Atitrag - 34 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 34

અતીતરાગ-૩૪

આજની પેઢીએ અશોકકુમારને મોટા ભાગે ફિલ્મી પરદા પર ચરિત્ર અભિનેતાના પાત્રમાં જોયાં હશે.
પણ એક જમાનો હતો, જયારે અશોકકુમાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લીડીંગ હીરોના જાનદાર પાત્રો પરદા પર ભજવતાં.

વર્ષ ૧૯૫૦માં આવેલી તેમની એક સુપર સકસેસ ફૂલ ફિલ્મ, જે લાખો રૂપિયાનો બિઝનેશ કરી રહી હતી. તે ફિલ્મ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો.

પ્રતિબંધ મુકવા પાછળનું કારણ હતું.. ફિલ્મની અપાર સફળતા.
સફળતા ?
ફિલ્મની સફળતાથી સરકારને શું નુકશાન થઈ શકે ?
કઈ હતી એ ફિલ્મ ? અને શું કારણ હતું પ્રતિબંધ મુકવા પાછળનું ?

જાણીશું આજની કડીમાં.

આજે અશોકકુમારની એક એવી ફિલ્મ વિષે વાત કરીએ જેના ડીરેક્ટર હતાં જ્ઞાન મુખરજી. અને જેમાં આસિસ્ટ ડીરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં ગુરુદત્ત.

ફિલ્મમાં અશોકકુમારની સાથે લીડ રોલમાં હતાં, અભિનેત્રી નલીની જયવંત. અને આ ફિલ્મમાં અશોકકુમારના બચપણની ભૂમિકા ભજવી રહ્યાં હતાં શશીકપૂર.

વાત કરી રહ્યો છું, વર્ષ ૧૯૫૦માં આવેલી ફિલ્મ ‘સંગ્રામ’ વિષે.

એન્ટી હીરો એ હિન્દી ફિલ્મોની એક એવી ફોર્મ્યુલા છે, જેનો બખૂબી ઉપયોગ કર્યો હતો ૯૦ના દસકામાં શાહરૂખ ખાને ફિલ્મ ‘અંજામ’, ‘ડર’ અને ‘બાઝીગર’માં.

અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગ મેનની ઈમેજ ઉભી કરવામાં પણ આ ફોર્મ્યુલાનો મહત્વનો ફાળો હતો.

પણ આ સિદ્ધાંત યા કેમિસ્ટ્રી અને તેમના જાનદાર અભિનય દ્વારા અભિનેતા અશોકકુમાર દાયકાઓ પહેલાં ફિલ્મી પરદે તરખાટ મચાવી ચુક્યા હતાં.

અશોકકુમારે સૌથી પ્રખ્યાત વિરોધભાસી નાયકની ભૂમિકા ભજવી હતી વર્ષ ૧૯૪૩માં આવેલી ફિલ્મ ‘કિસ્મત’માં.

‘કિસ્મત’ ભારતીય ફિલ્મ ઈતિહાસની પહેલી એવી ફિલ્મ હતી જેણે ૧૯૪૩માં એક કરોડનો બિઝનેશ કર્યો હતો.

વર્ષ ૧૯૫૦માં રીલીઝ થયેલી ફિલ્મ ‘સંગ્રામ’માં પણ અશોકકુમારે એન્ટી હીરોનું પાત્ર ભજવ્યું હતું.

સામાજિક રીત રીવાજો અથવા અન્યાય સામે વિરોધાભાસી ભૂમિકા ભજવતો નાયક
સંપૂર્ણ રીતે નેગેટીવ નથી હતો. જે વિદ્રોહ કરે છે, પણ ભીતરથી દયાળુ હોય છે.
આ પ્રકારના ગ્રે શેડ વાળા કેરેક્ટરને એન્ટી હીરોનું નામ આપવામાં આવે છે.

આ પ્રકારના પાત્ર જનતામાં ખુબ લોકપ્રિય થઇ જાય છે. આવાં પાત્રનો સૌથી મોટો ફાયદો મળ્યો હતો અમિતાભ બચ્ચનને.

હવે સવાલ એ ઉઠે છે કે, ફિલ્મ ‘સંગ્રામ’માં એવું તે શું હતું જેના કારણે સરકારને પ્રતિબંધ મુકવાની ફરજ પડી.?

તેનું એક માત્ર કારણ હતું અશોકકુમાર.

૧૯૫૦માં અશોકકુમારની એક એવી ઈમેજ બંધાઈ ચૂઈ હતી કે, તેમને ભારતીય નાગરિક એક આદર્શ પુરુષ માનવા લાગ્યાં હતાં.
૧૯૫૦માં અશોકકુમાર એક એવાં સુપરસ્ટાર બની ચુક્યા હતાં કે તેમની કોઇપણ ભૂમિકાની લોકો નકલ કરતાં હતાં. જે પરિસ્થિતિ ફિલ્મ રસિકોમાં રાજેશ ખન્નાની ‘આરાધના’ રીલીઝ થયાં પછી થઇ હતી.

ફિલ્મ ‘સંગ્રામ’માં અશોકકુમારે કંઇક ગુનાહિત પ્રવૃતિઓ કરી હતી.
ફિલ્મ ‘સંગ્રામ’ સોળ સપ્તાહ પછી પણ હાઉસફુલ જઈ રહી હતી.
એ જોઇને સરકાર ડરી ગઈ. ડરી ગઈ એ અર્થમાં ગઈ કે, આદર્શ અશોકકુમાર જો ક્રાઈમને પ્રોત્સાહન આપતી વાતને સમર્થન આપતાં હોય તો સમાજમાં તેની કેવી અવળી અસર પેદા થશે ? એવું વિચારીને સરકારે ફિલ્મ ‘સંગ્રામ;પર પ્રતિબંધ મૂકી દીધો.

સિનેમાઘરમાં ચાલતી ફિલ્મને બંધ કરવી પડી.
એ સમયે મુંબઈ એક રાજ્ય હતું અને તેના ગૃહ મંત્રી હતાં મોરારજી દેસાઈ.

મોરારજી દેસાઈ એવું માનતા હતાં કે, ફિલ્મનો નાયક, એ સમાજનો આઈનો હોય છે.
ફિલ્મના હીરોએ હંમેશા હકારાત્મક ભૂમિકાઓ જ ભજવવી જોઈએ.
એ સમયે મોરારજી દેસાઈએ અશોકકુમારના નિવાસ સ્થાન પર પોલીસ કમિશ્નરને મોકલવામાં આવ્યાં. અને અશોકકુમારને એવું કહેવામાં આવ્યું કે.
આપ સમાજનું પ્રતિબિંબ છો. તમારે આવાં ગુનાહિત પ્રવૃત્તિ ભજવતા પાત્રો પરદા પર ન ભજવવા જોઈએ.

અશોકકુમારે તેમનો પક્ષ રાખતા અને સફાઈ આપતાં કહ્યું કે, ‘આ તો માત્ર ફિલ્મ છે’
પણ સરકારે તેમની કોઈ વાત કાને ન ધરી અને સોળમાં સપ્તાહમાં હાઉસફૂલ જતી અને ૫૫ લાખ કમાઈ ચુકેલી ફિલ્મ ‘સંગ્રામ’ પર છેવટે પ્રતિબંધ મુકાઈ ગયો.

એ ફિલ્મ પછી અશોકકુમારે એન્ટી હીરોની ભૂમિકા ભજવવાની ભાંગજડ જ મૂકી દીધી.

આજે લોકો સોશિયલ મીડિયાના પ્રભાવની વાત કરે છે. પણ વાસ્તવમાં તો સાત દાયકા પહેલાં પરદા પર એક એન્ટી હીરોનો રોલ લોકોને એટલો પ્રભાવિત કરી મુકતો કે, કંઇકના એન્ટી હીરો સેન્ટિમેન્ટસ જાગૃત થઇ જતાં.

અને સરકારને આ વાતનો જ ડર હતો.
અને પ્રતિબંધ મુકવા પાછળનું આ એક સબળ કારણ હતું.

આગામી કડી...

દેવ આનંદ અને સુરૈયા..

આ એક એવી રીલ લાઈફ જોડી હતી જે રીઅલ લાઈફ જોડી પણ બની શકી હોત.
જો સંગીતકાર નૌશાદે એક એન્ટી હિંદુની ટોળકીની આગેવાની ન કરી હોત તો.

નૌશાદ એવું ઇચ્છતાં હતાં કે, હિંદુ દેવ આનંદ સાથે સુરૈયાના લગ્ન કરવાં કરતાં સુરૈયા તેમની ઉંમર કરતાં ૧૮ વર્ષ મોટા, વિવાહિત અને બાળ બચ્ચાં વાળા વ્યક્તિ સાથે સુરૈયા લગ્ન કરે તો નૌશાદનો કોઈ વિરોધ નહતો, પણ હિંદુ દેવ આનંદ જોડે તો હરગીઝ નહીં.

એ કોણ હતું જેની જોડે નૌશાદ સુરૈયાના લગ્ન કરાવવા ઇચ્છતા હતાં.?

અને કોણ કોણ સામેલ હતું નૌશાદની ટોળકીમાં, દેવ અને સુરૈયાની રીઅલ પ્રેમ કહાનીમાં વિલનની ભૂમિકા ભજવવામાં ?

વાત કરીશું આગામી કડીમાં..

વિજય રાવલ
૦૧/૦૯/૨૦૨૨