Sainikni shory katha - Kargil Yuddh books and stories free download online pdf in Gujarati

સૈનિકની શૌર્ય કથા : કારગિલ યુદ્ધ

સૈનિકની શૌર્ય કથા : કારગિલ યુદ્ધ

પાર્થ ટોરોનીલ

1999માં થયેલા કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિક, યોગેન્દર સિંહ યાદવની શૌર્ય કથા.

19 વર્ષીય ગ્રેનેડિયર યોગેન્દર સિંહ યાદવ લાશોના ઢગલા વચ્ચે પડ્યા હતા. એમની સાથે એમના બીજા ૬ સાથીદારો પણ હતા, જેમને દુશ્મનોએ અત્યંત બેરહેમીથી મારી નાંખ્યા હતા. એમના હાથ-પગ ધડથી જુદા કરી દીધા હતા. તેમના માથા બુલેટ્સથી એવા વીંધી નાખ્યા હતા કે એમને ઓળખી શકવા પણ અશક્ય હતા.

લાશોના ઢગલા વચ્ચેથી યોગેન્દરે ઊભા થવાની કોશિશ કરી, પણ તેમના ઘાયલ થયેલા પગ પર તે ઊભા ન થઈ શક્યા. ખુન્નસ ઘૂંટાતા પહાડી અવાજમાં તેમણે જોરથી ચીસ નાંખી... ટાઈગર હિલ પર એમની ચીસ અથડાઇને પડઘારૂપે આકાશમાં ગુંજી ઉઠી. એ વખતે એમને ખબર નહતી કે 12 બુલેટ્સ એમના ઘાયલ શરીરમાં ખૂંપી ગયેલી હતી. 6 બુલેટ્સ તો ખભામાં ઘૂસી ગયેલી હતી. જેના લીધે ખભા બેજાન થઈ ગયા હતા. હાડ-માંસના લોચા બહાર નીકળી આવ્યા હતા. ખભા હલતા ત્યારે અસહ્ય દર્દનો સણકો ઊઠતો. એમના પગ પર હેન્ડ-ગ્રેનેડ ફૂટી હતી એટ્લે એમનો પગ પણ ખાસ્સો ઘાયલ થઈ ગયો હતો. એમને પગમાં કશું જ મહેસુસ થતું નહતું. એમણે વિચાર્યું કે હવે બધુ જ ખત્મ થઈ ગયું હતું, પણ એમને ખબર નહતી કે બાકીનું ખરું યુદ્ધ તો હજુ એ રાત્રે ખેલાવાનું હતું.

***

1999માં જ્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું હતું એ સમયે યોગેન્દર સિંહ રજાઓ પર હતા. રીનાની સાથે લગ્ન થયે હજુ બે અઠવાડિયા જ વિત્યા હતા. 22 Mayએ લશ્કરની ટુકડીમાં શામેલ થવા નીકળ્યા ત્યારે પણ તેમના મનમાં રીનાનો ખિલખિલાટ હસતો ચહેરો આંખ સામે તરવરતો હતો. યોગેન્દરને યુદ્ધની કડવી સચ્ચાઈ અંગે ત્યારે ખ્યાલ પડ્યો જ્યારે 22 દિવસોની અંદર 2 ઓફિસર્સ, 2 જુનિયર્સ કમિશન્ડ ઓફિસર્સ, અને 21 જવાનોના મૌતના ગવાહ બન્યા.

લડાયક ઉપકરણોની મરામત કરવા અને પૂરતો આરામ કરવા યોગેન્દરને લશ્કરી ટુકડીમાં પાછા બોલાવી લીધા. ચાર દિવસમાં જ તેમને ટાઈગર હિલ પર હુમલો કરવાનો આદેશ મળ્યો. ટાઈગર હિલ ત્યાંની સૌથી ઊંચી ટેકરી હતી. પાકિસ્તાનીઓએ ત્યાં તેમની પોસ્ટ બનાવી લીધી હતી. બટાલિયનના કમાન્ડિગ ઓફિસર કર્નલ કુશલ ચંદ ઠાકુરે તેમના સૌનિકોને હુમલો કરવાના હેતુની જાણકારી બતાવી. તેમણે બટાલિયનના ઘાતક કમાન્ડોની ટુકડીને પહેલો હુમલો કરવાનો આદેશ આપ્યો. તેઓની કુલ 23 સાથીદારોની ટુકડી હતી. સામે એક મોટી ચટ્ટાન દેખાતી હતી. 90 ડિગ્રીના ખૂણે એના પર ચડવું ઘણું કઠિન કામ હતું. ચટ્ટાન પર ચડતા જવાનોને ખ્યાલ આવ્યો ચટ્ટાનની બંને બાજુ દુશ્મનની ચોકીઓ ગોઠવેલી હતી. એમણે બસ દુશ્મનની ગોળીઓથી બચતા બચતા ઉપર ચડવાનું હતું. વળતો હુમલો કરી શકાય એવું નહતું. તથા ત્યાંની ઠંડીથી બચવા પૂરતા ગરમ કપડાં પણ નહતા.

3 જૂન 1999ની એ અંધારી રાત હતી. શાંતિનો ભંગ કર્યા વિના તેઓ દોરડાઓ પર હાથ-પગ મૂકી ટાઈગર હીલ પર ઉપર ચડવા લાગ્યા. ઉપર ચડતા હવાની ગતિ વધી રહી હતી. ઠંડા પવનના સુસવાટાને લીધે અપૂરતા ગરમ કપડાની સખ્ત જરૂરિયાત વર્તાતી હતી. 18 ગ્રેનેડિયર્સ ટાઈગર હિલ પર પહોંચી ગયા બાદ મદદ કરવાવાળી ડેલ્ટા કંપની આવવાની હતી, પણ ત્યાં સુધીમાં ખૂબ મોડુ થઈ જવાનું હતું. ચટ્ટાનોની પાછળ સંતાઈ જઈને તેમણે દુશ્મનોની પરિસ્થિતિની બરોબર તપાસ કરી. તેમની બેગમાં 72 કલાકનું ભોજન હતું. કાજુ, સૂકી રોટલી-શાક, કિશમિશ, બદામ, ચા પત્તી અને દૂધનો પાવડર. કેટલાક જવાનોએ રસ્તામાં આવતા છેલ્લા ગામમાંથી પોતાના માટે કેટલાક બિસ્કિટ પણ ખરીદ્યા હતા.

નિંબાલકરે ઘાતક લશ્કરના જવાનોને થોડોક આરામ કરવા કહ્યું. થોડીક વાર પછી એ પોતે કેટલાક સાથીયોને લઈને દુશ્મનોની હિલચાલ નિરખવા નીકળી પડ્યા. બધુ જ શાંત માલૂમ પડતું હતું. પણ તેઓ જેવા 100 ગજના અંતર પર વધ્યાને તરત જ તેમના પર દુશ્મનોએ ગોળીઓનો વરસાદ વરસાવાનો શરૂ કરી દીધો. તેઓ એક એવી રેન્જ પર પહોંચી ગયા હતા જ્યાં દુશ્મનોએ બંને તરફ બંકર બનાવી રાખ્યું હતું.

એક ચટ્ટાનની પાછળ સંતાઈને તેમણે મદદ માટે કમાન્ડિંગ ઓફિસરને વાયરલેસ પરથી બધી માહિતી જણાવી દીધી. ઓફિસરે એમણે ચટ્ટાનોની પાછળ છુપાઈને હુમલો ન કરવાનો હુકમ આપ્યો. આરામ ફરમાવતા સૌનિકો તરત જ હુમલા માટે તૈયાર થઈ ગયા. હુકમ મળતા જ તેમણે મિસાઇલમાંથી ગોળા છોડી દુશ્મનોનો ખાત્મો કર્યો, અને ચટ્ટાન પાછળ છુપાયેલા જવાનોને સુરક્ષિત નીકાળ્યા. એ બધા જવાનો જખ્મી થયા વિના ચમત્કારિક રૂપથી ત્યાંથી નિકળવામાં સફળ રહ્યા.

ગોળાબારીના હુમલા બાદ પાકિસ્તાની લશ્કરને જાણ થઈ ગઈ હતી કે ભારતીય સૌનિકો ટાઈગર હિલ પર પહોંચી ગયા છે. કમાન્ડિગ ઓફિસર કુશલ ઠાકુરે આપણાં જવાનોને દુશ્મનો હુમલો કરે એ પહેલા એમના તૂટી પાડવાનો આદેશ આપ્યો. યોગેન્દર સિંહ યાદવ અને એમના જેવા જ નામના બીજા જવાન યોગેન્દર યાદવ, સ્કાઉટ નંબર એક અને બે સૌથી આગળ હતા. સવારના 5:30 વાગ્યે પાણી વહેતા નાળા ઉપરનો પુલ પાર કરતાં હતા ત્યારે અચાનક ગોળીઓની બોછાર છૂટવાની શરૂ થઈ ગઈ. દુશ્મનો બંને તરફ બનાવેલા બંકરોમાંથી સતત ગોળીબાર કરતાં હતા.

ત્યાં તહેસ-નહેસ ફેલાઈ ગઈ હતી. પુલ પરથી માત્ર 7 જ જવાનો પસાર થઈ શક્યા. બાકીના જવાનોએ ગોળીબારને લીધે ત્યાંથી પાછા ફરવા મજબૂર થવું પડ્યું. યોગેન્દર સિંહ અને એમના સાથીઓ આગળ વધવામાં કામિયાબ રહ્યા. જોકે તેઓ એમના બાકીના સાથીદારોથી છૂટા પડી ગયા હતા. હવે એમના પાસે એમના દમ પર આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ નહતો. જોકે હજુ તો એક ભયાનક સાહસિક કાર્ય એમની રાહ જોઈ રહ્યું હતું.

***

યોગેન્દર સિંહની કહાની.

ત્યારે અમે માત્ર સાત જણા હતા. અમે પાછા પણ જઈ શકીએ એમ નહતા, કેમકે દુશ્મનોએ અમારો રસ્તો બંધ કરી દીધો હતો. અમે આગળ વધતાં રહેવાનું નક્કી કર્યું. આગળ જતાં અમે રેતથી ભરેલા કોથળાની દીવાલો બનાવેલો એક અડ્ડો દેખ્યો. અમને ખબર નહતી કે અંદર કેટલા લોકો હતા. એ લોકો અમને દેખે એના પહેલા અમે એમના પર ગોળીબાર વરસાવાનું શરૂ કરી દીધું.

એમના ચાર જણાને તો તરત જ ઠાર કરી દીધા. જ્યારે એમણે ગોળીબાર કરવાનું બંધ કરી દીધું ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે એ બધા ઠાર થઈ ગયા છે. પણ ત્યાં સુધીમાં તો ગોળીબારનો અવાજ સાંભળી અમારી ઉપરના બંકરમાં સંતાયેલા પાકિસ્તાનીઓ સજાગ થઈ અમારી ઉપર ગોળીબાર વરસાવવા લાગ્યા. શું કરવું અને શું નહીં – એવી મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. હવામાં ચારે તરફ ગોળીઓની બોછાર ઊડી રહી હતી. અમે ના તો આગળ જઈ શકતા હતા ના તો પાછળ.

ત્યારે અમારી ટિમના લીડર હવલદાર મદને ચિલ્લાઈને કહ્યું, એમના બંકરમાં ઘૂસી જાવ. એજ એક સુરક્ષિત જગ્યા છે. અમે બધા બંકરની તરફ આગળ વધ્યા. બંકરની અંદર ઘુસ્યા બાદ અમે અમારી પોઝિસન લઈ લીધી. અમારી આસપાસ દુશ્મનોની લાશો પડેલી હતી. અમારા ઉપરના બંકરમાંથી થઈ રહેલા ગોળીબારનો જવાબ અમે ગોળીબારથી આપવાનો શરૂ કરી દીધો.

આ ગોળીબારનો સિલસિલો 5 કલાક સુધી ચાલતો રહ્યો. જેમાં કોઈનો જીવ નહતો ગયો, પણ સતત ગોળીબારને લીધે અમે બિલકુલ આગળ વધી ન શક્યા. અને અમારા ગોળા-બારૂદ વધુ લાંબા સુધી ચાલે એમ નહતા. તથા બીજા સાથીદારોની ટોળકી તરફથી કોઈ મદદ મળવાની સંભાવના પણ નહતી. ઠાર થયેલા પાકિસ્તાનીઓનો ગોળા-બારૂદ પણ ખતમ થઈ રહ્યો હતો. અમે ગોળીબાર બંધ કરી દઈ એમને નજીક આવવાની રાહ દેખવા લાગ્યા.

સવારે 11:30 વાગ્યાની નજીક દુશ્મનોના 12 સિપાહીઓ અમે મરી ગયા છીએ કે નહીં – એ તપાસવા નીચે બંકરમાં ઉતર્યા. અમારી રાઈફલોમાં ત્યારે 45-45 રાઉન્ડ વધ્યા હતા. જેને લઈને અમે ચૂપચાપ ચોકન્ની નજર રાખી છુપાઈને બેઠા હતા. એ લોકો ઘણા નજીક આવી ગયા હતા. એમણે દુધિયા રંગની પઠાણી અને પીળા રંગની પાઘડીઓ પહેરી હતી. એમની લાંબી લહેરાતી દાઢીઓ હતી.

એમના ખૂબ નજદીક આવવા સુધી અમે ચૂપચાપ બેઠા રહ્યા. પછી અચાનક અમે ગોળીઓ વરસાવાની શરૂ કરી દીધી. બે જણા સિવાય અમે બધાને ઠાર કરી દીધા. બચી ગયેલા બે એમની પોસ્ટ પર પહોંચી જવામાં સફળ રહ્યા. ત્યાંથી તેઓ અમારી પર ભારેભરખમ હથિયારોથી ગોળીઓ વરસાવી રહ્યા હતા. અમારા પર હેવી મશીનગન, રોકેટ છોડે એવા RPG હથિયારોથી હુમલો થઈ રહ્યો હતો. મેં ઉપર દેખ્યું તો સાત પાકિસ્તાની પઠાણી પહેરી ઊભા હતા.

ઉસ્તાદ, વો લોગ આ ગયે હૈ હું હવલદાર મદનને દેખીની ચિલ્લાયો. ઉસ્તાદને મને અને ગ્રેનેડિયર અનંત રામને અમારા નિશાનબાજ લાંસ નાયક નરેશની મદદ લેવા જવા માટે કહ્યું. ત્યાંથી બહાર નીકળતા જ મારા માથે ગ્રેનેડ અથડાઇને મારી થોડેક દૂર પડતાં જ ધમાકેદાર અવાજે સાથે ફૂટી! મેં જોરથી આંખ-કાન દબાવી દીધા. પાછળ ફરીને જોયું તો... તો મારી થોડીક દૂર પાછળ ઉભેલા લાંસ નાયક નરેશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

હું તરત જ અનંતની તરફ વળ્યો. અને એમને હાલ બનેલી ઘટના કહેવા જાઉં એ પહેલા એમને માથામાં એક ગોળી વાગી. એ તરત જ ત્યાં શહિદ થઈ ગયા. પાકિસ્તાની લશ્કર અલ્લાહ હો અકબરની બૂમો પાડી નજીક આવી રહ્યું હતું. હથિયાર સાથે એમની કુલ 30-35ની ટુકડી હતી. અમારા સાત સાથીદારોમાંથી 2 શહીદ, 2 ઘાયલ હતા. માત્ર 3 જવાનો એ 30-35 પાકિસ્તાનીઓનો સામનો કરવા માટે વધ્યા હતા.

થોડીક વારમાં બે લોકો મારી તરફ આવતા હતા. હું ગોળીબાર કરું તો પણ એમની ગોળીઓથી હું પહેલા વીંધાઈ જવાનો હતો. મારા બેલ્ટ પર એક હેન્ડ-ગ્રેનેડ બાંધેલી હતી. એને ખોલીને મેં પૂરી તાકાતથી પાકિસ્તાનીઓની ટોળકી પર ઊછાળી દીધી. તેજ ધમકાથી કેટલાયના ફુરજે-ફુરજા ઊડી ગયા. મારી બાજુમાં પડેલા મૃત સાથીદારની રાઇફલ ઉઠાવી ભાગી જતાં 5 દુશ્મનોને ખતમ કરી દીધા. બાકીના એક-બે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા. બાકી વધેલા પાકિસ્તાનીઓને એમ લાગ્યું કે બાકીના ભારતીય સૈનિકોની મદદ આવી પહોંચી હતી. એ ગભરાઈ ગયા હતા. જેવા એ ભાગવા લાગ્યા, મેં ચોરીછૂપી જમીન પર ઘસેડાઇને એમનો પીછો કર્યો, અને એમનો કેમ્પ પોસ્ટ દેખી લીધો. બપોરના 1:30 વાગ્યા હતા. દુશ્મનો પર હુમલો કરવા હું કશું કરી શકું એમ નહતો. મારાથી બરોબર ઊભા પણ નહતું રહેવાતું. છતાં પણ મારામાં જીવતા રહેવાનું ઝૂનૂન સવાર થઈ ચૂક્યું હતું. હું નીચેની મીડિયમ મશીનગન પોસ્ટ સુધી જઈને અમારા લશ્કરને ચેતવવા ઈચ્છતો હતો.

***

એ તેનું શરીર ઘસેડતા તેની જગ્યા પર પહોંચી ગયા, જ્યાં એમના મૃત સાથીઓના દેહ પડ્યા હતા. યોગેન્દર સિંહ કહે છે, કોઇકનું માથું ઉખડેલું હતું, તો કોઈકની છાતી ફાટી ગયેલી હતી. કોઈકના આંતરડા બહાર નિકડી પડ્યા હતા. કંપાવી મૂકે એવા બિહામણા દ્રશ્ય હતા. એ બધા મારા દોસ્ત હતા. મારા પોતાના સગા ભાઈ કરતાં પણ વધુ પ્રિય અને નજદીકી કહી શકાય એવા.

જ્યારે એમનું શરીર ઠંડુ પાડવા લાગ્યું ત્યારે એમના શરીર પરના જાનલેવા જખમોમાં અસહ્ય દર્દ મહેસુસ થવા લાગ્યું. એમના ખભાનું હાડકું બહાર નીકળી આવ્યું હતું. જરાક સરખી હિલચાલ થતાં અસહ્ય દર્દનો સણકો ઊઠતો. જેના લીધી ચીસ નીકળી જતી.

મેં મારા અંદરથી આવતો અવાજ સંભાળ્યો, કે તું હજુ સુધી મર્યો નથી, તો તું હવે નહીં મરીશ યોગેન્દરે આગળ કહ્યું કે, એના પછી હું મારા ઘાયલ ખભાને બેલ્ટમાં બાંધી, 12 ગોળીઓથી શરીર વીંધાયેલું હોવા છતાં બાજુમાં વહેતા નાળામાં ઉતરી ગયો

***

થોડાક કલાકોમાં 18 ગ્રેનેડિયર્સ તેમના છૂટા પડી ગયેલા સાથીદારોની શોધમાં ત્યાં આવી પહોંચ્યા. એક સાથીદારની નજર નાળામાં લટકેલા યોગેન્દર સિંહ પર પડી. જવાનોએ તરત જ એમને ત્યાંથી ઊંચકીને કેમ્પમાં લઈ ગયા. સાંજ થતાં જ સુરજ ડૂબવા લાગ્યો હતો.

જ્યારે કમજોર અને થથરતા યોગેન્દરને કમાન્ડિગ ઓફિસરના ટેન્ટમાં લાવ્યા ત્યારે ખૂબ બધુ લોહી વહી ચૂક્યું હતું. જેના લીધે એ એટલા કમજોર થઈ ગયા હતા કે એમને દેખાવાનું પણ બંધ થઈ ગયું હતું. કમાન્ડિગ ઓફિસરે જ્યારે એમ કહ્યું કે, હમે પહચાન પા રહે હો? ત્યારે યોગેન્દરે જવાબ આપ્યો, સાબ, મેં આપકી આવાજ પહચાનતા હું. જય હિન્દ, સાબ!

એમની કંપકપાહટ દૂર કરવા સ્ટવની આગથી ગરમાહટ આપી. યોગેન્દર સિંહ યાદવે તેમના લશ્કરને દુશ્મનોની પોસ્ટની જાણકારી આપી, ત્યાં કેવી રીતે પહોંચાય એટલું કહ્યા બાદ તે બેભાન થઈ ગયા.

***

3 દિવસ પછી.

યોગેન્દર સિંહ યાદવને 9 જુલાઈએ હોશ આવ્યો. એમને ટાઈગર હિલથી શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ થયે 3 દિવસ થઈ ગયા હતા. એમને જ્યારે હોશ આવ્યો ત્યારે એક પળ માટે એમને ખબર ન પડી કે પોતે ક્યાં આવી પહોંચ્યા છે. નર્સે એમને કહ્યું કે એ હોસ્પિટલમાં છે, અને ખતરાની બહાર છે. એમણે એમના લશ્કર વિષે પૂછ્યું તો તેણે કહ્યું, બ્રાવો અને ડેલ્ટા કંપનીના લગભગ 100 જવાનોએ ઘાતક ટુકડી સાથે મળીને ટાઈગર હિલ પર એ રાતે જ હુમલો કરી દીધો હતો. તમારી સલાહને લીધે એમણે દુશ્મનોની પોસ્ટને ચારેબાજુથી ઘેરી લેવામાં સફળ રહ્યા હતા.

યોગેન્દર યાદવને દિલ્હી લાવી, તેમના શરીર પર લાગેલા ઘાની સર્જરી અને બોન ગ્રાફ્ટિંગ કરાવ્યુ. છતાં પણ એમના શરીર પર ગોળીઓના નિશાન રહી ગયા હતા, પણ એમણે હસતાં મુખે એનો સ્વીકાર કરી લીધો.

દર વર્ષે ગણતંત્રના દિવસે તે દિલ્હી આવે છે. તેમણે જીતેલા મેડલ્સને છાતી પર લગાવી પરેડમાં ભાગ લે છે. હજારોની સંખ્યામાં દેશવાસીઓ એમનો હાથ મિલાવે છે ત્યારે તે તેમની ભાવનાઓ વ્યક્ત કરતાં તે કહે છે, મેં બહુત કૃતજ્ઞતા મહેસુસ કરતા હુ. મેં એક સિપાહી હુ. લડના મેરા કામ થા. વીરતા કે લિયે સબસે બડે ઍવોર્ડ પરમ વીર ચક્ર સમ્માન સે નવાજા ગયા ઉસકા ગર્વ હે. મેરી જગહ કોઈ ઔર સિપાહી હોતા તો વોહ ભી યહી કરતાં.

***

સૂબેદાર યોગેન્દર સિંહ યાદવ આજે 37 વર્ષના છે. 19 વર્ષની યુવાન વયે પરમ વીર ચક્ર એવોર્ડ જીતનારા સૌથી પહેલા ભારતીય યુવાન સૈનિક છે.

***