Atitrag - 19 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 19

અતીતરાગ-૧૯

જયારે પણ હિન્દી ફિલ્મોના ઈતિહાસમાંથી મહાન ફિલ્મ મેકર અથવા દિગ્ગજ ડાયરેક્ટરની સુચિની તૈયાર કરવાની હોય ત્યારે એક નામ ભૂલ્યા વગર યાદ કરવું પડે..

‘રાજ ખોસલા’

રાજ ખોસલા જે ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન પ્લે રાઈટર પણ હતાં.

એક એવાં ફિલ્મ મેકર જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય વિષયક ફિલ્મોની શરુઆત કરી. અથવા ક્રાઈમ,સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રી ફિલ્મનું ચલણ ચાલુ કર્યું.
આવી ફિલ્મો રાજ ખોસલાની ઓળખ બની ગઈ હતી.

‘સી.આઈ.ડી’, ‘મેરા સાયા.’ ‘વોહ કૌન થી’ આ એવી ફિલ્મો હતી જે તેના જોનરમાં અતિ સફળ રહી.

આ રાજ ખોસલાએ એકવાર ખુદ પોતાની જાતને ચપ્પલથી ફટકારી હતી.

હવે આ અતિ આશ્ચર્ય જનક કિસ્સો બન્યો ૧૯૬૪માં. જયારે રાજ ખોસલા
‘વોહ કૌન થી’ નું નિર્માણ કરી રહ્યા હતાં.

‘વોહ કૌન થી’ એક રહસ્યમય કથા પર ફિલ્મ બની હતી.
તે ફિલ્મની મુખ્ય ભૂમિકામાં હતાં, સાધના, પ્રેમ ચોપડા અને ઓફ કૉર્સ મનોજકુમાર.

ફિલ્મના સંગીતકાર હતાં મશહૂર સંગીતકાર મદન મોહનજી.

હવે આ કિસ્સાનું કેન્દ્રબિંદુ હતું ફિલ્મ ‘વોહ કૌન થી’નું એક સુપર ડુપર હીટ ગીત.
માત્ર ‘વોહ કૌન થી’ નહીં પણ તમામ હિન્દી ફિલ્મ સોંગ્સ લીસ્ટના ટોપ ટેન ગીતોમાં તે ગીતનો સમાવેશ થઇ શકે.

જયારે મદન મોહને તે ગીતની ધૂન રાજ ખોસલા સાબને સંભળાવી અને તરત જ
રાજ ખોસલાએ ધૂનને નકારી કાઢી અને તેની ફિલ્મમાં લેવાનો ઇન્કાર કરી દીધો.

મદન મોહનજી ખુબ નિરાશ થઇ ગયાં. અને હતાશામાં કશું બોલ્યાં વગર ચાલી નીકળ્યા મનોજકુમારને મળવા.

મનોજકુમારને મળી, મદન મોહને પૂરી ઘટના સંભાળવી અને કોઈ માધ્યમ માર્ગ કાઢવાની વાત કરી.

મનોજકુમારને સંગીતનું કેટલું ઊંડું જ્ઞાન હતું ? એ વાત તેમણે નિર્માણ કરેલી ફિલ્મોના સદાબહાર ગીતો પરથી ખ્યાલ આવે.

એટલે સૌ પહેલાં મનોજકુમારે મદન મોહનને એ ધૂન સંભળાવવાનું કહ્યું, જે રાજ ખોસલાએ રીજેક્ટ કરી હતી.

મનોજકુમારને ધૂન સાંભળ્યા પછી એટલી ખાતરી થઇ ગઈ કે, ગીત લોકપ્રિય નહીં પણ સુપર હીટ સાબિત થશે. એ ભરોસાના સહારે તેઓ મદન મોહનને લઈને મળવા ગયાં રાજ ખોસલાને.
મનોજકુમારે રાજ ખોસલા સાબને ગીતની બારીકાઇ અને શબ્દો અને સંગીતની નજાકતથી વાકેફ કરાવ્યાં અને ફરી એકવાર ધ્યાનથી ગીતની ધૂન સાંભળવાની રીક્વેસ્ટ કરી.

રાજ ખોસલા ફરી ધૂન સાંભળવા માટે માની ગયાં
મદન મોહને ફરી એ ધૂન સંભળાવી.

ધૂન સાંભળ્યા બાદ રાજ ખોસલાએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન આપી. અને તે ચુપચાપ ઊભાં થઇ અને રૂમની બહાર જતાં રહ્યાં.

બે મિનીટ બાદ રાજ ખોસલા રૂમમાં દાખલ થયાં ત્યારે તેના હાથમાં તેની ચપ્પલ હતી.

અને તે ચપ્પ્લથી તેઓ ખુદને પીટવા લાગ્યાં.

આ અકલ્પનીય દ્રશ્ય જોઇને મનોજકુમાર અને મદન મોહનજી બન્ને રીતસર ડઘાઈ ગયાં. અને તેમને રોકતા પૂછ્યું

‘તમે આ શું કરી રહ્યાં છો ?’
ત્યારે રાજ ખોસલા બોલ્યા...
‘મને મારી જાત પર ફિટકાર વરસાવવાનું મન થાય છે કે, આટલી ઉત્તમ ધૂન મારી સમજણમાં કેમ ન આવી ?

એ સદાબહાર ગીતના શબ્દો રાજા મહેંદી અલી ખાં એ લખ્યાં હતાં.

‘લગ જા ગલે કી ફિર યે હંસી રાત હો ન હો... શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત..’

મદન મોહન અને લતા મંગેશકરનું આ એક પ્રતીકાત્મક અને ઉત્કૃષ્ઠ સર્જન છે.

રાજ ખોસલા સાબને સંગીતનું બહોળું જ્ઞાન હતું. તેઓ એ ગાયકીની તાલીમ લીધી હતી અને તેઓ ઓલ ઇન્ડિયા રેડીઓ પર સિંગર તરીકે ફરજ બજાવી ચુક્યા હતાં.

રાજ ખોસલાને ‘લેડીઝ ડીરેક્ટર’ પણ કહેવામાં આવતાં.

તેનું કારણ એ હતું કે, તેમણે અનેક હિરોઈનોને ફિલ્મોમાં બ્રેક આપીને તેમની કારકિર્દી ઘડવામાં મદદરૂપ થયાં.

ફિલ્મ ‘સી.આઈ.ડી’માં તેઓ વહીદા રહેમાનજીને લાવ્યાં.
ફિલ્મ ‘વોહ કૌન થી’માં સાધનાજીને મિસ્ટ્રી ગર્લનું કેરેક્ટર આપીને એ તેમની એક નવી ઈમેજ ઉભી કરી.
સાધનાજીને એ ઈમેજ એટલી ફળી કે આગળ જતાં તેમને ‘મેરા સાયા’ અને ‘અનીતા’ જેવી સફળ ફિલ્મો મળી.
રાજ ખોસલાએ વર્ષ ૧૯૬૬માં ફિલ્મ બનાવી હતી ‘દો બદન’ જે ફિલ્મમાં માટે સિમી ગરેવાલને બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટ્રેસ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
વર્ષ ૧૯૬૯માં રાજખોસલાએ નિર્માણ કર્યું સુપર હીટ ફિલ્મ ‘દો રાસ્તે’ તે ફિલ્મથી મુમતાઝ રાતોરાત ઘર ઘરમાં એક જાણીતું નામ બની ગઈ.

૧૯૭૮ના વર્ષમાં તેમણે બનાવી ‘મેં તુલસી તેરે આંગન કી’ આ ફિલ્મ દ્વારા નુતનજીને ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

એ પછી વર્ષ ૧૯૮૦માં તેમણે એક સુપર ડુપર હીટ ફિલ્મ બનાવી મહાનાયક અમિતાભ બચ્ચન સાથે. અને તેમની જોડે હતાં શત્રુઘ્ન સિંહા અને ઝીન્નત અમાન.

યસ યુ આર રાઈટ... ‘દોસ્તાના’
દુર્ભાગ્યવશ ‘દોસ્તાના’ રાજ ખોસલાની અંતિમ હીટ ફિલ્મ હતી.
તે પછી તેમણે બનાવી ‘સન્ની’ સન્ની દેઓલ સાથે. જે એવરેજ ફિલ્મ હતી. તે પછી તેમણે પાંચ થી છ ફિલ્મો બનાવી પણ તે ફિલ્મોના નામ પણ કોઈને યાદ નથી.

નિષ્ફળતાને નાથવા રાજ ખોસલાએ સહારો લીધો શરાબનો.

આખરે ૯ જુન ૧૯૯૧ના દિવસે રાજ ખોસલાનું નિધન થયું.

અંતિમ દિવસોમાં તેમણે ફિલ્મી દુનીયાથી ખુદને અલિપ્ત રાખ્યા.

આ મહાન ફિલ્મ મેકરને ડીરેક્શન માટે કોઈ પુરુસ્કાર પ્રાપ્ત ન થયો.
નિર્માતા તરીકે તેમને ‘મેં તુલસી તેરે આંગન’ માટે ફિલ્મફેર એવોર્ડ મળેલો.

આગામી કડી..

જયા બચ્ચને રેખાને સરેઆમ જોરદાર તમાચો માર્યો હતો...

કારણ...?

કારણ તો આપ સૌ સારી રીતે જાણો જ છો.

અમિતાભ અને રેખા બન્નેનું એક હદથી વધુ કરીબ આવવું.

એ સીમા પારની પરિસ્થિતિમાં જયા બચ્ચન તેમના પરનો કાબુ ગુમાવી બેઠા અને રેખાને તેના ગુસ્સાનો ભોગ બનતા થપ્પડ ખાવી પડી.

ક્યાં ? કયારે ? કઈ પરીસ્થિતમાં ? અને કેવી રીતે ? આ ઘટના ઘટી તેના વિષે
વાત કરીશું આવતી કડીમાં.

વિજય રાવલ
૨૬/૦૮/૨૦૨૨