Atitrag - 24 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 24

અતીતરાગ-૨૪

આજે વાત કરીએ એક એવાં અભિનેતાની જેનું નામ સાંભળતા સૌના ચહેરા પર એક સહજ સ્માઈલ આવી જાય.

એક એવાં અભિનેતા અને હાસ્ય કલાકાર જેમણે ઉત્તમ અને નિર્દોષ કોમેડી કરી સૌ સિને રસિકોનું ભરપુર મનોરંજન કર્યું. તેમનું પાત્ર આપણા પરિવારના સ્વજન જેવું લાગતું, પોતીકું લાગતું.

ફિલ્મી પરદે જયારે જયારે તેમના ભાગે કોઈ સારી અભિનેત્રીની જોડે ભૂમિકા ભજવવાની તક મળી ત્યારે ત્યારે જાલિમ બોલીવૂડના પ્રોડ્યુસર યા ડાયરેકટર તેમના પાત્રનો અચાનક જ ધ એન્ડ લાવી દેતાં

પછી તે પાત્ર ફિલ્મ ‘મેરે અપને’માં મીનાકુમારીની સામે હોય અથવા ‘મિલન’ ફિલ્મમાં નૂત્તનની સામે.

તેઓએ ક્લીન કોમેડીથી આપણને હસાવતાં, અને હસતાં હસતાં સિનેમાઘરની બહાર લાવતાં.

જી, હાં તમારું અનુમાન શત્ત પ્રતિશત્ત સાચું છે.
આપણે વાત કરવાના છીએ સદાબહાર કલાકાર દેવેન વર્મા વિષે આજની કડીમાં.

બોલીવૂડમાં દેવેન વર્માની એન્ટ્રી તેમની ઉટપટાંગ હરકતોના કારણે થઈ. એ હરકતો તે તેમના કોલજકાળમાં કરતાં હતાં. અભ્યાસક્રમ દરમિયાન કોલેજમાં થતાં કલ્ચર એક્ટીવીટીઝમાં તેઓ હિસ્સો લેતાં. વન મેન આર્મીની માફક એકલાં જ સ્ટેજ પર પર્ફોમન્સ કરતાં, તે સમયના હિન્દી ફિલ્મ કલાકારોની મિમિક્રી કરતાં.

નોર્થ ઇન્ડિયા પંજાબી એસોસિએશન દ્વારા આયોજિત એક ફંકશનમાં દેવેન વર્મા સ્ટેજ પર તેમની કલાનું પ્રદર્શન કરી રહ્યાં હતાં. અને તે પ્રોગ્રામના ઓડિયન્સમાં એક પંજાબી મુખ્ય અતિથી વિશેષ, ફિલ્મ મેકર પણ બેઠાં હતાં.

બી.આર.ચોપરા.

બી.આર.ચોપરાએ દેવેન વર્મામાં છુપાયેલાં ટેલેન્ટેડ કલાકારને ઓળખી કાઢ્યો.અને તેમની ફિલ્મમાં સાઈન પણ કરી લીધાં.
એ ફિલ્મ હતી. ’ધર્મપુત્ર’.

તે ફિલ્મ ‘ધર્મપુત્ર’માં અભિનય માટે ૧૯૬૧માં દેવેન વર્માને ૬૦૦ રૂપિયાનું મહેનતાણું મળ્યું હતું.

ફિલ્મ ‘ધર્મપુત્ર’ તો ન ચાલી પણ, દેવેન વર્માની નોંધ લીધી દક્ષિણના એ.વી.એમ. સ્ટુડીઓએ.

તેમણે દેવેન વર્મા સામે ઓફર મૂકી કે, તમે અમારે ત્યાં રહો, અમારી ફિલ્મોમાં કામ કરો અને તમને દર મહીને રૂપિયા ૧૫૦૦નું મહેનતાણું આપવામાં આવશે.
શર્ત માત્ર એટલી હતી કે મદ્રાસમાં રહેવું ફરીજીયાત હતું.

શરતોનું પાલન કરતાં દેવેન વર્મા એક વર્ષ મદ્રાસમાં રોકાયા પણ ખરાં.
ત્યારબાદ તેઓ આવ્યાં મુંબઈ.

ત્યાં તેમને ફરી એકવાર બી.આર.ચોપરાની એક મેગા હિટ ફિલ્મમાં કામ કરવાની તક મળી. વર્ષ હતું ૧૯૬૩નું અને એ ફિલ્મ હતી, ‘ગુમરાહ.’

‘ગુમરાહ’ની સફળતાથી દેવેન વર્માની બોલીવૂડમાં ગંભીરતાથી નોંધ લેવાઈ.તેમની કોમેડીને પ્રસંશા મળી. ‘ગુમરાહ’માં દેવેન વર્મા તેમના રીઅલ લાઈફ સસરાજીના ચાકરની ભૂમિકામાં હતાં.
રીઅલ લાઈફ સસુરજી મતલબ દાદામુનિ... અશોકકુમાર.

૧૯૬૩ના સમયગાળામાં ટોચના કોમેડી કલાકારોનો દબદબો હતો. જ્હોની વોકર, મહેમૂદ, કિશોરકુમાર,મુકરી,આઈ.એસ.જોહર આ દિગ્ગજોની વચ્ચે દેવેન વર્માને તેની જગ્યા બનવાતા થોડો સમય લાગ્યો.

વર્ષ ૧૯૭૫માં એક ફિલ્મ આવી, એ ફિલ્મ માટે દેવેન વર્માને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ફિલ્મનું નામ હતું, ‘ચોરી મેરા કામ’.

સૌના દિલ ચોરી કરનાર દેવેન વર્મા માટે ચોર નામ બંધબેસતું થઇ ગયું. કારણ કે તેમને જે બીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો તે ફિલ્મનું નામ હતું..
‘ચોર કે ઘર ચોર’.
હવે જે ફિલ્મ માટે તેમને ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો તેનો ઉલ્લેખ કર્યા વગર આ કડી અધુરી રહેશે
જી, હાં, ‘અંગૂર’.
ત્રણ ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યાં છતાં એક દુઃખદ ઘટના એ ઘટી કે, એ ત્રણેય ફીલ્મફેર એવોર્ડની ટ્રોફી ગુમ થઇ ગઈ, ખોવાઈ ગઈ.

દેવેન વર્મા એકવાર ચેન્નાઈથી મુંબઈ ટ્રાવેલ કરી રહ્યાં હતાં ત્યારે..તેમની બે બેગ્સ ગુમ થઇ ગઈ. તે બેગ્સમાં ત્રણેય ટ્રોફી હતી. ભૂલ દેવેન વર્માની નહીં પણ એરલાઇન્સની હતી.

એ પછી દેવેન વર્મા પ્રોડ્યુસર પણ બન્યાં અને ડાયરેક્ટર પણ.
તેઓ નિર્માતા બન્યાં વર્ષ ૧૯૬૯માં. જે ફિલ્મના લીડ રોલમાં હતાં ધર્મેન્દ્ર. તેમણે એક એવી ફિલ્મ બનાવી જેણે બોક્સ ઓફીસ પર સારો એવો બિઝનેશ કર્યો.

ફિલ્મનું નામ હતું ‘યકીન’.

એ પછી દેવેન વર્માએ બીજી આઠ ફિલ્મનું નિર્માણ કર્યું.
તે પછી તેઓ ડાયરેક્ટર પણ બન્યાં.
વર્ષ ૧૯૭૧માં તેમણે સૌથી પહેલી ફિલ્મનું ડીરેક્શન કર્યું, ફિલ્મમાં લીડ રોલ અદા હતો તે સમયના હાર્ટ થ્રોબ હીરો નવીન નિશ્ચલે.

ફિલ્મનું નામ હતું. ‘નાદાન’.

દેવેન વર્માના લગ્નનો પણ એક રસપ્રદ કિસ્સો છે.
દેવેન વર્માએ બોલીવૂડમાં શરૂઆતના દિવસોમાં અશોકકુમાર સાથે ઘણી ફિલ્મો કરી હતી
‘ધર્મપુત્ર,’ ‘ગુમરાહ’, ‘આજ ઔર કલ.’ તે સમયે અવિવાહિત દેવેન વર્માને અવારનવાર અશોકકુમાર તેમના ઘરે લઇ જતાં. તે સમય દરમિયાન અશોકકુમારની પુત્રી રૂપા ગાંગુલી અને દેવેન વર્મા બન્ને નજદીક આવ્યાં.

અને થોડા વર્ષો પછી બંને જોડાયા પરિણય સંબંધમાં.

તેમના લગ્ન થયાં હતાં, મુંબઈના નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં. તે લગ્ન સમારંભમાં ગીત-સંગીતની જલસો હતો એક એવાં વ્યક્તિ તરફથી જે રૂપા ગાંગુલીના કાકા હતાં અને દેવેન વર્માના કાકાજી સસરા. જી હાં, કિશોરકુમાર.

સિંતેર અને એંસીના દાયકામાં દેવેન વર્મામાં એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આ ત્રણેય ભૂમિકા ભજવવામાં વ્યસ્ત હતાં.
પણ જ્યારથી બોલીવૂડમાં ફૂવડ અને દ્વિઅર્થી કોમેડી સંવાદોની શરૂઆત થઇ ત્યારથી તેમણે ધીરે ધીરે ફિલ્મ લાઈનમાંથી બહાર નીકળવાનું શરુ કરી ધીધુ.

તેઓ એવું માનતા હતાં તે પ્રકારની કોમેડીમાં કોઈ શિષ્ટાચાર નહતો. તેમને રબ્બર સ્ટેમ્પ હાસ્ય કલાકાર બની રહેવામાં કોઈ રુચિ નહતી.

૧૯૯૩માં દેવેન વર્મા કાયમી માટે પુના શિફ્ટ થઇ ગયાં. એ સમયથી તેઓ માનસિક રીતે ખુદને બોલીવૂડથી અલગ કરી ચુક્યા હતાં.
દેવેન વર્મા ડાયાબીટીસના દર્દી હતાં. તેમના હાર્ટમાં પણ બ્લોકેજીસ હતાં.
બાયપાસ સર્જરી માટે તેઓ માન્યા નહિ.

આખરે ૨ ડીસેમ્બર ૨૦૧૪માં તેમણે અંતિમ શ્વાસ લીધાં.
૨૦૦૩માં આવેલી ‘કલકતા મેલ’ તેમની અંતિમ ફિલ્મ રહી.

આગામી કડી..

આગામી કડીમાં આપણે વાત કરીશું.
બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી વિષે.
જેને આપણે સૌ તેના ફિલ્મી નામથી ઓળખીએ છીએ.

જ્હોની વોકર.

આ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી આખરે જ્હોની વોકર બન્યાં કઈ રીતે ?

ઇન્દોરમાં જન્મેલા જ્હોની વોકર કઈ પરિસ્થિતમાં મુંબઈ આવ્યાં. ?

અને બોમ્બે ઇલેક્ટ્રિકસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ ( BEST ) બસના કંડકટર બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીને બોલીવૂડમાં લાવ્યું કોણ ?

જ્હોની વોકર વિશેની આવી કંઇક ઈન્ટરેસ્ટીંગ વાતોનો ખુલાસો કરીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૨૮/૦૮/૨૦૨૨