Atitrag - 13 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 13

અતીતરાગ-૧૩

અતીતરાગની તેરમી કડીની વિતકકથામાં સુખદ નહીં પણ દુઃખદ સંભારણા વિષે ચર્ચા કરીશું.

કંઇક અંશે વ્યથિત કરી મુકે એવી વીતકકથા. હિન્દી ફિલ્મ જગતના એ તારલાં જે એવાં કસમયે ખરી ગયાં જે સમયે તેમના અભિનયનું તેજ સૌને ચકાચોંધ કરી રહ્યું હતું.

આજે દાયકાઓ બાદ પણ તેમના નામ સ્મરણ માત્રથી તેમના વિરલ વ્યક્તિવની ઝાંખી નજર સમક્ષ ઉપસી આવે.

સીને જગતમાં આજે પણ ધ્રુવ તારા માફક ચળકતાં એ સિતારાના ચિતારની ઝલક પર એક નજર કરીએ.

અકાળે આપણી વચ્ચેથી અલવિદા થઇ ચૂકેલાં એ સિતારામાંથી સૌથી પહેલું નામ છે..

વસંતકુમાર શિવશંકર પાદુકોણ, આપણે સૌ જેમને ગુરુદત્તના નામથી ઓળખીએ છીએ.

ગુરુદત્ત એકટર, ડીરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર ઉપરાંત અનેક લોકો માટે રહસ્યમય વ્યક્તિત્વ પણ હતાં. જાણે કોઈ કોયડો. તેમણે તેમના નિર્માણમાં એક નાવીન્ય શૈલીનો આવિષ્કાર કર્યો હતો. જેને નામ આપવામાં આવ્યું હતું ‘ SHADOW VISION.’ તે શૈલીનો તેઓ તેમની ફિલ્મોમાં ભરપુર અને બહેતરીન ઉપીયોગ કરતાં હતાં. ગુરુદત્ત એટલાં દીર્ઘદ્રષ્ટા હતાં કે તેમણે નિર્માણ કરેલી ફિલ્મો સમયધારા કરતાં ઘણી આગળ હતી. આજે પણ ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં ફિલ્મ મેકિંગ પ્રોસેસની થીયરી માટે તેમની ફિલ્મો ‘કાગઝ કે ફૂલ’ અને ‘પ્યાસા’ ત્યાના અભ્યાસક્રમમાં સામેલ છે.

ગુરુદત્ત જેટલાં તેના કામ માટે સતેજ અને પરફેક્ટ હતાં તેટલા જ તેની અંગત લાઈફ માટે બેદરકાર અને બેજવાબદાર હતાં.

તેઓ Insomnia મતલબ અનિદ્રા રોગના શિકાર હતાં. તેમને ઊંઘ ન આવવાની બીમારી હતી. તેના કારણે તેઓ નિયમિત સ્લીપિંગ પિલ્સ (ઊંઘની ગોળીઓ)નું સેવન કરવાં લાગ્યાં.

આખરે...૧૦ ઓક્ટોબર ૧૯૬૪ની રાત્રે ગુરુદત્ત કાફી શરાબના નશામાં ધૂત્ત હતાં અને એ નશામાં ભાન ભૂલ્યા બાદ તેઓ એ હદ બહારની માત્રામાં સ્લીપિંગ પિલ્સ ગળી ગયાં કે, હંમેશ માટે મૃત્યુની આગોશમાં પોઢી ગયાં.

ફક્ત ૩૯ વર્ષે તેમનું નિધન થયું.
કંઇક એવી પણ અફવા ઉડીને આવી કે, ગુરુદત્તે આ પગલું જાણીજોઇને ભર્યું હતું,
આ વિધાન પાછળનું તર્ક એ હતું કે, આ પહેલાં પણ ગુરુદત્ત બે વખત આત્મહત્યાની નિષ્ફળ કોશિષ કરી ચુક્યા હતાં.

સત્ય જે કંઇ હોય પણ આટલાં વર્ષે પણ હજુ કોઈ બીજો ગુરુદત્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પેદા નથી થયો એ સત્ય છે.

બીજા સિતારાનું નામ છે.. હર્કીર્તન કૌર.

આપણે સૌ જેને ગીતાબાલીના નામથી ઓળખીએ છીએ.
તેમની બીજી પણ એક ઓળખ હતી, મીસીસ શમ્મી કપૂર.

જી હાં, વર્ષ ૧૯૫૫માં શમ્મી કપૂર અને ગીતાબાલી બન્નેની મુલાકાત થઇ એક ફિલ્મ શૂટિંગ દરમિયાન. એ ફિલ્મનું નામ હતું ‘રંગીન રાતે.’ તે સમય દરમિયાન પરસ્પર બન્ને વચ્ચે પ્રેમાંકુર ફૂટ્યાં.

પણ કપૂર ખાનદાનમાં એક વારસાગત પરમ્પરા હતી કે, કપૂર પરિવારની પુત્રવધુને ફિલ્મોમાં કામ કરવાં પર પાબંદી હતી. ગીતાબાલીને આ શર્ત મંજૂર નહતી. પણ શમ્મી કપૂર, ગીતાબાલીથી બેઇન્તેહા મુહોબ્બત કરતાં હતાં એટલે..

કપૂર પરિવારની પરવા અને કોઈને જાણ કર્યા વગર ગુપચુપ બન્નેએ મંદિરમાં લગ્ન કરી લગ્નજીવનમાં બંધાઈ ગયાં.

ગીતાબાલીની ફિલ્મી કારકિર્દી દસ વર્ષની રહી. એ દસ વર્ષમાં તેમણે ઘણાં દિગ્ગજ કલાકારો સાથે અભિનય સાધનાની સંગત કરી. જેમાં તેમના શ્વસુર પૃથ્વીરાજ કપૂર (ફિલ્મ ‘આનંદ મઠ’ ) અને તેમના જેઠ રાજ કપૂર ( ફિલ્મ ‘બાવરે નૈન”) પણ સામેલ હતાં.

અંતે ૨૧ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે Smallpox (શીતળા) ની બીમારીના ભોગથી તેમનું અવસાન થયું..

માત્ર પાંત્રીસ વર્ષની ટૂંકી આયુમાં તેમની જીવનલીલા સંકેલાઈ ગઈ.

ત્રીજા સિતારાનું નામ છે..
મહેઝબીન બાનો...
જે ફિલ્મ જગતમાં મીનાકુમારીના નામથી મશહુર છે.
તેમની અફલાતૂન અદાકારીથી સૌ એ તેમને ‘ટ્રેજેડી ક્વીન’નું બિરુદ આપ્યું હતું.
અને તે બિરુદ તેની રીયલ અને રીલ બંને લાઈફ પર પરફેક્ટ શૂટ થતું હતું.
બચપણમાં તેમને અભ્યાસમાં રુચિ હતી પણ, તેમના માતા-પિતાએ તેમને પરાણે ફિલ્મ સ્ટુડીઓ મોકલવા લાગ્યાં. તે સમયે તે બેબી મીનાના નામથી ઓળખવા લાગી.

પુખ્ત વય સુધીમાં નાની મોટી ફિલ્મો કરી. પણ ત્યાં સુધીમાં સૌ એવું માનવા લાગ્યાં કે. પડદા પર પીડાની પરિભાષાની અનુભૂતિને અભિનય દ્વારા આત્મસાત કરવાની કળા મીનાકુમારીએ ઉત્તમ રીતે હાંસિલ કરી લીધી હતી.

રંજ, વેદના, સદમા, વ્યથા, શોક ભર્યા દ્રશ્યોને તે પડદા પર જીવંત કરી મૂકતાં.
હિન્દી ફિલ્મ જગતમાં સૌથી પહેલો ફિલ્મફેર એવોર્ડ મેળવનારી અભિનેત્રી હતી મીનાકુમારી, ફિલ્મ હતી ‘બૈજુ બાવરા.’ વર્ષ ૧૯૫૪.

એ પછી તેમના ઘર સામે નિર્માતાઓ લાઈન લાગવાં લાગી. પણ તેમના અંગત જીવનથી તે અત્યંત દુઃખી હતાં. વર્ષ ૧૯૫૨માં તેમણે નિકાહ કર્યા ડીરેક્ટર કમાલ અમરોહી જોડે.

મીનાકુમારીની અંગત જિંદગીની નાની અમથી પસંદગી પર પણ પુરેપુરી પાબંદી હતી કમાલ અમરોહીની. કોને મળવું ? કેમ મળવું ? કઈ ફિલ્મ સાઈન કરવી ? આવાં નિર્ણય કમાલ અમરોહી લેતાં.

છેવટે કંટાળીને મીનાકુમારી વર્ષ ૧૯૬૪માં કમાલ અમરોહીથી અલગ થઇ ગયાં.
લગ્નજીવનની તિરાડે મીનાકુમારીને તન,મન અને ધન ત્રણેયથી તોડી નાખ્યાં.
સમય જતાં અનિદ્રાના રોગનો શિકાર બન્યાં. અને કોઈ તબીબે તેમને થોડી બ્રાન્ડી (શરાબનો એક પ્રકાર ) લેવાનું શરુ કરો, દવાના પ્રમાણમાં, એવી સલાહ આપી.

થોડી... થોડી વધુ... તેનાથી થોડી વધુ... બ્રાન્ડી દવા નહીં માત્ર દારૂ જ બની ગઈ.
અને અંતે એ દારૂમાં એ હદે ડૂબી ગયાં કે, ૩૧ માર્ચ ૧૯૭૨ના દિવસે નિસ્તેજ દેહને દારૂનો દૈત્ય ગળી ગયો.
માત્ર અને માત્ર ચાળીશ વર્ષની આયુ હતી મીનાકુમારીની.

સિતારાની યાદીનું હવે પછીનું નામ છે..
બેગમ મુમતાઝજહાં દહેલવી.
ઘણા લોકો તેને મેરલીન મનરો ઓફ ધ ઇસ્ટના નામથી પણ ઓળખે છે.
બોલીવૂડમાં તે મધુબાલાના નામથી પરિચિત છે.
માત્ર તેના મારકણા સ્મિતથી આજે પણ કરોડો દિલો પર રાજ કરે છે, તે મધુબાલાનો જન્મ થયો હતો, વેલેન્ટાઇન ડેના દિવસે.. ૧૪ ફેબ્રુઆરી.

તે એટલી ખૂબસૂરત હતી કે કોઈ પણ પુરુષ પહેલી નજરે તેના પ્રેમમાં પડી જતો.
તેઓ જેટલા સૌન્દર્યવાન હતાં તેથી વધુ તેનું વ્યક્તિત્વ સુંદર હતું. એક ઉત્તમ અદાકારા.. પરંતુ અંગત જીવન ડામાડોળ. તેની પર્સનલ લાઈફની સ્ક્રીપ્ટ મીનાકુમારીની જીવનકથની સાથે મળતી આવતી હતી.

મધુબાલાની પસંદ-નાપસંદ નક્કી કરતાં તેના આકરા મિજાજના પિતા અત્તાઉલ્લા ખાન. તેમના લાઈફની સૌથી દુઃખદ ઘટના એ રહી કે, જે વ્યક્તિને તે સૌથી વધુ ચાહતા હતાં તેમને મેળવી ન શક્યા. હાં. દિલીપકુમાર.

દિલીપકુમારે મધુબાલાને તેમના પરિવારની વિરદ્ધ જઈને લગ્ન કરવાની ઈચ્છા પણ દર્શાવી પણ મધુબાલા તે પગલું ન ભરી શક્યા.

તે પછી દિલીપકુમાર, સાયરાબાનુ જોડે લગ્નજીવનથી જોડાયા અને તે વાતનો મધુબાલાને જબરો આઘાત લાગ્યો. ત્યારથી તેમની તબિયત નાદુરસ્ત રહેવાં લાગી.
ત્યારબાદ વર્ષ ૧૯૬૦માં મધુબાલાએ કિશોરકુમાર જોડે ઘરસંસાર માંડ્યો.
તે લગ્નજીવન પણ મધુબાલાને ખુશ ન કરી શક્યું, કારણ કે કિશોરકુમારના હિન્દુ પરિવારે મુસ્લિમ પરિવારની મધુબાલાનો અસ્વીકાર કર્યો.

કિશોરકુમારે મધુબાલા માટે અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા કરી જ્યાં મધુબાલા એકલાં રહેતાં હતાં.

ધીમે ધીમે એકલતાનો ગાળિયો મધુબાલાને ભીંસવા લાગ્યો અને તેમને એ બીમારી હતી કે તેમના હ્રદયમાં છેદ હતું. Hole in the Heart.
તે સમયમાં ઓપન હાર્ટ સર્જરીની સારવાર ઉપલબ્ધ નહતી.

અંતે દિલમાં પડેલાં ખેદ અને છેદની પરિસીમા તૂટતાં ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૫ના દિવસે
મધુબાલાએ અંતિમ શ્વાસ લીધાં. ફક્ત અને કફત ૩૬ વર્ષની ઉમ્રમાં આ ફાની દુનિયાને છોડી ગયાં.

હવે જે સિતારાનો હું ઉલ્લ્ખેખ કરું તેનું નામ છે
હરિહર ઝરીવાલા. જી હાં, હું વાત કરું છું સંજીવકુમારની.

સંજીવકુમારની ગણના આજે પણ હિન્દી ફિલ્મ જગતના ટોચના કલાકારોમાં થાય છે.
તેમણે અફલાતૂન કોમેડી ફિલ્મો પણ કરી.
‘અંગૂર’ અને ‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મોમાં તેમનો અભિનય કોણ ભૂલી શકે ?
અથવા ગંભીર ભૂમિકામાં ‘શોલે’, ‘આંધી’ અથવા ‘પરિચય’ માંથી કોની પસંદગી કરો?
તેમની જયા બચ્ચન જોડે એક ફિલ્મ આવી હતી વર્ષ ૧૯૭૨માં ફિલ્મનું નામ હતું
‘કોશિશ’ જેમાં બન્નેએ બહેરા અને મૂંગાનો જાનદાર અભિનય કર્યો હતો.

સંજીવકુમાર અને જયા બચ્ચન સાથે એક બીજી પણ ઈન્ટરેસટીંગ કિસ્સો જોડાયેલો છે

ફિલ્મ ‘શોલે’ સંજીવકુમાર શ્વસુર અને જયા બચ્ચન બન્યાં પુત્રવધુ

ફિલ્મ ‘પરિચય’ સંજીવકુમાર બન્યાં પિતા અને જયા બચ્ચન બન્યાં પુત્રી

ફિલ્મ ‘કોશિશ’ સંજીવકુમાર બન્યાં પતિ અને જયા બચ્ચન બન્યાં પત્ની.

સંજીવકુમારની ફિલ્મી કેરિયરનો ગ્રાફ સુપર ડુપર રહ્યો પણ નીજી જિંદગીથી નાખુશ હતાં. ફિલ્મ ‘શોલે’ના શૂટિંગ દરમિયાન સંજીવકુમારે અનેક વાર હેમામાલીની સામે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. પણ દર વખતે હેમામાલીનીએ સદંતર અસ્વીકાર કર્યો.
એ વાતથી સંજીવકુમાર બેહદ દુઃખી રહેવા લાગ્યાં અને અને અંતે રવાડે ચડ્યા મદિરાપાન વ્યસનના.

ધીમે ધીમે આ વ્યસનના વ્યાપથી તેમનું વજન વધ્યું, તબિયત લથડવા લાગી.
૧૯૭૫માં ‘શોલે’ રીલીઝ થઇ હતી અને ૧૯૭૬માં તેમના પર એક સ્વીયર હાર્ટ એટકનો હુમલો થયો.

એ સમયે તેઓ બાયપાસ સર્જરી માટે અમેરિકા ગયેલાં. પરતું ત્યાંથી પરત આવ્યાં બાદ પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ તો ન જ થઇ શક્યા. કાયમ નાજુક તબિયત રહેવા લાગી.
તેનું કારણ હતું હેમામાલીનીએ ઠુકરાવેલા પ્રેમ દર્દને તેઓ પંપાળતા રહ્યાં.
અને દારૂ પીવડાવીને દર્દની આવરદા વધારતાં રહ્યાં.

૧૯૮૦માં ધર્મેન્દ્ર અને હેમામાલીની લગ્નજીવનમાં જોડાયા બાદ સંજીવકુમાર તેની હેલ્થ માટે સાવ બેફીકર થઇ ગયાં.

આખરે ૬ નવેમ્બર ૧૯૮૫ના દિવસે તેના પર આવેલો હ્રદય રોગનો હુમલો પ્રાણઘાતક નીવડ્યો. ત્યારે તેમની વય હતી માત્ર ૪૭ વર્ષ.

હવે જે સિતારાનો હું ઉલ્લેખ કરવાં જીઈ રહ્યો છું, તેની વિદાયની વાસ્તવિકતાને તો આજે પણ તેના કરોડો ફેન્સ માનવા તૈયાર નથી.

સ્મિતા પાટીલ.. ૩૧ હાં, માત્ર અને માત્ર ૩૧ વર્ષની વયે સ્વર્ગવાસી થયાં છતાં તેમની ફક્ત દસ વર્ષની ફિલ્મ કારકિર્દીમાં તેના સશક્ત અભિનયનો જાદૂ પાથરીને હંમેશ માટે તેમના અસંખ્ય ચાહકોના દિલ-ઓ-દિમાગમાં હજુયે જીવિત છે.
દશ વર્ષમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, કન્નડા અને મલયાલમ ભાષાઓમાં મળીને કુલ ૮૦ ફિલ્મો કરી. આ દસ વર્ષમાં બે રાષ્ટ્રીય એવોર્ડ અને પદ્મશ્રી પુરુસ્કાર પણ મેળવી ચુક્યા હતાં.

ફિલ્મ ‘શક્તિ’ અને ‘નમક હલાલ’ માં તેમણે ગ્લેમર્સ ભૂમિકા પણ ભજવી.પણ તેમની જાનદાર અભિનયની શક્તિનો પરચો જોવા મળ્યો.. ‘અર્ધ સત્ય’ ‘મંડી’, ‘મિર્ચ મસાલા’ અથવા ‘બાઝાર.’ જેવી ફિલ્મોમાં.

સ્મિતા પાટીલનું રાજ બબ્બર સાથે અફેર હતું. આ વાતથી લઈને તેમના ચાહકો પણ તેમનાથી નારાઝ હતાં. કારણ કે રાજ બબ્બર ઓલ રેડી મેરીડ હતાં.

૧૯૮૬માં સ્મિતા પાટીલે રાજ બબ્બરના પુત્ર પ્રતિક બબ્બરને જન્મ આપ્યો અને તેના બે સપ્તાહ બાદ ચાઈલ્ડ બર્થ કોમ્પ્લીકેશનના કારણે શ્વાસ ખૂટી પડ્યા. ૧૩ ડીસેમ્બર ૧૯૮૬ દિવસે સ્મિતા પાટીલ પંચમહાભૂતમાં ભળી ગયાં. માત્ર ૩૧ વર્ષે.

દિવંગત છતાં જીવંત આ સિતારામાંથી કોઈના વિષે આપ કશું શેર કરવા ઇચ્છતા હો તો કોમેન્ટ બોક્સમાં જરૂર જાણવાજો.

આગામી કડી..

મહેમૂદ અને કિશોરકુમાર હિન્દી ફિલ્મજગતમાં આ બે એવાં કલાકાર હતાં જેમની અભિનય બક્ષિસ પર કુદરતના ચાર હાથ હતાં.

તે બન્નેનું કોમેડી ટાઈમિંગ ઈશ્વરે સેટ કર્યું હતું
બંને જેટલાં ઓન કેમેરા અનપ્રેડીકટેબલ હતાં એટલા જ મૂડી ઓફ કેમેરા મતલબ અંગત જિંદગીમાં હતાં.

બન્નેની એક સુપર ડુપર હિટ ફિલ્મ ‘પડોશન’ વિશે આપણે ચર્ચા કરીશું આગામી કડીમાં.

‘પડોશન’ ના નિર્માતા હતાં મહેમુદ સાબ. અને ‘પડોશન’માં અભિનય કરવાં માટે કિશોરકુમારે ડબલ ચાર્જની માંગણી કરી હતી. પણ શા માટે ?

તેનો ખુલાસો કરીશું નેક્સ્ટ એપિસોડમાં.

વિજય રાવલ
૨૩/૦૮/૨૦૨૨