લીલા બા... વાર્તા...
લીલા બા નુ સાચુ નામ તો લીલાવતી હતુ પણ બધા લીલા કહીને જ બોલાવતા. લીલા બા નાનપણથી જ પોતાને જે ગમે એ જ કરતા. કોઈ સગવહાલા આવે અને કંઈ સલાહ આપે તો પણ કાને ન ધરતાં. પરિવારમાં બે મોટી બહેનો હતી એ વચેટ હતા પછી એક નાનો ભાઈ હતો. લીલા બા નાનપણથી જ સેવાભાવી, ભક્તિ ભાવ વાળા અને નિખાલસ હતા પણ મનમોજી હતા. આમ લીલા બા એ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. મોટી બહેનોના લગ્ન થઈ ગયા. એક દિવસ લીલા બા ના બાપુ શહેરમાં છોકરો જોઈ આવ્યા અને આવીને વાત કરી અને લીલા બા નું નક્કી થયું. અને જોતજોતામાં લગ્ન લેવાયા અને લીલા બા પરણીને સાસરે આવ્યા.
સાસરે આવીને લીલા બા એમનાજ સ્વભાવ પ્રમાણે રહેવા લાગ્યા તો સાસુ સાથે અણબનાવ રહેવા લાગ્યો. લીલા બા ના પતિ અરજણ સમજાવતા કે તુ આવી રીતે ના રહે ઘરમાં કજીયો થાય છે તો તુ મારી મા નુ કહ્યું કર. પણ લીલા બા કહે હું સાચી છું હું ક્યાં કોઈ ખોટું કામ કરુ છું મારો તો નિયમ છે હું ખોટું કામ કરતી નથી અને ખોટી વાતો સાંભળતી નથી. આમ લીલા બા એમની મરજી પ્રમાણે જીવવા લાગ્યા. લીલા બા ઘરમાં બધાનું ધ્યાન રાખતા અને બધાની જરૂરિયાત મુજબ બધાને સાથે સહકાર આપતા અને બધાનું ધ્યાન રાખતા.
સમય જતા બે દિકરા ના મા બન્યા. બન્ને દિકરા વચ્ચે બે વર્ષ નો જ ફેર હતો. મોટો મિહીર અને નાનો અનિલ. છોકરાઓ ને ભણાવ્યા, ગણાવ્યા. બંને દિકરાઓને કોલેજ પુરી થતા સારી કંપનીમાં નોકરી મળી ગઈ. મિહીર ને કંપની તરફથી તક મળી વિદેશ જવાની અને આમ પણ મિહીરને ભારતમાં રહેવું જ ન હતું એની નાનપણથી જ ઈચ્છા વિદેશમાં વસવાની હતી. " ભાવતુ તુ ને વૈદે કહ્યું " એણે તક સ્વીકારી લીધી અને ઘરે આવી વાત કરી ઘરમાં બધાને વાત કરી . બધા ખુશ થયા પણ કાયમ માટે વિદેશ જવાની ના કહી. લીલા બા કહે એને જવું જ છે તો જવાદો પરાણે રાખી ને શું ફાયદો આમ એ મનથી મક્કમ નિર્ધાર વાળા હતા. આમ મિહીર વિદેશ જતો રહ્યો. સમય મળે કોક દિવસ ફોન કરીને વાત કરતો અને ત્યાં લગ્ન કરી લીધા. અનિલના પણ લગ્ન નાતની છોકરી સાથે કરાવ્યા લીલા બા એ. અનિલની વહુ નું નામ લતા હતુ.
એક દિવસ અરજણ ભાઈ એ લીલા બા ને કહ્યું કે હવે બાકીની જિંદગી હરદ્વાર આશ્રમમાં ગુજારીયે. લીલા બા એ ના કહી કે તમારે જવું હોય તો જાવ હું તો અહીં જ રહીશ.
અરજણ ભાઈ હરદ્વાર જતા રહ્યાં. આમ હવે ઘરમાં ત્રણ જણા રહ્યાં. લીલા બા, અનિલ અને લતા.
લતા લીલા બા ને કંઈ જ કામ ના કરવા દે અને ખુબ જ સાચવે. પણ લીલા બા કંઈ ને કંઈ વાતમાં પોતાનો કક્કો ખરો કરાવે અને અનિલ આવે એટલે ફરિયાદ કરે. નાની નાની વાતમાં નારાજ રહે. ગમે એવું સારુ ખાવાનું બનાવી દે લતા પણ લીલા બા ના ખાય.
અનિલ ને ત્યાં એક દિકરી નો જન્મ થયો ઘરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો. લતા પિયર હતી. છ મહિના પછી લતા દિકરી લઈને આવી. લીલા બા દિકરી જોડે નાના બાળક બની રમતા અને દિકરી ને ખુબ જ સાચવતા આ જોઈ અનિલ અને લતા ખુબ જ ખુશ થતા કે બા ને સમજવી અઘરી છે બસ એ ખુશ રહે એ જ આપણી ખુશી છે....
ભાવના ભટ્ટ અમદાવાદ...