Vandana - 16 books and stories free download online pdf in Gujarati

વંદના - 16

વંદના -16
ગત અંકથી ચાલુ...

આખરે તે દંપતિ મારી જીદ્દ સામે નમતું મૂકી દીધું ને મને મારા ઘરે મારી દાદીને મળવા લઈ ગયા. પરંતુ મારા ઘરમાં તાળું લાગેલું હતું. આસપાસ બધાને પૂછ્યું પણ એ લોકો મને જીવીત જોઈને અચંબિત થઈ ગયા. મારા દાદી એ લોકોને ને મારી માતા સાથે હું પણ મૃત્યુ પામી છું એવા સમાચાર આપ્યા હતા. આસપાસ કોઈને પણ ખબર ના હતી કે મારા દાદી ક્યાં છે કઈ હાલતમાં છે. ઘણી મથામણ કર્યા પછી મને અચાનક સૂઝ્યું કે કદાચ મારા દાદી દિલ્હીમાં આવેલું સ્વામિનારાયણ મંદિર પાસેના આશ્રમમાં જ ગયા હશે, મારા દાદી ઘણી વાર સ્વામિનારાણ મંદિરમાં સેવા આપવા જતા. મારા દાદી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. એટલે એ ત્યાં જ હશે...

અમે લોકો ત્યાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા આશ્રમમાં પહોંચી ગયા. આશ્રમમાં તપાસ કરતા ખબર પડી કે મારા દાદી ત્યાં જ મંદિર પાસે આવેલી એક ઓરડીમાં રહે છે. મંદિરમાં સેવા આપવા આવતા દરેક વ્યક્તિને ત્યાં રહેવા માટેની બધી વ્યવસ્થા આપેલી હોય છે. મેં ત્યાં ઓરડી તરફ દોટ મૂકી અને મારા દાદી પાસે જઈને તેમને વળગી પડી.

" શું લેવા આવી છો અહીંયા? પેલા તારા બાપને ખાઈ ગઈ હવે મા અને તારા દાદા ને પણ તે ન છોડ્યા હવે અહીંયા શું મારો જીવ લેવા આવી છો? જા જતી રે અહીંયા થી મારે તારું મોઢું પણ નથી જોવું કાશ તને જન્મતાવેત જ મારી નાંખી હોત તો આ દિવસ ના જોવો પડ્યો હોત" મારા દાદી મને તેના થી દુર કરતા ખુબજ ક્રૂરતાથી બોલ્યા..

"પણ દાદી મે શું ગુનો કર્યો છે. હું દીકરી છુ એ મારો ગુનો છે કે પછી જન્મતા જ મારા પિતા મૃત્યુ આપ્યા એ મારો ગુનો છે?, મને એ તો કહો કે શું મેં દીકરીના બદલે દિકરો બની ને જન્મ લીધો હોત ને મારા જન્મતા જ મારા પિતાનું મૃત્યુ થયું હોત તો શું તમે મને આમ તરછોડત ?" ખબર નહિ ક્યાંથી મારામાં એટલી હિંમત આવી ગઈ ને હું મારા દાદી સામે આવો પ્રશ્ન કરી બેઠી...

તે દંપતિ એ પણ મારા દાદીને સમજાવવાની કોશિશ કરી. " જોવો માજી આ દીકરી કે દીકરો કે પછી આ શુકન અપશુકન એવું કંઈ જ ભેદભાવ હોતા જ નથી. માણસ પોતાના કર્મોને આધીન જીવતો હોય છે. કદાચ તેના પિતાના નસીબમાં દીકરીનું સુખ ભોગવવાનું નહિ લખ્યું હોય. અને રહી વાત તેની માતા કે દાદાની તો એ લોકોના નસીબમાં જે કંઈ થયું એ બધું પણ એ લોકો ના કર્મોના લેખા જોખા છે એમાં આ બાળકીનો શો વાંક?"

અમારી આ બધી વાતો ત્યાંથી નીકળતા એક સ્વામીનારાયણ ભગવાનનો કેસરી ભગવો પેહરેલા સાંખ્યયોગી બહેનનાં કાને પડી. તેઓ ઓરડીમાં આવીને પૂછવા લાગ્યા" જય સ્વામિનારાયણ બેનબા મારું નામ લીલાબા છે. અહીંયાથી નીકળતી હતી તો જોયું કે અહીંયા કોઈ બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો છે.બેન બા બધું ઠીક તો છે ને? કોઈ દુવિધા છે તો કહો સ્વામિનારાયણ ભગવાન અચૂક તમારી મદદ કરશે. તેઓ મારા દાદીને સંબોધતા બોલ્યા..

મે તરત જ તેમની સામે જોતા કહ્યું” લીલાબા તમે જ કહો કે મે દીકરીનો અવતાર લીધો છે એમાં મારો કોઈ વાંક છે? કે પછી જન્મતા વેંત મારા પિતા મૃત્યુ પામ્યા એમાં મારો કોઈ વાંક છે?" મે લીલાબાને પ્રશ્ન કર્યો.

"ના ના દીકરી તેમાં તારો શો વાંક આ તો બધું કુદરતનું ઘડેલું અને આપના કર્મોના આધારે હોય છે ને દીકરી હોવું એ ગુનો થોડી છે!" લીલાબા મારા પ્રશ્નનો ઉત્તર આપતા બોલ્યા...

"તો સમજાવો મારા દાદીને કે આમ મારા કોઈ વાંક ગુના વગર મને તરછોડે નહિ” મેં મારી નિર્દોષતા વ્યક્ત કરતા કહ્યું..

"પણ શું વાત છે મને કોઈ વિસ્તારથી કહેશો તો હુ કંઇક તમારી મદદ કરી શકું' લીલાબા એ કહ્યું...

મેં મારી કથની લીલાબાને કહી સંભળાવી. લીલા બા પણ મારી વાત સાંભળીને મારા દાદી પર થોડા નારાજ થતાં બોલ્યા " બેન બા તમે એક દીકરીને નથી તરછોડી રહ્યા તમે તો સ્વામિનારાયણ ભગવાને આપેલા પ્રસાદ નું અપમાન કરી રહ્યા છો. દીકરો હોય કે દીકરી એ બધું આ સ્વામિનારાયણની કૃપા પ્રસાદી છે. પછી એમને આપેલું કાંઈ પણ હોય એને આમ નિરાધાર છોડી દેવું એ તેમના અપમાનના પાપ બરાબર જ છે. તમે મનમાં આટલું મોટું પાપ લઈને તેમની સેવા કઈ રીતે કરી શકો. હું જોવું છું ઘણા નિસંતાન દંપતીઓ મારા પ્રભુ સામે સંતાનની ભીખ માંગતા હોય છે અને તમે એમને આપેલા પ્રસાદ નું અપમાન કરો છો. આ પાપ સાથે હું તમને અહીં મંદિરમાં તો નહિ જ રહેવા દઉં.....

"લીલાબાની વાત સાંભળીને મારા દાદી તેમના ચરણમાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ને બોલ્યા મને માફ કરો લીલા બા મારી ભૂલ હું સ્વીકારું છું પણ તમે મને આમ મંદિર માંથી જવાનું ના કહો હું મારું બાકીનું જીવન પ્રભુની સેવા કરી મે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું અને હું આ મારી દીકરીને પણ મારી સાથે અહીંયા જ રાખીશ. હવે ખબર નથી કે હું ક્યાં સુધી જીવીશ પણ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી દીકરીની ખૂબ સંભાળ રાખીશ'

આ સાંભળીને તે બને દંપતિ મૂંઝવણમાં પડી ગયા થોડી વાર માટે કોઈ કઈજ ના બોલ્યું. હું પણ મારી દાદીને ભેટીને તેના પ્રેમની હુંફ માણી રહી હતી ત્યાં જ એ દંપતીએ લીલા બા પાસે વિનંતી કરતા કહ્યું' લીલા બા એક પાપનું પ્રાયશ્ચિત તો અમારે પણ કરવું છે. અમે બંને પતિપત્ની વારસો થી સંતાનથી વંચિત છીએ, જે રાતે વંદનાની માતા નો એકસીડન્ટ થયો એ રાતે અને અમારા કુળદેવીના દર્શન કરવા જ જઈ રહ્યા હતા. કુળદેવીની માનતા લેવા કે જલ્દી થી માતાના આશીર્વાદ થી અમને પણ સંતાનની કૃપા પ્રાપ્ત થાય પરંતુ નસીબમાં કંઈક જુદું જ લખ્યું હશે. એ કાળી રાતે મારા જ કારથી એ અકસ્માત સર્જાયો હતો. અમે ત્યારે જ બનેને હોસ્પિલમાં લઈ જઈને ઘણી કોશિશ કરી કે વંદનાની માતા બચી જાય પરંતુ વંદનાની માતાને અમે બચાવી ના શકિયા પરંતુ તે ખુદ જતાં જતાં અજાણતા થયેલા અમારા પાપનું પ્રાયશ્ચિત કેમ કરવું એનો ઉપાય પણ એમને જ અમને બતાવ્યો છે. જતાં જતાં એ પોતાની દુઃખદ કહાની પણ અમને કહેતા ગયા. અને વંદનાના ભવિષ્યની જવાબદારી અમને સોંપીને ગયા હતા. તમને વિશ્વાસ ના આવે તો મારી પાસે વંદનાની માતા એ પોતાના અવાજમાં કરેલું રેકોર્ડ હું તમને હમણાં સંભળાવું.

ત્યારબાદ તે લોકોએ લીલા બાને અને મારા દાદીને મારા માતા એ કહલી રેકોર્ડ સંભળાવી. રેકોર્ડ સાંભળ્યા બાદ લીલાબા બોલ્યા" જોવો સ્વજન હું સમજુ છું. તમારી વાત અને તમારી ભાવનાને તમારા જેવા કોક જ હોય છે જે પોતાની ભૂલને સ્વીકારીને તેને સુધારવાનો પ્રયત્ન કરતા હોય એ પણ અજાણતા થયેલી ભૂલ પરંતુ આ દીકરી પર પહેલો હક્ક તેની દાદીનો છે. જો તેની દાદી પોતાની મરજીથી તમને પોતાની દીકરી સોંપે તો હું પોતે સ્વામિનારાયણ ભગવાનના સાક્ષીમાં આ દીકરીને તમને સોંપી દઈશ.”

"ના લીલાબા ના આટલા વર્ષે તો મારી આખ ખુલી છે. મે ક્યારેય મારી દીકરીને પ્રેમ નથી આપ્યો હંમેશા તેને ધુત્કારી છે. હવે હું એને આમ નહિ જવા દઉં હું જીવું છું ત્યાં સુધી તો હું મારી દીકરીને મારાથી અલગ નહિ જ કરું. હું અહીંયા મંદિરમાં રહીને પણ એને ભણાવીશ જો એ પરણવા લાયક થાય ત્યાં સુધી જો હું જીવીત રહીશ તો હું એને સારા ઘરમાં પરણાવીને વિદાય આપીશ. મારા આ ઘરડા શરીરનો સહારો હવે આ જ છે. હવે એને આમ મારાથી અલગ ના કરો હું તમારી આગળ હાથ જોડીને વિનંતી કરું છુ ." એટલું બોલતાં મારા દાદીના ગળે ડૂમો ભરાઇ આવ્યા ને તેમની આંખોમાંથી જાણે ગંગા જમુના વહેવા લાગ્યા..

મારી દાદીને આમ રડતા જોઈ મને પણ અત્યંત પીડા થવા લાગી મેં મારું માથું મારા દાદીના છાતી સરસી ચાંપી દીધુ અને તેમને સાંત્વના આપતા કહ્યું "દાદી તમે ચિંતા નહિ કરો હું અહીંયા તમારી પાસે જ રહીશ. હું ઘડપણ માં તમારો સહારો બનીશ. તમે ચિંતા નહિ કરો હું ક્યાંય નહિ જાવ."

બને દંપતિ પણ એકબીજા સામે જોઈને મુઝવણમાં પડી ગયા. એમના સુના જીવનમાં મારા દ્વારા એક આશ બંધાઈ હતી. એ લોકો તો મને ભગવાનનો આશીર્વાદ સમજી મને મનથી પોતાની દીકરી સ્વીકારી લીધી હતી. એ આશાનું કિરણ ડૂબતું નજર આવા લાગ્યું કઇ રીતે એ મને અને મારા દાદીને માનવે એ મુઝવણમાં પડી ગયા...

ક્રમશ...

વધુ આવતા અંકે...

તમારો કીમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ. તમારા પ્રતિભાવ મને વધુ સારું લખવા માટે પ્રેરિત કરશે. જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર...