Atitrag - 59 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 59

અતીતરાગ- ૫૯

સુભાષ ઘાઈ.
એ વાત સાચી કે, છેલ્લા ઘણા વર્ષોથી સુભાષ ઘાઈએ કોઈ સુપરહિટ અથવા યાદગાર ફિલ્મનું નિર્માણ નથી કર્યું.

પણ એંસીના દાયકામાં સુભાષ ઘાઈનો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાફી દબદબો હતો.એમની ફિલ્મો એટલી સુપર ડુપર હીટ નીવડી હતી કે, તેમને બોલીવૂડના શો મેન કહેવામાં આવતાં. તેમણે અનેક સફળ મલ્ટી સ્ટારર ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું.

તો પછી એંસીના દાયકાથી લઈને આજ દિન સુધી, શો મેન સુભાષ ઘાઈએ સ્ટાર ઓફ ધ મિલેનિયમ અમિતાભ બચ્ચન સાથે એકપણ ફિલ્મ કેમ ન કરી ?

આજની કડીમાં એ મુદા પર વિગતવાર ચર્ચા કરીશું.

સુભાષ ઘાઈએ અમિતાભ જોડે એક ફિલ્મ નિર્માણનું આયોજન ઘડ્યું હતું. ફિલ્મ ફ્લોર પણ આવી. ફિલ્મનો મૂહર્ત શોટ પણ શૂટ થયો. એ પછી એક સપ્તાહનું શૂટિંગ પણ થયું. અને ત્યારબાદ અચાનક એ ફિલ્મ હંમેશ માટે ડબ્બામાં પુરાઈ ગઈ.

આ વાત છે વર્ષ ૧૯૮૭ના સમયગાળાની.
સુભાષ ઘાઈએ મોટી સંખ્યાની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એલાન કર્યું તેમની આગામી ફિલ્મનું નામ હતું, ‘દેવા’.

ફિલ્મના મુખ્ય કિરદારમાં હતાં, અમિતાભ બચ્ચન. ફિલ્મમાં અમિતાભે ડાકુની ભૂમિકા ભજવવાની હતી.

મીડિયાની ઉપસ્થિતમાં સુભાષ ઘાઈએ મૂહર્ત શોટ આપતાં, ડાકુની વેશભૂષામાં, કપાળ પર કાળું તિલક, બ્લેક સાફો, લોંગ કુર્તાના વસ્ત્ર પરિધાનમાં અમિતાભ રાઈટ હેન્ડમાં મશાલ પકડીને ફ્લોર પર આવ્યાં.

અમિતાભે મશાલ ઊંચી કરી, તેમના દમદાર ભારેખમ અવાજમાં ફિલ્મનો એક સંવાદ રજુ કર્યો.

સુભાષ ઘાઈ અને અમિતાબ બચ્ચનના યુનિક કોમ્બીનેશનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ ફિલ્મની ભાવી સફળતા માટે અનેક અટકળો અને ચર્ચાનો દોર શરુ થયો.

એક અઠવાડિયા પછી એક દિવસ અચાનક સુભાષ ઘાઈએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. અને ઘટસ્ફોટ જેવું નિવેદન આપતાં સુભાષ ઘાઈએ કહ્યું કે..

‘દેવા’ ફિલ્મનું નિર્માણ બંધ કરી રહ્યો છું. આ ફિલ્મ હવે નહીં બને.’

અચંબિત મીડિયાકર્મીઓ એ પ્રશ્ન પૂછતાં સુભાષ ઘાઈએ જવાબ આપ્યો.

‘મારા અને અમિતાભ વચ્ચે સર્જનાત્મક મતભેદ છે.’
‘વી બોથ હેવ ક્રીએટીવ ડિફરન્સીસ.’

બોલીવૂડમાં આવી શક્યતા સહજ છે. જયારે કોઈ બે દિગ્ગજ એક સાથે કામ કરે ત્યારે તેમના અહંનો ટકરાવ થાય એ સ્વાભાવિક છે. અને એ મતભેદ જયારે તેની મર્યાદાની તોડીને સપાટી પર આવી જાય ત્યારે તેને નામ આપવામાં આવે છે.

‘વિચારોના મતભેદ’.

પણ આ સમગ્ર ઘટનામાં પડદા પાછળની કડવી વાસ્તવિકતા કંઇક અલગ જ હતી.

એક દિવસ ફિલ્મના સેટ પર અમિતાભજી ગ્રીન રૂમમાં બેઠાં બેઠાં ફિલ્મ ‘દેવા’ની સ્ક્રીપ્ટ વાંચી રહ્યા હતાં. સ્ક્રીપ્ટ વાંચતા વાંચતા અમિતાભને તેમાં કંઇક આપત્તિજનક અથવા અરુચિકર લાગ્યું. એટલે તેમણે તેમના આસિસ્ટન્ટને કહ્યું કે,
'સુભાષ ઘાઈને બોલાવો મારે તેમની જોડે સ્ક્રીપ્ટની તબદીલી વિષે થોડી ચર્ચા કરવી છે.'

એ સંદેશો લઈને આસિસ્ટન્ટ આવ્યો, સુભાષ ઘાઈ પાસે.
આસિસ્ટન્ટની વાત સાંભળતા સુભાષ ઘાઈએ તે વાત પર નારાજગી દર્શાવતા મનોમન બોલ્યાં કે, અમિતાભે મને કેમ બોલાવ્યો ? એ મારી પાસે કેમ ન આવી શકે ?

એટલે તેમના આસિસ્ટન્ટને સુભાષ ઘાઈએ કહ્યું કે.
‘અમિતાભને જઈને કહો કે, તેમને ચર્ચા કરવી હોય તો તેઓ મારી કેબીનમાં આવી શકે છે.’

સુભાષ ઘાઈનો પ્રત્યુતર તેમના આસિસ્ટન્ટે અક્ષરસઃ અમિતાભ બચ્ચ્ચનને જઈને કહી સંભળાવ્યો.

આટલું સાંભળતા અમિતાભનો અહં ઘવાયો. અને તેઓ તરત જ ઊભાં થઇ, ‘દેવા’નો સેટ છોડીને જતાં રહ્યાં.

બીજા દિવસે સુભાષ ઘાઈ અને અમિતાભ બચ્ચન બન્નેમાંથી કોઇએ એકબીજાનો સંપર્ક ન કર્યો.

અને આ ઘટનાના ચાર દિવસ બાદ સુભાષ ઘાઈએ ફિલ્મ ‘દેવા’ને ડબ્બામાં પુરાવાની વાતનું એલાન કર્યું.

વર્ષો બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કોઈ પત્રકારે ‘દેવા’ વિષેનો ઉલ્લેખ કરતાં સુભાષ ઘાઈને પૂછ્યું, ત્યારે સુભાષ ઘાઈએ એવું નિવેદન આપ્યું હતું કે,

‘હું કબૂલ કરું છું કે, ક્રિએટીવના ઇસ્યુના કારણે થોડા મતભેદ થયાં હતાં, અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે, તે સમયમાં હું થોડો ધૈર્યહીન હતો, ઉતાવળિયો હતો. જો હું મારી આકરી પ્રકૃતિને અંકુશમાં રાખી શક્યો હતો તો.. ‘દેવા’ જરૂર સિલ્વર સ્ક્રીન પર આવી હોત.

સુભાષ ઘાઈના અસહજ સ્વભાવ સાથે આવો જ એક બીજો કિસ્સો જોડાયેલો છે.

નસીરુદ્દીન શાહ અને સુભાષ ઘાઈએ એક ફિલ્મમાં સાથે કામ કર્યું. અને માત્ર એ એક જ ફિલ્મમાં કર્યું. ફિલ્મ હતી ‘કર્મા’.

એક જ ફિલ્મ કરવાનું પણ એક કારણ છે.

ફિલ્મ ‘કર્મા’માં દિલીપ કુમાર અને નસીરુદ્દીન શાહ વચ્ચે એક જબરદસ્ત સંવાદનું દ્રશ્ય છે. અને નસીરુદ્દીન શાહને સુભાષ ઘાઈએ એવું કહીને ફિલ્મ માટે કન્વીન્સ કર્યા હતાં કે, દિલીપ કુમાર સામે તેમને તેમના અભિનયનો પરચો બતાવવાની અમૂલ્ય તક મળશે.
પણ અહીં સુભાષ ઘાઈએ અસલી હકીકત નસીરુદ્દીનથી છુપાવી અને દિલીપ કુમાર અને નસીરુદ્દીન સાથેનું જે દ્રશ્ય છે, તે અલગ અલગ શૂટ કરવામાં આવ્યું. આપ જયારે ‘કર્મા’ ફિલ્મ ધ્યાનથી જોશો તો આપને ખ્યાલ આવશે કે, નસીરુદ્દીન શાહ અને દિલીપ કુમારના દ્રશ્યમાં બન્ને એક ફ્રેમમાં નથી આવતાં.

આ વાતને લઈને નસીરુદ્દીન શાહ સુભાષ ઘાઈથી ખુબ ખફા થયાં અને ફરી ક્યારેય તેમણે તેમની જોડે કામ નથી કર્યું.

આ વાતનો ગુસ્સો ઠાલવતાં નસીરુદ્દીન શાહે તેમના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું છે કે, મેં ‘કર્મા’ ફિલ્મ જોઈ જ નથી.

આ હતાં ધ શો મેન સુભાષ ઘાઈના પડદા પાછળના શો.

આગામી કડી..

વર્ષ ૧૯૫૫માં બલરાજ સાહનીની એક ફિલ્મ આવી હતી.
નામ હતું, ‘ગરમ કોટ.’
આ ફિલ્મનું મુખ્ય કિરદાર હતો.. એ ‘ગરમ કોટ’.

એ કોટ બલરાજ સાહનીના મિત્રનો હતો. અને એ પૂરી ફિલ્મમાં બલરાજ સાહની એ જુનો પુરાણો કોટ પહેરીને ફર્યા કરે છે, અને નવો કોટ ખરીદવાના સપના જોયા કરે.

અસ્સ્લમાં કોનો હતો એ કોટ ? શું હતી હકીકત એ કોટની ?
જાણીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૨૨/૧૧/૨૦૨૨