Atitrag - 15 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 15

અતીતરાગ-૧૫

અભિનય સમ્રાટ દિલીપકુમારે તેમની લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી એવી ફિલ્મોમાં ભૂમિકા ભજવવા માટે નનૈયો ભણ્યો હતો, જે ફિલ્મોએ પડદા પર આવ્યાં પછી કંઇક કીર્તિમાન સ્થાપિત કર્યા હતાં.

પણ આ વાતના મલાલનો ઉલ્લેખ કયારેય દિલીપસાબે કર્યો નથી.
સિવાય ત્રણ ફિલ્મોને બાદ કરતાં..

એ ત્રણ ફિલ્મોના નામ હતાં.. બૈજુ બાવરા, પ્યાસા અને ઝંઝીર.

સુપરહિટ ફિલ્મ ‘બૈજુ બાવરા’ માટે દિલીપકુમારને રંજ રહ્યો, શા માટે ? ‘બૈજુ બાવરા’નો હિસ્સો ન બની શકવાનો શું કિસ્સો હતો ?

‘બૈજુ બાવરા’ નું નિર્માણ કર્યું હતું જાણીતાં ડાયરેક્ટર વિજય ભટ્ટે. વિજય ભટ્ટ અને તેમના ભાઈ શંકર ભટ્ટ ફિલ્મના પ્રોડ્યુસર પણ હતાં.

વિજય ભટ્ટ ‘બૈજુ બાવરા’ ના મુખ્ય પાત્ર માટેનો પ્રસ્તાવ લઈને દિલીપકુમાર પાસે ગયાં તો ખરાં પણ મામલામાં મડાગાંઠ અને મતભેદ પડ્યા મૂડીની રકમના કારણે.

આમ પણ વિજય ભટ્ટ એક માર્યાદિત બજેટની ફિલ્મ નિર્માણના આગ્રહી હતાં

વિજય ભટ્ટે જે રકમ દિલીપસાબને ઓફર કરી તે દિલીપસાબને માન્ય નહતી.
અને દિલીપકુમારે ડેટ્સનું બહાનું આગળ કર્યું, કારણ તેમની ઈચ્છિત રકમ તેમણે મળતી નહતી. અને દિલીપકુમારની ગણના તે સમયે હિન્દી ફિલ્મ જગતના ટોચના સ્ટાર્સમાં થતી હતી.

ખાસી લંબાણપૂર્વકની ચર્ચાના અંતે પણ જયારે વાત શક્ય ન બની એટલે બંને રાજીખુશીથી છુટ્ટા પડયા. અને આ રીતે દિલીપકુમારના નામ પર ‘બૈજુ બાવરા’ માટે ચોકડી લાગી ગઈ.

વિજય ભટ્ટ માર્યાદિત બજેટની ફિલ્મો બનાવતાં હતાં પણ, તેઓ ફિલ્મ રસિકોની નાડ પારખવામાં પાવરધા હતાં. ધાર્મિક અને પૌરાણીક વિષયના ફિલ્મ નિર્માણ પર તેમની સારી એવી હથોટી હતી.

એ સમયગાળામાં દર્શકોને દેવી-દેવતા અથવા રાજા રજવાળાના કિસ્સા કહાનીની ફિલ્મો વધુ આકર્ષિત કરતી.

વિજય ભટ્ટે વર્ષ ૧૯૪૬માં એક ફિલ્મ બનાવી હતી ‘રામ રાજ્ય’.
અને એવું કહેવાય છે, કે મહાત્મા ગાંધીએ તેના પુરા જીવનકાળ દરમિયાન એક જ ફિલ્મ જોઈ હતી અને તે હતી, ‘રામ રાજ્ય’.

‘બૈજુ બાવરા’ માત્ર દિલીપકુમારે જ નહીં પણ નરગીસજીએ પણ ઠુકરાવી હતી,
કારણ.. તેમને પણ અધિક લક્ષ્મીની લાલચ આડે આવી.

વિજય ભટ્ટે દિલીપકુમાર અને નરગીસજીને રીપ્લેસ કર્યા બાદ તેમની પસંદગી બે એવાં અભિનય કર્તા પર ઉતારી જે કલાકાર તો હતાં પણ સ્ટાર્સ નહતા.

ભારત ભૂષણ અને મીનાકુમારી.

આ વાત છે, વર્ષ ૧૯૫૦ની જયારે ‘બૈજુ બાવરા’નું કાસ્ટિંગ વર્ક ચાલી રહ્યું હતું.
ભારત ભૂષણ અને મીનાકુમારી બન્ને વિજય ભટ્ટના બજેટના દાયરામાં ફીટ થઇ જતાં હતાં. કારણ કે ભારત ભૂષણે હજુ સ્ટાર્સ તરીકે તેનો ઓળખ ઉભી કરી નહતી અને મીનાકુમારીને તો વિજય ભટ્ટે વર્ષ ૧૯૩૯માં લોન્ચ કર્યા હતાં, તે હિન્દી ફિલ્મનું નામ હતું ‘ લેધર ફેઈસ.’ બાળ કલાકાર, બેબી મીનાના નામથી.

‘બૈજુ બાવરા’માં સંપૂર્ણ ફિલ્મી મસાલો હતો. ફિલ્મનો નાયક ગાયક છે, અને નાયિકા ભોળી અને શરમાળ છે. નિર્દોષ હાસ્ય નીપજાવે તેવાં પાસાં પણ છે, અને ફિલ્મનું સૌથી સબળ પાસું એ હતું કે ‘બૈજુ બાવરા’ એક સંગીતપ્રધાન ફિલ્મ હતી.

ફિલ્મમાં મહામુકાબો હતો તાનસેન અને બૈજુ બાવરાની વચ્ચે. ફિલ્મનો અંત દુઃખદ હતો.

‘બૈજુ બાવરા’ના ગીતો ક્લાસિકલ સંગીત પર આધરિત હતાં એટલે તે વાતની ગંભીરતાની નોધ લઇ અને વિજય ભટ્ટે પસંદગી ઉતારી ક્લાસિકલ સંગીતના ખેરખાં નૌશાદ સાબ પર.

અને બીજું કારણ હતું કે ૧૯૪૦ની આસપાસ નૌશાદ સાબ, વિજય ભટ્ટની સાથે કામ કરી ચુક્યા હતાં અને વિજય ભટ્ટની કંપનીમાં તેઓ નોકરી પણ કરી ચુક્યા હતાં માસિક રૂપિયા ૨૫૦ના પગાર ધોરણે.

‘બૈજુ બાવરા’ મ્યુઝીકલ ફિલ્મ હોવાથી ‘બૈજુ બાવરા’ની સ્ક્રીપ્ટ પર વિજય ભટ્ટ અને નૌશાદ સાબે બન્નેએ કામ કર્યું છ મહિના સુધી.

બન્નેએ તપસ્યા જેવી મહેનત એટલા માટે કરી કે, ફિલ્મનું સંગીત અને સ્ક્રીનપ્લે બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે, એવું લાગવું જોઈએ.

પણ ફિલ્મના નિર્માતા અને વિજય ભટ્ટના ભાઈ શંકર ભટ્ટનું એવું માનવું હતું કે, ફક્ત ક્લાસિકલ સંગીતથી પ્રેક્ષકો કંટાળી જશે અને ફિલ્મને સદંતર નકારી કાઢશે.

પણ વિજય ભટ્ટને તેમની આકરી તપ જેવી મહેનત પર પુરેપુરી શ્રદ્ધા હતી.

આ ફિલ્મના અંતમાં તાનસેન અને બૈજુ બાવરા વચ્ચે એક જબરદસ્ત જુગલબંધી દર્શાવવામાં આવી છે.
તાનસેનનો પરાજય થાય છે અને બૈજુ બાવરાની જીત થાય છે.

વિજય ભટ્ટ અને નૌશાદ સાબે તાનસેનના સ્વર માટે પસંદ કર્યા હતાં ગાયક ઉસ્તાદ અમીર ખાં સાહેબને, એ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક હતાં.

હવે મુસીબત એ હતી કે, ઉસ્તાદ અમીર ખાં કોની સામે પરાજિત થાય ?
અને ઉસ્તાદ અમીર ખાં ને કઈ રીતે કહેવું કે તમારે પરાજિત થવાનું છે ?

કલાકો અને દિવસોની માથાપચ્ચી પછી પણ આ વાતનો નિવેડો ન આવતાં વિજય ભટ્ટ અને નૌશાદ બન્ને ગયાં ઉસ્તાદ અમીર ખાં પાસે, અને મુસીબતની રજૂઆત કરતાં કહ્યું કે.
‘હવે આપ ખુદ આ કોયડાનો કોઈ ઉકેલ લાવો.’

થોડીવાર વિચાર મંથન કર્યા પછી ઉસ્તાદ અમીર ખાં એ કહ્યું કે,
‘હું તમને ડી.વી.પલુશ્કરનું નામ સૂચવું છું. તેઓ શાસ્ત્રીય સંગીતના વિદ્વાન છે. જો ડી.વી.પલુશ્કર સાબ બૈજુ બાવરા માટે સ્વર આપવાં રાજી હોય તો હું હાર સ્વીકારવા મંજૂર છું.

સદભાગ્યે ડી.વી.પલુશ્કર સહમત થયાં અને એ પછી શાસ્ત્રીય સંગીતની એક એવી સ્વર સ્પર્ધા યોજાઈ, જેમાં ઉસ્તાદ અમીર ખાં સાબ હાર્યા અને ડી,વી, પલુશ્કર સાબ જીત્યાં.

બૈજુ બાવરાનું એક યાદગાર ગીત છે. એ ગીત એવી પ્રતીતિ કરાવે છે કે, ઈન્સાનિયત એ ઈશ્વરીય ધર્મથી પણ ચડિયાતો છે. એક નખશીખ કલાકાર કયારેક કોઈ જાત કે ધર્મ સાથે સંકળાયેલો નથી હોતો, આ ગીત તે વાતનું સર્વોત્તમ ઉદાહરણ છે.
એ ગીત લખ્યું હતું
મશહુર ગીતકાર શકીલ બદાયુંએ.

જેને એ ગીતને કંઠ આપ્યો તેનું નામ હતું
મહમ્મદ રફી

અને જેણે ગીતને સંગીતબદ્ધ કર્યું
તેનું નામ નૌશાદ

અને એ ગીત હતું..
‘મન તડપત હરિ દર્શન કો આજ...’

આ સિવાય આ ફિલ્મમાં એક બીજું પણ સદાબહાર ગીત હતું..

‘તું ગંગા કી મૌજ મેં જમના કા ધારા...’

આ ગીત વિશે એવો કિસ્સો છે કે. આ ગીત મુંબઈની હદમાં આવતાં એક વિસ્તારમાં શૂટ કરવામાં આવી રહ્યું હતું. અને સીમિત બજેટમાં ફિલ્મ બનાવતાં વિજય ભટ્ટે કોઈ કોરિયોગ્રાફરની મદદ વિના ભારત ભૂષણ અને મીનાકુમારીને કહ્યું કે,

‘તમને જે સ્ટેપ્સ અનુકુળ લાગે તેમ કર્યા કરો.’

કોઈપણ નામી સ્ટાર્સ અને કોઈ પણ જાતના ઝાકળમાળની મૌજૂદગી વગર વર્ષ ૧૯૫૨માં રીલીઝ થયેલી ‘બૈજુ બાવરા’ એ બોક્સ ઓફીસ પર તરખાટ મચાવી લીધો. માત્ર તેના સદાબહાર સંગીતના સહારે.

એક કરોડ, જી હાં એક કરોડનો વ્યાપાર કર્યો હતો ‘બૈજુ બાવરા’ એ ૧૯૫૨માં.

વર્ષ ૧૯૫૪માં જયારે ફીલ્મફેર એવોર્ડની શરૂઆત થઇ ત્યારે તે વર્ષનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મીનાકુમારીને મળ્યો અને બેસ્ટ મ્યુઝીક માટેનો પુરુસ્કાર નૌશાદ સાબને.

‘બૈજુ બાવરા’ ની સફળતાના કારણે ભારત ભૂષણની એવી ઈમેજ બંધાઈ ગઈ કે, આજીવન તેમને પૌરાણીક અથવા તો ઐતિહાસિક પાત્રોની ઓફર મળતી રહી.

દિલીપકુમારને ‘બૈજુ બાવરા’ ન કરી શકવાનો અફસોસ એક અરસા સુધી રહ્યો.

આગામી કડી...

હિન્દી ફિલ્મ જગતમાં બ્લેક એન્ડ વ્હાઈટથી લઈને આજ સુધીમાં કંઇક ખૂબસૂરત અને યાદગાર ચહેરા આવ્યાં અને ગયાં.

પણ એક ચહેરો એવો હતો જે આજે પણ કરોડોના મન મસ્તિષ્ક પર રાજ કરે છે.

હું વાત કરી રહ્યો છું.. મલ્લિકા-એ-હુશ્નની.
હું વાત કરી રહ્યો છું.. વિનસ ઓફ ધ ઇન્ડીયન સિલ્વર સ્ક્રીનની.
હું વાત કરી રહ્યો છું.. મારકણા અને માદક સ્મિતના માલકિનની.
હાં,
હું વાત કરી રહ્યો છું... મધુબાલાની.

મધુબાલાની લાઈફમાં એક સમય એવો પણ આવ્યો કે તેમને જેલ જવાનો વખત પણ આવ્યો હતો.

કેમ ? ક્યારે ? કોના કારણે ? અને કઈ રીતે ? આ વિકટ પરીસ્થિતના સંજોગનું નિર્માણ થયું તેના વિષે વિસ્તૃત ચર્ચા કરીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૨૫/૦૮/૨૦૨૨