના ચિત્તમાં ઊભું કર્યું. સુવર્ણપુરથી નીકળવું શું ? બહારવટિયામાંથી બચવું શું ? નદી શી ? સમુદ્ર શો ? ચંદ્રવાલી શી ? આત્મહત્યા શી ? તેમાંથી બચવું શું ? વર્વત શો ? આ નવી યાત્રાનો આરંભ શો કરવો ? સરસ્વતીચંદ્ર સાધુઓમાં જવા શા ? તેના ઉપર તેમના ગુરુનો પક્ષપાત થવો શો ? એની પાસે હવે જવાની પોતાની વૃત્તિ શી થવી ? પોતે જઈને શું કરવાની હતી ? -ઈત્યાદિ અનેક પ્રશ્નો - સંકલ્પવિકલ્પો- ચોપાસ દેખાતા પથરાઓ પેઠે તેની પાસે ખડા થયા. એ પથરાઓ કાંઈ કામના ન હતા. ભાંગે નહીં એવા કઠણ હતા. હવે એના ઉપર ચાલવું અનિવાર્ય હતું. અને કોમળ પગને તે ખૂંચે એમાં તો નવાઈ શી ? પોતાના વિચાર-પ્રશ્ન પણ કામના ન હતા, ઉત્તરે મળે નહીં એવા કઠણ હતા, અનિવાર્ય હતા અને કોમળ હ્ય્દયને અનેક શલ્યતુલ્ય હતા. વામનની ગાયનમાં વચ્ચે વચ્ચે સ્વર લંબાતા ત્યારે કુમુદના મનમાં આ વિચારો ઊઠતા. ગાયનકાળે દીવાની વાટ પેઠે સંકોરાતા અને તેને લીધે જ પાછા સ્થિર જવલમાન થતા, અને સાજકના સ્વરથી કંપતા. બોલ્યાચાલ્યા વિના સ્તબ્ધરૂપે અને મૌનથી એણે સર્વ સાંભળ્યા કર્યું પણ પોતાના ચિરાતા હ્ય્દયની ચીસો અનાહત નાદ પેઠે સંભળાવા લાગી અને નેત્રોમાંથી અશ્રુધારા ચાલવા લાગી.

ગાયન અને નૃત્ય થઈ રહ્યું ત્યાં ભક્તિમૈયા ઊઠી અને ઊભેલી વામનીની હડપચી ઝાલી બોલી ઊઠી : ‘વામની ! આ ગાન, આ સ્થાન, આ પ્રભાત અને આ સુંદર સ્વરૂપો -એ સર્વ શું શ્રીકૃષ્ણ પરમાત્માની રાસલીલા નિરખાવવા યોગ્ય નથી ?’

આનો ઉત્તર મળતાં પહેલાં તો માર્ગનો વાંક ઓળંગી સરસ્વતીચંદ્રને લઈ વિહારપુરી અને રાધેદાસ ઊતરી આવ્યા. સ્ત્રીમંડળને જોઈને તેઓ સ્તબ્ધ થઈ સંકોચાઈ ઊભા. તેમને જોઈ સ્ત્રીઓ પણ વીજળીની ત્વરાથી સાવધાન અને સ્વસ્થ થઈ ઊભી. ભક્તિમૈયા માર્ગ આગળ જરા આગળ આવી અને તેણે તથા રાધેદાસે યદુશૃંગના સાંકેતિક અભિવાદનનો ઉચ્ચાર કર્યો : ‘નન્દકો નન્દન એક આનંદ દેત હૈ !’ આ ઉચ્ચારની ગર્જના સરસ્વતીચંદ્ર અને કુમુદ વિના બાકીના સર્વ મંડળે કરી અને વધારી. તે ગર્જનાને કાળે તેમાં ન ભળેલાં બે જણાની દૃષ્ટિએ એકબીજા ઉપર સ્વાભાવિક રીતે વળી. ગર્જના તેનું જ કારણભૂત થઈ. ભગવાં વસ્ત્રમાં ઠંકાયેલો પ્રિયજન તેને શોધનારીથી અલક્ષિત કે અનભિજ્ઞાત રહી શક્યો નહી. કુમુદે તેને ત્વરાથી ઓળખી લીધો. સરસ્વતીચંદ્રે તેને જોઈ, મુખમુદ્રા અને અન્ય સર્વાકારથી દૃષ્ટિ આગળ કુમુદસુંદરી જ ઊભી લાગી ; પણ આ સ્થાને એ હોવાનો સંભવ કોઈ પણ રીતે નથી એમ પણ સર્વરૂપે ઈષ્ટ પ્રતિમા જણાઈ તેના ભણીથી નયનને નિવૃત કરવા હ્ય્દયની શક્તિ રહી નહી, અને એ પ્રવૃત્તિનિવૃત્તિનો પરસ્પરવિરોધ ટાળવા કુમુદનાં અશ્રુપૂર્ણ નેત્રના દૃષ્ટિપાત અશક્ત નીવડ્યા.

શ્યામાસ્વડં ચકિતહરિળીપ્રેક્ષળે દૂષ્ટિપાતમ્‌

વકત્રચ્છાયાં શશિની શિખિનાં બર્હભારેષુ કેશાન્‌ ।

ઉત્પશ્યામિ પ્રતનુષુ નદીવીચિષુ ભ્રુવિલાસાન્‌

હન્તૈકસ્મિન્‌ ક્વચિંદપિ ન તે ચળ્ડિ સાદૂશ્યમસ્તિ ।।૮

વિયોગી નાયકોને જેનું સર્વદૃશીય સાદૃશ્ય આમ જડતું નથી તેવા જનનું સર્વતઃ સાદૃશ્ય આ સ્થાને જોઈ સરસ્વતીચંદ્ર સ્તબ્ધ થયો, સ્થિર થયો અને માત્ર દૃષ્ટિને અસ્થિર રહેવા દઈ ઊભો રહ્યો. યદુનંદનની ગર્જનાઓ શાંત થઈ એટલામાં સર્વ વિચારો અને વિકારો ગર્જનામાં ન ભળતાં શાંત રહેનારનાં હ્ય્દયમાં અને શરીરમાં આવા ઉન્માદ રચી રહ્યા. સાધુજનોના મુખમાં ગર્જના હતી અને હ્ય્દયમાં શાંતિ હતી. આ બે સંસારીજનોના હ્ય્દયમાં મંથન હતું અને મુખ ઉપર દેખીતી શાંતિ હતી.

આ હ્ય્દયમંથનનું કારણ થયેલી ગર્જના બંધ થઈ તેટલામાં કુમુદ વિના સર્વ સ્ત્રીમંડળ પુરુષોને ઘેરીને ઊભું અને પ્રશ્નોત્તર થવા લાગ્યા.

ભક્તિ - ‘વિહારપુરી ! ગુરુજીના નવીન જૈવાતૃકને લઈ કયા પ્રદેશમાં અલખ જગાવવા જાઓ છો ?’

વિહારપુરી -‘સુરગ્રામનાં પવિત્ર રમણીય સ્થાન એમને દેખાડવાં એવી ગુરુજીની આજ્ઞા છે.’

વામની - ‘નવીનચંદ્રજી તે આ જ કે ?’

કુમુદ જાણતી છતાં પળવાર કંપી.

વિહારપુરી -‘હા, એ જ.’

મોહની -‘ભવ્યતા અને સુંદરતાનો સંયોગ પુરુષવર્ગમાં આજે જ પ્રત્યક્ષ કર્યો. વિહારપુરી ! કંઈ કંઈ જનોની રમણીય લખ વાસનાઓની આશાઓને નષ્ટ કરી સ્ત્રીદૃષ્ટિથી આ રૂપને પરોક્ષ કરવું ગુરુજીએ શાથી ઉચિત ધાર્યું ?’

કુમુદના હ્ય્દયનો નિશ્વાસ મુખબહાર સાકાર થયો - પ્રત્યક્ષ થયા લાગ્યો. એની અંતરની જિજ્ઞાસાને ઈષ્ટ જ્ઞાનને માર્ગે જવાનું વાહન મળ્યું. નીચી રહેતી દૃષ્ટિને પાંપણોમાંથી ઊંચી વળવા દઈ એ વિહારપુરીના મુખ ભણી જોવા લાગી.

વિહારપુરી સ્મિત કરી બોલ્યો : ‘મોહનીમૈયા ! એક સૃષ્ટિથી બીજી સૃષ્ટિને પરોક્ષ કરવી એ કામ તો શ્રી યદુનંદનની માયાનું છે. ગુરુજી તો માત્ર અધિકારીઓને શ્રી અલખનું સ્વરૂપ પ્રત્યક્ષ કરાવે છે ; અને સૂર્યના પ્રકાશથી ચંદ્ર અને તારાનો પ્રકાશ આછો થઈ જાય છે તેમ અલખના પ્રકાશથી લખ સૃષ્ટિ શાંત થવી ન થવી એ તો એ પ્રકાશના અને અધિકારીના બુદ્ધિક્ષેત્રના સંયોગનું પરિણામ છે. ગુરુજી એ વાતમાં સર્વદા તટસ્થ જ રહે છે.’

બંસરી -‘ત્યારે શું કદંબમાં અલખ રહી ગોપિકાજનના હ્ય્દયને અવશ કરનાર કૃષ્ણસ્વરૂપના અલખ જ્યોતિનું લખ ગાન આ પુરુષના હ્ય્દયમાં ઊતરી શક્યું છે ?’

વિહાર -‘બંસરી ! ગુરુજી પાસે આવતા પહેલાંથી જ એ બંસરી એ હ્ય્દયમાં પહોંચેલી જણાઈ છે.’

આ ઉત્તરથી કુમુદ વિના સર્વ સ્ત્રીઓનાં હ્ય્દય તૃપ્ત થયાં. કુમુદનું હ્ય્દય તો અધિક તપ્ત થયું. બંસરીએ સરસ્વતીચંદ્રને પ્રણામ કર્યા અને શરમાતી શરમાતી બોલી : ‘સાધુજન !પુરુષ અને સ્ત્રી એ એક જ વૃક્ષ ઉપર ઊગતી ન્યારી ન્યારી કુસુમકલિકાઓ છે. તેમનાં રંગ અને સુવાસ ન્યારાં છે પણ તેમનો પરસ્પર સહચાર અને ધર્મનો ધરનાર અને અનેક ફલતો દાતાર થાય છે. એ સહચારનું મધરમાં મધુર સ્વરુપ તમે સાધો એવો અમારો આશીર્વાદ છે.

મોહની - ‘એવું સુંદરમાં સુંદર સ્વરૂપ તમે સાધો એવી મારી આશિષ છે.’

ઉભય સુંદરીને સરસ્વતીચંદ્ર માત્ર મસ્તક નમાવી મંદ સ્મિત વડે ઉત્તર આપ્યો. આભાર માન્યો.

વામની હસતી હસતી બોલી : ‘વિહારપુરી ! દક્ષિણામૂર્તિ પેઠે મૌન ધારી સ્મૃતિ કરતા આ અતિથિનો અને સુંદરગિરિનો સહવાસ કેટલો ધાર્યો છે ? ગિરિરાજના કયા શૃંગ ઉપર અને કયા ધામમાં એમનો નિવાસ કલ્પ્યો છે ?’

રાધેદાસ - ‘વામનીમૈયા ! શ્રવણમનન કરતાં અતિથિના મનમાં સુંદરગિરિ સુંદર ભાસે ત્યાં સુધી એ બેનો સહવાસ છે. હાલ તો એ ગુરુજીના અંતેવાસી ૯ છે. કાળક્રમે અનેક શૃંગોમાંથી જે ધામ ઉપર એમનો પક્ષપાત થશે ત્યાં એ વસશે.’

વામની -‘પણ એમના સ્વરકંઠમાંથી કોઈ શબ્દનો ઉદ્‌ગાર અમને લખ થઈ શકશે કે નહીં ? સહવાસ એમની ઈચ્છા ઉપર ગુરુજીએ રાખ્યો તે ઉચિત છે. પણ એમની ઈચ્છાને જાણવી તો બાકી રહી.’

સરસ્વતીચંદ્રને હવે ઓઠ ઉઘાડ્યા વિના છૂટકો રહ્યો નહી. તેનાં નેત્ર કુમુદભણી તણાતાં હતાં, હ્ય્દય અંતરમાં ને અંતરમાં જ વળતું હતું, છતાં ભૂમિકાને ઉચિત વેશ ભજવવો એ જ ઉચિત થયું. નેત્ર વશ કરી તે ધીમે ધીમે સ્મિતપૂર્વક બોલ્યા :

‘અલક્ષ્યના ભક્તિયોગમાં મગ્ન આર્યાઓ બોલાવશે ત્યારે આ શરીરને બોલવામાં જ સુંદરતા લાગશે. સાધુજન ! ગુરુજીએ આ શરીરને જીવનનું દાન કરેલું છે, ત્યારથી એ શરીર તેમની ઈચ્છા જ વશ છે. આ ગુરુરાજ જેવો નામમાં અને દર્શનમાં સુંદર છે તેવી જ એની જડ-ચેતન સમૃદ્ધિ સુંદર છે. તે સર્વ સુંદર વસ્તુમાંથી અને સુંદર સ્થાનોમાંથી કોનો કેટલો સહવાસ મને આપવો એ વિચાર ગુરુજી જ કરશે અને તેમની વૃત્તિ તે જ મારી પ્રવૃત્તિ સમજવી.’

વામની -‘વાહ, વાહ, નવીનચંદ્રજી ! સુંદર છો અને સુંદર બોલો છો.’

ભક્તિ -‘એવું સુંદર બોલે છે કે તે સુંદરતાથી લેવાયેલી વામનીને પોતાના પ્રશ્નના ઉત્તરમાં કાંઈ મળ્યું નથી છતાં બધું મળ્યું હોય તેમ તૃપ્ત થઈ ગઈ. સુંદરતાનો પ્રભાવ એવો જ લખ થાય છે. વારુ રાધેદાસ ! તમે સુરગ્રામમાં રાત્રિ ગાળવાના છો કે ગિરિરાજ ઉપર ? આ પ્રશ્નનો ઉત્તર આપવો તે તો તમારા હાથની જ વાત છે.’

રાધેદાસ -‘તમે હાર્યા. એ બે સિવાય ત્રીજું સ્થાન શું રાત્રિ ગાળવાને માટે નથી ?’

સ્મિતપૂર્વક શરીર ઉછાળી વામની બોલી : ‘હા ! હા ! એ તો ભક્તિમૈયા ભૂલ્યાં. ચંદ્રાવલીનાં માજી વિહારપુરીના હ્ય્દયમાં ઊતરે તો એ ત્રીજું સ્થાન ખરું.’

સર્વ સાધુ સ્ત્રીઓ સ્મિત કરવા લાગી. વિહારપુરી ગંભીર થઈ બોલ્યો : ‘રાધેદાસ ! સુંદરતાના વિવાદમાં સ્ત્રીજન જીતે એ સ્વાભાવિક છે. એ વિવાદમાં પડવું એ આપણા ધર્મનો અતિક્રમ કરાવે એવો માર્ગ છે. એ છોડી આપણે અતિથિને લઈ માર્ગે પડીએ એ જ હવે વધારે ઉચિત છે.’

વામની -‘સુંદરગિરિ ઉપર ચરણ મૂકી સુંદરતાનો તિરસ્કાર કરવો એ કૃતધ્નતા છે.’

વિહારપુરી -‘સત્ય છે. માટે જ સુંદરતાનો પૂર્વપક્ષ સુંદરીઓની પાસેથી શ્રવણ કરવાનું રાખી અમે કર્કશ પુરુષો તેનો ઉત્તર પક્ષ છોડી દઈએ છીએ. વામનીમૈયા ! દિવસ ચડશે અને ભગવાન સૂર્યનારાયણ તપશે અને શિલાઓને તપાવશે ત્યારે બીજા કોઈના ચરણને નહીં તો જે પુષ્પલતાને લઈ તમે જાઓ છો તેને કરમાવી નાખશે માટે હવે આપણે પોતપોતાને માર્ગે પડીએ.’

‘પુષ્પલતા’ શબ્દ ઉચ્ચારતાં કુમુદ ભણી આંગળી કરી. સ્ત્રીમંડળની દૃષ્ટિ એણી પાસ ગઈ અને દૃષ્ટિ જતાં એનું મ્લાન વદન સર્વને ચિંતાનું કારણ થઈ પડ્યું. પુરુષો સાથેનો વિનોદ મૂકી સર્વ કુમુદ ભણી વળ્યાં. તેઓ તેમ જતાં યદુનંદનની ગર્જના કરતા ઉભય સાધુઓ અતિથિને લઈ માર્ગે પડ્યા. ‘જી મહારાજ ! આ માર્ગે નહીં-આણી પાસ’ કરતા કરતા સાધુઓ અદૃશ્ય થયા. તેમની પાછળ ચાલતા સરસ્વતીચંદ્રના નેત્રન્દ્રિયનાં મૂળ આગળના તંતુ કુમુદ ભણી સ્થિર રહ્યાં, પણ નેત્રની બાહ્ય કીકીઓ માર્ગની દિશામાં બળથી વળી અને તેને કુમુદ પરોક્ષ થઈ. માત્ર ‘મધુરી ! બેટા મધુરી!’ એટલા શબ્દો બે વાર કર્ણમાં પેઠા અને પછી તેના ભણકાર રણકારો કરી રહ્યા. સર્વ સ્ત્રીઓ પોતાની પાસે આવી છતાં કુમુદની દૃષ્ટિ હઠ કરી યોગીઓની પાછળ જ ગઈ, સરસ્વતીચંદ્રના પગના પાછલા ભાગમાં ઠરી, પગ અદૃશ્ય થતાં તેના અંચળા ઉપર ચડી, તે અદૃશ્ય થતાં તેના મસ્તરના પાછલા ભાગમાં ઠરી, અને તે અદૃશ્ય થતાં આંસુની ધારાઓમાં ઢંકાઈ જાતે અદૃશ્ય થઈ. સાધુજનોના કોમળ દયાળુ પ્રશ્નોનો ઉત્તર આપવાને સાટે તે વિકળવદનથી તેમના સામું જોઈ રહી. સર્વ સ્ત્રીઓ એકબીજાના સામું જોતી જોતી, પળવાર એકબીજાની સાથે ધીમે ધીમે કંઈક ચિંતાતુર વાતો કરતી કરતી એકમત થઈ, અને તેને અંતે ભક્તિમૈયાએ કુમુદને ઉપાડી લીધી, છાતીસરસી દાબી દીધી, અને જાતે પગે ચાલવાના હેતુથી એની પાસેથી ઊતરી પડવાના કુમુદના શરીરના આગ્રહી પણ કોમળ પ્રયાસને નિષ્ફળ કરી દઈ ઊંચા બલવત્‌ શરીરવાળી ભક્તિ અન્ય સ્ત્રીઓ સાથે ગિરિરાજ ઉપર ચડવા લાગી.

આ તરસ્થાન સુધી આવતાં જેટલો મોટેથી તેમનો વિનોદ ચાલતો હતો તેટલી જ ધીમેથી અત્યારે એમની પરસ્પર ગોષ્ઠિ અટકી જરી જરી થતી હતી અને તેમાંથી કંઈક શબ્દો ભક્તિના ખભા ઉપર પડેલી કુમુદના કાનમાં જતા હતા.

‘તારામૈત્રક જ!’ બંસરી મોહનીના કાનમાં ભણી.

‘આંખના તારાઓનું કે આકાશના તારાઓનું ?’ તેમના મુખ અને કાન વચ્ચે માથું ઘાલતી પગથી પાની ઉપર ઊંચી થતી થતી વામની ઉતાવળું પણ ધીમેથી બોલી.

તેને ખસેડી નાખતી બંસરી ગણગણી : ‘નક્ષત્રોનું મૈત્રક તો નક્ષત્ર જાણે, પણ કીકીઓને તો બળવાન વ્યાધિ લાગ્યો.’

વામની વળી ઊછળી અને તેમના કાનમાં બોલી : ‘વ્યાધિ લાગ્યો, આધિ લાગ્યો, લાગ્યો મદન ઉપાધિ.’

મોહની સર્વને ખસેડી આંસુ સાથે બોલતી સંભળાઈ : ‘શ્રીકૃષ્ણ પરમાત્મા કરે તે ખરું. ક્યાં એ યોગીનો યોગ અને ક્યાં આની પ્રીતિની મધુરતા ?-બાકી તારામૈત્રક તો નિસંદેહ જ !’ નિશ્વાસ મૂકતી મોહની ભક્તિની પાછળ ચાલી.

સર્વ ચાલી. તેમના મુખમાં ગોષ્ઠિના અનેક શ્લોકના ઉદ્‌ગાર થતા હતા.

મોહની - ‘દક્ષિણાનિલ જેવા મધુર યોગી !’

‘લવડલતિકાભડદયાલુર્દક્ષિળાનિલઃ ।

કથમુન્મૂલયત્યેષ માનિનીમાનપર્વતાન્‌ ।।’૧૦

વામની - ‘રાત્રિએ જે પુરુષનું નામાદિ શ્રવણ કર્યું તે આ જ ! યોગી છે તો યે તે આ જ !’

‘લતાં પુષ્પવર્તી સ્પૃ સ્નાતો વિમલવારિળા ।

પુનઃ સંપર્કશડીવ મન્દં ચરિત મારુત : ।।’૧૧

આ સાંભળતાં જ ભક્તિના ખભા ઉપર કુમુદે નેત્રકમળ ઉઘાડ્યાં જણાયાં. ત્યાં બંસરી ઉત્સાહમાં આવતી બોલી :

‘નિસર્ગસૌર મોદભ્રાંતભૃડસંગીતશાલિની ।

ઉદિતે વાસરાધીશે સ્મેરાડજનિ સરોજિની ।।’૧૨

કુમુદને એક ખભેથી બીજે ખભે ફેરવતી ફેરવતી સામે ઉદય પામેલું સૂર્યબિંબ જોઈ રહી, ભક્તિમૈયા બોલી :

‘ક્ષળમયમુપવિષ્ટઃ ક્ષ્માતલન્યસ્પાદઃ

પ્રળતિપરમવેક્ષ્ય પ્રીતમહ્યાય લોકમ્‌ ।

ભુવનતલમશેષં પ્રત્યવેક્ષિળ્યમાળઃ

ક્ષિતિધરતટપીઠાદુત્થિતઃ સપ્તસપ્તિં ।।’૧૩

‘એ સૂર્ય ક્ષિતિધર પર પાછો આવશે - મૈયા, આવશે. મધુરીને હવે મારે ખભે આપો.’ એમ કહેતી કહેતી મોહનીએ કુમુદના શરીરને લેવા હાથ અરકાડ્યા. તેનો લાભ લઈ જાતે ચાલવા ઊતરી પડવા ઈચ્છતી, પોતાની પળવારની અવશતા સ્મરી, શરમાતી કુમુદ બોલી :

‘મૈયા ! તમારે હાથે પરસેવો વળ્યો છે. મને હવે ઊતરવા દો અને અમૃતપાન કરાવતા સર્વ શ્લોક ફરી ફરી સાંભળવાદો.’

‘મધુરી ! એ પરસેવો તારો પોતાનો છે - મારો નથી....’

૧.ઢોળાવ.ૈહષ્ઠઙ્મૈહી, ખ્તટ્ઠિઙ્ઘૈીહં.

૨.માળિયું, રજોટિયું, કાતરિયું.ર્ન્કં

૩.વળવું, વાકું જવું, ષ્ઠેદૃિી

૪.માર્ગમાં ઊતરવાનાં સ્થાન, ન્ટ્ઠહઙ્ઘૈહખ્ત ઙ્મટ્ઠષ્ઠી; ચડતાં ઊતરતાં બેસવાની જગાઓ.

૫.મ્ટ્ઠિષ્ઠૈહખ્ત

૬.‘ભરથરી’ (ભર્તુહરિના અનુચર) લોકમાં સાજક નામની સારંગી ઘણુંખરું વપરાય છે.

૭.‘જનની જીવો રે ગોપીચંદની’-અને ‘જોગ લીધો રાજા ભરથરી’- એ રાગ.

૮.મોઘદૂત.

૯.પાસે વસનાર, શિષ્ય.

૧૦.સવંગની લતાનો ભંગ કરતાં જેને દયા આવે છે એવો આ દયાળુ દક્ષિણાનિલ માનિનીના માનપર્વતનું ઉન્મૂલન કેમ કરતો હશે ? (પ્રકીર્ણ શ્લોક)

૧૧.પુષ્પવતી લતાના સ્પર્શથી અભડાઈ, વિમલ જલથી નાહી, ફરીને રખે સંસર્ગ થાય એવી શંકાથી આ પવન મંદ મંદ ચાલે છે. (પ્રકીર્ણ)

૧૨.સ્વાભાવિક સુગંધથી આકર્ષાયેલા ભ્રમરના સંગીતની શ્રીથી શ્રીમતી કમલિની દિવસપતિ ઉદય પામતાં, સ્મિત કરવા લાગી. (પ્રકીર્ણ)

૧૩.પૃથ્વીતલ ઉપર મૂકી ક્ષણવાર (પર્વતતટ ઉપર) બેઠેલો આ સૂર્ય પોતાને પ્રણામ કરવામાં વ્યાપૃત થયેલા પ્રીતિથી પ્રસન્ન થયેલા લોકોને ઉતાવળથી જોઈ લઈ, નીચે ઊભેલા બાકીના અવશેષ ભુવનતળને ઉપરથી, સામેથી, જોઈ લેવાને માટે, પર્વતના તટ ઉપરથી આ ઊઠે છે ! (પ્રકીર્ણ)