Shikshan Samasya books and stories free download online pdf in Gujarati

Shikshan Samasya

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : શિક્ષણ - સમસ્યા
શબ્દો : 1027
સજેસ્ટેડ શ્રેણી : સામાજિક / જનરલ / શિક્ષણ

શિક્ષણ - સમસ્યા

આમ જોવા જઈએ તો શિક્ષણ સાથે આપણાં સૌ કોઈ નો નાતો આજીવન નો જ હોય છે, કારણ મનુષ્ય ગમે તેટલો મોટાં હોદ્દા પર નિયુક્ત થાય કે પછી તેનાં જીવનની કોઈ અંગત વાત હોય એનું શિક્ષણ જ એને યોગ્યતાથી ટકી રહેતાં શીખવે છે. મારાં કાકીજ પણ શિક્ષક જ હતા અને મને કાયમ એક જ વાત કરે કે દિકરા ગમે તેવા કપરા સંજોગ આવે આપણું ભણતર જ આપણને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ જીવતાં અને રસ્તો કરતાં શીખવશે, પરંતુ આ તો થઈ શિક્ષણની અગત્યતાની વાત પરંતુ હજુ શિક્ષણ જગતની નાનકડી પરંતુ વરવી એવી એક વાસ્તવિકતા છે કે ગામડું હોય કે શહેર શિક્ષણ બાબતે સમસ્યા જ કેમ ?

કોઈપણ વ્યક્તિ હોય આર્થિક રીતે સધ્ધર થવાથી તો તેને કામચલાઉ સફળતા મળશે, કારણ રૂપિયો છે ત્યાં સુધી એને કોઈ મુશ્કેલી નથી પરંતુ જો વ્યક્તિ શિક્ષિત હશે તો ગમે તેવી કપરી આર્થિક સમસ્યાને કહે છે ને કે પત્થર તોડીને પાણી કાઢે તેમ રસ્તો કાઢી શકશે અને ખરેખર શિક્ષણની હિંમત જેવી બીજી કોઈ હિંમત નથી હોતી. પરંતુ અત્યારનો સમાજ મસ્ત છે પોતપોતાની જીવન વ્યવસ્થા સાચવવામાં પરંતુ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો, આપણે અત્યારે પોતપોતાની વ્યસ્તતામાં એટલાં ડુબેલાં છીએ કે શિક્ષણપ્રથા વિશે વિચારવાનો આપણને ક્યારેય સમય જ મળતો નથી, પરંતુ એકવાર અવશ્ય વિચારજો, કારણ શહેર હોય કે ગામડું જો શિક્ષણ સબળ હશે તો જ દેશ ની ઉન્નતિ છે.

શહેરીકરણ આપણને જેટલું ઉન્નત બનાવે છે એટલું ને એટલું ગામડાંઓ તૂટતાં જાય છે જે એક વિચારમાંગી લે એવી સમસ્યા છે... આપણો ભારતદેશ તો આમ જોવાં જઈએ તો મૂળે ગામડાનો જ દેશ છે એમ કહેવું ઉચિત હતું પરંતુ હવે એવું રહ્યું નથી... શહેરો તરફનું આકર્ષણ અમુક અંશે સાચુ તો વળી અમુક અંશે ખોટું પણ સાબિત થાય છે... અહીં વાત ચાલે છે શિક્ષણની તો સર્વપ્રથમ એકવાત કે પહેલાં ગામડાંનો વિદ્યાર્થી હોય કે શહેરનો વિદ્યાર્થી બેનાં ગુણોમાં અને શિક્ષણમાં વધુ ફર્ક નહોતો જણાતો... પણ હવે દરેક વાતે આધુનિકરણ આવી ગયા અને એટલે પ્રમાણમાં શહેરનાં વિદ્યાર્થી કરતાં ગામડાંનાં વિદ્યાર્થીનું સ્તર ઘણું ઉતરતું સ્પષ્ટ જણાઈ આવે છે. અરે મોટાંભાગનાં સ્થળાંતરો શિક્ષણનાં હેતુથી જ થાય છે અને પછી શહેરની રહેણીકરણી એટલી તો માફક આવી જાય છે કે કોઈને ગામડે પરત ફરવુ નથી હોતુ... આતો થઈ માત્ર શહેરીકરણની વાત પરંતુ મૂળ તેનાં ઘણાં ઊંડા છે...
આમ જોવાં જઈએ તો શિક્ષણની પાયાનાં પરિબળો છે વિદ્યાર્થી.. શિક્ષક અને મહદ અંશે વાલી પણ ખરા.. ગામડામાં આ ત્રણેયની પરિસ્થિતિ શહેર કરતાં તદ્દન વિપરીત છે , આવો તપાસીએ...


વિદ્યાર્થી :


શિક્ષણ કેવું પ્રાપ્ત કરવું તે સૌ પ્રથમ જેને તે મેળવવાનું છે તેની ધગશ પર આધાર રાખે છે.. અત્યારે જનરેશન જ એટલું આગળ છે કે વિદ્યાર્થી ગામડાનો હોય કે શહેરનો એ લોકોને પોતાની આસપાસ શું છે એના આધારે પણ તે શું શીખી શકશે એવું નક્કી કરી શકે તેટલી નિર્ણય શક્તિ આજના વિદ્યાર્થી પાસે છે જ.


ગામડાંઓની વાત કરીએ તો વાલીઓ ખાસ કોઈ ધ્યાન નથી રાખી શકતા બાળકોનું, તેઓની સ્થિતિ એકદંરે નબળી હોઈ ગમે તેટલું ધારવા છતાં પણ પોતાનાં કામનાં બોજાં હેઠળ જ પોતાનું બાળક શું ભણી રહ્યું છે તેનુંધ્યાન રાખી શકતા નથી અને કદાચ જો ધ્યાન રાખી પણ લે છતાંય પણ પોતાનાં બાળકની અભ્યાસની જરૂરિયાતો ને પહોંચી વળતા નથી.


શહેરોમાં બિલકુલ ઉલટી પરિસ્થિતિ છે.. અહીં વાલીઓ પોતપોતાની રોજિંદી ઘટમાળ અને કહેવાતી ફાસ્ટ લાઈફમાં એટલાં તો ડૂબેલાં છે કે પોતાનાં સંતાનો શાળામાં શું કરીને આવ્યા તેનું ધ્યાન રાખવા અક્ષમ છે.. પરંતુ તેઓનું વૈચારિક સ્તર ગામડાંનાં લેવલે ઘણું ઊંચું હોઈ સંતાનો માટે યોગ્ય ક્લાસીસ કે ટ્યુશનના માધ્યમથી તેની દેખરેખ રાખતા થયા છે...


આમ વિદ્યાર્થી દંડાય છે બંન્ને જગ્યાએ પરંતુ હા શહેરનાં માહોલમાં તેને વિકસવાની તક જરૂર મળે છે.

હવે વારો આવે છે શિક્ષકનો....


શિક્ષક :


શિક્ષણ પ્રવૃત્તિમાં જેટલું મહત્વ એક વિદ્યાર્થીનું છે એટલું જ મહત્વ શિક્ષકનું છે, ગામડામાં અને શહેરમાં શિક્ષકો પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.


ગામડાંઓમાં શિક્ષકો બહુ જલદી નોકરી કરવા તૈયાર થતાં નથી કારણ ગામડાંઓમાં આજનાં શહેરનાં જેટલી સવલતોનો અભાવ હોય છે તદ્દઉપરાંત ત્યાં શિક્ષક વધારાની એટલે કે પોતાનાં વ્યવસાયની ઉપલી આવક રળી પણ નથી શકતો અને શહેરોમાં આ બધી જ વસ્તુઓ તે આસાનીથી મેળવી શકે છે મોટાંભાગનાં શિક્ષકો બસ આ જ કારણોસર ગામડાંમાં રહેવા રાજી હોતાં નથી. અને ગામડાંનો શિક્ષક જો ગામડાંમાં રહેવા રાજી થઈ પણ જાય તો એ વ્યવસાયે શિક્ષક હોવાં છતાં પણ ગામડાંની રૂઢિચુસ્ત પ્રણાલીમાં ઢળી જાય છે..તો વળી ક્યારેક શાળની પોતાની જવાબદારીઓ પણ પ્રમાણિકતાથી નિભાવતો નથી...અને વિદ્યાર્થીઓ શિક્ષણનાં લાભથી મહદ્ અંશે વંચિત જ રહે છે... આથી ઉલટુ શહેરોમાં શિક્ષકો પોતાનાં વ્યવસાયને જ રોજગાર સમજી બેઠાં છે, શાળામાં જે શિક્ષક નાં ભણાવવાથી આજનો વિદ્યાર્થી 65% લાવતો હશે તે જ વિદ્યાર્થી તેનાં ક્લાસીસમાં જઈને 95% લાવતો થઈ જાય છે, અને શિક્ષણ તે એક પ્રાર્થના મટીને વ્યવસાય બનતો જાય છે... અને આવું જ જો ચાલુ રહેશે તો શિક્ષણ છે તે વિદ્યાનો વિષય મટીને માત્ર સ્પર્ધાત્મક વ્યવસાય બનીને જ રહી જશે.


હવે વારો આવે છે વાલીનો


વાલી:


બાળકનાં શિક્ષણ માટે જો તેનાં પાલનકર્તા જ સાવધ નહીં હોય તો પછી બાળકોમાં એ સંસ્કાર ક્યાંથી આવી શકે... વાત ગામડાની હોય કે શહેરની એક વાત સ્પષ્ટ છે કે કોઈપણ વાત શીખવા માટે મનુષ્ય ક્યારેય નાનો નથી હોતો... જો માતાપિતા ભણેલ નહીં હોય તો અમે નથી ભણ્યા માટે બાળકને પણ વધુ ભણવાની જરૂર નથી એવું વિચારશે તો સમાજ ક્યારેય આગળ નહીં આવે. અરે માતાપિતાને તો બાળકનાં ભણતર ને લઈને એની અને શિક્ષકની વચ્ચે મધ્યસ્થી થઈને રહેવાનું છે. ગામડું હોય કે શહેર મારું બાળક સારો અભ્યાસ પામે અને એ માટે એને ઘરમાં યોગ્ય વાતાવરણ મળી રહે તે અત્યંત આવશ્યક છે, જેમ કે બાળક કોઈ બાબતે પ્રગતિ કરે તો તેને વધાવવું... પ્રોત્સાહન આપવું... જરૂરી નથી કે કોઈ વસ્તુ લાવીને એને ભેટ આપશો તો જ એ ખુશ થશે, પરંતુ જીવન મૂલ્ય સમજાવતી બે પ્રેમની વાતો કરશો કે બેટા આ ખરેખર ખૂબ જરૂરી છે અને અમને તારા પર ગર્વ છે.. બસ પછી કંઈ જ કહેવાપણું નહીં રહે.. અને આ સમજણ વિકસાવવા માટે ગામડાંનાં કે શહેરનાં... ગરીબ કે તવંગર શું છીએ. જેને બિરદાવવાનું છે તે આપણું જ સંતાન છે અને એની માનસિકતાને આપણે એક વાલી તરીકે જેટલું સ્વસ્થ રાખી શકીશું અન્ય કોઈ આ કામ નહીં કરી શકે, અને પોઝિટીવીટી ખરેખર ઘણાં ખરાબ પરિણામોને દૂર કરી સારા અંત આદરી શકે છે, અરે આપણે જ આપણાં સંતાનોની હિંમત બનવાનું છે આપણે ક્યાંનાં છીએ એ અગત્યનું નથી પણ યાદ રાખીએ કે આપણે વાલી છીએ અને આપણાં દેશની આવતીકાલનાં ઘડવૈયાઓનાં રખેવાળ છીએ બસ આ જ તો જરૂરી છે... હું ય એક વાલી છું ઘણીવાર ગુસ્સે પણ થઈ જવાય છે પણ હા જ્યારે જ્યારે સમજાવટથી કામ લીધું છે સફળ રહી છું... આપ પણ કરી જુઓ... નિષ્ફળ નહીં જ થાવ એવો મારો અડગ વિશ્વાસ છે..


અસ્તુ,


- અર્ચના ભટ્ટ, પટેલ

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888