Padmarjun - 22 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ - 22)

“પદ્મિની, હું થોડાં દિવસ માતા સાથે રહેવાં માંગુ છું.”આર્યાએ કહ્યું.

“ઠીક છે આર્યા. તો હવે હું અને રાજકુમાર અર્જુન અહીંથી નીકળીએ એટલે સૂર્યાસ્ત પહેલાં રાજમહેલ પહોંચી જઈએ.”પદ્મિનીએ કહ્યું.

અર્જુન અને પદ્મિની ગુરુ સંદીપની આજ્ઞા લઈને પરત જવા માટે નીકળ્યાં. અડધાં કરતાં પણ વધુ માર્ગ કપાઇ ગયો હતો છતાં પણ બંને વચ્ચે એક પ્રકારનું મૌન પથરાયેલું હતું.

હવે આગળ :

“રાજકુમાર,તમે હજુ પણ મારાથી ક્રોધિત છો?”પદ્મિનીએ પૂછ્યું.

અર્જુને પદ્મિની સામે એક ક્ષણ પૂરતું જોયું અને ફરીથી આગળ જોઈને ચાલવા લાગ્યો.તેનો આવો વર્તાવ જોઈને પદ્મિનીએ ચાલતાં-ચાલતાં જ કહ્યું,

“રાજકુમાર, મારાં માતા-પિતા કહેતાં કે હું જ્યારે નાની હતી ત્યારે બહું જ ડાહી હતી. બીજા બાળકોની જેમ બહુ તોફાન ન કરતી.એટલે તેઓ મારાં પર બહું ઓછા ક્રોધિત થતાં.ધીમે-ધીમે હું મોટી થઈ.મને શિક્ષણ આપવા માટે મારાં ગુરુજી ઘરે જ આવતાં.હું શિક્ષણમાં બહુ આગળ હતી.બધાં જ શ્લોકો, નાટકો મને બહુ જ જલ્દી સ્મરણ થઇ જતાં. તેથી મારાં ગુરુજી પણ ક્યારેય મારાં પર ક્રોધિત ન થતાં. મારામાં ગ્રહણ શક્તિ ખુબ જ સારી હતી.એટલે માતા જયારે રસોઈ કે અન્ય વસ્તુ શીખવતી કે પછી પિતાજી કોઈ વ્યવહારુ જ્ઞાન આપતાં તો એનાં પર હું શીઘ્ર અમલ કરી શકતી માટે એ બાબતમાં પણ તેઓ મારાં પર ક્યારેય ક્રોધિત ન થયાં હતાં.પહેલાં મારો સ્વભાવ પણ એવો હતો કે મારાં ભાઈ-બહેન કે મિત્રોને પણ મારી સાથે સારું બનતું.”

પદ્મિનીએ નિસાસો નાંખ્યો અને ફરીથી કહ્યું,

“ઘણાં સમયથી એકલી ભ્રમણ કરું છું એટલે કોઈ મારાં પર ક્રોધિત થયું હોય એવો બનાવ જ નથી બન્યો.”

“આજે વર્ષો બાદ જ્યારે તમે મારાં પર ચિલ્લાયા,મારા પર ક્રોધિત થયાં ત્યારે મારાથી મારી લાગણીઓ ઉપર કાબુ ન રહ્યો.એટલે હું ત્યારે તમારાથી રિસાઈને ચાલી ગઈ.માટે મને ક્ષમા કરી દેજો.”પદ્મિનીએ પોતાની આંખોમાં આવી ગયેલ આંસુઓ લૂંછતા કહ્યું.

પદ્મિનીની લાગણીસભર વાત સાંભળીને અર્જુને તેની તરફ જોયું અને તેનો ચહેરો પોતાનાં બે હાથ વચ્ચે લીધો.

“પદ્મિની, માનું છું કે હું તારાં પર ક્રોધિત થયો પરંતુ મારો આશય તારી લાગણીઓને ઠેસ પહોંચાડવાનો જરાય પણ નહતો.હું મગરમચ્છને તારી પાસે જોઈને ગભરાઇ ગયો હતો. હું જો થોડાંક ક્ષણ માટે પણ મોડો પડ્યો હોત તો તો એ મગરમચ્છ….”

“પદ્મિની હું વિચારી પણ નથી શકતો કે તો તારી સાથે શું થયું હોત અને હા, તારે ક્ષમાં માંગવાની કોઈ પણ આવશ્યકતા નથી.પરંતુ ક્ષમા તો મારે તારી માંગવી જોઈએ.”

અર્જુને પોતાનાં હાથ જોડ્યા અને કહ્યું,

“પદ્મિની, મને ક્ષમા કરજે.હું વચન આપું છું કે હું તારાં પર ક્યારેય પણ ગુસ્સે નહીં થાવ.”

પદ્મિનીએ અર્જુન સામે જોયું,તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. અર્જુને તેની આંખોમાંથી આંસુઓ લૂછયાં.

“રાજકુમાર,હવે આપણે જઈએ.સૂર્યાસ્ત થવાં આવ્યો છે.”પદ્મિનીએ કહ્યું.

વિરમગઢની સભા

આજે સભામાં રાજપરિવારના બધા જ પુરુષો હાજર હતા. સુકુમારે બેઠાં-બેઠાં જ કહ્યું,

“મારે તમારાં બધા સાથે એક વિષયની ચર્ચા કરવી છે.”

“હા પુત્ર, બોલ.”શોર્યસિંહે કહ્યું.

“પિતાશ્રી,વેદાંગીનું ગણતર હવે પૂર્ણ થઇ ગયું છે.તો મારો વિચાર છે કે હવે તેનો સ્વંયવર ગોઠવવો જોઈએ.”

બધાએ સુકુમારનાં પ્રસ્તાવને સ્વીકૃતિ આપી.

“કાકાશ્રી, મારો સુજાવ છે કે આપણે સાથે મળીને સ્વયંવરમાં ક્યાં-ક્યાં રાજ્યોનાં રાજકુમારોને આમંત્રણ આપવું એ નક્કી કરી લેવું જોઈએ.”દુષ્યંતે કહ્યું.

દુષ્યંતનો સુજાવ માનીને બધા એ વિશે ચર્ચા કરવાં લાગ્યાં. બધાએ પોત-પોતાની રીતે રાજકુમારોનાં નામનો સુજાવ કર્યો.

અર્જુનને અચાનક યોદ્ધા સ્પર્ધા યાદ આવી ગઈ અને તેણે કહ્યું,

“દાદાશ્રી,મારાં ધ્યાનમાં પણ એક યોગ્ય રાજકુમાર છે.”

“કોણ પુત્ર?”

“મલંગ રાજ્યનો રાજા, વિદ્યુત.”

“હા,એનો સ્વભાવ અને વ્યક્તિત્વ તો મને પણ પસંદ આવ્યું હતું.”વિસ્મયે કહ્યું.

“અમે પણ સહેમત છીએ.”યુયૂત્સુ અને દુષ્યંતે કહ્યું.

અંતે બધા યોગ્ય રાજકુમારોનાં નામ નોંધી બધા છુટા પડ્યાં.

વેદાંગીનો સ્વયંવર યોજાવવાનો છે એ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ હતી. બંને રાજકુમારીઓ,આર્યા અને પદ્મિની બગીચામાં બેઠાં હતાં.

“શું લાગે છે પદ્મિની,વેદાંગીની નિયતીમાં કોણ હશે?”વૈદેહીએ પૂછ્યું.

“મને તો લાગે છે કે મલંગ રાજ્યનાં રાજા વિદ્યુત જ સ્વંયવર જીતશે.કારણકે આર્ય કાલે કહી રહ્યાં હતાં કે કાલની સભામાં વિદ્યુતનાં બહું વખાણ થયાં હતાં."

આ સાંભળીને વેદાંગી શરમાઈને ચાલી ગઈ.પરંતુ મલંગ અને વિદ્યુતનું નામ સાંભળતા જ પદ્મિની ચિંતિત થઈ ગઈ.
તેણે નક્કી કર્યું કે તે આ વિષય પર રાજકુમાર અર્જુન સાથે અવશ્ય ચર્ચા કરશે.

બીજે દિવસે તક મળતાં પદ્મિનીએ અર્જુનને કહ્યું,

“રાજકુમાર,તમને શું લાગે છે?આ સ્વયંવર કોણ જીતશે?”

“મને તો લાગે છે કે આ સ્વયંવર અવશ્ય વિદ્યુત જ જીતશે.”

“વિદ્યુત એટલે મલંગ રાજ્યનો રાજા?”પદ્મિનીએ પૂછ્યું.

“હા, પણ તું તેને કેવી રીતે ઓળખે છે?કારણકે એ રાજ્ય તો અહીંથી બહુ દૂર છે.”અર્જુને પૂછ્યું.

“હા, એ રાજ્ય દુર તો છે પરંતુ હું ભ્રમણ દરમિયાન તેનાં એક પડોશી રાજ્યમાં થોડો સમય રોકાઈ હતી.”

“ઠીક છે.”

“રાજકુમાર, મને તેઓને નિમંત્રણ આપવું યોગ્ય નથી લાગતું.”

“તાત્પર્ય?”

“રાજકુમાર, હું એમ નથી કહી રહી કે વિદ્યુત એક સારો રાજા નથી.હું પણ જાણું છું કે તે એક ઉત્કૃષ્ઠ રાજા છે.પોતાનાં રાજ્ય અને રાજ્યની પ્રજાનું ધ્યાન રાખવું, તેઓનું કલ્યાણ કરવું વગેરેને તે પ્રથમ મહત્વ આપે છે.”

“તો પછી શું કારણ છે?”

“સારંગ.રાજકુમાર,હું જ્યારે તેનાં પડોશી રાજ્યમાં રહી ત્યારે મેં સાંભળ્યું હતું કે તે અત્યંત ક્રૂર રાજા છે. તે પોતાની મનોકામના પૂર્ણ કરવાં માટે કંઈ પણ કરી શકે છે.વિદ્યુત નિસંદેહ એક સારો રાજવી છે. તે વેદાંગીને સારી રીતે રાખશે.પરંતુ તે છે તો સારંગનો ભાઈ જ ને.ભવિષ્યમાં એવી સ્થિતિ ઉભી થઇ કે તેણે એક તરફ નીતિ અને એક તરફ પોતાના ભાઈ બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનાં થયાં તો તે પસંદ તો સારંગને જ કરવાનો ને.અને આપણે પણ અનિચ્છાએ તેનો સાથ દેવો પડશે.”

“તું સાચું કહી રહી છે પદ્મિની.હું આ નિમંત્રણ વિશે દાદાશ્રી સાથે જરૂર ચર્ચા કરીશ.”અર્જુને કહ્યું.

અર્જુનનાં ગયાં બાદ પદ્મિનીએ સ્વગત કહ્યું,

“વિદ્યુત, મને માફ કરી દે.પરંતુ હું મજબૂર છું.મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મારો ભૂતકાળ મને શોધતો-શોધતો અહીં પણ આવી જશે.”

...