Asha Bhosle - Biography books and stories free download online pdf in Gujarati

આશા ભોંસલે - બાયોગ્રાફી

આશા ભોંસલે :सांगलीનાचांगला સૂર

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો…” સાંભળતા જ રોમેરોમમાં જીવ આવે અનેછેલાજી રે, મારી હાટું પાટણથી પટોળાં…” સાંભળતા જ મોજમાં આવી જવાય. એ ગાયક વળી બીજી કેટલીયે ભાષામાં ગાય, છતાં દરેક ભાષાને તે અવાજ પોતીકો લાગે. તે ગાયક એટલે આશા ભોંસલે. સફેદ ચમકદાર કિનારીવાળી સાડી અને ગળામાં હીરા-મોતીની માળા. આ આશાનો દેખાવ.

***

પ્રભુકુંજ એપાર્ટમેન્ટ. પેડર રોડ, સાઉથ મુંબઈ. એક પ્રખ્યાત ગાયિકા પોતાના ઘરે બેઠાં છે. બહુ મોટા કેરિયરમાં થયેલી અનેક સારી-નરસી યાદોને વાગોળી રહ્યા છે. દરેક દાયકો એમને આજે યાદ છે. કહેવાય છે કે અનેક દુઃખો અને પીડાઓમાં જ કળા પાંગરે છે. આશાનું પણ કંઈક એવું જ રહ્યું. આશાનું જીવનકવન એક એવો ચાર્ટ છે કે જેમાં અનેક ડ્રોપકેપ્સ હતી પરંતુ તેનો પોતાનો ગ્રાફ તો ઊંચે જ ચડતો રહ્યો.

***

સાંગલીમાં પાંગરેલ સૂર:

આશા ભોંસલેનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ થયો હતો. તેમણે તેમના પરિવારમાં બાળપણથી જ સંગીત જોયું હતું. બહુ ઓછાં ભાગ્યવાન લોકોને કલાવારસો ભેટમાં મળતો હોય છે. તેમના પિતાનું નામ હતું દિનાનાથજી. તેઓ એક સારા શાસ્ત્રીય સંગીતકાર, ગાયક, થિયેટર અભિનેતા હતા, સાથે સાથે તેમની એક કંપની પણ હતી. જેનું નામબળવંત સંગીત મંડળહતું. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. તેમના પિતાને પાંચ બાળકો હતો. મીના, લતા અને ઉષા ત્રણ બહેનો અને હૃદયનાથ નામે એક ભાઈ. આશાને તેના પિતાજીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ આપેલી.

પિતાએ પણ, સુખ બહુ લાંબુ ટકયું નહીં. પિતાની છત્રછાયા બહુ નાની ઉંમરે ગુમાવવાનો વારો આવ્યો. તેમના પિતાનું દેહાંત થયું. તે વખત આશાની ઉંમર માત્ર નવ વર્ષની હતી.

વૈવાહિક જીવનનો કરુણ સૂર:

પિતાના નિધન પછી સમગ્ર પરિવાર પૂણેથી કોલ્હાપુર અને ત્યારબાદ મુંબઈ આવી પહોંચ્યું. કુટુંબની બધી જ જવાબદારીનું નિર્વહન કરવાનું કામ સૌથી મોટા બહેન લતા મંગેશકર ઉપર આવી પડ્યું. ત્યારબાદ, આશાને એક વ્યક્તિ જોડે પ્રેમ થયો અને પરિવારે નારાજગી દર્શાવી.

વાત છે એ સોળ વર્ષની છોકરીની. હજુ તો કિશોરાવસ્થામાં પાપાપગલીઓ માંડી રહી હતી. તેને પોતાનાથી બમણી ઉંમર ધરાવતા વ્યક્તિ જોડે પ્રેમ થયો. આ વ્યક્તિ એટલે ગણપણરાવ ભોંસલે. અને તે કિશોરી એટલે આશા. બંનેના પ્રેમની વાત ઘરના લોકોને મંજૂર નહોતી. આશા ભોંસલે માટે નાની ઉંમરે તે બહુ દુઃખદાયક સમય હતો.

સામે ગણપતરાવ મોટી બહેન લતા મંગેશકરના સેક્રેટરી હતા. છેવટે, બંનેએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ, જે થયું તે આજે પણ આપણે ભારતીય કુટુંબોમાં અવારનવાર સાંભળીએ છીએ. આશાનો સાસરે અસ્વીકાર થયો. મારપીટની કોશિશો કરવામાં આવી. પતિ અને તેના ભાઈઓના ખરાબ વર્તનને કારણે જીવન દુઃખમય બન્યું. છેવટે, ગણપતરાવે આશાને એક દિવસ આશાને ઘરેથી તગેડી મૂકી. આ સમયે આશા ગર્ભવતી હતી. પોતાની કૂખમાં બાળક (આનંદ)ને લઈને આશા પોતાના બે બાળકો હેમંત અને વર્ષા સાથે પિયર પછી ફરી.

લગભગ ૧૯૬૦માં લગ્ન વિચ્છેદ થયું. જીવનમાં ભંગાણ પડ્યું. પંદરેક વર્ષના અંતરાલ બાદ ફરી ૧૯૮૦માં આશાજીએરાહુલ દેવ બર્મન’ (પંચમ દા) જોડે લગ્ન કર્યા. આ વિવાહ પંચમદાના અંતિમ શ્વાસ સુધી ખૂબ સારી રીતે ચાલ્યા.

ક્વિન ઓફ વોઈસ : કૂક ઓફ કિચન

આજે તેઓ સાઉથ મુંબઈ, પેડર રોડ સ્થિત પ્રભુકુંજ એપાર્ટમેન્ટમાં રહે છે. ત્રણ બાળકો, નામે હેમંત, વર્ષા અને આનંદ.આશાતાઈના નામે તેઓ જાણીતા બન્યા. પરંતુ, જ્યારે તેઓ માત્ર આશા હતા, ત્યારથી તેમને કૂકિંગનો શોખ છે. તેઓને એક વખત પૂછવામાં આવેલું કે, “તમે કદાચ ગાયિકા ન બન્યા હોત તો જીવનમાં બીજું શું કરવું તમને ગમે?” તેઓએ જવાબ આપ્યો, “રસોઈ. હું શેફ હોત.

બોલીવુડમાં પણ ઘણાં લોકો તેમનાકઢાઈ ગોશ્તઅનેબિરિયાનીબનાવવાનો અનુરોધ કરે છે. અને આશાજી ક્યારેય પણ ઇનકાર કરતાં નથી. તેઓએ આ શોખને પણ ખૂબ સારી રીતે સાચવેલો છે. તેઓ ઘણી બધી રેસ્ટોરાંના સંચાલિકા છે. મુંબઈ, દુબઈ અને અન્ય દેશોમાં પણ તેઓ ઘણી બધી રેસ્ટોરાંના માલિક છે. તેમણે KFCમાં છ મહિના સુધી તાલીમ આપી હતી. આ ઉપરાંત દુબઈ અને કુવૈતના વાફી ગ્રૂપ સંચાલિત રેસ્ટોરાંમાં ૨૦% ભાગીદારી છે. આ ઉપરાંત, આ રેસ્ટોરાંમાં ઉત્તર ભારતીય વ્યંજનોનો દબદબો છે.

ગાયિકીની સંઘર્ષપૂર્ણ શરૂઆત:

આશા ભોંસલે પ્લેબેક સિંગિંગના મેદાનમાં ઉતરી ગયા. એ સમયે ગીતા દત્ત, લતા મંગેશકર, શમશાદ બેગમ જેવી ગાયિકાઓ બહુ ઉંચાઈઓ પર હતાં અને આ સમયે પોતાના માટે જગ્યા બનાવવી બહુ જ કઠિન હતી. તેમને ગાવાની ઇચ્છા ખૂબ હતી પરંતુ તેમને ગાવાનો મોકો પણ મળતો નહોતો. તેમને મેઈન સ્ટ્રીમ ફિલ્ડમાં કામ નહોતું મળી રહ્યું. આથી તેમણેબી' અનેસીગ્રેડની ફિલ્મોમાં પણ ખૂબ ગીતો ગાયા. તેમના સંગીતકારો તરીકે અસફળ રહેલા એ.આર.કુરેશી, સજ્જાદ હુસૈન અને ગુલામ મોહમ્મદ જેવાં લોકો હતા. વર્ષ ૧૯૫૨માં દિલીપકુમારસંગદિલફિલ્મના અભિનેતા હતા. તેના સંગીતકાર સજ્જાદ હુસૈન હતા. આ ફિલ્મથી તેમને પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ, વિમલ રાયેપરિણીતાફિલ્મમાં આશાજીને એક તક આપી. બસ, પછી પૂછવાનું જ શું હતું. તેમની સંગીતની દુનિયા દિવસે ને દિવસે મોટી થતી ગઈ. એક પછી એક ફિલ્મોમાં સુપરહીટ ગીતો આવતા ગયા.

સંઘર્ષના દિવસોમાં એ વાત પણ મશહૂર થઈ હતી કે, જ્યારે આશાજી સંગીત શીખવા જતાં હતાં ત્યારે તેઓ તેમના ગુરુજીને કહેતા કે મને એવું સંગીત શીખડાવો કે જેનાથી હું બહુ જ પૈસા કમાઈ શકું. મારે મારા બાળકો સંભાળવા છે. અને પછી એ સમય પણ આવ્યો કે જયારે મોટામાં મોટી હિરોઈન આશાજીના અવાજ માટે તરસતી. એવું જ માનવામાં આવ્યું કે ફક્ત ચુલબૂલા ગીતો માટે જ આશાજીને પસંદ કરવામાં આવે પણ રોમેન્ટિક ગીતો પણ એટલાં સરસ ગાઈને આશાજી એ લોકોને ખોટા સાબિત કરી દીધા.

ગીતોનો સૂરીલો કાર્ડિયોગ્રામ:

શાસ્ત્રીય ગાયકી હોય કે પછી ગઝલ ગાયકી, હળવું સંગીત હોય કે પછી ચુલબુલા ગીતો હરેક અંદાજ સાથે તેમણે પૂરો ન્યાય કર્યો. ભારતના ઈતિહાસમાં આશા ભોંસલેનું નામ હંમેશા ગર્વથી લેવાશે. આશા ભોંસલેએ તેમની ગાયકીની શરૂઆત ૧૯૪૩માં મરાઠી ફિલ્મના ગીતથી કરી હતી જે ગીતના શબ્દો હતાં, “ચલા ચલા નવબાલાજે બાળકોનું ગીત હતું. ત્યારે તેઓ ૧૦ વર્ષના હતાં. તેમણે તેમના પહેલાં ગીતનાં ૧૦૦ રૂપિયા મળ્યા હતાં. તેમણે હિન્દી ફિલ્મજગતનું પહેલું ગીત ગયું હતું તે હતુંસાવન આયાઅને હંસરાજ બહાલની ફિલ્મચુનરિયાનું હતું. ૧૯૫૬માં તેમનું પહેલું ગીત હિટ થયું હતું જે હતુંઈના મીના ડીકા”.

વર્ષ 1963માં, આશા ભોંસલેએ પ્રથમ બંગાળી ગીતઆમાર ખાતાર પાટેગીત પ્લેબેક ગાયક મન્ના ડે સાથે ગાયું હતું. મન્ના ડેના અવસાન પછી, તેણે બંગાળીમાં ગાવાનું બંધ કર્યું. આશાજીએ ભજન, પોપ, ગઝલ, ફિલ્મ, મ્યુઝિક, પરંપરાગત ક્લાસિક મ્યુઝિક કવાલી જેવા અનેક પ્રકારના ગીતો ગાયા છે. તેમણે 20 ભાષામાં ગીતો ગાયા છે. તેમણે દેશ-વિદેશમાં અનેક પ્રાઈવેટ કોન્સર્ટ પણ કર્યા છે. એક જ વર્ષમાં 12,000 ગીતો ગાવાનો રેકોર્ડ તેમના નામ પર નોંધાયેલો છે. 2011માં તેમણે કલાકાર તરીકે સૌથી વધુ ગીતો ગાયા હતો જે, વર્લ્ડ રેકોર્ડ છે, જેના કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સમાવેશ કરવામાં આવ્યું છે. 2000માં તેમને દાદાસાહેબ ફાળકે અને 2008માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

આશાજીએ "માઈ" ફિલ્મથી ફિલ્મમાં અભિનેત્રી તરીકે પણ ડેબ્યુ કર્યું હતું. આશાજીનું પ્રથમ સોલો ગીત "રાત કી રાની" ફિલ્મનું હતું. તેઓ પહેલા આશા મંગેશકર હતા, પરંતુ ગણપતરાવ ભોંસલે સાથે લગ્ન કર્યા બાદ આશા ભોંસલે તરીકે ઓળખાય છે. આશા ભોંસલેએ અનેક મોટાં-મોટાં મ્યુઝિક ડાયરેક્ટર સાથે કામ કર્યું છે. તેમણે ઓ.પી.નય્યર, ખય્યમ, રવિ, સચિનદેવ બર્મન, રાહુલદેવ બર્મન, ઈલૈયારાજા, એ.આર.રહેમાન, જયદેવ, શંકર-જયકિશન, અનુ મલિક જેવા મ્યુઝિક પાર્ટનર સાથે કામ કર્યું છે.

૯૦ના દશકમાંબ્રિમફૂલ ઓફ આશાનામથી મ્યૂઝિક વિડીયો આવ્યો હતો. જે આશા ભોંસલેને ટ્રિબ્યૂટ હતું. આશા ભોંસલે તેના થોડા સમય બાદ લંડન ગયા. હિથ્રો એરપોર્ટ પર એક ઓફિસરે તેમનો પાસપોર્ટ જોયો. તેમના પ્રોફેશનની આગળ સિંગર લખેલું હતું. આશાજીએ કહ્યું કે તે પોતેબ્રિમફૂલ ઓફ આશાની જ આશા છે. ઓફિસર એટલો ખુશ થઈ ગયો કે તેણે પોતાના બધાં જ સાથીઓને મળવા માટે બોલાવી લીધા. આ તેમનો દુનિયાભરમાં છવાઈ ગયેલ અવાજની દેન છે.

આશાની ગુજરાતણ બે વેંત ઊંચી:

તેમણે ગુજરાતી ભાષામાં પણ અનેક ગીતો ગાયા છે. તેમણે અનેક ગુજરાતી ગીતો ગાયા છે, જેમાંના જાણીતા ગીતો છે: છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો..., મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત..., તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે, મને ગમતું રે..., દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે..., ઘોર અંધારી રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર..., ઉંચી તલાવડીની કોર પાણી ભરતાં..., સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા..., દાદા હો દીકરી... વગેરે.

ચપ્પલના ચાર આના, બૂટના પૈસા ચાલીસ.

બૂટપાલીસબૂટપાલીસ

આવા ગીતો આજે પણ ઇતિહાસમાં અમર છે. આશાતાઈના માતા ગુજરાતી હતા અને તે કનેક્શન તેમના ગીતોમાં પણ દેખાય છે. 1962માં આવેલી ફિલ્મ કંકુ અને કન્યાનુંઆવતાં જતાં જરા નજર તો નાંખતા જજો બીજુ તો કાંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજોગીત અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશન હેઠળ મુકેશ અને આશા ભોંસલેની જોડીએ ગાયું છે. આ ગીત આજે પણ આપણા નવરાત્રિના ગરબામાં મોખરે છે.

પંચમ દા સાથેનું ટૂંકુ પણ સુંદર જીવન:

પંચમ સાથે તેમની મુલાકાત પણ વિચિત્ર વાતાવરણમાં થઈ હતી. 'અરમાન' ફિલ્મના સેટ પર એક છોકરો આવ્યો. સચિન-દાએ કહ્યુ - આ મારો પુત્ર (આર.ડી બર્મન) છે. આશાએ નમસ્તે કહ્યું. તે ધારી-ધારીને જોવા લાગ્યો અને બોલ્યો 'આ નોટબુક પર તમારો ઓટોગ્રાફ આપો'. આશાજીએ ઓટોગ્રાફ આપ્યો. થોડા દિવસો પછી રિહર્સલ માટે આશાને સચિન-દાના ઘરે જવાનું થયું. દાદાએ પોતાના પુત્રને કહ્યુ 'બેટા... આશાને આ ગીત શીખવાડો.' આશાએ એ જ છોકરાને જોયો અને ના પાડી દીધી. પાછળથી તે મોટો સંગીતકાર બન્યો અને આશાનો જીવનસાથી પણ. આશાજીએ તેમને ભણતર પૂરું કરવા કહ્યું હતું. પરંતુ આર.ડી.બર્મને અડધેથી જ ભણતર મૂકી દીધું હતું. એ પછી તેમને ઘણી ફિલ્મો મળી, જેમાંની એક હતીતીસરી મંઝિલ”. આ ફિલ્મના ગીત માટે તેઓ આશાજીના ઘરે ગયા અને આ ફિલ્મના ગીત માટે પૂછ્યું. તેમનું માનવું હતું કે લોકો જૂના ગીતોના રિમિક્સ બનાવીને બગાડે છે. તેમના પિતાને તેઓ પોતાનો પ્રેરણાસ્તોત્ર માને છે. તેઓ કહે છે કે તેમણે તેમના પિતાને સ્ટેજ ઉપર ગાતા અને બોલતા જોયેલા એ જોઈને તેમણે પણ ગાવાનો શોખ જાગ્યો. તેમના ભાઈ પણ ગાતા હતાં. ત્યારથી જ તેમને મનમાં એવું થઈ ગયું કે મારે પણ કંઈક કરીને બતાવવું છે અને એમાં પણ કંઈક નવું કરીને બતાવવું છે.

આશાતાઈ માને છે કે તેમના પિતાના ગીતોની સાથે શાસ્ત્રીય ગીતો પણ ચેલેન્જિંગ હતાં. તેમને રાહત ફતેહ અલીની ગાયકી તેમને પસંદ છે. તેમને કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા રહેતી. તેઓ નાના હતાં ત્યારે તેમણે હોલીવુડની ફિલ્મો જોઈને એક વાર ઘરે કોઈને કીધા વગર વાળ કાપી નાખ્યા હતાં. અને તેમના મમ્મી આ માટે તેમના ઉપર ગુસ્સે થયા હતાં.

તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે આજે તમને બોલિવુડના ગીતો માટે ઓફર આવે તો તમે ગાવાનું પસંદ કરશો ત્યારે તેમનો જવાબ એવો હતો કે, જો શબ્દો સારા હશે તો અવશ્ય ગાવાનું પસંદ કરીશ. તેઓ આજે પણ દોઢથી બે કલાક ગાવાનો રિયાઝ કરે છે. તેઓ કહે છે કે રિયાઝ વગર અવાજ સારો રહેશે જ નહીં. તેઓ કહે છે કે હું સામાન્ય લોકો જેવો જ ખોરાક લઉં છું. બસ તેઓ ખાટું, ઠંડુ વગેરે ખાવાનું ત્યાગે છે. તેઓએ છેલ્લે ૧૩ વર્ષની ઉંમરે આઈસક્રીમ ખાધું હ્તું એ પછીથી આજ સુધી આઈસક્રીમ નથી ખાધો.

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ…!

ગુલઝારનું આ ગીત ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..'' પણ હિન્દી ફિલ્મ-સંગીતમાંની કવિતાના ભાવકો માટેશોલેથી કમ નથી. જેમ કે ગુલઝાર અને મ્યુઝિક ડીરેક્ટર આર.ડી. બર્મનની જોડીના ચાહકોને એક સવાલ પૂછો કેશુંટાઇમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇનની કે તેના રિપોર્ટની ગાવાલાયક ધૂન બની શકે?” અને તરત એ સૌ સમજી જાય કે ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..''નો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. કેમ કે ખુદ ગુલઝાર કહે છે કે આ ગાયન કરતાં તેના સર્જનની વાત વધારે જાણીતી છે!

એ ઐતિહાસિક ઘટના મુજબ તો, પહેલી વખત આ ગીતને જોઇને પંચમદા સમજ્યા હતા કે ગુલઝાર ડાયલોગની શીટ લઈ આવ્યા હશે. પણ કવિએ ખુલાસો કર્યો કે આ સંવાદો નથી, તેમની કવિતા છે અને તેને સંગીતબધ્ધ કરવાની છે. ત્યારેઆર.ડી.અકળાયા અને બોલ્યા, “કાલે ઉઠીને તો તુંટાઇમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇનની કે તેના રિપોર્ટની ધૂન બનાવવાનું કહીશ, તો એ મારે બનાવવાની?” એ યાદગાર ક્વોટ બોલવામાં પંચમદાનો ક્યાં કોઇ વાંક હતો?

દેખીતું હતું કે વર્ષોથી હિન્દી સિનેમાના મોટાભાગના મ્યુઝિક ડીરેક્ટર્સ ગાયનોમાં બે પંક્તિને અંતેકલિયાં’-‘ગલિયાં’, ‘આયેંગે’-‘જાયેંગેએમ કાફિયા મળેલાં સરળ ગીતોથી ટેવાયેલા હતા. ખાસ કરીને આઇજાઝતબની એ ૧૯૮૭-૮૮ના સમયમાં તોદીવાના’, ‘પરવાના’ ‘મસ્તાનાની ખીલેલી મોસમ હતી.ઇજાઝતમાં પણમાયાઆ લાંબી કવિતાનો પત્ર નહીં, શબ્દે શબ્દના પૈસા ખર્ચવા પડે એવો મોંઘો ટેલીગ્રામ મોકલે છે! ગુલઝાર તેમની ટ્રેડમાર્ક પંચલાઇન સાથે ગીત આ શબ્દોમાં પૂરું કરે છે...

એક ઇજાઝત દે દો બસ, જબ ઇસકો દફનાઉંગી

મૈં ભી વહીં સો જાઉંગી, મૈં ભી વહીં સો જાઉંગી...

ઇજાઝતશબ્દને કારણે ગાયનને ફિલ્મનું ટાઇટલ સોંગ કહી શકાય. પરંતુ તેને ગાવી કઈ રીતે? આ ગાયનની ધૂન બનાવવા જ્યારે આર.ડી. બર્મન પેલીટાઇમ્સ ઓફ ઇન્ડિયાવાળી રકઝક કરતા હતા અને સૌ ગૂંચવાયેલા હતા કે આ છાંદસ રચનાને ગાવી કેવી રીતે? ત્યારે આશા ભોંસલેમેરા વો સામાન લૌટા દો...ની ધ્રુવ પંક્તિ પોતાના લહેંકામાં ગણગણતાં હતાં. એટલે પંચમદાના કાન સરવા થઈ ગયા. તેમણે એ પંક્તિનો ઢાળ પકડી લીધો. એ શબ્દો માટે આશાજીએ ગાયેલા સૂરને જ અકબંધ રાખ્યા અને પછી તેના પર આવવા માટે શરૂઆતની તર્જ બનાવી. આમ સર્જનની પ્રક્રિયા ઉંધેથી શરૂ કરી અને છતાં પરિણામ? એક અમર રચનાનું સર્જન થયું. તેને સ્ક્રિન પર ગાનાર અનુરાધાને તો કોઇ એવોર્ડ ન મળ્યો. પરંતુ, શાયર ગુલઝારનેશ્રેષ્ઠ ગીતકારની ફિલ્મફેર ટ્રોફી મળી. એટલું જ નહીં, નેશનલ એવોર્ડ્સમાં પણ આ જ ગીત માટે તે પુરસ્કૃત થયા. ત્યાં રાષ્ટ્રીય પુરસ્કારોમાં તો ગાયિકા આશા ભોંસલેને પણ આ જ ગાયન માટેશ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ મળ્યો. આ ગીત માટે ગુલઝાર કાયમ કહેતા હોય છે કેપંચમને ખીર પકાઈ ઔર મૈંને ઔર આશાજીને ખાઇ!

આ આશાતાઈના કંઠની કમાલ હતી.

વો ભી એક ઝમાના થા!

સમય બદલાય તેમ પેઢીઓ બદલાય અને પેઢીઓ બદલાય તેમ વિચારો. પરંતુ, ઘણીવાર અમુક વિચારો આજે પણ પ્રસ્તુત હોય છે. તે ક્યારે જૂના થતાં નથી. આજના સંગીત અને વર્ષો પહેલાના સંગીતના અનુસંધાનમાં આશાતાઈ જણાવે છે કે,

જ્યારે અમારા જમાનામા ગીતો બનતા હતા ત્યારે ફિલ્મ બનાવવાવાળા, સંગીત બનાવવાવળા, ગીત લખવાવાળા અને ગાવાવાળા આ બધા જ મહેનત કરતા હતાં. એટલે જ અમારા જમાનાની પેઢી, તેના સંતાનો અને સંતાનોના સંતાનો પણ અમારા ગીતો સાંભળે છે. આજકાલના જે ગીતો બને છે તે પૈકીના જે સુપરહીટ સોંગ્સ હોય છે તેનુ આયુષ્ય બે દિવસથી વધારે નથી હોતું.

આ ઉપરાંત, જૂના જમાનાના લેજન્ડરી ગાયકોને યાદ કરતાં તેઓ કહે છે કે, “આજે ટેકનોલોજીના કારણે ગીતોનુ રેકોર્ડિંગ ટુકડે ટુકડે થાય છે. ડ્યુએટ સોંગ હોય તો એક સિંગર રેકોર્ડ કરીને જતો રહે પછી બીજા સિંગર તેમના સમયે તેમના ભાગનું ગીત રેકોર્ડ કરે છે. આવું થયું હોય પછી ગીતમાં ફિલિંગ્સ ક્યાંથી આવે અને એટલે જ આજના ગીતનું આયુષ્ય લાંબુ નથી હોતું. એટલે તો આજની પેઢી આજના સંગીતકારોના બદલે જૂની હિન્દી ફિલ્મોના સંગીતકારોના ગીતોને વધુ પસંદ કરે છે. લતાદીદી, મહંમદ રફી, મુકેશ અને કિશોર દા જેવા કલાકારો તાજમહેલ જેવા છે. આજે ગમે તેટલી સુંદર બિલ્ડિંગ્સ બને પણ તાજ તો તાજ છે. તેમ આ મહાન ગાયકોની તોલે હવે કોઇ આવી નહીં શકે. કેમ કે આજના ગીતકારોને, સંગીતકારોને અને ગાયકોને મહેનત જ નથી કરવી. સાચું કહું તો આજના એક પણ ગાયક કે સંગીતકારો મને ગમતાં નથી. દિલને જે હચમચાવી દે તેવું હવે સંગીત બનતું નથી કે એવો કોઇ અવાજ સાંભળવા મળતો નથી.

અમે જ્યારે કોઇ એક ફિલ્મનુ ગીત રેકોર્ડિંગ કરતા તે પહેલા તેના એક એક શબ્દોને પૂરે પુરાં સમજતા હતા. શબ્દોમા રહેલો ભાવ શું છે તેની ઓળખ કરતા. પછી જે હિરોઇન પર ગીતનુ ફિલ્માંકન થવાનુ હોય તેના ચહેરાના હાવભાવ, અવાજ અને ડાન્સની સ્ટાઇલને નજરમાં રાખતા અને પછી ગીતનું રેકોર્ડિંગ થતું એટલે જ જ્યારે સ્ક્રિન પર ગીત આવે ત્યારે લોકોને એવું જ થાય કે ગીત આશા ભોંસલે નહી પણ હેલન ગાઇ રહી છે.

સૂરીલા કંઠ વિષે થોડું અજાણ્યું:

  • ગિનીઝ બુકના હિસાબે તેમણે સૌથી વધુ ગીતો ગાયા છે.
  • ગ્રેમી એવોર્ડ નોમિનેશન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય
  • કેબ્રે પ્લેબેક માટે જાણીતા હોવાને લીધે તેમને પ્રથમ નેશનલ એવોર્ડ ગઝલ માટે મળ્યો હતો
  • તેમણે એક એવા ગીત માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો કે જે ક્યારેય પિક્ચરાઇઝ ન થયું. તે ગીતચૈન સે હમકો કભી આપને જીને ન દિયાહતું.
  • લગભગ ૨૦થી વધુ ભાષામાં તેમણે ગીતો ગાયા છે
  • તીસરી મંજિલ ફિલ્મના ગીતઆજાઆજા..ગીત માટે આશાતાઈએ ૧૦ દિવસ રિહર્સલ કર્યું હતું
  • પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેનું સમગ્ર જીવન ખતરાઓથી ભરેલું રહ્યું. તેમણે દરેક વખતે રિસ્ક લઈને સફળતા મેળવી. છેલ્લા 6 દશકાઓથી ગાયન ક્ષેત્રે સક્રિય છે અને આજે પણ પ્રયોગ કરવાથી તેઓ અચકાતી નથી. ઘરમાં લતા મંગેશકર જેવી ગાયિકા હોવા છતાં આશાએ પોતાની ઓળખ બનાવી. કેરિયરના શરૂઆતી ગાળામાં તેમણે બી અને સી ગ્રેડ ફિલ્મોના ગીતો મળ્યા. બધા સંગીતકાર લતાને સારા અને આશાને બીજા નંબરના ગીતો ગાવા આપતા હતા. આશા પોતાના ગાયેલા ગીતોને બીજીવાર સાંભળવુ પસંદ નહોતી કરતી. આ વિશે તેમનું કહેવું છે કે આનાથી તેમના જખ્મો ફરી તાજા થઈ જાય છે. આશા પોતાના પર્સનલ જીવનમાં કદી ફેશન નથી કરતી. સજી-ધજીને નકલી વસ્તુઓના શૃંગાર સહિત બહાર નીકળવું તેમને પસંદ નથી. તેમનો તર્ક છે કે - 'હું અસલ છું અને આવી જ રહેવા માંગુ છું. જાડી છું, કાળી છું, તેવી જ રહેવું ગમે છે.

    ***