Atitrag - 21 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 21

અતીતરાગ-૨૧

મહાન એક્ટર, ડીરેક્ટર, પ્રોડ્યુસર સુનિલ દત્ત તેમના ડ્રીમ પ્રોજેક્ટ મુજબનો બંગલો બનાવવા માટે મુંબઈમાં જમીન શોધી રહ્યાં હતાં.

અંતે તેમને બાંદ્રા સ્થિત પાલીહિલ વિસ્તારમાં તેમના બંગલા માટે મનપસંદ જગ્યા મળી ગઈ.

પણ બંગલાનું નિર્માણ કરતાં પહેલાં સુનિલદત્ત સાબને તે જમીન તળે કોઈ છુપો ખજાનો છે, તેવાં સંકેત મળ્યાં....

અને અંતે તેમને એ ખજાનો મળ્યો પણ ખરો..

કઈ રીતે તે ખજાનાનો સંકેત મળ્યો ? અને શું શું મળ્યું હતું, એ ખજાનામાંથી ?

તેની ચર્ચા આપણે આજના એપિસોડમાં કરીશું.

બંગલો અને તે પણ મુંબઈમાં ? આવો વિચાર કરવો એ શેખચલ્લીનું કિરદાર નિભાવવા જેવી વાત છે. મુંબઈમાં વન બી.એચ.કે.નો ફ્લેટ અથવા કોઈ ચોલમાં શિર ઢાંકવાની જગ્યા મળી જાય એ પણ લોટરી લાગ્યાં જેવી મોટી વાત છે.

અને મુંબઈમાં છતની અછત આજકાલની સમસ્યા નથી, વર્ષો પુરાની છે. અને તે પ્રાણ પ્રશ્ન જેવાં વિષય પર ઘણી બોલીવૂડ ફિલ્મો પણ બની ચુકી છે.

જેવી કે, ‘ગૃહ પ્રવેશ,’ ‘પિયા કા ઘર’, અને ‘ઘરૌંદા’.

આ વાત છે વર્ષ ૧૯૬૮-૬૯ ની, જે સમયે સુનિલદત્ત એક ફ્લેટમાં રહેતાં હતાં.
તેમનું નિવાસસ્થાન મુંબઈના એક પોશ વિસ્તાર, નેપીય્ન્સી રોડ પર સ્થિત હતું.
તે સમયે તેમની આર્થિક સ્થિત કાફી મજબુત હતી એટલે તેમણે વિચાર્યું કે, હું પણ
બાકી બોલીવૂડની નામી હસ્તીઓની માફક એક બંગલો બનાવી લઉં.

બંગલા માટે જગ્યાની શોધખોળ આદરી. થોડા સમય બાદ બાંદ્રાના પાલીહિલ વિસ્તારમાં તેમને એક જમીનનો પ્લોટ પસંદ પડ્યો. તે સમયે પાલીહિલ વન વિસ્તાર હતો.

દત્ત સાહેબને તે જમીનનો પ્લોટ પસંદ પડવાનું એક કારણ એ હતું કે. જયારે તેઓ તે જમીન જોવા ગયાં ત્યારે તે જમીન પરથી એક સાપ પસાર થઈને ઝાડી,ઝાંખરા તરફ જઈ રહ્યો હતો.

દત્ત સાબ થોડા અંધ વિશ્વાસુ ખરાં, તેમણે તેમના વડીલો પાસેથી એવું સાંભળ્યું હતું કે જ્યાં સાપ હોય ત્યાં ખજાનો હોય જ. અને આ જમીન તળે કોઈ ખજાનો જરૂર હશે તેથી આ સાપ તેની રખેવાળી કરવાં આવે છે.

અને તાત્કાલિક સુનીલદત્તે તે જમીન ખરીદી લીધી.

અને બંગલો ઉભો કરવાં ખોદકામ શરુ કર્યું, હવે ખજાનાની વાત છાની રાખવાની હતી. એટલે દત્ત સાહેબે કોન્ટ્રકટરને કહ્યું કે, મારે ભોય તળિયે સ્વીમીંગ પૂલ બનાવવાની ઈચ્છા છે, તેથી ખોદકામ જરા ઊંડું કરવું પડશે.

જરૂર કરતાં વધારે ઊંડું ખોદકામ થયું પણ ખજાનો ન મળ્યો.
સુનિલદત્તને લાગ્યું કે ખજાનો હજુ ઊંડે હશે, પણ હવે કોન્ટ્રાક્ટર સામે શું બહાનું આગળ ધરવું. ?

તેમણે એક નવું તિકડમ ચલાવતાં કોન્ટ્રાક્ટરને કહ્યું કે,
સ્વીમીગ પૂલનો આઈડિયા કેન્સલ કરો, મારે ત્યાં નીચે અન્ડરગ્રાઉન્ડ બેડમિન્ટન કોર્ટ બનાવવું છે, તો તમે હજુ જરા વધુ ઊંડું ખોદકામ કરો.

સુનિલ દત્તની સુચના મુજબ ખોદકામ પૂરું થયું, છતાં ખજાનો મળવાના કોઈ સંકેત ન દેખાયા.

અંતે પ્રેક્ટીકલ પ્રકૃતિના નરગીસજીએ માંડ માંડ સુનિલ દત્ત સાબને સમજાવ્યા અને ખજાનાની વાત ભૂલી જવાનું કહ્યું.

સુનિલ દત્ત અને નરગીસજી સાથે સંકળાયેલા રાજેન્દ્રકુમારે એવી સલાહ આપી કે, તમે આટલું ખોદકામ કર્યું છે તો ત્યાં હવે એક પ્રિવ્યુ થીએટર બનાવી દો.

પ્રિવ્યુ થીએટરમાં ડબિંગનું કામકાજ પણ થઇ શકે. આ એક કોમર્શીયલ પોઈન્ટ ઓફ વ્યૂની વાત હતી. જે નરગીસજીને ગમી ગઈ. આમ પણ નરગીસજી વ્યહવારુ હતાં.

અંતે તે જમીન પર એક પ્રિવ્યુ થીએટરનું કામકાજ શરુ થયું. અને સાથે સાથે દત્ત સાહેબના ડ્રીમ પ્રોજેક્ટ જેવાં બંગલાનું કામ પણ શરુ થયું નરગીસજીની દેખરેખ હેઠળ કારણ કે, સુનિલદત્ત વ્યસ્ત થયાં તેમની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ના શૂટીંગમાં.

હવે શરુ થયો જરા કપરો સમય, કારણ કે, એક તરફ બંગલાનું કામ અને બીજી તરફ ફિલ્મ પ્રોડક્શન બન્ને તરફ નાણાંની ખપ અને છત પાડવા પાડવા લાગી.

ફિલ્મ નિર્માતા પાસે સ્માર્ટ મની મેનેજમેન્ટ હોવું ખુબ જરૂરી છે, અને તે વાતની દત્ત સાહેબમાં ખામી હતી. તેમની પાસે ફિલ્મનું કોઈ અંદાજીત બજેટ નહતું.

‘રેશમા ઔર શેરા’ના શૂટિંગ માટે રાજસ્થાનના જેસલમેર નજીકના એક ગામડામાં પંદર દિવસનું શૂટિંગ કરવાનું હતું તે ચાલ્યું છેક બે મહિના સુધી. એટલે ફિલ્મનું બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયું. અને દત્તસાબ અપસેટ.

આ અપસેટ થવાં માટે આ એક ઉદાહરણ કાફી છે.

એક દિવસ શૂટિંગના એક દ્રશ્ય માટે તેમણે સો ઊંટ લાવવાનો આદેશ આપ્યો.
અને ઊંટ આવ્યાં નવ્વાણું અને દત્ત સાબે શૂટિંગ કેન્સલ કર્યું. !!

સુનિલદત્ત ‘રેશમા ઔર શેરા’ ને એક માસ્ટર પીસ ફિલ્મ બનાવવા ઇચ્છતા હતાં.

પણ બંગલો અને ફિલ્મનું કામ પૂરું થાય એ પહેલાં તિજોરી ખાલી થઇ ગઈ.

છેવટે આર્થિક વ્યવસ્થા અને વહીવટ પર ઝીણવટ ભર્યું અવલોકન કર્યા બાદ નરગીસજીની કુશળ કુનેહ બાજીથી ‘રેશમા ઔર શેરા’ નું નિર્માણ મહા મુસીબતે પૂર્ણ કર્યું.

એ સમય દરમિયાન સુનિલદત્ત અને નરગીસજી વચ્ચે તણાવ ભર્યા સંવાદોનો સિલસિલો પણ ચાલ્યો હતો.

સુનીલદત્ત અને નરગીસજીની આજીવન બચતનો એક મોટો હિસ્સો જે ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ લગાવ્યો હતો એ ફિલ્મ બોક્સ ઓફીસ પર પીટાઈ ગઈ.
ફિલ્મ પર સુપર ફ્લોપનું લેબલ લાગી ગયું.

ફિલ્મ નિર્માણ માટે દત્ત સાબે માર્કેટમાંથી પણ ફંડ એકઠું કર્યું હતું. હવે એવી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ કે, સુનિલદત્તને નાદારી જાહેર કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થયુ.

ઘર આંગણે લેણદારોની લાઈન લાગવાં લાગી.

આ સમય હતો વર્ષ ૧૯૭૧નો, દત્ત સાબની એઈજ હતી ત્યારે ફોર્ટી પ્લસ એટલે તેમને ફિલ્મોમાં લીડ રોલ મળવાનું પણ બંધ થઇ ચુક્યું હતું. તેઓ અત્યંત ચિંતિત હતાં તેમના પરિવારના ભવિષ્ય માટે.

અંતે દત્ત સાહેબને આ તમામ તકલીફો માંથી ઉગાર્યા તેમના ખજાનાએ.
તેમનું પ્રિવ્યુ થીએટર હવે બનીને તૈયાર થઇ ચુક્યું હતું.

સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નરગીસજી અને સુનિલદત્તના મિત્રો અને સ્વજનો હતાં તેમણે તેમના ફિલ્મ ડબિંગનું કામકાજ તે પ્રિવ્યુ થીએટરમાં શરુ કર્યું.
એ બહાને દત્ત પરિવારને આર્થિક સહાયમાં મદદ મળી રહે.
અંતે સુનિલદત્તના એ કાલ્પનિક ખજાનાએ દત્ત પરિવારની લાજ બચાવી.

આગામી કડી..

‘ગબ્બરસિંગ’

બસ આ એક અક્ષરી નામ સંભાળતા તમને સઘળું જ યાદ આવી જાય.

વર્ષ ૧૯૭૫માં રીલીઝ થયેલી ‘શોલે’ની વાર્તા લખતાં સમયે સલીમ- જાવેદ અને રમેશ સિપ્પીને બધાં જ પાત્રો માટે ચહેરા મળી ગયાં ગયાં સિવાય કે ગબ્બરસિંગ.

અને અંતે ગબ્બરસિંગની શોધ પણ પૂર્ણ કરી સલીમ-જાવેદે.

પણ આપને એ વાતની જાણકારી નહીં હોય કે,

ગબ્બરસિંગનું પાત્ર પડદા પર આવતાં પહેલાં જ અમજદખાને એવું પ્રણ લઇ લીધું હતું કે, તે આજીવન સલીમ-જાવેદ સાથે સંકળાયેલી કોઈપણ ફિલ્મમાં કામ નહીં જ કરે.

એવું તે શું બની ગયું કે, પહેલી ફિલ્મથી જ અમજદખાન આવો અકલ્પનીય અને આકરો નિર્ણય લેવા મજબૂર થઇ ગયાં. ?

જાણીશું હવે પછીની કડીમાં...

વિજય રાવલ
૨૭/૦૮/૨૦૨૨